Category Archives: કાવ્ય સંગ્રહ

તોફાન રાખે છે. – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે,
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે.

અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.

પળેપળ મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.

તમારી યાદમાં સળગે છે રોમેરોમ તોપણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.

દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.

ધરીને ‘શૂન્ય’ બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના
અમરતાનો પૂજારી પણ ફનાનું ભાન રાખે છે.

– ‘શૂન્ય’ પાલનપૂરી

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

બદનામ નથી – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

બદનામ નથી

એ પ્રેમની ઇજ્જત કોડી છે, જે પ્રેમ જર્ગ બદનામ નથી,
ઊઠ ચાલ, દીવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા-ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દિષ્ટને !
મૃગજળથી તમન્ના પાણીની ૐ જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર ‘શૂન્ય’ જ છું,
એ નામ અબાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

‘શૂન્ય’ પાલનપૂરી

मधुशाला 7 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 7

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला !
‘दूर अभी है’, पर, कहता है हर पल बतलाने वाला;
हिम्मत है न बढूँ आगे को साहस है न फिरूँ पीछे;
किंकर्तव्यमूढ़ मुझे कर दूर खड़ी है मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 7

જીવન હાય વિતાવી દીધું જગને મારગ જાવામાં !
‘હજી દૂર છે’ એમ કહે છે મુજને સૌ કહેવાવાળા;
હામ નથી કંઈ આગળ જાવા જોમ નથી પાછા ફરવા;
સાવ કરીને વિમૂઢ મુજને, દૂર ઊભી છે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

તેજઅંધારે – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તેજઅંધારે

જ અંત આદિમાં, તું જ તેજઅંધારે;
તું જ સાર છે કેવળ, આ અસાર સંસારે,

પથ્થરો તરે છે તો, એક અજું છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંયે સમજું છું તું જ આવશે હારે.

એ જ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે, કોઈ નામ-આકારે.

રોમેરોમ ચાલે છે એ જ નામની રટના,
ઝેર પણ બને અમૃત જેના એક ઉદ્ગારે.

ભક્તજનની નજરોનાં પારખાં નથી સારાં,
એક દી’ બતાવીશું આપને નયનદારે.

ધન્ય મારાં પાપોને, મેળવી તો દે છે એ,
કોઈ પણ બહાનાથી, એક ન એક અવતારે !

આપદામાં પૂરો છો ચીર નવર્સે નવ્વાણું;
ત્રણ એમ રાખો છો ચીંથરીનું પણ ક્યારે !

મેં જ ખોટ પૂરી છે ‘શૂન્ય’ તારા સર્જનની,
તું મને જ તરછોડે ? તું મને જ ધિક્કારે ?

– ‘શૂન્ય’ પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

मधुशाला 5 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 5

मधुर भावनाओं की सुमधुर नित्य बनाता हूँ हाला,
भरता हूँ इस मधु से अपने अंतर का प्यासा प्याला;
उठा कल्पना के हाथों से स्वयं उसे पी जाता हूँ;
अपने ही में हूँ मैं साकी, पीनेवाला मधुशाला |

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 5

મધુર ભાવનાઓની સુમધુર રોજ બનાવું છું મદિરા,
જે મદિરાથી ભરતો મારા અંતરના તરસ્યા પ્યાલા;
હાથ કલ્પના વડે ઉપાડી ખુદ એને પી જાઉં છું;
હું પોતે પીનારો, સાકી, ને હું પોતે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

લગ્નની ભેટ – આસીમ રાંદેરી

લગ્નની ભેટ

અનોખી આજ ‘લીલા’ને લગ્નની ભેટ આપી દઉં,
કબૂલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.

છે હાજર પુષ્પ-કળીઓ પણ, છે સૂરજ ચાંદ-તારા પણ,
ધરાની ના ગમે તો કો’ ગગનની ભેટ આપી દઉં.

વિયોગે જે નયન છલકાઈને નદીઓ વહાવે છે,
કહે તો એ ઉભય ગંગા-જમનાની ભેટ આપી દઉં.

યદિ એકાંતમાં કંઈ વાંચવાનો શોખ જાગે તો,
લખેલાં લોહીથી મારાં કવનની ભેટ આપી દઉં.

મળે તો દ્રૌપદીનું ચીર ચોરી, લાજ સાચવવા;
અમારા પ્રેમ-શબ માટે કફનની ભેટ આપી દઉં.

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.

વિરહથી ‘કોઈના’, જો તન-બદનમાં આગ સળગે તો,
હું ઠંડા શ્વાસના શીતળ પવનની ભેટ આપી દઉં.

છે નાજુક, પુષ્પ-શય્યા પર રખે શરદી ન થૈ જાયે,
સ્વીકારે તો જરા દિલની જલનની ભેટ આપી દઉં.

નહીં જોઈ શકે એ, કિન્તુ ના જોવાનું જોવાને,
સદા માટે હવે મારાં નયનની ભેટ આપી દઉં.

વફા ને પ્રેમની ભેદી કથાઓ જેમાં ઝળકે છે,
ગમે તો દિલનાં એ મોંઘાં રતનની ભેટ આપી દઉં.

અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘આસિમ’ !
હું ‘લીલા’ની ખુશી માટે જીવનની ભેટ આપી દઉં.

– આસીમ રાંદેરી

मधुशाला – 4 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 4

भावुकता अंगूर लता से खींच कल्पना की हाला,
कवि साकी बनकर आया है भरकर कविता का प्याला;
कभी न कण भर खाली होगा, लाख पिएँ, दो लाख पिएँ।
पाठक गण हैं पीनेवाले, पुस्तक मेरी मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 4

ભાવુકતાની દ્રાક્ષવેલથી ગાળી ઊર્મિની મદિરા,
થઈ સાકી શાયર આવ્યો છે ભરી કવિતાના પ્યાલા;
બુંદ એક ના થાશે ઓછું, લાખ પીએ બે લાખ પીએ!
ભાવકગણ છે પીવાવાળો, પુસ્તક મારું મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

માણસ જેવો માણસ છું – ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

તેજ-તિમિરનાં ચિતરામણ, તડકા-છાંયાનાં કામણ;
મારગ છું, ફાંટાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં;
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું

ભગવતીકુમાર શર્મા