તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! (હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી)

આજે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ!  આજના દિવસ માટે લખાયેલો આ લેખ ટહુકો પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ નંદિનીબેન નો આભાર માનું છું. 
*************

Link to Original Article: હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, “ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે.” આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!’ બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે.

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં ‘બે એરિયા’માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

“એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે.” કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. ‘રવીન્દ્રનાથનો કલા વૈભવ’ પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, “સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે ‘માર્ચ સોંગ’માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી.”

Click here for Amazon Link for the album

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

ના મારો શ્યામ પિચકારી – આશિત દેસાઈ

હોળી તો થોડા મહિના પહેલાં ગઈ પણ હોળીનું ગીત માણવા માટે કોઈ પણ સમય ચાલે..ખરુંને?
લો તો આ જુઓ અને સાંભળો એક મજાનું હોળીનું ગીત!

સ્વરાંકન અને નિયોજન : આલાપ દેસાઈ,
સ્વર: હિમાલી વ્યાસ નાયક

ના મારો શ્યામ પિચકારી
મોરી ભીગે ચુનરિયા સારી
મોરી સાસ નનદિયા દેંગી ગારી…

લાજ નાહિં આવે તોહે
છેડો ના શ્યામ મોહે
કોઈ ના રોકે તોહે
મુરલી કે બજૈયા
શ્યામ રંગ સે ભિગોયે
રંગ કે રંગૈયા…

~ શબ્દ સંકલન : આશિત દેસાઈ

हरि तुम हरो जन की भीर – મીરાંબાઈ

Voice: Bharat Ratna – M. S. Subbulakshmi  

हरि तुम हरो जन की भीर

द्रौपदी की लाज राखी,
तुम बढ़ायो चिर

भक्त कारण रूप नरहरि,
धर्यो आप शरीर

हरिणकश्यप मार लीन्हो
धर्यो नहिन धीर

बूढ़ते गजराज राख्यो,
कियो बाहर नीर

दास मीरा लाल गिरधर,
दु:ख जहाँ तहाँ पीर

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણ માં – જયેન્દ્ર શેખડીવાળા

ટહુકોના ‘અમર ગુર્જરી’ કાર્યક્રમમાં વિજય ભટ્ટે સુંદર ડાયસ્પોરા ગઝલની રજૂઆત કરી હતી.વિજય ભટ્ટનું જ સ્વરાંકન અને એમના જ સ્વરમાં માણો.

સ્વર અને સ્વરાંકન:વિજય ભટ્ટ

.

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણમાં
પડછાયો વસે જેમ કે તેમ ભીનાશ કેરો રણમાં

ભીનાશ જેવું ક્યાં છે આ દેશની હવામાં
આંખો પલળતી મારી જઈ ગામના ઝરણમાં

લોચન બબડતી માં ના વાવે મને વતનમાં
ઉગી હું જઉં છું પરદેશ ભીની ક્ષણમાં

ઘર ગામ કે વતનથી છૂટો નથી પડ્યો હું
જીવું છું હું વિદેશમાં ગુજરાતી વ્યાકરણમાં

આંગણની ધૂળ લાવી કોઈ શુકન કરાવો
રસ્તે હું નીકળ્યો છું પરદેશી આચરણમાં
– જયેન્દ્ર શેખડીવાળા

લોક કહે – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન તથા સંગીત – જન્મેજય વૈદ્ય
સ્વર – સુપર્ણા બેનર્જી દાસ

.

લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે
આખોયે દેશ સાવ વાદળ થઈ જાય એવા નકરા જાદુનું આ કામ છે

કાળ-જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી આકરી વ્યથામાં સહેજ જોવું
અંદર છે ઝરણાને રણઝણતું રાખવાને આખાયે જંગલનું હોવું

ક્યાંક કંઈક કોળે તો એક વાત જાણીએ કે જંગલ તો ઊગવાનું જ્ઞાન છે
લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે

મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી જંગલની વારતાઓ થાય નહીં
રંગ રૂપ ગંધ સ્વાદ શબ્દ ઢોલ-થાપ વિના જંગલનાં ગીતો ગવાય નહીં

જંગલ તો હાથ મૂકો છાતીએ’ને સાંભળી લો એવા થડકારાનું નામ છે
લોક કહે ડુંગ૨ ૫૨ ઊગ્યાં છે ઝાડ મારે ઝાડવાંમાં ડુંગ૨ ૨મમાણ છે

આખોયે દેશ સાવ વાદળ થઈ જાય એવા નકરા જાદુનું આ કામ છે
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ગુજરાતી મહાજાતિ છે – તુષાર શુક્લ

ગુજરાતદિવસની ઉજવણી આજે પણ કરીએ..
કવિ શ્રી તુષાર શુક્લની બીજી રચના સાથે….

માતા છે ગુજરાતની ધરતી ,
માતૃભાષા ગુજરાતી છે
આ માટીમાં મૂળ અમારાં ,
ગુજરાતી મહાજાતિ છે.

મોરપીચ્છ શી કદી મુલાયમ,
કદી તાતી તલવાર ,
કદી ડણકતા સાવજ જેવી,
કદી મયૂર ટહૂકાર
કદી વહે આરાધ થઇને ,
મીઠી કદી પ્રભાતી એ
માતૃભાષા ગુજરાતી છે.

કદી કસુંબલ રંગપિયાલી,
આંખ મહીં અંજાય
શૂન્ય શિખર પર સહજ સમાધિ,
પરખંદે પરખાય
ધૂળ નથી છે કૂળ અમારું
વતનની છે માટી એ
માતૃભાષા ગુજરાતી છે.

આવે કોઇ તો ” આવો ” કહેવું ,
“આવજો ” જ્યારે થાય વિદાય
નામની પાછળ ” ભાઇ-બહેન” પણ
માન દઇને બોલાવાય
ગાંધી ને સરદારની ભાષા
હૈયે જઇ સમાતી એ
માતૃભાષા ગુજરાતી છે.

આજે રોકડા, ઉધાર કાલે
થોડામાં એ કહે ઘણું
ભૂલચૂક સહુ લેવીદેવી
સૂત્ર અનોખું જીવન તણું
આપણે એને સાચવશું ,
જેમ આપણને સાચવતી એ
વરખ વિનાના હરખ જેવી
માતૃભાષા ગુજરાતી છે.
– તુષાર શુક્લ

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે – કેશવ

પ્રભુ, મારી માતૃભૂમિને ઉગારી લો.   પ્રભુ, મારા દેશની રક્ષા કરો.   

આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.

‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!

– નિનાદ અધ્યારુ
(https://layastaro.com/?p=18545)

સ્વર : ચિત્રા અને દીક્ષિત શરદ
સંગીત : દિપેશ દેસાઇ

.

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…

– કવિ કેશવ

Published on September 14, 2008

અમેરિકાના ‘હ્યુસ્ટન – ડલાસ’ જેવા શહેરો અને આમ તો આખા ટેક્સાસ સ્ટેટમાં જ્યારે ‘Ike’ નામનું ભયંકર વાવાઝોડું આવ્યું છે – તો આ ભજન દ્વારા સ્હેજે ભગવાનને કહેવાનું મન થાય કે – ‘હરિ… સંભાળજો રે..!’

આ ભજન મારા પપ્પાના ગમતા ભજનોમાંનું એક. અતુલની સુવિધા કોલોનીના ઘરમાં જ્યારે જ્યારે સાંજે (‘નાદબ્રહ્મ’ લઇને) ભજન ગાવા બેસતા ત્યારે આ ભજન અચુક ગવાતું. અને એનો રાગ પણ અહીં જે ભજન પ્રસ્તુત છે, એને ખૂબ જ મળતો આવતો…

હું એવો ગુજરાતી – વિનોદ જોશી

ગુજરાત સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…
કવિ વિનોદ જોશીની આજે રચના તમારી સમક્ષ મુકવી છે.વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા જ તમારી છાતી ગજ ગજ ફુલશે એમાં કોઈ બેમત નથી!
તમે પણ વાંચો,સાંભળો અને માણો!

પઠન – વિનોદ જોશી

.

સ્વરોત્સવ કાર્યક્રમમાં પાર્થ ઓઝાના અવાજમાં ગવાયેલ આ ગીત પણ માણો

સ્વરકાર : ગૌરાંગ વ્યાસ
ગાયક : પાર્થ ઓઝા

હું એવો ગુજરાતી
જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….

અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજ૨તો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

દુહા-છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાંની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની ૫૨ભાતી….

હું ગાંધીનું મૌન, હું જ સ૨દા૨ તણી છું હાક,
હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;
હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવા૨ શૂ૨ની તાતી…

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ…

– વિનોદ જોશી

અમે સૌ ગુજરાતી – તુષાર શુક્લ

ગુજરાત દિવસની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છાઓ….
આજે કવિ શ્રી તુષાર શુક્લની રચના અહીં મૂકતા આનંદ અને ગર્વ અનુભવાય છે.

સ્વર : રૂપકુમાર રાઠોડ, કીર્તિ સાગઠીયા

.

અમે સૌ ગુજરાતી, વિશ્વની મહાજાતિ
મુલાયમ હૈયું છે, વજ્રની છે છાતી

અંતથી ઉભા થયા ખમીરથી ઉભા હશું,
સિદ્ધિ ને શિખર ચડી ગગનને ચૂમી જશું
મળે છે સૌ કોઈને વિકાસનો અવસર
બન્યું ગુજરાત હવે વિકસતા વિશ્વનું ઘર
સદીઓ વીતી ગઈ, સદીઓ વીતી જશે

જીત્યું અમારું ગુજરાત,
ગુજરાતી જીતી જશે

વાત કરે વાદળથી ઉભો ગઢ ગિરનારી
બન્યો છે મહાસાગર શિવજીની જલધારી
આદ્યશક્તિ અંબા માત રે જગદંબા
દ્વારકાદિશ નો જય કૃષ્ણ હે મોરારી
અસુરનો નાશ કરે દધીચિ દેહ ધરે
નમામિ નર્મદા માં ધરાને ધન્ય કરે

આ છે અમારું ગુજરાત
ગુજરાતી જીતી જશે

પ્રેમ પ્રેમ ઝણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વીર ધનુષ ટંકાર થાય જ્યાં એવું છે ગુજરાત
લક્ષ્મીનો રણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વિદ્યાનો સત્કાર થાય જ્યાં એવું છે ગુજરાત
ઘરમાં નરને નાર થાય જ્યાં એવું છે ગુજરાત
વ્હાલ ભર્યો વ્યવહાર થાય જ્યાં એવું છે ગુજરાત

ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત

ઉજ્જવળ ભાવિ કેરી સોહે ભાત અતિ રળિયાત
કલકલતા આશિષ વહે અહીં નમો નર્મદા માત
ભેદના કોઈ ભાવ નહિ સંદેશો હે સૌ જાત
ગુર્જર વિકાસ ગાથા આખા વિશ્વ મહી વિખ્યાત
સત્યતણો સ્વીકાર થાય જ્યાં એવું છે ગુજરાત
સપનાઓ સાકાર થાય જ્યાં એવું છે ગુજરાત

ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
– તુષાર શુક્લ

ઘાવ હજુ તાજા સાહેલડી – ખેવના દેસાઈ

બીજું સુંદર સ્વરાંકન વિજલ પટેલનું અને સુંદર સ્વર પણ…..

સ્વર અને સ્વરાંકન- વિજલ પટેલ

.

વર્ષોનાં વ્હાણા છો વાયા, પણ ઘાવ હજુ તાજા સાહેલડી
જાણ્યાં તેં વખ કેવા પાયા!, કે ઘાવ હજુ તાજા સાહેલડી

સરખી સાહેલીએ માંડી જયાં વાત,
ત્યાં તો એક પછી એક જખમ ખૂલ્યાં
શેહ ને શરમ કે હતો ભયનો ઓથાર
નહોતાં બોલ્યાં ને તોય નહોતાં ભૂલ્યાં
માયા કહીને ચૂંથી કાયા, કે ઘાવ હજુ તાજા સાહેલડી
વર્ષો વ્હાણા…

મોડું બોલે એ તો મોળું કહેવાય
એવા પાળશો ના ખોટા બહુ વહેમ
કામ એનું ખોટું હતું જ અને રહેશે
એને ઢાંકવાના ઉધામા કેમ?
અમે જોડાયા આંસુંને લ્હોવા, કે ઘાવ હજુ તાજા સાહેલડી.
વર્ષોના વ્હાણા…
– ખેવના દેસાઈ