ગ્લૉબલ કવિતા : ૧૯૪ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:
From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.

ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને, હરપળ
મારું મચ્છર.

દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:
હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ!’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડીમાં આપણને જાણે કે હાઇકુની વ્યાખ્યા સાંપડે છે. હાઇકુ આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને કાગળની નાનકી ધરતી પર કવિતાનો વિશાળ પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા યાને ‘ચાનો કપ’ એ એમનું ઉપમાન. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુ મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર છે. આપણે ત્યાં ભારતમાં એને પહેલવહેલીવાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર લઈ આવ્યા. ગુજરાતી ભાષામાં આ શ્રેય સ્નેહરશ્મિને ફાળે જાય છે. હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: (૧)તેઓ ક્ષણભંગુર છે, (૨)તેઓ આકસ્મિક છે અને (૩)તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દો અને સત્તર શબ્દાંશની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુઓ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ છે એ બાબત આપણે સહુ જાણીએ છીએ. પણ કોબાયાશીએ બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી બતાવ્યો છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો નથી જ. જાપાનીઝ અને ધીમા? એ પણ ગોકળગાય જેવા? ના રે ના! કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એ ન્યાયે સાવ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ચાલતી ન હોય એમ ક્યારેક વર્તતા જોવા મળે છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, કદાચ પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી જણાતું. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓની કાલિમાને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. ઘોડાની આંખે ડાબલા બાંધ્યા હોય એમ આપણે સહુ આજુબાજુ ક્યાંય જોઈ શકવાને અસમર્થ બની, માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યાં છીએ. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે, ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવાતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ શોધાયા પહેલાનું એ અમલીકરણ ગણી શકાય. પણ દુન્યવી સફળતા પાછળની જે દોડ આજે છે એ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ પોતાની રીતે અનોખો છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) થાકને પણ અઢેલવા મળે એવી ચાર નિરાંતવા દીવાલ એટલે ઘર. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ ઘરની રૂની ગાદીમાં મળે એ શાંતિ મળતી નથી. જીવજંતુઓને પણ ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એટલે એ નજરિયાથી પણ આ હાઇકુને જોઈ શકાય.

૫) નવું વર્ષ આવે એટલે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી આપણું વર્તન એવું થઈ જાય જાણે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સુખનો સૂરજ લાવનાર ન હોય. દર વરસે સ્વપ્નભંગ થાય અને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી તો આમેય દોહ્યલી.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં કાશ્મીરને બાદ કરતાં હિમવર્ષાની સમસ્યા, સર્જાતી તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો પરિચય ન હોય એ સ્વાભાવિક છે. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) હાઇકુ એટલે ફોટોગ્રાફ. ફોટોગ્રાફ ક્ષણનો હોય, સદીનો નહીં. હાઇકુ સામાન્યતઃ બહુઆયામી જિંદગીની એકાદી ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપે નહીં. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાન પાસે આવીને ગણગણતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહારના ચપ્પલમાં હોય -ચોરાય તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વખતે આપણે ઊભા તો થઈ જઈએ પણ ધ્યાન આજુબાજુમાં કોઈ ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ ચકાસવામાં જ હોવાનું. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે. ધ્યાનસ્થ મહાવીર સ્વામીને કાનમાં કોઈ કાંટા ભોંકી ગયાનુંય ધ્યાન રહેતું નથી. કવિ બુદ્ધનું ધ્યાન ધરવા બેઠા છે પણ મચ્છર મારવું ચૂકતા નથી.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે, જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ ખરી ગતિ છે.

૧૦) પચાસ પૂરા થાય એને આપણે વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. જીવવાનું હતું એ જીવી લીધું. કરવાનું હતું એ કરી લીધું. હવે જિંદગી, જેટલી અને જે મળે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધું હવે બક્ષિસ છે.

૧૧) નકલ અસલની બરાબરી કે અસલથી ચડિયાતી ન હોવાના નિયમમાં એક અપવાદ છે, બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી શકે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે કરે એ નૈસર્ગિક છે, એ એમનું જીવન છે પણ નાનાં બાળકો એમની નકલ ઉતારતા હોય એ દૃશ્ય કદાચ વધુ જીવંત, વધુ રોમાંચક હોવાનું અનુભવાશે.

૧૨) બાળકોને સજા કરવી એ જાણે મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર. ભાગ્યે જ કોઈ બાળક સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીના ‘તોત્તોચાન’ પુસ્તકમાં આ વાત બહુ રસપ્રદ રીતે થઈ છે.

૧૩) ઉનાળો આપણી ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે, જે બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. એ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

હે મા શારદા – અવિનાશ વ્યાસ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર દે … હે મા શારદા

તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ફળે,
જ્ઞાનદા, પંક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા

તારી વીણાનો ષડજ સુર પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે,
હે મા શારદા ! … હે મા શારદા

સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દ્યો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
શુભદા, ભક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા
– અવિનાશ વ્યાસ

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે.

સ્વર : શબનમ વીરમણી ,અનીશા બાયડ ,અનુશ્રી ગોરીવાલ,રીત્વિક ખુશુ ,મલ્લિકા જોશી ,શ્રીપર્ણા મિત્રા ,સ્વગત શિવકુમાર ,તાનિયા રેડ્ડી

.

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત.

ગ્લૉબલ કવિતા : ૧૯૩ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen


ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસતો રહું છું
આકાશને મારી આંખોથી,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરા જે નજરે ચડે છે,
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)


પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણેવાણે વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. એકધારી મિલનની મીઠાઈ ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. કવિતા માટે પણ પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખૂલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમના પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) એ મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડી છે અને સદીઓથી આ પુસ્તક એક સીમાચિહ્ન, એક દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે હોય છે, અથવા એથી પણ વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની એક પોતિકી ફ્લેવર હોય છે. દરેક ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવાતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? કદાચ તમાચો જ પડે ને! ભાષા નદી જેવી છે. સતત વહેતી અને બદલાતી રહે છે. વળી, એક નદી બીજીમાં ભળે અને બંને જેમ બદલાય એમ એક ભાષાના શબ્દો અને શબ્દપ્રયોગો બીજી ભાષામાં અલગ જ અર્થચ્છાયા ઊભી કરે એમ પણ બને. અનુવાદ એક નદીને બીજી નદીમાં મેળવવાની પ્રક્રિયા છે. પ્રક્રિયાના અંતે બંને નદી પોતાનું મૂળ રૂપ ગુમાવી એક નવું જ રૂપ ધારે એવી સંભાવના સહજ રહે છે. અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ હોતો નથી. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી યથાતથ ઝીલી શકે નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ ક્રિયામાં મૂળ કાવ્યરીતિ અને કાવ્યભાવ જેટલો જળવાઈ રહે એટલું ઇચ્છનીય. પ્રસ્તુત કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકાયું હશે ને કંઈક નવું મૂકાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

અનુવાદના અનુવાદનો અનુવાદ હોવાથી કાવ્યસ્વરૂપ વિશે વાત ન કરતાં સીધા કવિતા તરફ વળીએ. ‘ગેરહાજરી’ કવિતાનું શીર્ષક છે. ગેરહાજરી શબ્દ ખાલીપાનો અહેસાસ કરાવે છે. કંઈક હાજર હતું, જે હવે નથીનો ખાલીપો અસ્તિત્વને ભરવા માંડે ત્યારે એકલતા કરડવાનું શરૂ કરે છે. અબુની આ કવિતા વાંચતા સમજાય છે કે પ્રિય પાત્ર અત્યારે સાથે નથી અને પોતાની એકલતા અને એકાંતને કથક પ્રિયપાત્રની યાદોથી ભરવા મથી રહ્યો છે.

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

સમય કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદના સિક્કા હંમેશા પ્રેમનું સ્થાયી ચલણ રહ્યું છે. પ્રેમ અને વિરહ જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ ગણાયા છે. અબુની આ કવિતામાં પ્રિયપાત્ર અલ્લાહ પણ હોઈ શકે. આમેય ઇસ્લામની સૂફી ધારામાં માશૂક અને અલ્લાહ એકમેકમાં ઓગળી ગયેલાં દેખાય છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમમાં તરસ તો એક જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક એકલવાયો થયો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક નજરે આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે ત્યાં બે ઘડી અટકીએ. ‘દરરોજ’ મતલબ આ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી કે ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. આ કાયમી આરતની પ્રાર્થના છે. સાચો પ્રેમ અને સાચી પ્રતીક્ષાની તીવ્રતા સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ બે જણ વચ્ચે હજી પ્રણયવિચ્છેદ પણ થયો નથી અને આ વિયોગનું કારણ બેવફાઈ પણ નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને દરરોજ આકાશે મીટ માંડીને બેસે છે, તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે દરરોજ આકાશને જોતી બેસતી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ પોતાને મળનાર કોઈક પ્રવાસી ક્યાંક ક્યારેક પ્રિયજનને મળ્યો હોય તો એને મળીને કથકને એના શ્વાસમાં ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! આપણને તો આ વાતમાં પાગલપન દેખાય પણ પ્રેમના તો ચશ્માં જ અલગ. એમાંથી નજરે ચડતી આખી સૃષ્ટિ જ અલગ. કોઈક ક્યારેક પ્રિયજનના સંસર્ગમાં આવ્યું હોય અને પ્રિયજનનો શ્વાસ એને અડ્યો હોય તો એ વટેમાર્ગુના શ્વાસમાંથી પોતાની પ્રિયાની સુગંધ મેળવીને તૃપ્ત થવાની ખ્વાહિશમાંથી વિરહ અને ઝંખનાની પરાકાષ્ઠા કેવી ઝલકે છે!

પ્રિયતમના સમાચાર મેળવવાની આરત તીવ્રતમ બની છે. પ્રિયજનની સુગંધ કોઈક મુસાફરના શ્વાસમાંથી જડી આવવાની ઘેલછા મૂર્તમાંથી અમૂર્ત તરફ વળે છે. પ્રિયને મળીને આવનાર કોઈક મુસાફરની પ્રતીક્ષા કરવા જેટલું ધૈર્ય પણ હવે રહ્યું નથી એટલે ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ) પ્રિયને અડીને આવનારા વાયુઓને અડીને પ્રિયજનના સંસ્પર્શનો રોમાંચ અનુભવવાની આ કલ્પના આપણા સાહિત્યમાં પણ જોવા મળે છે.

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતી! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા હે પવન, મને પણ સ્પર્શ.)

કેવું મજાનું! સમય, સ્થળ અને સંસ્કૃતિ ગમે એટલાં અલગ કેમ ન હોય, પ્રેમની અનુભૂતિ એક જ હોય છે! પ્રતીક્ષાએ માઝા મૂકી છે. એક સ્થળે બેસીને આકાશના તારા શોધવાની, મુસાફરોના આવવાની કે પવનના ફૂંકાવાની રાહ જોતો નાયક હવે ચાલી નીકળ્યો છે. એ દરબદર, ગલી-ગલી ભટકવા માંડ્યો છે. આમ તો એ કહે છે કે આ રખડપટ્ટી મંઝિલ કે હેતુ વગરની છે, પણ આ દાવો કેટલો સાચો છે એ તો તરત જ ખબર પડી જાય છે. કેમકે આ હેતુહીન રઝળપાટનો હેતુ તો એક જ છે અને એ જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાંથી એનું નામ જડી આવે. રૂમી તો કહે છે કે ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ પણ હવે દરરોજ રાતે આકાશમાં તારા શોધનારું ધૈર્ય પણ હવે પાંખુ થઈ રહ્યું છે. મિલનની રહીસહી આશાનું પોત પાતળું પડી રહ્યું છે. જાણ છે કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ છે પણ તોય એ એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક નજરે ચડતા દરેકેદરેક ચહેરાને છાનામાના ચકાસી રહ્યો છે કે ક્યાંક જરા અમથી આશાના અજવાળે પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા અશક્ય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ તો અંદરથી પ્રિયતમ નીકળે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

મારે વર તો – મીરાંબાઈ

સ્વરકાર: પૌરવી દેસાઈ
સ્વર: ભાવના દેસાઈ

.

મારે વર તો વિઠ્ઠલને વરવું છે,
બીજાને મારે શું કરવું છે,
મારે વર તો વિઠ્ઠલને વરવું છે.

નંદના કુંવર સાથે નેડલો બંધાણો,
ધ્યાન ધણીનું મારે ધરવું છે….બીજાને મારે..

અવર પુરુષની મારે આશ ન ધરવી,
છેડલો ઝાલીને મારે ફરવું છે….બીજાને મારે….

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
રાસમંડળમાં મારે રમવું છે…. બીજાને મારે….

-મીરાબાઈ

લક્કડબજારમાં લાગી આગ – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. (લાતી = કોઠી)

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Sergei Yesenin
(Eng Trans: Vivek Manhar Tailor)

અલવિદા, મારા દોસ્ત, અલવિદા

અલવિદા, મારા દોસ્ત, અલવિદા.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે નક્કી બહુ જલ્દી જ ફરી મળીશું.

અલવિદા, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)


પરમ સખા મૃત્યુ…

સ્કાર્ફની જેમ દોરડું ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે જ એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી નીકળીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ લટકતી મળી. એના પોતાના શબ્દોમાં, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એનો ચાહકવર્ગ એટલો વિશાળ અને આંત્યંતિક હતો કે, જે અદામાં એણે આત્મહત્યા કરી, એ જ રીતે આત્મહત્યા કરવાની ફેશન શરૂ થઈ અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયા આખીને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોમાં ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેર ગયા એટલે બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવું આદર્યું. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા. પ્રુફ-રિડરનું કામ શરુ કર્યું. ૧૯૧૬માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા. જો કે એમની કવિતામાં જોવા મળતી સંવેદનાની ધાર, ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ ગણાય. લાગણીઓની કાલિમાભરી પીંછીથી લખેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફથી ઘુરકિયા કાઢે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને સફળતાપૂર્વક ભાવકના મન પર અમીટ છાપ મૂકી જાય છે.

ગીતની પ્રથમ પંક્તિથી જ ગીત પ્રચલિત થયું છે. ચાર પંક્તિઓના બે બંધવાળા આ ગીતમાં કવિએ અ-બ-અ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ જાળવ્યો છે. આઠ પંક્તિની આ ટચૂકડી રશિયન કવિતાના એટલા બધા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે કે મગજ ચકરાઈ જાય. ઘણા અનુવાદ મૂળ રચનાથી સાવ અલગ પણ છે, પણ એકેય અનુવાદ સાંગોપાંગ મૂળ કવિતાને યથાતથ રજૂ કરતો જણાતો નથી. ગૂગલ ટ્રાન્સલેટર અને ઓનલાઇન રશિયન-અંગ્રેજી શબ્દકોશોમાં એક-એક શબ્દના અર્થ શોધી, ઉપલબ્ધ તમામ અંગ્રેજી અનુવાદો સાથે એમને સરખાવ્યા બાદ, પ્રાસ અને લય પકડી રાખવાની જિદમાં મૂળ રચના હાથમાંથી નીકળી જવાનો ભય હોવાથી જાતે જ રશિયનમાંથી અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી અછાંદસ તરજૂમો કરવું વધુ ઉચિત જણાયું છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખાયેલી આ ટૂંકીટચ કવિતા લાંબોલચ અમરપટો લખાવીને આવી છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કવિ ‘અલવિદા, મારા વહાલા દોસ્ત, અલવિદા’ કહે છે. ‘અલવિદા’ની પુનરોક્તિ આ વિદાયમાં કોઈ યુ-ટર્ન ન હોવાની ખાતરી છે. આ ગુડબાયનું કારણ કવિ કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ તો અંતરના ભીતરતમ ખૂણામાંથી લાવાની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. કવિની સર્જનવેળાની અનુભૂતિ ભાવક વાંચતી વખતે અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાના ઇતિહાસથી અજાણ હોઈએ તોય કવિતા રુંવાડા ઊભા કરી દે એવી છે. ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થયા વિના ન રહે એવી આ રચના છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતાં ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાનું અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી) ગાવું અલગ વાત છે, પણ હકીકત તો ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી) જ છે. સર્ગેની કવિતામાં જુદાઈનો ભાવ મૃત્યુના કાળા કફનમાં વીંટળાઈને રજૂ થયો છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે. વળી આ જુદાઈ તો કાયમ માટેની છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ જો કે અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો જન્મતાવેંત જ થઈ જાય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની વાતમાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

રૂમીએ પણ આવી વાત કરી છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલ ‘કેસનોવા’ ફિતરતના રંગીન મિજાજ કવિએ આ જ વાત કેટલી સહજતાથી કહી છે! કહે છે, મૃત્યુ યાને પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે. મિલન નિશ્ચિત હોય તો અફર જુદાઈનો શોક શાને? હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો ફંટાઈ રહ્યો છે, પણ દિલમાં તો અવિચળ સ્થાન છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં કાયમી છે, જેની સાથે પુનર્મિલન અફર છે, એનાથી છૂટા પડતી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું ને? બીજા અંતરાનો પ્રારંભ પણ કવિ ‘અલવિદા’ કહીને જ કરે છે. પુનરોક્તિ વાતમાં વજન ઉમેરવાની કારગત કાવ્યરીતિ છે. કવિ કહે છે, કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુઃખથી તણાયેલા ભંવા – આ કશાની જરૂર નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’

જન્મ અને મૃત્યુ કંઈ બે અલગ ઘટના નથી. બાળક અને વૃદ્ધ –આ બે શું અલગ વ્યક્તિઓ છે? એક જ વ્યક્તિ, જે સમયરેખાના એક બિંદુ પર બાળક છે, એ જ બીજા બિંદુએ પહોંચતા વૃદ્ધ બને છે. એ બેને અલગ વ્યક્તિકરાર કેમ આપી શકાય? જન્મ અને મૃત્યુ પણ એક જ સમયરેખાના બે અંતિમો જ છે. સમય સિવાય એમને એકમેકથી અલગ કેમ પાડી શકાય? મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી પણ ચર્ચાનો વિષય છે. કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ સ્ટાલિનના શાસનકાળમાં પણ એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ હતો. કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. કેમકે એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો જ આ ડર નીકળે. આવી સમજ આવી જાય તો ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) એમ કહેવું ન પડે. દુનિયાની ઘરેડમાં ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં કોઈ નવીનતા નથી. માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ સાચું ગણિત. જેટલો સમય તમે ભીતરથી આનંદિત છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી હવાની અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ થતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

કાળચક્રનો નિયમ – જયશ્રી મર્ચન્ટ

ગ્રીષ્મ, શરદ અને હેમંતમાં
લાંબા-ટૂંકા થતાં આ દિવસો..

સતત બદલાતી ઋતુઓની છડી પોકારતા,
કાળચક્રની ધરી પર સતત ફર્યા કરે છે,
થાક્યા વિના

તારા ગયા પછી સ્થગિત થયેલી મારી રાતો
ને મારા દિવસો પણ
ઋતુઓના આ નિયમને
ક્યારેય અનુસરશે ?
-જયશ્રી મર્ચન્ટ

સંગીત કેરી સરગમ – માયા દિપક

આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે!
માં 🙂
આ એક જ શબ્દમાં આખું વિશ્વ્ સમાઈ જાય ,એવી જ કૈક લાગણી સાથે આ ગીત લખાયું હશે.ચાલો સાંભળીએ

.

સંગીત કેરી સરગમનો જેમ પહેલો સ્વર છે સા,
જીવન કેરી સરગમ કેરો સાચો સ્વર છે માઁ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ,
બીજા સઘળા સંબંધો છે વનવગડાના વાં.

ભર્યો ભર્યો પણ સુનો લાગે માઁ વિના સંસાર,
વર્ણવતા શબ્દો પણ થાક મહિમા અપરંપાર,
જોડ મળે નહિ જેની જગમાં એવું રૂપ છે આ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

સઘળાં તાપ શમે જ્યાં એ છે માઁનો મીઠો ખોડો,
અમૃત ઝરતી આંખ છે માઁની સુખની છાલક છોડો,
એવી માઁને કદી ન કરજો કડવા વેણનો ઘાં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

જીવનવનના વિપરીત વાયુ અડગ થઈને સહેતી,
કમળપત્ર શી કોમળ માતા,વગ્ર સમી થઇ રહેતી,
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

અણદીઠેલાં જગમાં શિશુને માઁનો છે વિશ્વાશ,
બાળક માટે જીવતી મરતી બાળક માંનો શ્વાશ,
બધું ભૂલો પણ કદી ન ભૂલશો,માં તે કેવળ માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
– માયા દિપક

ગ્લૉબલ કવિતા : ૧૯૧ : સૉનેટ ૧૮- વિલિયમ શેક્સપિઅર

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:

Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;

But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:

So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare


સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)


જીવન નાશવંત છે, કળા અમર છે..

દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.

What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.

શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?

વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.

કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.

જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?