Category Archives: ટહુકો

મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!

સ્વરાંકન – રસિકલાલ ભોજક
સ્વર – હિમાલી વ્યાસ

(ચિત્ર માટે આભાર – Krishna.Com)

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?

– હરીન્દ્ર દવે

મેંદી તે વાવી માળવે (યુગલગીત) – ઇન્દુલાલ ગાંધી

‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…

આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?

અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)

અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?

સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો

હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ
મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ
મેંદીના રંગમાં છૂપ્યો અનંગ..
તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

– ઇન્દુલાલ ગાંધી

તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

આજે આપણે માણીએ, યામિની વ્યાસનાં નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? ફોટો : વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

 

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

.

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન -?
પ્રસ્તાવના – તુષાર શુક્લ
આલ્બમ – મોરપિચ્છ

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

– સુરેશ દલાલ

આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી

સ્વર : ગીતા દત્ત
ગીત-સંગીત : જગદીપ વિરાણી
ગુજરાતી ફિલમ : નસીબદાર (૧૯૫૦)

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

ઊગિયો દિન અહીં
દિલ મહીં સૃષ્ટિ ખિલી
દિલ મહીં સૃષ્ટિ ખિલી
જાગી આનંદની ઉર્મિ
મનડું દે છે તાલી
મનહર કોઈ રાગિણી સુણી
ઘેલી ઘેલી થાઉં રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

જાણે આવી બાગમાં મારા
રૂત સુહાની દોડી દોડી
ફૂલ ભર્યા મેં હાથમાં સુંદર
રંગબેરંગી તોડી તોડી
આજે આનંદે ખણખણતું
ગીત ગાઉં રે
મારું મન નાચે રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પૂરી રાત ભર
દિલ તાલ પર રાસ રમે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

ફકત દિલની સફાઈ માંગે છે – કિરીટ ગોસ્વામી

આજે સાંભળીએ ઓસ્માન મીરના જાદુભર્યા અવાજમાં આ ગઝલ… બે અલગ-અલગ રેકોર્ડિંગ.. અને બંને એટલાજ મઝાના… પહેલું રેકોર્ડિંગ ઓડિયો – ૨૦૦૮ના કાવ્ય-સંગીત સમારોહની રજૂઆત..!! એક ગુજરાતી ગઝલના મત્લાથી શરૂ કરીને આ કલાકાર રાજસ્થાનની ભૂમિમાં આપણને જે રીતે લઇ જાય છે – એ ખરેખર એક મઝાની સફર છે..!

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

.

અને સાથે માણો આ બીજું એક રેકોર્ડિંગ – બીજા થોડા શેર સાથે..!

ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.

એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.

– કિરીટ ગોસ્વામી

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

.

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત