ગ્લૉબલ કવિતા : ૧૦૩ : ક્લિઓપેટ્રા – આન્ના આખ્માતોવા

Cleopatra

I am air and fire.
Shakespeare

Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin

[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.

And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)

– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)

ક્લિઓપેટ્રા
હું હવા અને અગ્નિ છું.
– શેક્સપિઅર

એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન

(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.

અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.

અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.

– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લિઓપેટ્રા – રાણીના લિબાસમાં છૂપાયેલું કવયિત્રીનું સ્વાન-સૉંગ

કવિતા કવિની આત્મકથા છે એમ કહીએ તો એ કેટલા અંશે સાચું ગણાય? કદાચ ઘણાખરા સર્જકો આ વાત સ્વીકારવા તૈયાર ન થાય. હું જે લખું છું એ મારી આત્મકથા છે એમ જો સર્જક કહી દે તો કદાચ ઘણાં ઘર ભાંગી જાય. પણ હકીકત એ છે કે સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. તમામ પ્રકારનું સર્જન સર્જકના નિજના અનુભૂતિના પિંડમાંથી જ રચાતું હોવાથી એક રીતે એ સર્જકની જ કોઈને કોઈ સંવેદનાની આત્મકથા જ ગણી શકાય.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

સર્જક શબ્દોને શ્વસીને જીવે છે એટલે એના સર્જનમાં એના શ્વાસ જ સામેલ હોવાના એ હકીકત શી રીતે જૂઠલાવી શકાય? રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવા પ્રસ્તુત રચનામાં મહાન ઐતિહાસિક પાત્રના વર્ણનના સ્વાંગમાં પોતાની આત્મકથા જ આલેખે છે.

આન્ના એન્ડ્રિયેવ્ના ગોરેન્કો. ૨૩-૦૬-૧૮૮૯ના રોજ રશિયામાં, પણ હાલ યુક્રેઇનના ઓડેસા ખાતે જન્મ. યુદ્ધ, ક્રાંતિ અને સરમુખત્યારશાહીના પ્રતાપે એમના વિશેની ઘણી માહિતી અને એમનું ઘણું સર્જન મિટાવી દેવામાં આવ્યું હતું. એમના દાદાના કાકી રશિયાના પ્રથમ કવયિત્રી હતાં એમ આન્નાએ લખ્યું છે. ૧૧ વર્ષની વયે આન્નાએ કવિતા લખવું આદર્યું અને ટૂંકાગાળામાં એમની રચનાઓ છપાવા પણ માંડી. કવિતાને ‘ઉતરતી’ ગણતા પિતાનું નામ બદનામ ન થાય એ માટે એમણે આન્ના આખ્માતોવા (ઉચ્ચાર મુજબ આક્માટોવ, પણ આપણે ત્યાં આખ્માતોવા પ્રચલિત થઈ ચૂક્યું હોવાથી એ જ રાખીએ) ઉપનામ રાખ્યું. નિકોલાઈ ગુમિલ્યોવ સાથેનું પ્રથમ લગ્નજીવન (૧૯૧૦-૧૯૧૮) અને વ્લાદિમિર સાથેનું બીજું લગ્નજીવન (૧૯૧૮-૧૯૨૬)–બંને આઠેક વર્ષ જ ટક્યાં. પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા એ પછી પણ સૉવિયેટ ખાનગી પૉલિસે એમની જાન લીધી અને બે નિષ્ફળ લગ્નજીવન બાદ જે નિકોલાઈ પુનિન સાથે તેઓ આજે લિવ-ઇન કહીએ છીએ એ પ્રકારના સંબંધથી જોડાયાં, એ પુનિનને પણ લેબર કૅમ્પમાં મૃત્યુ પામ્યો ત્યાં સુધી રહેવાની ફરજ પડાઈ. આ ઉપરાંત ઓસિપ મેન્ડલસ્ટામ, બૉરિસ અન્રેપ, મિખાઇલ ઝિમરમેન, આર્થર લૉરી જેવા ઘણા લોકો સાથે એ અવારનવાર પ્રેમસંબંધે જોડાતાં રહ્યાં. પહેલા હનીમૂન વખતે પેરિસમાં એમેડિયો મોડિગ્લિઆની સાથે મૈત્રી થઈ, ફરી પેરિસ એને મળવાં એ ગયાં ત્યાં સુધીમાં એમેડિયોએ એમના (નગ્ન સહિતના) વીસેક ચિત્રો બનાવ્યાં હતાં.

રશિયાના ઉત્તમ કવિઓમાં મોખરાનું સ્થાન. પ્રમુખતઃ કવિતાઓ પણ નિબંધો, આત્મકથાનક અંશો, અને અનુવાદો પણ આપ્યા. પરવીન શાકિરની જેમ જ આન્નાની કવિતાઓમાંથી એક સ્ત્રીનો સ્પષ્ટ અને બુલંદ સ્વર ઊઠતો સંભળાય છે. મર્યાદિત શબ્દોમાં રજૂ થતી સંયમિત લાગણીસભર રચનાઓ એમની મૌલિકતાના કારણે સમકાલીનોથી અલગ તરી આવે છે. ‘નેવાની રાણી’ અને રશિયન ‘રજતયુગનો આત્મા’ જેવી પદવી એમને અપાઈ હતી. સતત બે વરસ સુધી નોબલ પારિતોષિક માટે એમનું નામ વિચારાયું હતું. હજારો સ્ત્રીઓએ ‘આખ્માતોવાના માનમાં’ કવિતાઓ રચવી શરૂ કરી, જે બાબતમાં આન્નાએ કહેવું પડ્યું હતું કે, ‘મેં આપણી સ્ત્રીઓને કેવી રીતે બોલવું એ તો શીખવી દીધું, મને ખબર નથી કે એમને ચુપ કઈ રીતે કરવી.’ પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણે રશિયન રજતયુગનો અંત આણ્યો. ફ્રેબ્રુઆરી ૧૯૧૭માં પિટર્સબર્ગમાં ક્રાંતિના પાગરણ થયાં અને સિપાહીઓએ વિરોધ કરનારાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવો આદર્યો. વીજળી, ગટર, ખાધા-ખોરાકી અને પાણીના અભાવે સેંકડો લોકો માર્યા ગયા. આન્નાના ઘણા મિત્રો મરાયા, ઘણા યુરોપ વગેરે દેશોમાં ભાગી છૂટ્યા. આન્નાને પણ ભાગી છૂટવાની તક હતી પણ એમણે વતન ન ત્યજવાનો નિર્ણય લીધો અને આજીવન આ વાતનું એમને અભિમાન પણ રહ્યું. ૧૯૨૫થી ૧૯૪૦ દરમિયાન આન્નાની કવિતાઓ પર ‘બિનસત્તાવાર’ પ્રતિબંધ મૂકાયો. લોકોએ એવું પણ માની લીધું કે આન્ના હવે હયાત નથી. આન્નાની ધરપકડ થતાં-થતાં રહી ગઈ પણ એમના ઇતિહાસકાર પુત્ર લેવની વારંવાર ધરપકડ કરવામાં આવી. આત્યંતિક ગરીબીના શિકાર આન્નાને દીકરાને ખાવાનું આપવા અને એને છોડી દેવાની આજીજી કરવા માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું. ૧૯૩૯માં સ્ટાલિને એમને એક કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની છૂટ આપી, જે થોડા જ સમયમાં બજારમાંથી ફરી ખેંચી લઈ નાશ કરાયો. આન્ના લગભગ નજરકેદી જેવું જીવન જીવ્યાં. એમના ફોન ટેપ કરાતા, મુલાકાતીઓની જડતી લેવાતી, લખાણો જપ્ત કરાતાં. કવિતાઓ લખીને, મોઢામોઢ ફરતી કરીને જાતે જ બાળી દેવી પડતી, જેના પરિણામે મનાય છે કે વિપુલ સાહિત્ય કાયમ માટે લુપ્ત થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટાલિનના હુકમથી એમને થોડો સમય તાશ્કંદ મોકલી દેવાયાં. ૧૯૪૬માં એ જ સ્ટાલિનના કહેવાથી એમની વિરુદ્ધ જાહેર ચળવળ ચલાવાઈ અને આન્નાને ‘અર્ધવેશ્યા, અર્ધસાધ્વી’ જાહેર કરાયાં. દીકરાને છોડાવવા માટે આન્નાએ સ્ટાલિન માટે કસીદા પણ કસવા પડ્યા. સ્ટાલિનના મૃત્યુ (૧૯૫૬) પછી આન્નાનો કવિ તરીકે પુનઃ સૂર્યોદય થયો પણ વજનદાર સેન્સરશીપ ચાલુ જ રહી. થોડા પ્રતિબંધ-થોડી આઝાદીની વચ્ચેની જગ્યામાં રહીને તેઓ આખરે મૃત્યુના દોઢ-બે દાયકા બાદ ખરા અર્થમાં પ્રસિદ્ધિની ચરમસીમાઓને આંબ્યાં. ૧૯૬૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. ૦૫-૦૩-૧૯૬૬ના રોજ ૭૬ વર્ષની વયે હૃદયરોગના હુમલા બાદ હૃદયનો પંપ નિષ્ફળ જવાથી એમનું નિધન થયું.

ક્લિઓપેટ્રા’ શીર્ષક વાંચતાં જ એક અવનવું સંવેદન લખલખું બનીને આપણને આલિંગી લે છે. ટૉલેમિક રાજવંશની આખરી શાસક ક્લિઓપેટ્રા (સાતમી)નું નામ કોણે નહીં સાંભળ્યું હોય? ઈસુના જન્મથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે એનો જન્મ. ૧૮ વર્ષની કુમળી વયે તો એના હાથમાં ૧૦ વર્ષના ભાઈ સાથે ભાગીદારીમાં રાજગાદી આવી ગઈ. પણ સલાહકારોથી દોરવાઈને ભાઈ ટૉલેમીએ એને ઇજિપ્ત છોડી સિરિઆ ભાગી જવા મજબૂર કરી. બીજા જ વર્ષે ક્લિઓપેટ્રા પોતાની સેના ઊભી કરીને પાછી ફરી. કહે છે કે સિઝરના દરબારમાં શેતરંજીમાં વીંટળાઈને એ પ્રવેશી હતી. શેતરંજી ખોલવામાં આવતાં અંદરથી નીકળેલી રૂપયૌવનાએ દરબારમાં આમ પ્રવેશીને સિઝરને આશ્ચર્યચકિત કરી લીધો અને મોહપાશમાં જકડી લીધો. જુલિયસ સિઝરની મદદથી ભાઈને ભગાડીને એણે ફરી ગાદી હાંસલ કરી. સિઝરની હત્યા બાદ રોમમાં માર્ક એન્ટની, ઑક્ટાવિયસ અને લેપિડસની ત્રિપુટી વિરુદ્ધ સિઝરના હત્યારા બ્રુટસ અને કેસિયસ સામસામા થયા. બંને ટોળીએ ઇજિપ્તની મદદ માંગી. ક્લિઓપેટ્રાએ ત્રિપુટીને મદદ કરી. એમાંથી એન્ટનીએ જીત્યા બાદ એને મળવા બોલાવી. ક્લિઓપેટ્રાના જાદુથી એન્ટની પણ બચી ન શક્યો. ક્લિઓપેટ્રા માટે એન્ટની પોતાની પત્ની અને વતનની સામે થાય છે. બદલામાં એન્ટનીની પત્ની ઓક્ટાવિયાનો ભાઈ ઑગસ્ટસ ઓક્ટાવિયન યુદ્ધ છેડે છે, જેમાં ક્લિઓપેટ્રા અને એન્ટનીની હાર થાય છે. બંને વારાફરતી ભાગી છૂટે છે. ક્લિઓપેટ્રાએ આત્મહત્યા કરી લીધી હોવાની અફવા સાંભળી એન્ટની તલવાર પેટમાં મારીને જીવ આપવાની કોશિશ કરે છે. ઘાયલ એન્ટનીને ક્લિઓપેટ્રા પાસે લવાય છે, જ્યાં ક્લિઓપેટ્રા પોતાના કપડાં ફાડીને, છાતી પીટીને, એના લોહીથી પોતાનો ચહેરો ખરડીને માતમ મનાવે છે. એન્ટની મૃત્યુ પામે છે. ક્લિઓપેટ્રા પોતાના રૂપની માયાજાળમાં ઓક્ટાવિયનને ફસાવવાની નિષ્ફળ કોશિશ કરે છે પણ ઓક્ટાવિયન યુદ્ધના વિજયચિહ્ન તરીકે પોતાને રોમમાં લઈ જઈ નગર વચ્ચે પરેડ કરાવશે એ વાતની ખાતરી થતાં ૩૯ વર્ષની વયે ૧૨ ઑગસ્ટ, ઈ.પૂ. ૩૦ના રોજ ક્લિઓપેટ્રા બે સેવિકાઓ સાથે જાતને ઓરડામાં બંધ કરી દે છે અને કહેવાય છે કે ઝેરી સાપના ડંશ વડે આત્મહત્યા કરે છે. ઑગસ્ટસ ઑક્ટાવિઅન એન્ટની અને ક્લિઓપેટ્રા ઉપરનો વિજય યાદગાર બનાવવા જેમ જુલિયસે જુલાઈ મહિનાનું નામકરણ કર્યું હતું, એમ એ મહિનાનું નામ ઑગસ્ટ નક્કી કરે છે.

ઇજિપ્તની આખરી ફૅરો તથા ઇજિપ્ત, સાયપ્રસ, લિબિયાની રાણી ક્લિઓપેટ્રાનું રૂપ આજે દંતકથા બની ગયું છે. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓએ એના સૌંદર્યને અભૂતપૂર્વતા બક્ષી છે. પણ કહેવાય છે કે એ એટલી સ્વરૂપવાન નહોતી, જેટલી કલ્પવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે એ કાળી હતી. રૂપ-રંગની હકીકત જે હોય એ પણ એ સાચા અર્થમાં પ્રખર મેધાવિની હતી. તીવ્ર બુદ્ધિમતા, ડઝન જેટલી ભાષાઓ પર પ્રભુત્વ; ગણિત, ફિલસૂફી, વાક્છટા, ખગોળશાસ્ત્ર વિ.માં અપ્રતીમ પ્રાવીણ્ય, તથા અવાજના માર્દવ અને વ્યક્તિત્વના અનૂઠા આકર્ષણથી એ સૌને વશ કરી લેતી. પોતાની જાતને જીવંત દેવી માનતી અને એ જ આભાથી જીવતી અને એ જ આભામાં આવનારને ખેંચી લેતી. સેંકડો રાજા-રાણીઓ ઇજિપ્તની ગાદી પર આવ્યાં અને ગયાં પણ ક્લિઓપેટ્રા જેટલી પ્રસિદ્ધિ સમયે કોઈને અપાવી નથી. પ્લુટાર્કની ‘પેરેલલ લાઇવ્સ’ પરથી પ્રેરિત થઈ શેક્સપિઅરે ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ નાટક લખ્યું એ પહેલાં અને એ પછી પણ સેંકડો સર્જકોએ ક્લિઓપેટ્રા વિશે લખ્યું અને લખશે પણ શેક્સપિઅરે વિશ્વ સમક્ષ રજૂ કરેલી એની છબી જનમાનસમાં સદાકાળ માટે જડાઈ ચૂકી છે. એ જ રીતે ફિલ્મોમાં આજદિન પર્યંતની મોંઘામાં મોંઘી ફિલ્મ ‘ક્લિઓપેટ્રા’માં એલિઝાબેથ ટેલરને કોઈ અતિક્રમી શક્યું નથી.

આન્નાની આ કવિતાના સેંકડો અનુવાદ થયા છે, જેમાંથી એની ફ્લિન્ચ, જ્યૉર્જ ક્લાઇન, એ. જેડ. ફોરમેનના અનુવાદો વધુ ધ્યાનાર્હ છે પણ મૂળ રશિયન કવિતાને સામે રાખીએ તો જ્યુડિથ હેમ્શેમેયરે કરેલો અંગ્રેજી અનુવાદ સૌથી વધુ પ્રમાણિક અનુવાદ હોવાનું જણાય છે. ૦૭-૦૨-૧૯૪૦ના રોજ લખાયેલ આન્નાની આ કવિતાની શરૂઆત શેક્સપિઅર અને પુશ્કિનના વિધાનોથી થાય છે. શેક્સપિઅર ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૨, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રાના વખાણ અને ટીકા બંને એક જ વાક્યમાં કરે છે: ‘એ(નું સૌંદર્ય) ભૂલને પણ પરિપૂર્ણ બનાવે છે, અને (પોતે) હાંફતી હોવા છતાં શ્વાસ પૂરો પાડે છે.’ ક્લિઓપેટ્રાના સૌંદર્યને એ અદભુત ન્યાય પણ કરે છે: ‘ન ઉમર એને મુરઝાવી શકે છે, ન રિવાજો એના અનંત વૈવિધ્યને વાસી કરી શકે છે. અન્ય સ્ત્રીઓ જે ભૂખ જગાડે છે, એનાથી (સમય જતાં) તમે ઓચાઈ જાવ છો. પણ એ તમને સંતોષતી હોવા છતાં તમે કદી ધરાતાં નથી.’ સામા પક્ષે રશિયામાં ક્લિઓપેટ્રોમેનિયા(ઘેલછા)ની પુશ્કિનના સાહિત્યથી શરૂઆત થઈ હતી. એક સમય રશિયામાં એવો પણ આવ્યો કે કવિ હોય એણે ક્લિઓપેટ્રા વિશે લખવું જ રહ્યું. પણ આન્નાએ આ જુવાળ ઓસરી ગયા બાદ અને કમ્યૂનિસ્ટ વિચારોએ ક્લિઓપેટ્રાને લગભગ પ્રતિબંધિત કરી દીધી એ પછી જ એના વિશે લખ્યું.

શેક્સપિઅરના ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૫, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રા આત્મહત્યા કરતાં પહેલાં રાણીની જેમ તૈયાર થતી વખતે કહે છે, ‘હું આગ અને હવા છું; મારા અન્ય તત્ત્વો હું મૂળભૂત (નાશવંત) જીવનને આપું છું.’ આગ અને હવા અનુક્રમે પ્રાણ અને શ્વાસ સાથે સંકળાયેલા છે, અન્ય તત્ત્વો પૃથ્વી અને પાણી નાશવંત શરીર સાથે. જીવનના કોઈપણ ઉતારચડાવમાં ક્લિઓપેટ્રાએ મનથી કદી હાર માની નહોતી. એનો આત્મા કદી કોઈનો ગુલામ થયો નહોતો. આન્ના આમાંથી વાક્યાંશ કાવ્યારંભે પ્રયોજે છે. એ પછી આન્ના પુશ્કિનની ‘ઇજિપ્શ્યન નાઇટ્સ’માંથી અભિલેખ વાપરે છે: ‘એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.’ એલેક્ઝાન્ડ્રિયા ખાતે ખેલાયેલી લડાઈમાં ઓક્ટાવિઅને એન્ટનીને હરાવ્યો હતો. એન્ટનીની ખરી પ્રતિભા ક્લિઓપેટ્રાની મોહજાળ હેઠળ ઢંકાઈ ચૂકી છે એ બાબતનો ઈશારો અહીં જોવા મળે છે. ક્લિઓપેટ્રાની આત્મહત્યા રજૂ કરતી આ કવિતા સાથે આ અભિલેખને આમ કશું લાગે વળગતું નથી પણ એકતરફ અભિલેખમાંનો આ છાંયડો કવિતામાં ઊતરી રહેલા સાંજના ઓળા સાથે સુસંગત છે અને બીજી તરફ એ ક્લિઓપેટ્રા અને એલેક્ઝાન્ડ્રીયા શહેરના અંત તરફ ઈંગિત પણ કરે છે. ત્રીજી રીતે જોઈએ તો આ અભિલેખ શેક્સપિઅરના અભિલેખ સાથે મળીને કવિતાનો ‘પ્લૉટ’ ઘડે છે અને ચોથી વસ્તુ એ છે કે સતત સેન્સરશીપની તલવાર નીચે જીવતી આન્ના ભાવકનું અને ખાસ તો સત્તાધીશોનું આ કવિતા આત્મકથનાત્મક હોવા સામેથી ધ્યાન વિચલિત કરે છે. એ કાળમાં સ્ટેલિનિઝમના દાબ તળે સર્જકોમાં સૉવિયેટ ઇશપિઅન ભાષા વ્યાપ્ત બની હતી, જેમાં ઈશપની વાર્તાઓની જેમ અભિધાની નીચે છૂપાયેલી વ્યંજના ઇપ્સિત રહેતી હતી. આન્ના આ જ ભાષા વાપરીને લખે છે કંઈક પણ કહે છે કંઈક.

આમ, ક્લિઓપેટ્રા બાબતમાં સૌથી વધુ સત્તાધિકાર પ્રાપ્ત કરનાર શેક્સપિઅર તથા પુશ્કિન અને રશિયન રજતયુગ સાથે પોતાના વર્તમાનના તાર જોડીને ઇતિહાસના છોગામાં વીંટાળીને આન્ના પોતાની આત્મકથા આપણી સમક્ષ મૂકે છે. એ કહે છે, ક્લિઓપેટ્રાએ એન્ટનીના મૃત હોઠોને ક્યારના ચૂમી લીધા છે અને શહેર જીતનાર ઑગસ્ટસ ઓક્ટાવિઅન સામે આંસુઓ પણ ક્યારના વહાવી દીધાં છે. મતલબ જે કરવાનું હતું એ બધું ક્યારનું થઈ ચૂક્યું છે. યુદ્ધમાં હંમેશા બને છે, એ રીતે સેવકોએ વિજેતાના તાપથી પોતાને બચાવવા રાણીને દગો દઈ દીધો છે. શેક્સપિઅરના નાટકમાં ક્લિઓપેટ્રાનો ખજાનચી સેક્યુલસ ઓક્ટાવિઅસની હાજરીમાં રાણીના શબ્દોને સાથ આપવાના બદલે ફરી જાય છે. રોમન ગરુડ આકાશમાં મંડરાઈ રહ્યું છે. આન્ના શિકારી પક્ષી ગરુડનું પ્રતીક પ્રયોજે છે અને કાવ્યાંતે રાણી આપઘાત કરવા માટે ગરુડના પ્રિય ખોરાક સાપની વાત કરે છે એ પણ સૂચક છે. વિજયના રણશિંગાઓના અવાજોથી આકાશ ભરાઈ ગયું છે. સાંજના ઓળા ઊતરી રહ્યા છે. શહેર, શહેરીજનો અને રાણી – બધાના જીવનનો સૂર્ય હવે આથમી ચૂક્યો છે. બધાએ વિજેતાના ખોફમાંથી પસાર થવાનું છે હવે.

શેક્સપિઅરના નાટકમાં ઑક્ટાવિયસનો સેવક ડોલાબેલા રાણીની શંકાને સમર્થન આપે છે એ જ વાત આન્ના કવિતામાં રજૂ કરે છે. કહે છે, દેખાવે ઊંચો અને ઉદાત્ત વ્યક્તિત્વવાળો, એના સૌંદર્યનો આખરી ગુલામ એની સામે આવે છે અને મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરતો હોય એમ રાણીના શકની પુષ્ટિ કરતાં કહે છે કે ઑક્ટાવિયસ પોતાના વિજયની ટ્રોફીના સ્વરૂપમાં ક્લિઓપેટ્રાને રોમમાં જાહેર પરેડ કરાવશે. પોતાની જાતને નગરજનોની વચ્ચે કેવી રીતે મજબૂર કરીને ચલાવાશે તથા નગરજનો દ્વારા કેવી રીતે ઠઠ્ઠા-મશ્કરી અને અપમાનવર્ષા કરાશે એ દૃશ્ય ક્ષણાર્ધમાં એની આંખ આગળથી પસાર થઈ જાય છે પણ ક્લિઓપેટ્રા સાધારણ સ્ત્રી નથી, એ સાધારણ રાણી પણ નથી, ઇતિહાસે એને ‘રાજાઓની રાણી’નો સરપાવ અમસ્તો નથી આપ્યો. હંસની ડોક જેવી એની સુંદર ગ્રીવા એક તરફ ઢળે છે પણ એમાં ભયની કોઈ કંપન-ધ્રુજારી નથી. એ નમેલી છે પણ સ્થિર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ‘સ્વાન-સૉંગ’ (હંસગીત) રૂપક પ્રચલિત છે. પાશ્ચાત્ય પુરાકથાઓમાં પ્રતીકાત્મકરૂપે હંસ-ગીતનો ઉલ્લેખ અવારનવાર થતો રહ્યો છે. મૃત્યુ અથવા નિવૃત્તિ પૂર્વે કોઈ કળાકાર પોતાની આખરી કૃતિ રજૂ કરે એને સ્વાન-સૉંગ કહે છે. ક્લિઓપેટ્રા માટે પણ આ સમાચાર મૃત્યુ પહેલાંના આખરી સમાચાર છે એટલે આન્ના રાણીની સહેજ ઢળેલી પણ શાંત-સ્થિર ડોકને હંસની ડોક સાથે સરખાવે છે.

એને ખાતરી છે કે આવતીકાલની સવાર કત્લેઆમની સવાર છે. રોમન ગરુડ શિકાર માટે મંડરાઈ રહ્યું છે. પોતાના બાળકોને પણ બક્ષવામાં નહીં આવે એ એને ખબર છે. આ પૃથ્વી પર કરવા માટે હવે ભાગ્યે જ કંઈ બચ્યું છે. વધુમાં વધુ એ આ સમાચાર લાવનાર વિદૂષક સાથે હંસી-મજાક કરી શકશે. અને વિદાય કરતીવેળાએ દુનિયા તરફ કરુણા-અનુકંપાભર્યો એક ઈશારો કરવો ન હોય એમ કાળા ઝેરી સાપને શામળા સ્તન પર બેપરવા હાથ વડે મૂકી દેવાનો છે. ક્લિઓપેટ્રા ગોરી નહીં પણ કાળી હતી એમ કેટલાક ઇતિહાસકારો માનતા હતા એ બાબત સાથે આન્ના કદમ મિલાવે છે. કદાચ ક્લિઓપેટ્રાને શામળી કહીને એ આ કવિતા પોતાની ઓળખ છે એ બાબતને અંધારામાં રાખવાની પણ આન્નની નેમ હોઈ શકે. કાળો રંગ અંધકારનો, મૃત્યુનો રંગ પણ છે એટલે જ કદાચ કવિ ડંસનાર અને ડંસનો ભોગ બનનાર બંનેને ગાઢા રંગે ચીતરે છે.

ક્લિઓપેટ્રાની સાથોસાથ જ કવિતાનો પણ અંત થાય છે. પણ આ કવિતા આન્નાની આત્મકથા છે. આન્નાની ક્લિઓપેટ્રા આન્ના પોતે જ છે. આન્ના પોતાને શ્રેષ્ઠ રશિયન કવયિત્રી, તાજ વિનાના સામ્રાજ્ઞી ગણતાં. એના ચાહકો એને ‘સેફો’ અથવા ‘મ્યુઝ’ કહેતાં. મારિના સ્વેતાએવા એને ‘તમામ રશિયનોની આન્ના’ કહેતી. એટલે આન્ના પોતાને ઇજિપ્તની રાણી સાથે સરખાવે એમાં કંઈ નવાઈ નથી. આન્નાના પતિઓ અને પ્રેમીઓ કાવ્યારંભે નજરે ચડે છે. આન્નાના કારણે એના બે પતિઓએ સ્ટાલિનના દમનનો ભોગ બની જીવથી હાથ ધોવા પડ્યા હતા. આન્નાએ છૂટાછેડા આપી દીધેલા પતિના મૃત્યુ પર પણ કવિતા લખીને શોક અને વિરોધ પ્રગટ કર્યા હતા, એને મૃત પતિના હોઠ પરનું ચુંબન ગણી શકાય. પોતાના પુત્રને દીર્ઘકાલીન કારાવાસમાંથી છોડાવવા નાછૂટકે આન્નાએ સ્ટાલિનની પ્રસંશામાં કાવ્યો લખ્યા હતા, અધિકારીઓના ઉંબરા ઘસ્યા હતા જેને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને આંસુઓ વહાવતી ક્લિઓપેટ્રા સાથે સરખાવી શકાય. રોમન ગરુડનું આકાશમાં મંડરાવું એ રશિયા પર જર્મનીના હુમલા અને મિત્રો-સંબંધીઓનું તક ઝડપી રશિયા છોડી ભાગી જવું એ સેવકોના દગા સાથે મેળ ખાય છે. આન્નાને પણ ભાગવાની તક મળી હતી પણ વતનપરસ્તીની ચરમસીમાએ આન્નાએ વતનમાં પડતી તકલીફો છતાં વતન ત્યજવાનું વિચાર્યું નહોતું. સ્ટાલિનના અંત બાદ આન્નાની અપાર લોકચાહનાનું એક કારણ કટોકટીના સમયે પણ બરકરાર આન્નાનો દેશપ્રેમ પણ હતું. એક કવિતામાં આન્ના લખે છે, ‘હું એમાંની નથી જેઓ આપણી ભૂમિને આપણા શત્રુઓના હાથે ટુકડાઓમાં ચીરાઈ જવા દેવા છોડી ગયા’ સાંજના અંધારા ઓળા આન્નાની અંધારી એકલતાના દ્યોતક છે. ૧૯૩૮માં પુનિન સાથે રહેતાં હોવાં છતાં આન્ના વ્લાદિમિર ગાર્સિન સાથે પ્રેમસંબંધે જોડાયાં હતાં. ગાર્સિને ૧૯૩૯ની સાલમાં ક્લિઓપેટ્રાના મસ્તકાંકિત બ્રૉચ આપ્યો હતો, જે કદાચ આ કવિતા લખવાનું કારણ બન્યું હોઈ શકે. ગાર્સિન પણ ઊંચો અને ઉદાત્ત દેખાવવાળો હતો. ગાર્સિન કદાચ એના સૌંદર્યનો ‘આખરી ગુલામ’ પણ હતો. ‘પોએમ વિધાઉટ અ હીરો’માં આન્ના એના વિશે લખે છે: ‘તું મારો ઉત્કૃષ્ટ અને મારો આખરી (વ્યક્તિ) છે, મારી ઘેરી અસંબદ્ધતાનો એકમાત્ર આકંઠ શ્રોતા.’ સ્ટાલિન કે જર્મન વિજેતાઓની સામે પરાજિતભાવે ઊભા રહેવાનું નસીબે લખાઈ ચૂક્યું હોવા છતાં ક્લિઓપેટ્રાની હંસ જેવી ઝૂકેલી પણ સ્થિર ડોકની જેમ પોતાનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિ અંત સુધી અખંડિત રહેનાર છે એમ આન્ના આ પ્રતીક વડે કહે છે. મોડિગ્લિઆનીના નગ્ન ચિત્રમાં પણ આન્નાનું ચિત્રાંકન એક તરફ ઢળેલી ડોકવાળું છે. કવિનો એક ઈશારો એ તરફ પણ હોઈ શકે. એના લખાણો પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં, એના લખાણો અખબારોએ છાપવા બંધ કરી દીધા હોવા છતાં એણે લખવાનું બંધ કર્યું નહોતું. કાવ્યાંતે ક્લિઓપેટ્રાનો આપઘાત એ રશિયાના સત્તાધીશોને આન્નાની ‘તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં’ની ચીમકી જ છે.

કવિતાનો મુખ્ય મજમૂન મૃત્યુનો શાંતિપૂર્ણ અને ગૌરવાન્વિત સ્વીકાર છે, જે ભાગ્ય પરનો વિજય સૂચવે છે. આન્નાએ ક્લિઓપેટ્રાની જેમ જ પોતાનો અંત થશે એવું આ કવિતા વડે ૧૯૪૦માં ભાખ્યું હતું પણ અસંખ્ય તકલીફો છતાંય આન્નાની લોકપ્રિયતા એવી હતીકે સ્ટાલિનની સરકાર એની આસપાસના લોકોને તો ઝબ્બે કરી શકી પણ આન્નાને કદી હાથ પણ લગાવી ન શકી. ન માત્ર સ્ટાલિન, આન્ના બબ્બે વિશ્વયુદ્ધ અને બાદમાં રશિયામાં ફાટી નીકળેલ શીતયુદ્ધથી પણ બચી ગયા. આખ્માતોવા કહેતાં કે ‘મારી પાસે આ સાધન છે: હું મારા પોતના વિચારો એક માણસ આગળ મૂકી દઉં છું, પણ જરાય હસ્તક્ષેપ કર્યા વિના. અને થોડી જ વારમાં એ માણસ સાચે જ એવું માનવા માંડે છે કે વિચાર એનો પોતાનો જ છે.’ આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ અને આન્નાના સગર્વ વિરોધ અને કુરબાનીમાં એના ભાગીદાર થવા તૈયાર થઈ જઈએ છીએ.

10 replies on “ગ્લૉબલ કવિતા : ૧૦૩ : ક્લિઓપેટ્રા – આન્ના આખ્માતોવા”

  1. “આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ “

  2. –કવિતા કવિની આત્મકથા છે એમ કહીએ તો એ કેટલા અંશે સાચું ગણાય?
    –આ કવિતા આન્નાની આત્મકથા છે. આન્નાની ક્લિઓપેટ્રા આન્ના પોતે જ છે.
    –આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે
    આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ.

    બસ આ વિધાનો પછી કહેવાનું કશું જ બાકી રહેતું નથી !

  3. જયશ્રીબેન, એક બે વર્ષ પહેલાં તમે અમર ભટ્ટ ના અવાજમાં ક્ષેમુભાઈનુ ગીત મુક્યુ હતું,
    ઝનન ઝનન ઝન ઝનનનન ઝાંઝર બોલે રે.
    ફરી તેને મુકી શકાય? Thankz in advance.

  4. ખુબ બેખુબી થી સુંદર, માહિતીસભર અને પ્રભાવિત ક્રિવી રજુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *