Category Archives: કાવ્યપ્રકાર

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !

‘હાજી કાસમની વીજળી’ની વાતો તો ઘણાએ સાંભળી જ હશે..! નાનપણમાં મેં પણ મમ્મી પાસેથી પહેલી વાર વીજળી વિષે સાંભળેલું એ મને યાદ છે..! સાંભળીએ વીજળીની એ કરુણ દાસ્તાન…

કાસમ, તારી વીજળી !
“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી

બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 (ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘રઢિયાળી રાત’ પુસ્તકમા પ્રકાશિત નીચેના શબ્દો ટાઇપ કરી એમના બ્લોગ પર મુકવા માટે ગોપાલકાકાનો ખૂબ ખૂબ આભાર)

‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થાઅગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં:બેસુમાર પાણી:ડૂબવા સમયની ડોલાડોલ: ખારક્વાઓની દોડાદોડ:દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.

સ્વર – ઇસ્માઇલ વાલેરા
સંગીત : ??
(ઓડિયો ફાઇલ માટે આભાર – માવજીભાઇ.કોમ)

.

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!

ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી,
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0

અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0

ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0

હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0

ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0

ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0

પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0

મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

(1)ચશ્માં (2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.

આપણે મળ્યા છીએ જ ક્યાં ! – ધીરુ પરીખ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

– ધીરુ પરીખ

આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા….

૧૯૭૬ માં ગુજરાતી ફિલ્મ “ખેમરો લોડણ” નું આ કર્ણપ્રિય..ગીત… સ્વ.મુકેશજી ના કંઠે ગવાએલું છેલ્લું ગુજરાતી ફિલ્મી ગીત છે. સાથે એજ ગીત ઉષા મંગેશકર અને કમલેશ અવસ્થીના સ્વર માં.

સ્વર : મુકેશ, ઉષા મંગેશકર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – ખેમરો લોડણ (૧૯૭૬)

.

સ્વર : ઉષા મંગેશકર, કમલેશ અવસ્થી

.

આવો રે….આવો રે….
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા….
આવો રે….આવો રે….

મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા….
આવો રે….આવો રે….

એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા….
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા….
ભવ ભવ હું ને તું બળનારા….
આવો રે….આવો રે….

સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે….
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે….
હવે ઘડીયું ગણે નૈનો મારાં….
આવો રે….આવો રે….

કોણ રોકે? – સ્નેહરશ્મિ

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. !

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

– સ્નેહરશ્મિ

( આભાર – લયસ્તરો)

કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ

.

કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસ માં…

માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસ માં
હું તો સુતી ને ધબકારા જાગે…. કે માડી અંબા ઉતરતી લાગે
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણી નાં
દિવડા પ્રગટાવવાની વારતા…

ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..

– વિહાર મજમુદાર

પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..

pankhida ne

સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ

.

સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com

.

સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com

.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

કવિતા – મીનાક્ષી પંડિત

દીવાનખાનાના ખૂણે સજાવેલાં ફૂલ પર
જો પતંગિયાં ઊડી શકે તો માનજો કે
આપણે ફોન પર સાચું બોલીએ છીએ!

ટ્રાફિકમાં અટવાઈ ગયેલાં લંગડાતા કૂતરાને
હવાલદાર હાંકતો હોય ત્યારે જો કોઈ
ઊંચકી લે તો એને દંતકથા ગણજો!

લાગણીને નામે મહેફિલો માણતાં
આપણે, આપણા વંશજોને
પુસ્તકોને બદલે પાંઉભાજી આપતાં જશું –
વિડિયો જોતાં જોતાં કદાચ એમને
ભૂખ લાગશે તો ?!!!

– મીનાક્ષી પંડિત

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા

પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!

સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ