Category Archives: કાવ્યપ્રકાર

નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી

આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…

નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sketch_poster_PH74_l

.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

એમજ મળે છે જીંદગી – હિમાંશુ ભટ્ટ

હમણા થોડા વખત પહેલા California Academy of Sciences’ ના Morrison Planetarium માં ‘JOURNEY TO THE STARS‘ નામનો Show જોયો.. અને બીજે દિવસે ‘Disneynature Movie : Earth‘. ખરેખર તો આ બંને show માં એવું કંઇ નવું નો’તુ કે જેના અસ્તિત્વ વિષે પહેલા ખબર નો’તી..!! પણ કોણ જાણે કેમ, મારી જીંદગીની વ્યાખ્યાનો વ્યાસ થોડો મોટો થઇ ગયો હોય એવું લાગ્યું….

અને એ જ સમયે મળી હિમાંશુભાઇની આ ગઝલ… વાંચતા જ ગમી જાય એવી..! અને કંઇક હદે જાણે ‘મારી જ વાત’ જેવા લાગતો શેર…

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

પોતે જગથી નોખા હોવાનો ભાવ/ભ્રમ કોને નથી થતો? અને વાત તો સાચી જ ને, ક્યાં તમને બે વ્યક્તિઓ સરખી જોવા મળે? બધામાં કંઇને કંઇ તો એવું નોખુ હોવાનું જ ને, કે જે આપણને જગથી જુદા બનાવે..! અને તો યે, broader perspective થી જોઇએ તો – બધાની જીંદગી લગભગ એકસરખી ઘરેડમાંથી પસાર થતી હોય એવું નથી લાગતું?

અને મક્તાનો શેર પણ મને તો ખૂબ જ ગમી ગયો..!

તો સાંભળીએ હિંમાશુભાઇની આ તાજ્જી ગઝલ – એમના જ અવાજમાં..

( જીંદગી… )

બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી

દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી

એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

તું મળે ના જ્યાં સુધી -રિષભ મહેતા

આજે જ ગાગરમાં સાગર પરથી રિષભઅંકલનાં જન્મદિવસ અને એમને ભેટરૂપે મળેલા બ્લોગ વિશે ખબર પડી… તો રિષભઅંકલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આપણે પણ એમનાં એક કમ્પોઝિશનને માણીએ… ઊર્મિનાં એ બ્લોગ પરથી સીધી જ એમની એક પોસ્ટ કોપી-પેસ્ટ  કરીને… 🙂  

krishna-radha0.jpg(સાથ શું પૂરતો નથી…?)

સંગીતઃ રિષભ મહેતા
સ્વરઃ રિષભ મહેતા, ગાયત્રી દવે

ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?

ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.

જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.

ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.

ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…

જ્યાં જશું રસ્તો થશે…

ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…

રિષભ મહેતા

કવિશ્રી રિષભ મહેતાનાં બ્લોગની મુલાકાત આપ સૌ અહીં લઈ શકો છો…

કવિતા – વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

એણે કાંટો કાઢીને – વિનોદ જોષી

આ પહેલા ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું ગીત, આજે રવિન નાયકના સ્વર-સંગીત સાથે ફરી એકવાર રજૂ કરું છું.

સ્વર – સંગીત : રવિન નાયક

.

એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

થોડુ મારા વિશે…- કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા –
માત્ર પૂછો સઘનતા સહારા વિશે

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

-કવિ રાવલ

સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક (સંગીતબધ્ધ)

કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….

********

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ

********

રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી

********

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી

********

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.

********

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા

********

અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…

.

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ

.

સ્વર : કરસન સગઠિયા

.

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

– નરસિંહ મહેતા

(આભાર : રીડગુજરાતી.કોમ)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

એવા સમે ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી