ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Sergei Yesenin
(Eng Trans: Vivek Manhar Tailor)

અલવિદા, મારા દોસ્ત, અલવિદા

અલવિદા, મારા દોસ્ત, અલવિદા.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે નક્કી બહુ જલ્દી જ ફરી મળીશું.

અલવિદા, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)


પરમ સખા મૃત્યુ…

સ્કાર્ફની જેમ દોરડું ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે જ એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી નીકળીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ લટકતી મળી. એના પોતાના શબ્દોમાં, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એનો ચાહકવર્ગ એટલો વિશાળ અને આંત્યંતિક હતો કે, જે અદામાં એણે આત્મહત્યા કરી, એ જ રીતે આત્મહત્યા કરવાની ફેશન શરૂ થઈ અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયા આખીને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોમાં ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેર ગયા એટલે બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવું આદર્યું. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા. પ્રુફ-રિડરનું કામ શરુ કર્યું. ૧૯૧૬માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા. જો કે એમની કવિતામાં જોવા મળતી સંવેદનાની ધાર, ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ ગણાય. લાગણીઓની કાલિમાભરી પીંછીથી લખેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફથી ઘુરકિયા કાઢે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને સફળતાપૂર્વક ભાવકના મન પર અમીટ છાપ મૂકી જાય છે.

ગીતની પ્રથમ પંક્તિથી જ ગીત પ્રચલિત થયું છે. ચાર પંક્તિઓના બે બંધવાળા આ ગીતમાં કવિએ અ-બ-અ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ જાળવ્યો છે. આઠ પંક્તિની આ ટચૂકડી રશિયન કવિતાના એટલા બધા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે કે મગજ ચકરાઈ જાય. ઘણા અનુવાદ મૂળ રચનાથી સાવ અલગ પણ છે, પણ એકેય અનુવાદ સાંગોપાંગ મૂળ કવિતાને યથાતથ રજૂ કરતો જણાતો નથી. ગૂગલ ટ્રાન્સલેટર અને ઓનલાઇન રશિયન-અંગ્રેજી શબ્દકોશોમાં એક-એક શબ્દના અર્થ શોધી, ઉપલબ્ધ તમામ અંગ્રેજી અનુવાદો સાથે એમને સરખાવ્યા બાદ, પ્રાસ અને લય પકડી રાખવાની જિદમાં મૂળ રચના હાથમાંથી નીકળી જવાનો ભય હોવાથી જાતે જ રશિયનમાંથી અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી અછાંદસ તરજૂમો કરવું વધુ ઉચિત જણાયું છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખાયેલી આ ટૂંકીટચ કવિતા લાંબોલચ અમરપટો લખાવીને આવી છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કવિ ‘અલવિદા, મારા વહાલા દોસ્ત, અલવિદા’ કહે છે. ‘અલવિદા’ની પુનરોક્તિ આ વિદાયમાં કોઈ યુ-ટર્ન ન હોવાની ખાતરી છે. આ ગુડબાયનું કારણ કવિ કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ તો અંતરના ભીતરતમ ખૂણામાંથી લાવાની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. કવિની સર્જનવેળાની અનુભૂતિ ભાવક વાંચતી વખતે અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાના ઇતિહાસથી અજાણ હોઈએ તોય કવિતા રુંવાડા ઊભા કરી દે એવી છે. ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થયા વિના ન રહે એવી આ રચના છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતાં ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાનું અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી) ગાવું અલગ વાત છે, પણ હકીકત તો ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી) જ છે. સર્ગેની કવિતામાં જુદાઈનો ભાવ મૃત્યુના કાળા કફનમાં વીંટળાઈને રજૂ થયો છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે. વળી આ જુદાઈ તો કાયમ માટેની છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ જો કે અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો જન્મતાવેંત જ થઈ જાય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની વાતમાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

રૂમીએ પણ આવી વાત કરી છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલ ‘કેસનોવા’ ફિતરતના રંગીન મિજાજ કવિએ આ જ વાત કેટલી સહજતાથી કહી છે! કહે છે, મૃત્યુ યાને પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે. મિલન નિશ્ચિત હોય તો અફર જુદાઈનો શોક શાને? હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો ફંટાઈ રહ્યો છે, પણ દિલમાં તો અવિચળ સ્થાન છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં કાયમી છે, જેની સાથે પુનર્મિલન અફર છે, એનાથી છૂટા પડતી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું ને? બીજા અંતરાનો પ્રારંભ પણ કવિ ‘અલવિદા’ કહીને જ કરે છે. પુનરોક્તિ વાતમાં વજન ઉમેરવાની કારગત કાવ્યરીતિ છે. કવિ કહે છે, કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુઃખથી તણાયેલા ભંવા – આ કશાની જરૂર નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’

જન્મ અને મૃત્યુ કંઈ બે અલગ ઘટના નથી. બાળક અને વૃદ્ધ –આ બે શું અલગ વ્યક્તિઓ છે? એક જ વ્યક્તિ, જે સમયરેખાના એક બિંદુ પર બાળક છે, એ જ બીજા બિંદુએ પહોંચતા વૃદ્ધ બને છે. એ બેને અલગ વ્યક્તિકરાર કેમ આપી શકાય? જન્મ અને મૃત્યુ પણ એક જ સમયરેખાના બે અંતિમો જ છે. સમય સિવાય એમને એકમેકથી અલગ કેમ પાડી શકાય? મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી પણ ચર્ચાનો વિષય છે. કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ સ્ટાલિનના શાસનકાળમાં પણ એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ હતો. કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. કેમકે એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો જ આ ડર નીકળે. આવી સમજ આવી જાય તો ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) એમ કહેવું ન પડે. દુનિયાની ઘરેડમાં ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં કોઈ નવીનતા નથી. માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ સાચું ગણિત. જેટલો સમય તમે ભીતરથી આનંદિત છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી હવાની અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ થતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

11 replies on “ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન”

  1. કાવ્યનો રસાસ્વાદ માણતાં એવું લાગ્યું કે અસલ રચના એમાં ઉમેરેલ વિવેચનરૂપી મસાલાને કારણે વધુ સ્વાદિષ્ટ લાગે છે.લાગતા વળગતા મુદ્દાઓ પર અનેક quotations આપી કૃતિને રસપ્રદ અને ભાવવાહી બનાવવા બદલ આપને ધન્યવાદ.

  2. કવિતા , કવિ , વિવેચક્ ,ભાવનુવાદક અલગ અલગ ઘટકો પૈકી કોઇને દોષ દેવાનો અધિકાર વાચક્/ભાવક ને હોય તેવુ હુ માનતો નથી. તેણે તો સાક્ષીભાવે
    રચના ને માણી લેવાની છે.ગમે તો રચનાકાર ના ભાગ્ય, ન ગમે તો કવિના દુર્ભાગ્ય!
    ડોક્ટર વિવેક્નો ફાળો ,સિહ ફાળો છે! કવિની રચનાનો રસાસ્વાદ અદ્ભુભુત જેહમત લૈ કરેલ છે. સલામ વિવેક ને!!

  3. ‘અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા…………………. ‘
    આવા લબાડખોર માણસો ગમે તેટલા પ્રખ્યાત હોય તો પણ એની સમાજમાં કિંમત શું અને આવા માણસની પ્રશસ્તિ પણ કરવાની?

    આવી વ્યક્તિઓ સમાજમાં શું સંદેશો મુકી જવાના?

    • પ્રતિભાવ બદલ આભાર…

      સમય સૌથી મોટો અને સૌથી વધુ ઘાતકી વિવેચક છે. સમયે એને અમરત્વ બક્ષ્યું છે એ હકીકત સામે આંખમીંચામણાં ન થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *