આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!
તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!
.
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા






