ગ્લૉબલ કવિતા : ૧૯૩ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen


ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસતો રહું છું
આકાશને મારી આંખોથી,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરા જે નજરે ચડે છે,
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)


પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણેવાણે વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. એકધારી મિલનની મીઠાઈ ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. કવિતા માટે પણ પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખૂલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમના પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) એ મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડી છે અને સદીઓથી આ પુસ્તક એક સીમાચિહ્ન, એક દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે હોય છે, અથવા એથી પણ વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની એક પોતિકી ફ્લેવર હોય છે. દરેક ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવાતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? કદાચ તમાચો જ પડે ને! ભાષા નદી જેવી છે. સતત વહેતી અને બદલાતી રહે છે. વળી, એક નદી બીજીમાં ભળે અને બંને જેમ બદલાય એમ એક ભાષાના શબ્દો અને શબ્દપ્રયોગો બીજી ભાષામાં અલગ જ અર્થચ્છાયા ઊભી કરે એમ પણ બને. અનુવાદ એક નદીને બીજી નદીમાં મેળવવાની પ્રક્રિયા છે. પ્રક્રિયાના અંતે બંને નદી પોતાનું મૂળ રૂપ ગુમાવી એક નવું જ રૂપ ધારે એવી સંભાવના સહજ રહે છે. અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ હોતો નથી. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી યથાતથ ઝીલી શકે નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ ક્રિયામાં મૂળ કાવ્યરીતિ અને કાવ્યભાવ જેટલો જળવાઈ રહે એટલું ઇચ્છનીય. પ્રસ્તુત કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકાયું હશે ને કંઈક નવું મૂકાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

અનુવાદના અનુવાદનો અનુવાદ હોવાથી કાવ્યસ્વરૂપ વિશે વાત ન કરતાં સીધા કવિતા તરફ વળીએ. ‘ગેરહાજરી’ કવિતાનું શીર્ષક છે. ગેરહાજરી શબ્દ ખાલીપાનો અહેસાસ કરાવે છે. કંઈક હાજર હતું, જે હવે નથીનો ખાલીપો અસ્તિત્વને ભરવા માંડે ત્યારે એકલતા કરડવાનું શરૂ કરે છે. અબુની આ કવિતા વાંચતા સમજાય છે કે પ્રિય પાત્ર અત્યારે સાથે નથી અને પોતાની એકલતા અને એકાંતને કથક પ્રિયપાત્રની યાદોથી ભરવા મથી રહ્યો છે.

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

સમય કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદના સિક્કા હંમેશા પ્રેમનું સ્થાયી ચલણ રહ્યું છે. પ્રેમ અને વિરહ જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ ગણાયા છે. અબુની આ કવિતામાં પ્રિયપાત્ર અલ્લાહ પણ હોઈ શકે. આમેય ઇસ્લામની સૂફી ધારામાં માશૂક અને અલ્લાહ એકમેકમાં ઓગળી ગયેલાં દેખાય છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમમાં તરસ તો એક જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક એકલવાયો થયો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક નજરે આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે ત્યાં બે ઘડી અટકીએ. ‘દરરોજ’ મતલબ આ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી કે ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. આ કાયમી આરતની પ્રાર્થના છે. સાચો પ્રેમ અને સાચી પ્રતીક્ષાની તીવ્રતા સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ બે જણ વચ્ચે હજી પ્રણયવિચ્છેદ પણ થયો નથી અને આ વિયોગનું કારણ બેવફાઈ પણ નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને દરરોજ આકાશે મીટ માંડીને બેસે છે, તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે દરરોજ આકાશને જોતી બેસતી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ પોતાને મળનાર કોઈક પ્રવાસી ક્યાંક ક્યારેક પ્રિયજનને મળ્યો હોય તો એને મળીને કથકને એના શ્વાસમાં ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! આપણને તો આ વાતમાં પાગલપન દેખાય પણ પ્રેમના તો ચશ્માં જ અલગ. એમાંથી નજરે ચડતી આખી સૃષ્ટિ જ અલગ. કોઈક ક્યારેક પ્રિયજનના સંસર્ગમાં આવ્યું હોય અને પ્રિયજનનો શ્વાસ એને અડ્યો હોય તો એ વટેમાર્ગુના શ્વાસમાંથી પોતાની પ્રિયાની સુગંધ મેળવીને તૃપ્ત થવાની ખ્વાહિશમાંથી વિરહ અને ઝંખનાની પરાકાષ્ઠા કેવી ઝલકે છે!

પ્રિયતમના સમાચાર મેળવવાની આરત તીવ્રતમ બની છે. પ્રિયજનની સુગંધ કોઈક મુસાફરના શ્વાસમાંથી જડી આવવાની ઘેલછા મૂર્તમાંથી અમૂર્ત તરફ વળે છે. પ્રિયને મળીને આવનાર કોઈક મુસાફરની પ્રતીક્ષા કરવા જેટલું ધૈર્ય પણ હવે રહ્યું નથી એટલે ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ) પ્રિયને અડીને આવનારા વાયુઓને અડીને પ્રિયજનના સંસ્પર્શનો રોમાંચ અનુભવવાની આ કલ્પના આપણા સાહિત્યમાં પણ જોવા મળે છે.

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતી! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા હે પવન, મને પણ સ્પર્શ.)

કેવું મજાનું! સમય, સ્થળ અને સંસ્કૃતિ ગમે એટલાં અલગ કેમ ન હોય, પ્રેમની અનુભૂતિ એક જ હોય છે! પ્રતીક્ષાએ માઝા મૂકી છે. એક સ્થળે બેસીને આકાશના તારા શોધવાની, મુસાફરોના આવવાની કે પવનના ફૂંકાવાની રાહ જોતો નાયક હવે ચાલી નીકળ્યો છે. એ દરબદર, ગલી-ગલી ભટકવા માંડ્યો છે. આમ તો એ કહે છે કે આ રખડપટ્ટી મંઝિલ કે હેતુ વગરની છે, પણ આ દાવો કેટલો સાચો છે એ તો તરત જ ખબર પડી જાય છે. કેમકે આ હેતુહીન રઝળપાટનો હેતુ તો એક જ છે અને એ જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાંથી એનું નામ જડી આવે. રૂમી તો કહે છે કે ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ પણ હવે દરરોજ રાતે આકાશમાં તારા શોધનારું ધૈર્ય પણ હવે પાંખુ થઈ રહ્યું છે. મિલનની રહીસહી આશાનું પોત પાતળું પડી રહ્યું છે. જાણ છે કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ છે પણ તોય એ એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક નજરે ચડતા દરેકેદરેક ચહેરાને છાનામાના ચકાસી રહ્યો છે કે ક્યાંક જરા અમથી આશાના અજવાળે પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા અશક્ય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ તો અંદરથી પ્રિયતમ નીકળે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *