કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે – અનિલ ચાવડા

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.

હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કંઈ થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે?

છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઊગે.

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે.

‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઊગે.

– અનિલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *