Category Archives: કાવ્યપ્રકાર

કીને કાંકરી મોહે મારી રે – મીરાબાઇ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : મીરાબાઇ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)

સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..

કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….

ગઝલ વિષે ગઝલ – આદિલ મન્સૂરી

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.

લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.

ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.

સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.

મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.

કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.

મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.

વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.

જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.

જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.

– આદિલ મન્સૂરી

રહી જાઓ શ્યામ – મીરાબાઇ

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદયન મારૂ  

 

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

કંકુ કેસરના વ્હાલા સાથિયા પૂરાવશું
ને આંગણમાં પાડુ સારી ભાત
રહી જાઓ શ્યામ…

સૂના મંદિરિયામાં જ્યોતો પ્રગટાવશું
ને મીઠી કરીશું વ્હાલા વાત
રહી જાઓ શ્યામ…

બાઇ મીરાં કહે પ્રભૂ ગિરિધરના ગૂણ
જોતાં ઠરે છે મારી આંખડી
રહી જાઓ શ્યામ…

રહી જાઓ શ્યામ તમે આજની રાતલડી
વિનવે આ ભોળી રે ગોવાલણ

– મીરાબાઇ

ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!

સ્વર – સંગીત : ??

ગણ્યું જે પ્યારું પ્યારાએ....

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !

– બાલાશંકર કંથારીયા
(1858 – 1898)

(શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ)

સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક

આ પહેલા ફક્ત શબ્દો સાથે મૂકેલું આ ગીત – આજે સ્વરાંકન સાથે ફરી એકવાર…!

_____________

સ્વરાંકન: સુભાષ દેસાઈ
સંગીત નિયોજન: વિક્ર્મ પાટીલ
સ્વર: રાવી મોરે
આલ્બમ: ક્યાંક સપનામાં

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

———————-
સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ (સંગીતબધ્ધ)

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)

ફર્યા કરે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

    દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
    રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.

    રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
    કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.

    પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
    જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

    ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
    મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

    દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
    ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે

    – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ભાગવત – વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

ગોધૂલિ સમયે તમે સ્નાન કરીને
ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર
ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.
અને તમારો અવાજ સંભળાય છે –
‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઇ?
અહીં આવી ને બેસ અને સાંભળ’

પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી ,
તમારું જમવાનુ બનાવી રહી છુ,
સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા
મારી પ્રતિક્ષામાં છે.
અને સેંકડો નાનામોટા કામ,
જે મારે કાલે કરવા પડશે.

મારા મેશ ખરડાયેલા હાથોથી
હું પણ ફેરવું છું
એક વિરાટ ભાગવતનાં પાનાં
છેલ્લા શ્વાસ સુધી
પૂરું ન થનારુ એક ભાગવત છે
જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉ છું.
અને જે –
તમે ક્યારેય આવીને નથી સાંભળતા.

– વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
http://spancham.wordpress.com/2011/08/15/aniljoshi_27aug2011/

 

અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

વરસાદ કહે – – રમેશ પારેખ

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,

છાંટા નહીં, મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,

કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…