Category Archives: કવિઓ

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર

કવિ શ્રી ઉદયન ઠક્કરનો ખૂબ જ જાણીતો પ્રશ્નપત્ર.. આજે તમારા માટે..!! .. કવિ એ સવાલો આપ્યા.. અને હું લઇ આવી અહીં સુધી.. હવે જવાબો કોને આપવા – કેવા આપવા… પાસ થવું કે નાપાસ – એ બધું તમારા હાથમાં..!! 🙂

*******

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

* * *

(આભાર લયસ્તરો)

આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન -?
પ્રસ્તાવના – તુષાર શુક્લ
આલ્બમ – મોરપિચ્છ

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

– સુરેશ દલાલ

મુક્તકો – રમેશ પારેખ

ગઈ કાલે કવિ શ્રી રમેશ પારેખ નો જન્મદિવસ હતો…. તો આજે એમના આ મુક્તકો માણી એમને શ્રધ્ધાંજલી અર્પીએ..!

****

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

—-

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

—-

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

તું ગઝલ તારી રીતે લખ… – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે.

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે.

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

– મનોજ ખંડેરિયા

જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ… – કૃષ્ણ દવે

કવિ શ્રી કૃષ્ણ દવેની આ ખૂબ જ મઝાની રચના… એમની પાસેથી જ આનું પઠન સાંભળવાની શું મઝા છે..!! હમણા તો મારી પાસે રેકોર્ડિંગ નથી – પણ એકાદ દિવસ ચોક્કસ લઇ આવીશ..!! કૃષ્ણભાઇની કવિતા એમના એકદમ અસરકાર કટાક્ષ માટે ખૂબ જ જાણીતી છે – અને સ્ટેજ પરથી જ્યારે કૃષ્ણભાઇ એમની કવિતા રજૂ કરે – તો presentation ની એમની આગવી રીત મંત્રમુગ્ધ કર્યા વગર ના રહે..!!

આજે અહીં અમેરિકામાં Thanksgiving…! આમ તો આભાર માનવાનો આ દિવસ – પરંતુ જેમ ચંદી પડવો એટલે ઘારી – ઘારી.. એમ અહીંયા Thanksgiving એટલે Turkey Turkey… .. ખાણી પીણી અને જલસા..!! એ હિસાબે પણ આજના દિવસ માટે food વિશેની કવિતા relevant કહેવાય..! અને બીજી એક વાત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી નથી શકતી (આ ફાસ્ટફૂડની વાત સાથે એ યાદ આવી..)

હમણા થોડા દિવસ પહેલા જ એક મિત્રના કહેવાથી ‘Food Matters‘ નામની એક documentary જોઇ..! (Netflix પર ઓનલાઇન streaming). એના વિશે વધુ વાતો નથી કરતી.. નહીં તો ગાડી આડે પાટે ચડી જશે – અને ખોટ્ટા મારે માથે માછલા ધોવાશે કે કવિતાને બદલે ભાષણ ક્યાંથી આવ્યું? 🙂 તમે જો એ જોવાનું નક્કી કરો તો પણ આ ગીત સાથે ચોક્ક્સ યાદ આવશે..!!

********
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

– કૃષ્ણ દવે

ફકત દિલની સફાઈ માંગે છે – કિરીટ ગોસ્વામી

આજે સાંભળીએ ઓસ્માન મીરના જાદુભર્યા અવાજમાં આ ગઝલ… બે અલગ-અલગ રેકોર્ડિંગ.. અને બંને એટલાજ મઝાના… પહેલું રેકોર્ડિંગ ઓડિયો – ૨૦૦૮ના કાવ્ય-સંગીત સમારોહની રજૂઆત..!! એક ગુજરાતી ગઝલના મત્લાથી શરૂ કરીને આ કલાકાર રાજસ્થાનની ભૂમિમાં આપણને જે રીતે લઇ જાય છે – એ ખરેખર એક મઝાની સફર છે..!

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

.

અને સાથે માણો આ બીજું એક રેકોર્ડિંગ – બીજા થોડા શેર સાથે..!

ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.

એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.

– કિરીટ ગોસ્વામી

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

.

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

મારા લાલ રે લોચનિયામાં – અવિનાશ વ્યાસ

સ્વર – દિપાલી સોમૈયા
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
આલ્બમ – અમર સદા અવિનાશ

મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

આવી ન આવી એ સૂરત શમણે, ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

છોને સૂરજ એ સૂરજ ના રહે, સુધા સુધાકરની ખૂટે,
છોને સમય નીજ સાજ બજાવીને ભાવી તારલીયાનું તેજ લૂંટે,

તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો, છોને થવાની થઈ,
હું તો જોતી ને જોતી રહી..
મારા લાલ રે લોચનિયામાં..

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!

ગઝલ પઠન : નયન દેસાઈ

અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!

.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…