Category Archives: મધુશાલા

मधुशाला 7 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 7

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला !
‘दूर अभी है’, पर, कहता है हर पल बतलाने वाला;
हिम्मत है न बढूँ आगे को साहस है न फिरूँ पीछे;
किंकर्तव्यमूढ़ मुझे कर दूर खड़ी है मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 7

જીવન હાય વિતાવી દીધું જગને મારગ જાવામાં !
‘હજી દૂર છે’ એમ કહે છે મુજને સૌ કહેવાવાળા;
હામ નથી કંઈ આગળ જાવા જોમ નથી પાછા ફરવા;
સાવ કરીને વિમૂઢ મુજને, દૂર ઊભી છે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला 5 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 5

मधुर भावनाओं की सुमधुर नित्य बनाता हूँ हाला,
भरता हूँ इस मधु से अपने अंतर का प्यासा प्याला;
उठा कल्पना के हाथों से स्वयं उसे पी जाता हूँ;
अपने ही में हूँ मैं साकी, पीनेवाला मधुशाला |

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 5

મધુર ભાવનાઓની સુમધુર રોજ બનાવું છું મદિરા,
જે મદિરાથી ભરતો મારા અંતરના તરસ્યા પ્યાલા;
હાથ કલ્પના વડે ઉપાડી ખુદ એને પી જાઉં છું;
હું પોતે પીનારો, સાકી, ને હું પોતે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 4 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 4

भावुकता अंगूर लता से खींच कल्पना की हाला,
कवि साकी बनकर आया है भरकर कविता का प्याला;
कभी न कण भर खाली होगा, लाख पिएँ, दो लाख पिएँ।
पाठक गण हैं पीनेवाले, पुस्तक मेरी मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 4

ભાવુકતાની દ્રાક્ષવેલથી ગાળી ઊર્મિની મદિરા,
થઈ સાકી શાયર આવ્યો છે ભરી કવિતાના પ્યાલા;
બુંદ એક ના થાશે ઓછું, લાખ પીએ બે લાખ પીએ!
ભાવકગણ છે પીવાવાળો, પુસ્તક મારું મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 3 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 3

प्रियतम, तू मेरी हाला है, मैं तेरा प्यासा प्याला,
अपने को को मुझमें भरकर तू बनता है पीनेवाला;
मैं तुझको छक छलका करता, मस्त मुझे पी तू होता;
एक दूसरे को हम दोनों आज परस्पर मधुशाला।

डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 3

હું તારો તરસ્યો પ્યાલો ને પ્રીતમ તું મારી મદિરા,
તને ભરી દે તું મારામાં, થઈ જઈએ પીવાવાળા;
તુજને હું છલકાવી દેતો, મસ્ત મને પી તું થાતી
એકબીજા માટે હું ને તું આજ પરસ્પર મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला 2 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 2

प्यास तुझे तो, विश्व तपाकर पूर्ण निकालूँगा हाला,
एक पाँव से साक़ी बनकर साक़ी बनकर नाचूँगा लेकर प्याला;
जीवन की मधुता तो तेरे ऊपर कबका वार चुका
आज निछावर कर दूँगा मैं तुझ पर जग की मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

તરસ તને તો જગત તપાવી અઢળક હું ગાળીશ મદિરા,
થઈ સાકી બસ એક ચરણ ૫૨ નાચીશ હું લઈને પ્યાલા;
જીવનની મધુરપ તારા ૫૨ યુગયુગથી કુરબાન કરી
આજ કરી દઉં હું ન્યોછાવ૨ તુજ ૫૨ જગની મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી (ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન)

મધુશાલા – મહાકવિ હરિવંશરાય બચ્ચન. ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હરિવંશરાય બચ્ચનની આ અમર કૃતિ એમને ભારતના સાહિત્યના સમોચ્ચ શિખરે સ્થાન અપાવી ગઈ. અનેક ભાષાઓમાં અનુવાદ થયા પછી 2006માં ડૉ. જગદીશ ત્રિવેદીએ ગુજરાતીમાં અનુવાદ કરવાનું શરુ કર્યું અને આપણને મળી એક વિશ્વપ્રસિદ્ધ કૃતિનું ગુજરાતી સ્વરૂપ!

આજથી ટહુકો પર દર અઠવાડીએ મધુશાલાની એક રુબાઈ આપ સમક્ષ રજૂ થશે.
આશા છે આપ સૌ આ મદમાતી ‘સફર-એ-મધુશાલા’ માં અમારી સાથે રહેશો!

मधुशाला – 1

मृदु भावों के अंगूरों की आज बना लाया हाला,
प्रियतम, अपने ही हाथों से आज पिलाऊँगा प्याला;
पहले भोग लगा लूँ तुझको फिर प्रसाद जग पाएगा;
सबसे पहले तेरा स्वागत करती मेरी मधुशाला ।

डॉ. हरिवंशराय बच्चन

મૃદુભાવોની દ્રાક્ષોમાંથી આજ બનાવી છે મદિરા,
પ્રીતમ તુજને નિજ હાથોથી પિવાડું આજે પ્યાલા;
પહેલાં ભોગ ધરાવું તુજને જગ પામે પરસાદ પછી;
પરથમ પહેલું સ્વાગત તારું કરતી મારી મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

ગુજરાતના ઊંચા ગજાના કવિ ભગવતીકુમાર શર્મા આ ભાવાનુવાદને ‘મધુશાલાનો સફળ સમશ્લોકી અનુવાદ’ કહે છે. પુસ્તકની પ્રસ્તાવના આપતા એ કહે છે કે :
“મધુશાલાનો સફળ ગુજરાતી સમશ્લોકી અનુવાદ સન ૧૯૫૦ની આસપાસ મેં સાહિત્યક્ષેત્રે પ્રવેશ કર્યો. મારી વાચનભૂખ તો એ પહેલાંની હતી. જે હાથમાં આવે તે આંખ નીચેથી પસાર થઈ જતું. એ સમયગાળામાં ‘ચેત મછંદર’ સાપ્તાહિક ખાસ્સું લોકપ્રિય હતું. એમાં પ્રગટ થતી દેવશંકર મહેતાની વાર્તાઓએ અન્યોની જેમ મારું પણ ધ્યાન ખેંચ્યું હતું. એ વાર્તાઓમાં સૌરાષ્ટ્રની હિંગી ધરાની અસ્સલ સોડમ અનુભવાતી. એને તો દાયકાઓ વીતી ગયા. દેવશંકર મહેતાનું નામ પણ મારા માનસપટ પરથી વીસરાઈ ગયું, પણ સાડાપાંચ દાયકે એ પુનઃ તાજું થયું, એક ટેલીફોનિક સંવાદથી. એ ફોન-કૉલ હતો સુરેન્દ્રનગરથી અને અવાજ હતો દેશ-વિદેશમાં વિખ્યાત હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો. દેવશંકર મહેતાના તેઓ દૌહિત્ર થાય. આ દૌહિત્રે તેમના નાનાજીનું સુયોગ્ય તર્પણ કર્યું છે, જગદીશ ત્રિવેદીએ દેવશંકર મહેતાના સાહિત્ય પર પીએચ.ડી. કરીને ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. જગદીશભાઈ ગુજરાતી વાચકોમાં મુખ્યત્વે તો તેમનાં નાટકો અને હાસ્યસાહિત્યથી પરિચિત છે. આ બે સાહિત્ય-સ્વરૂપોનાં કુલ પચીસ જેટલાં પુસ્તકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે. દિગ્ગજ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડના શિષ્ય જગદીશ ત્રિવેદીએ તેમના હાસ્ય-કાર્યક્રમોથી તો લોકપ્રિય છે જ અને પોતાના કલાગુરુને ભાવાંજલિ આપવા માટે શાહબુદ્દીન રાઠોડનાં લેખન અને કથન ૫૨ મહાનિબંધ લખી બીજી વાર ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. પરંતુ જગદીશભાઈએ હવે પોતાની લેખન-પ્રવૃત્તિમાં નવું પ્રસ્થાન કર્યું છે, અર્થાત્ તેમણે કવિતા પ૨ કલમ ચલાવી છે. એ માટે તેમણે સમશ્લોકી અનુવાદનો પંથ પકડ્યો છે. એ સંદર્ભે એમની કૃતિ-પસંદગીને ધન્યવાદ આપવા જોઈએ.

પ્રથમ પ્રયત્ન જ એમણે ઊંચું નિશાન તાક્યું છે અને તેને વીંધવામાં તેઓ સફ્ળ થયા છે. હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હિરવંશરાય બચ્ચન હવે ભલે ભારતના સિનેરસિકોને પ્રકીર્તિત અભિનયપટુ અમિતાભ બચ્ચનના પિતાજી તરીકે પરિચિત હોય, પરંતુ અમિતાભ બચ્ચનને ડૉ. હિરવંશરાય બચ્ચનના સુપુત્ર તરીકે ઓળખાવવામાં પૂરું ઔચિત્ય છે. અને તેથી આજે પણ આ મહાન કલાકાર જીવનની કોઈ પણ મુશ્કેલીનો માર્ગ પોતાના પિતાશ્રીની રચનાઓમાંથી મેળવે છે. અમિતજીની પ્રતિભામાં તેમનાં શાલીન માતા-પિતાની સભર વિરાસત વિલસે છે. આવા ડૉ. હરિવંશરાય બચ્ચન દાયકાઓથી તેમની દીર્ઘ, અતિયશસ્વી કાવ્યરચના ‘મધુશાલા’ના પર્યાયરૂપ સર્જક બનેલા છે. હરિવંશરાય બચ્ચન અને મધુશાલા’ એ બે નામો એક જ શ્વાસમાં ઉચ્ચારાય એટલી હદે તેઓનું સાયુજ્ય સિદ્ધ થયેલું છે. આ ‘મધુશાલા’ માત્ર હિન્દી ભાષાની નહીં પરંતુ ભારતવર્ષની પ્રમુખતમ કાવ્યરચનાઓમાંની એક છે, કેમ કે તેમાં ભારતનો, ભારતીય સંસ્કૃતિનો આત્મા ધબકે છે. વસ્તુતઃ ભારતીય સંસ્કૃતિ અને માનવ સંસ્કૃતિ અભિન્ન છે. એ દૃષ્ટિએ મધુશાલા’ એ માનવ-ઐક્યનું મહાકાવ્ય છે.આ માનવ-ઐક્યની યશોગાથાનું ગાન ગાવા માટે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલાનું દુન્યવી કહી શકાય એવું પ્રતીક સંયોજીને કવિકર્મનું ઊંચેરું શિખર સિદ્ધ કર્યું છે. મધુશાલા એટલે મદિરાલય, સુરાલય, મયખાનું, પી; પણ ફારસી-ઉર્દૂ કવિતામાં સદીઓથી પરંપરાગત રૂપે મયખાનું, શરાબ, સાકી, શીશા, સુરાહી, પ્યાલા એ બધું પ્રતીકાત્મક સ્તરે પ્રયોજાતું આવ્યું છે. તેમાંથી સ્થૂળ સંદર્ભો સરી-ખરી પડ્યા છે અને તેમાં વારંવાર અધ્યાત્મ-સ્તરની અર્થચ્છાયાઓ પણ પ્રગટ થાય છે. આ પ્રતીકોનો આવો વિનિયોગ ગુજરાતી ગઝલોમાં પણ અજાણ્યો નથી. કવિવર બચ્ચનજીએ આ બધી પ્રતીકસામગ્રીનો એક સળંગ કાવ્યરૂપે સાતત્યપૂર્વક વિનિયોગ કરીને કવિતા સિદ્ધ કરવાની સાથે
જીવન અને જગત વિશેના ઉચ્ચસ્તરીય ચિંતનને આંબવા તથા વ્યક્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે અને તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની લેખિનીનું જ એ પ્રમાણ કે અહીં મિઠરાલય, મિદરા, મધુબાલા, પ્યાલા, સુરાહી એ સર્વ સ્થૂળ અર્થોની કાંચળી ઉતારી આધ્યાત્મિક ઊંચાઈને આંબે છે. હરિવંશરાયની કલમ ભાવકને વારંવાર કબીરસાહેબના તત્ત્વદર્શનનો અનુભવ કરાવે છે અને કબીર ભારતીય સંસ્કૃતિમાં અંતર્નિહિત એવી માનવ-સંસ્કૃતિના ઉચ્ચ સાધકોમાંના એક છે તેનો કોણ ઇન્કાર કરશે ? મહત્ત્વની વાત એ પણ છે કે ડૉ. હરિવંશરાય બચ્ચને મહાન વાત કરવા માટે ક્લિષ્ટ આડંબરયુક્ત ભાષાનો આશ્રય લીધો નથી. એને બદલે તેમણે બહુધા સાદી, સ૨ળ, બોલચાલની બાની પાસેથી ધાર્યું કામ લીધું છે. તેમની મધુશાલા’ વિદગ્ધ વિદ્વાનો અને સામાન્ય પાઠકોમાં એકસરખી પ્રિય થઈ પડી તેનું આ પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે.

ભાઈ જગદીશ ત્રિવેદીએ સમશ્લોકી અનુવાદ માટે ‘મધુશાલા’ જેવી પ્રકીર્તિત કાવ્યરચના પર કળશ ઢોળ્યો તેમાં પ્રથમ પ્રયત્ને જ તેમની ઉચ્ચ કાવ્ય-રુચિનો ભાવકોને પરિચય થશે. ‘મધુશાલા’ પસંદ કરતાં તો કરી લીધી, પણ તેના સમશ્લોકી અનુવાદમાં સફળ થવાનું એટલું સરળ નહોતું. પરંતુ કહેવું જોઈએ કે જગદીશભાઈને એ ધ્યેયની સિદ્ધિમાં પણ ઉલ્લેખનીય બલકે પ્રશંસનીય સફ્ળતા મળી છે. આ કામમાં એમને કેટલીક અનુકૂળતાઓની જેમ કિંચિત્ પ્રતિકૂળતાઓ પણ હતી. એક અનુકૂળતા તે હિન્દી અને ગુજરાતી ભાષાઓ વચ્ચેનું નૈકટ્ય. તેનું કારણ બંનેનાં મૂળ સંસ્કૃત ભાષામાં રહેલાં છે તે. બીજી અનુકૂળતા તે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલા’માં અથેતિ જે લય પ્રયોજ્યો છે તે ગુજરાતીમાં પણ અતિપ્રચલિત અને સુપરિચિત છે જ, પણ મુખ્ય પ્રતિકૂળતા તેમધુશાલાની છેતરામણી સરળતા અને સાદગી છે. હવે તેઓ પ્રાસરચનામાં પુનરાવર્તિત થતા ’હાલા’ , ‘મતવાલા’ વગેરે શબ્દોના ગુજરાતી પર્યાયો પ્રયોજવામાં પણ અનુવાદકની ખાસી કસોટી થઇ હો, પરંતુ જગદીશભાઈએ આ સર્વ પડકારી સફળતાથી ઝીલી બતાવ્યા છે, મૂળ કૃતિની રસાળતા, પ્રવાહિતા, લયાન્વિતતા અને તે સર્વમાંથી પ્રગટ થતું કવિચિંતન ઇત્યાદિને ગુજરાતી ભાષામાં સાંગોપાંગ ઉતારવામાં અનુવાદકને સફળતા મળી છે અને ભાવકને કોઈ ક્લિષ્ટ, તરજૂમીયું લખાણ વાચવાનો ચિત્ત-કલેશ નહીં પણ એક મૌલિકવત્ કાવ્યકૃતિમાંથી પસાર થવાનો આહલાદ સાંપડે છે અને તે જ આ અનુવાદની સફળતા છે. જગદીશભાઈ તેને નમ્રતાપૂર્વક ભાવાનુવાદ’ તરીકે ઓળખાવે છે, હુ તેને ‘સમશ્લોકી અનુવાદ’ લેખાવવાથી આગળ વધીને તેને ‘અનુસર્જન’ ગણવા પ્રેશ છું. કાવ્યગુણે સમૃદ્ધ એવી એક હિન્દીભાષી કાવ્યરચનાને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે જગદીશ ત્રિવેદીને હું અભિનંદન આપું છું.”

– ભગવતીકુમાર શર્મા