Category Archives: કાવ્યપ્રકાર

તારી ગમતી વાતો -તુષાર શુક્લ

સ્વર: કૌશલ ચોકસી
સ્વરાંકનઃ કૌશલ ચોકસી

યુ ટ્યુબ વિડીયો

એ સમય કદી ના મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો

છું તું મારામાં, છું હું તારામાં,
સંગાથે વહેશું જીવનધારામાં

જાઉં વારી વારી, તું દુનિયા મારી
તું સૌથી સારી, ઓ મમ્મી મારી.

મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી,
હું જમું નહિ તો, તું ભૂખી રહેતી.

હું રડી પડું તો, તારી આંખો છલકે,
હું હસી પડું તો મારું મુખડું મલકે.
– તુષાર શુક્લ

આ રીતે વહાલ કંઈ કરાય – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત,તો ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને,ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?
શેરિયુંમા તરતી,ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?
ગામ આખું આવે,ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ,પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?
ધસમસવું સારું,પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર, અબોલ જીવ શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….

~ કૃષ્ણ દવે

ગ્લૉબલ કવિતા : ૧૪૫ : એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઢાંકણ ખોલ્યું,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ રેત સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

અભિવ્યક્તિ મનુષ્ય માત્રની અનિવાર્ય આવશ્યકતા છે. કોઈ પણ વસ્તુને જોઈને, સાંભળીને, સ્પર્શીને, સૂંઘીને કે ચાખીને આપણે જે કંઈ સંવેદન અનુભવીએ છીએ એને યથાતથ સ્વરૂપે રજૂ કરવાનું આપણને ગમે છે. રજૂઆતની આ જરૂરિયાતમાંથી ભાષાની શરૂઆત થઈ. ભાષાનું પહેલું સ્વરૂપ વાણી અને બીજું લિપિ. ઈન્દ્રિયગમ્ય અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ મનુષ્ય પ્રારંભથી કરતો આવ્યો છે. પણ શું આવી આબેહૂબ અભિવ્યક્તિ શક્ય હોય શકે ખરી? ચાલો, સ્ટીફન ક્રેનની આજની કવિતા પાસેથી આ વાતનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ.

સ્ટિફન ક્રેન. ૦૧-૧૧-૧૮૭૧ના રોજ ન્યૂ જર્સી ખાતે મેરી અને જોનાથનના ચૌદમા અને આખરી બાળક તરીકે જન્મ. ૯ વર્ષની વયે પિતાનું અને કોલેજમાં હતા ત્યારે માતાનું નિધન. બેઝબોલના સારા ખેલાડી. ભાઈ-ભાંડુ વધુ હોવાથી બહુધા એમની બહેને જ એમને ઉછેર્યા અને ભણાવ્યા. કોલેજ અધવચ્ચે છોડી દઈ ફ્રી-લાન્સ લખેક તરીકે કલમને ખોળે માથું મૂક્યું. માત્ર ચાર વર્ષની ઉંમરે વાંચવા-લખવાની શરૂઆત. સોળ વર્ષની ઉંમરે તો લેખો છપાવા માંડ્યા. ૧૮૯૩માં પહેલી નવલકથા જોન્સન સ્મીથના છદ્મનામે જાતે જ છાપી. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં જહાજ કમનસીબે પાણીમાં ડૂબી ગયું. મૃતકરાર આપી દેવાયા બાદ અને ત્રીસ કલાક નાના હોડકાના સહારે રહ્યા બાદ તેઓ કિનારે આવ્યા. આ પ્રવાસ દરમિયાન ૧૮૯૭માં વેશ્યાગૃહ ચલાવનાર કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે આજીવન એમની સાથે રહી. પણ કોરા સાથેના સંબંધોના પરિણામે એમના પર અનેક આરોપો લાગ્યા. ગામચર્ચા અને અફવાઓથી ત્રાસીને બંને ઈંગ્લેન્ડ સ્થાયી થયા. ખર્ચાળ જીવનશૈલીના પરિણામે દેવાના ડુંગરા માથે ખડા થયા. જેમાંથી બચવા લખ-વા થયો હોય એમ તેઓ લખતા. બાળપણથી જ અવારનવાર બિમારીનો શિકાર બન્યે રાખતા ક્રેનના નસીબમાં દીર્ઘાયુષ્ય હતું નહીં તે અંતે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં ૦૫-૦૬-૧૯૦૦ના રોજ માત્ર ૨૮ વર્ષની કાચી વયે એમણે શ્વાસ છોડ્યો. એ વખતે પણ તેઓ પોતાની કૃતિ ‘ઓ’રુડી’ વિશે લખાવી રહ્યા હતા.

આયુષ્ય ગણીએ તો આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યા હોય એમ લાગે: છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. મુખ્ય કીર્તિ નવલકથાકાર અને વાર્તાકાર તરીકેની. અમેરિકાના સિવિલ યુદ્ધની પૂરું થયાના છ વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં એમની યુદ્ધવિષયક કૃતિઓ જાણે યુદ્ધની વચ્ચોવચ જીવીને જ લખાઈ હોય એવી સજીવન અને વાસ્તવિક હોવાથી ‘યુદ્ધલેખક’નું બિરુદ પામ્યા. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે. માનવીની પરિસ્થિતિઓનું આબેહૂબ રેખાચિત્ર તેઓ ખેંચતા. વિરોધાભાસી સંવેદનોનું બખૂબી આલેખન કરવું એ એમની ખાસિયત. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી. ક્રેનનું સાહિત્ય જમાનાની રુઢિથી ઉફરું અને ખાસ્સું આગળ હતું. ક્રેને એક કવિતામાં લખ્યું છે: ‘પ્રથા, તું ધાવણા બાળકો માટે છે.’ ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે, ભાવના કરતાં સવિશેષ મનને સ્પર્શે છે. ક્રેને કહ્યું હતું કે એકંદરે એમનું કાવ્યલક્ષ્ય જિંદગી વિશેના પોતાના વિચારો, જે મુજબ પોતે જાણ્યા છે, એ સમગ્રતયા આપવાનું છે.

‘એક મજાનું ગીત હું જાણતો હતો’ ક્રેનનું સાવ જ નાનકડું કાવ્ય છે. અહીં, ક્રેનની તાસીર મુજબ છંદ, પ્રાસ, લય – કશું જ હાજર નથી. કવિતાની ભાષા પણ અતિસરળ અને સહજ ભાસે છે. પણ સારી કવિતા કદકાઠી કે લયલાઠીની મોહતાજ નથી હોતી. હકીકતમાં તો ગાગરમાં સાગર ભરી બતાવે એ કવિતા વધુ ઉત્તમ કહેવાય. નાના અમથા મુખમાં આખું બ્રહ્માંડ દેખાડતો કનૈયો આપણને સૃષ્ટિ ભરી દેતું વિરાટ સ્વરૂપ દેખાડતા શ્રીકૃષ્ણ કરતાં વધુ લાડકો અને પોતીકો લાગે છે. કવિતા અને કવિતાની વિભાવના સમજવા માટે આ નાનકડું અછાંદસ કાવ્ય ખાસ્સુ ઉપકારક બની શકે એમ છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને ‘सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है’ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ.) કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે, જીવી જવા માટેનું ચૈતસિક બળ છે. ‘साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।’ સાહિત્ય, સંગીત અને કળા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત્ પશુ સમો છે. (નીતિશતક-ભર્તૃહરિ.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, અને ઘર સુદ્ધાં નહોતું ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો અને શિલ્પો, ઘરવખરી અને આયુધો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય [સંપૂર્ણ એકાગ્રતા], બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, ‘अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।’ અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) અને वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be. (આર્ચિબાલ્ડ મેકલીશ)

પણ આ તો થઈ કવિતાને વ્યાખ્યાયિત કરવાની વાતો. વ્યાખ્યા કરવી એક બાબત છે અને કવિતા કરવી એ બીજી. કવિતા કરવાના અનેક હેતુ હોઈ શકે: કળાપ્રીતિ, રસપાન, નામનાની કામના તથા અમરત્વપ્રાપ્તિની ઇચ્છા, અર્થોપાર્જન વિ. પણ આ તમામ હેતુઓથી ઉપર કવિતા કે કોઈપણ કળા રજૂ કરવાનો મુખ્ય અર્થ છે, પોતાની જાતને વ્યક્ત કરવી તે. પોતાની અંદર જે ચાલી રહ્યું છે એને અન્યોની સમક્ષ તાદૃશ કરી બતાવવાની ભાવના કવિતા કરવા પાછળનો પ્રમુખ ઉદ્દેશ છે. પણ શું કોઈપણ અભિવ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ હોઈ શકે ખરી? મનુષ્યના મનમાં જે ભાવ ચાલતા હોય એ ભાવ શું મનુષ્ય એના એ જ સ્વરૂપે સામા માણસ સામે મૂકી શકે ખરો? પ્રૉ. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. બધા માણસો કળાનિપુણ નથી હોતા અને જે લોકો હોય છે, એ લોકો પણ પોતાની જાતને યથાતથ વ્યક્ત તો નથી જ કરી શકતા. ક્રેનની કવિતા અભિવ્યક્તિની અપૂર્ણતાના આ તંતુને પકડીને જ ચાલે છે.

કવિ કહે છે કે એકદા એમની પાસે એક ખૂબ મજાનું ગીત હતુ અને તેઓ આ વાતથી વાકેફ પણ હતા. પોતાની પાસે કંઈક હોવું એ એક વાત છે અને હોવા બાબતની જાણકારી હોવી એ બીજી વાત છે. હનુમાન પાસે સાગર લાંઘી શકવાની શક્તિ હતી પણ જાણકારીના અભાવમાં એ શા કામની? જાંબુવાને જો વિષાદગ્રસ્ત અને વિચારગ્રસ્ત અંગદસભામાં હનુમાનને એમની પાસે રહેલી આ શક્તિનું જ્ઞાન આપ્યું ન હોત તો હનુમાન કદી સાગર કૂદીને સીતાને રામનો સંદેશો આપવા લંકા પહોંચી શક્યા ન હોત. સહદેવને બધી વસ્તુનું જ્ઞાન હતું એ પણ એ કોઈના પૂછ્યા વિના કશું કહી શકવા સમર્થ નહોતો. કવિ પાસે જાણકારી પણ છે અને કહેવાની તાકાત પણ. એ કહે છે, કે મને જાણ છે કે એકવાર મારી પાસે બહુ સરસ ગીત હતું. અહીં ભૂતકાળ પ્રયોજવામાં આવ્યો છે એ તરફ પણ ધ્યાન આપવું રહે. જાણકારી પણ ‘હતી’ છે અને ગીત પણ. મતલબ, કવિ પાસે હાલ કંઈ બચ્યું નથી. જ્યારે ગીત હતું અને ગીત હોવાની જાણકારી પણ હતી ત્યારે કવિએ કવિતા લખી નથી; પણ હવે જ્યારે બેમાંથી કંઈ બચ્યું નથી ત્યારે કવિ કવિતા કરવા બેઠા છે. ખરે જ, કવિતા યાદોમાંથી જ જન્મે છે. વર્ડ્ઝવર્થે કહ્યું હતું, ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) માણસ જ્યારે ખાલી થઈ જાય છે, ત્યારે કવિતા જન્મે છે. લખવા માટે કાગળ કોરો જ ખપે.

કવિને પોતાને તો જાણકારી હતી જ કે એમની પાસે એક ગીત હતું અને એ વળી મજાનું પણ હતું પણ દુનિયાને આ વાતનો ભરોસો કેવી રીતે અપાવવો? કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ અને લપોડશંખનો કોઈ તોટો નથી એટલે પોતાની પાસે જે હતું એની ખાતરી કરાવવી પણ અનિવાર્ય છે. અને લોકોને કોઈ વાત પર એમનેમ વિશ્વાસ બેસી જતો નથી.

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિએ પોતાની વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે આ વાત એકદમ સાચી વાત છે, મારો વિશ્વાસ કરો. સાચી વાત પર વિશ્વાસ અપાવવા ક્રેનનો આ મરણિયા પ્રયાસ જોઈને એમની એક નાનકડી કવિતા યાદ આવે, જેમાં કવિ જૂઠ્ઠાણું બોલવું કેટલું આસાન છે અને સાચું બોલવું કેટલું અશક્ય એની હૃદયસ્પર્શી રજૂઆત કરે છે:

હા, મારી કને હજાર જીભ છે,
અને નવ અને નવ્વાણુ જૂઠાણાં.
યદ્યપિ, હું એકનો ઉપયોગ કરવા મથું છું,
એ મારી મરજી પર કોઈ રાગ છેડશે નહીં,
પણ મારા મોઢામાં જ મરી પરવારી છે.

મનુષ્ય પાસેની હજાર જીભમાંથી નવસો નવ્વાણું જૂઠાણું બોલવા ટેવાયેલી છે અને એકમાત્ર જીભ જે સાચું બોલી શકે એમ છે, એ કવિ ઇચ્છે તોય એમની મરજી મુજબ કામ કરતી નથી, કેમકે એ તો મૂળથી જ દમ તોડી ચૂકી છે. એટલે જ પ્રસ્તુત રચનામાં કવિ પોતે સાચું બોલી રહ્યા હોવાની ખાતરી કરાવવા મથે છે. કવિ કહે છે, આ ગીત આખું પંખીઓનું હતું. ગીત પંખીઓ વિશેનું પણ હોઈ શકે અને પંખીઓ જ ગીત પણ હોઈ શકે. બંનેની મજા છે. કવિએ આ પંખીઓનું નાનકડું ગીત પોતાના હૃદયની ટોકરીમાં બંધ કરીને સાચવી રાખ્યું હતું. ક્રેનની નાનકડા પંખીઓ વિશેની એક કવિતા પણ ચૂકવા જેવી નથી:

રાત્રિના નાનકડા પંખીઓ
હા, એ લોકો પાસે કહેવા માટે કેટલું બધું છે
ત્યાં કતારબંધ બેસીને
મારી સામે એમની ગંભીર આંખો પટપટાવીને
યાદ કરતાં કરતાં
તેઓએ જોયેલા અને ચાહેલા ફૂલોને
દૂરના ઘાસના મેદાનો અને વનરાજીઓને
અને સમુદ્રના પગ કનેની ફિક્કી રેતીને
અને પાંદડાંઓમાં ઊડતી લહેરખીઓને.
તેઓ અનુભવમાં વિશાળ છે,
આ નાનકડા પક્ષીઓ જે રાત્રે આવે છે.

નાનાં-નાનાં પક્ષીઓ કવિ માટે અનુભવસાગર છે. આ પક્ષીઓ એમના વિચારો છે. આ પક્ષીઓ એમના શબ્દો છે. આ પક્ષીઓ એમનું ગીત છે, જે કવિએ પોતાની અંદર સુરક્ષિત કેદ કરી રાખ્યું છે. જેવી કવિએ આ ગીતને કાગળ ઉપર ઉતારવા માટે કલમ આપી, જેવી પોતાના વિચારને વાચા આપી, જેવું પોતાની ટોપલીનું ઢાંકણ ખોલ્યું કે તરત જ બધા પંખીઓ ઊડી ગયાં હતાં. કવિતા પંખી જેવી છે, આઝાદ. એને કેદ રાખો ત્યાં સુધી એ પ્રગટ થતી નથી. કાગળ પર કવિતા કરવા કવિ બેઠા હતા અને વિચારો બધા અચાનક ઊડી જતા અનુભવાયા ત્યારે કવિ ચિલાયા પણ હતા. પોતાના નાના-નાના વિચારોને પરત આવવા એમણે આદેશ પણ કર્યો હતો. પણ એ વિચારો તો માત્ર સામે હસીને, કવિની હાંસી ઊડાવીને ઊડી ગયા દૂર-દૂર. કવિની પહોંચની બહાર. કાગળ પર અમૂર્તને મૂર્ત કરવાથી મોટી ધૂર્તતા બીજી કોઈ નથી, પણ મનુષ્ય પાસે પોતાના દિલની અભિવ્યક્તિનું એકમાત્ર સાધન ભાષા છે અને ભાષાનું વાહન છે લિપિ. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સર્વાંગ આલેખન કરી શકે એવી લિપિ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વરો અને વ્યંજનો છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. થિઓડોર સી. શરમન નામના એક અલ્પખ્યાત કવિનું લઘુકાવ્ય -‘બોરિંગ’- આ ક્ષણે માણવા જેવું છે:

લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો આનો આ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો. તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.

કવિતા અભિવ્યક્તિનું સાધન ખરી, પણ એ સાધ્ય બની શકતી નથી. લાગણી તો દરેક માનવી અનુભવે છે, પણ અભિવ્યક્તિની ક્ષમતા દરેકની અલગ અલગ છે. મા જે વાત કહીને સમજાવી નથી શકતી, એ રડીને સમજાવે છે. દીકરો જે વાત રડીને નથી સમજાવી શકતો, એ ચિલ્લાઈને વ્યક્ત કરે છે. ગુસ્સાની અભિવ્યક્તિ માત્ર શબ્દો જ નહીં, હાથ-પગ પણ કરે છે. શબ્દો ટાંચા પડે ત્યારે મનુષ્ય હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ કામમાં લે છે અને હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓનો પનો ટૂંકો પડે ત્યારે એ શબ્દોના સહારે જાય છે. એકેય વસ્તુ અભિવ્યક્તિના સંદર્ભમાં સંપૂર્ણ ન હોવાથી મનુષ્ય તમામનું combination કરીને મનોજગતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરે છે, પણ મનોભાવ જે ઘડીએ શબ્દો કે ચેષ્ટાનો દેહ ધારણ કરે છે એ ઘડીએ જ એનો આકાર પણ બદલાઈ જાય છે અને સામું પાત્ર એને ગ્રહણ કરવા મથે ત્યારે આ આકાર વળી અનું રૂપ ધારે છે. કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા કદી એકસમાન આસને બેસી શકતી નથી. પ્લેટોએ કહ્યું હતું કે કવિતા અનુકરણની કળા હોઈ સત્યથી બે પેઢી દૂર છે. અપણે ત્યાં રાજશેખરે પણ કવિતા પર અસત્યનું કથન, અસત્યનો ઉપદેશ અને અસત્યનું આલેખન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ બંને મહાનુભાવોએ કદાચ મનુષ્યની સંપૂર્ણ અભિવ્યક્તિની અશક્તિને આ સ્વરૂપે જોઈ હોવી જોઈએ.

લાગણીઓને કાગળ પર ઉતારવા જતાં જ એમનું સ્વરૂપ બદલાઈ જાય છે. અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો નથી. અહીં કવિએ પણ મજાના વિચારોને કેદ કરી રાખ્યા છે. પણ આ વિચારપંખીઓ તો છાબડી ખૂલતાવેંત ઊડીને રફૂચક્કર થઈ જશે. ઊડી ગયેલા વિચારોને પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ છૂટી ગયેલા વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની, મુક્ત જ રાખવાની. મુક્ત આકાશ જેમ પંખીઓની સાચી જગ્યા એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળ પર અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ આદરીએ એ ઘડી કવિતાના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

પૂજ્ય બાપુ ની ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ નિમિતે…

શબ્દો : ઝવેરચંદ મેઘાણી
સંગીત : નીલ વોરા
કંઠ : નીલ વોરા

અત્રે વિડીયો માં લેવામાં આવેલા શબ્દો :

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

-ઝવેરચંદ મેઘાણી

ગ્લૉબલ કવિતા : ૧૪૪ : નીરખને ગગનમાં – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

– નરસિંહ મહેતા

ઈશ્વરને પામવાની એકમાત્ર ચાવી…

ઈશ્વર. એને કોઈએ જોયો નથી. તોય એ સદૈવ આપણી સૃષ્ટિનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. સ્થળ-કાળ, ભાષા-સંસ્કૃતિ કોઈ પણ હોય, દરેકને પોતપોતાનો ઈશ્વર છે. અને માત્ર કલ્પનાથી જ એ અગોચરનો પાર પામી શકાતો હોવાથી, માનવજાતે કલ્પનાના ઘોડાઓ દોડાવવામાં કાંઈ મનાય નથી રાખી. જીવનનું કોઈ ક્ષેત્ર ઈશ્વરથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી, સાહિત્ય પણ નહીં. આપણે ત્યાં તો સાહિત્યની શરૂઆત જ ઈશ્વરથી થઈ છે. વેદ-ઉપનિષદ, મહાભારત-રામાયણ, ગીતા એના પ્રમાણ છે. ભક્તિકાવ્યોની પણ આપણે ત્યાં બહુ મોટી પરંપરા રહી છે. શરૂઆતમાં સદીઓ સુધી આ ભક્તિકાવ્યો પેઢી દર પેઢી માત્ર કંઠોપકંઠ વહેતાં રહ્યાં. પરિણામે સમય જતાં ક્યારેક એમાંથી કોઈક શબ્દ ખડી પડ્યો, તો કોઈક શબ્દ ચડી આવ્યો તો ક્યારેક આખાંને આખાં વાક્ય પણ બદલાઈ ગયાં. હસ્તપ્રત બનાવવાની, સાચવવાની પ્રથા તો બહુ મોડેથી અમલમાં આવી. મુદ્રણકળાનો જન્મ થયો ત્યાં સુધી આ તમામ સાહિત્ય લોકોના ગળામાં સચવાયેલું રહ્યું એટલે એનું કર્તૃત્વ પણ સાશંક બન્યું. શબ્દો ભૂંસાયા, વાક્યો ભૂંસાયા, કર્તા ભૂંસાયા પણ ભક્તિધારાના આ કાવ્યો અમીટ રહ્યાં. જનમાનસને આ કાવ્યો એ જાદુથી સ્પર્શ્યાં હતાં કે સમાજે એમને અજરામર કરી રાખ્યાં. આજે ‘આદિકવિ’ નરસિંહ મહેતાનું આવું જ એક ભક્તિકાવ્ય આપણે જોઈશું.

નરસિંહ મહેતા. એમના જન્મ અને મૃત્યુની અવધિ અનેક વિદ્વત્જનોના સંશોધનો બાદ પણ અનિર્ણીત છે. એમ માની શકાય કે એમનો જન્મ ઈ.સ. ૧૪૦૮/૧૪૧૫ તથા મૃત્યુ જૂનાગઢ કે માંગરોળમાં ઈ.સ. ૧૪૬૫/૧૪૮૫ની વચ્ચે થયું હશે. નરસિંહની રચનાઓની જૂનામાં જૂની હસ્તપ્રત છેક ઈ.સ. ૧૬૧૨ની છે. એમના સમય અને પ્રથમ ઉપલબ્ધ હસ્તપ્રતની વચ્ચે દોઢેક સદીનો સમયગાળો છે. આ ગાળામાં એમની રચનાઓ કંઠોપકંઠ સચવાઈ રહી એ કેવો ચમત્કાર! એમના નામે ચડેલી રચનાઓમાંની કેટલી એમની અને કેટલી અન્યોની, તથા મૂળ રચનાઓમાં કેટકેટલા લોકોના હાથે કેટકેટલો ફેરફાર થઈ આપણા હાથે ચડી એ નક્કી કરવું લગભગ અશક્ય છે. જીવન વિશે પણ એટલી બધી કિંવદંતીઓ છે કે સત્ય ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. તળાજામાં કૃષ્ણદાસ મહેતા અને દયાકુંવરના ઘરે જન્મ. નાગર બ્રાહ્મણ. મૂળ અટક પંડ્યા પણ પ્રપિતામહને દીવાનની ‘મહત્તર’ પદવી મળતાં એમાંથી મહેતા કહેવાયા. નાનપણમાં માબાપ ગુમાવ્યા. આઠ વર્ષ સુધી ગૂંગા રહ્યા. કોઈ સંતના કહેવાથી ‘શ્રી રાધાકૃષ્ણ’ બોલ્યા ને જીભ છૂટી થઈ. અભ્યાસ-વ્યવહારમાં ઊણા. પત્ની માણેકબાઈ. પુત્ર શામળ અને પુત્રી કુંવરબાઈ. નાની વયે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં’ એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ ગાનાર નરસિંહે ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય’ના વાસ્તવિક ઉદગાર પણ કાઢ્યા. સામળશાની હૂંડી, કુંવરબાઈનું મામેરું, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવલિંગ (ગોપનાથ મહાદેવ)નું રાત-દિ પૂજન, શિવનું પ્રસન્ન થવું, દ્વારકામાં રાસલીલામાં લઈ જવું ને મશાલ પૂરી થતાં હાથ સળગવો વગેરે ખૂબ જાણીતા પ્રસંગો છે. આત્મકથનાત્મક પદોમાંથી નરસિંહના જીવન વિશે ઘણું જાણવા મળે છે.

ઉમાશંકર જોશી લખે છે: ‘…નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને-સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતનો ‘आदिकवि’ જરૂર છે.’ નરસિંહ આપણે ત્યાં જાણીતા છે એમના પ્રભાતિયાંથી. ભક્તિ અને જ્ઞાન, વૈષ્ણવ અને વેદાન્ત- આ બંનેનો સમુચો સમન્વય એમાં જોવા મળે છે. નરસિંહનો ઈશ્વર નિરાકારી નથી. એ તો એનો અંગતતમ સખો છે, ને નરસિંહ એની ગોપી. ‘મેલી પુરુષપણું સખીરૂપે થઈ રહ્યો.’ ‘ભામનીમાંહે ભળી ગયો, જેમ સાગરમાંહે રતન્ન.’ ‘ગોપીમાં હું તો નરસિયો.’ પળેપળ એ ઈશ્વર સાથે સાયુજ્ય અનુભવે છે, ને એની જ ફળશ્રુતિ એટલે એની કવિતા. નરસિંહના શૃંગારરસના કાવ્યો આજેય શિરમોર છે. કવિ જયદેવના ગીતગોવિંદની એમાં ઝાંય વર્તાયા વિના રહેતી નથી. પરકીયાપ્રીતિ અને ઉઘાડા શૃંગારના છડેચોક પ્રયોજન બાબતમાં એ પોતે જ કહે છે: ‘તમે જાણો વિષયરસ ગાયો, મારે હરિ શું પ્રેમ ઉભરાય.’ મુખ્યત્વે એ ઊર્મિકવિ છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયા વગેરે દેશી છંદો તથા કેદાર, મલ્હાર, વસંત, માલવ, ભૈરવ જેવા રાગનિર્દેશ સાથેના પદો એમણે આપ્યાં છે. ઝૂલણા છંદ એમણે એટલો ઝૂલાવ્યો છે કે બેઉ પરસ્પરના પર્યાય બની ગયા છે. એ જ રીતે એમનું ‘વૈષ્ણવજન’ પદ ગાંધીજી સાથે અવિનાભાવે જોડાઈ ગયું છે. ઉમાશંકર કહે છે: ‘’બોલચાલના પ્રયોગથી નરસિંહના ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે… ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે… કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે… ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી.’

‘નીરખને ગગનમાં’ નરસિંહનું જાણીતું પ્રભાતિયું છે. સવારે ઊઠીને હરિસ્મરણ કરતાં આ પદો ગવાતાં એટલે પ્રભાતિયાં કહેવાયાં. નરસિંહનો અતિપ્રિય ઝૂલણા છંદ અહીં પ્રયોજાયો છે. પાંચ બંધ અને દસ જ પંક્તિના આ પદમાં પણ ઠેકઠેકાણે શબ્દફેર જોવા મળે છે. ઉપલબ્ધ ઘણા-બધા સંસ્કરણોમાંથી જે સૌથી વધુ આધારભૂત જણાયું, એને હાથમાં રાખીને આગળ વધીએ.

સ્વર્ગ આકાશમાં આવેલું છે અને દેવો બધા સ્વર્ગમાં, આકાશમાં રહે છે એ આપણી આદિમ માન્યતાનો કેડો પકડીને કવિ શરૂઆત કરે છે. ‘નીરખને ગગનમાં’ વાંચતા સમજાય છે કે કવિ આપણને પ્રેમથી તુંકારે સંબોધીને આદેશ આપે છે, ને પોતે જે દિવ્યાનંદ હાંસલ કર્યો છે એ ગમતાંનો ગુલાલ કરવા ચહે છે. બીજી પંક્તિ વાંચતા એમ પણ સમજી શકાય કે ભક્તકવિ નરસિંહ ઉર્ધ્વદૃષ્ટિ કરવાનો આ આદેશ પોતાની જાતને જ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાં જ ખોવાયેલાં છીએ ત્યાં સુધી ઈશ્વરદર્શન સંભવ જ નથી. દુનિયાદારીની પળોજણોમાંથી બે’ક ઘડી પોરો લઈ આકાશમાં જોવાનું છે. આકાશમાં જોવાનું એટલે ડોકી ઊંચી કરીને વાદળો તરફ તાકવાનું નથી. ઉર્ધ્વગામી બનવાનું છે. ‘એ’ના તરફ મીટ માંડવાની છે. આકાશ તો માત્ર પ્રતીક છે. ‘એ’ના તરફ દૃષ્ટિ કરીએ ત્યારે અને તો જ જાણ થાય કે એ આપણી ચારેતરફ ઘૂમી રહ્યો છે, જરૂર માત્ર નજર ઊઠાવવાની છે. આકાશમાંથી જાણે આકાશવાણી સંભળાઈ રહી છે. ઈશ્વર ‘તે જ હું’ – ‘सोऽहम्’ બોલતા સંભળાય છે. નરસિંહ આપણા તાર ઈશાવાસ્ય ઉપનિષદ સાથે જોડી આપે છે:

(…) तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥
જે તેજ તારું સૌથી કલ્યાણકારી રૂપ છે, હું જોઉં છું. હું તે જ છું.

ઈશ્વર ‘सोऽहम्’ બોલીને અટકી જતા નથી, એ પુનરોક્તિ કરીને ‘તે હું જ છું’ની ખાતરી દૃઢાવી પણ આપે છે. પુનરોક્તિ રહી સહી શંકાનુંય નિર્મૂલન કરે છે. શબ્દોને બેવડાવીને કેવું ઉદાત્ત કવિકર્મ થઈ શકે છે એની પ્રતીતિ પણ થાય છે. પરમપિતા પરમેશ્વરની સર્વોપરિતાનો હુંકાર બેવડાવ્યા બાદ નરસિંહ તુર્ત જ એના શરણે-ચરણે સમર્પિત થઈ જાય છે. સર્વવ્યાપી ભગવાનના દર્શન થતાં જ એ મરણ ઇચ્છે છે. પોતાનો ‘હું’ અવસાન પામીને શ્યામના ‘अहम्’માં લયલીન થઈ જાય, એકાકાર થઈ જાય એ જ કવિ ઝંખે છે કેમકે કૃષ્ણની તોલે બીજું કોણ આવી શકે? આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ છે એ કૃષ્ણ જ છે. ‘कृष्णो वै परमं दैवतम्’ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૩) -કૃષ્ણ જ પરમેશ્વર છે.)

શ્યામની શોભા બુદ્ધિગમ્ય નથી. એને ‘એક વત્તા એક બરાબર બે’ના સમીકરણમાં બાંધી ન શકાય. બુદ્ધિનો પ્રદેશ જ્યાં પૂરો થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો મુલ્ક શરૂ થાય છે. શ્યામની ખરી શોભા તો ઈશ્વરના નામનો અનંત ઉત્સવ ચાલતો હોય એ જગ્યાએ રસ્તો ભૂલી જઈને અર્થાત્ બુદ્ધિનો માર્ગ ત્યજીને સામેલ થઈ જઈએ ત્યારે પામી શકાય છે. કવિ સજીવન મૂળીનો ઉલ્લેખ કરે છે. દૂર્વા ઘાસના મૂળિયાં યાદ આવ્યાં વિના નહીં રહે. પ્રભુભક્તિમાં દૂર્વાનું મહત્ત્વ સવિશેષ છે. દૂર્વા અથવા ધરોના મૂળિયાં જમીનમાં છ ફૂટ સુધી અંદર ઊતરી શકે છે, અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાણીના અભાવથી ઘાસ ભલે સૂકાઈ જાય, મૂળિયાં ખૂબ લાંબો સમય સુધી જીવંત રહે છે. નિર્જીવ ભાસતાં આ મૂળ પાણી મળતાં જ મહિનાઓ બાદ પર પુનઃઅંકુરિત થઈ ઊઠે છે. નરસિંહની સંજીવની મૂળી એ પ્રેમ છે. નરસિંહ પ્રેમલક્ષણા જ્ઞાનભક્તિના કવિ છે. પ્રેમની સજીવનબુટ્ટી હાથે ગ્રહીએ, સહુને ચાહતાં શીખીએ, તો જેમ સૂકા મૂળિયાંમાંથી નવજીવન અંકુરિત થાય છે એમ જડમાંથી પણ સચરાચર પ્રભુકૃપાનો ચૈતન્ય રસ પ્રાપ્ત થશે. પ્રેમ જડનેય ચેતન બનાવે છે. ઈશ્વર સમક્ષ લાંબા થઈને વંદન કરવાથી એ હાથ નહીં આવે, એના પ્રેમમાં પડવું પડશે. પ્રેમની જડીબુટ્ટી હાથમાં આવશે તો જ જડ ચેતન થશે અને શ્યામની ખરી શોભા હાથ લાગશે.

ગીતાનો એક શ્લોક જોઈએ:

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः॥११. १२॥

આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે ઉદય પામે, તો જે પ્રકાશ થાય, એ તે (વિશ્વરૂપ) પરમાત્માના પ્રકાશ બરાબર કદાચ થાય. નરસિંહ આગળ વધીને કરોડ સૂર્યના તેજની વાત માંડે છે. કહે છે, કરોડગણી આભાવાળો સૂર્ય પૂર્વાકાશેથી ઝળહળ જ્યોતિ સમો ઊગે ત્યારે જે સોનેરી ટશર ફૂટતી દેખાય એની શોભા શ્યામની શોભાની તોલે આવે. પૂર્વાકાશે ક્ષિતિજ પરથી પ્રગટતી એ સોનાની કોર જાણે સોનાનું પારણું હોય અને એમાં સત્ ચિત્ આનંદ પરમાત્મા આનંદે રમી રહ્યા હોવાનું નરસિંહ અનુભવે છે. ગગનમાં નીરખીએ તો જ આ શોભા અનુભવી શકાય. શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણને સચ્ચિદાનંદ કહ્યા જ છે:

सच्चिदानंद रुपाय कृष्णाय अक्लिष्टकारिणे।
नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे॥ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૧))
(હું ક્લેષરહિત કર્મ કરનાર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું, જેને જાણી લેવાનો અર્થ છે વેદોને જાણી લેવા. અર્થાત્ તેઓ પરમ ગુરુ છે.)

ईश्वरः परमः कृष्णः सच्चिदानंदविग्रहः।
अनादिर् आदिर् गोविन्दः सर्व कारण कारणम्॥ (બ્રહ્મસંહિતા (૫.૧))
(શ્રી કૃષ્ણ પરમ ઈશ્વર છે તથા સચ્ચિદાનંદ છે. તે આદિપુરુષ ગોવિંદ સમગ્ર કારણોના કારણ છે.)

પ્રભાતે સૂર્યોદય થતાં આકાશની સોનેરી કોર જે રીતે તેજસ્વી હોવા છતાં આંખોને દાહક નથી અનુભવાતી એ જ રીતે સાક્ષાત્ સચ્ચિદાનંદ બાળસ્વરૂપે આનંદ-ક્રીડા કરી રહ્યા હોય એ દૃશ્ય દાહક નહીં, પાવક-આહ્લાદક બની રહે છે. ‘તોલે’ના સ્થાને ‘તૂલે’ પાઠાંતર હોવો જોઈએ એમ ઘણા વિદ્વત્જનો માને છે, જે સાચું હોવાનું અનુભવાય છે. એ જ મુજબ ‘સોનાનાં પારણાં માંહી ઝૂલે’ના સ્થાને ‘સોનલા પાલણામાંહી ઝૂલે’ એવો પાઠાંતર પણ જોવા મળે છે. છંદ અને ભાષાની દૃષ્ટિએ આ પાઠ વધુ સાચો હોવાનું અનુભવાય છે. આગલી કડીમાં જ્યોત-ઉદ્યોતની વર્ણસગાઈ અને નાદમાધુર્ય પછી ‘સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે’માં જે રીતે ‘આનંદ’ શબ્દ અડી-અડીને આવે છે અને ‘દ’, ‘ન’, ‘ક’ વર્ણ તથા બીજી પંક્તિમાંનો ત્રણવારનો ‘લ’કાર નરસિંહની ઘણી રચનાઓમાંથી સંભળાતા નાદસૌંદર્યની ઉપરાંત ઝૂલણા છંદના ઝૂલામાં કવિ આપણને ઝૂલાવતા હોવાની બેવડી અનુભૂતિ કરાવે છે. છંદોલય પરનું કવિનું આ સામર્થ્ય સાનંદાશ્ચર્ય જન્માવે છે.

કવિતાની ગતિ પણ ધ્યાનાર્હ છે. જાતમાંથી બહાર નીકળીને ગગનમાં કૃષ્ણદર્શન કર્યા બાદ બુદ્ધિગમ્ય જાતને ભૂલી જઈને ભક્તિપ્રેમમાં સરાબોળ થઈ જ્ઞાનના સૂર્યોદય સમયે એની શોભાનો ક્યાસ કાઢવાનો છે. અને આ ક્યાસ કઈ રીતે કાઢવાનો છે? કોઈપણ જાતની દીવેટ, તેલ કે જ્યોત વિના સળગી રહેલ આ તેજસ્વી અગ્નિદીપનો ક્યાસ ઇન્દ્રિયાતીત થઈને કાઢવાનો છે. આ તો શાશ્વત અને સદોદિત દીપક છે. જાતમાંથી બહાર આવી ઉર્ધ્વનજર કરવાની છે, પ્રભુચરણમાં ‘હું’નું મરણ ઇચ્છવાનું છું, બુદ્ધિથી પીછો છોડાવીને પ્રેમની સજીવનબુટ્ટી હાથ ગ્રહવાની છે, પ્રભુશોભાના સચ્ચિદાનંદમાં લીન થવા માટે ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે. આંખ વિના એના દર્શન કરવાના છે. ઈશ્વરના દર્શન આમેય ચર્મચક્ષુથી તો શક્ય જ નથી. ગીતામાં ખુદ શ્રીકૃષ્ણે કહ્યું છે:

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा|
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११.८॥

(તું તારી આ આંખ વડે મને જોઈ નહીં શકે. (તેથી) હું તને દિવ્યચક્ષુ આપું છું, જેનાથી તું મારા યોગ-ઐશ્વર્યને જો.) ઈશ્વરને જોવા માટે મનને નહીં, દૃષ્ટિને બદલવાની જરૂર છે. એને આંખ વિના જોવાનો છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી જેને આપણે ઓળખવાનું હોય. આપણે તો બધા જ ઈશ્વરને રૂપ આપી દીધું છે. ચિત્રો અને મૂર્તિઓમાં નિરાકારને આપણે એ હદે આકાર આપી બેઠાં છીએ કે આંખ ખુલ્લી હોય કે બંધ- આપણી નજર સમક્ષ સર્જનહારનું મનુષ્યે કરેલું સર્જન જ નજરે ચડે છે. ભલે આપણે એને શ્રદ્ધાનું વાહન કહી આપણી મર્યાદાઓ ઉપર પડદો નાંખીને આપણી જાતને કેમ ન છેતરતાં હોઈએ, જ્યાં સુધી ઈશ્વરને ચર્મચક્ષુ વગર અને અરૂપ જોવાની તૈયારી નહીં હોય, ત્યાં સુધી એ સામો આવશે જ નહીં. વળી, એની અમીકૃપાનો સ-રસ રસ પણ દુન્યવી જીભની મદદ વિના ચાખવાનો-પીવાનો છે. એને આત્માથી અનુભવવાનો છે. નરસિંહે અન્યત્ર કહ્યું જ છે: ‘જ્યાં લગી આત્માતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.’ અહીં પણ બે પંક્તિમાં છ વાર આવતા ‘વિણ-વણ’; ‘ત’, ‘વ’, ‘ણ’, ‘ળ’ની વર્ણસગાઈ; ‘રસ-સરસ’નો ઝૂલો તથા ‘નીરખવો-પરખવો’ના આંતર્પ્રાસ વાપરી કવિએ જે અદભુત કવિકર્મ કર્યું છે એ નોંધ બહાર જતું નથી. ગુજરાતી સાહિત્યનો સૂર્યોદય બારમી સદીમાં થઈ ચૂક્યાના ખાસ્સા ત્રણસોએક વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં આ કવિને આપણે આદિકવિનું સન્માન એમનેમ કંઈ આપ્યું નથી.

ઈશ્વર તો અકળ છે ને અવિનાશી છે. એ અધ: અને ઉર્ધ્વ – સ્વર્ગ અને નર્કની મધ્યમાં અર્થાત્ આપણી વચ્ચે જ મહાલે છે. એ અકળ છે પણ સકળ વ્યાપ્ત છે. કણકણમાં એનો વાસ છે. જડચેતનમાં એનો વાસ છે. સાચો સંત હોય એ એને પ્રેમના તંતુથી ઝાલે છે. નાની અમથી કવિતામાં કવિ બીજીવાર ઈશ્વરને પામવા માટે પ્રેમની અનિવાર્યતા સ્થાપિત કરે છે. ઈશ્વર જ્ઞાન-તપ-જાપ-મંત્રોથી પરે છે. એને વશ કરવો હોય તો માત્ર પ્રેમથી જ કરી શકાય. એ ખુલ્લું જ કહે છે, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ અહીં પણ ‘અકળ-સકળ’, ‘અરધ-ઉરધ’, તંત-સંત’, માંહ્ય-માહાલે’ના આંતર્પ્રાસ ઉપરાંત ઝૂલણાના ઝૂલે ઝૂલાવતી વર્ણસગાઈઓ પણ ચૂકવા જેવી નથી.

ઉમાશંકર જોશીની ટિપ્પણીથી વાત પૂરી કરીએ: ‘આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोऽहम् ધ્વનિનું ગુંજન, -આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાલમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.’

ગીત મેં શોધી કાઢ્યું – પન્ના નાયક

ફૂલ પરણનાં સ્મિત….

*****

ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત 
ગીત મેં શોધી કાઢ્યું 
ક્યાંક કિરણનાં ક્યાંક ઝરણનાં ફૂલ પરણનાં સ્મિત, 
ગીત મેં શોધી કાઢ્યું 

વૃક્ષ વૃક્ષનાં મૂળિયે મૂળિયે ક્યાંક અજાણ્યાં સ્પંદન,
નીરવ રાતે નદી કરે છે ઝીણું ઝીણું ક્રંદન 
ક્યાંક સ્પંદને ક્યાંક ક્રંદને 
ઝરમર ઝરમર ઝરમર ઝરમર ઝરમરતું સંગીત 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી? 
જાણે કે એ અદીઠ સંગાથી, 
લયમાં રણકે લયમાં ઝણકે 
સણકે કોઈની સાવ સનાતન પ્રીત, 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.

ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લૉબલ કવિતા : ૧૪૧ : નિર્દોષ ને નિર્મળ આંખ તારી – હરિશ્ચંદ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!

– હરિશ્ચંદ્ર ભટ્ટ

સ્વજનના મૃત્યુની કવિતા સુખ આપે કે દુઃખ?

મૃત્યુ. મૃત્યુને તમે કેવી રીતે જોશો? નિકટના સ્વજનના મૃત્યુને? નિકટના સ્વજનના અકાળ મૃત્યુને? પહેલા શ્વાસની સાથે જ આખરી શ્વાસ અવિનાભાવી સંબંધથી બંધાઈ ચૂક્યો હોવા છતાં જન્મ અને મરણ- આ બેઉને જોવા માટેનાં આપણાં ચશ્માં સાવ અલગ છે. આપણી તો ગીતા અને શંકરાચાર્યની સંસ્કૃતિ. जातस्य हि ध्रुवो मृत्युः અને पुनरपि जनमं पुनरपि मरणं ના મંત્રો આપણને ગળથૂથીમાં પિવડાવાયા છે. મૃત્યુ પશ્ચાત્ પણ આત્માને नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જાણતાં હોવા છતાં આપણે સહુ अशोच्यानन्वशोचस्त्वं (જેનો શોક કરવો ઉચિત નથી, એનો શોક કરીએ છીએ.) ખેર, આ મનુષ્યની પ્રકૃતિ છે. જન્મ આપણે ત્યાં ઉત્સવ છે, અને મૃત્યુ શોક. એમાંય જો કોઈ અત્યંત નજીકનું સગું હોય અને કૂમળી વયે અવસાન પામ્યું હોય તો શોક નિરવધિ બની રહે છે. પણ ગીતાપાઠ પચાવી ચૂકેલ સાચા જ્ઞાનીઓ મૃત્યુને સમ્યક ભાવે જોઈ શકતા હોય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની પ્રસ્તુત રચના જન્મ અને મરણને સમાનભાવે આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. ૦૬-૧૨-૧૯૦૬ના રોજ દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ ખાતે જન્મ. મેટ્રિક પાસ કર્યા બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણવું હતું. પિતાજીની બિમારીના લીધે યોજના પડતી મૂકવી પડી. કાલબાદેવીની એક પેઢીમાં ‘મહેતાજી’ થયા. કમિશન એજન્ટ તરીકે પુસ્તકોની લે-વેચ કરી. પૉલેન્ડની રાજદૂત કચેરીમાં કામ મળ્યું. ‘નાલંદા પબ્લિકેશન્સ’ના નામે પુસ્તક પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો. ‘યુગદર્શન’માં પણ જોતરાયા. પણ કદાચ ક્યાંય કાયમી મેળ સધાયો નહીં. ભાઈ, બનેવી, બહેન જેવા સ્વજનોનાં અકાળ મૃત્યુના સાક્ષી બનવું પડ્યું. છેવટે કવિએ ૧૮-૦૫-૧૯૫૦ના રોજ માત્ર ૪૩ વર્ષની વયે જિંદગીથી પડતું મેલ્યું. અત્મહત્યા કરી. જિંદગી માટે એમને કોઈ ‘અટૅચમેન્ટ’ નહોતું. એ કહે છે: ‘મને attachment ક્યાંથી હોય? મિત્રોએ મારી દયા ખાધી છે અને ક્યાં તો સલાહ આપ્યા કરી છે. જેણે પોતાનામાંથી શ્રદ્ધા ગુમાવી હોય તેનું એવું જ થાય, એ હું જાણું છું. જીવવાની તાકાત માણસે પોતાનામાંથી મેળવવાની હોય છે.’ ઉ.જો.ને એક પત્રમાં એમણે લખ્યું હતું કે, ‘મારાં કાવ્યો પ્રસિદ્ધ કરશો નહિ, સરસ્વતીનો મેં અપરાધ કર્યો છે.’ જો કે આ અપરાધ ઉ.જો. કર્યા વિના ન રહ્યા એ આપણી ભાષાનું સદનસીબ.
એમની કવિતાઓમાં વયષ્ટિથી લઈને સમષ્ટિ સુધીનો છલોછલ પ્રેમ છલકે છે તથા માનવવેદના માટે સંવેદનાનો સૂર પ્રગટતો સંભળાય છે. વિશ્વકવિતા-સાહિત્યના આજન્મ વાચક, ભાવક અને સાધક. પૉલિશ ભાષામાંથી અનેકાનેક ઉમદા અનુવાદો પણ એમણે આપ્યા છે. સુરેશ દલાલ તો લખે છે, ‘આપણા કવિઓને અને કવિતાને યુરોપિય સાહિત્ય તરફ વાળવામાં એ નિમિત્ત થયા છે. રિલ્કે અને બૉદલેર માટે એમને પક્ષપાત છે. ક્યારેક તો આપણને એમ લાગે કે આ જીવ ભારતમાં ભૂલો પડ્યો છે, મૂળે તો એ યુરોપના જગતમાં જન્મ્યો હશે. કવિતા એ એમને માટે પ્રયોગનો અખાડો નહીં, પ્રયોગશાળા હતી.’ જયંત પાઠકને પણ હરિશ્ચંદ્રમાં ‘પદ્યપ્રયોગો માટેની ધગશ અને સૂઝ’ બંને દેખાયાં છે. ઉમાશંકર જોશી એમને ‘બહુશ્રુત કવિ’ કહે છે. એ કહે છે, ‘આપણું સંસ્કૃતિમધુ હરિશ્ચંદ્રની બાનીમાંથી સહજ રીતે ઝમે છે.’ વિશ્વસાહિત્યના બહોળા આચમનનો એમના કાવ્યવિશ્વ ઊંડો પ્રભાવ રહ્યો. પ્રખર અભ્યાસુ સર્જક પણ લખેલી પંક્તિ જવલ્લે જ મઠારવી પડતી. છંદોલય પર પ્રભાવશાળી પ્રભુત્વ. પ્રાસવ્યવસ્થાના હિમાયતી, પણ દુરાગ્રહી નહીં. જો કે સૉનેટ કે ગીતકવિ તરીકે તેઓ બહુ જામી શક્યા નહીં.

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક પણ છે. સમજાય છે કે કથક એવી વ્યક્તિને સંબોધીને વાત કરનાર છે જે હજી દુનિયાના રંગોથી ખરડાઈ નથી, જેની દૃષ્ટિમાં કોઈ દોષ કે મલિનતા હજી પ્રવેશ્યાં નથી. કવિએ મુરલીધર ઠાકુર સાથે ૧૯૪૦માં ‘સફરનું સખ્ય’ નામે સંયુક્ત સંગ્રહ આપ્યો હતો, એમાં આ રચનાનું શીર્ષક ‘વસંતપંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ રાખ્યું હતું. કવિના મૃત્યુપર્યંત ૧૯૫૯માં ઉમાશંકર જોશી સંપાદિત ‘સ્વપ્નપ્રયાણ’માંના ટિપ્પણ વિભાગમાં એ વિષેની નોંધ છે. કવિએ સંગ્રહનું નામ, મુખપૃષ્ઠનું કલ્પનાચિત્ર તથા ૧૭૪ કૃતિઓને દસ સ્તબકમાં વહેંચીને સંગ્રહની હસ્તપ્રત પણ તૈયાર કરી હતી. કમનસીબે સ્વપ્નપ્રયાણ વાસ્તવપ્રયાણ બને એ પહેલાં કવિ જ સ્વર્ગપ્રયાણ કરી ગયા એટલે એમના એ સંગ્રહને ઉમાશંકરે આકાર આપ્યો. કવિની આ બહુખ્યાત રચના છે. લગભગ દરેક વિવેચકે અને સંપાદકે આ કવિતાની નોંધ લેવી પડી છે. કૂમળી વયે, દુનિયા જે દિવસે વસંતોચ્છવ મનાવે છે, એ જ દિવસે અવસાન પામેલી બહેન માટે એના ભાઈએ લખેલી આ અમર કવિતા છે.

કવિએ સોળ પંક્તિના આ ઊર્મિકાવ્યને ચાર-ચાર પંક્તિના ચાર ખંડમાં વહેંચી નાંખ્યું છે. મોટાભાગની પંક્તિઓમાં કવિએ ઉપજાતિ છંદ કામમાં લીધો છે, જે ઇંદ્રવજ્રા તથા ઉપેંદ્રવજ્રાના સંયુક્ત ઉપયોગથી બનેલો છે. ૧૧ અક્ષરોના આ અખંડ રૂપમેળ છંદને સ્વતંત્ર રીતે જોવા જઈએ તો ૧, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૩ તથા ૧૪મી પંક્તિમાં ઇંદ્રવજ્રા તેમજ બીજી અને આઠમી પંક્તિમાં ઉપેંદ્રવજ્રા છંદ વપરાયો છે. પણ સોળમાંથી છ પંક્તિઓમાં કવિએ ૧૨ અક્ષર વાપર્યા છે, જેમાં ૫, ૧૨, ૧૫ તથા ૧૬મી પંક્તિમાં વંશસ્થ અને છઠ્ઠી-સાતમી પંક્તિમાં ઇંદ્રવંશા છંદ પ્રયોજ્યો છે. આ ચારેય છંદ લગભગ એકસમાન છે. ઇંદ્રવજ્રાના ‘ગાગા લગાગા લલગા લગાગા’માં પહેલા ગુરુના સ્થાને લઘુ મૂકતાં ઉપેંદ્રવજ્રા થાય. ઇંદ્રવજ્રાના છેલ્લા ‘લગાગા’ના સ્થાને ‘લગાલગા’ કરો એટલે ઇંદ્રવંશા અને ઉપેંદ્રવજ્રામાં એમ કરો એટલે વંશસ્થ. આમ, નજીક-નજીકના ચાર છંદોની કૉક્ટેલ કરીને કવિએ મજાનું પીણું તૈયાર કરી આપ્યું છે. કવિ પ્રાસની પળોજણમાં પણ પડ્યા નથી. બે પંક્તિ ઓછી કરીને રચનાને સૉનેટ કહેવડાવવાનું બહુ આસાન હતું, પણ કવિએ એનીય તમા કરી નથી. ચારેય ખંડોનો અંત ઉદગાર ચિહ્ન પર આવે છે.

મૃત્યુના ભયાવહ પંજામાંથી કોઈ બચી શકતું નથી. જન્મે એનું મૃત્યુ અફર છે એ જાણતાં હોવા છતાં આપણે સહુ એવી રીતે જીવીએ છીએ, જાણે આપણું કે આપણા સ્વજનોનું મૃત્યુ તો કદી થનાર જ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે યક્ષના સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે એ પ્રશ્નના જવાબમાં આ જ ઉત્તર ટાંક્યો હતો. આપણે સહુ અમરપટો કે ઇચ્છામૃત્યુ લખાવીને આવ્યાં હોઈએ એમ જ જીવીએ છીએ. કદાચ ખભા પર પળેપળ મૃત્યુનો બોજો ન અનુભવાય એ માટે આ આત્મવંચના (self-denial) પણ જરૂરી છે. પણ યમરાજનો પાશ આપણી નિકટના કોઈકના ગળામાં પડે ત્યારે આપણી તકલીફ વધી જાય છે. એમાંય જ્યારે કોઈ જુવાનજોધ સ્વજન અકાળે સ્વર્ગલોક સિધાવે ત્યારે એ ઘા વધુ અસહ્ય બની રહે છે. અહીં જેની આંખો હજી દુનિયાના કાળાધોળાથી મલિન થઈ નથી કે જેની નજરોમાં હજી કોઈ ગંદકી પ્રવેશી નથી એવી સાવ નિર્દોષ અને નિર્મળ આંખવાળી બહેનના અકાળ અવસાનની વાત કવિ કરે છે. શોક છે, પણ પોક નથી. યાદ છે, પણ ફરિયાદ નથી. મરણ હવે સ્મરણ બની ચૂક્યું છે. મૃતક સાથે સંવાદ છે, પણ મૃત્યુ સાથે વિખવાદ નથી. કસાઈ મૃત્યુને જરાય આછકલાઈ વિના ભાઈએ સ્વીકાર્યું છે. કવિનો આ વિવેક ‘નયનમાં કરુણા થકી જો ગ્રહે,/જીવન મૃત્યુ બધું સરખું જ છે’ પંક્તિઓમાં પણ દેખાય છે.

યાદના ઝરુખામાં હંમેશા ચહેરો જ પ્રથમ ડોકાય. ચહેરામાંય આંખ અને આંખની ચમક કદાચ સૌપ્રથમ ચાક્ષુષ થાય. કવિનેય પ્રથમ તો બહેનની આંખ જ યાદ આવે છે. દોષરહિત અને મળરહિત આંખોવાળી બહેન યૌવનથીય હજી અજાણ હતી. માંડ એણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો ને આ દુર્ઘટના ઘટી. વસંત વીત્યે આંબાના બદલે કાયાનો મોર ખરી પડ્યો. કવિ અન્યત્ર કહે છે: ‘વસંત વીતી, નવ આમ્ર-મંજરી/ખરી, પડી યૌવનદેહ-મંજરી.’ કવિ આમ પણ લખે છે:

આ આમ્રની મંજરી મ્હોરતી હજી
અધૂકડી, ને સ્વજનો ગુમાવવાં;
વસંત ઓ! જીવનની વસંતમાં
સ્નેહી અને આપ્તનું મૃત્યુ જોવું?

બહેનના લગ્ન જાણે ગઈકાલની વાત છે. સામાન્યરીતે સ્ત્રી લગ્ન સમયે જે શણગાર સજે એટલો કદાચ આખા જીવનમાં સજતી નહીં હોય. પણ અહીં કવિ બહેનનો શૃંગાર લગ્નપ્રસંગે નહીં, ચિતાના અગ્નિમાં પૂર્ણ થયેલો કલ્પે છે. ભાઈનું હૃદય તો પીડાના મારથી આખું તળેઉપર થઈ ચૂક્યું છે, પણ એના બાહ્ય વર્તનમાં, કવિના શબ્દોમાં ભારોભાર સંયમ છે. પોતાની બહેનના અસ્તિત્વના આખરી અંશોને ઓહિયા કરી જનાર અગ્નિ માટે ક્રોધવચન ઉચ્ચારવાના બદલે એ અખંડ સૌભાગ્યવતી હરિશરણ પામેલી બહેનનો શણગાર એમાં જઈ સંપૂર્ણ થયો હોવાનું કહે છે. અગ્નિનું કામ આમ તો ખાક કરવાનું, ભસ્મીભૂત કરવાનું. પણ અહીં એ અગ્નિ શણગાર ‘પૂર્ણ’ કરે છે, એમ કહીને કવિએ વક્રોક્તિને ધાર કાઢી છે. અત્યંત સમ્યક્ અને શાલીન જણાતી પંક્તિઓની વચ્ચે ભડભડ સળગી રહેલી બહેનની ચિતા આપણને અંદરબહાર બધેથી દઝાડે છે.

હજી તો બહેનની કાયાનો પૂર્ણ વિકાસ પણ થયો નહોતો. સોળે સાન ને વીસે વાન એમ આપણે અમથું નથી કહેતાં. બહેનનો વાન હજી પૂરો ખીલ્યો-ખુલ્યો નહોતો. ગુલાબની કળી જેવું કૌમાર્ય પણ આછું-આછું ઊઘડ્યાં-ન ઊઘડ્યાં જેવું અધખીલ્યું જ હતું. જીવન જીવે-ન જીવે ત્યાં તો મૃત્યુ આવી ગયું, જાણે ચૂંદડી દેહ પર પહેરતાં પહેલાં તો સરી પડી. આમ આ કવિ પ્રાસના બંધાણી નથી. પણ જુઓ, અહીં પાંગરી-જરી-સરીની સાથે કૂંળી-પ્હેરી-ચૂંદડી-પડી-અંગથી -એમ ચાર પંક્તિમાં સળંગ આઠ-આઠ ‘ઈ’કાર કવિતાની ગતિ અત્યંત ઝડપી બનાવી ચૂંદડીના પહેરાયા પહેલાં જ સરી જવાની ઘટનાને કેવા સાકાર કરે છે, અને પીડાની ચીસને અસહનીય તીવ્રતા પણ બક્ષે છે!

નવપરિણીત ભગિનીએ હજી તો સંસારરસ ચાખવું આદર્યું પણ નહોતું. સાગરમાં ઊંડા ઊતરી મજા લેવાની વાત તો દૂર, કિનારે ઊભીને નાનકી અંજલિ ખોબામાં માંડ લીધી હતી. પાણી ખારું કે મીઠું એની સમજણ સુદ્ધાં પડે એ પહેલાં તો પગ સમુદ્રમાં સરી પડ્યો. કાળ આવે કે હાડ ગાળતો શિયાળો આવે અને કૂમળા પુષ્પોને દવમાં પ્રજાળી દે એની સામે કવિને વિરોધ નથી. દવનો એક અર્થ ઝાકળ તો બીજો વનમાં આપમેળે પ્રગટતો અગ્નિ. કવિને કદાચ બંને જ અર્થ અભિપ્રેત હશે. ઝાકળ જે ફૂલોની શોભા હોય, એ જ ફૂલોને બાળી નાંખે એમ પણ અર્થ કાઢી શકાય અને દાવાનળમાં કૂમળા પુષ્પો હોમાઈ જાય એ અર્થઘટન પણ થઈ શકે. બંને અર્થ પીડાના ભાવને બળકટ જ બનાવે છે અને કાવ્યને ઉપકારક જ છે. ખરવું પુષ્પમાત્રની નિયતિ છે પણ કળીનું શું? કાળઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ તોસમજાય પણ વસંતમાં? અને ખુદ વસંતની ફૂંકથી? વસંતનું કામ તો ખીલવવાનું, પ્રાણ ફૂંકવાનું. પણ અહીં જેની દેહકળી સાવ સુકોમળી હતી એવી બહેન વસંતમાં, વસંતની ફૂંકથી ખરી પડી છે. વિધિની આ વિટંબના કવિને અકળાવે છે. સુરેશ જોષીને ‘ફૂંક’ શબ્દમાં ‘દીપનિર્વાણનું સૂચન’ નજરે ચડ્યું છે. સુકોમળી-દેહકળીના આંતર્પ્રાસ અને બેવડા ‘ઈ’કારને ‘અરે’ ‘અરે’ની પુનરોક્તિથી દૃઢાવીને આખરી પંક્તિમાં કવિ ફરીથી ‘..તની-મહીં-ખરી-પડી’ના ચાર ‘ઈ’કારની મદદથી ફરી એકવાર ચિત્કાર જન્માવે છે ભાવકના હૃદયમાં. વસંતઋતુમાં જીવનવંસતના આ વિયોગને કવિએ અન્યત્ર પણ આલેખ્યો છે:

વસંત મારા જીવને ન’તી કદી
વસંત મારી રહી પાંગર્યા વિના
વસંતની મંજરી મ્હોરી ન્હોતી ત્યાં
વસંતમાં મેં ભગિનીએ ગુમાવી

સ્વજનના અકાળ મૃત્યુ પર આવી સંયત ભાષા ભાગ્યે જ જોવા મળે છે. કવિતામાં ક્યાંય મૃત્યુ શબ્દ પણ વપરાયો નથી. કોઈ જગ્યાએ કવિએ યમરાજને કે ભાગ્યને દોષ દીધો નથી. સમ ખાવા પૂરતોય ફરિયાદનો સૂર ક્યાંય સંભળાતો નથી. પોતાની પીડાને પૂર્ણ સંયમથી કવિએ આલેખી છે. તોડી નાંખી, ચૂંટી લીધી, છિનવી લીધી જેવા ક્રિયાપદોની સરખામણીમાં કવિએ વાપરેલા સરી પડી, સરી પડ્યો, ખરી પડી જેવા ક્રિયાપદો મૃત્યુના સહજભાવના સ્વીકારને ઉજાગર કરીને કદાચ વેદનાને વધુ ઘૂંટી શક્યાં છે. સરી પડવું અને ખરી પડવુંમાં જે નૈસર્ગિકતા છે, કર્તાના વાંકદોષનિર્દેશનો જે અભાવ છે, એ ખાલીપો વધુ ભરેલો લાગે છે, એ વધુ તકલીફદેહ છે. આક્રોશ કરતાં સ્વીકાર ઘણીવાર વધુ અસહ્ય બની રહે છે. કવિની મખમલી ભાષા સમસ્ત રચનામાં ધ્યાનાર્હ બની રહે છે. જેમ ક્રિયાપદો સહજસ્વીકૃતિદર્શક છે, એમ જ શબ્દપ્રયોગો પણ બધા જ ધનમૂલક છે. હૃદયવિદારક મૃત્યુની વાત હોવા છતાં કવિએ આખી કવિતામાં એકેય જગ્યાએ ક્રોધ-કાલિમાસભર શબ્દ વાપર્યા નથી. કદાચ આ સમ્યકભાવ એ કવિનો મૂળ સ્વભાવ જ હશે:

વસંતને દોષ ન હોય રે કદા,
વસંત સમૃદ્ધ, ભર્યો ભર્યો સદા.
વસંત! આજે મુજ એક માગણી:
વિષાદની શેં ન વસંત માણવી!

હરીન્દ્ર દવેએ કંઈ એમનેમ એમને ‘વિષાદની વસંતનો કવિ’ કહ્યા હશે! કવિનો આ વિષાદ ભારઝલ્લો કવચિત્ જ જોવા મળે છે. વસંત માટેનો એમનો અનુરાગ અન્યત્ર પણ છલક્યા વિના રહ્યો નથી:

ગ્રીષ્મમાં બળતા વિયોગને ગાજે
વર્ષા આવે ત્યારે સ્મરણોમાં ન્હાજે,
એક વસંત સિવાય વસંતમાં
-બીજું કાંઈ ન ગાજે.

વસંતમાં માત્ર વસંતનું જ ગાન કરવું એ કવિની સહજ પ્રકૃતિ છે. અંગત અને વૈશ્વિક દુઃખો તરફ એ બુદ્ધના કરુણાસભર નેત્રથી જુએ છે. કદાચ એટલે જ ખૂબ સરળ ભાષામાં લખાયેલી એમની રચનાઓ આપણા અંતરમનના અંદરતમ તારોને સ્પર્શી જાય છે. સુરેશ જોષી આ કવિતા વિશે લખે છે: ‘હરિશ્ચંદ્રનું આ કાવ્ય વાંચતા મૃત્યુની કરાંગુલિ એના મૃદુ સ્પર્શથી જીવનવીણામાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. મેં કહ્યું ‘સુખ.’ હા, સુખ. કરુણનો અહીં આક્રોશ નથી; અરે, ઉપાલમ્ભનો કાકુ પણ અહીં સંભળાતો નથી. ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિએ અહીં રચી છે, કારણ કે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે.’ આખી કવિતામાં ક્યાંય રોષ કે આક્રોશ નથી, અવસાદ કે ફરિયાદ નથી, ઠપકો પણ નથી. ક્યાંય મૃત્યુના નામ પર કોઈ ફિલસૂફી નથી. કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ નથી પહોંચાડતી, પણ શાંતિનો અહેસાસ કરાવે છે. બહેનના અનાયાસ મરણને કવિએ ફૂલની પાંખડી પરથી ઝાકળબુંદ દડે એ મસૃણતાથી સાવ તટસ્થભાવે આલેખ્યું છે. ભાવકના મનમાં એ ધારદાર વેદના તો જન્માવે જ છે, પણ સુરેશ જોષીએ કહ્યું એમ આ વેદના દુઃખ નહીં, સુખની લાગણી અનુભવાવે છે, એક ઉત્તમોત્તમ કવિતામાંથી પસાર થયાના સુખની લાગણી!

હું તો લીલીછમ લીલીછમ થઇ.. – નીતિન મહેતા

ગીત- શ્રી નીતિન મહેતા
સંગીત- સ્વ. સુભાષ દેસાઇ
સ્વર – નંદિતા ઠાકોર

https://youtu.be/neNVsh6IQ98

સ્હેજ ઉભી’તી તરુવરને છાંયે
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થઇ..
પડછાયા જોતાં શું ટીકી ટીકી ટીકી મને પડતી કશી ય ગમ નઈં…

તડકા ઉલેચ્યા મેં ખોબે ખોબે તો થયો
કાયાનો સોનેરી રંગ
હેબતાઇ જઇ હું તો ફૂલમાં છૂપાઇ
મારે રોમેરોમ ફૂટી સુગંધ
અરે ટેરવે ઝીલીને એક ટીપું પીધું ને બાઈ…
હું તો ભીનીછમ ભીનીછમ થઇ..
મને પડતી કશી ય ગમ નંઇ.

નેજવું કરીને જરી જોયું આઘે ત્યાં
છાતીના મોર કૈં ગહેક્યા
શરમાઇ જઇ હું તો શમણે છૂપાઇ ને
ભીતરનાં અરમાનો બહેક્યા
અરે કમખેથી ગાંઠના છૂટ્યા કંઇ બંધ
હું તો ખાલીખમ ખાલીખમ થઇ
મને પડતી કશીય ગમ નંઇ..