મન ન માને (ગઝલ) ~ હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ 

હેમેન શાહની ઘણી ગઝલો પ્રખ્યાત છે. દા.ત. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. એવી જ રીતે નીચે રજૂ કરેલી ગઝલ શાયરની પણ પ્રિય છે અને શ્રોતાઓની પણ પ્રિય છે. હેમેનભાઈની સિગ્નેચર ટ્યુન ગઝલ કહી શકાય.

આ ગઝલનું મનહર ઉધાસે `અક્ષર’ આલબમમાં લીધેલું સ્વરાંકન મોટે ભાગે સાંભળવા મળે છે.

https://tahuko.com/?p=3785

આલાપ દેસાઈએ પણ એનું સુંદર સ્વરાંકન કર્યું છે.

https://aapnuaangnu.com/2021/12/25/man-na-mane-gazal-hemen-shah-alap-desai-gargi-vora/

પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન માણીએ, જેની વિશેષતા એ છે કે આ પિયુ અને પાર્થિવનું મેલ ડ્યુએટ છે. ગુજરાતી સુગમ સંગીતમાં મેલ ડ્યુએટ બહુ ઓછા મળે છે. સ્વરાંકનમાં થોડાક શેર લેવાયા છે, પણ વાચકો માટે આખી ગઝલ મૂકી છે.

 

શાયર: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર:  પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ
આલબમ: દીવાન-એ -ખાસ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *