Category Archives: કાવ્યપ્રકાર

નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ

બરાબર 13 વર્ષ પહેલાં ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રસ્તુત થયેલી આ રચના – આજે હેમંત જોષીના સ્વર-સ્વરાંકન સાથે ફરી માણીયે. 

સ્વર – સ્વરાંકન – સંગીત :  હેમંત જોષી 

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ગ્લૉબલ કવિતા: પતિની પ્રેમિકાને નામ – રશ્મિ ભારદ્વાજ (હિંદી)

पति की प्रेमिका के नाम

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज


પતિની પ્રેમિકાને નામ

વિચારું છું કે તારા પર એક ઘર તોડવાનો આરોપ મૂકું,
કે પછી એ પુરુષના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને
ભરવાનું શ્રેય આપું,
જે ઘરગૃહસ્થીની જંજાળોમાં
મારા પ્રેમને કદાચ યથોચિત સ્વીકારી શક્યો નહોતો,
તારી અને મારી વચ્ચે
એકબીજા સાથે બંધાયેલ રહેવા માટે ઘણાં કારણો હતાં
આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં
જે મને રિક્ત કરીને
સ્વયંને તારામાં ખાલી કરી રહ્યો હતો

તારી પાસે જે આવ્યું હતું
તે તો મારા પ્રેમનો શેષ ભાગ હતો,
અમારા સંબંધની બચીકૂચી
ઇચ્છાઓનું પ્રેત,
હર પળ મારા જેવા નહીં થવાની ચેષ્ટામાં
હું જ તારી અંદર ઉપસ્થિત રહેતી હોઉં અને
એણે કહેલ વાર્તાઓના પડછાયા
છેક તારા બિસ્તર સુધી પહોંચી જતા હોય
એ પરિસ્થિતિ તારા માટે કેટલી મુશ્કેલ રહી હશે, નહીં?

મારાથી અધિક આકર્ષક
અધિક પ્રેમાળ
અધિક ગુણિયલ થવાની અઘોષિત ચેષ્ટામાં
તું સ્વયંને જ ગુમાવતી રહી
અને મારી પાસેથીય મારું બધું જ છીનવાઈ ગયું
ત્યારે છેક હું જાતને શોધવા નીકળી.
આપણે પરસ્પરને પેટ ભરીને ગાળો ભાંડી
એકબીજાના મરવાની દુઆઓ પણ કરી,
આપણી વચ્ચે એક પુરુષના પ્રેમનો જ નહીં,
ઘૃણાનોય અતૂટ સંબંધ હતો.

મારી પાસે હતા
પ્રેમનો ભૂતકાળ,
એક વીતી ગયેલ ઉંમર
અને વીતતી જતી કાયાની સાથે
એના પ્રેમના પ્રતીક સમું
એક જીવન

તારી પાસે હતા
પ્રેમનો વર્તમાન
યૌવનનો ઉન્માદ
દેહનું સમર્પણ
નિજના રૂપનો ઘમંડ
અને મારા માટે એક પડકાર

પણ આપણું ભવિષ્ય તો આપણે બંને જણે
કોઈ બીજાને જ સોંપી દીધું હતું

હોવું તો એમ જોઈતું હતું કે તું મારા અતીત
અને હું તારા વર્તમાનના
સહિયારા દુઃખને વાંચી શક્યાં હોત
કાશ કે આપણે દુઃખોથી પણ બંધાયા હોત

– રશ્મિ ભારદ્વાજ (હિંદી)
(અનુ.: વિવેક મનહર ટેલર)


પતિ, પત્ની ઔર વો – એક શાશ્વત વિષમબંધ!

લગ્નજીવનમાં સૌથી વજનદાર શબ્દ કયો? પ્રેમ? ના, વફાદારી. જીવનસાથી કદરૂપો હોય કે નિર્ધન, કમજોર હોય કે કમઅક્કલ, લાંબો-ટૂંકો, જાડો-પાતળો કે ઉંમરલાયક હોય –આ બધુંય કદાચ ચાલી જાય, પણ વફાદાર ન હોય તો? પ્રેમના અઢી અક્ષરના અભાવે નહીં તૂટ્યાં હોય એટલાં લગ્નજીવન વફાદારીના ચાર અક્ષરના અભાવે તૂટ્યાં હશે. પરસ્ત્રીના કારણે પતિ-પત્ની વચ્ચેનો સમ-બંધ વિષમ-બંધ બની જાય એ સમય ત્રણેય પાત્ર માટે કપરો ને અથરો બની રહે છે. ઐતિહાસિક તથ્યોને કોરાણે રાખીને પેશ્વા બાજીરાવના જીવનમાં આવેલ મસ્તાનીને કાશીબાઈએ શું કહ્યું હશે એની કલ્પના ફિલ્મ બનાવનાર જે રીતે કરે, એ જ રીતે એક પત્ની પોતાની શોક્યને શું કહેવા માંગતી હશે એ વાત કરતી કવિતામાં આજે જોઈએ.

રશ્મિ ભારદ્વાજ. કવિ, અનુવાદક, સંપાદક, રચનાત્મક ગદ્યકાર, પટકથા લેખક. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૩ના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં જન્મ. અંગ્રેજી સાહિત્યમાં એમફિલ, પીએચડી. પત્રકારત્વમાં ડિપ્લોમા. એકાધિક યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા રહી ચૂક્યાં છે. એકાધિક પુસ્તકો. અનેક પુરસ્કારો અને પારિતોષિકોથી સન્માનિત. હિંદી વેબસામયિક મેરાકી (merakipatrika.com)ના સંપાદક. હાલ, ગાઝિયાબાદમાં પોતાની પુત્રી સાથે રહે છે.

વિધવિધ ભાષાની કવિતાઓનો અનુવાદ તો બરાબર, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદી ન સમજાય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. ‘પતિની પ્રેમિકાને નામ’ કવિતામાં ભાષા કેવળ ઊર્મિવહન પૂરતી જ ખપમાં લેવાઈ હોવાથી શબ્દાવલિ એટલી સરળ છે કે કવિતાનો અનુવાદ કરવાના બદલે યથાતથ આસ્વાદવામાં જ મજા આવે. પણ પછી મગજના નાનકડા ખંડમાં પ્રકાશ થયો કે બોલીથી પરિચિત હોવું અલગ વાત છે, અને લિપિની ઉકલત હોવી અલગ. વિદેશ તો ઠીક, પણ આજની તારીખે ગુજરાતમાં જ ગુજરાતીઓની એક આખી પેઢી એવી છે, જેમને ગુજરાતી લખતા-વાંચતા આવડતું નથી. એટલે દેવનાગરી લિપિ લખવા-વાંચવામાં અક્ષમ કે નબળા ગુજરાતીઓના હિતાર્થે પણ આ રચનાનો તરજૂમો કરવો જ રહ્યો. બીજું, એ નિમિત્તે રચના બાબત બે’ક વાત પણ થાય.

‘પતિની પ્રેમિકાને નામ’ – આ વિષય પ્રમાણમાં ખૂબ ઓછો ખેડાયેલ છે. સુષ્ઠુ-સુષ્ઠુ વાતોથી ટેવાયેલ ગુજરાતી કવિતાને તો કદાચ વિષય જોઈને જ મૂર્ચ્છા આવી જાય. પતિના પરસ્ત્રી સાથેના શારીરિક સંબંધથી વાકેફ પત્ની પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૈયું ખાલી કરે છે. સર્જકે આ ઇતર સ્ત્રી માટે ‘પતિની પ્રેમિકા’ સંબોધન વાપર્યું છે, એ જોયું? આપણો શબ્દકોશ તો આ બાબતમાં ઘણો ધનાઢ્ય છે- શોક, શોક્ય, સોતન, સપત્ની, પરકીયા, ઉપવસ્ત્ર, ઉપરણું, છિનાળ, કુલટા, રખાત, ઉપપત્ની વગેરે. (પત્નીના જીવનમાં પ્રવેશેલ ઇતરપુરુષ માટે આવા વિશેષણ ખરા?) જેના કારણે પોતાની જિંદગી શૂન્ય થઈ છે એને સંબોધતી વખતે પણ પત્ની નિજની ગરિમા અને સૌજન્ય ચૂકતી નથી. એટલે જ પુરુષોએ બનાવેલ સેંકડો વિશેષણોમાંથી એકેયને પસંદ ન કરતાં પ્રેમ શબ્દ જેનું મૂળ છે, એવું વિશેષણ –પ્રેમિકા- જ એ એના માટે વાપરે છે.

નિજનું ઘર ત્યજી અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને સ્ત્રીએ જે પુરુષ સાથે નવું ઘર વસાવ્યું હોય એ અવર સ્ત્રીનું પડખું સેવતો થઈ જાય ત્યારે ભીતર થતા વલોવાતને કઈ રીતે ને કેટલો વ્યક્ત કરવો એની મથામણમાં એ છે. પતિને પ્રાપ્ત કરનાર સ્ત્રી સમક્ષ હૈયાવલોણું ફેરવવાની મંશા હોવાથી શું કહેવું ને કેમ કહેવુંનો વિચાર કરવો પડે એ સ્વાભાવિક છે. એ વિચારથી જ કાવ્યારંભ પણ થયો છે. પત્ની વિચારે છે કે સામી સ્ત્રી પર પોતાના ઘરને તોડવાનો આરોપ મૂકવો જોઈએ કે પોતાના લાખ વાનાં છતાં પતિના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને અભરે ભરી દેવાનું શ્રેય આપવું જોઈએ. કેવી સમતુલિત મનોસ્થિતિ! શીર્ષકમાં પતિ શબ્દ વાપરી લીધા બાદ સમગ્ર કૃતિમાં નાયિકા પતિ માટે ‘એ પુરુષ’ સંજ્ઞા જ પ્રયોજે છે, એના પરથી પતિ-પત્ની વચ્ચે આવી ગયેલ અંતર વર્તાય છે. સાચી જગ્યાએ સાચો શબ્દ વાપરી શકે એ જ સારો કવિ.

પુરુષનું હૃદય ખાલી રહી ગયાનું કારણેય આ સ્ત્રી સમજે છે. સ્ત્રીએ તો કશું બાકી નથી રાખ્યું, પણ પુરુષ જ ઘરગૃહસ્થીની જંજાળોમાં ફસાયેલ રહેવાથી એના પ્રેમને યથોચિત પામી ન શક્યો. નિષ્ફળતાનું કારણ સ્વયંની વ્યસ્તતા હોવા છતાં પુરુષ બીજી સ્ત્રી પાસે જઈ પહોંચ્યો. બીજી સ્ત્રી સાથેનો સંબંધ જે હોય તે, પણ પળોજણો અને જવાબદારીઓથી મુક્ત હોવાથી પુરુષને પોતાની પ્રેમની તરસ ત્યાં છિપાતી હોવાનું અનુભવાય છે.

લગ્ન નામની સંસ્થાની સ્થાપના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધોની પણ શરૂઆત થઈ હશે, કારણ કે જૈવિક રીતે તો મનુષ્ય એક પ્રાણી જ છે, અને પ્રાણીઓમાં એકપત્નીત્વ કે એકપતિત્વની વિભાવના ભાગ્યે જ જોવા મળે છે. લગ્ન સામાજિક વ્યવસ્થા ખરી, પણ એ નૈસર્ગિક બંધન નથી, અકુદરતી છે. લગ્નના કારણે પરિવાર અને સમાજ સુદૃઢ અને સુગ્રથિત રહે છે એ સાચું, પરંતુ છે તો જીવનભર માટેનું બંધન જ, સ્વ-ભાવ નહીં. કદાચ આ જ કારણોસર નાનામાં નાના અસંતોષની કાંડી લગ્નના વસ્ત્રમાં આગ લગાડવાને સમર્થ બની રહે છે. કાળા માથાના માનવી તો ઠીક, આપણા દેવતાઓ પણ વિવાહેતર સંબંધોથી પર નથી રહી શક્યા. દેવરાજ ઇન્દ્ર અને અહલ્યાનો પ્રસંગ તો જાણીતો છે જ, એ સિવાય પણ સુંદ-ઉપસુંદના વિનાશાર્થે સર્જાયેલી તિલોત્તમાના રૂપથી ઘેલા થઈ ઇન્દ્રએ હજાર આંખો વિકસાવી હતી. સિંહાસનને સાચવવા માટે ઇન્દ્ર રંભા, મેનકા વગેરે અપ્સરાઓને કામમાં પણ લેતા. સપ્તર્ષિઓની પત્ની માટે અગ્નિદેવને આકર્ષણ થયું, ત્યારે સ્વાહા દેવીએ વારાફરતી છ ઋષિપત્નીઓનું રુપ ધારી અગ્નિ સાથે સંયોગ કર્યો હતો, જેના ફળસ્વરૂપે કાર્તિકેય/સ્કંદનો જન્મ થયો હતો. રોહિણી સહિત સત્તાવીસ પત્ની હોવા છતાં ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાના પ્રેમમાં પડતા દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. પાછળથી તારાએ ચંદ્રના પુત્ર બુધને જન્મ પણ આપ્યો હતો. યયાતિ અને શર્મિષ્ઠાનો દાખલો તો ખૂબ જાણીતો છે. પિતાના રાજકીય હિતોની જાળવણીને ખાતર દેવયાનીની પરિચારિકા તરીકે જીવન વિતાવતી રાજકુમારી શર્મિષ્ઠા દેવયાનીના પતિ યયાતિ સાથેના લગ્નેતર સંબંધથી ત્રણ સંતાનોની માતા બની હતી. મહાભારતના સમભાવપર્વમાં શર્મિષ્ઠા યયાતિને કહે છે: ‘હે સમ્રાટ, મિત્રનો પતિ અને પોતાનો પતિ એક જ ગણાય, સખીના લગ્ન એ પોતાના લગ્ન જ ગણાય. મારી સખીએ તમને પતિ તરીકે પસંદ કર્યા, એટલે તમે મારા પણ પતિ. હું દેવયાનીની દાસી છું. દેવયાની તમારી છે, અટલે દેવયાનીની બધી ચીજ તમારી ગણાય. માટે મારો ઉપભોગ કરો.’

લગ્નસંસ્થા ગમે એટલી પવિત્ર કેમ ન ગણાતી હોય, સમાજ કદી લગ્નબાહ્ય સંબંધથી મુક્ત રહી શક્યો નથી. રામ જેવા રામે અગમચેતી ખાતર સીતાને અગ્નિપરીક્ષા માટે ફરજ પાડી હતી, અને એટલું ઓછું હોય એમ ધોબી જેવા અલ્પમતિ નાગરિકની ટિપ્પણીથી દોરવાઈને રાજનિકાલ પણ દીધો હતો. મનુસ્મૃતિમાં તો સ્ત્રી ક્યારેય સ્વતંત્ર થવા યોગ્ય નથી અને એમને કુટુંબના પુરુષોએ તાબામાં જ રાખવી જોઈએ એ પ્રમાણેના અનેક શ્લોકો ભર્યા પડ્યા છે. પણ તમામ શાસ્ત્રો-પુરાણોની જેમ એય પુરુષોનું જ સર્જનને! પરાપૂર્વથી સમાજ પર પુરુષોનું જ આધિપત્ય હોવાથી શાસક વર્ગ તથા ઉપરી વર્ગોમાં બહુપત્નીત્વ અને લગ્નેતર સંબંધોની ભરમાર જોવા મળે છે. આમ્રપાલી અને વસંતસેના જેવી ગણિકાઓનો સમાજમાં મોભો હતો. પુરાણકથા હોય કે સમાજ, કઠોરતમ સજા પણ બહુધા સ્ત્રીઓને જ ભોગવવાની આવતી, કારણ વફાદારી હોય કે સમર્પણ-બધામાં પુરુષપ્રધાન સમાજનો પ્રભાવ કાયમી રહેતો. ‘પ્રેમ મેં સ્ત્રી’ કવિતામાં કવયિત્રી લખે છે: ‘એ એટલી મુક્ત છે/ કે એને બાંધવી/ મતલબ ખોઈ દેવી/ એ એટલી બંધાયેલ છે/ કે ચાહશે કે એના હર શ્વાસ પર/ અંકિત હોય તમારું નામ…. …એ સ્ત્રીનું ગર્વોન્નત મસ્તક/નમશે માત્ર તમારા માટે/ જ્યારે એ જાણી જશે/ કે એના પ્રેમમાં/ શીખી ચૂક્યા છો તમે/ સ્ત્રી થવાનું.’

પુનઃ આજની કવિતા તરફ વળીએ. પતિના વ્યાભિચારથી દુભાયેલી પત્ની પ્રેમિકાને કહે છે કે આપણા બેની વચ્ચે એકમેક સાથે જોડાયેલ રહેવા માટે અનેક કારણો હતા. આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં જે એક તરફ મને ખાલી કરી રહ્યો હતો, અને બીજી તરફ તારામાં ખાલી થઈ રહ્યો હતો. લગ્નેતર સંબંધ માટે કેવી સચોટ વક્રોક્તિ! ‘હો રામ! ચુન-ચુન ખાએ’ કાવ્યમાં કવયત્રિ લખે છે, ‘જ્યાં સુધી સ્વામીને આધીન છો/ લક્ષ્મી, અન્નપૂર્ણા,/ રાજમહિષી છો,/ આંગણામાં બંધાઈને અનાજની જાળવણી કરતાં રહો/ તમને આજીવન મળતાં રહેશે/ પેટભર અન્ન, હૃદયભર વસ્ત્ર-શૃંગાર/ પરપુરુષોથી સુરક્ષા/ તમારા માટેના અનાજના હર એક દાણા પર આ જ શીખ કોતરાયેલ છે.’ કોઈક પળે નાયિકા આ ‘શીખ’ ચૂકી ગઈ હશે, શું એટલે જ આ પુરુષ બીજી સ્ત્રી તરફ વળ્યો હશે? ઉડિયા ભાષાના કવયિત્રી બ્રહ્મોત્રી મોહંતીના ‘આત્મવંચના’નો કાવ્યાંશ જોઈએ:

…નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
(અનુવાદ: જયા મહેતા)

પ્રેમિકાના નસીબમાં જે આવ્યું છે, એ અક્ષુણ્ણ કે સંપૂર્ણ –બેમાંથી કશું નથી, વરસોના લગ્નજીવન બાદ નાયક પરસ્ત્રી સાથે જોડાયો છે, ત્યારે એની પાસે આપવા માટે એવું કશું જ નથી બચ્યું જે લગ્નજીવનની છાંટ વિનાનું હોય. શેરડીમાંથી રસ કાઢતાં બચતો કૂચો જ તો! પ્રેમિકા માટે પણ આ સંબંધ પળ-પ્રતિપળનો પડકાર છે. ડગલે ને પગલે પ્રેમીની પત્નીથી અલગ અને ઊંચું વ્યક્તિત્વ સિદ્ધ કરતા રહેવાનું આહ્વાન હકીકતમાં તો પળેપળ પ્રેમીની પત્ની સાથે રહેવા બરાબર જ છે. પત્ની કંઈ શોકનો ખાટલો તો ન જ પાથરી આપે, પણ શોક પોતાના બિસ્તરમાં સતત એની ઉપસ્થિતિ અનુભવતી હશે એ પરિસ્થિતિની વિકટતાનો પૂરો અંદાજ એને છે. ત્યક્તા નાયિકાની સહૃદયતા કેવી સ-રસ રીતે ઉપસી આવી છે! ઉદયન ઠક્કરનું ‘અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત’નો એક બંધ આ તબક્કે સ્મરે છે. પ્રેમિકા પોતાના બિસ્તરમાં પત્નીને અનુભવે એ જ રીતે પત્ની પણ પ્રેમિકાને અનુભવતી હશે ને?-

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

બિનશરતી પ્રેમસાગરમાં સુખની નૌકામાં વિહાર કરવાના અરમાન તો કોરાણે રહી ગયાં. ઊલટું, દરેક રીતે પ્રેમીની પત્નીથી ચડિયાતા સાબિત થવાની અઘોષિત ચેષ્ટામાં પ્રેમિકા સ્વયંને ખોઈ બેઠી, અને કાવ્યનાયિકા પણ સંપૂર્ણપણે લૂંટાઈ ગયા બાદ સ્વયંનો સાક્ષાત્કાર કરવા નીકળી છે. બંને સ્ત્રીઓ વચ્ચે આય એક સમાનતા છે. રીત અને કારણ અલગ-અલગ પણ બંને જણ જાતને ગુમાવી બેઠાં છે. કલાપી-રમા અને શોભનાના સંબંધમાં પણ આવું જ થયું હતું ને? લાખ વાનાં છતાં અને ‘એકને ચાહતું તેણે બીજાને નવ ચાહવું! એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!’ કહેવા છતાં કલાપી શોભનાના પ્રેમથી વિરક્ત રહી નહોતો શક્યો. એણે તો બંનેને ચાહવાની કોશિશ પણ કરી હતી-

તુને ન ચાહું ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહીં તો નવ કોઈને હું.

રશ્મિ ભારદ્વાજની આ કૃતિ સ્વપ્નપ્રદેશના ગુલાબી ફુગ્ગા પર નહીં, વાસ્તવિક્તાના અંગારાઓ ઉપર લખાયેલ છે. પત્નીની સહૃદયતા એની તકલીફો અને સ્વની ઓળખ ગુમાવી દીધા બાદ જન્મી છે. બંને સ્ત્રીઓએ પરસ્પરને ખૂબ ગાળોય ભાંડી છે, ને એકમેકના મરવાની દુઆઓ પણ કરી છે. ઉભય વચ્ચે ઘૃણાનો અતૂટ સંબંધ હતો. ખલિલ ધનતેજવીનો આ શેર પત્ની જીવી ચૂકી છે:

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

આ બાબતે સાચો પણ અલ્પસ્વીકૃત એક મત આવો પણ છે-

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

બંને સ્ત્રીઓ પાસે શું બચ્યું છે એની નાની પણ રસપ્રદ યાદી સર્જકે આપી છે. પત્ની પાસે પ્રેમનો ભૂતકાળ, વીતી જતી વય અને પતિના પ્રેમની નિશાની સમું એક સંતાન –જેના માટે સર્જકે ‘એક જીવન’ શબ્દપ્રયોગ કર્યો છે એ વાત ફરી ધ્યાન ખેંચે છે. પતિના પરભાર્યાગમનના પ્રતાપે પત્નીનું જીવન ખાલીખમ બની ગયું છે, પણ પોતાના ભૂતકાળના ભવ્ય પ્રેમની નિશાની સમા બાળકમાં એને ‘જીવન’દર્શન થાય છે. પ્રેમિકાની યાદીમાં છે- પ્રેમનો વર્તમાન, યૌવનનો નશો, શરીરનો સિક્કો, રૂપનું અભિમાન અને પત્ની માટે પડકાર. કારણ બંને સ્ત્રીઓએ પોતાના ભવિષ્યની બાગદોર કોઈ બીજાને જ સોંપી દીધી હતી.

પત્ની હૃદય તો ઉલેચે છે, ગરિમા જાળવીને. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે જોડાયેલ છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને ઇતર સ્ત્રીનો પ્રેમી છે. પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની પ્રેમિકાની કોશિશ પણ એને પ્રેમીની પત્ની સાથે બાંધેલ રાખે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ સંકળાયેલ છે અને ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં સોંપી હોવાના તાંતણે પણ સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ દુઃખી છે, પણ એકમેક સાથે દુઃખથી નહીં, નફરતથી જોડાયેલ છે. દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. કારણ પીડાના સ્તરે સંકળાવું મતલબ લાગણીનું સર્વોચ્ચ શિખર સર કરવું. અંતે ૧૮૦ ડિગ્રીનો વળાંક લઈ સોતનની નજરે પ્રેમીની પત્નીનું દર્શન કરાવતું ‘સોતનના ઓરતાનું ગીત’ માણીએ:

દેવીજી! પાય લાગુ, તમે દિલના દ્વાર ખોલો,
સાજણને ગમતું તમને ગમતું ન કેમ, બોલો?

તમે અગ્નિના સાત ફેરે,
અમે સમજણના પાંચ દેરે વર્યાં ને પામ્યાં સૈંયા
તમે છો તરબતર પ્રતિપળ
અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!
તમે સાગર અમે તો ટોયું, પછી શાને આ હડદોલો?

તમે પારિજાત પામ્યા
એ મારી જાત કામ્યા તે મારામાં થોડું ખરતા,
એમાં આ શા ઉધામા?
અમે આમે છંઈ નનામા, પછી શીદ તમે ઝઘડતા?
ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?

થાક -હરીન્દ્ર દવે

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

જેવું  તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો  થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે  રસ્તાનો થાક છે.

મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને  સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ  ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

-હરીન્દ્ર દવે

મામા, કાકા, ફોઇ, માસી

ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા
કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી

તમે યાદ આવ્યા! – પારસ પટેલ | રથીન મહેતા

આજે 24મી ઓગસ્ટ, આપણી વ્હાલી માતૃભાષાને ઉજવવાનો, આપણી રગેરગમાં વહેતા એના સોનેરી ઉજાસને અનુભવવાનો અને નતમસ્તક એનો ઋણ સ્વીકાર કરવાનો ખાસ દિવસ!
૨૦૦૬થી શરુ કરેલી ટહુકોની, નવાનક્કોર કાવ્યો અને સ્વરાંકનોને આપ સુધી લાવવાની પરંપરા જાળવતાં, આજે જ રજૂ થયેલું, આ સર્વાંગસુંદર સર્જન પ્રસ્તુત છે.

હવા ફરફરીને, તમે યાદ આવ્યા
શમા થરથરીને, તમે યાદ આવ્યા

તમે શું ગયા ને; થયો ચાંદ ઓઝલ
ઉગ્યો એ ફરીને, તમે યાદ આવ્યા

લખી કાગળો જે કદીએ ના આપ્યા
મળ્યા એ ફરીને, તમે યાદ આવ્યા

અમર પ્રેમની વાત થઇ આ સભામાં,
સભા આ ભરીને, તમે યાદ આવ્યા
– પારસ પટેલ

Lyrics: Paras Patel
Music Composed & Produced by: Rathin Mehta
Singers: Nayan Pancholi & Himali Vyas Naik
Music Arrangements: Dharmesh Maru
Audio Mix & master: Karan Maru
Video & Edit: Dhruv Patel
Recorded by: Saurabh Kajrekar, Buss In studio, Mumbai
Special Thanks ~ Sanket Khandekar & Jagdish Christian
Copyright: Rathin Mehta / SRUJANASHOW Productions

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દર વર્ષે 24મી ઓગસ્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ લેફ્ટનન્ટ નર્મદાશંકર દવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાતી ભાષા અને સાહિત્યને સમર્પિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિ નર્મદ તરીકે પણ ઓળખાય છે, તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા છે. તેઓ સ્પષ્ટવક્તા પત્રકાર અને પેમ્ફલેટર અને સમાજ સુધારક પણ હતા. તેમણે ભાષામાં લેખનના ઘણા સર્જનાત્મક સ્વરૂપો રજૂ કર્યા.
ગુજરાતી ભાષા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવે છે. તે વિશ્વની 26મી સૌથી વધુ બોલાતી મૂળ ભાષા છે. નર્મદ ગુજરાત અને ગુજરાતી ભાષાના કટ્ટર અને ગૌરવપૂર્ણ પ્રશંસક અને પ્રશંસાકર્તા છે. કવિ નર્મદ લિખિત ‘જય જય ગરવી ગુજરાત’ને ગુજરાતના રાજ્યગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે.

વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય | પંડિત ઓમકારનાથ ઠાકુર ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭

આપણા વ્હાલા ભારત દેશને અને આપણ સૌને ૭૮મો સ્વાતંત્ર્ય દિવસ મુબારક!

ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુરે સરદાર વલ્લભ ભાઈ પટેલના આમંત્રણને માન આપીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ’ સંપૂર્ણ કાવ્ય ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટુડીઓમાં ઉભા રહીને ગાયું, જે સવારે ૬ઃ૩૦ વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું અને આખા ભારતે સાંભળ્યું.

Courtesy – Prasar Bharti Archives YouTube channel.

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम ॥

सुखदां वरदां मातरम् ॥
कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

આવી છે હવે ખુશી, આફત ફરાર થઇ છે! – રશ્મિ જાગીરદાર

સુખ અને દુઃખ જાણે કે સૂરજ અને ચાંદની જેમ એકબીજાનો પીછો કરતાં કરતાં અનાયાસ જ આપણા જીવનને ઇન્દ્રધનુષી બનાવે છે…
આજે ‘HappinessHappensDay’ નિમિતે આ જ વાત કરતી ગઝલ પ્રસ્તુત છે…

સંકટ પડ્યાં છે ખાસાં, જાતે ખુવાર થઈ છે,
ને આબરૂ હતી જે, તે તારતાર થઈ છે.

ગઈ કેટલીય રાતો, આજે સવાર થઈ છે,
કંઈ પાનખરને ઝેલી ત્યારે બહાર થઈ છે.

આ સુખ ને દુઃખના ખેલો ચાલ્યા કરે છે સાથે,
આવી હવે છે ખુશી, આફત ફરાર થઈ છે!

ક્યારે ક્યાં પહોંચવું તે નક્કી કરે છે કિસ્મત,
આવી જવું તું વહેલું, પણ સ્હેજ વાર થઈ છે.

કો’ આંગળી ચીંધે છે ટોણાં ય કોઈ મારે,
ઘા એટલા પડ્યા કે, આંસુની ધાર થઈ છે.

એવું નથી કે દા’ડા કાઢ્યા ગણી ગણીને,
ખુલ્લી જ આંખે મારી રાતો પસાર થઈ છે.

– રશ્મિ જાગીરદાર

NATIONAL HAPPINESS HAPPENS DAY HISTORY

In 1999, the Secret Society of Happy People created Admit You’re Happy Day. It eventually evolved into Happiness Happens Day, a day created to celebrate the expression of happiness. August 8th was chosen as it is the anniversary of the first membership in 1998.

The Secret Society of Happy People is an organization that was founded in August of 1998 and formed to celebrate the expression of happiness. The society encourages members to recognize their happy moments and think about happiness in their daily life. They have two motto’s which include “Happiness Happens” and “Don’t Even Think of Raining on My Parade.” Their purpose is to stimulate people’s right to express their happiness.

પ્રવાહમાં – પન્ના નાયક 

અહીં 
ચોમેર વરસતી 
ઝાલી ન શકાય 
ઝીલી ન શકાય 
એવી આ સ્નોફ્લેકસ. 

તું યાદ આવે છે. 
Rocking Chair રોક કરતો 
પાઇપ પીતો તું બેઠો હોઈશ. 

અહીંની 
આ સ્નોફ્લેકસ 
તારી બારી બહાર બિછાવેલી 
ઘાસની લીલી જાજમ પર 
ઝાલી શકાય 
ઝીલી શકાય 
વીણી શકાય એવાં 
જૂઈના ફૂલ થઇ ખરે છે, સરે છે. 

ખુરર્શી રોક થતાં અટકે છે. 
પાઇપ બુઝાવી 
જૂઈની સુગંધના પ્રવાહમાં 
તું તરતો મૂકે છે 
પત્રનો દીવો. 

– પન્ના નાયક 

ગઝલની ગુંજતી સરગમ – શોભિત દેસાઈ | ચંદુ ભાઈ શાહના પુસ્તકનું વિમોચન | ઓગસ્ટ ૧૧, ૨૦૨૪ – સેન હોઝે, કેલીફોર્નીઆ

ગઝલ સમ્રાટ અને દમદાર રજૂઆતના બેતાજ બાદશાહ શ્રી શોભિત દેસાઈ સાથે ગુજરાતી ભાષાનો નવરત્ન દરબાર!!
ગુજરાતી ગઝલોનો મહાકુંભ… ગુજરાતી શાયરોનું પંચામૃત!

તારીખ: રવિવાર ઓગસ્ટ ૧૧, ૨૦૨૪
સમય: બપોરે ૩ થી ૫:૩૦
સ્થળ: શ્રીમયા કૃષ્ણધામ
175 Nortech Pkwy, San Jose California
Donation : $20/person
Scan QR code in the flyer or contact : Mukesh Patel – (408)5860006
Event supported by Jayshree Merchant & આપણું આંગણું (www.aapnuaangnu.com)

એના અસ્તિત્વ વિશે રકઝક પછી – હિતેન આનંદપરા

આપણે માણસ પ્રથમ સર્જક પછી
નીકળ્યું તારણ બધાં તારણ પછી

બે ઘડી વરસાદમાં ભીની ઘઈ
છત્રીને કેવી વળી ટાઢક પછી

અગ્રતા બદલાય છે વરસો જતાં
ફર્જ પહેલાં હોય છે ચાહત પછી

દ્રાર અંતરનાં અચાનક ઊઘડે
રિક્ત આંગણમાં થતી આહટ પછી

એક દિ કર્ફ્યૂમાં બસ નીકળ્યો હતો
જિંદગીભર હૂં રહ્યો સાવધ પછી

બેઉ બાજુ સ્તબ્ધ સન્નાટો મળે
સરહદો પહેલાં અને સરહદ પછી

તારં હોવું તું પ્રથમ પુરવાર કર
એના અસ્તિત્વ વિશે રકઝક પછી

– હિતેન આનંદપરા