હું તને આપું છું એકાન્ત – સુરેશ જોષી

હું તને આપું છું એકાન્ત –
હાસ્યની ભીડ વચ્ચે એકાદ અટૂલું આંસુ,
શબ્દના કોલાહલ વચ્ચે એકાદ બિન્દુ મૌન,
જો તારે સંભરી રાખવું હોય તો
આ રહ્યું મારું એકાન્ત –
વિરહ જેવું વિશાળ
અન્ધકાર જેવું નીરન્ધ્ર
તારી ઉપેક્ષા જેવું ઊંડું
જેનો સાક્ષી નહીં સૂરજ,

નહીં ચાંદો;
એવું નર્યું એકાન્તનું ય એકાન્ત.
ના, ભડકીશ નહીં.
નથી સ્પર્શી એને મારી છાયા,
નથી એમાં સંગોપ્યું મેં મારું શૂન્ય,
જેટલું મારું એ એકાન્ત
તેટલું જ બે વૃક્ષોનું
તેટલું જ સમુદ્રનું
ને ઈશ્વરનું
આ એકાન્ત,
આપણા પ્રણયતણી નથી એ રમણભૂમિ,
વિરહની નથી એ વિહારભૂમિ,
નર્યું ભર્યું ભર્યું એકાન્ત,
હું તને આપું છું એકાન્ત.

– સુરેશ જોષી
એપ્રિલ: 1963

સ્મરણો – ધ્રુવ ભટ્ટ

Presented by Asit kumarr Modi, Neele Film Productions Pvt, Ltd;
Composing and singing : Hemant Joshi
Music: Kaushik Rajapara
Recording Mixing and Mastering: Mangalam Studio – Dhoraji

સ્મરણોનું એવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતી કે ધોધમાર વરસ્યો વરસાદ
પગલાંની છાપ
ક્યાંક ઓગળતી આંખ, ક્યાંક ભીંજાતી લાગણી કે દૂર દૂર રવરવતા સાદ.

ફાગણનાં ફૂલ સમું એકાદું નામ ક્યાંક વગડાની શૂળ જેમ વાગે
પાંપણથી રઢિયાળું સપનું સરે ને ક્યાંક જંગલમાં આગ આગ લાગે
સરવરમાં
સંધ્યાના ઓગળતા રંગ, ક્યાંક રાત, ક્યાંક ચાંદની કે રોમ રોમ પડતી સવાર ક્યાંક હોય

સ્મરણોમાં ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતીનું ઝાડવું કે ધોધમાર વરસ્યો વરસાદ.

આખ્ખોયે બાગ ક્યાંક ઝાકળની જેમ સાવ ઓચિંતો આભ બની ઝૂકે.
સાતમા પતાળવાળો પરીઓનો દેશ કોઈ, મારો છે, લાવ, કરી રૂઠે.
પર્ણોની જેમ
જરા ફરફરતા હોઠ ક્યાંક ચૂપ, ક્યાંક વાણી કે રણણણણણણ રણઝણતો નાદ,
રેતીનું ઝાડવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક સ્મરણોમાં ધોધમાર વરસે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

સપનાં સપનાં – મકરંદ દવે

રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાંછપનાં!
રે! ખાલી સપનાં સપનાં.

સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ, કલપના!
એ ખાલી સપનાં સપનાં.

અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.

રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો?
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર – તપનાં
આ સાચ કરો સૌ સપનાં.

– મકરંદ દવે

કવિતા – વિવેક મનહર ટેલર

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

ગ્લૉબલ કવિતા : ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd


ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)


મહાસાગરમાં ડૂબકી માર્યા વિના મોતી મળે ખરું?

પુરુષાર્થનું મહિમાગાન આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. મહેનત વિના આસાનીથી મળી જતી વસ્તુની આપણને ભાગ્યે જ કોઈ કિંમત હોય છે, પણ જીવ-જાન એક કરી દીધા પછી જે હાથ આવે એ તો અમૂલ્ય જ લાગવાનું. કવિતા બાબતે વિશ્વમાં બે પ્રમુખ વર્ગ પ્રવર્તે છે. એક વર્ગંનું માનવું છે કે કવિતા સમજવાની પળોજણ જ નકામી છે. અર્થ સમજવાની કડાકૂટ કર્યા વિના નિર્ભેળ કાવ્યાનંદ માણવાની હિમાયત તેઓ કરે છે. તો બીજો વર્ગ આકાશ-પાતાળ એક કરીનેય કવિતાના ભાવ અને અર્થ બંને સમજવાનું અનુમોદન કરે છે. આપણે કયા પક્ષમાં છીએ એ એક કવિતાની મદદથી સમજીએ…

બર્નાર્ડ પેટ્રિક ઓ’ડાઉડ. જીવનકાળ ૧૧ એપ્રિલ, ૧૮૬૬ થી ૦૧ સપ્ટેમ્બર, ૧૯૫૩. રાષ્ટ્રવાદી કવિ, ઉદ્દામ સમાજવાદી, વકીલ, સંસદીય મુસદ્દાકાર અને પત્રકાર. તેઓ ઈશ્વરદત્ત બક્ષિસ પ્રાપ્ત બાળક હતા. મિલ્ટનની પેરેડાઇઝ લૉસ્ટ કેવળ આઠ વર્ષની વયે એમણે વાંચી નાંખી હતી. સત્તર વર્ષની વયે તો એક શાળાના આચાર્ય બનાવાયા. એમની કવિતાઓમાં સાહજિકતા કરતાં જ્ઞાનદર્શન વધુ જોવા મળે છે. કાવ્યવિધાના તેઓ નિપુણ કસબી હતા, પણ એમની કાવ્યકળા બાબતે એકાધિક મંતવ્યો પ્રવર્તે છે. અંગ્રેજી કવિતામાં સહુથી પ્રચલિત છંદ આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) છે, પણ ઓ’ડાઉડે બહુધા મધ્યકાળથી સોળમી સદી સુધી પ્રયોજાતો હેપ્ટામીટર (ચૌદ શબ્દાંશ) છંદ પ્રયોજ્યો છે. એમની ઘણી રચનાઓ અઘરી-અટપટી અને ક્યારેક દુર્બોધ પણ ભાસે છે. પણ આ જ દુર્ગમતા પુરુષાર્થી ભાવકને અલૌકિકતાની અનુભૂતિ પણ કરાવે છે. દેખીતી ગદ્યાળુતા પણ ઊંડે ઉતરીએ તો પ્રેમમાં પડી જવાય એવી છે.

‘ઑસ્ટ્રેલિયા’નું કાવ્યસ્વરૂપ પેટ્રાર્કશાઈ સૉનેટનું છે. અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDE CDE પ્રકારે ચુસ્ત પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. સૉનેટમાં કવિએ એમના પ્રિય હેપ્ટામીટરના સ્થાને પ્રચલિત પેન્ટામીટર જ ખપમાં લીધું છે. છંદોબદ્ધ અનુવાદ મૂળ રચનાથી વધુ પડતા છેટા જવાની ફરજ પાડે એમ હોવાનું અનુભવાતા સૉનેટનો પદ્યાનુવાદ કરવાના સ્થાને ગદ્યાનુવાદથી જ કામ ચલાવ્યું છે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૦૦માં લખાયેલ સૉનેટનું શીર્ષક એનો કેન્દ્રવર્તી વિચાર પણ છે. આ એક મુદ્દે ઑસ્ટ્રેલિઅન કવિઓ મુખ્ય અંગ્રેજી કાવ્યધારાથી અલગ તરી આવે છે. ઑસ્ટ્રેલિઅન કવિઓ કવિતાઓમાં દેશની ઓળખ ઉપસાવવાની વધતી-ઓછી કોશિશ કરતા આવ્યા છે. સમયાંતરે બદલાતી રહેતી પ્રમુખ કાવ્યધારાની અસર તો હોવાની જ, પણ એની સમાંતરે જ દેશની ઓળખ રજૂ કરવાનો એકધારો વ્યાયામ અછતો રહેતો નથી. દેશ-કાળ તરફની કવિઓની આવી મનોગ્રસ્તતા જો કે જાણીતી છે. માર્ગારેટ એટવુડના પુસ્તક ‘સર્વાઇવલ: અ થિમેટિક ગાઇડ ટુ કેનેડિઅન લિટરેચર’ મુજબ અમેરિકાની સરખામણીમાં કેનેડિઅન કવિતાઓમાં કેનેડાના ભૂપ્રદેશની લાક્ષણિકતાઓ અને હવામાન તથા જનજીવન-જનમાનસ પર એની અસરોનું આલેખન વધુ માત્રામાં અને લગાતાર જોવા મળે છે. પણ ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો દેશનો ઇતિહાસ આ કાવ્યધારાથી થોડો અલગ જણાય છે.

પચાસ-સાંઠ હજાર વર્ષ પૂર્વે દરિયાઈ માર્ગે દક્ષિણ-પૂર્વી એશિયામાંથી જેઓ ઑસ્ટ્રેલિયા આવ્યા હતા, એમના વંશજો આદિમ જાતિ (ઍબોરિજનલ) કહેવાય છે. સત્તા અને સંપત્તિભૂખ્યા બ્રિટિશરોની નજરમાંથી ઑસ્ટ્રેલિયા પણ બચ્યું નહોતું. અઢારમી સદીના અંતભાગમાં બ્રિટિશરોએ ત્યાં પોતાની વસાહતો જમાવવા-વધારવાનું આદર્યું હતું. આ સૉનેટની રચનાના થોડા સમયમાં પહેલી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ કોમનવેલ્થ ઑફ ઑસ્ટ્રિલિયાની સ્થાપના થઈ. બ્રિટન સાથેના અંતિમ સંવૈધાનિક સંબંધ તો ૧૯૮૬માં ખતમ થયા હતા. હજી આજેય ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ ત્રીજા ઑસ્ટ્રેલિયાના વડા છે. ૧૯૯૯ની સાલમાં ઑસ્ટ્રેલિયાને સંવૈધાનિક રાજતંત્ર અથવા ગણતંત્ર બેમાંથી એકની પસંદગીની તક અપાઈ હતી, ત્યારે સોમાંથી પંચાવન લોકોએ બ્રિટિશ સર્વોપરિતા સ્વીકારવું પસંદ કર્યું હતું. કવિતામાં પોતાના દેશની ઓળખ ઉપસાવવાની મથામણ કરતો દેશ પ્રજાસત્તાક બનવા પૂરો તૈયાર નથી એ વાત વિરોધાભાસી નથી?

સમય નામનો નાવિક અવકાશના મહાસાગરને ફેંદી કાઢીને એમાંથી પૃથ્વી પર જે આખરી દરિયાઈ-વસ્તુ ઉસેટી લાવ્યો એને ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાવીને કવિ કાવ્યારંભ કરે છે. હજારો વર્ષ સુધી ઑસ્ટ્રેલિયા મુખ્ય જગતધારાથી અળગું રહ્યું હતું. છેક અઢારમી સદીના અંતભાગથી પાશ્ચાત્ય જગત સાથે એનો સીધો સંપર્ક થયો. ઍબોરિજિનલ લોકો સંખ્યા અને મહત્ત્વ –બંને રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા અને બ્રિટિશરો કાયમી ઘર કરી ગયા. વીસમી સદીનો પહેલો સૂર્યોદય એક દેશ તરીકે ઑસ્ટ્રેલિયાનો પહેલો સૂર્યોદય હોવાથી ઘણાં કવિઓએ ઑસ્ટ્રેલિયાને નવજાત શિશુ તરીકે જોયું છે. ડબ્લ્યુ. સી. વેન્ટવર્થ એને ‘બ્રિટનનું આખરી જન્મેલ શિશુ’ કહ્યું, તો હેનરી કેન્ડેલે એને ‘પ્રભાતના ગાયક’નું બિરુદ આપ્યું. કવિઓએ ઑસ્ટ્રેલિઆને સંસ્કૃતિ અને સંભાવનાઓના વણવપરાયેલ સ્રોત તરીકે જોયું છે. બર્નાર્ડ પણ એને અંતરીક્ષમાંથી ઉસેટી લાવવામાં આવેલ આખરી ચીજ તરીકે જુએ છે. આ નજરિયો બહારથી આવીને સ્થાયી થયેલ લોકોનો છે, મૂળ આદિમ જાતિના લોકોનો નહીં. બર્નાર્ડ ઑસ્ટ્રેલિયાને સમયના નક્શા પર અસ્તિત્ત્વમાં આવેલ આખરી પ્રદેશ, નવીનતમ ખંડ તરીકે આલેખી એની સાથે પ્રશ્નાલાપ આદરે છે. આખું અષ્ટક ઑસ્ટ્રેલિયાને પૂછાતા પ્રશ્નોથી બનેલ છે.

કવિ ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સરગાસોનું વહેણ છે, જ્યાં હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડેલોસ છે? આગળ વધતાં પહેલાં આ સંદર્ભોને સમજી લઈએ. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ સરગાસો સમુદ્ર દુનિયાનો એકમાત્ર સમુદ્ર છે, જેની એકેય તરફ જમીન નથી. એની સીમાઓ ચારે તરફના સમુદ્રોના પ્રવાહોથી બની છે. આ સમુદ્રની સપાટી ઉપર સરગાસમ નામની શેવાળ પથરાયેલ છે. દરિયાના તળિયે જ વિકસતી શેવાળોથી વિપરીત આ શેવાળ સપાટી ઉપર વાનસ્પતિક રૂપથી પ્રજનન કરી વિકસે છે. કોલમ્બસ સાથેના એક નાવિકને આ શેવાળ દ્રાક્ષના ઝુમખા જેવી દેખાઈ હતી, પરિણામે દ્રાક્ષ માટેના પોર્ટુગીઝ શબ્દ ઉપરથી સમુદ્ર અને શેવાળ બંનેનું નામકરણ થયું.

બીજો સંદર્ભ છે હેલ્સિયન શાંતિ. ગ્રીક પુરાકથા અને ઓવિડના મેટામોર્ફોસિસ મુજબ હેલ્સિયન એટલે પૌરાણિક કલકલિયો (કિંગફીશર), જે શિયાળામાં અયનકાળ દરમિયાન સમુદ્રની સપાટી ઉપર માળો બાંધી બચ્ચાં મૂકે છે. પક્ષીની વિશેષ શક્તિના કારણે આ સમયગાળામાં હવા અને સમુદ્ર અસામાન્ય રીતે એકદમ શાંત-સ્થિર રહે છે. આજે હેલ્સિયન શાંતિ અને સ્થિરતાનું પ્રતીક ગણાય છે. કવિએ ઑસ્ટ્રેલિયાને અદ્વિતીય લેખાવવા માટે આ બંને અદ્વિતીય પ્રતીકોનું સાયુજ્ય રચ્યું છે. પશ્ચિમથી આવીને ઑસ્ટ્રેલિયામાં પોતાનો માળો બાંધનાર વિદેશીઓ ત્યાંની આદિમ જાતિ માટે ઘાતક પુરવાર થયા હતા, એનો સંદર્ભ પણ કવિએ સાથે સીવી લીધો છે.

હવે કથક ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે? ગ્રીસમાં અવેલ ડિલોસ ટાપુ એપોલોનું જન્મસ્થળ ગણાય છે. હકીકતમાં ખરા સૂર્યદેવ ટાઇટન હેલિઓસ છે, પણ મોટાભાગના લોકો એપોલોને જ સૂર્યદેવ ગણીને ચાલે છે. આપણા કવિ પણ આમાંથી બાકાત નથી. ભૌગોલોક દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયા ઊગતા સૂર્યના દેશ ગણાતા જાપાન કરતાંય વધુ પૂર્વમાં હોવાથી ઑસ્ટ્રેલિયાને સૂર્યદેવના વંશજોનો પ્રદેશ લેખાવે છે ત્યારે એમનો પોતાના દેશ પરત્વેનો પક્ષપાત અછતો રહેતો નથી.

વળી કથક પોતાના દેશને સવાલ કરે છે કે શું એ તેલથી ભરેલો અને કાપીને સરખી કરેલ વાટવાળો દીવો છે કે પછી દલદલી ખોજમાં જડેલા ભૂતના ભડકા? એક તરફ કવિ દેશના અક્ષુણ્ણ અને અખૂટ ખનીજ અને તેલના ભંડારની વાત કરીને દેશની આંતરિક સમૃદ્ધિ તરફ ઈશારો કરે છે, તો બીજી તરફ કળણ અને ભૂતના ભડકાની વાત કરીને ક્ષણભંગુર અને માયાવી ગુણવત્તા તરફ અંગૂલિનિર્દેશ કરી સર્જકની તટસ્થતાનું પ્રમાણ આપે છે. સુધારેલ વાટ સાથેનો દીવો અને તેલથી ભરેલ શબ્દપ્રયોગ ઑસ્ટ્રેલિયા સુસ્થિરતા, સુવ્યવસ્થા અને સુનિશ્ચિતતાનો દેશ હોવાનો સંકેત આપે છે. ‘ભૂતના ભડકા’ પ્રયોગ દેશની ભૌગોલિક વિલક્ષણતા પણ ઇંગિત કરે છે. દેશના દક્ષિણ ખૂણે આવેલ તાઝમાનિયા દક્ષિણ ધ્રુવીય આભા (સધર્ન લાઇટ કે અરૉરા ઑસ્ટ્રેલિસ) માટેનો વૈશ્વિક મંચ છે. કવિએ દળદળી ખોજ સાથે ‘વિલ-ઓ’-વિસ્પ’ શબ્દ પ્રયોગ કર્યો છે. કળણ યાને કે ભીનાશવાળા કાદવની સપાટી ઉપર જૈવિક સડાને પરિણામે ફોસ્ફેટ અને મિથેન જેવા કુદરતી વાયુઓ પેદા થાય છે, જેના ઑક્સિડેશનના કારણે કદ, રંગ અને આકારમાં સતત બદલાતી રહેતી સ્ફુરદીપ્ત (ફૉસ્ફોરેસન્ટ) પ્રકાશજ્વાળાઓ નજરે ચડે છે, જે અંધારી રાતે ભૂતિયા પ્રકાશ કે ભૂતના ભડકાનો ભાસ જન્માવે છે. પેરેડાઇઝ લોસ્ટ (પુસ્તક નવ)માં મિલ્ટને ‘વિલ-ઑ’-ધ-વિસ્પ’નો સ-રસ પ્રયોગ કર્યો છે. ઉજ્જ્વળ-ચમકીલા વચનના આકર્ષણથી ઇવ ફોસલાઈ-લોભાઈ ગઈ હતી, પણ મૃગજળ જેવું વચન કદી સાચું ન પડ્યું અને આખરે ઇવનું પતન થયું. દલદલ અને કીચડમાં જોવા મળતું ભૂરું-સફેદ વિલ-ઓ-ધ-વિસ્પ્સ રાત્રે ગંદકીની ઉપર મંડરાય છે અને સદૈવ પહોંચબહાર જતું પ્રતીત થાય છે. કાળક્રમે આ ભૂતના ભડકા અપ્રાપ્ય આભાસ, જૂઠાં સ્વપ્નો, મિથ્યા આશાઓ, ભોળી માન્યતાઓ અને વિધ્વંસક ખતરાના પર્યાયવાચી બની ગયા. હકીકતમાં એ કોઈ દુર્ભાવનાપૂર્ણ આત્માઓનું પ્રતિફળ નથી, પણ સાધારણ રાસાયણિક પ્રક્રિયા જ છે. કવિ દેશને સવાલ કરે છે કે શું એ ભૂલાવામાં નાંખનાર કે હાથતાળી દઈ છટકી જનાર મૃગજળિયો દેશ તો નથી ને?

વળી કવિ એના દેશને પૂછે છે કે શું એ ધનકુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર માત્ર છે કે તારા ચહેરા તળે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે? કાવ્ય લખાયું એ સમયે ઑસ્ટ્રેલિયાને દેશ જાહેર કરવા માટેની પ્રક્રિયા જોરમાં હતી. એટલે એ સમયે આખો દેશ દેશના ભવિષ્ય વિશે ચિંતિત હોય એ સ્વાભાવિક છે. કવિના આ સવાલો પણ જે-તે સમયના ઑસ્ટ્રેલિયા-સ્થિત બૌદ્ધિકોની દેશ વિશેની પ્રમુખ માન્યતાઓનું પ્રતિબિંબ જ છે. લોકોને ચિંતા હતી કે શું આ દેશ ભ્રષ્ટ અને અયોગ્ય રીતે અર્જિત ધનસંપત્તિનો દેશ બની રહેશે કે હજારો વર્ષ સુધી ચાલનારું સ્વર્ગ અહીં રચાશે? ૦૧/૦૧/૧૯૦૧ના રોજ કૉમનવેલ્થ ઑફ ઑસ્ટ્રેલિયાની સ્થાપનાર્થે સેન્ટેનિઅલ પાર્કમાં સાંઠ હજાર જેટલા લોકો એકત્ર થયાં હતાં. આ પ્રસંગના સંભારણારૂપે ફેડરેશન સ્ટૉનની ઉપર ચૌદ મીટર ઊંચો પ્લાસ્ટર ઑફ પેરિસનો ગુંબજદાર મંડપ બનાવાયો હતો, જે બે વરસમાં નાશ પામ્યો. આ મંડપ ૧૯૮૮માં ફરી બનાવાયો ત્યારે ગુંબજની નીચે બર્નાર્ડના આ સૉનેટમાંથી મોટા અક્ષરે ‘મેમન ઓર મિલેનિઅલ ઇડન’ પ્રશ્ન લખવામાં આવ્યો છે. આ પ્રશ્ન એ સમયના નવજાત દેશ વિશેની ફિકર અને અવઢવ બંને પ્રગટ કરે છે. બર્નાર્ડનું આ સૉનેટ ઑસ્ટ્રેલિયામાં સમૃદ્ધ ભવિષ્યની શોધમાં આવેલ ઇન્ગ્લેન્ડનું ઑસ્ટ્રેલિયા વિશેનું માનસચિત્ર રજૂ કરે છે એમ કહેવામાંય કંઈ ખોટું નથી. એક તરફ ઉજ્જ્વળ ભાવિની સુનિશ્ચિતતા દેખાતી હતી, તો બીજી તરફ છેતરામણી અનિશ્ચિતત્તાઓનો ડર પણ સતાવતો હતો. વસાહતીઓના આ માનચિત્રમાં નિવાસી આદિમજાતિના વિચારો કે અભિગમોનો સંપૂર્ણપણે છેદ ઊડાડવામાં આવ્યો છે.

સૉનેટના અષ્ટકમાં સવાલો અને શંકાઓની જે બૌછાર હતી એ ષટકમાં વિધાન-વાક્યો અને કંઈક અંશે સુનિશ્ચિત આશાઓ અને વિશ્વાસનું રૂપ ધારે છે. દુનિયા એ સમયે પણ ઘાતકી હતી અને મનુષ્યોના સ્વાર્થના પરિણામે અનેક પ્રજાતિઓ લુપ્તપ્રાય થવા આવી હતી. અન્યત્ર લુપ્ત થતી જતી પશુ-પક્ષીઓ અને જળચરોની પ્રજાતિઓ ઑસ્ટ્રેલિયામાં નિર્ભીક થઈ રમણે ચડે છે, પરિણામે ઑસ્ટ્રેલિયાના વનમાંથી અલૌકિક સંગીત-સૂરાવલિઓ જન્મે છે. એક રીતે કવિ ઑસ્ટ્રેલિયાને મહાદ્વિપીય સંગ્રહાલય, જ્યાં ભૂતકાળને વર્તમાનસ્વરૂપે સાચવી રાખવામાં આવ્યો હોય એ રીતે જોતા હોવાનુંય અનુમાની શકાય. આ પરિપ્રેક્ષ્યમાં આદિમ એબોરિજિનલ લોકો અહીં દૃષ્ટિગોચર થાય છે.

દેશની સ્થાપના થઈ એ સમયના હકારાત્મક શુકનો દેશના ઉજ્જવળ ભાવિ સાથે ભળી જઈને એવું પ્રતીત કરાવે છે, કે આજ જેટલી સરસ છે, આવતીકાલ પણ એટલી જ ગૌરવાન્વિત હશે. દેશના કપાળે ક્રોસ અને પગ પાસે કુંવારો- અછૂતો મદદગાર સમુદ્ર જાણે કે વાવવામાં આવ્યા છે. આ વાવણીમાંથી જે ઊગશે એ સર્વોત્તમ જ હશે એવી ભાવના શુકનિયાળ સંકેતોના ભવિષ્યકથન સાથેના સંમિશ્રણની વાતમાંથી પ્રગટે છે. આકાશ અને સમુદ્ર વચ્ચેનો વિશાળ વ્યાપ આ વાતને વળી અધોરેખિત કરે છે.

આજે લગભગ સવાસો વરસ પછી ખ્યાલ આવે છે કે સહસ્ત્રાબ્દિઓનું આયુષ્ય ભોગવનાર ઇડન-સ્વર્ગ ચહેરા તળેથી પ્રગટ જ થયું નથી, ધનકુબેરે દેશના જનમાનસ પર કબ્જો કરી લીધો છે, અન્યત્ર લુપ્ત થઈ ગયેલ જાતિઓ અહીં પણ નામશેષ થઈ રહી છે, માથા પરના અકાશમાં વિરાજમાન ક્રોસ ધૂમ્ર-ધુમ્મસ (સ્મૉગ)માં ગાયબ થઈ ગયો છે, અને બચેલ તેલના કૂવાઓ પર નજર કરીએ તો કુંવારા મદદગાર સમુદ્રના ભવિષ્યનો ખ્યાલ આવશે. સૂર્ય-દેવના વંશજ કદી જન્મ્યા જ નહીં.

બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. જી. એમ. હોપ્કિન્સ અને એલિયટની સમજવામાં અઘરી કવિતાઓ તરત યાદ આવે. બર્નાર્ડના આ સૉનેટનો સાંપ્રત સમયમાં ઘણા લોકોએ વિરોધ પણ કર્યો છે અને જે રીતે શેક્સપિઅર વગેરે અનેક સર્જકોનું તત્કાલિન સાહિત્ય આજના સરળ-સહજ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, એ રીતે બર્નાર્ડના સૉનેટનું સરળીકરણ કરી રજૂ કરવાની કોશિશ પણ લોકોએ કરી છે. જો કે સરવાળે આ પ્રયત્નો અને વિરોધ બિનપાયેદાર અને બિનઅસરદાર જણાય છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૨૩૯ : હત્યા – મહેમૂદ દરવીશ

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

હત્યા

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)


વિવેચન – પ્રાણપોષક કે પ્રાણઘાતક?

‘वाक्यम् रसात्मकम् काव्यम्।‘ (રસસભર વાક્ય કાવ્ય છે.) આઠસો-નવસો વર્ષ પૂર્વે સાહિત્યદર્પણમાં વિશ્વનાથે કવિતાની આ વિભાવના આપી હતી. વિશ્વભરમાં વિદ્વાનો પ્રારંભકાળથી લઈને આજદિનપર્યંત કવિતાને વ્યાખ્યાયિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. વ્યક્તિએ વ્યક્તિએ કવિતાની વ્યાખ્યા અલગ છે,પણ એક વાત સુનિશ્ચિત છે કે રસ એ કવિતાનો આત્મા છે. શબ્દ કવિતાનું ઉપાદાન છે અને શબ્દોને આપણે અર્થો આપ્યા છે, એટલે શબ્દોની બનેલી કવિતામાંથી અર્થનું અવગાહન કરીને આપણે સતત કાવ્યાર્થ સમજવાની કોશિશ કરતાં રહીએ છીએ. આની સામે એક બહુ મોટો વર્ગ એવો પણ છે જે અર્થની માયાજાળમાં પડવાના બદલે કેવળ કવિતાને અનુભવવાની હિમાયત કરે છે:

કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૌન હોવી જોઈએ.
કવિતા શબ્દહીન હોવી જોઈએ, જે રીતે પંખીઓની ઊડાન.
કવિતા સમયમાં સ્થિર, ઊંચે ચડતા ચંદ્ર પેઠે ગતિહીન હોવી જોઈએ.
કવિતાનો અર્થ નહીં પણ હોવું જરૂરી છે. (આર્ચિબાલ્ડ મેકલિશ)

મહેમૂદ દરવીશની આવી જ એક કવિતાની આજે આપણે વાત કરવી છે.

મહેમૂદ દરવીશ. પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય કવિ. ૧૩ માર્ચ, ૧૯૪૧ના રોજ જન્મ. છ વર્ષના હતા ત્યારે ઈઝરાઈલે એમના ગામને ધ્વસ્ત કરી નાંખ્યું હોવાથી લેબેનોન ભાગવું પડ્યું. થોડા સમય બાદ પાછલા બારણે પરત ફરીને વરસો પોતાના જ વતનમાં નિર્વાસિતોની જિંદગી ગાળી. જેલવાસ પણ ભોગવ્યો. ઓગણીસ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક. અભ્યાસ માટે ૧૯૭૦માં રશિયા ગયા અને ૧૯૭૩માં પેલેસ્ટાઇનની આઝાદીની ચળવળમાં જોડાયા. ઈઝરાઈલે પ્રવેશબંધી ફરમાવી. બે લગ્ન. બે છૂટાછેડા. ત્રીસ કાવ્યસંગ્રહ. આઠેક ગદ્યના પુસ્તકો. ૧૯૮૪ અને ૯૮માં બે હાર્ટસર્જરી બાદ ત્રીજી સર્જરીના ત્રણ દિવસ પછી ૦૯ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે નિધન. માતૃભૂમિ એમની કવિતાના કેન્દ્રસ્થાને રહ્યું. ઈઝરાઈલના વિરોધી અને પેલેસ્ટાઇનના સમર્થક પણ યહૂદીવિરોધી નહોતા. ઘણી કવિતાઓ વિવાદના વંટોળે ચડી હતી. પ્રતિકારના કવિ તરીકે જાણીતા. તેઓ કહેતા:

હું લોકોને નફરત નથી કરતો.
હું કોઈ પાસેથી ચોરી નથી કરતો.
તેમ છતાંય
જો હું ભૂખ્યો રહીશ
તો હું મારું સમસ્ત હડપી જનારનું માંસ ખાઈ લઈશ.
મારી ભૂખ અને મારા ક્રોધથી
સાવધાન રહેજો.
ગુજરાતી અનુવાદ મૂળ અરબ કવિતાના કેથરીન કોભમે કરેલ અંગ્રેજી અનુવાદ પરથી કરેલ હોવાથી કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે ટિપ્પણી સંભવ નથી. શરૂમાં અરેબિક કાવ્યશાસ્ત્રને વળગી રહી સિત્તેરના દાયકામાં દરવીશે મુક્તકાવ્ય તરફ ઉડ્ડયન કર્યું હોવાથી મૂળ રચના અછાંદસ હોવાનું માની શકાય. અનુવાદમાં ક્યાંય પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, અવતરણચિહ્ન અને વિસર્ગ વગેરે વિરામચિહ્નો યથોચિત વપરાયા છે. મૂળ રચનાના અભાવમાં આ બાબતેય મૌન જ ઉચિત જણાય છે. અનિયત પંક્તિલંબાઈવાળા નાના-મોટા બે ભાગમાં કવિતાને વહેંચી નાંખવામાં આવી છે. કુતૂહલ જન્માવે એવું શીર્ષક બાંધ્યા બાદ ઘણીવાર કવિ કાવ્ય પતવા આવે ત્યાં સુધી રહસ્ય અને ભાવકનો રસ -ઉભયને જાળવી રાખે એવી કાવ્યપ્રયુક્તિ સામાન્યતઃ જોવા મળે છે, પણ એથી વિપરીત, અહીં શીર્ષક વડે ભાવકનું ધ્યાન સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ કવિ પહેલી પંક્તિમાં જ રહસ્યોદ્ઘાટન કરી નાંખે છે કે ‘હત્યા’ કોની છે. જરા અનૂઠી પણ કદાચ વધુ પ્રભાવક કાવ્યરીતિ આને ગણી શકાય, કારણ કે કવિએ આ ‘હત્યા’ને કઈ રીતે અંજામ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી આપણને જકડી રાખે છે.

‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ના એકરાર સાથે કથક કાવ્યારંભ કરે છે. ‘વિવેચકો મને મારી નાંખે છે’ કે ‘વિવેચકો મને કાયમ મારી નાંખે છે’ કહેવાના બદલે ‘ક્યારેક’ શબ્દપ્રયોગ કરીને કવિ વિવેચકોની હત્યા કરવાના પાપમાંથી બચી ગયા છે એ નોંધનીય છે. વિવેચકોની સામે સર્જકોની આ ફરિયાદ કાયમી છે. કારણ કે મોટાભાગના વિવેચકો કવિતાના સુનિશ્ચિત સ્વરૂપ કે રૂપકોના ખ્યાલથી પૂર્વગ્રસિત હોવાથી અલગ કે નવીનને સ્વીકારવામાં તેઓને બહુ તકલીફ પડે છે. વિવેચકોની આ મથરાવટી પાછળ આપણી શિક્ષણવ્યવસ્થાનો જો કે મોટો ફાળો છે. કવિતા સાથે આપણો પરિચય તો ગળથૂથીથી જ થાય છે. માના દૂધની સાથોસાથ જ બાળક જોડકણાં-હાલરડાં-ગીતો ધાવીને મોટું થાય છે. એને કોઈ ગીતોના અર્થ સમજાવતું નથી, અને એય કાને પડે છે એનો નિર્ભેળ આનંદ જ લે છે. પણ શાળા નામનું પ્રસૂતિગૃહ પગ મૂકતાવેંત બાળકમાં વિવેચક જન્માવે છે. પદ્ય હોય કે ગદ્ય, શિક્ષણનો એકમેવ હેતુ સારગ્રહણ જ હોય છે. શાળાના અભ્યાસક્રમનું અવિનાભાવી ઘટકતત્ત્વ તે કોઈપણ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર અથવા સર્જક શું કહેવા માંગે છે એની સમજૂતી જ છે. કવિતાનો વિશુદ્ધ આનંદ માણતાં શીખેલ શિશુ વિદ્યાર્થી બનતાં જ હેત્વાર્થ શોધવાના ગદ્ધાવૈતરામાં જોતરાઈ જાય છે. કળા ખાતર કળા (l’art pour l’art – art for art’s sake)ના સિદ્ધાંતથી માહિતગાર થવાય ત્યાં સુધીમાં તો કવિતાને તોલી-જોખીને માણવાના મનાંકનો ઘર કરી ગયાં હોય છે.

વિવેચન જો કે જેટલું બિનજરૂરી છે એટલું જ જરૂરી પણ છે. વિવેચન ક્યારેક કવિતાની હત્યા કરે છે તો ક્યારેક કવિતામાં છૂપાયેલ અને ધ્યાનબહાર રહી જતી વિશિષ્ટતાઓ ઉપસાવીને ભાવકના કાવ્યાનંદને અનેકગણો કરવામાં સહાયક પણ બને છે. ચર્ચિલે કહ્યું હતું: ‘શક્ય છે કે આલોચના સ્વીકાર્ય ન હોય, પણ એ આવશ્યક છે. જે કામ માનવશરીરમાં પીડા કરે છે એ જ કામ એ કરે છે; એ વસ્તુના અસ્વાસ્થ્યકર વિકાસ તરફ ધ્યાન દોરે છે. સમયસર ધ્યાન આપવામાં આવે તો ખતરો ટાળી શકાય છે; પણ દુર્લક્ષ સેવવામાં આવે તો તો જાનલેવા વ્યાધિ વિકસી શકે છે.’

વિવેચના એ મનુષ્યસ્વભાવનું અંતર્નિહિત તત્વ છે. પ્રસંશા કે ટીકાના બે શબ્દો આપણે ઉચ્ચરીએ એય વિવેચન જ છે ને! કેવળ ગુણદર્શન કરાવવું કે કેવળ દોષ તારવવાને વિવેચન ન કહેવાય. સાચું વિવેચન રચના અને રચનાકાર પરત્વેના રાગદ્વેષથી પ્રેરિત થયા વિના રચનાના ગુણ-દોષનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે એ છે. કવિતા લખાવી શરૂ થઈ એ જ દિવસથી વિવેચનની પણ શરૂઆત થઈ હશે. ચોવીસસો-પચ્ચીસસો વર્ષ પૂર્વે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ વગેરેને આલોચનના પ્રણેતા કહી શકાય. એરિસ્ટોટલે તો ‘પોએટિક્સ’ લખીને વિવેચનને શાસ્ત્રનો દરજ્જો આપ્યો હતો. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ઈ.પૂ. બીજી સદીમાં ભરતથી લઈને સત્તરમી સદીમાં જગન્નાથ સુધી કાવ્યની વિભાવના, હેતુ અને આત્મા બાબતે નોંધપાત્ર વિચારણા થતી આવી છે. ગુજરાતીમાં નર્મદે ‘ટીકા’ અને ‘ટીકાવિદ્યા’ સંજ્ઞા પ્રયોજી સાહિત્ય-સમાલોચનાના શ્રીગણેશ કર્યા હતા. Criticism ના પર્યાયરૂપ ‘વિવેચન’ શબ્દ નવલરામ પંડ્યાએ આપ્યો.

ચોક્કસ પ્રકારની કવિતા અને ચોક્કસ પ્રકારના રૂપકો ઇચ્છતા ટીકાકારો ક્યારેક પોતાની હત્યા કરતાં હોવાના અરોપ સાથે કવિએ કાવ્યારંભ કર્યો છે. અને કવિ જો મુખ્ય માર્ગે ચાલવાના બદલે આડમાર્ગ પર ભટકતા નજરે ચડે તો આ આલોચકો કવિએ રસ્તા સાથે દગો કર્યો હોવાના આરોપ એના પર મૂકે છે. એક જમાનામાં ગઝલનો અર્થ પ્રેયસી સાથેની ગુફ્તેગૂ એમ થતો હતો, અને ગઝલમાં પ્રિયતમા-સાકી-સુરા અને બુલબુલની ભરમાર રહેતી હતી. પણ આજની ગઝલ સર્વસમાવિષ્ટા કે સર્વગ્રાહી બની છે. ભાષા હોય કે રૂપક, વિષય હોય કે અભિવ્યક્તિ –આજની ગઝલમાં તમામનો સ્વીકાર છે, પણ એક સમયે સૉનેટભક્તિ એવી તો ચરમસીમાએ હતી કે સૉનેટ ન લખનારનો કવિ તરીકે સ્વીકાર પણ નહોતો થતો. સૉનેટના જમાનામાં જે કવિઓએ ગઝલ લખવી શરૂ કરી હતી, એમના પર દાયકાઓ સુધી પસ્તાળ પાડવામાં આવી હતી અને ક્યાંય સુધી ગઝલને કવિતાનો દરજ્જો આપવામાં કહેવાતા સાહિત્યસ્વામીઓને મોટો વાંધો હતો. ગઝલને ઉતરતો કાવ્યપ્રકાર ગણી અછૂત-વ્યવ્હાર પણ કરાતો. ટૂંકમાં, સમીક્ષકોએ ગણી લીધેલા ધોરીમાર્ગથી હટીને અલગ ચીલો ચાતરવાની કોશિશને વિવેચકો મુખ્યધારા સાથેનો દ્રોહ જ ગણવાના.

તમે જો કોઈ તુચ્છ વસ્તુમાંથી સત્ત્વ શોધી નાંખશો તો એમાં છિદ્રાન્વેષીઓ સાહિત્યમાં સ્થપાયેલ સ્થિરતા-જડત્વનો ત્યાગ કર્યો હોવાનું જોશે. ગુલાબી રંગનું ગુલાબ જોવા ટેવાયેલી નજરોને જો તમે વસંત ઋતુમાં પીળું ગુલાબ દેખાડશો તો એમાં તેઓ માતૃભૂમિના લોહીના લાલ રંગની ઉણપ શોધશે. અને પારંપારિક ભાષાથી જરા અળગા હટીને યદિ આપ કંઈક નવું- કંઈક સંકુલ- કંઈક આધિભૌતિક રૂપક કે વાત લઈને સામે આવશો તો તેઓ ચમચો નાંખીને સૂપ હલાવીએ એમ અર્થને હલાવવાની, અર્થ તારવવાની કોશિશ કરશે. આનાથી વિપરીત અગર આપ કાન સીધો પકડશો, તો તેઓ માથા પાછળ હાથ લઈ જઈને અવળેથી પકડવાની પદ્ધતિની હિમાકત કરશે. ઉદાહરણ તરીકે જો તમે એમ ગણગણશો કે મા એ આખરે મા છે. જ્યારે એ પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એ લાકડીની જેમ જ કરમાઈને સૂકાઈ જાય છે, ત્યારે સૂર્ય પૂર્વમાં ઊગવા સમી સ્ફટિકસ્પષ્ટ વાતને તેઓ તિર્યક નજરે જોશે અને કહેશે કે ના, મા તો ખુશીથી ઝૂમી રહી છે, બાળકની અંતિમક્રિયામાં નાચી રહી છે, કારણ કે એના માટે તો પુત્રની અંતિમવિધિ પણ લગ્નવિધિ જ છે. મતલબ, તમે કંઈ પણ કરશો, વાંકદેખા ટીકાકારો તો વાંક જ કાઢવાના. ‘અન્યોની આલોચના કરનાર ઘણીવાર જેઓ પોતાનામાં શી ઉણપ છે એ જ પ્રગટ કરતાં હોય છે.’ (શેનન એલ. આલ્ડર)

મેઘાણીએ કહ્યું કે, ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ કવિતામાં પણ જે લોકો અણદીઠેલી ભોમકા તરફ મીટ માંડે છે એ જ સાચા અર્થમાં યુવાન છે, એને જ નવ્યકવિ કહી શકાય. પણ સમાલોચકોને તો ત્યાંય વાંધો પડવાનો. જો તમે નહીં જોવાયેલ-જોયેલ જોવા માટે આકાશ તરફ ઊંચે મીટ માંડશો તો તરત જ તેઓ કવિતા પોતાના મૂળ ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે કહીને તમને વખોડશે. એમની પરિભાષામાં સારો અને સાચો કવિ એ જ જે એમણે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓમાં જ શબ્દ ગોઠવે. દાયકાઓથી કેળવાયેલી એકવિધ રસરૂચિ કે મર્યાદિત સમજને વશવર્તીને રચના કરે એ જ કવિ ગણાય. બહુધા વિવેચન એ ઘોડાની આંખ પર પહેરાવેલા ડાબલાં બનીને રહી જતું હોય છે, જે ઘોડાની દૃષ્ટિને સતત મર્યાદિત રાખે છે. આંખે ડાબલાં બાંધેલ ઘોડાની જેમ કવિને એક લીટીમાં ગતિ કરવાની ફરજ પાડે એનું જ બીજું નામ વિવેચન.

સારો કવિ પોતે જે કહેવા ઇચ્છે છે એ વાતને અધોરેખિત કરવા માટે પુનરોક્તિનો સહારો લે છે. અહીં કવિ ‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ વાક્યનો પુનરોચ્ચાર કરે છે. વિવેચકો સારા સારા કવિઓની કારકિર્દીનો ભોગ લેવામાં નિમિત્ત બનતા હોય છે એ કડવી હકીકત કહેવા માટે પુનર્કથનરીતિનું હથિયાર આખી કવિતામાં એક જ વાર વપરાયું હોવાથી વધુ અસરદાર બન્યું છે.

કાવ્યાંતે કવિ એક સુખદ હકીકત તરફ અંગૂલિનિર્દેશ કરે છે. તેજસ્વી કવિની કારકિર્દીનું ગળું રૂંધી નાંખતા વિવેચકો રુગ્ણ માનસિકતા અને સંકુચિત નજરની મર્યાદાને લઈને કવિને જે રીતે વાંચવો જોઈએ એ રીતે વાંચવામાં વિફળ રહેતા હોય છે, પરિણામે ખરો કવિ અને ખરી કવિતા એમના વાંચનના અત્યાચારમાંથી છટકી જાય છે. કવિ વિવેચકોની આ ગેરસમજણ અથવા સમજણના અભાવ બદલ એમનો આભાર માનીને નવી કવિતાની શોધમાં પરોવાઈ જાય છે. આખી કવિતામાં આ ભાગ સૌથી અગત્યનો છે. વિવેચનના આગ્રહી સર્જકો પણ બહુધા અંદરખાને તો વખાણ જ ઇચ્છતા હોય છે. અને એટલે જ વિવેચકો એમના સર્જન ઉપર હાવી થવામાં સફળ થતા હોય છે. સાચો કવિ તો સદૈવ આલોચનાથી પર જ હોવાનો. આલોચકોની સાચી કવિતા વાંચી ન શકવાની નબળાઈને જ તેઓ પોતાની તાકાત બનાવે છે. અને સાચી કાવ્યસાધનામાં જ રત રહે છે. જે કવિ વિવેચન-(અ)વિવેકના નીરક્ષીર પારખી શકે છે એ જ નવી કવિતાને શોધી શકે છે.

અંતે, ફેડી જુડાએ કરેલ અંગ્રેજી અનુવાદના આધારે દરવીશની જ ‘યુવા કવિને’ રચનાના કાવ્યાંશ માણીએ:

અમારી રૂપરેખાઓ પર વિશ્વાસ ન કરશો, ભૂલી જાવ એને
અને તમારા પોતીકા શબ્દોથી શરૂઆત કરો.
જાણે કે તમે પ્રથમ વ્યક્તિ હો કવિતા કરનાર અથવા તો અંતિમ કવિ.

જો આપ અમારા કામને વાંચો, તો અમારી શેખીઓનો વિસ્તાર કરવાને નહીં,
પરંતુ પીડાના પુસ્તકમાં
અમારી ભૂલોને સુધારવા માટે વાંચજો.

કોઈનેય પૂછશો નહીં: હું કોણ છું?
તમે જાણો જ છો કે તમારી મા કોણ છે.
જ્યાં સુધી બાપનો સવાલ છે, ખુદના બાપ ખુદ બનો.
..
ફંટાવ, તમારી પૂરી તાકાતથી, નિયમથી ફંટાવ.

પ્યારમાં કોઈ સલાહ ન હોય. એ અનુભવ છે.
કવિતામાં કોઈ સલાહ ન હોય. એ પ્રતિભા છે.

દીપ જલે જો ભીતર સાજન – દેવિકા ધ્રુવ

ગીત : દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.

મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,
ઝગમગ દીપ સુહાવન.

ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર,
અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન;
અભિનંદન, અભિનંદન.
– દેવિકા ધ્રુવ

ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

લખ રે જોજન કેરા – અવિનાશ વ્યાસ

આ સુંદર માતાજીની

ગીત સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

લખ રે જોજન કેરા આકાશી ગોખલે,
માડી તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે;
માડી તારો દીવડો જલે.

ઝૂલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી તેજની બિછાત;
કોણ રે કળ્યું એ કળે,
માડી તારો દીવડો જલે.

નીલાંબરી અંબર તારાઓના ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર;
જગનાં તિમિર તો ટળે,
માડી તારો દીવડો જલે.

વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી દઈ ઘૂમે રંગમાં રાસેશ્વરી;
ભક્તોની ભક્તિ ફળે.
– અવિનાશ વ્યાસ

નલિની માડગાંવકર (૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨) ~ ખુદના દીવાના તેજે હવે મારે આકાશ જોવું છે (શ્રદ્ધાંજલિ) ~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર
(૫.૪.૧૯૪૨ – ૬.૯.૨૦૨૨)
નિવૃત્ત પ્રાધ્યાપિકા (SNDT), કવયિત્રી, અનુવાદક, રવીન્દ્ર સંગીત શિક્ષિકા

નલિનીબેન સાથેના સંસ્મરણો
~ જયશ્રી વિનુ મરચંટ

નલિનીબેન માડગાંવકર, મુંબઈના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં એક એવું નામ, કે જેને એકવાર કોઈ મળે એ એમનાં મેગ્નેટીક વ્યક્તિત્વના દાયરામાં આપમેળે ખેંચાઈને આવ્યા વિના રહે નહીં. એમની સાલસતા પણ એવી કે જે આવે એને દિલથી આવકારે. એમની સાથે કોઈનેય પરાયાપણું પણ ન લાગે. એટલું જ નહીં, એમની વિદ્વતાનો ભાર એમના વ્યક્તિત્વમાં તો જરાયે ન મળે.

એમને મળનારાઓમાંથી કોઈને પણ એમનાં જ્ઞાનની આભામાં આવરી લેવાનો જરાપણ એમને ધખારો નહીં. ઊલટાનું સામેવાળાને તલભરનુંય વાતચીતમાં ઓછાપણું ન લાગે એનું ધ્યાન સામેથી રાખે!

૧૯૭૮માં ‘કિન્નરી’ નામની સંસ્થા આદરણીય તારિણીબેન દેસાઈ એ સમયે ચલાવતાં હતાં. આ સંસ્થાએ ગુજરાતી વાર્તા હરિફાઈ યોજી હતી. ૨૨મી સપ્ટેમ્બર ૧૯૭૮ને દિવસે એનું પરિણામ જાહેર કરવાના હતાં જેનો સમારંભ ભૂલાભાઈ મેમોરિયલ હોલમાં યોજવામાં આવ્યો હતો.

મારી વાર્તાને ત્રીજું ઈનામ મળ્યું હતું. બીજું ઈનામ આદરણીય જયાબેન મહેતાને અને પહેલું ઈનામ આદરણીય નલિનીબેન માડગાંવકરને મળ્યું હતું.

ખીચોખીચ ભરેલા હોલમાં, પહેલાં મેં મારી વાર્તા “સુખની શોધમાં” વાંચી. પછી જયાબેને એમની અને છેલ્લે નલિનીબેનનો પ્રથમ ઈનામ પ્રાપ્ત વાર્તા વાંચવાનો વારો આવ્યો.

ત્યારે તેમણે ઊભાં થઈને વાર્તા વાંચતાં પહેલાં કહ્યું, “ભલે મારી વાર્તાને પહેલું ઈનામ મળ્યું છે પણ નવોદિત લેખિકા જયશ્રી મરચંટની વાર્તા સાચા અર્થમાં પહેલા ઈનામની હકદાર છે. હું મારી વાર્તા વાંચું એ પ્રથમ એમને મારા હાર્દિક અભિનંદન આપું છું. આશા છે તેમની કલમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં સતત ફાળો આપતી રહેશે.”

એમનાં શબ્દોની સચ્ચાઈ, સ્વભાવની સાલસતા અને નિખાલસ સ્મિત આજે પણ એટલાં જ મારા મનમાં તરોતાજાં મોગરાંના ફૂલો સમાં મહેકી રહ્યાં છે. સાવ નવી લેખિકાની પહેલી વાર્તા અને સાવ અજાણ્યું નામ, કોણ આ રીતે આટાઅટલાં લોકો વચ્ચે બિરદાવે? પણ એ જ તો નલિનીબેન હતાં!

પોતાની સાથે અન્યને પણ ઊંચા ઊઠાવવા માટે હાથ લંબાવવાનું જિગર જોઈએ અને આ જિગર માટે અંતરની સલામતી અને વિશ્વાસની આવશ્યકતા છે. નલિનીબેનના અભ્યાસ અને વિદ્વતાએ એમને સલામતી અને આત્મવિશ્વાસની મિરાત આપી હતી આથી જ તો કોઈ પણ છોછ વિના તેઓ સહજતાથી કહી શક્યાં.

૧૯૭૮, ઓક્ટોબરમાં અમે અમેરિકા આવી ગયાં. દર બે વર્ષે એકવાર તો ભારત જવાનું થતું જ. આદરણીય પન્નાબેન નાયકના ઘરે હ્રદયસ્થ સુરેશભાઈ દલાલ સાથે વ્યક્તિગત રીતે પરિચય થયો.

સુરેશભાઈને મળવા હું જ્યારે પણ એમની એસ.એન.ડી.ટી. ની ઓફિસે જતી ત્યારે અચૂક નલિનીબેન મળતાં. ચારેક વાર કેન્ટીનમાં તો બે-એક વાર અમે ચર્ચગેટ પર “રેશમભવન”માં ચા-કોફી માટે મળ્યાં છીએ.

હું મેડિકલ સાયન્સના વિષયો ભણી હતી અને અમેરિકામાં એ જ ક્ષેત્રમાં કામ કરતી હતી. મારું અન્ય ભારતીય ભાષાના સાહિત્યનું જ્ઞાન તો નહિવત્ પણ તેઓ પાસેથી બંગાળી લેખકોના પુસ્તકો અને મને યાદ આવે છે ત્યાં સુધી ઓરિસ્સાના લેખકોના પુસ્તકો વિષે ઘણું જાણવા મળતું. તેઓ એટલી વિશદતા અને તલ્લીનતાથી બોલતાં હોય ત્યારે મને એમ જ થતું કે આ સમય પૂરો જ ન થાય તો કેવું સારું?

અમેરિકાના વસવાટના પ્રારંભના દસ વર્ષો મારે માટે બહુ તકલીફો ભર્યાં હતાં. તેઓ કાયમ મારી વાત પ્રેમપૂર્વક પૂછતાં, સાંભળતાં અને હંમેશાં આત્મીયતાથી મારો હાથ પકડીને કહેતાં કે “પોતા પર ભરોસો રાખજે. રસ્તા જાતે જ નીકળશે, બસ, અટકી નહીં પડતી. એક દિવસ બધું જ સરખું થઈ જશે.”

કોઈ લાંબુ શરમન કે ઉપદેશ નહીં કે કોઈ સલાહ-સૂચનો નહિ. કોઈ જાતનું જજમેન્ટ નહિ. માત્ર એક માણસાઈથી છલકાતો સ્પર્શ જે કદાચ હજારો શબ્દોથી પણ વધુ અસરકારક હતો.

ધીરેધીરે મારું ભારત જવાનું ઓછું થતું ગયું. એમણે કહ્યું હતું એમ, વિપરીત પરિસ્થિતિઓમાંથી રસ્તાઓ નીકળતાં ગયાં. તો બીજી બાજુ, કામકાજ અને કુટુંબની જવાબદારીઓ વધતાં ભારતનો સંપર્ક છૂટતો ગયો, ઓછો થતો ગયો. નલિનીબેનને યાદ કરીને ક્યારેક પત્ર લખતી તો વેળાસર એમનો જવાબ અવશ્ય આવતો, પછી ભલે હું સમયસર વળતો જવાબ લખું કે ન લખું!

અનેક વર્ષો પછી, એમની સાથે સંપર્ક ફરી સ્થાપિત અનાયસે થયો. ૨૦૧૭, ડિસેમ્બરની ૨૨ તારીખે મારા બે કાવ્યસંગ્રહોનું વિમોચન ઈમેજ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું હતું. એમાંથી “લીલોછમ ટહુકો” કાવ્યસંગ્રહની પ્રસ્તાવના માટે કવિશ્રી હિતેન આનંદપરાએ જ્યારે નલિનીબેનના નામનો પ્રસ્તાવ મૂક્યો તો મારા આનંદનો પાર ન રહ્યો.

એમની તબિયત ત્યારે પણ બહુ સ્વસ્થ નહોતી છતાં બધાં કાવ્યોનો ઝીણવટથી અભ્યાસ કરીને ખૂબ સરસ “ઓબ્જેક્ટિવ” પ્રસ્તાવના લખી આપી. અને જ્યાં જરૂર હતી ત્યાં ટપારી પણ ખરી.

વિમોચનના દિવસે જ્યારે મને મળ્યાં ત્યારે ખૂબ રાજી થઈને કહ્યું, “તું લખતી રહેજે. લખવાનું છોડતી નહિ. વાર્તાઓ હજી લખે છે કે નહિ? અને હા, અનુવાદો પણ કરજે.”

વિમોચન પ્રસંગે નલિનીબેન, ખલીલ ધનતેજવી, ઉત્પલ ભાયાણી, હિતેન અને મુકેશ

અનુવાદ કરવાની વાત સાંભળીને મને સુરેશભાઈની યાદ આવી ગઈ. સુરેશભાઈ કાયમ કહેતાં કે ગુજરાતી ભાષા અનુવાદના સાહિત્ય પ્રકારને વિકસાવવામાં ખૂબ પછાત અને ગરીબ છે. આટલાં બધાં વર્ષો પછી પણ નલિનીબેનને આ બધું યાદ હતું એ મારે માટે બહુ મોટી વાત હતી.

નલિનીબેન, તમે મારા જેવા કેટલાય નવશિખીયાઓને અને વિદ્યાર્થીઓને ઊભા કરવામાં યોગદાન આપ્યું હશે એ વિષે તમે ક્યારેય ન ક્યાંય લખ્યું, ન બોલ્યાં કે ન કોઈ ક્રેડિટ લીધી. તમારી કોલમ, કવિતા અને સાહિત્યની સેવા આજીવન તમે કરતાં રહ્યાં, એક સાચા કર્મયોગીની જેમ.

૨૦૧૭ ડિસેમ્બર પછી વચ્ચે વચ્ચે આપણે ફોન પર વાતો કરતાં. છેલ્લે ઘણાં સમય પહેલાં વાત થઈ ત્યારે તમે ખૂબ વ્હાલથી કહ્યું હતું કે “લીલોછમ ટહુકો”માં જે કન્યાવિદાયનું કાવ્ય છે તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. એમાંથી સરસ ગીત લખી શકાય.”


નલિનીબેનના હસ્તાક્ષરમાં પ્રસ્તાવવાનું એક પાનું
ત્યારે ક્યાં ખબર હતી કે તમે આમ ચિરવિદાય લઈને કાયમની ‘એક્ઝીટ’ લઈ લેશો?

હું મુંબઈમાં સ્થાયી નથી આથી મારી ધારણાં કદાચ ખોટી પણ હોય છતાં મને એવું લાગે છે કે નલીનીબેને સાહિત્ય માટે ખૂબ કામ કર્યું પણ પોતાની ફૂટપ્રિન્ટ તો બહુ જ આછી રાખી. ગુજરાતી ભાષાનું કંઈક અંશે આ કમભાગ્ય પણ છે કે, આવા “Low Foot Print” વાળા ધરખમ કામ કરી જનારાઓની નોંધ જોઈએ એટલી લેવાતી નથી. પણ આશા રાખીએ કે નલિનીબેનનું સુંદર અને બેનમૂન કામ અને એમની બહુમુખી પ્રતિભા એમને સાહિત્યના આસમાનમાં સપ્તર્ષિ સમ કાયમ ચમકતાં રાખે.

નલિનીબેન, હવે જ્યારે પણ ભારત આવીશ ત્યારે તમારી ખોટ વર્તાશે. ૨૦૧૭ ડિસેમ્બર પછી હું આવી નથી શકી અને હવે આવીશ ત્યારે તમારી કમી હશે, તમે નહીં હો. તમને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

~ જયશ્રી વિનુ મરચંટ (અમેરિકા)