Category Archives: નિરંજન ભગત

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

સ્વર – સ્વરાંકન ઃ અમર ભટ્ટ

.

એકદમ નાનકડું, તો યે વાંચતા જ ગમી જાય એવું મજાનુ કાવ્ય…
વાત પણ કેવી સરસ.. મળી જો બે ઘડી – ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !

(આ સૃષ્ટિ છે ના સાંકડી ! Lake Tahoe, August 08)

* * * * *

પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)

કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ ટહુકો પર ‘નિરંજન ભગત પર્વ’ સાથે ઉજવવાનો મોકો મળ્યો – એ ટહુકો માટે ધન્યતા અનુભવવાની વાત છે. અને ટહુકોને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કવિ શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો – એટલે માટે અમે સૌ એમના ઋણી છીએ.

આ વિડિયો અહીં પોસ્ટ કરવામાં મોડું થયું એ માટે સૌની ક્ષમા ચાહું છું.

નિરંજન ભગત પર્વ – ૫ : પથ્થર થરથર ધ્રુજે !

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

– નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૪ : પૂનમ ને કહેજો કે પાછી ન જાય

સ્વર : બંસરી યોગેન્દ્ર સ્વરકાર : હરેશ બક્ષી

પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!

આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય

માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!

નિરંજન ભગત પર્વ – ૩ : હું તો બસ ફરવા આવ્યો છું

તમે અમદાવાદ જાઓ અને કોઈ પણ માણસને બૂમબરાડાના ખ્યાલ વિના, ચોખ્ખા મોટા અવાજે આક્રોશ અને ઝનૂનપૂર્વક, ભીતરના કન્વિક્શનથી સાહિત્ય, સમાજ, રાજકારણ કે જીવન વિશે, વાણીનું વીર્ય શું હોઇ શકે એનો અનુભવ આપે એવી રીતે વાત કરતો સાંભળો તો એ નિરંજન ભગત જ હશે. તમારા અનુમાનમાં તમે કદી ખોટા નહીં પડો. વાણીનો નાયગરા એટલે નિરંજન. બોલે, ખૂબ બોલે. સાંભળનારને બે કાન ઓછા લાગે એટલું બોલે, જે વિષય પર બોલે એમાં પૂરી તન્મયતાથી બોલે. પેરિસની વાત કરતા હોય ત્યારે આખું ને આખું પેરિસ પી ગયા હોય એ રીતે બોલે. બોલવામાં કોઈની શેહ-શરમ નહિ. આપી શકે તો એ કોઈને આપી શકે, અને એ જે આપે તે અમૂલ્ય હોય, જીવન અને વાચનનો આપણને યાદગાર અનુભવ જ આપે. એને કોઈ પાસેથી કશું લેવું નથી, એ કશુંક લેતા હોય તો તમારો સમય અને કાન. અને ખરેખર તો એ પણ લેતા નથી. એમને સાંભળીએ છીએ ત્યારે કાન ધન્ય થાય છે અને સમય સાર્થક થાય છે.
– સુરેશ દલાલ

******
પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

– નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૨ : તડકો

આજે સવારે જ પપ્પા સાથે ફોન પર વાત કરી તો એમણે કહ્યુ કે અમદાવાદમાં બપોરે ૪૫ સેલ્સિયસ (૧૧૩ ફેરનહાઇટ) તાપમાન થઇ જાય છે.. અમેરિકામાં રહેતા લોકોને તો visit to the death valley national park યાદ આવી જાય 🙂

તો એવા જ એક અમદાવાદી ઉનાળાની બપોર માટે લખાયેલું હોય – એવું આ ગીત…

******

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !

– કવિ નિરંજન ભગત

********

નિરંજન ભગત પર્વ – ૧

Niranjan-Bhagat

આવતી મે ૧૮ના દિવસે – આપણા ગુર્જરભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ. આ જ નિમિત્તે ટહુકો.કોમ પર આપણે થોડા દિવસ માણીએ નિરંજન ભગત પર્વ. આવતા થોડા દિવસ આપણે માણીશું એમના કાવ્યો, અને એમના વિષે થોડી વાતો.

અને આજે શરૂઆત કરીએ – કવિ વિષેની થોડી વાતોથી – કવિ સાથેના સંવાદ સાથે.

(વિડિયો અને પરિચય માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.

‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.

‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

છંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો કલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ – નિરંજન ભગત

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એજ રાખ.

એની એજ લૂ ને એની એજ લ્હાય
એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

– નિરંજન ભગત

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ)

સ્વર : હેમા દેસાઇ, આશિત દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું –
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત