Category Archives: ભાઇલાલભાઇ શાહ

દીવો રે પ્રગટાવો નાથ -રવીન્દ્ર ઠાકોર

સૌને દિવાળીની શુભેચ્છાઓ
આ દિવાળીના પર્વે ચાલો દીવો પ્રગટાવીએ અને આ સુંદર પ્રાર્થના સાંભળીએ.

સ્વર અને સંગીત:સચિન લીમયે
સ્વરકાર : ભાઈલાલ શાહ

.

દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો !

ઘોર રે અંધારું ભર્યું ઘટ ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક તો પગલીનો પંથ કોઈ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !

સૂનું સૂનું કોડિયું ને સૂની આજ એની વાટ,
પ્રગટાવો જ્યોતિ એની સુની આજ મારી વાટ !
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
-રવીન્દ્ર ઠાકોર

પ્રહલાદ પારેખ પર્વ 6 : એવું રે તપી ધરતી

આ પહેલા ટહુકો પર શ્રી ભાઇલાલભાઇ શાહના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – એના મૂળ રાગ સાથે ફરી એકવાર..!

સ્વર : ચિંતન પંડ્યા – દેવયાની
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા
કવિ – પ્રહલાદ પારેખ

 

ગીતવર્ષા આલ્બમ વિષેઃ

પ્રહલાદ પારેખ પર્વમા પ્રકાશીત થયેલા ગીતો “પ્રહલાદ પારેખ શતાબ્દી ઉત્સવ સમિતિ” એ ‘ઘરશાળા” નિશાળના પ્રાંગણમા યોજેલ “ગીત વર્ષા” કાર્યક્રમમા ગવાયા હતા.આ પ્રસંગે પ્રહલાદજી ના કુલ ૩૩ ગીતો ધ્વનિ મુદ્રિત ( રેકોર્ડ) થયા હતા. બધાજ કલાકારો ભાવનગરના રહેવાસી છે.

શ્રી ચિંતન પડ્યા એ મૂળ ઢાળ શોધી ગાયકો – રચના, નિતીન,રાજેન, નિધિ, દેવયાની,સ્વાતિ, પ્રાર્થિત,કર્મવીર, દર્શન જેવા નવોદિતો પાસે ગવરાવ્યા હતા. વાદ્ય સંગત :

કીબોર્ડ – જયદીપ શાહ
તબલાં – કર્મવીર મહેતા
ઢોલક – પ્રાર્થિત મહેતા
સાઇડ રીધમ -અભિજિત ગોહિલ

આ સીડી અને એના પ્રાપ્તિસ્થાન વિષે વધુ માહિતી આવતીકાલે 🙂

————————————–
Posted on June 27, 2010

આજે સવારે પપ્પા સાથે વાત થઇ, ત્યારે પપ્પા કહેતા હતા કે અમદાવાદમાં હજુ મેઘરાજાની મહેર નથી થઇ..! તો ચાલો, આપણે પણ સૌ અમદાવાદીઓ સાથે આજે મેહુલાને વિનંતી કરીએ, અને સાંભળીએ એ જ મિજાજનું આ કવિ શ્રી પ્રહલાદ પારેખનું ગીત. સ્વર અને સ્વરાંકન – શ્રી ભાઇલાલભાઇ શાહ.

(એવું રે તપી ધરતી.…. Photo: NeenaBeena @ Flickr)

સ્વર અને સ્વરાંકન : ભાઈલાલ શાહ

.

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

——-

(ગીતના શબ્દો અને ઓડિયો ફાઇલ માટે આભાર – મેહુલ શાહ : શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર)

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી ! – ઝવેરચંદ મેઘાણી

ગઇ જુન ૧૩ ના દિવસે અમારા ડગલાના ઉપક્રમે જે ‘સ્વર્ણગાથા ગુજરાતની‘ કાર્યક્રમ રજૂ થયેલો, એમાં રજૂ થયેલ આ ગીત આપ સૌ માટે… સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ સાથે….

આ ગીત ઘણી રીતે ઘણું જ ખાસ છે… અહીં રજૂ કરનાર હેતલ-સુમોહા માટે તો આ ગીત ખાસ છે જ.. પણ એમની પાસેથી પહેલીવાર આ ડગલો કાર્યક્રમના એક ‘practice session’ માં સાંભળ્યું, ત્યારથી એ મને પણ એટલું જ વ્હાલું છે. કોણ જાણે શું કારણ હશે, પણ જેટલીવાર એમની પાસેથી આ ગીત સાંભળ્યું, રૂબરૂમાં કે રેકોર્ડિંગ – એટલીવાર આંખો ભીની થાય…

હેતલ-સુમોહાએ આ ગીત – એમના સી.એન.વિદ્યાલયને અર્પણ કર્યું છે – જે ગીત પહેલાની શ્રુતિની પ્રસ્તાવનામાં આપ સાંભળશો જ..!!

આપણને ૬૩ વર્ષ પહેલા મળેલી સ્વતંત્રતા કેટલી મોંઘેરી છે – એ ઝવેરચંદ મેઘાણી – આપણા રાષ્ટ્રીય શાયર ના શબ્દોમાં સાંભળીએ..! અને સાથે – કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં આસ્વાદ..!

સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ
સ્વર : સુમોહા પટેલ, હેતલ બ્રહ્મભટ્ટ

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !

પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.

એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,

એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.

પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

મારા દેશના સહુ શોષિતો,
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો

એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !

– ઝવેરચંદ મેઘાણી

**************************

સાથે સુમોહા-હેતલના શબ્દોમાં થોડી વાતો… વાંચતી વખતે જાણે આપણેય સી.એન.વિદ્યાલય પહોંચી જઇએ..!

This song has a very distinct memory of my childhood. Usually this song used to be sung almost every week at least once in our C.N. prarthnamandir during the months of August and January as a tribute to our svatantrata senanis…
If I close my eyes and sing the song I will go back to my prarthnamandir with a statue of Gandhiji in the center back of the stage and our small team of sangit udyog students would be sitting in the front facing the audience as if Bapu is standing right in the back of us and we are singing this song.
Usually the month of august is a month of rain and as we sang this song it would be raining. The notes of the composition are so touchy that many times we saw tears filled eyes of many students in the audience. Sometimes even we would be in the middle of singing the song and would see Jhinadada coming towards the prarthnamandir….immediately all the children would raise and wave their right hand in respect of his arrival. As far as I know Jhinadada ‘Snehrashmi’ he mentioned that he could hear all the songs sung in the prarthnamandir and whenever he listened to these songs for eg. taara naam ma….. and ame namie tane chirsathi…… from his home that used to be very close to the prarthnamandir he couldn’t stop himself to come and be the part of the prarthna.
We were 10,11 years old at this time. It was in 1985 and we didn’t know what it means. But the composition ,lyrics,environment of the prarthnamandir and Jhinadada himself made such a deep impact on our little minds and hearts that even today I feel so rich being part of this whole experience.
– Sumoha.

I have memories of this song from when I was about 6 year old, hearing my elder sister Priti singing this song, she also studied in CN.
I remember in my 5th grade when our Music teacher started teaching this song in our Sangeet Udhyog class, I jumped in my seat surpised as I almost knew the song! – It has been a favourite ever since.

Both Sumoha and I come from a ‘ Loyal-To-CN-families’ having many family members/cousins who studied in CN. & I think we all are extremely lucky to be nurtured by such a balanced & coulorful environment which was filled with lightness of freedom but at the same time grounded with very high level of discipline .

Little more background –
Around 1970s onwards many schools in Gujarat started English medium schools & due to that many Guajarati medium schools like Navchetan etc eventually closed down.
During those tough time the founders of CN very firmly held their grounds & continued their emphasis on Gujarati language medium for all students K to 12. They have continued introducing students of tender age of 8-10 years of age with very best and classic pieces of gujarati literature & music as part of curriculum, providing highly regarded poets/writers as teachers like Shri SnehRashmi(Jhina dada), Madhav Ramanuj and Yoseph Mecwan & many others.
– Hetal

**************************

માતૃભૂમિનો પ્રેમ

સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશું જ નથી.

સ્વતંત્રતા એટલે શું ?

તમે માનું નામ લ્યો અને હ્રદયમાં જે લાગણીનો ઝરો છલકાઈ ઊઠે, એ જ વત્સલતા સ્વતંત્રતા નામમાં પણ રહી છે. બીજા બધા સંજીવની મંત્રો વિશે તો આપણે વાર્તા-પુરાણોમાં વાંચ્યું છે, પણ સ્વતંત્રતા એ તો સિધ્ધ સંજીવની મંત્ર છે. નિર્જીવના હ્રદયમાં જીવન પ્રેરે એવો મહાન મંત્ર.

અદાલતમાં લાંબી કારવાઇ ચાલ્યા પછી એક આરોપીને ‘નિર્દોષ’ જાહેર કરવામાં આવ્યો, ત્યારે એણે કહ્યું : ‘અત્યાર સુધી આ ત્રણ અક્ષરના શબ્દનો કેટલો મોટો મહિમા છે એની મને કલ્પના પણ નહોતી.’ કોઇ પ્રજા જ્યારે ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થાય ત્યારે જ એને સ્વતંત્રતા એ શબ્દનો સાચો અર્થ સમજાય છે.

પરાધીનતાના દીર્ઘ કાળ પછી પહેલી જ વાર જ્યારે માણસ પોતે સ્વતંત્ર છે એવો અનુભવ કરે એ ક્ષણનો જ મહિમા છે – અને ભારતમાં આ ક્ષણ પંદરમી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નહીં, એ પહેલાં કેટલાયે દાયકાઓ અગાઉ આવી હતી. પરાધીનતા એ બહારની કોઈ પરિસ્થિતિ નહીં, પણ આંતરિક મન:સ્થિતિ છે; અને આ સ્વતંત્રતાનો અમલ માનવીના મનમાં ઘૂંટાય પછી એને કોઈ બંધન બાંધી શકતા નથી.

આપણે સ્વતંત્ર નહોતા ત્યારે કવિએ અનુભવેલી સ્વતંત્રતાની ખુમારીનું આ કાવ્ય છે. આપણે આઝાદી દિન ઉજવીએ છીએ, પણ આજના આ ઉત્સવને શક્ય બનાવવા માટે પોતાની સમસ્ત આવતી કાલ જે માણસોએ હોમી દીધી, એમને કેમ વીસરી શકીએ?

કેટકેટલા યુવાનોએ સામેથી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારાઓ બુલંદ કર્યા હતા, એ વાત હજી ગઈ કાલના ઈતિહાસની છે. સ્વતંત્રતા શબ્દનું જાદુ આ યુવાનો પર જે હતું એ આજે છે ખરું? એ જમાનામાં ગુલામીના અન્ન ખાવા કરતાં આઝાદીના તરણાં પર જીવવાની ખુમારી ધરાવતા લોકો આપણી વચ્ચે હતા. આજે આઝાદ થયાને આટલો સમય વીત્યો છે ત્યારે મેઘાણીની આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એક કવિના શબ્દો વેધક તીરની માફક આંખો અને હ્રદયમાં વાગે છે.

દેશ તો આઝાદ થતા થૈ ગયો –
તેં શું કર્યું?

આ સંઘર્ષમય યુગમાં આ પ્રશ્નનો ઉત્તર ભલે સૌ કોઇ પોતપોતાની રીતે આપે છતાં એ પ્રશ્ન અત્યારે તો નિરૂત્તર જ લાગે છે.

ક્યાં છે એ ખુમારી જ્યારે હસતાં હસતાં જુવાનો ફાંસીને વરમાળા સમજીને પહેરી લેતા હતા !

માતૃભૂમિ માટેનો પ્રેમ – આ કૈ શીખવવાની વસ્તુ નથી. બાળકને કોઇ શીખવી નથી શકતું કે માને કેમ પ્રેમ કરાય! પણ જે બાળક માતાને પ્રેમ કરે છે એ સારી પેઠે જાણે છે કે માનો હાથ જો મસ્તકે હશે તો ગમે તેવી આપત્તીનો એ સામનો કરી શકશે..! ગમે તેવા ભય વચ્ચે પણ માતાનું નામ હોઠે આવી જશે, તો મૃત્યુ સાથે પણ એ પોતાનો પંજો મિલાવી શકશે.

માતાનો પ્રેમ મળવો એ જન્મસિધ્ધ હકીકત છે; માતાને પ્રેમ કરવો એ કર્મસિધ્ધ અધિકાર છે.
– હરીન્દ્ર દવે
(આભાર : માનસરોવરના હંસ)

એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ)

આજના ગીતની પૂરેપૂરી Credit મેહુલ શાહને… પ્રાર્થનામંદિર – વિદ્યાવિહાર ગીતો પર એણે એના નાનાજી – ભાઇલાલભાઇ શાહનાં અવાજમાં ગીત મુક્યું છે, ત્યાંથી જ મને આ ગીત અને શબ્દો મળ્યા..! અને હા, મેહુલે સાથે સાથે ઓરીજીનલ બંગાળી ગીત, કિશોરકુમારના અને સોનુ નિગમના અવાજમાં પણ મૂક્યું છે..! આભાર મેહુલ.. 🙂

તો સાંભળીયે, રવિન્દ્રનાથ ટાગોરના આ અમર ગીતનો મહાદેવભાઇ દેસાઇએ કરેલો અનુવાદ.. ભાઇલાલભાઇના સ્વરમાં !

(એકલો જાને રે!…….. Near Muir Beach, CA -April 09)

* * * * * * *

સ્વર – સંગીત : ભાઈલાલભાઈ શાહ

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મહાદેવ દેસાઈ
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

ઓઢણી લહેરલ લહેરલ જાય – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. ! અને સાથે એમનો આ ગરબો બે અલગ-અલગ સ્વરાંકન સાથે.. આરતી મુન્શીના મીઠેરા સ્વર સાથે…!

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : એફ. આર. છીપા

.

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ

.

ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)

———–
આભાર : સિધ્ધાર્થભાઇ ઝીણાભાઇ દેસાઇ, મેહુલ શાહ

ગોરી મોરી – ઉમાશંકર જોષી

ફાગણ જાય અને ચૈત્ર આવે એ પહેલા આ ગીત સાંભળી લઇએ ને ?… (આભાર : ઊર્મિસાગર.કોમ)

સંગીત : ભાઇલાલભાઇ શાહ
સ્વર : પ્રણવ મહેતા, બીના મહેતા
Album : ગોરી મોરી

kesudo.jpg

.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.