
આજથી લગભગ 6 વર્ષ પહેલા ગાંધીનગર – અક્ષરધામની મુલાકાત વખતે આ અધુરું શિલ્પ જોયું હતું. પપ્પા સાથે હતા, અને એમણે ત્યારે જરા સમજાવેલું પણ ખરું. પણ હું તો એને તરત ભૂલી ગઇ’તી. 2 વર્ષ પછી પહેલી વાર જ્યારે ઓફિસના કામથી 1 અઠવાડિયા માટે બહાર જવાનું હતું, ત્યારે મનમાં થોડો ખચકાટ અને ડર હતો. ત્યારે પપ્પા સાથે વાત કરતા એમણે મને આ શિલ્પ અને એની સાથે લખેલ વાક્ય યાદ કરાવ્યું. ” તમે જ તમારા શિલ્પી છો. ” અને પછી તો ઘણી વાર એ વાત યાદ કરીને self motivation અનુભવું છું.
——
હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.
લાગણીના ઉપવને ખીલતાં અને ખરતાં પુષ્પો,
અસ્તિત્વની સુવાસ મારી આપબળે મહેકાવીશ.
અતીતના પડછાયા તો જાણે ક્યાંય ઓગળી ગયા,
સ્મૃતિઓને અસ્તિત્વના અંગ રૂપે સ્વીકારીશ.
સુરજ મહીં આગ જેમ, ઇશ્વર મુજમાં વસે તેમ,
આવે છોને તોફાનો, શ્રધ્ધાનો દિવો પ્રગટાવીશ.
જીવનમાર્ગની એકલતા મને વિચલીત તો ક્યાંથી કરે ?
સાથ મળે જે મિત્રોનો, હું પ્રેમપૂર્વક વધાવીશ.
– જયશ્રી
——–
મને ખબર છે, ઉપર જે લખ્યું છે, એમાં છંદનું તો નામો-નિશાન નથી.. અને જાતે જ લખ્યું છે, એટલે જોડણીની ભૂલ પણ હોવાની. જ. વડીલો અને મિત્રોને ખાસ વિનંતી કરું છું કે ભૂલ હોય ત્યાં માર્ગદર્શન આપશો.