ગ્લૉબલ કવિતા : ૧૦૯ : એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

એક વંટોળિયાળ દિવસ

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કણ-કણમાં પ્રાણ પૂરતા પવનનું કવન

ઑફિસના એના એ બિલ્ડિંગમાં રોજ જ જવાનું… એક-બે દિવસ નહીં, વરસોવરસ… કેવું કંટાળાજનક! ઓફિસના દરવાજે સ-રસ મજાનું નક્શીકામ કેમ ન કર્યું હોય અને એમાં હીરા-મોતી-સોના-ચાંદી પણ કેમ ન જડ્યા હો, એકના એક સ્થળે વારંવાર જવામાં મજા તો નહીં જ આવે. આ મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. પણ ઑફિસના મકાનની બહાર નાનો બગીચો હોય કે બે-પાંચ વૃક્ષો રોપ્યાં હોય કે દરવાજાની આજુબાજ ફૂલોના છોડવાળા કૂંડાં મૂક્યાં હોય તો આ કંટાળો જરા ઓછો થઈ જાય. એના એ ફૂલ-છોડ-વૃક્ષોની સામે રોજેરોજ જોવામાં આપણને ભાગ્યે જ કંટાળો આવે છે. એ જ રીતે, જીવનમાં સેંકડો સૂર્યાસ્ત કેમ ન જોયા હોય, પણ સૂર્ય ડૂબવાનો સમય હોય અને આપણે સનસેટ પૉઇન્ટથી દૂર હોઈએ તો આપણાં પગલાં આપોઆપ ઝડપી બની જતાં હોવાનું આપણે અનુભવ્યું જ છે. એનો એ સૂર્ય, એનું એ આકાશ પણ આકર્ષણ હંમેશા નવું. કારણ? કારણ એ જ કે પ્રકૃતિમાં જીવન છે અને જીવન હરહંમેશ પરિવર્તનશીલ જ હોય. પ્રકૃતિમાં કદી એકવિધતા હોઈ શકે જ નહીં. જ્યારે જુઓ, ત્યારે એ નવી ને નવી જ. કોઈ પણ વૃક્ષ કે છોડ કે આકાશ કે નદી-નાળાં-સમુદ્ર એવાને એવા બીજી વાર જોવા મળતા નથી. એના કદ-આકાર-રૂપ-રંગ: કંઈનું કંઈ સતત બદલાતું રહે છે. પ્રકૃતિમાં ફક્ત ‘ચેઇન્જ ઇઝ કોન્સ્ટન્ટ’ (હેરાક્લિટસ). આ જ કારણ છે કે પ્રકૃતિ કદી કંટાળો આપતી નથી. પ્રકૃતિ દરેક વસ્તુમાં જીવ રેડી દે છે, એ વાતને પવનના સાપેક્ષમાં કવિ એન્ડ્રૂ યંગ રજૂ કરે છે.

એન્ડ્રૂ જૉન યંગ. કવિ. લેખક. પાદરી. ૨૯-૦૪-૧૮૮૫ના રોજ એલ્જિન, સ્કૉટલેન્ડમાં સ્ટેશનમાસ્ટરના ઘરે જન્મ. આઠ વર્ષની નાની વયે કવિતા લખતા-વાંચતા થઈ ગયા. પ્રકૃતિ અને ફૂલોમાં ખોવાઈ જવાના શોખના કારણે શાળામાં અવારનવાર ગેરહાજર રહેતા એટલે એમની સ્કૉલરશીપ રદ કરવામાં આવી હતી. તોય ભણ્યા અને આર્ટ્સમાં કવિ બનવાની આશા સાથે અનુસ્નાતક થયા. ૧૯૦૭માં એમનો ભાઈ ડેવિડ રહસ્યમયરીતે ગાયબ થઈ ગયો. આ ઘટનાથી વ્યથિત થઈ વકાલત ભણવાનું છોડીને ન્યૂ કોલેજમાં ધર્મશાસ્ત્ર ભણ્યા. પણ કવિતાના સંસ્કાર એમ પીછો છોડે એવા નહોતા. દીકરાના દિમાગમાંથી કવિતાનો કીડો કાયમ માટે નીકળી જાય એ આશામાં ૧૯૧૦માં એમના પિતાએ પોતાના ખર્ચે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પણ કવિતા તો એમની કાયમી જીવનસંગિની હતી. એ જ અરસામાં શિક્ષિકા જેનેટ ગ્રીનને જીવનસંગિની બનાવી, જેણે બે બાળકોની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈને મૃત્યુપર્યંત પતિ માટે સાહિત્યકાર બનવાનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. અભ્યાસ બાદ યંગ ચર્ચમાં પાદરી તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી અલગ-અલગ ચર્ચોમાં અલગ-અલગ પદ પરથી સેવા આપી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક આરામ-છાવણીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી. એ પછી તેઓ પૂર્વી સસેક્સ, ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. અવારનવાર નર્વસ બ્રેકડાઉનના શિકાર થયા. સ્વભાવે તામસી પણ કવિતા એકદમ સાલસ. ૧૯૬૯માં પત્નીના અવસાનનો આઘાત જીરવી ન શકાતા, મૃત્યુની મનોકામના સેવતા-સેવતા અંતે બે જ વરસમાં ૮૬ વર્ષનું દીર્ઘાયુ ભોગવી ૨૫-૧૧-૧૯૭૧ના રોજ નિધન.

યંગની શરૂઆતની કવિતાઓ પર સ્વાઇનબર્ન અને ડેકડન્ટ્સ કવિઓની અને ત્યાર બાદ જ્યૉર્જિઅન કવિઓની છાયા વર્તાય છે. ત્રીસીના દાયકામાં કવિએ પોતાનો આગવો અવાજ શોધ્યો. એ. જે. યંગ નામથી લખેલા આગળના સંગ્રહોને રદ કરી એન્ડ્રૂ યંગના નામથી લખવાનું શરૂ કર્યું. હાથ આવ્યા એ તમામ સંગ્રહો એમણે નષ્ટ પણ કરી નાખ્યા. એ કવિતાઓ પોતાની નથી એવું સાબિત કરવા માટે ખાસ્સુ મથ્યાય ખરા. જૂની કવિતાઓ નવી શૈલીમાં એમણે ફરીથી પણ લખી. પણ જૂની કવિતાઓમાં પણ એમનો કસબ તો હતો જ અને કવિની ઇચ્છા વિરુદ્ધ સમયે એ રચનાઓ પણ સાચવી લીધી. લાઘવ અને સંગીત એમના પ્રધાન કાકુ. આધિભૌતિકતા (મેટફિઝિકાલિટી), સૂક્ષ્માવલોકન, પ્રકૃતિ, ઈશ્વર અને માનવજીવનમાં નૈતિક મૂલ્યો એમની કવિતાઓના જમા પાસાં ગણી શકાય. પ્રસિદ્ધ શૌકીયા વનસ્પતિશાસ્ત્રી પણ તેઓ હતા અને એમના પુસ્તકોમાં એની ઝાંખી પણ જોવા મળે છે. એમના કામને સ્વીકૃતિ અને પ્રસિદ્ધિ બંને ધીમી ગતિએ પ્રાપ્ત થયાં પણ આજે એમની કવિતાઓ વીસમી સદીની ‘અસ્વસ્થતાની વચ્ચે એક સ્વસ્થ અવાજ’ ગણાય છે.

‘એક વંટોળિયાળ દિવસ’ શીર્ષક આપણે પ્રકૃતિ કાવ્યમાં પ્રવેશી રહ્યા હોવાનો પહેલો ઈશારો આપે છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં વધુ પ્રચલિત પેન્ટામીટરના સ્થાને આયમ્બિક ટેટ્રામીટરમાં લખાઈ હોવાના કારણે આ કવિતા વંટોળિયાની જેમ વધુ ગતિશીલ બની છે. અંગ્રેજી કવિતાની પ્રાસરચના પણ ખાસ્સી અનિયમિત છે: abcc deed fghh ijk ijk. આવી તૂટેલીફૂટેલી પ્રાસયોજના પણ પવન જે રીતે વસ્તુઓને ઊડાડીને સેળભેળ કરી નાંખે છે એના જેવો જ અહેસાસ કરાવે છે. બીજું, અઢાર પંક્તિની આ આખી કવિતા કવિએ સળંગ જ રાખી છે. વચ્ચે-વચ્ચે વિરામચિહ્નો છે પણ પૂર્ણવિરામ છે…ક કાવ્યાંતે જ આવે છે. આમ આખી રચના એક જ વાક્યની બનેલી છે એમ ગણી શકાય. વિરામચિહ્નો ઉપરાંત ‘અને’ તથા ‘અથવા’ જેવા સંયોજકોના મિજાગરાઓ પર પંક્તિઓના દરવાજાઓ એક વાક્યમાં બંધાયેલા રહે છે. પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

‘આ પવન’થી વાત શરૂ થાય છે. ‘ધ વિન્ડ’ કહી દુનિયાના તમામ સ્થળો અને સમયોના પવનોનું સામાન્યીકરણ કરવાના બદલે કવિ ‘ધિસ વિન્ડ’ કહીને જે પવન એમની નજર સામે છે એની જ વાત પોતે કરી રહ્યા છે એમ ભારપૂર્વક જણાવે છે. આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે. કેવું સનાતન સત્ય! ટેબલ પર પુસ્તક પડી રહ્યું હોય અને પવન આવ્યો નથી કે પ્રાણ પૂરાયો ન હોય એમ એનાં પાનાં ફરફર્યાં નથી. પવન એટલે ગતિદાર હવા. હવા તો આપણી ચારેતરફ કણેકણમાં વ્યાપ્ત છે જ પણ એની હાજરીનો અહેસાસ ગતિ કે ગંધ વિના અસંભવ છે. આદિલ તો ત્યાં સુધી કહે છે કે, ‘બીજી તો કોઈ રીતથી જોઈ નહીં શકો, દૃષ્ટિ વિકાસ પામે તો દેખાય છે પવન.’ નિર્જીવ અને ખાસ તો ગેરહાજર ભાસતી હવા ગતિદાર બને છે ત્યારે એ એની અડફેટમાં આવનાર તમામ ચીજવસ્તુઓમાં જીવ રેડી દે છે. ગતિશીલ હવાનો હાથ ફરતાં જ સૃષ્ટિ આખી સજીવન થઈ ઊઠે છે. કવિ માત્ર થોડો સમય માટે વહીને ચાલ્યા જતા પવનની નહીં, પણ દિવસ આખો ફૂંકાયે રાખતો હોય એવા પવનની, એક વંટોળિયાળ દિવસ આખાની વાત માંડે છે અને પવનના સ્પર્શે જેનામાં જીવ ફૂંકાતો હોય એવી વસ્તુઓને એક પછી એક રજૂ કરે છે.

મોટાભાગનું આયખું શહેરમાં વીત્યું હોવા છતાં યંગની કવિતાઓમાં સ્કૉટલેન્ડના ગામડાં અને વન-વગડા સતત ડોકાતાં રહે છે. ડાળીઓ હવામાં પવનના કારણે જે રીતે હાલી રહી છે એ જોઈને કવિને એમ લાગે છે જાણે એ ચાબુક બનીને હવાની પીઠ પર વીંઝાઈ રહી છે. અને ખરીને સૂક્કાં થઈ પડેલાં પાંદડાંઓ ઉતાવળમાં હોય એમ ગડથોલિયાં ખાતાં ઊડાઊડ કરે છે. સૂકાં પર્ણોની વાત પરથી ‘ધ લિફ’ નામની એક કવિતા પણ યાદ આવે. યંગ કહે છે: ‘ક્યારેક પાનખરનું એક પાંદડું/જે જમીન પર ખરી પડે છે,/હૃદયમાં એક જખ્મ દઈ જાય છે,/અને જગાડે છે પુરાણા દુઃખને./પણ હું એટલે નથી રડતો/કે પાનખરમાં તમામ પર્ણો મરી જાય છે,/હું ફક્ત એટલે જ રડું છું કે મારે/એમને ખરતા જોવા જીવવું પડવાનું છે.’ કેવી સંવેદના! આવી જ સંવેદના ‘ઑટમ’ કવિતામાં પણ જોવા મળે છે જ્યાં યંગ ફૂલોને નિસ્તેજ પૃથ્વીની મીઠી આશાઓ અને સ્મૃતિઓથી ભરેલી જાગૃત આંખો કહી ઓળખાવે છે. ‘સ્લિપ’ કવિતામાં દિવસે ખીલેલાં ફૂલ રાત્રે બિડાઈને ફરી કળી બની જાય છે એ સંવેદન યંગ જે રીતે રજૂ કરે છે એના પરથી કવિની દૃષ્ટિ સામાન્યજનથી કઈ રીતે અલગ પડે છે એ સમજી શકાય છે:

ફૂલો ભૂત જેવા સફેદ છે,
ધૂમિલ શેરીની કોરે,
તેઓ સૂઈ જાય છે અને પલટાઈ જાય છે
કૂમળી કળીઓમાં રાતે.

એથી જ, ગીતો અને પાપો જે પ્રજ્વાળે છે
એના તમામ દર્દથી ક્લાન્ત,
હું પણ, સૂઈ જઈશ અને પલટાઈ જઈશ
એક બાળકમાં ફરીથી.

પુનઃ કવિતા પર નજર કરીએ. પવન સસલાંની બખોલમાં પણ ડોકિયાં કરી આવે છે અને ઝાડને એવી રીતે નમાવી દે છે જાણે પાડી દેવા ન માંગતો હોય! અહીં આગળથી વાક્યરચના થોડી અસંદિગ્ધ જણાય છે. સસલાંની બખોલમાં જે ઝાંકે છે એ કર્તા સ્પષ્ટ થતો નથી. એ જ રીતે અહીંથી આગળ જતાં સંયોજકો કાવ્યને ભલે સળંગ વાક્યમાં બાંધી રાખતા કેમ ન હોય, વાક્યને અટપટું અને ક્લિષ્ટ પણ બનાવે છે. જો કે પવનની કવિતા છે અને મજાની છે એટલે થોડી ભાષાકીય અનિયમિતતાને નજરઅંદાજ કરવામાં કશું ખોટુંય નથી. અસ્પષ્ટતા ઘણીવાર કવિતાના સૌંદર્યને અવરોધવાના બદલે વધુ ઉજાગર કરતી હોય છે. અહીં પણ પવનના તોફાન સાથે આ અનિયમિતતાનો તાલમેળ બેસતો નજરે ચડે છે. પવનના જોરથી દરવાજાંઓ ફટાક્ કરતાંકને ઊઘડી જાય છે અને પવનનું ઝાપટું વહી જતાં જ આપોઆપ એજ જોરથી ફરી બિડાઈ પણ જાય છે. ખેતરોમાં ઊગેલો પાક કે મેદાનોમાં ઊગેલું ઘાસ એવી રીતે લહેરાઈ રહ્યાં છે જાણે ખેતરો સાક્ષાત્ લીલો દરિયો બની ગયાં ન હોય અને રખડતાં ઢોર આ હરિતસાગરમાં જહાજ બનીને તરવા માંડે છે. તડકામાં ચમકી રહેલાં સૂકાં-કડક તણખલાંઓ હવાના કારણે ઊંચે ઊઠ્યાં છે અને હવા જાણે મકાનમાંની છાજલી ન હોય એમ એના પર આડાં પડ્યાં હોવાનું મજાનું કલ્પન કવિને સૂઝે છે. આદિલ મન્સૂરી સ-રસ વાત કરી ગયા:

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ,
સાકી બનીને જ્યારે સુરા પાય છે પવન.

તળાવના પાણીમાં પણ વંટોળિયાના પ્રભાવે મોજાં ઊઠી રહ્યાં છે, જે જોઈને એમ લાગે છે કે તળાવ પોતાની જાતનો ત્યાગ કરીને બહાર આવવા કૂદી રહ્યું છે. પોતાની જાતની કેદમાંથી મુક્ત થવું એ કદાચ સૌથી કપરી વસ્તુ છે પણ પ્રકૃતિ આ વરદાનથી સહુને નવાજે છે. પવનના સહારે તળાવ જેવા તળાવને સ્વમાંથી બહાર આવવાની તક મળે છે. કેનોપનિષદમાં વાયુદેવ યક્ષને કહે છે: ‘इदं सर्वम् अपि आददीय यत् इदं पृथिव्याम् इति॥’ (આ બધાને, આ પૃથ્વી પર જે કંઈ છે, એને હું મારામાં લઈ લેવા (ઉપાડી લેવા) સમર્થ છું). સાચી વાત છે, પવનની પાંખ મળે તો બીજી પાંખોની શી જરૂર? તણખલાંની જેમ પીંછાં પણ હવાના જોરથી ઊંચે ઊઠે છે અને ઊડે છે. એવું લાગે છે કે દરેક પીંછું એક પંખીમાં પલટાઈ ગયું છે. ‘ગો નાઉ, માય સૉન્ગ’ નામના નાનકડા ગીતમાં યંગ પોતાના ગીતને નાનકડા પંખીની ઉપમા આપીને એને પાંખ મજબૂત બનાવવા, ઊડવા, ઝપટવા, ડૂબકી મારવા આહ્વાન આપે છે. પાંખ ચીરી નાંખે એવા કાંટાની ફિકર ને લોકોની ઠંડીગાર નજરોથી ડર ન રાખી હિંમત ન હારવાનો સંદેશો આપે છે. પણ અહીં તો પીંછાં જ પંખી બની ગયાં છે.

દોરી પર સૂકવેલ ચાદરો પણ પવનમાં ફડફડે છે. પવન એના હજારો હાથથી આ ચાદરોને જાણે નિચોવી રહ્યો છે. ખેતરમાં ઊભેલા ચાડિયાના શરીર પર સૂર્યના તાપમાં તપી-તપીને લીલો પડી ગયેલો ડગલો છે, જેણે આવા કેટકેટલા પવનો સામે કામ આપ્યું હશે, એ પણ આ વાવંટોળમાં ઊતરુંઊતરું થઈ રહ્યો છે અને પવનમાં ડોલતો ચાડિયો જાણે કે એને ફરી પહેરવા મથી રહ્યો ન હોય એવું અદભૂત કલ્પન કરીને કવિ એકમાત્ર પૂર્ણવિરામ વાપરીને કવિતાને અંજામ આપે છે. આનાથી સાવ વિપરિત સૂર્યની સામે ટકી જ ન શકે એવો એક ડગલો યંગની ‘રેવનન્ટ’માં જોવા મળે છે, જેમાં નાયક જંગલમાં એકલો જ છે અને પચાસેક વર્ષમાં પરત ફરે છે -તેય એકલો જ, ભૂત બનીને જે જંગલ ખૂંદે છે અને જે સૂર્ય સામે ટકી નહીં શકે એવો હિમાચ્છાદિત ડગલો પહેરે છે.

કવિતા અઘરી જ હોય, એને સમજવામાં મહેનત કરવી જ પડે એવું બિલકુલ જરૂરી નથી. મૂલતઃ કવિતા અનુભૂતિનો પદાર્થ છે. યંગની આ કવિતા નિતાંત પ્રકૃતિચિત્ર છે. જયન્ત પાઠકની ‘અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી’ કવિતામાં જે કામ ઈશ્વર કરે છે, એ કામ અહીં પવન કરે છે. એ સૃષ્ટિની નિષ્પ્રાણ રગોમાં પ્રાણ પૂરે છે. કવિતાની દરેક પંક્તિમાં ગતિ છે. દરેક પંક્તિમાં નિર્જીવતા સજીવતામાં પલોટાતી નજરે ચડે છે. એક જ જગ્યાએ કવિ ઢોરનો ઉલ્લેખ સાથે સજીવ કલ્પન કરે છે પણ અહીં એ સજીવને નિર્જીવમાં, ઢોરને જહાજમાં પલટી નાંખે છે પણ ગતિ તો ક્યાંય અટકતી જોવા મળતી નથી. પંક્તિએ પંક્તિએ રજૂ થયે રાખતા નવીન કલ્પનો અને અવારનવાર આવ્યે રાખતા ‘અને’, ‘અથવા’ અને ‘તે-તેઓ’ જેવા સંયોજકો પવનની ગતિને લગરિક મંદ પડવા દેતા નથી. પવનના ઝડપી સુસવાટાની જેમ જ કવિતાના શબ્દો સુસવાટભેર ભાવકની ભીતર પ્રચંડ ગતિ અને શક્તિથી વાય છે અને આપણી અંદર જે કંઈ નિર્જીવ બચી ગયું છે એ તમામને સજીવન કરી દે છે. આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે…

2 replies on “ગ્લૉબલ કવિતા : ૧૦૯ : એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ”

  1. ખુબ જ સરસ કવિતા છે. કુદરતને નજીકથી માણવા નો એક અહેસાસ. . . એટલે એક વંટોળિયાળ દિવસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *