Category Archives: ગાયકો

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન -?
પ્રસ્તાવના – તુષાર શુક્લ
આલ્બમ – મોરપિચ્છ

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

– સુરેશ દલાલ

આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી

સ્વર : ગીતા દત્ત
ગીત-સંગીત : જગદીપ વિરાણી
ગુજરાતી ફિલમ : નસીબદાર (૧૯૫૦)

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

ઊગિયો દિન અહીં
દિલ મહીં સૃષ્ટિ ખિલી
દિલ મહીં સૃષ્ટિ ખિલી
જાગી આનંદની ઉર્મિ
મનડું દે છે તાલી
મનહર કોઈ રાગિણી સુણી
ઘેલી ઘેલી થાઉં રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

જાણે આવી બાગમાં મારા
રૂત સુહાની દોડી દોડી
ફૂલ ભર્યા મેં હાથમાં સુંદર
રંગબેરંગી તોડી તોડી
આજે આનંદે ખણખણતું
ગીત ગાઉં રે
મારું મન નાચે રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પૂરી રાત ભર
દિલ તાલ પર રાસ રમે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

.

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

મારા લાલ રે લોચનિયામાં – અવિનાશ વ્યાસ

સ્વર – દિપાલી સોમૈયા
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – અમર સદા અવિનાશ

મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

આવી ન આવી એ સૂરત શમણે, ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે, સુધા સુધાકરની ખૂટે,
છોને સમય નીજ સાજ બજાવીને ભાવી તારલીયાનું તેજ લૂંટે,

તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો, છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!

ગઝલ પઠન : નયન દેસાઈ

અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!

.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

પિયુ આવો.. ઉરમાં સમાવો – નીનુ મઝુમદાર

સ્વર: રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નીનુ મઝુમદાર
ચિત્રપટઃ ઓખાહરણ (૧૯૭૫)

.

પિયુ આવો, ઉરમાં સમાવો,
આવો આવો, ઉરમાં સમાવો

અંગે અંગો તમને પૂકારે,
સૈંયા આવો ઉરમાં સમાવો,

તનડું ડોલે ને ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયાં

જનમોજનમની પ્રીતિ પ્રીતમ જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો

સૈંયા આવો ઉરમાં સમાવો…

અર્પણ કરું છું તમને ભવોભવ સારા
સાગરે સમાઈ જેવી સરિતાની ધારા

ઉમંગોની ગૂંથી માળા લિયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી

સૈંયા આવો ઉરમાં સમાવો…

*****
(આભાર – માવજીભાઇ.કોમ)

તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

તમન્ના (બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું…) – ગની દહીંવાલા

સ્વર – ગાર્ગી વોરા
સ્વરાંકન – ડૉ. ભરત પટેલ
આલ્બમ – એક મેકના મન સુધી (ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન પસ્તુતિ)

.

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

– ગની દહીંવાલા/p>

પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

.

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

.

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.