15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ
પઠન:અમર ભટ્ટ
.
દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી