Category Archives: કવિઓ

મારા હ્રદયની વાત – મનોજ મુની

આ ગીતનું એક અગત્યનું પાસુ છે – એનું સંગીત. ફક્ત piano અને violine નું સંગીત – શબ્દો અને સ્વર પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે જાણે..!!

અને એમ તો આખુ ગીત જ ખૂબ સુંદર છે, પણ મને સૌથી વધારે ગમે છે આ પંક્તિઓ : પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ…

સ્વર – સંગીત : સોલી કાપડિયા

flower.jpg

.

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
વર્ષો પછી મળ્યા તો વહી રહ્યો છું આજ

કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે
ફૂલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત
મરજીવા થઇ મૃગજળ તણા માંડી’તી કેવી ખેપ
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ.

ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી

280831634_e65cae1913_m.jpg

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી ‘બેફામ’

‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )

હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )

સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mysore-palace.jpg

.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો – શ્રીમદ રાજચંદ્ર

મારા દાદીમા શ્રીમદ રાજચંદ્રના અનુયાયી હતા, એટલે એમનો ફોટો અમારા ઘરના મંદિરમાં કાયમ રહ્યો, પણ મને એમના વિષે ઘણુ મોડેથી જાણવા મળ્યું, કારણ કે જ્યાર સુધી દાદી અમારી સાથે હતા, ત્યાર સુધીમાં એવા સવાલો પૂછવા જેટલી સમજ મારામાં નો’તી આવી.
નાનપણથી એમને ફક્ત નામ અને ફોટાથી ઓળખ્યા હતા, પણ એકવાર ચિત્રલેખામાં એમના વિષે લેખ વાંચ્યો, થોડુ ઓનલાઇન વાંચ્યુ, અને એમને સૌથી વધુ ઓળખ્યા : ‘અપૂર્વ અવસર’ નાટક જોયા પછી. Marrow Drive માટે volunteer કરવા અહીંના જૈન દેરાસર ગઇ હતી, અને આ નાટક આવે છે એ જાણ્યુ. પછી હું આ નાટક ના જોઉં એવું બને? ખરેખર, તમે જૈન હો કે ના હો, પણ એકવાર આ નાટક જોવા જેવું છે. આપણા રાષ્ટ્રપિતાના ગુરુ (હા, શ્રીમદ ને ગાંધીજી ગુરુ માનતા..) ને એકવાર ઓળખવા જેવા છે.

અને એ નાટકમાં જ્યારથી મેં આ સ્તુતિ સાંભળી, ત્યારથી વિચારતી હતી કે ક્યાંથી મેળવું? પણ અનાયાસ મુંબઇમાં શ્રી સુરેશ જોષીને મળવાનું થયું, અને એમણે કહ્યું કે જો મેં ‘અપૂર્વ અવસર’ અને ‘મૃત્યુંજય’ નાટક વિષે સાંભળ્યું હોય તો એમાં એમનું સંગીત છે. મને તો જાણે ઘર બેઠા ગંગા મળી…!!

સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : સુરેશ જોષી

shrimad.jpg

.

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

સ્વર : રૂપકુમાર રાઠોડ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

wind-flower.jpg

.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત

સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી. પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.
800px-parents_with_child_statue_hrobakova_street_bratislava.JPG

(Parents with child Statue, Hrobákova street, Petržalka, Bratislava : from Internet)

સ્વર : ??

.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

( આભાર – સિધ્ધાર્થનું મન , Aakash Polra )

આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

આપણે જ્યારે ગુજરાતી સંગીતની ઉજવણી કરતા હોય, ત્યારે અવિનાશ વ્યાસને યાદ ન કરીયે એ ચાલે?

શ્યામલભાઇનો સ્વભાવ આમ તો ઘણો મોજીલો.. ( એક ખાનગી વાત કહું ? થોડા સમયમાં એક આલ્બમ બજારમાં આવે છે – રમુજી રઇશભાઇ અને મોજીલા મુનશીભાઇ 🙂 )

પણ હું ખાત્રી આપું છું કે શ્યામલભાઇના કંઠે આ ગીત સાંભળીને મન થોડું ઉદાસ થઇ જ જાય. જીવનનું સત્ય, કે જે બધાને જ ખબર છે, એ જ્યારે આમ ભાવવહી સ્વરે સામે આવે, ત્યારે કેવું વિચારતું કરી દે છે.

સ્વર : શ્યામલ મુન્શી

laakadu.jpg

.

આ આદિ-અંતની સંતાકુકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું
આજ મારા શબદનો…

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મુકે લાકડું
આજ મારા શબદનો…

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું
આજ મારા શબદનો…

કંકુ શ્રીફળ માણેક સ્થંત માંડવો, ચતુર પંખનું પાંદડું
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું
આજ મારા શબદનો…

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો સાથે લાકડી એ લાકડું
આજ મારા શબદનો…

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું
સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું
આજ મારા શબદનો…

ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!

સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી

.

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

આમ અચાનક જાવું નો’તું – દેવજીભાઈ મોઢા

સ્વર : આરતી – સૌમિલ મુન્શી
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
(આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી)

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
(ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા)

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
(દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

———————–

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!

આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….

પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?

Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’

આજે 25 નવેમ્બર, કવિ શ્રી બરકત વિરાણીનો જન્મદિવસ. અને ટહુકો અને મોરપિચ્છ નામના બ્લોગનું નવુ ઘર – ટહુકો.કોમને આજે એક વર્ષ પુરુ થયું.

આ ગઝલ ખાસ ટહુકો ના તબીબ-મિત્રોને .. સપેમ્ર ભેટ 🙂

desert-7.jpg

.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..