ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્

આ ગઝલ જેના વિચારમાં લખાઇ છે – એ કવિની સખીનો આજે જન્મદિવસ છે..!! તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ ગઝલના performance નું live recording..!

Happy Birthday…!!!  🙂

**********

Posted on August 22, 2012:

February 27th, 2010 માં પહેલા મૂકેલી હિમાંશુભાઇની આ ગઝલ, આજના ખાસ દિવસે ફરી એકવાર – એકદમ મઝાના સ્વરાંકન સાથે..! અને હા, આ ગઝલ જેમના માટે ખાસ છે – એ બંને માટે આજનો દિવસ (August 22) ખૂબ જ Special છે.. તો બંનેને આજના દિવસની શુભેચ્છાઓ સાથે આ ગઝલ માણીએ..!! કર્ણિકભાઇ અને જયદેવભાઇએ એવું મઝાનું સ્વરાંકન કર્યું છે કે બસ સાંભળ્યા જ કરીએ..

સ્વર – ડોલર મહેતા
સંગીત – જયદેવ ભોજક, કર્ણિક શાહ
આલબ્મ – મેઘધનુષ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

રાત ચાલી ગઈ – અમીન આઝાદ

આજે કવિ ‘અમીન આઝાદ’ની આ નઝમ – અને સાથે કવિ ‘રાજેશ વ્યાસ મિસ્કીન’ એ ‘શબ્દ સૂરને મેળે’ (ગુજરાત સમાચાર) માં કરાવેલો આસ્વાદ!
********

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધકાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

– ‘અમીન’ આઝાદ

શૂન્ય પાલનપૂરીએ ગઝલના સંદર્ભમાં ‘અરૂઝ’ નામનું એક અમૂલ્ય પુસ્તક લખ્યું છે. તેમાં ગઝલના શેરમાં વિચાર સૌન્દર્ય પ્રગટાવવા માટે કયા પાંચ ગુણો મહત્વના છે તેની ચર્ચા કરી છે. ગઝલના શેરમાં સચ્ચાઇ, સરળતા, સંસ્કારિતા, ઊંડાણ અને ચોટ હોવા જોઇએ. વિચારની સચ્ચાઇના ઉદાહરણમાં તેમણે જલન માતરીનો એક શેર મૂક્યો છે.

કૈં એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહી;
વીતી ગઇ છે રાત સવારે ખબર પડી.

માત્ર સુખ વખતે જ નહીં, દુઃખમાં પણ સમયનો ખ્યાલ નથી રહેતો. તમે જેમાં ડૂબી જાવ એમાં જો ખરા હૃદયથી ડૂબી ગયા હો તો સમયનો ખ્યાલ નથી રહેતો. ક્યારેક એક માળા પૂરી કરતા પણ કેટલોય સમય ગયો હોય તેવું લાગે અને ક્યારેક થોડાક સમયમાં કેટલીયે માળાઓ થઇ ગઇ એમ લાગે. સમયને મન સાથે સંબંધ છે. ક્યારેક પ્રિય વ્યક્તિની સાથે વાત કરવામાં, એને મળવામાં એવા ડૂબી જાય છે કે કેટલાક સમયતી પાણી પણ નથી પીઘું એનો ખ્યાલ જ નથી રહેતો.

‘રાત ચાલી ગઈ’ અમીન આઝાદની એવી સુંદર ગઝલ છે કે એક જમાનામાં આ ગઝલ તેમણે મુશાયરો પૂરો થતો હોય ત્યારે રજૂ કરવી જ પડે. આ ગઝલના ભાવવિશ્વમાં ડોકિયું કરીએ. રાત પડી હોય હજુ તો માંડ ૯-૧૦ વાગ્યા હોય પછી વિચારીએ કે આ રાત ક્યારે પૂરી થશે? પછી પાછું ઘડિયાળ સામેય જોઇ લેતા હોઇએ, સવાર થવાને હજુ કેટલા કલાકની વાર છે એ પણ વિચારતા હોઇએ અને આવા વિચારોમાં ને વિચારોમાં મનોમન ગોઠડી કરવા માંડીએ. ખબર જ ન રહે કે ક્યારે રાત પૂરી થઈ ગઈ. અને સવાર પડતી જોઇએ ત્યારે ખ્યાલ આવે છે કે હજુ હમણા તો રાત પડી’તી ત્યાં સવાર પડી ગઈ. કવિએ સરળ શબ્દોમાં એવા સુંદર ચિત્રો આપ્યા છે કે આપણને પણ થાય કે આવું તો આપણે પણ અનુભવ્યું છે.

કવિએ જુદા-જુદા શેરમાં કેવી સરસ કલ્પનાઓ કરી છે? પ્રિય પાત્રએ જરા આંખ મીંચી લીધી અને આ પૃથ્વી ઉપર અંધારું થઇ ગયું. સહેજ આંખ ઉઘાડી અને જ્યાં જોયું ત્યાં તો એક જ ઈશારે રાત ચાલી ગઈ. અરે હજુ હમણાં તો આકાશના તારાઓની સાથે ચાંદનીની વાત કરતા હતા, હજુ હમણાં તો સાંજ પડી’તી અને રાત પૂરીએ થઈ ગઈ! ગઝલના ચોથા શેરમાં ઉષા અને નિશા બંને સ્ત્રીઓ ઈર્ષ્યાને કારણે સાથે ન રહી શકે એ વાત કરી છે. જેવી ઉષા આવી કે નિશા ચાલી ગઈ. સમગ્ર ગઝલમાં ખરેખર તો આખી રાત ઊંઘ નથી આવી, જુદી-જુદી કલ્પનાઓ કરી છે. અને એ કલ્પનાઓના સહારે રાત પૂરી થઈ છે એ વાત કરવામાં આવી છે. પરંતુ એક-એક પળ ગણી ગણીને વિતાવી હોવા છતાં જાણે રાત એક ઝબકારે ચાલી ગઇ હોય એ વાત કરવામાં આવી છે.

રાતના સંદર્ભમાં મરીઝનો એક શેર યાદ આવે. રાતનો એક સંબંધ મોજ, મજા અને મહેફિલ સાથે પણ છે. જીવનમાં પણ આંખ ઉઘડ્યા પછી જ રાતના સંતાપ અને પશ્ચાતાપ થતા હોય છે.

અમારાં બધાં સુખ અને દુઃખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

રાત એક જ હોય તો પણ એના કેટલા બધા રંગ છે!
ઘર જુદાં છે, મન જુદાં છે, આંખ પણ મિસ્કીન અલગ,
રાત એક જ પણ બધે અંધાર જુદો હોય છે.
– મિસ્કીન.

વર્ષો પહેલાં નાથાલાલ દવેની ‘રાત થઈ પૂરી’ નઝમ વાંચેલી. આ નઝમમાં આવતો મિસ્કીન શબ્દ ગમી ગયેલો અને મેં મિસ્કીન તખલ્લુસ રાખેલું. સતત વણઝારા રૂપે જીવતો એક પ્રવાસી એક રાત પૂરતો પ્રિય પાત્ર પાસે અટકે છે. એ નૃત્યની મહેફિલ પણ હોઇ શકે. રાત ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર ન પડી. રાત્રિના જામમાં તારાઓ હજુ તરતા હતા. પણ પછી તો બઘુંય ડૂબી ગયું એ રાત્રીના જામમાં. અને એ જામમાં ચંદ્ર પણ ડૂબી ગયો. હવે એ પ્રિય પાત્રનો કંઠ પણ ગાતા-ગાતા થાકી ગયો છે, ગીત પણ થંભી ગયા છે અને એ ક્ષણે પેલો ચિરંતન પ્રવાસી પ્રિય પાત્રને કહે છે… રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.
સવારે ચાલ્યા જવાનું છે એ ખબર હતી એટલે જ એક રાત પૂરતી જ મહોબત માંગી હતી. આ શ્વાસોની વણઝાર તો ઉપડી છે બસ હવે છેલ્લી પ્યાલી ભરી લઈએ. આમ જુદી-જુદી વાત કરતાં-કરતાં એ પણ જણાવી દીઘું છે કે અમે જ્યાં જઇશું ત્યાં તમારા પગની હિના, હોઠની લાલી, દેહમાંથી આવતી ખૂશ્બુ કશું જ નહીં હોય. કોઈ શરબત નહીં હોય, કોઈ મહેફિલ કે લિજ્જત નહીં હોય. આપણા રસ્તાઓ જુદા છે છતાં હૃદયમાં દર્દ કેમ થાય છે? તમારા ગીતમાં ડૂબી જઇને મારું હૃદય પણ ગાતું થઈ ગયું છે પ્રિયે. હવે રજા આપો. વિદાયની આ નઝમ વાંચીએ.

અમારી રાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી
અમારી રાત થઈ પૂરી.

ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઇ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા! હવે વાગી રહી નોબત,
અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લે હવે પ્યાલી.

હવે છેલ્લે ચૂમી ને ભૂલવી બે હસ્તિની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,
અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી,
પુકારે બાંગ મુલ્લા મસ્ત રાત્રે વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર – ગાનના શોખીન – નહિ ઈજ્જત,
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું.
અને વાત આ થઈ પૂરી.

રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.

– નાથાલાલ દવે

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?....
વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?… Photo: Vivek Tailor

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

અ-બોધકથા – ચંદ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચંદ્રકાન્ત ટોપીવાળા

(આભાર – લયસ્તરો)

આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા

આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…

સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને....
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા

તુલસીનું પાંદડું – અનિલ જોશી

em tipa
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં…. (Picture: Vivek Tailor)

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
ક્યાંક છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી આંખનો ડોળો ફરે ને
એમ પાંદડામાં ટીપાઓ ફરતાં.
મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
દાંડિયો બનાવીને રમતા.
મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું,

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

ઉમળકો ! – ઊર્મિ

આજે ઊર્મિની એકદમ તરોતાજા … ઉમળકાભરી ગઝલ..!!

Ajampo
દરિયાનો અવિરત અજંપો…! (દ્વારકા – Picture by Dr. Chirag Patel)

 અવિરત અજંપો કરાવે ઉમળકો,
તને શું કદી એવો આવે ઉમળકો?

કંઈ કેટલા ભવ તરાવે ઉમળકો,
પછી તારી આંખે ડૂબાવે ઉમળકો.

ભલે સાવ નીરસ કે હો નિરુત્સાહિત
કદી એમને પણ સતાવે ઉમળકો.

સખા, પ્રેમ હોવો ન-હોવા બરાબર,
ઉભયને જો ના થનગનાવે ઉમળકો.

તને કેમ સ્પર્શે નહીં એ જરાયે ?
મને તો સદા લથબથાવે ઉમળકો.

હૃદયની એક ‘ઊર્મિ’ને છૂટ્ટી મૂકો- ને
જુઓ, કેમ કાબુ ગુમાવે ઉમળકો !

– ઊર્મિ (જાન્યુ. 25-28, 2013)

કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા

આજે – ૧૬ ફેબ્રુઆરીના દિવસે – કવિ શ્રી પ્રણવ પંડ્યાને – પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે – રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. પ્રણવભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના તાજેતરમાં પ્રસિધ્ધ કવિતા સંગ્રહ – ‘કવિતાથી વધુ કંઈ નહીં’ ની ટાઇટલ ગઝલ..!!

kavitathi vadhu

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં

ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં

કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં

કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં

વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં

થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં

– પ્રણવ પંડ્યા

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

Happy 2nd Birthday to KhusheeFrom Masi & Masa
Happy 2nd Birthday to Khushee

સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

ભણકારા – બલવંતરાય ઠાકોર

આઘે ઊભાં તટધૂમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાનીચાં સ્તનધડક-શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી.

માથે જાણે નિજ નરી જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથી જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલું જરી લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનીઉરથી, નર્મદાવ્હેણમાંથી,
સ્વર્ગગાની રજતરજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નીતરી નીંગળે અંતરે શીય, સેહની!

– બલવંતરાય ઠાકોર