Category Archives: કાવ્યપ્રકાર

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર

ગ્લૉબલ કવિતા: ૩૭ : પિતાજી ઘરે પાછા ફરતા (દિલીપ ચિત્રે) (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળાઈ રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અણબનાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો હાસ્યો કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.
Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. ઓરડા. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. – ઘરની બનાવટમાં પહેલાં ઈંટોની સાથે આ બધા ભાગ ભજવતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર પણ એટલા જ બહોળા અને દિલ પણ એવી જ મોકળાશવાળા. જેમ-જેમ ઘર BHKથી બનવા માંડ્યા, તેમ-તેમ પરિવાર પણ નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ પણ એવા જ સાંકડા થવા માંડ્યા. સાંકડા દિલવાળા પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. આવા એક પરિવારમાં વિધુર, વૃદ્ધ છતાંય કદાચ કમાવા જનાર બાપનું સ્થાન આ કવિતામાં શબ્દોથી નહીં, આંસુઓથી ચિતરે છે દિલીપ ચિત્રે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં પરિવાર મુંબઈ આવી વસ્યો. એમના પિતા એક જમાનામાં આપણે ત્યાં જે સ્થાન કુમારનું હતું, એ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા હતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કાર જ હતું. ૧૬ વર્ષની ઉંમરે તો એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય બની રહેશે. ૨૨ વર્ષની ઉંમરે પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન કર્યા. એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો. કવિ. લેખક. અનુવાદક. વિવેચક. સંપાદક. અચ્છા ચિત્રકાર, ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા પણ. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને જ દેહવિલય.

સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર સર્જકોમાંના એક દ્વિભાષી સર્જક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાં પણ એમણે નોંધનીય પદાર્પણ કર્યું. તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા.

પચાસ અને સાઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે શરૂ કર્યો અને એમાં દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધિનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં આનો મુખ્ય ફાળો હતો. પોતાની દ્વિભાષીયતા માટે તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્’ ભારતના અમર સાહિત્યિક વારસાના તેઓ પ્રખંડ ચાહક-પ્રચારક હતા. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય એ સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’

સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદ-પ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું. આ રચના પણ એમાંની જ એક છે એટલે કાવ્યવિધા અછાંદસ છે. નાટકીય આત્મસંભાષણયુક્ત (dramatic monologue) આત્મકથનાત્મક શૈલી વાપરવામાં આવી છે. પિતાજીના ઘર તરફના પ્રયાણ અને ઘરની અંદરની પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકવા માટે કવિ કવિતાને ૧૨-૧૨ પંક્તિના બે ખંડમાં વહેંચે છે, એટલું જ. ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. કાવ્યમાંના પિતા કવિના પિતા હોઈ શકે, પણ હોય જ એવું બિલકુલ જરૂરી નથી. હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતા res ipsa loquitar જેવી, એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ ન બોલીએ તો ચાલે. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે. કંઈક એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર અહીં આપણને બતાવે છે. મુંબઈ જેવા મહાનગરની આ વાત હશે એ સંદર્ભ ટ્રેન, પરાંઓના ઉલ્લેખ અને કવિના મુંબઈગરા હોવા પરથી સમજી શકાય છે. અપ-ડાઉન કરનારાઓની સાથે પિતાજી પણ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યા છે. મોડી સાંજનો સંધિકાળનો સમય છે.

સંધિકાળ અહીં બેવડા સ્તરે પ્રયોજાયો છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ જ આવી ઊભા છે અને આંખોની જેમ જ નિસ્તેજ થતા જતા સંબંધોથી દુનિયાને દેખી-અણદેખી કરવા મથી રહ્યા છે. આ ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવવા કવિ કવિતામાં રસ્તામાં થોડાથોડા અંતરે માઇલસ્ટૉન્સ આવતા જાય એમ ઠેકઠેકાણે સંદર્ભો મૂકતા જાય છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, નિસ્તેજ આંખો, ભૂખરું પ્લેટફૉર્મ, ફિક્કી ચા, વાસી રોટલી, સ્ટેશન પકડાયા વિનાનો રેડિયો. આ દરેક માઇલસ્ટૉન પર પિતાની જિંદગીની ગમગીની આપણી વધુને વધુ નજીક આવતી જાય છે.

ટ્રેનની આ મુસાફરી રોજિંદી અને યંત્રવત્ છે કેમકે પિતાની આંખો સામેથી એક પછી એક પરાં પસાર થાય છે પણ આંખો ખુલ્લી હોવા છતાં કોઠે પડી ગયેલાં એ દૃશ્યો દેખાતાં નથી. શું હજી આ ઉંમરે પણ એ નોકરી કરતાં હશે? કવિએ આ પ્રશ્ન નથી ઊભો કર્યો, નથી જવાબ આપ્યો. પણ વરસાદના દિવસોમાં, ભીનાં કપડાં, કાદવથી ખરડાયેલો રેઇનકોટ પહેરીને ટ્રેનની મુસાફરી અને કાદવમાં ચાલીને ઘર તરફ સાંજે પરત ફરવાની કવાયત શું ઈંગિત કરે છે, કહો તો! આંખોનું તેજ ઉંમરના કારણે તો ઘટ્યું જ છે પણ ઘરમાં પોતાની હાલતથી વાકેફ હોવાથી નજર વધુ ધૂંધળી પડે છે.

‘મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!’

થેલો પડુ-પડુ થતી ચોપડીઓથી ઠાંસેલો છે. જિંદગીના થેલામાં પણ વરસોના અનુભવના પુસ્તકો ઠાંસી-ઠાંસીને ભરેલા છે અને પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસના કારણે એ પણ જાણે પડુ-પડુ થઈ રહ્યા છે.

ખરી કવિતા તો પિતાનું ટ્રેનમાંથી ઉતરવું એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દ જેવું દેખાય છે એમાં છે. ટ્રેન તો તરત આગળ વધી જવાની, બીજા મુસાફરોને મંઝિલ પહોંચાડવા. પિતા પસાર થઈ જતી ટ્રેન સાથેનો સંદર્ભ ગુમાવી દીધો હોય એમ ભાસે છે. જિંદગીના વાક્યમાંથી પણ એ સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દની જેમ જ ખડી પડ્યા છે ને? ચપ્પલ પહેરીને કાદવમાં ચાલવું કપરું છે પણ એ ઘરે પહોંચવા ઝડપ કરે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘એ ઝડપ કરે છે’ કહીને કવિ પિતાની તત્પરતા નીચે અંડરલાઇન કરે છે.

પણ તત્પરતા શેની છે? ઘરે તો એ જ ફિક્કી ચા, વાસી રોટલી, અને અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ બાપને ઘરવટો આપી દેનારા સંતાનો જ વસે છે. જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતો શ્રવણ, રાજગાદીનો ત્યાગ કરી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.

ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. ગમે એટલી બાહ્ય કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું કપરું છે. પોતાના પૂર્વજોએ પણ આજરીતે પોતાની જાત છેવટ સુધી રેડી દઈને વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. સદીઓ પહેલા સાંકડા ખૈબર ઘાટમાં થઈને ભારતવર્ષ પર ચડી આવેલા આર્યોનો આ સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા ચિત્રમાં પ્રાણ ફૂંકી દે છે અને એક સીધુંસાદું શબ્દચિત્ર ઉત્તમ કાવ્ય બની રહે છે.

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં – કૃષ્ણ દવે


(Picture from: http://pricebaba.com/blog/may-die-thanks-smartphone)

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !
કો’ક વળી ડૂબે છે દરીયાના મોજામાં, કો’ક વળી ખાબકે છે ખાઈમાં.
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી વાંકો થઇ જુએ છે ખુદને પણ ડાળને તો મૂળ છે તે ઝૂકે
વળગીને વ્હાલ કરે નમણી બે વેલ એમાં ઝાડ એના ફોટા ના મૂકે.
કો’કને ખીણ આખી જોઈએ છે ક્લિકમાં તે લટકી પડે છે એની ટ્રાઇમાં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી પોતાનો ચહેરો જુએ છે ને એમાં રહે છે ગળાડૂબ
કો’ક વળી પોતાનો પડછાયો પક્કડવા કરતો રહે છે ઉડાઉડ
કો’ક વળી છાપાના હેડીંગમાં લપસે તો કો’ક વળી કેપિટલ “આઇ”માં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

– કૃષ્ણ દવે

એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*

મનોજ પર્વ ૨૪ : અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ

નોંધ – હેતલના અવાજમાં આ ગીતના રેકોર્ડિંગની રાહ જોવી પડશે. જે રેકોર્ડિંગ છે મારી પાસે એ કોઇક કારણસર બરાબર વાગી નથી રહ્યું. તો આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં સાંભળીએ.

સ્વરાંકન – અમર ભટ્ટ
સ્વર – ઐશ્વર્યા મજમુદાર

અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ, મારી આંખમાં ચણોઠીયું ઉગી રે સઇ
આંગળીની જેમ રાખી ઈચ્છાઓ હાથમાં, તે આજ વળી આકાશે પુગી રે સઇ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત, થાય તૂટું તૂટું રે મારી સઇ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું, ને ફટ કરતી પળમાં ફૂટું રે મારી સઇ

નળિયાંને એવું તે થઇ બેઠું શુંય કે, આખો દિ’ કાગ જેમ બોલે રે સઇ
આભને ઉતરતું રોકી લ્યો કોઈ, મારા સપનામાં ડુંગરા ડોલે રે સઇ

ગ્લૉબલ કવિતા : ૩૨ : મને લાગે છે – સેફો (ગ્રીક)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ જેટલા ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળે છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦) નામની કવયિત્રી આગવું સ્થાન ધરાવે છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ પણ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇસવીસન પૂર્વે ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી અને કહેવાય છે કે એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસ હજાર જેટલી પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી એના જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. આજે સેફો સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતિક ગણાય છે. સેફો નામ ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય બની રહ્યું છે. સેફોના છસો વર્ષ પછી થઈ ગયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતિત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકા અનુસાર પોતાની સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. કેટલાક આ વાતનો વિરોધ પણ કરે છે. હકીકત ચકાસવાનું કામ ઇતિહાસકારોનું, આપણને તો એની કવિતાઓમાં રસ છે.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાન ખેંચે છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી પણ કહે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદન સેફોની રચનાઓનો પ્રમુખ કાકુ છે. સેફો એક રચનામાં કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ કાવ્યાત્મક પરાકાષ્ઠાના સર્વોચ્ચ ઉદાહરણ ગણાતા સેફોના ગીત વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ વિવેચક લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ એકીસાથે થીજાવી દે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફોની સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા એના કસબમાં છે જેમાં તેણી આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને એમને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજદિન પર્યંતના તમામ કવિઓ અને ભાવકોને એટલા માટે પ્રેરણા આપતી રહી છે કે એની કવિતાઓ આપણા સૌના મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ આ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. પ્રવર્તમાન ગ્રીસમાં જાહેરમાં પ્રણયકેલિઓ સામાન્ય હતી. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. ‘तुम अगर मुझ को ना चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगी तो मुश्किल होगी’ એ જ આપના સૌની મૂળભૂત સમસ્યા છે. દિપ્તી મિશ્ર આ જ વાત એના અંદાજમાં કહે છે,

कब कहा मैंने कि वो मिल जाए मुझको, मैं उसे
गैर न हो जाए बस इतनी हसरत है, तो है

એરિસ્ટોટલે કહ્યું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ પ્રેમ અને ઈર્ષ્યા એ કોઈપણ સ્નેહસંબંધના બે પગ હોય એમ સાથે જ રહે છે. સંબંધ ચાલતો હોય ત્યારે વારાફરતી આગળ-પાછળ થયા કરે છે પણ બંને સાથે આવી જાય ત્યારે સંબંધ ઊભો રહી જતો હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ ઓથેલોમાં ઈર્ષ્યાને green-eyed monster નામ આપી શેક્સપિઅર કહે છે, ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જે માંસ પર જીવે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ શેક્સપિઅરના નાટકો અને કવિતાઓમાં તો ઈર્ષ્યા ડગલેને પગલે નજરે ચડે છે. માત્ર શેક્સપિઅરમાં જ નહીં, દુનિયાભરના સાહિત્ય-કળામાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સહજ ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ?

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ પણ અહીં પરિસ્થિતિ જરા જુદી છે. પોતાની પ્રેયસીને ઈશ્વર સમા સંપૂર્ણ પુરુષ પાસે જોઈને નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

‘कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।’

જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદીનો અંદાજ અલગ જ છે:

‘तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।‘

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ નાયિકાની મજબૂરી અહીં નાયિકાના ગાત્રો ગાળી નાંખે છે. પ્રેમ ફરતેની લાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે? રૂમી કહી ગયા, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને તમારી આસપાસના દરેક કબૂતર પેઠે ઊડી શકશે.’ આપણે જાણીએ જ છીએ કે ઈર્ષ્યાથી ભરેલો સંબંધ એ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. પણ ઈર્ષ્યાથી પર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho

મનોજ પર્વ ૨૩ : હાથમાં કારોબાર રાખ્યો તેં

કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)

મનોજ પર્વ ૨૨ : ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

hqdefaultકવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂

જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

​ઉનાળો કાળઝાળ થાય છે – અનિલ ચાવડા

San Francisco Bay Area ​​ના કલાકારો તરફથી એક વધુ નજરાણૂ!! અસીમ-માધ્વી મહેતાનું સ્વરાંકન અને સૌ કલાકારોનો સહિયારો સ્વર!

Saptak Vrund, California, brings you yet another beautiful Gujarati group song “Unalo Kaljhal Thaye Chhey”, to celebrate the scorching summer heat musically!

Lyrics: Anil Chavda

Music Composers: Asim Mehta and Madhvi Mehta

Music Arranger and Programmer: Asim Mehta

Electric Guitar: Mike Overtone

Violin: Shiva Ramamurthi

Videography and Video Editing: Achal Anjaria

Singers: Asim Mehta, Madhvi Mehta, Darshana Bhuta-Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Anjana Parikh, Anvita Gautam, Bharat Suraiya, Gaurang Parikh, Hetal Brahmbhatt, Mukesh Kanakia, Neha Pathak, Nikunj Vaidya, Palak Vyas, Parimal Zaveri, Pranita Suraiya, Sanjiv Pathak, Sonal Parikh, and Vijay Bhatt

Special Thanks To: Narendra Shukla, Pragna Dadbhawala, and Maneshwar Judge

** This is a KAMP Music Production **

​ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા