Category Archives: મનહર ઉધાસ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

સ્વર : મનહર ઉધાસ

14989320_1868528cfe_m.jpg

.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

સ્વર : મનહર ઉધાસ

lotus

.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કહું કેમ મુજને ગમો છો તમે

સ્વર : મનહર ઉધાસ
કવિ : ?

.

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે

વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે

ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે

હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે

H गुरु बिन कौन बयावे बाट – संत कबीर

આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું – ગુરુમહિમા દર્શાવતું એક પદ સાંભળીયે.

સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : સુમિરન

kabir

गुरु बिन कौन बतावे वाट
बडा विकट यम घाट
भ्रांती की पहाडी, नदिया बिचमें
अहंकारकी नाड

जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….

काम क्रोध दो पर्बत __
लोभ चोर संघार
बडा विकट यम घाट

जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….

मद मत्सरका मेह बरसत
माया पवन बहे ___
बडा विकट यम घाट

जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….

कहे क्बीर सुनो भइ साधो
क्युं तरना यह घाट
बडा विकट यम घाट

जय राम सीया राम सीया राम सीया राम….
जय राम सीया राम सीया राम सीया राम….

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ – અમૃત ‘ઘાયલ’

‘ઘાયલ’સાહેબની આ ગઝલનું તો એક આગવું સ્થાન છે. આ ગઝલ (ખાસ કરીને એનો મત્લા) એવી છે, કે જેટલીવાર સાંભળો એટલીવાર એક જુસ્સો ભરી દે છે…

સ્વર : મનહર ઉધાસ

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

.

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

—————-

( ફરમાઇશ કરનાર મિત્ર : મિહિર જાડેજા )

એક લોકકથા – સૈફ પાલનપૂરી

.

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

છે ઘણાં એવા કે જેઓ … – સૈફ પાલનપૂરી

chhe ghana eva

.

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

( કવિ પરિચય )

શાંત ઝરૂખે વાટ નિરખતી – સૈફ પાલનપૂરી

waiting

.

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

( કવિ પરિચય )

બચપણ …. – કૈલાસ પંડિત

બચપણ.. એક વાર મોટા થયા પછી જેની સૌથી વધુ ખોટ સાલે એ બચપણ.

થોડા દિવસ પહેલા સુરેન ઠક્કર ‘મેહુલ’ની એક ગઝલ સાંભળી હતી ટહુકા પર, યાદ છે ને ?

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.

અને એવું કોણ હશે કે જેણે જગજીતસીંગના કંઠે ‘वो कागझकी कश्ती, वो बारिशका पानी’ સાંભળીને પોતાના બાળપણના દિવસો યાદ ન કર્યા હોય, અને ફરી એક વાર બાળક થવાની જેને ઇચ્છા ન થઇ હોય. કોઇ દિવસ ટહુકા પર એ ગીત પણ સાંભળશું, પણ આજે મજા લઇએ મનહરભાઇના કંઠે ગવાયેલી આ સુંદર રચનાની. ( આ ગઝલ તો નથી, તો આને નઝમ કહેવાય ? )

કવિ : કૈલાસ પંડિત
સ્વર : મનહર ઉધાસ

.

ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ

આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો

કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી

ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા

સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

( આભાર : મેહુલ નાયક )

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’

“The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world’s problems.” – Mahatma Gandhi.

“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.” – મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

સ્વર : મનહર ઉધાસ

.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

( કવિ પરિચય ) (આભાર ઃ અમીઝરણું )