Category Archives: મેઘલતા મહેતા

મન મારું મેઘની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

મન મારું મેઘની સંગે
ઉડી ઉડી જાય દિગદીશાઓ વ્યોમે
શુન્યાકાશે ઝરમર શ્રાવણ સંગીતે
રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ

મન મારું હંસ ની પાંખે બેસી જાય ઉડે
ક્વચિત ક્વચિત ચમકે વીજ પ્રકાશે
ઝણઝણ મંજીરા બાજે ઝંઝા રુદ્ર આનંદે
કલ કલ કલ કલ નાદે ઝરણા
હાક દે, પ્રલય ને આહવાને

વાયુ વહે પૂર્વ સમુદ્ર થાકી
છળ છળ ઉછળે તરંગ તટે
મન મારું દોડે એના મસ્ત પ્રવાહે
અરણ્ય પર્ણના તાલે
શબ્દ શાખાના આંદોલને

-રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા )

આનંદ લોકે – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃંદ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

મહિમા તારો ઝળહળતો મહાગગનમાં
વિશ્વ-જગત મણિ-ભૂષણ રહે તારે ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ગ્રહ તારા ચંદ્ર સૂરજ વ્યાકુળ બની દોડે
કરે પાન કરે સ્નાન અક્ષય કિરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ધરણી પર વહે નિર્ઝર મોહન મધુ શોભા
ફૂલ પાલવ અતિ સુગંધ સુંદર વરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

વહે જીવન રજની દિન નિત નવ નવ ધારા
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ
કરે સાંત્વના કરે વર્ષણ સંતાપ હરે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

જગ માં તવ મહાઉત્સવ વંદન કરે વિશ્વ
ભૂમિ સંપત્તિ સમ્રીદ્ધી તવ નિર્ભીક ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા)

માના રથ કેરા ઘુઘરા વાગ્યા – મેઘલતા મહેતા

સ્વરકાર : માધ્વી મહેતા, અસીમ મહેતા

સ્વર : માધ્વી મહેતા અને વૃંદ
કવિયત્રી : મેઘલતા મહેતા
સંગીત : વિક્રમ પાટીલ
આલબમ : સાયબો મારો

માના રથ કેરા ઘુઘરા વાગ્યા
કે માં, તારા આવવાના ભણકારા વાગ્યા…
માના ઘુઘરા ઘમઘમ ગાજયા
હે માં તારા…

તારા પગલના પડઘા સંભળાયા
આખું આભ બની ઝાંઝરીયા ઝમક્યા

માની ચૂંદડીના તારલા લ્હરાયા
અંગે અંગમાં શક્તિ બની છાયા

અમ રુદિયાના સુરજ સળવળીયા
ભર નીંદરેથી લોક સૂતાં જાગ્યા

માને પગલે મેઘાડમ્બર ગાજયા
સાથે મનડાના મોર થૈ થૈ નાચ્યાં

– મેઘલતા મહેતા

હું તો છુઈ મૂઈનો છોડ – મેઘલતા મહેતા

સ્વર : ડો.દર્શના ઝાલા
સ્વરાંકન : નયન પંચોલી
આલબમ : તારા નામમાં

.

અરે હાં હાં મને કોઈ અડશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ
મારી સાથે અડપલાં કરશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ

મૂઆ વાયરા વેગળો રહેજે રે, મારે અંગેથી અળગો રહેજે રે
અલ્યા સુરજ સખણો રહેજે રે, સતપતિઓ કેવો સતાવે રે

પેલી વાદળી ભીંજવી જાતી રે , મને અમથી ખીજવી જાતી રે
મારે માં એ જતન શા કીધા રે , મને શરમના શમણાં દીધા રે

એક પરદેશી પાંદડું આવ્યું રે, મને છાયોને દઈ છવાયું રે
પહેલી પ્રીત્યુંના સ્પર્શે પાંગરી રે, મારી લજ્જા મને ના સાંભરી રે
– મેઘલતા મહેતા

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! (હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી)

આજે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ!  આજના દિવસ માટે લખાયેલો આ લેખ ટહુકો પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ નંદિનીબેન નો આભાર માનું છું. 
*************

Link to Original Article: હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, “ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે.” આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!’ બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે.

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં ‘બે એરિયા’માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

“એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે.” કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. ‘રવીન્દ્રનાથનો કલા વૈભવ’ પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, “સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે ‘માર્ચ સોંગ’માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી.”

Click here for Amazon Link for the album

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

હાલાં રે હાલાં – મેઘલતા મહેતા (બાળદિનની શુભેચ્છાઓ)

થોડા વખત પહેલા જાણીતા કવયિત્રી, અને બે-એરિયાના ગુજરાતી સાહિત્યવર્તુળમાં અમારા સૌના વડીલા એવા શ્રીમતી મેઘલતાબેન મહેતાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. એમની કેટલીક રચનાઓ આપણે ટહુકો પર અગાઉ માણી ચૂક્યા છે. (https://tahuko.com/?cat=528). ગયા વર્ષે ‘મળવા જેવા માણસ’ શ્રુંખલામાં પ્રસ્તુત એમના વિષેની વાતો આપ અહીં માણી શકશો (https://gujaratisahityasangam.wordpress.com/2014/07/21/meghalataben-mehta/)

એમણે મારી દિકરીમાટે જે હાલરડાં અને બાળગીતોની સીડી આપી હતી, એ અમારા સૌ માટે એક અણમોલ સંભારણું છે. એમાથી એક હાલરડું અહિં રજૂ કરું છું. એમના પોતાના અવાજમાં.. મેઘલતા આંટી, We are missing you!

અને હા, આ હાલરડાંની સૌથે સૌ બાળમિત્રોને, આપણી અંદરથી જવાની ધરાર ‘ના’ પાડતા બાળકને પણ – બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સ્વર – સ્વરાંકન – કવિ : મેઘલતા મહેતા

meghlata_mehta

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

હાલાં રે હાલાં, બેનીને મમ્મા લાગે વ્હાલા
મમ્માને બોલાવું, બેનીને કુકી કેક ખવરાવું

હાલાં રે હાલાં, બેનીને પપ્પા લાગે વ્હાલા
પપ્પાને બોલાવું, બેનીને સ્ટોરીયું સંભળાવું

હાલાં રે હાલાં, બેનીને માસી લાગે વ્હાલા
માસીને બોલાવું, બેનીને હાલરડાં ગવરાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને કાકા લાગે વ્હાલા
કાકાને બોલાવું, બેનીને ખોળે બેસારું

હાલાં રે હાલાં, બેનીને ફોઇબા લાગે વ્હાલા
ફોઇબાને બોલાવું, બેનીના નામ પડાવું

હાલાં રે હાલાં, બેનીને દાદા-દાદી વ્હાલા
દાદા-દાદીને બોલાવું, બેનીને લાડ લડાવું

હાલાં રે હાલાં, બેનીને નાના-નાની વ્હાલા
નાના-નાની બોલાવું, બેનીને ઝબલાં-ટોપી અલાવું

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

– મેઘલતા મહેતા

સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા – મેઘલતા મહેતા

આજે ૧૪ નવેમ્બર… એટલે કે બાળદીન… અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ..!! સ્વયમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! અને સૌ બાળમિત્રોને, અને આપણા સૌમાં રહેતા બાળકને પણ – બાળદીનની વધાઇઓ…!! તો આજે માણીએ આ મઝાનું બાળગીત – અને સાથે કવયિત્રી શ્રી – મેઘલતાબેનના અવાજમાં એ બાળગીતનું એવું જ મઝાનું પઢન..!!

સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા

ખાજા ખાઇ ખિસકોલી, ખાઇ ને એ તો ડોલી
લઇ ને હાથમાં ઝોળી, આવી રીંછની ટોળી

રીંછ કહે તું નાચ, બંદરનું છે રાજ
જઇ પહોંચ્યો દરબાર, સુણોજી સરકાર

સિંહ ભરાયો રીસે, આપના ઉપર ખીજે
મારી સાથે આવો, સિંહને આપ ડરાવો

બંદરે માર્યો ઠેકડો, પૂંછડીનો કીધો એકડો
ડોલતો દીઠો ગજરાજ, બાજુમાં છે વનરાજ

બંદરે કીધું હૂક, સિંહે કીધું ચૂપ
સિંહની સાંભળી ગર્જના, બંદરના હાંજા ગડગડ્યા

સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા

– મેઘલતા મહેતા

રવીન્દ્ર ગુર્જરી – રવીન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત

Ravindra Gurjari

Bay Area, California માટે ગૌરવની વાત છે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાત તરફથી શ્રધ્ધાંજલી રૂપે એક અનોખું આલ્બમ – ‘રવીન્દ્ર ગુર્જરી’ નું આજે જુન ૩૦ ના દિવસે લોકાર્પણ થઇ રહ્યું છે. Bay Areaના જ માધ્વી-અસીમ મહેતાની આગેવાનીમાં તૈયાર થયેલા આ આબ્લ્મમાં અહીંના જ બીજા કલાકારો સાથે મળીને એમણે ૧૨ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદોની – રવિન્દ્ર સંગીત શૈલીમાં રજૂઆત કરી છે. તમે પણ જો અહીં નજીકમાં રહેતા હો તો ‘ICC Milpitas’ માં થનાર આ વિમોચન પ્રસંગે આ જ બધા કલાકારોને પ્રત્યક્ષ માણવાનો ફરી લ્હાવો મળશે.

આ આબ્લમ ‘રવિન્દ્ર ગુર્જરી’ મેળવવા માટેની માહિતી ટૂંક સમયમાં ટહુકો પર જરૂર મળશે.

વૃન્દ – માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ, મીનૂ પુરી

પ્રસ્તાવના : માધ્વી મહેતા

ત્યાં સુધી તો આજે પ્રસ્તુત આ ગીત માણો. આ પહેલા પણ થોડા ગીતો ટહુકો માટે માધ્વીબેન-અસીમભાઇ પાસેથી મળ્યા છે – જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો.

સ્વર – અસીમ મહેતા
સ્વરાંકન – રવીન્દ્રનાથ ટાગોર
આલબમ – રવીન્દ્ર ગુર્જરી

વિત્યા દિનોની એ સહુ વાતો
ભૂલી હાય, શેં ભૂલાય
નજર નજરથી કરેલી વાતો
કદિયે શું ભૂલાય?

આવને ફરી એકવાર સખા
પ્રાણોમાં સમાઇ જા
આવ સુખદુઃખની કરીએ વાતો
હ્રદય ભરાઇ જાય .. વિત્યા દિનોની…

આપણ વ્હેલી સવારે ચૂંટતાં ફૂલો
ઝુલા પર ઝૂલ્યાં
બાંસુરી સાથે ગીત ગાતાં’તાં
બકુલ છાંય તળે

હાર રે કેવી રીતે અધવચ્ચે
વિખૂટાં થઇ ગયાં
હવે ફરી જો મળીએ સખા
પ્રાણમાં સમાઇ જા ..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

હાં રે માં આરાસૂરથી આવ્યા – મેઘલતા મહેતા

સ્વર – માધ્વી મહેતા અને વૃંદ
સ્વરાંકન – વિક્રમ પાટીલ

હાં રે માં આરાસૂરથી આવ્યા
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

સૂર તેજ માને નેણલે ચમકે
ચંદાની શીલી છાય છલકે
નવલખ તારાના મોતી માંની વાણીથી ઝરે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

દૂર દૂરથી માં ચોક માં ઊતર્યા
ઝુકી ઝુકી ને માં ગરબે ઘુમતા
રણઝણ ઝાંઝર વાગે ઢોલીના તાલે તાલે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

તાળી દૈ માડી ફરે ગોળ ફુદડી
વાયરે ઊડે એની લાલ ચટક ચૂદડી
ઝગમગ જ્યોતીની સેર સોના દિવડી યે સેજ
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

– મેઘલતા મહેતા

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************