Category Archives: કાવ્યપ્રકાર

કોણ રોકે? – સ્નેહરશ્મિ

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. !

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

– સ્નેહરશ્મિ

( આભાર – લયસ્તરો)

કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ

.

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસ માં…

માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસ માં
હું તો સુતી ને ધબકારા જાગે…. કે માડી અંબા ઉતરતી લાગે
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણી નાં
દિવડા પ્રગટાવવાની વારતા…

ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

– વિહાર મજમુદાર

પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..

pankhida ne

સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ

.

સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com

.

સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com

.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

કવિતા – મીનાક્ષી પંડિત

દીવાનખાનાના ખૂણે સજાવેલાં ફૂલ પર
જો પતંગિયાં ઊડી શકે તો માનજો કે
આપણે ફોન પર સાચું બોલીએ છીએ!

ટ્રાફિકમાં અટવાઈ ગયેલાં લંગડાતા કૂતરાને
હવાલદાર હાંકતો હોય ત્યારે જો કોઈ
ઊંચકી લે તો એને દંતકથા ગણજો!

લાગણીને નામે મહેફિલો માણતાં
આપણે, આપણા વંશજોને
પુસ્તકોને બદલે પાંઉભાજી આપતાં જશું –
વિડિયો જોતાં જોતાં કદાચ એમને
ભૂખ લાગશે તો ?!!!

– મીનાક્ષી પંડિત

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા

પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!

સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ

શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

*

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું
*

શ્વાસમાં થોડો ઘણો સૂનકાર દે
જન્મ શબ્દોનો થવા આધાર દે
*
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

*

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
*

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય
*

જતું કોણ હળવેથી કાગળ ઉપરથી
અહીં રહી જતી એના પગની જ રેણુ

નહીંતર મને આમ વ્યાકુળ ન રાખે
હશે શબ્દનું પણ ગયા ભવનું લેણું
*

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

*

ગીતની પંક્તિનો પ્રવાસી છું
જુગજૂની જીવતી ઉદાસી છું

તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે
શબ્દની હું તો બારમાસી છું
*

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

*

શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે

કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર – રહી ગઈ પગલી જાણે
*

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

*

શબ્દની સરહદ સુધી પ્હોંચાય ક્યાં
આ જગત ક્યારેય ક્યાં નાનું હતું.
*

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

*

શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને
*

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

*

લાખ ગજ ટૂંકા પડ્યા જે માપવા –
અંતરો એક શબ્દથી માપી દીધાં

– મનોજ ખંડેરિયા

શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા

સ્વર – સંગીત : ભદ્રાયુ ધોળકિયા

.

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

~ – કાજલ ઓઝા – વૈદ્ય

લયસ્તરો પર કાજલબેનની એક કવિતા, અને સાથે વિવેકની વાત વાંચી ત્યારની તાલાવેલી હતી કે એ ‘શેષ-યાત્રા’ મારા હાથમાં ક્યારે આવે? આખરે એ મળી, અને બે દિવસ પહેલા ઓફિસમાં અડધા કલાકના lunch break માં વાંચવા હાથમાં લીધી તો વાંચતા વાંચતા દોઢ કલાક ક્યાં થઇ ગયો એ ખબર ના પડી.. પાછુ કામ શરૂ કરવું પણ એટલું જ અઘરું લાગ્યું..! પણ જ્યાં વાંચવાનું અટક્યું છે – ત્યાંથી ફરી શરૂ કરવાની જાણે બીક લાગે છે.. કાજલબેનના શબ્દો સાથેનો મારો પહેલો પરિચય ‘યોગ-વિયોગ’ દ્વારા.. પણ પછી કૃષ્ણાયન, તારા વિનાના શહેરમાં.. એક સાંજને સરનામે… એમના શબ્દોએ હંમેશા મને જકડી રાખી છે. પણ વિવેકે લયસ્તરો પર કહ્યું હતું એમ – ‘શેષ યાત્રા’ પાને પાને દઝાડે છે. કવિ લખે છે…

મારા જીવતાં જ મારું શ્રાધ્ધ કર્યું તે
ને છતાં
અતૃપ્તિ ખુલાસા માગતી ભટકે
જર્જરિત સંબંધોના ખંડિયેરોમાં.. આજ લગી.

આ ‘શેષ-યાત્રા’ માં કંઈક એવું છે જે દરેક શબ્દ લાગણીઓને જડમૂળથી હચમચાવી દે એવો હોવા છતાં તમને એમાંથી છૂટવા ન દે…

માણીએ કાજલ ઓઝા-વૈદ્યની શેષયાત્રાની એક કવિતા.. એક CPA (Certified Public Accountant) હોવાને નાતે પણ કદાચ કવિતામાં આવતા જમા-ઉધાર અને માંડી વાળવાની વાત ને લીધે આ કવિતા મને થોડી વધારે પોતીકી લાગે 🙂 !

એમણે કોઇ કવિતાને શિર્ષક નથી આપ્યું, એટલે વિવેકની જેમ મેં પણ એ જગ્યા ખાલી જ રાખી છે..!

*****

આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.

સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.

ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,
કહે છે, અમે તો કાયમના માગણ.
વિતેલાં વષો પણ ડોકાવા લાગ્યાં,
ને
ભીંજાયા ચોપડાના કાગળ.

અંધારૂં હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું –

આખીય રાત પછી આંખો મીંચાય કંઈ ?

પડખાં બદલતાં મેં પૂંછ્યું –
…કોણે લખેલી આ કોરી કિતાબ છે ?
…કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે ?