ગ્લૉબલ કવિતા : ૨૧૮ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’n I’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

મકાનમાલિકનું ગીત

મકાનમાલિક, મકાનમાલિક,
છાપરું મારું ગળતું છે જો.
ઓલ્લા દા’ડે જ કઇલું’તું ને?
એટલું બી તું ભૂલી જ્યો?

મકાનમાલિક, મકાનમાલિક,
પગથિયાં બી તો જો, તૂટલું સે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ચડીને ઉપર આઇવો તિયારે.

હું કીધું, દહ રૂપિયા મારે આલવાના સે?
હું કે’ય, બાકી બોલે અજુન બી દહ રૂપિયા?
અંહ, દહ રૂપિયા ફાલતુના છે તો બી આલીશ,
ઘર તો જો તું, હાજું-હરખું કરાવ પેલ્લા.

હું કે’ય? ઘર ખાલી કરવાનો ઓડર લાવહે?
બાકી રે’ય તે લાઇટ બી કાપી કાઢહે કે હું?
બિસરા-પોટલાં બી લઈ લેહે
ને હેરીમાં ફેંકહે કે હું?

ચલ ફૂટ! ખાલીપીલી ફિશિયારી તો ની માર.
બોલ, બોલ – બદ્ધું ઓકી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
એક જ ફેંટ ઉંવે આલીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો આ માણસને પકડો !
એ કરશે સરકારને બરબાદ,
અને મુલ્કમાં દાખડો!

પોલીસની સીટી!
રોનની ઘંટડી!!
ધરપકડ.

પ્રાંતીય થાણું.
કાળ કોટડી.
છાપાંઓએ બાંધ્યાં મથાળાં:

મકાનમાલિકને ભાડૂતે આપી ધમકી.
ભાડૂતને ના મળી જમાનત.
જજે કીધો હબસીને ત્રણ મહિનાનો દંડ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

રંગભેદ – વો સુબહ કભી ભી આયેગી?

૧૭-૦૭-૨૦૧૪ના દિવસે એરિક ગાર્નર નામક અશ્વેતને એક ગોરા પોલિસ અફસરે જમીનસરસો દબાવી દીધો. અગિયારવાર ‘હું શ્વાસ નથી લઈ શકતો’ બોલ્યા પછી એણે ખરેખર શ્વાસ છોડી દીધા. છ વરસ બાદ ૨૫-૦૫-૨૦૨૦ના રોજ વધુ એક અશ્વેત, જ્યૉર્જ ફ્લૉઇડની ગરદન પર બીજો એક ગોરો અફસર ઘૂંટણ દબાવીને બેસી ગયો. શ્વાસ નથી લઈ શકાતો એમ બોલતાં-બોલતાં જ્યૉર્જે પણ શ્વાસ મૂક્યા. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. તોફાનો, વિરોધો, ચળવળો, સરઘસો આગની જેમ ફરી વળ્યા. પણ આ બે ઘટનાઓ પહેલાં, વચ્ચે અને પછી, અમેરિકા તો ઠીક, દુનિયામાં ક્યાંય રંગભેદની માત્રામાં ખાસ ફરક પડ્યો નથી. મનુષ્યજાતિના શરીરે ફૂટી નીકળેલું સૌથી ગંધાતું સર્વકાલીન ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજેય એનો સંપૂર્ણ ઈલાજ કરી શકાયો નથી એ આપણી કમનસીબી. રંગભેદી માનસિકતા વિશે લોહી થીજી જાય એવી કવિતા લઈને આવ્યા છે લેન્ગ્સ્ટન હ્યુસ.

આખું નામ જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ. (હ્યુજીસ નહીં, હં!) ૦૧-૦૨-૧૯૦૨ના રોજ જોપ્લિન, મિસૌરી (અમેરિકા) ખાતે જન્મ. જન્મ પછી તરત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે વધી. ચોવીસ વર્ષની ઊંમરે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે તેઓ ‘એસેક્સ્યુઅલ’ હતા. પ્રોસ્ટેટના કેન્સરની સર્જરીના કૉમ્પ્લિકેશનના કારણે પ્રમાણમાં નાની વયે ૨૨-૦૫-૧૯૬૭ના રોજ ન્યૂયૉર્ક ખાતે નિધન.

મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર. અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે. વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં હાર્લેમ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. ત્યાં શરૂ થયેલ ‘Harlem Renaissance’ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદનીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો, હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ ત્યારબાદની કળાઓનો પાયો બની રહ્યો. અખબારોએ હ્યુસ વિશે ખૂબ જ ઘસાતું પણ લખ્યું પરંતુ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી તો એમ લાગે કે ગીત મકાનમાલિકનું છે, પણ આ ગીત વાસ્તવમાં ભાડૂઆતનું છે. મતલબ શીર્ષકથી જ કટાક્ષ શરૂ થઈ જાય છે. અંગ્રેજી સાહિત્યમાં બૅલડ યાને કથાકાવ્યમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. કોઈ એક ઘટનાને કેન્દ્રસ્થ રાખીને બૅલડ વર્ણનાત્મક સ્વરૂપે લખાતું. કાવ્યસ્વરૂપ જોઈએ તો ચાર-ચાર લીટીના અંતરા, અ-બ-ક-બ પ્રાસનિયોજન. છંદ જોઈએ તો એકી કડીમાં આયમ્બિક ટેટ્રામીટર અને બેકી કડીમાં ટ્રાઇમીટર. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર ‘બ્લ્યુઝ’ જેવું છે, જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબ પ્રાસપ્રયોજન છે પણ છંદની વાત કરીએ તો આયૅમ્બસ (ચરણસંખ્યા) વધઘટ થયે રાખે છે. છઠ્ઠો બંધ ઇટાલિક ટાઇપમાં છે, એ વક્તા અને કવિતાના સૂરમાં પરિવર્તન પણ સૂચવે છે. પછીની ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની જોડાજોડ છંદ અને પ્રાસ બંને ખોરવાયેલ નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા -ઉભયની સૂચક છે. ગુજરાતીમાં આવી વ્યવસ્થા ન હોવાથી આધિપત્યનો સૂર જાળવી ગાઢા ટાઇપ વાપર્યા છે.

અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ અંત આવ્યો, એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિએ આ કવિતા લખી. જે કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી આપણને અવગત કરાવે છે. આ કવિતા લખાઈ એ પછી તો બીજા ૮૦થીય વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં? કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણને માત્ર ગરીબી-અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને હોવાનું અનુભવાય છે, પણ અંતિમ પંક્તિમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. ‘નીચલા’ વર્ગની શેરીઓમાં બોલાતી વ્યાકરણના નિયમોથી ઉફરી અનૌપચારિક, અભદ્ર ભાષા માત્ર અભણ ભાડૂતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં અલગ જ પ્રાણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં મકાનમાલિક -ભદ્ર વર્ગ ઉપસ્થિત થતામાં કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂઆત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. આગલા અઠવાડિયે જ ભાડૂતે ઘરનું છાપરું ગળતું હોવા બાબત માલિકને ફરિયાદ કરી છે પણ મકાનમાલિકે નથી કોઈ કાર્યવાહી કરી કે નથી ફરિયાદ યાદ રાખી. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે ચડતી વખતે ઘરધણી પડ્યો નહીં એની ભાડૂતને નવાઈ લાગે છે. ‘પગથિયાં’ બહુવચન અને ‘ગઈલું’ એકવચનની કૉકટેલ ગરીબ ભાડૂતની નિરક્ષરતા અથવા અલ્પ-સાક્ષરતાની સાહેદી પૂરાવે છે. જે પગથિયાં ચડતાં ભાડૂત ઘરધણીના પડી જવાનું જોખમ અનુભવે છે, એના પરથી એણે અને એના પરિવારજનોએ તો દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની રહે છે. યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. વિડંબણા તો એ છે કે ગળતાં છાપરાંની ફરિયાદ કરનાર ભાડૂતે તૂટેલાં પગથિયાંઓનો તો સ્વીકાર જ કરી લીધો છે. પાયાની તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી બેદરકારી ભાડૂઆત કરતાં વધારે આપણને દુઃસહ્ય લાગે છે. કંગાળ લોકો તકલીફોને જીવનનો ભાગ ગણી એનાથી હેવાયાં થઈ જતાં હોય છે.

પણ ધનકુબેરો? એ તો દસ રૂપિયા પણ જતાં કરવા તૈયાર નથી. ૧૯૪૦માં આ રચના લખાઈ ત્યારે દસ રૂપિયા (ડૉલર)ની કિંમત નાંખી દેવા જેવી નહોતી, પણ અહીં વાત કિંમત કરતાં નિયતની વધારે છે. મકાનમાલિક એના બકાયાની ઉઘરાણી કરે છે. ભાડૂતના હિસાબે આ કોઈ રકમ બાકી નથી. એના માટે આ ફાલતૂ માંગણી છે. ચાર પંક્તિમાં ત્રણ વાર દસ રૂપિયાનો થતો ઉલ્લેખ માણસ અને મટિરિઆલિઝમને અડખેપડખે મૂકી આપે છે. આ તકાદો ભાડૂઆત માટે તો દુકાળમાં અધિકમાસ જેવો છે. માલિક હરામના દસ રૂપિયા જતાં કરવા તૈયાર નથી પણ જો ઘરનું સમારકામ થાય તો ભાડૂત એ ચૂકવવા પણ તૈયાર છે. તવંગર અને દરિદ્ર માણસની નિયતનો તફાવત કેવો સાફ દેખાય છે!

પણ ઘર સમું કરાવવાના બદલે ઘરધણી ધણીપણું દાખવે છે. સામાની અગવડો સામે આંખ આડા કાન કરે છે, ઉપરથી તકાજો કરે છે અને આટલું ઓછું પડતું હોય એમ, જન્મસિદ્ધ અધિકાર ગણીને ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, અને ઘરવખરી ઊંચકીને શેરીમાં ફેંકી દેવાની –એમ ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે. ઘરધણી શું બોલ્યો હશે એનો અંદાજ હજી સુધી આપણે ભાડૂત એને શું જવાબ અપે છે એના પરથી જ સમજવાનું રહે છે. માલિકને ખાલીપીલી ફિશિયારી મારતો, મોટીમોટી વાતો કરતો સંભળીને કિરાયાદારની ધીરજ છૂટે છે. તકલીફોના કારણે એ આમેય ગિન્નાયેલ તો હતો જ, એમાં માલિકની ઉઘરાણી અને ધમકીઓએ બળતામાં તેલ રેડવાનું કામ કર્યું. ભાડૂતની કમાન છટકી હોવા છતાંય પહેલાં તો એ માલિકને એની ભૂલ તરફ નિર્દેશ જ કરે છે. એ પછી હજી કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો એય કહી દેવાનું ઈજન આપે છે. નાના માણસની આ સાલસતા. માલિક ગુસ્સે થાય છે તો ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે, કિરાયાદાર ગુસ્સે થાય છે તો માલિકને એનું ભીતર ખાલી કરવાની તક આપે છે. આગળ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી ઉમેરે છે. ‘ખંડેરની ભસ્મકણી ન લાધશે’ (ઉ.જો.) યાદ આવે. કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, પંક્તિઓ નાની અને ઝડપી બને છે, બૅલડની પ્રાસરચના ભાંગી પડે છે. કાવ્યસ્વરૂપ પરિસ્થિતિની અંધાધૂંધીને અનુવર્તે છે.

પોતે કરે તે લીલા, બીજા કરે તે છિનાળુંના ન્યાયે ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. કવિતામાં પોલિસનો અવાજ ફક્ત સીટી અને રૉનની ઘંટડી પૂરતો જ છે. પોલિસની હૃદયહીનતા અને વિચારહીનતા એનાથી યથાર્થ તાદૃશ થાય છે. દીનજનોના કિસ્સામાં પોલિસની કામગીરી કેટલી ઝડપી રહે છે એ પણ અહીં સમજાય છે. કવિએ કાવ્યસ્વરૂપનો કેવો સમુચિત વિનિમય કર્યો છે! આ જ તો સાચી કાવ્યકળા છે! છાપાંય ઓછાં નથી. એ પણ રાઈનો પર્વત કરે છે. હેડ-લાઇન્સ બનાવે છે. અહીં કેપિટલ લેટર્સ વાપરીને કવિએ ઑથોરિટીને ચાક્ષુષ કરી બતાવી છે. ભાડૂતની લાંબીલચ ફરિયાદો અને નજરિયા સામે ઘરમાલિક, કાનૂન, અખબાર અને એ નાતે સમાજના દૃષ્ટિકોણ નગણ્ય શબ્દોમાં પણ વધુ ધારદાર રીતે રજૂ કરીને કવિએ કાવ્ય પણ સાધ્યું છે. એક નિર્ધનનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળવા માંડતી ડરપોક અને પૂર્વગ્રહયુક્ત સિસ્ટમ કીડા-મંકોડા જેવી હેસિયત ધરાવતા ગરીબને ત્રણ-ત્રણ મહિનાનો કારાવાસ આપે છે. છે…ક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે અકિંચન ભાડૂત ‘હબસી’ છે અને માલિક ગોરો.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્રનો અને છઠ્ઠો પ્રવર્તમાન સમાજનો પણ સંભળાય છે. જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. માથું ઊંચકી લીધું હોય, ભાડૂતે સાચેસાચ હાથ ઉપાડી લીધો હોત તો શું થાય એની તો કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી. પાઈ જેવડી વાત માટે રૂપિયા જેવડી સજા એ જમાનામાં છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં પણ શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ સાચી વાત. પણ માનવજાતને પ્રેમ શીખવામાં કદાચ કદી રસ પડ્યો નથી. આખો ઇતિહાસ વંશવિગ્રહો, અને રંગવિગ્રહોથી ખરડાયેલો પડ્યો છે. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ –રામરાજ્યનું સ્વપ્ન! રામરાજ્ય તો રામનેય નસીબ નહોતું થયું. જોએલ એફ. કહી ગયા, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ગોરાને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

સર્વોરંભે પરથમ નમીએ – નીનુ મઝુમદાર

આજે નવરાત્રીનો પહેલો દિવસ – જગતજનનીના ચરણોમાં વંદન, અને આપ સૌને પણ નવરાત્રીની શુભકામનાઓ. આજે માણીએ સ્વરાંગી વૃંદના કલાકારો દ્રારા પ્રસ્તુત આ ગરબો.

સ્વરાંગી વૃંદના કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, રીની ભગત, એકતા દેસાઈ, સુષ્મા ભગત, કીર્તિદા રાંભિયા, મેધા ઝવેરી સ્વાતિ વોરા, દક્ષા દેસાઈ, પારૈલ પુરોહિત, અમી શાહ, બાગેશ્રી પ્રણામી કામિની શાહ, વિરાલી દેસાઈ, ઉર્વી મહેતા
નિવેદન- ખેવના દેસાઈ
હાર્મોનિયમ- વિજલ પટેલ
તબલા- અંકિત સંઘવી
વિડીયો એડિટિંગ- સ્વરાંગી પટેલ, સમીર પટેલ

કવિ અને સ્વરકાર- નીનુ મઝુમદાર

સર્વોરંભે પરથમ નમીએ રિદ્ધિ સિદ્ધિ સ્વામી ગણપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

પાસાં પાડે મંગલ રીતે
પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી,
બાજીએ નીસરતી રમતી સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

બીજો દાવ તો રિદ્ધિસિદ્ધિનો
પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મ્હોરું લીલું સદાનું, ઉતારે અંતર આરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે
જય જય નાદે ત્રિભુવન ગાજે
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે ફરતી
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

ચોથા પદનું તત્વ વિચારી
રમતને નીલકંઠે ધારી
અનંત ભાતે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ
સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પારવતી

– નીનુ મઝુમદાર

ગ્લૉબલ કવિતા : ૨૧૭ : રાત પડી ગઈ – દાદુદાન ગઢવી

રાત પડી ગઈ

પ્રીતની ઘેલી હાય બિચારી,
સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી

કાળા અક્ષરોમાંથી સર્જાતી અવર્ણનીય રંગછટા

કળા કમાલની વસ્તુ છે. કોઈ પરિમાણ કે સાધન એને બાંધી શકતા નથી. પાણી જેમ એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમામ અવરોધોને અવગણીને નિસરી જાય એમ જ કળા એક પરિમાણ કે એક સાધનમાંથી બીજામાં ક્યારે પહોંચી જાય એનો અંદાજો બાંધવો અશકય છે. નહીં ખ્યાલ આવ્યો? ચાલો, થોડી માંડીને વાત કરીએ. કવિતા લખાય તો કાગળ પર પણ જ્યારે એ સંગીતનો અંચળો ઓઢી લે ત્યારે સાંભળનાર કવિતા સાંભળે છે કે સંગીત કે બંને એ સાફ નક્કીય ન કરી શકાય એ હદે શબ્દ, સૂર અને ધ્વનિ એકબીજામાં ઓગળી જાય છે. ક્યારેક કવિતા શબ્દોની સીમા વળોટીને દૃશ્યાંતરણ પામે છે. કાગળ પરના શબ્દો ક્યારે હવામાં ઓગળી ગયા અને એક સુવાંગ સંપૂર્ણ ચિત્ર ચાક્ષુષ થઈ ગયું એ કળવું અસંભવ થઈ જાય એ રીતે કળા ઇન્દ્રિયવ્યુત્ક્રમ સાધી શકે છે. તો ક્યારેક કૅન્વાસ ઉપર રંગ અને પીંછીથી બનેલું ચિત્ર કૅન્વાસ-રંગ અને પીંછીના વસ્ત્રો ત્યાગીને જીવંત કાવ્ય બનીને પ્રેક્ષકના ચિત્તતંત્ર ઉપર ટકોરા દેવા લાગે છે. હકીકતમાં કળા અપરિમાણેય છે. એના નિર્માણ માટે કાગળ, કલમ, રંગ, વાદ્યો વગેરે ઉપાદાન અનિવાર્ય કેમ ન હોય, સર્જન થયાની ક્ષણે જ કળા આ તમામ ઉપાદાનોથી સ્વતંત્ર થઈ જાય છે. કળા ઇન્દ્રિયગમ્ય ખરી, પણ એથીય વધુ તો એ મનોગમ્ય છે, કેમકે ઇન્દ્રિયવ્યતિક્રમણ કળામાત્રનો સહજ ગુણધર્મ છે. કાવ્ય-સંગીત-નૃત્ય-સ્થાપત્ય-ચિત્ર આ તમામ કળાઓ પાસે એને રજૂ કરતા સ્થૂળ પરિમાણો સિવાય એક universal language હોય છે, જે થકી એ ભોજ્ય સાથે તાદાત્મ્ય સાધે છે. ચલો તો, કવિ દાદની એક કવિતાનો સાક્ષાત્કાર કરીએ અને નક્કી કરીએ કે આ કવિતા વધારે છે કે ચિત્ર વધારે છે કે બંને?

કવિ દાદ. આખું નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી). ૧૧-૦૯-૧૯૪૦ના રોજ વેરાવળમાં ઈશ્વરીયા ગામે જન્મ. ભણતર સામાન્ય પણ ગણતર અસામાન્ય. પિતાજી જૂનાગઢના રાજકવિ. શિવશક્તિના આરાધક ચારણોને તો સરસ્વતી તાળવે બિરાજે. કવિ કાગની જેમ ચારણી પરંપરાને આગળ ધપાવનાર દાદને પણ મીઠા કંઠ અને લયબદ્ધ રજૂઆતની જન્મજાત બક્ષિશ સાંપડી હતી. લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખવામાં એમનો સિંહફાળો રહ્યો છે. પદ્મશ્રીથી નવાજાયા, એ જ વર્ષે કવિ ૨૬-૦૪-૨૧ના રોજ ક્ષરદેહ ત્યજી ગયા. એમના આઠેય કાવ્યોસંગ્રહ ‘ટેરવાં’ (સમગ્ર કવિતા)માં સમાવિષ્ટ છે.

હાથ કંગન કો આરસી ક્યા જેવું ‘રાત પડી ગઈ’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. સ્વરૂપની દૃષ્ટિએ એને ગઝલનુમા ગીત અને ગીતનુમા ગઝલ –એમ ઉભય સ્વરૂપજીવી કહી શકાય. ગીતમાં સામાન્યરીતે જોવા મળતી મુખડા-અંતરાની વ્યવસ્થા, ક્રોસલાઇનનો અભાવ તથા ગઝલની જેમ મત્લા સહિત પાંચ શેર, કાફિયા-રદીફની બાંધણી અને અષ્ટકલના હીંચકે ઝૂલતા છંદોલયના કારણે પ્રસ્તુત રચનાને ગીતનુમા ગઝલ ગણી શકાય પણ લોકસાહિત્યના પ્રાણવાયુ પર જીવતા કવિને ગઝલનું ખેંચાણ નહીં હોય એ વાત સહજ સમજી શકાય. હશે, ગીત ગણો કે ગઝલ, આપણને તો કવિતા સાથે કામ છે. ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે… પાંચ શેર જેવા પાંચ બંધમાં કવિએ એવું તો સઘન સંપૂર્ણ દૃશ્યચિત્ર ખડું કર્યું છે કે ઇમેજિઝમનું સ્મરણ થાય જ થાય.

એકલપંડે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધનાર એઝરા પાઉન્ડ કલ્પનવાદ (ઇમેજિઝમ)ના પ્રણેતા હતા. ૧૯૧૨માં સ્થાપેલ કલ્પનવાદનો ૧૯૧૭માં એમણે ઑફિશિયલ અંત જાહેર કર્યો પણ હકીકતે આ વાદ અજરામર છે. તાજાં અને મૂર્ત કલ્પનપ્રયોગ વડે ઓછામાં ઓછા શબ્દોની મદદથી કવિ પોતાની અનુભૂતિ કે સંવેદનનને યથાતથ રજૂ કરી ભાવક સમક્ષ સર્વાંગ ચિત્ર ઊભું કરે એ કલ્પનવાદ. જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની એ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક ઇમેજિઝમની કરોડરજ્જુ છે. કવિની દુર્નિવાર્ય સિસૃક્ષા અને અદમ્ય સર્ગશક્તિને કાગળ પર હૂબહૂ સાકાર કરવાનું કામ સ્વર્ગમાંથી ધરતી પર પટકાતી બેકાબૂ ગંગાને જટામાં બાંધી લેવા જેવું દોહ્યલું છે. કવિ દાદે આ કાર્ય બખૂબી કરી બતાવ્યું છે. જો કે કવિના અલ્પ ભણતર અને ચારણી ગણતરને જોતાં તેઓ કલ્પનવાદથી પરિચિત હોવાની શક્યતા તલભારેય જણાતી નથી. પણ પાઉન્ડની કાવ્યચળવળથી સ્વતંત્રપણે જે કલ્પનચિત્ર દાદે રચ્યું છે, એ સાચે જ દાદને કાબિલ છે.

દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે, સાંજ થાય અને આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. હવે કહો, દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું? હવે બીજું દૃશ્ય લઈએ. આ દૃશ્ય આપણા માટે જરા નવું છે. પતિ પાછળ દોડતાં ભીંત સાથે અથડાઈ જતી પત્નીને આપણે જવલ્લે જ જોઈ છે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી. પણ કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે.

સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે. રાત અને સૂરજના નસીબમાં આમ તો કદીય મુખામુખ થવાનું સૌભાગ્ય લખાયું નથી. એકની ઉપસ્થિતિ અન્યની અનુપસ્થિતિ સિવાય સંભવ જ નથી. પણ કવિ રાતને સૂરજના પ્રેમમાં પડેલી કલ્પે છે. અને પ્રેમમાં ઘેલાં થયાં હોય એના માટે દુનિયાના શબ્દકોશમાં બિચારા સિવાયનું વિશેષણ તો ક્યાંથી હોય?! સૂરજના પ્રેમમાં ઘેલી થયેલી બિચારી રાત સૂરજ પાછળ દોટ મૂકે છે પણ આ પ્રીતથી બેતમા, સાત ઘોડાથી સજ્જ રથમાં અનવરત મુસાફરી કરતો સૂરજ ઘડીભર પણ રોકાતો નથી. રાતના હૈયાના હાટમાં રીસ ચડી ગઈ છે, પણ સૂરજને વળી એની શી દરકાર? પૂર્વમાં સૂર્યોદય જ્યાંથી થતો દેખાય છે એ કાલ્પનિક પર્વતને, મેરુ પર્વતને આપણે ઉદયાચલ કે ઉદયગિરિ કહીએ છીએ. સૂર્ય પૂર્વમાં ઊગે એ ક્ષણે આગલી રાતનો અંત આવે છે પણ કવિ આ ક્ષણેથી જ રાતનો પ્રારંભ થતો જુએ છે. કવિ સમગ્ર સૃષ્ટિને આ સુહાગણના ઘર તરીકે જુએ છે. કહે છે, ઉદયાચળના ઓરડામાંથી પતિવિરહના દુઃખની મારી રાત દોડતી આવે છે અને આથમણી ભીંત સાથે અથડાઈ જાય છે. ઉદયાચળનો ઓરડો અને આથમણી ભીંત જેવા અદભુત રૂપક લોકસાહિત્યના કવિની રગોમાં દોડતી આધુનિકતાના દ્યોતક છે. પૂરપાટ દોડતી કોઈ વ્યક્તિ ભૂલમાં ભીંત સાથે અથડાઈ જાય અને જે એના હાલહવાલ થાય એ અહીંથી આગળની કવિતામાં કવિએ વર્ણવ્યા છે. રાત તો આમેય અંધારી એટલે એને આંધળી ગણવામાં કોઈ તર્કદોષ પણ જણાતો નથી. પળમાત્ર પણ ન રોકાતા સૂરજ પાછળ દુઃખના મારથી આંધળી બનેલી રાત હડી કાઢે છે અને પશ્ચિમના આકાશની ભીંતને જોવાનું ચૂકી જવાતાં એની સાથે ભટકાઈ જાય છે. પરિણામે સેંથામાં પૂરેલું સિંદૂર ખરી પડે છે અને રંગહીન પશ્ચિમી આકાશ અચાનક સિંદૂરી સાંજનો નવલો પરિવેશ પામે છે.

રાતના ગળામાં થોકબંધ હીરાનો હાર હતો એય આ અકસ્માતના પરિણામે તૂટ્યો અને હાર તૂટતાં જથ્થાબંધ હીરા તારા બનીને આભ આખામાં ચારેતરફ વેરાઈ ગયા. રાતના તારાખચિત આકાશ માટે કેવું પ્રબળ કલ્પન! સુંદરીના વેરાઈ ગયેલા શણગારનું વર્ણન આગળ વધે છે. રાત સૂરજ સાથે પરણી છે. સૂરજ ડૂબી ગયો એટલે સૌભાગ્યવતી રાત જાણે વિધવા થઈ ગઈ. આમ વિચારીએ તો ભીંત સાથે ટકરાવાની ઘટના અનાયાસ નહીં, સાયાસ બનેલી લાગે. સૌભાગ્યવતી સ્ત્રી પતિના જતાં ભીંત સાથે હાથ-માથાં પછાડી સૌભાગ્યચિહ્નોનો લોપ કરે એ ઘટના આપણા સમાજ માટે નવી નથી. સૌભાગ્યની ચૂડીના પણ ટુકડા થયા છે અને ચૂડીનો આ અડધો ટુકડો એટલે જ બીજનો ચન્દ્ર! પણ કલ્પનમાં કવિતા ચૂડીના અડધિયાને ચન્દ્ર કહેવામાં નહીં, રાતના આકાશમાં બીજની ઝીણી ભાત પડી ગઈ કહેવામાં છે. આકાશમાં ઝીણી ભાત સાથે પડી ગઈ જેવી રદીફનો આવો વિન્યાસ તો અચ્છાઅચ્છા ગઝલકાર પણ ન કરી શકે.

દુઃખિયારીના દખ છેવટે અંતરમાં ન સમાઈ શકતાં આંખોથી છલકાવા શરૂ થાય છે. અધરાતે નજરે ચડતી આકાશગંગા જાણે કે રાતસુંદરીના ચમકતાં આંસુઓની હારમાળા છે. અશ્રુપાતના કારણે આંખે આંજેલું કાજળ પણ રેલાયા વિના રહેતું નથી. મતલબ સાંજનું સ્થાન લઈ રહેલી રાત વધુને વધુ ગાઢી બની રહી છે. અંધારું વધુને વધુ ઘટ્ટ બની રહ્યું છે. પ્રકટ કાજળ અને અપ્રકટ આંસુ તો સ્નેહની મહામૂલી સોગાત હતાં, જે આંસુઓના પ્રકટ થવાની સાથે રહ્યાં-ન રહ્યાં બરાબર થઈ ગયાં. અહીં ફરી વાર મહામૂલી ભેટના અવમૂલ્યન માટે ‘પડી ગઈ’ ક્રિયાપદ સફળ કવિકર્મની સાહેદી પૂરાવે છે. જો કે રાત એનું વર્ચસ્વ સંપૂર્ણતયા જમાવી લે એ પહેલાં એક બીજી પણ ઘટના ઘટી છે. ભીંત સાથે ભાર્યાના અથડાવાના કારણે પગે ઠેસ પણ વાગી છે. ફળસ્વરૂપે પગે પહેરેલ ઝાંઝર પણ શાંત રહ્યાં નથી. હાર-ચૂડી-કાજળ-આંસુ સુધીના તમામ શણગાર જો પિયુમિલનની વિફળતાને તારસ્વરે લલકારતાં હોય તો નેપુર શીદ હોઠ સીવીને બેસી રહે? મંદિરોમાં-ઘરોમાં થતી સાંધ્યઆરતીએ થતા ઘંટારવ અને ઘંટડીઓના રણકાર દિશાઓને ભરી દે છે, જેને કવિ રાતના ઝાંઝરના ઝણકાર સ્વરૂપે નીરખે છે. રાત પોતાના હૈયામાં મનના મણીગર માટે જે મીઠી વાતો સંગોપીને દોડી હતી, એ વાતોય જાણે આ અકસ્માતના પરિણામે એના ચિત્તથી પડી ગઈ. મીઠી વાતનો આ મઘમઘાટ એટલે ધૂપસળીની ફોરમ. એક સ-રસ મજાનું ચિત્ર અહીં આવીને સંપૂર્ણ થાય છે. મૂર્તામૂર્ત પ્રતીકોના સમતુલિત સંયોજન વડે કવિ સાંજમાંથી રાત પડવાની ઘટનાનું all-encompassing ચિત્ર રજૂ કરે છે. માત્ર સાંજ-રાતના રંગોની બદલી અને ચાંદ-તારા-આકાશગંગની ઉપસ્થિતિથી આ ચિત્ર બનત તો ખરું પણ નક્કી અધૂરું અનુભવાત. પરંતુ સાંધ્ય-આરતી અને ધૂપસળીની મહેંકમાં રહેલ આપણા પૂજાસંસ્કારોને પણ કવિએ ઉચિત ઝીલી લીધાં છે. આમ, સાંસ્કૃતિક સંસ્કારો અને કૉસ્મિક ફેરફારોને અવિનાભાવે સાંકળી લેવાયા હોવાથી આપણને રાતના પડવાનું આ ચિત્ર સર્વાંગે સંપૂર્ણ થતું અનુભવાય છે.

અંતે, દાદની કલમે જ આલખાયેલું બીજું દૃશ્યચિત્ર પણ માણીએ. સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે. ચાલો, માણીએ:

શ્રાવણની સંધ્યા

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo

અહીં ત્યાં ને બધે હું છું – મનોજ ખંડેરિયા

નરસિંહ મહેતાની સુંદર રચનાથી તો બધા પરિચિત જ છીએ…
નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે…..
મનોજ ખંડેરિયા કંઈક અલગ રીતે કહેવા માંગે છે…સમજવા જેવું ખરું….

નિરખને તું ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું;
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને ચશ્માની માફક પ્હેરવાનું છોડી દો મિત્રો;
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને મળવામાં તારી જાત નડતી આડી પથ્થર જેમ;
પીગળશે તું પવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

અષાઢી સાંજના વરસાદનો છાંટો ઝીલ્યો ત્યારે-
મને લાગ્યું જીવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો?
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

-મનોજ ખંડેરિયા

સતગુરુએ મુને ચોરી – દાસી જીવણ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સદગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…

પવનરૂપી ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં ને પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…

આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સત ભીમનાં ચરણે‚ આજ મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી..
– દાસી જીવણ

અમને એક વધારાની રજા તો મળી! – રમજાન હસણિયા

કવિ અને પઠન : રમજાન હસણિયા

.

ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા,
અમને એક વધારાની રજા તો મળી!
તમે ભલે જીવનભર દોડ્યા કર્યું અમને ઊંઘવાની મજા તો મળી !

તમે તો ભાઈ ! બહુ હોંશમાં આવી ગયા
દીન-દુઃખીને જોઈ પેન્ટ શર્ટ છોડી ધોતી પર આવી ગયા,
ધમધમતી વકીલાત તમે છોડી સત્યાગ્રહ જેવી વગર પગારની નોકરીમાં લાગી ગયા,
એ બધું તો ઠીક, પણ અમને તો તમારા ફોટાવાળી કડક નોટની થપ્પી ભેગી કરવાની બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી!

સાવ સુકલકડી, ન કોટ, ન કુર્તા,
આવા તે હોય કાંઈ ભારતના નેતા ?
સત્ય ને અહિંસા તે હોતાં હશે કાંઈ ગુલામીમાંથી મુક્ત કરવાના રસ્તા ?
તમારી જ ખાદી, તમારી જ ટોપી પહેરીને ફોટો પડાવવાની અમને બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી !

તમે તો ન માર્યા કોઈ શત્રુઓને,
ન ઝઘડા કરાવ્યા કોઈ કોમ વચ્ચે !
બધાંને તે સરખાં ગણાતાં હશે કાંઈ ?
એવું તમને શીખવાડ્યું કયા બચ્ચે?
તમારા અળવીતરા પ્રયોગોને જોઈને અમને પણ મજાક કરવાની મજા તો મળી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી…

વૈષ્ણવ જન તો – મહાત્મા ગાંધીનું આ પ્રિય ભજન શીખવાનો અવસર

આજે ગાંધી જયંતિની સાથે તમને તો વૈષ્નવ જન તો યાદ આવશે, પણ અમેરિકામાં ઉછરતી આવતી પેઢીને એ વારસો આપવાની તક આજે મળી રહી છે. અહિં San Francisco Bay Area ના ગુજરાતીઓમાં ખૂબ જાણીતુ નામ (અને મારી દીકરીઓના સંગીત ગુરુ) – આણલ અંજારિયા – Zoom પર – બાળકોને આ ગીત શીખવાડશે. સૌ બાળકોને (અને આપને પણ) આ Special Zoom Class
આવવાનું ખાસ આમંત્રણ આપીએ છીએ.

ફરી કહું છું – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરાંકન – જન્મેજય વૈદ્ય
કંઠ – અજય કુમા૨ તોમર

.

ફરી કહું છું અમારી હાજરી હસ્તી ગણાશે નહીં
આ દુનિયાના નશાના દોર કોઈ મસ્તી ગણાશે નહીં

નજરને તો હંમેશાં હોય છે નવતર તમાશાઓ
નર્યા આ નેત્રનું હોવું મને દ્રષ્ટિ ગણાશે નહીં

ખડક છે આગ જળ છે જીવો છે આસમાનો છે
કોઈ રીતે કશું મુજથી અલગ વસ્તી ગણાશે નહીં

કોઈ બોલી ગયા ને કોઈ તો અર્થો ગ્રહી બેઠા
કહાની એ રીતે મારી જબાં રચતી ગણાશે નહીં

ભલે પાગલ કહો, પાછળ પડો કે પથ્થર મારો
ગમે તે થાય આ દીવાનગી સસ્તી ગણાશે નહીં

અમે એના ભરોસે લાખ મઝધારો તરી બેઠા
તમે જે કાષ્ઠને કહેતા હતા કસ્તી ગણાશે નહીં

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ

સ્વર : અમર ભટ્ટ

.

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે;દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
-માધવ રામાનુજ

ગ્લૉબલ કવિતા : ૨૧૬ : પ્રેમ પછી પ્રેમ -ડેરેક વૉલ્કોટ

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott


પ્રેમ પછી પ્રેમ

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે આવકારશો તમારા પોતાના દરવાજે
તમારા પોતાના અરીસામાં, આવેલ તમારી જાતને,
અને બંને જણ સ્મિત કરશો પરસ્પરના આવકાર પર,

અને કહેશો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યા છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો હતો
બીજાઓ માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી નીચે ઉતારો પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીનો ઓચ્છવ કરો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)


જાત સુધીની જાતરા…

સામાજીક પ્રાણી હોવાના નાતે મનુષ્ય આજીવન અન્યોન્યના સંપર્કમાં રહે છે. સંપૂર્ણપણે એકલવાયી જિંદગી તો કદાચ માનવસભ્યતા જ્યાં પહોંચી જ નથી એવા આંદામાનના જારવા પણ નથી જીવતા. આપણાથી સાવ અલિપ્ત હોવા છતાંય જંગલમાં તેઓ સમૂહમાં જ જીવે છે. શું કારણ હોઈ શકે? અન્યોને આપણે સાંગોપાંગ ઓળખી શકતા નથી એટલે સાથે રહેવાનું પાલવતું હશે? અને જાતને નખશિખ જાણતા હોવાથી શું આપણે એકલા નથી રહી શકતા? બની શકે. એક વાત એય કે જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને શું ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી સર્વથા સર્વાંગે વાકેફ હોવાના કારણે જ કદાચ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે ખરું? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. માતા આચાર્યા. પિતા ચિત્રકાર. એક વર્ષની વયે પિતાને ગુમાવ્યા. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી. ચિત્રકાર પિતામાં જે અધૂરું રહી ગયું એ ડેરેકના મતે એમનામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની વયે પહેલી કવિતા. અઢારમા વર્ષે ઉછીના બસો ડૉલરથી પ્રથમ કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને ઉધારી ચૂકવીય દીધી. બીજા વર્ષે બીજો કાવ્યસંગ્રહ. જીવનકાળ બૉસ્ટન, ન્યુયૉર્ક અને લુસિયા વચ્ચે વહેંચાયેલો રહ્યો. પરિણામસ્વરૂપે કરેબિઅન-લોકલ વત્તા આંતરરાષ્ટ્રીય-ગ્લૉબલ ફ્લેવરના મિશ્રણથી એમના સર્જનમાં નવી જ સોડમ પ્રકટી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ‘ઓછા અશ્વેત’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવાળાઓએ એમના પર પસ્તાળ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતના આરોપ મૂક્યા જેને ખૂબ ચગાવાયા. ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને એની કિંમત ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન. ત્રણવાર છૂટાછેડા. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે ૧૭-૦૩-૨૦૧૭ના રોજ.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર પણ. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતા મુક્ત પદ્ય-અછાંદસ છે પણ વોલ્કૉટની પ્રિય યતિ(caesura)નો પ્રયોગ ધ્યાનાર્હ છે. એ કહેતા કે, યતિનો અયોગ્ય પ્રયોગ, રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પગ તોડે, એના જેવો હોય છે. અહીં, એકાધિક અલ્પવિરામ અને પંક્તિની વચ્ચોવચ્ચ આવતા પૂર્ણવિરામ ચિહ્નો વડે કવિતાની ગતિ નિયત માત્રામાં અવરોધીને કવિ ભાવકને ઝડપભેર દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિથી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળીને ગતિ વધારે છે. જીવનની ગતિ સાથે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે. શીર્ષક પણ વિચારતાં કરી દે એવું છે. આપણે જે અર્થમાં ‘એક પછી એક’ કે ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ વિશે કવિ શીર્ષકની મદદથી ઈશારો કરતા હોય એમ બની શકે?હશે, આપણે તો કવિતાના પ્રેમમાં પડીએ, ચાલો…

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’થી કાવ્યારંભ થાય છે. મતલબ આ સમય આવવાનો જ હોવાની ખાતરી છે. માણસ જાત સાથે મુખામુખ થાય એ સમય દરેકની જિંદગીમાં આવે જ છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનમાં વાહવાની દોડમાં ને ચાહવાની હોડમાં આપણે જાત લઈને ભાગીએ તો છીએ, પણ આ દોડ અને હોડ –બેમાંનું કંઈ જ સ્વ તરફનું હોતું નથી. અને સ્વને પામ્યા વિના તો સર્વ સુધી જવાય જ કેમ? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. પોતાના દરવાજે પોતાને આવેલ જોઈ આપણે ચોંકતા નથી, કેમકે આ સમય આવનાર હતો જ, તે આજે આવ્યો છે. જે દરવાજાને અજાણ્યાઓ માટે ખૂલવાની આદત પડી ગઈ હતી, એ આજે જાત માટે ખૂલ્યો છે, એટલે ઉત્તેજિત ન થવાય તો જ નવાઈ. આ ઉત્તેજનાને સંતાડવાની પણ નથી. પૂર્ણાવેશસહ આપણે આપણને આવકારવાના છે. દરવાજે જ નહીં, આજે આટઆટલા વરસો પછી અરીસામાં પણ આપણે આપણને પહેલવહેલીવાર જોયા છે. આજ સુધી અરીસામાં શરીરનું પ્રતિબિંબ જ દેખાતું હતું, આજે જાત દેખાઈ છે. આપણી નજર સામે દેખાતા શખ્સ સુધી પહોંચી શકી છે. સામાન્યરીતે અંદર ઊભેલી વ્યક્તિ બહારથી આવનારને આવકારો આપે પણ અહીં બહાર-અંદર બંને આપણે જ છીએ, માટે બંનેએ જ પરસ્પરને સસ્મિત આવકાર આપવાનો છે.

પરસ્પરનું સ્વાગત કરીને બંને અન્યોન્યને કહેશે કે બેસો. આરોગો. ચા-પાણી કરો. ખ્રિસ્તી ધર્મ અને બાઇબલના સંદર્ભ દૃષ્ટિગોચર થાય છે. ‘Love thy neighbour.’ ‘Eat. Drink.’ વાઇન, બ્રેડ વિ.માં પણ બાઇબલના નિર્દેશ સ્વયંસ્પષ્ટ છે. સત્તરમી સદીની જ્યૉર્જ હર્બર્ટની ‘લવ(૦૩)’ કવિતા યાદ આવે, જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને બાજનજરે પારખી લે છે અને સમજાવે છે કે અહીં આવવા લાયક માનનીય અતિથિ સ્વયં તું છે. નાયકને પોતે કઠોર, કૃતધ્ન લાગે છે, પણ પ્રેમ કુનેહપૂર્વક એનો હાથ ઝાલીને, સસ્મિત સમજૂતિ સાથે શંકાઓનું નિરસન કરે છે. પ્રેમ પીરસે છે. નાયક જમે છે. દરવાજો, અરીસો અને પ્રેમને પણ બાઇબલના ઉપલક્ષમાં જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેતપણાં સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી એ રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો કવિ બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા ઇચ્છતા હોય એમ પણ વિચારી શકાય.

કવિતા દ્વિતીય પુરુષ સંબોધન સ્વરૂપે છે. કથક આપણી સાથે સીધા સંવાદમાં છે. પણ પ્રત્યુત્તરનો અવકાશ નથી. તમે-તમારુંની કથનરીતિના કારણે દરેક ભાવકને કવિ પોતાની સાથે જ ગુફ્તેગૂ કરતા હોવાનું પ્રતીત થાય છે. આખી કવિતા ‘યુ’ અને ‘યૉર’ના તોરમાં ચાલે છે. ક્યાંય ‘આઇ’ પ્રયોજાયો નથી, તોય ‘આઇ’ જ કેન્દ્રસ્થાને હોવાનું સમજાય છે. અંગ્રેજી ‘I’ (હું) લેટિન ‘ઇગો’ પરથી આવ્યો છે. ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતીકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. બિમારીની હદ સુધી વકરેલી આત્મરતિને અંગ્રેજીમાં narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાં જડે છે. યુવાન નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રાખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે.)

આજીવન મૃગજળ પાછળ દોડવામાં ‘મને ક્યાંય જડી ન મારી જાત’ જેવા આપણા હાલ છે. પણ સમય આવ્યો છે, તો જીવનભર જેનાથી અજાણ્યા રહી ગયા, એને ચાહવાનું ફરી શરૂ કરીએ. ત્રાહિત વ્યક્તિનેય આપણે ‘અજાણ્યા છો? ભલે!/તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-/લાવો તમારો હાથ, મેળવીએ!’ (નિરંજન ભગત) કહી શકતાં હોઈએ તો આ તો આપણી પોતાની જાત છે. ભલે આજ સુધી અજાણી રહી, પણ હવે એને પ્રેમ કરવાનો છે. ન માત્ર એની યોગ્ય આગતા-સ્વાગતા, સરભરા કરવાની છે, એને તમારું હૃદય પણ પાછું આપવાનું છે, કેમકે આ અજાણ્યા શખ્સે તમને જિંદગીભર એકધારું ચાહ્યા છે. તમારું જ દિલ છે. તમારે તમારું દિલ ફરીથી તમારા જ દિલને આપવાનું છે. લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) આખું જીવન આપણે આજે આંગણે આવેલ આ અજાણ્યા શખ્સને બીજાઓ માટે અવગણ્યે રાખ્યો હતો. આપણી તો ‘अतिथि देवो भवः’ની સંસ્કૃતિ. આપણે તો ‘એ જી, તારા આંગણિયાં પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે’ (દુલા ભાયા કાગ) ગાનારા. લાઓ-ત્ઝુએ કહ્યું હતું, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’ માર્ક ટ્વેઇનની વાતમાંથી પણ આ જ સૂર ઊઠે છે: ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ તમને તમારી જાતથી વધુ બીજું કોણ ઓળખી શકે? આપથી વધીને આપને કોણ ચાહી શકે? એકમાત્ર આપણો ‘સ્વ’ જ આપણા ‘સર્વ’ને સુવાંગ પિછાને છે. રાલ્ફ એલિસને કહ્યું હતું: ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ આજે આ સમય આવી ગયો છે. દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈ આજ લગ અજાણ્યા રહી ગયેલ સ્વને પુનઃપ્રાપ્ત કરવાનો સમય સાંપડ્યો છે, તો એનો સદુપયોગ કેમ ન કરીએ? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હવે શું મોઢું ધોવા જશો?

ના, તમારા હૃદયે તમને પળપળ ચાહ્યાં છે. હવે, તમારે એ ચાહનો પડઘો પાડવાનો સમય આવી ઊભો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. આદરમાન આપો. એની વર્ષોની ભૂખ-પ્યાસ ભંગો. એને સાચા અર્થમાં સંતૃપ્ત કરો. મનની અભરાઈ જૂની યાદો, જૂના સંબંધો, જૂના સમીકરણોથી ભરી પડી છે. નામ અભરાઈ છે પણ એ ભરાઈ-ઉભરાઈ રહી છે. ઘણો કચરો ભર્યો પડ્યો છે. પ્રેમપત્રો, ફોટોગ્રાફસ, વિહ્વળ હૃદયે લખેલ વ્યાકુળ નોંધો અને એવું ઘણું છે, જેને તમે વર્ષોમાં કદી ફેર જોવા-માણવાની તસ્દી સુદ્ધાં લીધી નથી પણ મનની અભરાઈ પર એણે કબ્જો કરી રાખ્યો છે. કોઈપણ જગ્યા ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી નવાને અવકાશ પણ કેમ મળે? આજે સમય આવ્યો છે તો જૂનું બધું ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. અરીસામાં હવે પ્રતિબિંબ નહીં, તમે સાક્ષાત્ દેખાવા જોઈએ. જાતને કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ બેસો. હોવાને મહેફિલ કરી દો. જિદગીને ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો… જાત સાથે વાત કરતાં આવડી જાય તો જીવન સફળ થાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે કમ્ફર્ટેબલ થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

અંતે, ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતાના કાવ્યાંશ:

ના માતની, ના તાતની, અર્ધાંગિનીની પણ નહીં,
ઉત્તીર્ણ થાવાનું નથી કોઈ નજરમાં આપણે;
જીવનમાં જેના મતની કિંમત છે બધા મતથી વડી,
એ શખ્સ એ છે જે તમારી સામે ઊભો આયને.

વર્ષો સુધી દુનિયાને છો મૂરખ બનાવ્યે રાખી હો,
ને વાહવાહી ગામ આખાની ભલે અંકે કરી;
પણ આખરી ઈનામ નકરાં દુઃખ હશે ને આંસુઓ,
જો આયને દેખાતી વ્યક્તિને હશે જો છેતરી.