કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.
તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.
અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!
અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/
(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )
* * * * * * *
સ્વર – સંગીત : અનંત વ્યાસ
.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
મુકેશ જોષીની એક ખૂબ ગમતી કવિતા, એમના જ અવાજમાં…! મારે જો કોઇ ‘બા’ કાવ્ય યાદ કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં વાંચેલું, અને ત્યારથી જ ઘણું ગમી ગયેલું. મુકેશ જોષીનું આજનું આ ગીત જો કે ગામમાં રહેતા ‘દાદીમા’ માટેનું છે..! અને ધવલભાઇ કહે છે એમ, ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરે છે આ ગીત..
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે
કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે
કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે.
સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ ,કિરણ સંપત
.
રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.
રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ
આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!
એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.
આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.
સ્વર – સંગીત : અમર ભટ્ટ
.
ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
મનોજ ખંડેરિયાની ગઝલમાં આવતા ગિરનાર, જુનાગઢ ના સંદર્ભો એમની એક ખાસિયત ગણાય છે.. આજની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે. સાંભળીએ આ ગઝલ, જુનાગઢના કવિ, અને તરુણાવસ્થાથી મનોજભાઇના ખાસ મિત્ર એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ પાસે..!
ગઝલ પઠન : રાજેન્દ્ર શુક્લ
.
તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે
કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે
અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે
ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે
અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે
‘મનોજ પર્વ’ – ર માં જ્યારે એમની અષાઢ ગઝલ પ્રસ્તુત કરી’તી ત્યારે કહ્યું હતું ને કે પહેલા વસંત પછી અષાઢ.. અને વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેય..!! તો આજે એ જ ઉનાળાની વાત..
ખરેખર તો આખી ગઝલ નહીં, પરંતુ ફક્ત પહેલો શેર ઉનાળાને લગતો છે..! અને ગુજરાતી ગઝલમાં જ્યાં ગુલમ્હોરની વાત આવે ત્યાં આ શેરનો ઉલ્લેખ ના હોય એવું ભાગ્યેજ બને, એટલો પ્રચલિત છે આ શેર..!
તો સાંભળીયે શ્યામલ-સૌમિલની જોડી પાસે આ ગઝલ.. અને સાથે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં આસ્વાદ..!
સ્વર – સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
.
લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક :
જે વહી ગયું છે, પ્રાયઃ લુપ્ત થઇ ચૂક્યું છે તે વ્યતીત વર્તમાન ક્ષણે પણ એવું એવું તાજું, એવું ને એવું જીવતુંજાગતું કેમ અનુભવાતું નથી એવિ તીવ્ર પ્રશ્ન કાવ્યાનુભવરૂપે પ્રગટ થાય ને આપણે ક્વચિત્ અન્યને ક્વચિત્ સ્વને પૂછીએ કે ક્યાં ગયું એ બધું? કશો જ ઉત્તર ન મળે પૂછતાં જ રહીએ છતાં. તો પ્રશ્નની અન્-ઉત્તરતા અવશભાવે સ્વીકારીએ ને કહીએ – ‘કોઇ કહેતું નથી !’
લાલઘૂમ તાપમાં મ્હોરતો ગુલમ્હોર, જે મસ્તીનો તોર તે બીજા શેરમાં રાત દિ’ ટોડલે બેસી ગ્હેકતા મોરમાં રૂપાંતરિત થઇ, બારી, બાર, ભીંત, લાલ નળિયાં, છજાં તથા ગોખને પૂછવા પ્રેરે છે – ક્યાં ગયો તે મોર? ને કોઇ કહેતું નથી. ગુલમ્હોરનું ચક્ષુરમ્ય છતાં અગતિશીલ પ્રતિરૂપ ગતિશીલ ચારુતાના વધુ જીવંત પ્રતિરૂપ મોરમાં પ્રગટ થાય છે. પેલો ક્યાં ગ્યોનો મૂળ પ્રશ્ન છ છ પદાર્થોને પુછાઇને, ઘૂંટાતો ઘૂંટાતો વધુ વ્યાપક તથા બહુપરિમાણી બને છે.
છ શેર સુધી ઘૂંટાતું ભાવસંવેદન ગઝલના અંતિમ શેરમાં સ્વયં કવિએ પણ પ્રથમથી ન કલ્પ્યું હોય એવું અપૂર્વ રૂપ ધારણ કરી પ્રશ્નમાલિકાના ચરમ પ્રશ્નમાં વિરમે છે. અહીં પ્રાસ તરીકે પ્રયોજાય છે સમયવાચક પ્હોર, પ્રથમ પ્હોર. તે પણ ‘ઝૂલણા છંદમાં નીત પલળતો’ તે. સમયચક્ર તો નિત્યની જેમ ચાલ્યા કરે છે. ‘પાછલી રાતની ખટઘડી’ એ જ ને એવી જ છે હજી. અહીં કૃતિમાં પ્રથમ વાર જ સ્થળવિષેશનો નિર્દેશ થયો, ‘એ તળેટી અને દામોદર કુંડ પણ – ‘ને છતાં નરસિંહના પ્રભાતિયાથી નિત પરિપ્લાવિત થતો પ્રથમ પ્હોર ક્યાં ગયો તે પ્રશ્નના ઉત્તરમાં કોઇ કંઇ જ કહેતું નથી.
આ ગઝલ માત્ર મનોજની ગઝલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલપ્રવાહમાં મહત્વનું અને માતબર સ્થાન ધરાવે છે. નિઃશેષપણે કશુંક જતું રહ્યાંના, કાળગ્રસ્ત થયાંના અવસાદને અનેક રીતે ઘૂંટતી અને અંતે તો એક પ્રકારની નિર્ભાતિમાં નિર્વહણ પામતી આ ગઝલ આપણી ગઝલનું એક કાયમી કંઠાભરણ બની રહેવા સર્જાયેલી ગઝલ છે.
આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!
ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.
સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.
.
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
————————————-
અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!
સ્વર : ચિનુ મોદી
.
કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી
ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.
– આદિલ મન્સૂરી
————————————
અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ
.
————————————
તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂
મનોજ પર્વમાં કાલે માણી હતી વાસંતી ગઝલ, અને આજે આ વરસાદી ગઝલ..! (વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેક 🙂 ) અને હા, ગઝલની સાથે કવિ શ્રી ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક પણ ખરી જ તો .!
એવા ભર્યા છે શું ભલા જંતર અષાઢમાં;
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.
ભૂરકી છવાઇ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
કોઇ તરસતી છે જો યુવાની ધરા રૂપે,
કોઇ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.
જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.
અલકાની યાદ આવી તરત જાય છે ઉરે –
નેવા નીચે નિહાળી કબૂતર અષાઢમાં.
————————–
ઉર્વીશ વસાવડાએ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક
કવિને અષાઢ સાથે નાળ સંબંધ અને નાભિસંબંધ છે. કવિનો ખુદનો જન્મ અષાઢ મહિનામાં થયો છે, એટલે અષાઢના આરંભથી એ વિહ્વળ ન થાય તો જ નવાઈ ! ગઝલનો આરંભ જ કવિ અષાઢના જાદુની વાતથી કરે છે અને એ માટે જે શબ્દ પ્રયોજે છે એ શબ્દ છે જંતર, તળપદા શબ્દનો સુંદર ઉપયોગ એ એમની ખાસિયત, આ અષાઢની જાદુઇ લાકડી ફરે અને સમગ્ર સૃષ્ટિ જાણે કે અદ્ભુત રૂપ ધારન કરી લે. આમ તો પથ્થર માટે એમ કહેવાય છે કે વર્ષો સુધી નદીમાં રહેલ પથ્થરમાં પણ ભીનાશ નથી આવતી પણ અહીં એમને મન અષાઢની વાત કંઇ ઔર જ છે.
પછીના શેરમાં કવિએ એ જ વાત જાદુની કરે છે પણ એ અસર કુદરત પર નહીં, પણ આંખો ઉપર અને એ અસર પણ કેવી? આસપાસનો સમગ્ર માહોલ જાણે કે સુંદરતા ઓઢી લે છે અને એનું કારણ વસ્તુમાં નહીં પણ આંખોમાં કવિ નિહાળે છે.
મનોજ ખંડેરિયાની ખૂબીઓમાં એક ખૂબી એટલે જુનાગઢ અને ગિરનારના વિપુલ સંદર્ભો. એમની ગઝલમાં જુનાગઢ અને ગિરનાર કાબિલે દાદ વણાયા હોય છે.
જોજે ન લાગે કોઇ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.
આ શેર ખરેખર માણવા, સમજવા માટે અષાઢમાં ગિરનાર નિહાળવો પડે. એકવાર અષાઢમાં ગિરનારને નિહાળો અને આખેઆખો શેર સ્વયં સ્પષ્ટ થઇ જશે.
આ સળંગ ગઝલ એમની આજુબાજુની પ્રકૃતિ વિષે સંવેદનશીલતા અને સભાનતાનું પ્રતિબિંબ પાડે છે, આ સંવેદનશીલતા જ આ કવિ પાસેથી આવો સક્ષમ શેર અપાવી શકે :