શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)
મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)
અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)
શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)
અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)
શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)
હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)
પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!
સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)
સ્વર : પ્રાણલાલ વ્યાસ
.
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
લયસ્તરો પર કાજલબેનની એક કવિતા, અને સાથે વિવેકની વાત વાંચી ત્યારની તાલાવેલી હતી કે એ ‘શેષ-યાત્રા’ મારા હાથમાં ક્યારે આવે? આખરે એ મળી, અને બે દિવસ પહેલા ઓફિસમાં અડધા કલાકના lunch break માં વાંચવા હાથમાં લીધી તો વાંચતા વાંચતા દોઢ કલાક ક્યાં થઇ ગયો એ ખબર ના પડી.. પાછુ કામ શરૂ કરવું પણ એટલું જ અઘરું લાગ્યું..! પણ જ્યાં વાંચવાનું અટક્યું છે – ત્યાંથી ફરી શરૂ કરવાની જાણે બીક લાગે છે.. કાજલબેનના શબ્દો સાથેનો મારો પહેલો પરિચય ‘યોગ-વિયોગ’ દ્વારા.. પણ પછી કૃષ્ણાયન, તારા વિનાના શહેરમાં.. એક સાંજને સરનામે… એમના શબ્દોએ હંમેશા મને જકડી રાખી છે. પણ વિવેકે લયસ્તરો પર કહ્યું હતું એમ – ‘શેષ યાત્રા’ પાને પાને દઝાડે છે. કવિ લખે છે…
મારા જીવતાં જ મારું શ્રાધ્ધ કર્યું તે
ને છતાં
અતૃપ્તિ ખુલાસા માગતી ભટકે
જર્જરિત સંબંધોના ખંડિયેરોમાં.. આજ લગી.
આ ‘શેષ-યાત્રા’ માં કંઈક એવું છે જે દરેક શબ્દ લાગણીઓને જડમૂળથી હચમચાવી દે એવો હોવા છતાં તમને એમાંથી છૂટવા ન દે…
માણીએ કાજલ ઓઝા-વૈદ્યની શેષયાત્રાની એક કવિતા.. એક CPA (Certified Public Accountant) હોવાને નાતે પણ કદાચ કવિતામાં આવતા જમા-ઉધાર અને માંડી વાળવાની વાત ને લીધે આ કવિતા મને થોડી વધારે પોતીકી લાગે 🙂 !
એમણે કોઇ કવિતાને શિર્ષક નથી આપ્યું, એટલે વિવેકની જેમ મેં પણ એ જગ્યા ખાલી જ રાખી છે..!