Category Archives: કાવ્યપ્રકાર

જેસલ કરી લે વિચાર…

અમદાવાદથી કેતનભાઇએ ટહુકો માટે મોકલેલ આ ગીત… અને સાથે એમણે મહેનત કરી ટાઇપ કરેલ બાકીની બધી જ માહિતી… એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. ખૂબ ખૂબ આભાર કેતનભાઇ….!!

**************************

ઈ.સ. ૧૯૭૧માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “જેસલ-તોરલ” પ્રદર્શિત થઈ, જેમાં કલાકારો આ મુજબ હતાઃ

સાંસતિયો – અરવિંદ ત્રિવેદી
જેસલ – ઉપેન્દ્ર ત્રિવેદી
તોરલ – અનુપમા

આ ઉપરાંત તેમાં રમેશ મહેતા અને મૂળરાજ રાજડા (રામાનંદ સાગરની “રામાયણ”માં રાજા જનકની ભૂમિકા ભજવી હતી તે) જેવા કલાકારો પણ હતા. બેશક, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠતમ અને સફળતમ ફિલ્મોમાં ટોપ ૧૦માં છે. તોરલની ભૂમિકામાં અનુપમાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ત્રિવેદી બંધુઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ છે.

આ ફિલ્મમાં બધા મળીને કુલ ૮ ગીતો હતાઃ

૧) ઓરી ઓરી આવ ગોરી (સ્વરઃ આશા ભોંસલે)
૨) ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૩) જેસલ કરી લે વિચાર (સ્વરઃ સુમન કલ્યાણપુર)
૪) પાપ તારું પરકાશ જાડેજા (સ્વરઃ દિવાળીબેન ભીલ)
૫) મારા પાયલની છૂટી દોર (સ્વરઃ ક્રિષ્ના કાલે, સ્પેશિયલ અપિયરન્સઃ જયશ્રી ટી – ફક્ત આ ગીત માટે)
૬) રોઈ રોઈ કોને સંભળાવું (સ્વરઃ ઇસ્માઈલ વાલેરા)
૭) બુઝાઈ જા (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૮) થોભી જા થોભી જા, હંસારાણા (સ્વરઃ સુમન કલ્યાણપુર)

આ આઠેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાંનું “જેસલ કરી લે વિચાર” ઉત્તમોત્તમ છે. ગીત સતી તોરલ દ્વારા રચાયું છે. આખું ગીત ઘણું મોટું છે, પરંતુ ફિલ્મમાં આ ગીતની માત્ર ચાર કડીઓ જ લેવામા આવી છે, જે આ મુજબ છેઃ

સ્વર : ??

સ્વર : સુમન કલ્યાણપુર

Video – from the movei Jesal-Toral

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

જેસલ કરી લે વિચાર…(૪)

અને સૌથી શ્રેષ્ઠ પંક્તિઓઃ

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

કપરા સમયે જ માણસની સાચી ઓળખ થાય છે. ઘણના ઘા પડે ત્યારે કાચા પોચાનો કચ્ચરઘાણ વળી જાય અને અસલ હીરા અખંડ રહે. એમ ખરે ટાણે – કસોટીના કાળમાં પણ જે અડગ રહે એ જ ખરો. વાણી કેવી અદભૂત છે..!! “ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…!!!”

ફિલ્મની વાર્તા કંઇક આમ છેઃ

સાંસતિયો ભયંકર ડાકૂ છે, કે જે સતત લૂંટફાટ કરે છે, પ્રજાને રંજાડે છે, અને ભોગ-વિલાસમાં – સુરા અને સુંદરીના સંગાથમાં જીવન વ્યતિત કરે છે. નાનપણથી જ એનું સગપણ તોરલ સાથે નક્કી થયેલ છે. પુખ્ત થતાં તોરલને સસરે વળાવવાનું ટાણું થાય છે, પણ સાંસતિયો મોટો થઈને અવળે માર્ગે ચડ્યો હોવાથી તોરલના માતા-પિતા તેને સાસરે વળાવવા રાજી નથી. તોરલ જીદ કરીને સાસરે જાય છે. તોરલનાં સંપર્કમાં આવતા જ સાંસતિયો સાચું જ્ઞાન પામે છે, તેનું હ્રદય પરિવર્તન થાય છે. તેને સુરાને બદલે ભક્તિના જામની લત લાગે છે. સાંસતિયાજી અને તોરલ ભક્તિની ધૂણી ધખાવે છે, પ્રભુ-ભજનમાં દિવસો વિતાવે છે.

આ બાજુ, જેસલ જાડેજા ખૂંખાર ડાકૂ છે, કચ્છના રાજવી સામે બહારવટે ચડ્યો છે. લગ્નને માંડવે જતી જાનથી માંડીને યાત્રાએ જતા સંઘ, વનમાં વિચરતા નિર્દોષ પ્રાણીઓથી માંડીને પાદરે ચાલી જતી પાણિયારીઓ – કોઈને જેસલ છોડતો નથી. અરે, પોતાની સગ્ગી બહેન અને ભાણેજની પણ તે હત્યા કરી નાંખે છે. સમગ્ર પંથકમાં જેસલની આણ પ્રવર્તે છે. જે જેસલને ગમે એ જેસલ મેળવીને જ જંપે છે. રાજની સેના જેસલને શોધતી ફરે છે, પણા ચતુર જેસલ હાથમાં આવતો નથી.

એક વાર, જેસલની ઘોડી મરી જાય છે. આ સમયે કોઈ એની પાસે, કાઠી સાંસતિયાજીની ઘોડીના વખાણ કરે છે. આ ઘોડીનું નામ પણ ‘તોરલ’ છે. જેસલ ‘તોરલ’ ઘોડી હાથ કરવા છુપાઈને સાંસતિયાજીના ઘોડારમાં પ્રવેશે છે.અજાણ્યા માણસથી ઘોડી ભડકે છે અને હણહણાટી કરે છે. તરત જ જેસલ ઘોડીના ખીલા પાસે પડેલ ઘાસની ગંજી નીછે સંતાઈ જાય છે. હણહણાટી સાંભળીને સતી તોરલ ઘોડારમાં આવે છે અને ઘોડીને ખીલેથી છૂટી ગયેલી જુએ છે. આથી તોરલ લોખંડના ઓજારથી ખીલો ફરી જમીનમા ધરબી દે છે. અને આ વખતે જેસલની હાજરીથી અજાણ તોરલ ખીલો જેસલના હાથ સોંસરવો કાઢી નાંખે છે. જો કે જેસલ ઉંહકારોયે કરતો નથી. ઘરમાં ચાલતા ભજન પૂરાં થતાં પ્રસાદની વહેંચણી થાય છે. દરેકને પ્રસાદ મળી ગયા પછી પણ પ્રસાદનો એક પડિયો વધે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિની હાજરીનો ખ્યાલ આવે છે. છેવટે જેસલ લોહી નીંગળતા હાથે બહાર આવે છે. સાંસતિયાજી દ્વારા કારણ પૂછાતા જેસલ “તોરલ ઘોડી” અને “તોરલ નાર” – એમ બે માંગણી કરે છે, જેને સાંસતિયાજી મંજૂર રાખે છે. તોરલ હવે જેસલ સાથે ચાલી નીકળે છે અને જેસાલનાં બહારવટિયા સાથીઓ સાથે રાજના નોકરોથી સંતાવા માટે ડુંગરાઓ અને નદીની કોતરોમાં રહેવા લાગે છે.

આ દરમિયાન, એક વખત જેસલ તેના સાથીઓ સાથે મળીને એક જાનને લૂંટે છે અને દાગીના અને અન્ય મિલકતની સાથે સાથે ૩-૪ સ્ત્રીઓ ઉઠાવીને એમની સાથે લેતા આવે છે. જેસલ અને તેના સાથીઓ આ સ્ત્રીઓના બહુ કરગરવા છતાં તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કરે છે. આ વખતે ત્યાં સાથે રહેતા સતી તોરલ આ સ્ત્રીઓને કાંમાંધ ડાકૂઓના હાથમાંથી છોડાવે છે.

બસ, આ વખતે ફિલ્મમાં તોરલ “જેસલ કરી લે વિચાર” ગીત સ્વરૂપે જેસલને શિખામણ આપે છે. ગીતનું ફિલ્માંકન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનુપમાનો અભિનય દાદ માગી લે તેવો છે. એનામાં ખરેખર ‘સતી’ જેવું જ તેજ દેખાય છે. આ રહી યુ-ટ્યુબ પર મૂકેલા આ ગીતના વિડિયોની લિંકઃ

અગાઉ લખ્યું એ પ્રમાણે, ઉપરની ચાર કડીઓ જ ફિલ્મના ગીતમાં લેવાઈ છે, પણ આખું ગીત ઘણું મોટું છે. અને એ આખું વર્ઝન (એમપી૩ ફોર્મેટ) હું આ ઇ-મેઈલ સાથે અટૅચમેન્ટમાં મોકલી રહ્યો છું. પણ તેના સ્વરકાર અને સંગીતકાર વિશે મને કોઇ માહિતી નથી.

આભાર,
કેતન રૈયાણી

સ્વરકાર શ્રી ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી

આજે ગુજરાતના લાડીલા સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પ્રથમ પૂણ્યતિથિ. ક્ષેમુદાદા એમના સ્વરાંકનો દ્વારા હંમેશા આપણી વચ્ચે રહેશે જ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે એમની વિદાયના થોડા જ વખત પહેલ સૂરસંવાદના આરાધના ભટ્ટ સાથે એમણે કરેલા સૂરીલા સંવાદનું રેકોર્ડિંગ સાંભળીએ.

.

અને એમના સ્વરાંકનોના ખજાનામાંથી મળેલા થોડા મોતીઓની એક ઝલક ફરી એકવાર માણી લઇએ..!

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

આજે જુલાઈ ૩૦, પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ની પૂણ્યતિથિના અવસરે, તેમને યાદ કરીયે…..ગુજરાત સ્થાપના દિન May 1st, 2007 ના અવસરે પહેલા પ્રસ્તુત કર્યું હતું. આજે પ્રસ્તુત છે તેમની પૂર્ણ રચના.

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ખબરદાર

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

ફરીથી એક વાર, સૌને મારા તરફથી ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.

અને, વિવેકભાઇના શબ્દોમાં કહું તો, આજે તો ટહુકો.કોમ પર મેહુલો વરસશે, એ પણ ગગન ગજવીને… 🙂

આમ તો કોઇ પણ ગીત સાથે મેહુલ સુરતીનું સંગીત હોય, તો એ એક જ કારણ બસ હોય છે, એ ગીત ગમી જવા માટે.

અને આજે અહીં પ્રસ્તુત ગીતની વિશિષ્ટતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ‘ જેવા અમર ગીતના રચયિતા, અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ના શબ્દો, અને દ્રવિતા ચોક્સી – જેસ્મિન કાપડિયાનો સુમધુર સ્વર.
શંખનાદ, ઢોલ, મંજિરા, નગારા, ડફ, પખાવજના અવાજમાં જ્યારે આ બે ગાયિકાઓનો બુલંદ અવાજ ભળે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતીમાં જુસ્સો લાવી દે છે… કોઇ પણ વ્યક્તિનું મન જાણે કહી ઉઠે છે કે ‘ એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર…. ગુણવંતી ગુજરાત…..

અને બીજી એક વિશેષતા છે આ ગીતમાં આવતી સરગમ. શાસ્ત્રીય સંગીતનો કોઇ પણ રસિયો જીવ મન મુકીને ઝુમી ઉઠે એ રીતે આ ગીતમાં 2 વાર સરગમ વણી લેવામાં આવી છે…

આમ તો આ ગીત માટે જેટલું કહીશ એટલું મને ઓછુ જ લાગશે, પણ ખરી મઝા તો આ ગીત સાંભળવામાં જ છે.

prem shaurya gujarat

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….

ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

અને હવે થોડી વાત આ ગીત જેમાંથી લેવામાં આવ્યું છે, એ ‘પ્રેમ શોર્ય ગુજરાત’ આલ્બમ વિષે.

1 મે, 2004 ના દિવસે સુરતના indoor stadium ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ગીતો તૈયાર કરવા માટે મેહુલ સુરતીને આમંત્રણ મળ્યું. એમણે 5 ગીતો તૈયાર કર્યા, અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં 500 જેટલા કલાકારોએ, 8000 થી વધુની મેદની સાથે આ ગીતો નૃત્ય સાથે રજુ કર્યા.

અને જેમ હિન્દી દેશભક્તિના ગીતો પ્રચલિત છે, એ જ રીતે ગુજરાત પ્રેમના, આ ગરવા ગુજરાતી ગીતોના પ્રચાર માટે મેહુલભાઇએ એ ગીતો અને સાથે બીજા 3 ગીતો ઉમેરીને, ‘પ્રેમ શોર્ય ગુજરાત’ને નામે એક આલ્બમ બનાવ્યું, અને એની 2000 જેટલી નકલ બનાવીને એની મિત્રોમાં અને ગુજરાતી અને ગુજરાતને ચાહતા લોકોમાં લ્હાણી કરી.

મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલ આ ગીત, અને બીજા ઘણા ગીતો આપ એમની વેબસાઇટ : http://www.mehulsurti.com/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

Gunavanti Gujarat, Gujarat din special song, mehul surti, dravita choksi, khabardar, listen online gujarati music

નજર કરું ત્યાં નારાયણ – પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
– પુષ્પા વ્યાસ

દિવ્ય ભાસ્કર – હયાતિ ના હસ્તાક્ષર માં કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ રચના નો આસ્વાદ

********
ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે

પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. એમના ગીતના ઉપાડ ભાવિક અને સ્વાભાવિક છે. વાંચતાની સાથે એ ઉપાડ એટલી હદે ગમી ગયા કે જો એ પંકિતઓ ટાંકવા બેસું તો કદાચ એનો પાર ન આવે. હું એમને કદીયે મળ્યો નથી, પણ આ કાવ્યસંગ્રહ વાંરયા પછી મળ્યો નથી એમ કહેવું એ પણ બરાબર નથી. એમની કવિતા દ્વારા પરોક્ષ રીતે જાણે કે એમનામાં વસેલા આંતર-કવયિત્રીને મળ્યા જેટલો જ આનંદ થાય છે.

એમની કવિતામાં કસબ છે, પણ એ જુદો તરી આવે એવો નથી. આ લક્ષણ એમની કવિતાનો ગુણ છે. કસબ જુદો તરી આવે એનો અર્થ એવો કે એ બાહ્ય છે. કવિતા સાથે જ જાણે કે કસબ વણાયેલો છે. એમના લોહીમાં લયનું નિરંતર ભ્રમણ થતું હોય એવું લાગે. મને વહેમ છે અથવા એમ કહું કે મને શ્રદ્ધા છે કે એમને કયાંક ને કયાંક કોઈ કોઈ વાર અથવા અવારનવાર આઘ્યાત્મિક સ્પર્શ થયો જ હશે. નહિતર ગીતના આવા સંધેડાઉતાર ઉપાડ મળી ન શકે. એ કોઈની પરંપરામાં પ્રવેશીને લખતાં નથી, પણ પોતાના ભાવજગતની પરંપરામાં રહીને લખે છે. એ અનુભવને અથવા અનુભવની તીવ્રતા-અનુભૂતિને પોતાના શ્વાસમાં લે છે અને પછી ઉરછ્વાસમાં કવિતારૂપે પ્રગટ કરે છે.

ભલું થજો આત્મીય મોરારિબાપુનું કે એમણે પુષ્પાબહેનને ભાવભર્યોઆગ્રહ કર્યો અને એને પરિણામે આપણને ‘નિંભાડો’ જેવો કાનમાં અને ઘ્યાનમાં વસી જાય એવો પ્રથમ કાવ્યસંગ્રહ તાજેતરમાં મળ્યો. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ અને જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીની અનાયાસ યાદ આવે છે. કવયિત્રીના મનમાં એક ક્ષણે આવું કશું નહીં હોય. આ ગીત એવી પ્રતીતિ આપે છે કે એમણે લખ્યું નથી પણ એમનાથી સહજપણે, અનાયાસે લખાઈ ગયું છે. હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી એ પણ પંકિત ગુંજતી ગુંજતી કાન કને આવે. પણ અહીં તો નારાયણ, હરિ અને પુરુષોત્તમ-આ ત્રણે નામ ત્રિભુવન જેવાં અને આ નામના ઘરમાં જ ઠરવાની વાત છે. કવયિત્રી આપણા એક જમાનામાં જાણીતા કવિ ત્રિભુવન વ્યાસનાં પુત્રી છે. લોહીમાં વહેતો લય હાડકાંમાં કોતરાઈ ગયેલો છે. દરિયાનાં મોજાંની જેમ અથવા સાંજની હવાની લહેરની જેમ એક પછી એક પંકિત આવે છે. ભાષા પરથી કહી શકાય કે કવયિત્રી સૌરાષ્ટ્રનાં છે, નહિતર હૈયાદૂબળી હું મોઢે મોળી એવા શબ્દપ્રયોગ કયાંથી આવે? ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે. કામ કામની રીતે થાય અને નામસ્મરણ નામની રીતે થાય. કોઈ કોઈની આડે આવતું નથી.

ભવખેતરમાં નર્યા સમર્પણથી વાવેલી જાર મોતી થઈને મબલખ લહેરાય છે. આ સમર્પણ એકનિષ્ઠ ભકિતનું પરિણામ છે. જે કંઈ વાવ્યું છે એ જ્ઞાનથી નથી વાવ્યું અથવા સમજણથી પણ નથી વાવ્યું. અણસમજમાં કોઠાસૂઝે જે આવડયું તે કર્યું. આ વાત કવિતાના ક્ષેત્રે પણ સારચી છે. કવયિત્રીએ રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી લખ્યું હોય એવું નથી. ખુદના ખડિયામાં કલમ બોળીને જે આવડે તે લખ્યું છે. અણસમજમાં કદાચ બાવળ કે બોરડી વવાઈ ગયાં હોય પણ ભકિતભાવ એવો કે જયાં જોઉ છું ત્યાં આંબા ને મંજરી જ દેખાય છે. લખતી વખતે કોઈ પોથી, પુસ્તક, શાસ્ત્ર કશું જ કામ નથી આવતું. જીવન જીવવામાં જ્ઞાન ઘણી વાર ઘમંડનું રૂપ લે છે અથવા બોજો બને છે પણ છઠ્ઠી ઈન્દ્રિય આપણને કોઈ અગિયારમી દિશા બતાવે છે. પ્રેમનો અઢી અક્ષર એ પરમેશ્વર થઈને રહી જાય છે. અહીં શ્રદ્ધાની બુલંદી છે અને આ બુલંદી કેવી કે આંગણે કદંબ, ઘટમાં યમુના અને પોતે વાંસળી. પ્રતીતિ એવી કે કૃષ્ણની ફૂંક વાગશે જ.

આ કવયિત્રીનું ‘જાપ નિરંતર’ નામનું એક બીજું ગીત જોઈએ:

ઘણા સમયથી ચપટી વરચે, પૂણી રાખી કાંતું છું.
તારની લંબાઈ પછી હું નિરાંતેથી માપું છું.
ફર ફર કરતો ફરે ફાળકો, અગણિત તારે બાંધું છું.
આવે તો હું હાર બનાવું, કેડે ખોસી રાખું છું.
ફળિયા વરચે કૂવો ગાળી, રેંટ મુકાવી રાખું છું.
ઘડા પછી તો ઘડો નીકળતો, જાપ નિરંતર રાખું છું.

વરસાદ – અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું વર્ષાકાવ્ય…
સાથે એમના વિષે થોડી વાતો… (લયસ્તરો પરથી સાભાર)

અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. (જન્મ: ૨૮-૭-૧૯૪૦) વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ’સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

– અનિલ જોશી

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર – લયસ્તરો)

————-

અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)

ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”

શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.

રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.

આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.

આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર – $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર – $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ – $25, $50, VIP($100).

ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600

વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

मोको कहाँ ढूंढे रे बन्दे – संत कबीर

આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું મને ખૂબ જ ગમતું પદ સાંભળીયે. સ્વર અને સ્વરાંકન પણ એવા સરસ છે કે વારંવાર સાંભળવાનું મન ચોક્કસ થાય.

मोको कहाँ ढूंढे रे बन्दे,
मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में
ना एकांत निवास में

ना मन्दिर में , ना मस्जिद में
ना काबे कैलास में
मैं तो तेरे पास में
बन्दे मैं तो तेरे पास में

ना मैं जप में , ना मैं तप में
ना में बरत उपवास में
ना मैं किरिया करम में
रहता नहीं जोग सन्यास में

नहीं प्राण में नहीं पिंड में
ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में
नहीं स्वसन की स्वांस में

खोजी होए तुरत मिल जाऊं
इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो
में तो हूँ विस्वास में

– संत कबीर
**********

(શબ્દો માટે આભાર : This ‘n That)

આવાં જીન્સ – ચંદ્રકાન્ત શાહ

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઊર્મિએ એની ગાગરમાં ચંદુભાઇનું એક કાવ્ય મૂકેલું ત્યારે લખેલી એમના વિષેની વાતો આજે ફરી એકવાર વાંચી લઇએ. (આભાર બેના..:) )

નર્મદ.કૉમ સાઈટ વિશે આમ તો તમે જાણતા જ હશો… જેનાં સૂત્રધાર છે ચંદ્રકાંત શાહ. ચંદુના હુલામણા નામે ઓળખાતા અમેરીકાનાં બોસ્ટન શહેરનાં નિવાસી ચંદ્રકાન્તભાઈનાં બે કાવ્યસંગ્રહો છે: ‘અને થોડા સપના’ અને ‘બ્લૂ જીન્સ’. આ કવિતા એમનાં ખૂબ જ પ્રખ્યાત કાવ્યસંગ્રહ ‘બ્લૂ જીન્સ’માંની જ એક છે… જેમાં એમણે બ્લૂ જીન્સ વિશેનાં જ બધા કાવ્યોને આપણા રોજીન્દા જીવન સાથે બખૂબી વણી લીધા છે. આ ‘બ્લૂ જીન્સ’ કાવ્યસંગ્રહને મુંબઈની SNDT યુનિવર્સિટીના અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચંદુભાઈ કવિ ઉપરાંત કુશળ નાટ્યકાર પણ છે અને નાટકો લખે પણ છે… ઘણા પ્રખ્યાત નાટકોમાંનો એક નાટક ‘ખેલૈયા’ ઉપરાંત એમણે મહાત્મા.ગાંધી.કૉમ નામનો એક અંગ્રજી નાટક પણ લખ્યો છે જેમાં ગાંધીજીનું પાત્ર પણ તેઓ પોતે જ ભજવે છે.. અને બીજું શું શું કરે છે એ જાણવા માટે હવે સીધું અહીં જ વાંચો. એમની બીજી એક રચના પણ મને વાંચતાં વેંત ખૂબ જ ગમી ગઈ… પણ એની સાઈઝ જોતા મને લાગ્યું કે હું એને ટાઇપ કરવા કરતાં સીધી તમને લિંક જ આપી દઉં… 🙂 વાંચો – ‘બાને કાગળ’ ! ચંદુભાઈને આપણ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહના જન્મદિવસે હવે વાંચો એમના કાવ્ય સંગ્રહ ‘બ્લૂ જીન્સ’માં થી એક કવિતા ‘આવાં જીન્સ’……

આવાં જીન્સ

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ
સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ
નવી નવી સ્ટઐલોના આપો વરતાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે
જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે
સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

– ચંદ્રકાન્ત શાહ

મહતાબ સમ મધુરો – દારા એમ્ પ્રીન્ટર

ગઇકાલે – ૨૨ જુલાઈ એટલે આપણા લાડીલા ગાયક/સ્વરકાર મુકેશ ચન્દ માથુરનો જન્મદિવસ….એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના…..૧૯૪૯માં વિ. બલસારા માટે ગાયેલું આ મુકેશજી નું આ મઘુર ગીત…….

સ્વર : મુકેશ
સંગીતકાર : વિસ્તષ્પ બલસારા
આલ્બમ : તારી યાદ સતાવે

.

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો….

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો….

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો….

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો….

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો….

– દારા એમ્ પ્રીન્ટર