આજે ૧૨ ઓક્ટોબર ૨૦૦૯ – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ૬૭મો જન્મદિવસ..! આપણા બધા તરફથી એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… ટહુકો પર પહેલા મુકાયેલી આ ગઝલ – આજે એમના પોતાના અવાજમાં ફરીથી સાંભળીએ.
આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!
અહીં અમેરિકામાં પાનખરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આદિલ સાહેબની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ – ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.
જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?
ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!
ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.
સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!
.
અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!
.
ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.
– મનોજ ખંડેરિયા
સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…
મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.
શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.
સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.
પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!
આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!
તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!
.
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
આજે બે રીતે ખાસ દિવસ… એક તો નવરાત્રીના છેલ્લા દિવસે લગભગ સવાર સુધી નાચી-નાચીને, સીધ્ધા ગાંઠિયા – જલેબીની મઝા લેવાનો… એટલે કે દશેરાનો દિવસ..! અને હા, દશેરાના દિવસે વાહનની પણ પૂજા થાય ને? પહેલાના જમાનામાં બળદગાડીની પૂજા થતી, અને હવે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડી (Car) વગેરેની પૂજા થાય છે..! ખરેખર, દશેરાના દિવસે બધા વાહનોને ગલગોટાના હાર અને સ્વસ્તિક કરેલા ફરતા જોવાની પણ એક મજા હતી…!! સૌ મિત્રોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!
અને હા, આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ..!