તમે કહો તે સાચું – સુરેશ દલાલ

એક ટહુકો મિત્ર આ ગીત ઘણા વખતથી શોધે છે. તમારી પાસે એની ઓડિયો ફાઇલ છે? હોય તો અમને મોકલી શકશો?

*****

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા !

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;

તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

અમને એમ હતું કે સાજન !
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;

તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ ! અમે તો પળે પળે સંભાર્યા;

તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !

– સુરેશ દલાલ

(આભાર : માવજીભાઇ.કોમ)

હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ

આદિત્ય ગઢવીના અવાજમાં સાંભળો
https://www.youtube.com/watch?v=P3WG0tD_la0

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

-દલપતરામ

आग्रहाचे आमंत्रण – June 15 – Mumbai (Publication of Panna Naik’s poems translated in Marathi)

This is the first time that a Gujarati poet is being reached out to Marathi readers. The excellent translations are done by Dilip Chitre, a poet/playwright and an architect by profession. We bring so much literature from other languages into Gujarati but hardly anything goes into Marathi so this is an unprecedented event.

એક અધૂરું ગીત – રમેશ પારેખ

લગભગ ૩ વર્ષ પહેલા ટહુકો પર પ્રસ્તુત કરેલ આ કવિતા – આજે હેતલ બ્રહ્મભટ્ટના સ્વરમાં પઠન સાથે ફરી એકવાર..!! હેતલનો સ્વર આમ તો અમારા અહીં ‘બે એરિયા’ ના ગુજરાતીઓ માટે અજાણ્યો નથી..! અને ટહુકો ફાઉન્ડેશન આયોજિત રમેશ પારેખને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ – ‘મનપાંચનમા મેળામાં’ (May 18 – at Jain Center, Milpitas) માં પણ હેતલ અને સાથીઓના સૂરીલા સ્વરે કવિશ્રીના શબ્દો સંગીતની સંગાથે તો વહેશે જ..!

પરંતુ આજે માણીએ હેતલના એ જ સૂમધૂર કંઠે કાવ્ય પઠન – કવિ શ્રી રમેશ પારેખના શબ્દો – એક અધૂરું ગીત..!

કાવ્ય પઠન : હેતલ બ્રહ્મભટ્ટ

******

Posted on May 17, 2011

આજે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ. આ ધોધમાર કવિ ને આજે ફરીથી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણો આ કવિતા. કવિ એ આમ તો કવિતા ને શીર્ષક આપ્યું છે – એક અધૂરું ગીત..! પણ લાગે છે કે એમને એ શીર્ષક ફક્ત કવિતાને નહીં.. દેશથી દૂર રહેતા તમામના જીવનને પણ આપી દીધું – એક અધૂરું ગીત..!

જેના ખેતરમાં કૂવો ને ફળિયામાં ઝાડવું ને

ઓરડામાં ઢોલિયો ને… બસ.
નથી એને રંજાડતી તરસ.

જેને મળ્યા દેશવટા આકરા
એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?

જેની આંખોમાં ખખડે છે કાંકરા
એને પાંપણ શું? સપનું શું? નીંદર શું?

જેના જોવા કે તરફડવા વચ્ચે નહીં ફેર
એને પળે પળે વીંધતા વરસ…

– રમેશ પારેખ

‘હરિને સંગે’ – અગસ્ત્ય ફાઉન્ડેશન (અમર ભટ્ટ) ના નવા આલ્બમનું લોકાર્પણ – મે ૩, ૨૦૧૪ (અમદાવાદ)

અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આપણી ભાષાની, આપણને અંદરથી અજવાળતી કેટલીક કવિતાઓની સંગીતમય પ્રસ્તુ તિનું આલબમ ‘હરિને સંગે’ કવિ શ્રી ચંદ્રકાંત શેઠ અને પદ્મશ્રી ડો.કુમારપાળ દેસાઈ દ્વારા તારીખ ૩/૫/૨૦૧૪ ને શનિવારે વિશ્વકોશ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વિમોચિત થશે.

વાનકુવર કેનેડા સ્થિત ડૉ.રાજેશ દેસાઈ અને ડૉ.સુરેન્દ્ર પટેલની ઈચ્છાથી આ આલબમ તૈયાર થયું. ડૉ.સુરેન્દ્ર પટેલનાં માતુશ્રીનું અવસાન થયું એ પછી મા સરસ્વતીની સેવા થાય અને કૈંક અવનવું કામ થાય એમાં એમને પોતાનું યોગદાન આપવું હતું. એમના પરમ મિત્ર ડૉ.રાજેશ દેસાઈએ વિચાર આપ્યો કે ફિલસૂફીથી ભરપૂર આપણો ભવ્ય સાહિત્યિક વારસો સાંગીતિક સ્વરુપે રજૂ થાય અને આદ્ય કવિથી અત્યાર સુધીના કવિઓની કવિતા જો ગવાઇને રેકોર્ડ થાય તો એક અદ્ભુત દસ્તાવેજ તૈયાર થાય. એમના સૂચનથી અમર ભટ્ટે આ આલબમ તૈયાર કર્યું છે. એનઆરઆઈઓના માતૃભાષાપ્રેમનું અને સંસ્કૃ તિપ્રેમનું આ ઉત્તમ ઉદાહરણ છે.

photo

સાચી કવિતા આપણાં ચિત્તને ઉજાગર કરે જ છે. અહીં આદ્ય કવિ નરસિંહથી લઈને અનુઅધુનિક કવિઓએ રચેલી કેટલીક દિલમાં દીવો પ્રગટાવે એવી કવિતાઓની સંગીતમય રજૂઆત છે. મધ્યકાલીન કવિઓમાં નરસિંહ, મીરાં,દયારામ- પંડિત-ગાંધીયુગનાં કવિઓમાં ન્હાનાલાલ, સુન્દરમ, ઉશનસ, આધુનિક કવિઓમાં ચંદ્રકાંત શેઠ અને રમેશ પારેખ અને અનુઅધુનિક કવિઓમાં હરીશ મીનાશ્રુ અને મિસ્કીન છે. પસંદ કરાયેલાં કાવ્યોમાં સામાન્ય તાર- ‘કોમન થ્રેડ’ એ આધ્યાત્મિક સંસ્પર્શ કે પરમ તત્ત્વનો સંદેશ કે એની સાથેનું અનુસંધાન છે. સ્વરાંકન- સંકલન અમર ભટ્ટનાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય,ઓસમાણ મીર,અમર ભટ્ટ, ગાર્ગી વ્હોરા અને ઐશ્વર્યા મજમુદારે આ રચનાઓ ગાઈ છે. તમામ રચનાઓ એક જ સૂરમાં- સ્કેલમાં રેકોર્ડ કરવામાં આવી છે, જે આલબમ પાછળનો મધ્યવર્તી વિચાર વ્યક્ત કરે છે. આલબમનો કવર ફોટો વકીલ અને સુખ્યાત ફોટોગ્રાફર દિવ્યેશ સેજ્પાલનો છે,જે પણ આ વિચારને આગળ કરે છે.

‘હરિને સંગે’ શીર્ષક નરસિંહ મહેતાના અમર પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ માંની આ પંક્તિમાંના શબ્દોમાંથી લેવાયું છે -‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે’. કબીરપંથી કવિ હરીશ મીનાશ્રુના આ પદના શબ્દો જુઓ- ‘સાધો, હરિ સંગે હરીફાઈ’- હરિ સાથેની હરીફાઈમાં અંતે કોણ જીતે? ઈન્ટરનેટ ઉપરથી મીરાંનું આ પદ મળ્યું-‘ હેરી મ્હાં દર્દે દિવાની,મ્હારાં દરદ ન જાણ્યાં કોય’, જેનું સ્વરાંકન રાગ દેશી ઉપર આધારિત છે. સુંદરમની રચના ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી’ ભજની દીપચંદી ઠેકામાં છે. અનુઆધુનિક કવિ મિસ્કીનની આ રચના ‘દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે’માં પરમ તત્ત્વને પામવા ભીતર પ્રવેશવાની વાત ગઝલના સ્વરુપમાં છે, જે રાગ ભટિયાર પર આધારિત છે.દયારામની રચના ‘નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ પણ અનોખા અંદાજમાં રજૂ થઇ છે. કવિ ન્હાનાલાલની રચના-‘હરિ આવોને’માં હરિને આવવા માટેનું ઇજન છે,જેનું તાલનું વજન ગરબા સ્વરુપનું છે. કવિ રમેશ પારેખે મીરાંની મનોદશામાં પહોંચીને આપેલા કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’નું ગીત ‘હું મારી મરજીમાં નૈ, હરિજી મુંને એવી મોહાડી ગયા સૈ’, માટે પણ જુદા જ વજનવાળો ઠેકો ઉપયોગમાં લીધો છે. કવિ ઉશનસના આ ગીતમાં,તળપદા શબ્દોમાં, જિંદગીનો સંદેશ છે- ‘અષાઢે તણખલું ના તોડીએ જી, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી, પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી’. કવિ ચંદ્રકાંત શેઠના ગીત ‘ગોદ માતની ક્યાં?’ ‘મા’ની ગેરહાજરીમાં એનું મહિમાગાન છે. બોટાદકરની પ્રખ્યાત રચના- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ- ના જેવી જ સક્ષમ આ રચના છે. તબલાંના તાલ વગર પણ લય સાથે એનું સ્વરાંકન આંખો,મન, હૃદય જરુર ભીનાં કરશે.

Attachment-1

વાદ્યસંગીતનિયોજન અમિત ઠક્કરે ભાવાનુરુપ કર્યું છે. આજકાલ વાદ્યોનો ‘સિન્થેટીક સાઉન્ડ’ સાંભળવા મળે છે ત્યારે અહીં મૂળ વાદ્યો વપરાયાં છે. તાલવાદ્યનો પણ વૈવિધ્યસભર ઉપયોગ સંજય સેજ્વલકરે કર્યો છે.

ટૂંકમાં, સંગીતનું કામ શાંતિ આપવાનું છે એ પાયાની વાતનો ખ્યાલ આ આલબમમાં રખાયો છે. રસિક ભાવકોને આ આલબમ જરુર સંતર્પક લાગશે.

લખાવટ નથી – હેમંત પુણેકર

કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી

એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી

પછી ચડજે ટોંચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી

હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી

રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી

– હેમંત પુણેકર

આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

જાળીયે ચડીને અમે ઝૂલણતું   દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ

चंदा धीरे धीरे जाना … (વ્હાલા મીરા Aunty ને શ્રધ્ધાંજલી )

ગયા શનિવારે – એપ્રિલ ૫, ૨૦૧૪ ના દિવસે અમારા Bay Area ના દરેક કલાકાર અને સંગીતપ્રેમીના ‘Musical Mother’ એવા મીરાબેન મહેતા – એ અમારી વચ્ચેથી physical વિદાય લીધી. એમનું દિલખુશ હાસ્ય અને એમના તરફથી કલાકારોને મળતી દાદ એમની સ્થૂળ હાજરી વગર પણ અહીં Bay Area ના દરેક કાર્યક્રમમાં હંમેશા ગૂંજતી રહેશે.

મીરા Aunty – સંગીત-સાહિત્યને ચાહનારા તો ઘણા છે પણ તમારા જેટલું સમર્પણ કરનાર કોઇ નહીં મળે.. તમારૂં જીવન અમને હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે અને રહેશે! May you rest in the eternity of Music… આજે આ ‘ટહુકો વાળી’ એ ટહુકો પર તમારૂં મનગમતું ભજન મુક્યું છે. તમને ગમ્યું ને?

 10173816_10202180500769737_695421610_n

સ્વર – પ્રેમ ત્રિકાનંદજી
આલ્બમ – પ્રેમ અર્પણ (Click to download album from Amazon)

चंदा धीरे धीरे जाना
आज मेरे घर प्रभु आयेंगे,
ज़रा तू दीप दिखाना

पल पल करके बीत गया दिन
प्रभु मेरे नहीं आये
प्रभु आयेंगे प्रभु आयेंगे
सांस सांस ये गाये

आधी रात हरी दर्शन देंगे
तू भी दर्शन पाना…. चंदा…

अम्बर के कुछ तारे देदे
प्रभुका हार बनाउ
ज़रासा रूपा दे दे तन का
नुपुर चरण सजाउ

भूल गए होंगे पथ प्रभुजी
ज़रा तू पथ दिखलाना… चंदा…

भोले भले मोहन चंदा
आवन कह नहीं आये
प्रीत लगाकर अपना बनाकर
बार बार बिसराये

पंथ निहार रही है मीरा
ज़रा तू याद दिलाना… चंदा…

– ?

પુંકેસરની છાતી ફાટી છે – વિવેક મનહર ટેલર

flowers by Vivek

(પુંકેસરની છાતી…  …લેહની ધરતી પરથી, જુન, ૨૦૧૩     Picture by: Vivek Tailor)

*

સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૩-૦૪-૨૦૧૩)

વગડા વચ્ચે – જયંત પાઠક

વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી…
એક કરી લો ભૂલ !

ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી…
એક કરી લો ભૂલ !

સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તને ચાંદની નરી
ચાંદ થઈને ઊંચીનીચી સળવળ સળવળ
થતી છાતીએ ભલાજી…
એક કરી લો ભૂલ !

ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી….
એક કરી લો ભૂલ !

– જયંત પાઠક