Category Archives: કવિઓ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

સ્વર : મનહર ઉધાસ

14989320_1868528cfe_m.jpg

.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય – રઇશ મનીઆર

   

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

મારા હ્રદયની વાત – મનોજ મુની

આ ગીતનું એક અગત્યનું પાસુ છે – એનું સંગીત. ફક્ત piano અને violine નું સંગીત – શબ્દો અને સ્વર પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે જાણે..!!

અને એમ તો આખુ ગીત જ ખૂબ સુંદર છે, પણ મને સૌથી વધારે ગમે છે આ પંક્તિઓ : પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ…

સ્વર – સંગીત : સોલી કાપડિયા

flower.jpg

.

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
વર્ષો પછી મળ્યા તો વહી રહ્યો છું આજ

કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે
ફૂલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત
મરજીવા થઇ મૃગજળ તણા માંડી’તી કેવી ખેપ
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ.

ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી

280831634_e65cae1913_m.jpg

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી ‘બેફામ’

‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )

હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )

સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mysore-palace.jpg

.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો – શ્રીમદ રાજચંદ્ર

મારા દાદીમા શ્રીમદ રાજચંદ્રના અનુયાયી હતા, એટલે એમનો ફોટો અમારા ઘરના મંદિરમાં કાયમ રહ્યો, પણ મને એમના વિષે ઘણુ મોડેથી જાણવા મળ્યું, કારણ કે જ્યાર સુધી દાદી અમારી સાથે હતા, ત્યાર સુધીમાં એવા સવાલો પૂછવા જેટલી સમજ મારામાં નો’તી આવી.
નાનપણથી એમને ફક્ત નામ અને ફોટાથી ઓળખ્યા હતા, પણ એકવાર ચિત્રલેખામાં એમના વિષે લેખ વાંચ્યો, થોડુ ઓનલાઇન વાંચ્યુ, અને એમને સૌથી વધુ ઓળખ્યા : ‘અપૂર્વ અવસર’ નાટક જોયા પછી. Marrow Drive માટે volunteer કરવા અહીંના જૈન દેરાસર ગઇ હતી, અને આ નાટક આવે છે એ જાણ્યુ. પછી હું આ નાટક ના જોઉં એવું બને? ખરેખર, તમે જૈન હો કે ના હો, પણ એકવાર આ નાટક જોવા જેવું છે. આપણા રાષ્ટ્રપિતાના ગુરુ (હા, શ્રીમદ ને ગાંધીજી ગુરુ માનતા..) ને એકવાર ઓળખવા જેવા છે.

અને એ નાટકમાં જ્યારથી મેં આ સ્તુતિ સાંભળી, ત્યારથી વિચારતી હતી કે ક્યાંથી મેળવું? પણ અનાયાસ મુંબઇમાં શ્રી સુરેશ જોષીને મળવાનું થયું, અને એમણે કહ્યું કે જો મેં ‘અપૂર્વ અવસર’ અને ‘મૃત્યુંજય’ નાટક વિષે સાંભળ્યું હોય તો એમાં એમનું સંગીત છે. મને તો જાણે ઘર બેઠા ગંગા મળી…!!

સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : સુરેશ જોષી

shrimad.jpg

.

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

સ્વર : રૂપકુમાર રાઠોડ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

wind-flower.jpg

.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત

સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી. પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.
800px-parents_with_child_statue_hrobakova_street_bratislava.JPG

(Parents with child Statue, Hrobákova street, Petržalka, Bratislava : from Internet)

સ્વર : ??

.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

( આભાર – સિધ્ધાર્થનું મન , Aakash Polra )

આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

આપણે જ્યારે ગુજરાતી સંગીતની ઉજવણી કરતા હોય, ત્યારે અવિનાશ વ્યાસને યાદ ન કરીયે એ ચાલે?

શ્યામલભાઇનો સ્વભાવ આમ તો ઘણો મોજીલો.. ( એક ખાનગી વાત કહું ? થોડા સમયમાં એક આલ્બમ બજારમાં આવે છે – રમુજી રઇશભાઇ અને મોજીલા મુનશીભાઇ 🙂 )

પણ હું ખાત્રી આપું છું કે શ્યામલભાઇના કંઠે આ ગીત સાંભળીને મન થોડું ઉદાસ થઇ જ જાય. જીવનનું સત્ય, કે જે બધાને જ ખબર છે, એ જ્યારે આમ ભાવવહી સ્વરે સામે આવે, ત્યારે કેવું વિચારતું કરી દે છે.

સ્વર : શ્યામલ મુન્શી

laakadu.jpg

.

આ આદિ-અંતની સંતાકુકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું
આજ મારા શબદનો…

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મુકે લાકડું
આજ મારા શબદનો…

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું
આજ મારા શબદનો…

કંકુ શ્રીફળ માણેક સ્થંત માંડવો, ચતુર પંખનું પાંદડું
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું
આજ મારા શબદનો…

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો સાથે લાકડી એ લાકડું
આજ મારા શબદનો…

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું
સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું
આજ મારા શબદનો…

ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!

સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી

.

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .