Category Archives: કાવ્યપ્રકાર

મારા ચ્હેરાનું ઘરેણું – રમેશ પારેખ

રમેશ પારેખની કવિતાઓમાં આવતી વિષય-વિવિધતાનો વધુ એક નમૂનો એટલે આ કવિતા… પોતાની મૂછોના આવા વખાણ બીજા કોઇ કવિએ કર્યા છે ખરા? 🙂 હા, મને મૂછ અને કવિતાની એક સાથે વાત નીકળે ત્યારે મને ગમતી આ કવિતા – …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો ચોક્કસ યાદ આવે..!!

( રમેશ પારેખ…..    Photo: http://rameshparekh.in)

મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા…
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…

કોણ જાણે ક્યાંથી આ નાસિકાના છાયડામાં
દોમ દોમ તાણી છે રાવટીઃ
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં
એક એક તંત છે બનાવટીઃ

કોઇ નથી કરતું પડપૂછ, મને ખમ્મા…

ખોંખારા મારવાથી હિમ્મત રહે છે
અને લાગે છે વાહવાને દાદુઃ
બાકી તો માછલી બતાવે છે રેતીના –
રાફડામાં જીવવાનો જાદૂઃ

ધીંગાણું કોણે જોયું છ? – મને ખમ્મા…

– રમેશ પારેખ

બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય

સંગીત – નલિન ત્રિવેદી
સ્વર – કૃતિ મારુ

.

દર્પણને ગીત પછી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

ચંદન-તળાવ મારી જેવું દેખાય એવું કોણે લખ્યું છે મારું ગીત
કાગળ વાંચું કે મને પાણી દેખાય એનું કેવું લખાણ કેવી રીત
મને ચોમાસું એ..ય કહી ચૂંટે તો ?
કોઇ મારું નામ મને પૂછે.. તો ?

લીલાં શ્રીફળ લાવો અમને વધાવો મારાં સપનાંઓ પોઇ ભરી આવ્યા
સૂરજ જેવું ચારે બાજુ વરતાય આજ કોના અણસાર અહીં આવ્યા
એનું નામ મારા નામમાંથી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

– નવનીત ઉપાધ્યાય

(‘કવિતા’ માં ૧૯૮૯માં પ્રકાશિત આ ગીત ખાસ ટહુકો માટે મોકલવા બદલ માધવીઆંટીનો ખૂબ ખૂબ આભાર)

નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

શમણાંને સાદ કરી હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

– હરિકૃષ્ણ પાઠક

————
કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દોમાં આ ગીત વિષે:

કવિ ઓગ્ડેન નેશે વૃધ્ધાવસ્થા વિશે સરસ વાત કહી હતી : જ્યારે તમારા મિત્રો કરતાં તમારા પુત્ર-પૌત્રાદિકોની સંખ્યા વધે ત્યારે પ્રૌઢાવસ્થા પૂરી થાય છે અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે.

વૃધ્ધાવસ્થાએ ઘણા કવિઓને વિષય પૂરો પાડ્યો છે. અહીં કવિ બુઢાપાને નેજવાની છાંય હેઠળ બેઠેલો કલ્પે છે અને કહે છે : કાયા પર કરચલીઓ પડી ગઇ છે, પણ મન ફૂલની માફક ખીલી ઊઠ્યું છે. બુઢાપો નેજવાની છાંય તળે બેઠો છે એવી કવિની કલ્પના હાથનું નેજવું કરી દૂર તાકી રહેલા કોઇ વૃધ્ધની છબી આપોઆપ ઉપસાવી દે છે.

ગઇ કાલ જે વીતી ગઇ છે – એનાં સ્મરણો, એ વૃધ્ધાવસ્થાનો સૌથી મોટો સંકેત છે. કોઇએ કહ્યું છે કે આયુષ્ય લાંબુ કે ટૂંકું નો નિર્ણય વરસોના આધારે નહીં પન સ્મરણોના આધારે કરી શકાય છે. શૈશવ ઝડપથી વીતી જાય છે કારણ કે એને કોઇ જ સ્મરણો હોતાં નથી. જ્યારે વૃધ્ધાવસ્થા ખૂબ જ લંબાતી હોય એમ લાગે છે કારણ કે એ સ્મરણોથી સભર હોય છે.

એટલે જ વૃધ્ધાવસ્થાનું મન ઝાડ જેમ કોળતું કવિ બતાવે છે; ઝાડનાં મૂળ ઊંડા હોય છે એ રીતે વૃધ્ધાવસ્થાનાં સ્મરણોનાં મૂળ પણ ઊંડા હોય છે.

આ કાવ્યના નાયક વૃધ્ધને ઘેર લગ્નનો અવસર છે; લગ્નના તોરણ બંધાયા ત્યારે એને પોતાના લગ્નનું સ્મરણ થાય છે. આ સ્મરણ એકી સાથે સુખદ અને દુઃખદ બને છે. વીતેલી ગઇકાલ જાણે નવો શણગાર સજીને આવી હોય એવું લાગે છે. પણ ગઇ કાલના શણગારમાં જે પાત્ર પોતાની સાથે હતું એનું અસ્તિત્વ નથી; એટલે જ માથે છોગું શોધવા ઊંચો થયેલો હાથ જ્યારે ભોઠોં પડી પાછો ફરે છે, ત્યારે ખોવાયેલા ગવનની ખોજ શરૂ થાય છે. અને આ શોધ સાથે કૈંક સુખદ પરિસ્થિતિ સંકળાઇ છે; કંકુપગલે ઘરમાંથી વિદાય થતી પુત્રીનાં પગલાંમાં એની માતાનું સ્મરણ સંકળાઇ ગયું છે.

કવિ મનસ્થિતિને વાચા આપવા માટે ઝાઝા શબ્દો નથી વાપરતા – એક જ શબ્દ એમને માટે બસ થઇ પડે છે. એક ઘૂંટ ભરીને ‘ગગન’ પીએ છે, આખા આકાશને જાણે કે પોતાની ઘૂંટમાં સમાવવા ઇચ્છતો હોય એ રીતે વૃધ્ધ ઊંડો શ્વાસ લે છે.

સ્મરણોનું એક આખું યે આકાશ મુખ્ય નાયકના અંતરમા હુક્કાની ઘૂંટની સાથે પ્રવેશે છે, અને વાચકના અંતરમાં પણ એ સાથે એક અનુભૂતિનું આકાશ ઊઘડે છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!

સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

—————————-
Posted on : April 24th, 2007

સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં

.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.

( આભાર : લયસ્તરો )

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

————

વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!

bamboo trees Pictures, Images and Photos

(વાંસના વન……..   Photo: http://photobucket.com/)

સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

કેસર કેરી વાવી – નયન દેસાઈ

થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું સર્જન – રવિન નાયકના અવાજમાં સાંભળેલું એ યાદ છે? એવું જ મઝાનું સ્વરાંકન અને મઝાની રજૂઆત સાથે આજે સાંભળીએ આ એટલું જ મઝાનું ગીત..!!! સાંભળ્યું છે કે આ વર્ષે તો દેશમાં ભરપૂર કેરીઓ આવી છે, અને એમાંથી કેટલીક તો ઊડી ને ન્યુ જર્સી-કેનેડા સુધી પહોંચે છે..! જો કે હું અને અમિત તો મેક્સિકોની કેરીમાં જ દેશની થોડી સુગંધ શોધી લેવોનો નિષ્ફળ પ્રયાસ કરી લઇ છીએ..! 🙂

સ્વર / સંગીત – રવિન નાયક

(કેસર કેરી વાવી…..     Photo from Web)

.

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

– નયન દેસાઇ

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

વૃંદાવન – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:

કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )

(આ એ જ હશે વૃંદાવન?    …………..       Photo: Webshots)

સ્વર – સંગીત : ??

.

આ એ જ હશે વૃંદાવન

એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?

આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?

પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?

રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;

પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!

– હરીન્દ્ર દવે

કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)