Category Archives: મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૬ : ‘મૃત્યુ’ વિશેષ (શેર સંકલન)

આજના મનોજ પર્વની પોસ્ટ ડૉ. વિવેક ટેલર તરફથી…!!
—————————–

ગુજરાતી ગઝલોને પ્રાણવાયુની જેમ શ્વસનાર મનોજ ખંડેરિયા સાંઠ વર્ષની ટૂંકી આયુમાં અચાનક કેન્સરની વ્યાધિ સામે ખુલ્લી છાતીએ લડીને ચાલ્યા ગયા પણ એમની કવિતાઓ ગુજરાતી સાહિત્યજગતમાં સીમાચિહ્ન બની રહી છે. શું ગઝલ કે શું ગીત કે શું અછાંદસ – આ માણસે જ્યાં હાથ નાંખ્યો, સોનું જ મળ્યું! મરાઠી ભાષામાંથી આપણે ત્યાં આવેલા અંજનીગીત પર એમને એટલું મજાનું કામ દિલથી કર્યું કે આપણને એક આખો સંગ્રહ ‘અંજની’ મળ્યો.

એમની કવિતામાં બરછટતા કે કટુતા જડી જડે એમ નથી. જેવો ઋજુ એમનો મિજાજ એવી જ લવચીક એમની કવિતા. મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલોના સિરમુકુટનો કોહિનૂર છે. ગુજરાતી ગઝલના દેહમાં નવો આત્મા પૂરનાર પાયાના શિલ્પીઓમાં એમનું નામ ગર્વભેર મૂકવું પડે. મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. એમની ગઝલોમાં જેટલું ઊંડે ઉતરતા જાવ, એટલી નવતર અર્થચ્છાયાઓ હાથ લાગશે…

કવિની ખરી ઓળખાણ તો જો કે એના શબ્દો જ છે… એક જ વિષયને એક જ કવિ અલગ અલગ કઈ કઈ રીતે જુએ છે એનો વિગતવાર અભ્યાસ કરીએ તો કવિની સાચી પ્રતિભા પરખાઈ આવે. મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા ભણકારા ભરું છૂં ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈક જન્મારા ભરું છૂં ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતિક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છૂં ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છૂં ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાં રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને!
હું એથી શબ્દ-સથવારા ભરું છું ખાલી ગજવામાં

– મનોજ ખંડેરિયા

બહાર આવ્યો છું – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

(આભાર : ગુંજારવ)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

(ઝાકળની મિત્રતા…  Mystery Spot, CA – Nov 2011)

*****

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઇ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

અંધાર શબ્દનો – મનોજ ખંડેરિયા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

– મનોજ ખંડેરિયા

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો – મનોજ ખંડેરિયા

આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે

જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?

ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે

ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે

– મનોજ ખંડેરિયા

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે.. – મનોજ ખંડેરિયા

જેમણે અમરભાઇનું સ્વરાભિષેક આલ્બમ સાંભળ્યું હશે, એમને માટે આ ગઝલનો પહેલો અને છેલ્લો શેર અજાણ્યો નહીં હોય… ચલો, આજે આખી ગઝલ માણીએ..!

____

અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું

સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !

ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું :
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું

સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઇ મેં એકનું ઊંઠ કીધું

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું.

– મનોજ ખંડેરિયા

શબ્દો જન્મ્યા પરવાળામાં – મનોજ ખંડેરિયા

કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં

ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ-તિમિરના સરવાળામાં

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું ?
આવો બા’રા અજવાળામાં

અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં

– મનોજ ખંડેરિયા