Category Archives: સંગીતકાર

તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે… છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સૂરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો’તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

indian_beauty_PH66_l

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું આ ગીત.

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો )

( કવિ પરિચય )

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે – બેફામ

સ્વર : આશિત દેસાઇ

.

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

( કવિ પરિચય )

હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

ગાયક : મનહર ઉદાસ

.

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

સમય – કુતુબ ‘આઝાદ’

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી

.

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

આમ તો દેશ અને કુટુંબ કાયમ જ યાદ આવે… અને દિવાળીના દિવસો હોય તો તો પૂછવું જ શું ? પછી ઊર્મિએ કહ્યું એમ, દેશમાં દોડી જવાની ઇચ્છા ન થાય તો જ નવાઇ…

મારે તો અમેરિકામાં આ બીજી દિવાળી છે..(અને દિલથી તેમજ કાયદાની રીતે પણ હું હજી ભારતવાસી જ છું.. 🙂 પણ જેઓ વર્ષોથી અહીંયા કે પછી ગુજરાતથી દૂર છે, એમણે તો જે-તે દેશમાં રહીને જ પોતાની અંદરના ગુજરાતને જીવતું રાખ્યું હોય છે. એમની ભાવનાને ખૂબ સરસ રીતે ‘મા ભોમ ગુર્જરી’માં વણી લેવામાં આવી છે. તો એમાંથી એક ગીત આજે સાંભળીએ.. અને થોડા હસી લઇએ.

સાથે સાથે… સૌને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.

સ્વર : બાલી બ્રહ્મભટ્ટ, આશિત દેસાઇ

america-frame-800

.

અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

વ્યથા હોવી જોઈએ -’મરીઝ’

સ્વર ‘: મનહર ઉધાસ

.

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

કૃષ્ણ સુદામાની જોડી … – કાંતિ અશોક

શ્રી પ્રેમાનંદના પુસ્તક ‘સુદામા ચરિત્ર’ માંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું એક કાવ્ય ‘મોરપિચ્છ’ પર વાંચો.

કવિ : કાંતિ અશોક
સ્વર અને સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

sudama

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

હે… વ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

તમે અહીંયા રહો તો … – ભાગ્યેશ જહા

થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે )

આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.

સ્વર : સોલી કાપડિયા

.

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી ‘તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હું ક્યાંથી પાણી ભરું…. અને… રૂમાલ મારો રંગદાર છે……..

rumal

.

હું ક્યાંથી પાણી ભરું પાતળિયો પજવે છે,
હે મારી ઉંચી પનઘટની પગધાર..

ઉભી બજાર, એકલડી નાર,
સાત સાત બેડલાનો માથે છે ભાર

હે એને લજ્જા ન આવે લગાર, બેડલા લજવે છે.
પાતળિયો પજવે છે Continue reading →

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’

આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..

થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..

ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?

અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )

શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.

.

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →