Category Archives: કાવ્ય

અંગાર અને લોબાન

સમજી શકો તો માળા હરપળ ફર્યાં કરે છે.
અહીં છેવટે તો નરદમ કરુણા ઠર્યા કરે છે.

મળ્યું છે મુગ્ધા જેવું આ ભાગ્ય કેવું અમને,
‘ન માગું કંઈ’-કહીને સઘળું હર્યાં કરે છે.

અંગાર પર પડ્યો છે લોબાન ને હવા છે,
જીવન અમારું એવું, ખુશ્બ સર્યા કરે છે.

તું આવશે અચાનક શ્વાસોની પાલખીમાં,
જીવન જળે સરકતાં દીવડાં ધર્યા કરે છે.

અરે છું સાવ માટી, ઓખાત શું છે મારી ?
નિભાડે કોઈ નાખી, પાકાં કર્યા કરે છે.

– ઉષા ઉપાધ્યાય

બસ વહેવા દો – યામિની વ્યાસ

આજે ‘World Menstrual Hygiene Day’ છે. સ્ત્રીના અસ્તિત્વના સૌથી પવિત્ર પાસા – ‘માતૃત્વ’ સાથે જેનો અતૂટ નાતો છે, એ નૈસર્ગીક પ્રક્રિયાને સદીઓથી હીન ભાવનાથી જોવાતી આવી છે, કદાચ સામાજિક દૂષણની હદે એનો વ્યાપ છે અને આ અજ્ઞાનતા પ્રેરિત, કદાચ પુરુષપ્રધાન સમાજ દ્વારા ઈરાદાપૂર્વક કંડારેલા કાંટાળા માર્ગમાંથી લગભગ દરેક મુગ્ધા, યુવતી અને પ્રૌઢ સ્ત્રી પસાર થાય જ છે.
આજે આપણે આ જૂના માર્ગને છોડીને બસ આપણા ઘરની વહુ-દીકરીઓને, સ્ત્રીઓને આ રૂઢિચૂસ્ત સકંજામાંથી બહાર કાઢીએ.
દરેક મા આ બદલાવ લાવી જ શકે, દરેક દીકરીની મુક્તિ માટે નવી કેડી કંડારી જ શકે.
બોલો, તમે તૈયાર છો?!

આવી જ હાકલ કરતી કવિતા, સુરતના કવિયિત્રી યામિની વ્યાસ રજૂ કરે છે –

હું તો કંકુવરણી શુકનિયાળ નદી છું
અને તમે બંધિયાર વાવ કહો છો!
ધીમેધીમે જૂની માન્યતાનાં જર્જરિત પગથિયાં ઊતરો તો સારું.
મેં તો એમાં સાંભળેલી બધી ગઈકાલોને વહાવી દીધી છે.
તમેય ઓગાળી દો વ્યર્થ ગુસપુસ ઘોંઘાટ.
મૌનથી વધાવો છલકી ઊઠેલા રતુંબલ પ્રવાહને.
નદીને નદી જ રાખો.
તમારી રોકટોકથી એ તરફડતી માછલી ન બની જાય,
કારણ કે
હું જ એમાં ઓગળીને ફરી નવી બનું છું.
એ રીતે હું જ ફરી મને ઘડું છું,
ને તમારો દેહ ઘડનાર પણ હું જ.
ઋતુનું ચક્ર સહજ ફરતું રહે છે.
એ દિવસો પછી ફરી લાલ જાજમ બિછાવવી શરૂ કરું
થાક્યા વિના ને
પ્રતીક્ષા પછી આખો અસબાબ વહાવી દઉં નદી બની.
કદી માતૃત્વ પ્રાપ્ત કરું
તો સર્જક બ્રહ્માજીના સાંનિધ્યે હોઉં એવું લાગે.
આ નદી મારી ફળદ્રુપતાની નિશાની છે,
સ્ત્રીત્વની વધામણી છે,
એટલે જ વહેતી રહું છું,
ત્રિવેણી સંગમની ગુપ્ત નદી માફક,
મારી જ નસેનસમાં ને સકલ અસ્તિત્વમાં પણ.
એનો આટલો ઊહાપોહ શાને?
આ તો શરમની નહીં, ગર્વની વાત છે.
તમે કંઈપણ કહેવાનું રહેવા દો.
બસ, મને વહેવા દો.

– યામિની વ્યાસ

એ પળ હજી ન ભાળી – વિનોદ જોષી

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

એ પળ હજી ન ભાળી,

હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,

ઊભી ધાર ન ફાવે એને હોય વ૨સવું ત્રાંસું,

ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,

પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;

ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોષી

[કાવ્ય સંગ્રહ – ખુલી પાંખે પિંજરમાં]

પરપોટો ઊંચકીને… – વિનોદ જોશી [કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’]

​​કવિશ્રી વિનોદ જોશીના ૨૦૨૩માં પ્રકાશિત કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ માં સમાવિષ્ટ એમના નવા કાવ્યો આપ સૌની સમક્ષ રજૂ કરતાં ખૂબ આનંદ થાય છે.

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ,

હવે દરિયો લાવું તો કેમ લાવું ?
વાદળ ઓઢીને સ્હેજ સૂતી, ત્યાં
ધોધમાર વરસાદે લઇ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડમાં
તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝ૨ડો;
વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
હવે અમથી આવું તો કેમ આવું ?

નખની નમણાશ મારી એવી કે
પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઇ જાય
પછી એનાંથી હું જ ઓલવાતી;
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
હવે સૂરજ વાવું તો કેમ વાવું ?

વિનોદ જોષી

મધુશાલા – મહાકવિ હરિવંશરાય બચ્ચન. ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હરિવંશરાય બચ્ચનની આ અમર કૃતિ એમને ભારતના સાહિત્યના સમોચ્ચ શિખરે સ્થાન અપાવી ગઈ. અનેક ભાષાઓમાં અનુવાદ થયા પછી 2006માં ડૉ. જગદીશ ત્રિવેદીએ ગુજરાતીમાં અનુવાદ કરવાનું શરુ કર્યું અને આપણને મળી એક વિશ્વપ્રસિદ્ધ કૃતિનું ગુજરાતી સ્વરૂપ!

આજથી ટહુકો પર દર અઠવાડીએ મધુશાલાની એક રુબાઈ આપ સમક્ષ રજૂ થશે.
આશા છે આપ સૌ આ મદમાતી ‘સફર-એ-મધુશાલા’ માં અમારી સાથે રહેશો!

मधुशाला – 1

मृदु भावों के अंगूरों की आज बना लाया हाला,
प्रियतम, अपने ही हाथों से आज पिलाऊँगा प्याला;
पहले भोग लगा लूँ तुझको फिर प्रसाद जग पाएगा;
सबसे पहले तेरा स्वागत करती मेरी मधुशाला ।

डॉ. हरिवंशराय बच्चन

મૃદુભાવોની દ્રાક્ષોમાંથી આજ બનાવી છે મદિરા,
પ્રીતમ તુજને નિજ હાથોથી પિવાડું આજે પ્યાલા;
પહેલાં ભોગ ધરાવું તુજને જગ પામે પરસાદ પછી;
પરથમ પહેલું સ્વાગત તારું કરતી મારી મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

ગુજરાતના ઊંચા ગજાના કવિ ભગવતીકુમાર શર્મા આ ભાવાનુવાદને ‘મધુશાલાનો સફળ સમશ્લોકી અનુવાદ’ કહે છે. પુસ્તકની પ્રસ્તાવના આપતા એ કહે છે કે :
“મધુશાલાનો સફળ ગુજરાતી સમશ્લોકી અનુવાદ સન ૧૯૫૦ની આસપાસ મેં સાહિત્યક્ષેત્રે પ્રવેશ કર્યો. મારી વાચનભૂખ તો એ પહેલાંની હતી. જે હાથમાં આવે તે આંખ નીચેથી પસાર થઈ જતું. એ સમયગાળામાં ‘ચેત મછંદર’ સાપ્તાહિક ખાસ્સું લોકપ્રિય હતું. એમાં પ્રગટ થતી દેવશંકર મહેતાની વાર્તાઓએ અન્યોની જેમ મારું પણ ધ્યાન ખેંચ્યું હતું. એ વાર્તાઓમાં સૌરાષ્ટ્રની હિંગી ધરાની અસ્સલ સોડમ અનુભવાતી. એને તો દાયકાઓ વીતી ગયા. દેવશંકર મહેતાનું નામ પણ મારા માનસપટ પરથી વીસરાઈ ગયું, પણ સાડાપાંચ દાયકે એ પુનઃ તાજું થયું, એક ટેલીફોનિક સંવાદથી. એ ફોન-કૉલ હતો સુરેન્દ્રનગરથી અને અવાજ હતો દેશ-વિદેશમાં વિખ્યાત હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો. દેવશંકર મહેતાના તેઓ દૌહિત્ર થાય. આ દૌહિત્રે તેમના નાનાજીનું સુયોગ્ય તર્પણ કર્યું છે, જગદીશ ત્રિવેદીએ દેવશંકર મહેતાના સાહિત્ય પર પીએચ.ડી. કરીને ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. જગદીશભાઈ ગુજરાતી વાચકોમાં મુખ્યત્વે તો તેમનાં નાટકો અને હાસ્યસાહિત્યથી પરિચિત છે. આ બે સાહિત્ય-સ્વરૂપોનાં કુલ પચીસ જેટલાં પુસ્તકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે. દિગ્ગજ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડના શિષ્ય જગદીશ ત્રિવેદીએ તેમના હાસ્ય-કાર્યક્રમોથી તો લોકપ્રિય છે જ અને પોતાના કલાગુરુને ભાવાંજલિ આપવા માટે શાહબુદ્દીન રાઠોડનાં લેખન અને કથન ૫૨ મહાનિબંધ લખી બીજી વાર ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. પરંતુ જગદીશભાઈએ હવે પોતાની લેખન-પ્રવૃત્તિમાં નવું પ્રસ્થાન કર્યું છે, અર્થાત્ તેમણે કવિતા પ૨ કલમ ચલાવી છે. એ માટે તેમણે સમશ્લોકી અનુવાદનો પંથ પકડ્યો છે. એ સંદર્ભે એમની કૃતિ-પસંદગીને ધન્યવાદ આપવા જોઈએ.

પ્રથમ પ્રયત્ન જ એમણે ઊંચું નિશાન તાક્યું છે અને તેને વીંધવામાં તેઓ સફ્ળ થયા છે. હિન્દી ભાષાના સ્વનામધન્ય પ્રથિતયશ કવિ સ્વર્ગીય ડૉ. હિરવંશરાય બચ્ચન હવે ભલે ભારતના સિનેરસિકોને પ્રકીર્તિત અભિનયપટુ અમિતાભ બચ્ચનના પિતાજી તરીકે પરિચિત હોય, પરંતુ અમિતાભ બચ્ચનને ડૉ. હિરવંશરાય બચ્ચનના સુપુત્ર તરીકે ઓળખાવવામાં પૂરું ઔચિત્ય છે. અને તેથી આજે પણ આ મહાન કલાકાર જીવનની કોઈ પણ મુશ્કેલીનો માર્ગ પોતાના પિતાશ્રીની રચનાઓમાંથી મેળવે છે. અમિતજીની પ્રતિભામાં તેમનાં શાલીન માતા-પિતાની સભર વિરાસત વિલસે છે. આવા ડૉ. હરિવંશરાય બચ્ચન દાયકાઓથી તેમની દીર્ઘ, અતિયશસ્વી કાવ્યરચના ‘મધુશાલા’ના પર્યાયરૂપ સર્જક બનેલા છે. હરિવંશરાય બચ્ચન અને મધુશાલા’ એ બે નામો એક જ શ્વાસમાં ઉચ્ચારાય એટલી હદે તેઓનું સાયુજ્ય સિદ્ધ થયેલું છે. આ ‘મધુશાલા’ માત્ર હિન્દી ભાષાની નહીં પરંતુ ભારતવર્ષની પ્રમુખતમ કાવ્યરચનાઓમાંની એક છે, કેમ કે તેમાં ભારતનો, ભારતીય સંસ્કૃતિનો આત્મા ધબકે છે. વસ્તુતઃ ભારતીય સંસ્કૃતિ અને માનવ સંસ્કૃતિ અભિન્ન છે. એ દૃષ્ટિએ મધુશાલા’ એ માનવ-ઐક્યનું મહાકાવ્ય છે.આ માનવ-ઐક્યની યશોગાથાનું ગાન ગાવા માટે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલાનું દુન્યવી કહી શકાય એવું પ્રતીક સંયોજીને કવિકર્મનું ઊંચેરું શિખર સિદ્ધ કર્યું છે. મધુશાલા એટલે મદિરાલય, સુરાલય, મયખાનું, પી; પણ ફારસી-ઉર્દૂ કવિતામાં સદીઓથી પરંપરાગત રૂપે મયખાનું, શરાબ, સાકી, શીશા, સુરાહી, પ્યાલા એ બધું પ્રતીકાત્મક સ્તરે પ્રયોજાતું આવ્યું છે. તેમાંથી સ્થૂળ સંદર્ભો સરી-ખરી પડ્યા છે અને તેમાં વારંવાર અધ્યાત્મ-સ્તરની અર્થચ્છાયાઓ પણ પ્રગટ થાય છે. આ પ્રતીકોનો આવો વિનિયોગ ગુજરાતી ગઝલોમાં પણ અજાણ્યો નથી. કવિવર બચ્ચનજીએ આ બધી પ્રતીકસામગ્રીનો એક સળંગ કાવ્યરૂપે સાતત્યપૂર્વક વિનિયોગ કરીને કવિતા સિદ્ધ કરવાની સાથે
જીવન અને જગત વિશેના ઉચ્ચસ્તરીય ચિંતનને આંબવા તથા વ્યક્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે અને તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની લેખિનીનું જ એ પ્રમાણ કે અહીં મિઠરાલય, મિદરા, મધુબાલા, પ્યાલા, સુરાહી એ સર્વ સ્થૂળ અર્થોની કાંચળી ઉતારી આધ્યાત્મિક ઊંચાઈને આંબે છે. હરિવંશરાયની કલમ ભાવકને વારંવાર કબીરસાહેબના તત્ત્વદર્શનનો અનુભવ કરાવે છે અને કબીર ભારતીય સંસ્કૃતિમાં અંતર્નિહિત એવી માનવ-સંસ્કૃતિના ઉચ્ચ સાધકોમાંના એક છે તેનો કોણ ઇન્કાર કરશે ? મહત્ત્વની વાત એ પણ છે કે ડૉ. હરિવંશરાય બચ્ચને મહાન વાત કરવા માટે ક્લિષ્ટ આડંબરયુક્ત ભાષાનો આશ્રય લીધો નથી. એને બદલે તેમણે બહુધા સાદી, સ૨ળ, બોલચાલની બાની પાસેથી ધાર્યું કામ લીધું છે. તેમની મધુશાલા’ વિદગ્ધ વિદ્વાનો અને સામાન્ય પાઠકોમાં એકસરખી પ્રિય થઈ પડી તેનું આ પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે.

ભાઈ જગદીશ ત્રિવેદીએ સમશ્લોકી અનુવાદ માટે ‘મધુશાલા’ જેવી પ્રકીર્તિત કાવ્યરચના પર કળશ ઢોળ્યો તેમાં પ્રથમ પ્રયત્ને જ તેમની ઉચ્ચ કાવ્ય-રુચિનો ભાવકોને પરિચય થશે. ‘મધુશાલા’ પસંદ કરતાં તો કરી લીધી, પણ તેના સમશ્લોકી અનુવાદમાં સફળ થવાનું એટલું સરળ નહોતું. પરંતુ કહેવું જોઈએ કે જગદીશભાઈને એ ધ્યેયની સિદ્ધિમાં પણ ઉલ્લેખનીય બલકે પ્રશંસનીય સફ્ળતા મળી છે. આ કામમાં એમને કેટલીક અનુકૂળતાઓની જેમ કિંચિત્ પ્રતિકૂળતાઓ પણ હતી. એક અનુકૂળતા તે હિન્દી અને ગુજરાતી ભાષાઓ વચ્ચેનું નૈકટ્ય. તેનું કારણ બંનેનાં મૂળ સંસ્કૃત ભાષામાં રહેલાં છે તે. બીજી અનુકૂળતા તે ડૉ. હરિવંશરાય બચ્ચને મધુશાલા’માં અથેતિ જે લય પ્રયોજ્યો છે તે ગુજરાતીમાં પણ અતિપ્રચલિત અને સુપરિચિત છે જ, પણ મુખ્ય પ્રતિકૂળતા તેમધુશાલાની છેતરામણી સરળતા અને સાદગી છે. હવે તેઓ પ્રાસરચનામાં પુનરાવર્તિત થતા ’હાલા’ , ‘મતવાલા’ વગેરે શબ્દોના ગુજરાતી પર્યાયો પ્રયોજવામાં પણ અનુવાદકની ખાસી કસોટી થઇ હો, પરંતુ જગદીશભાઈએ આ સર્વ પડકારી સફળતાથી ઝીલી બતાવ્યા છે, મૂળ કૃતિની રસાળતા, પ્રવાહિતા, લયાન્વિતતા અને તે સર્વમાંથી પ્રગટ થતું કવિચિંતન ઇત્યાદિને ગુજરાતી ભાષામાં સાંગોપાંગ ઉતારવામાં અનુવાદકને સફળતા મળી છે અને ભાવકને કોઈ ક્લિષ્ટ, તરજૂમીયું લખાણ વાચવાનો ચિત્ત-કલેશ નહીં પણ એક મૌલિકવત્ કાવ્યકૃતિમાંથી પસાર થવાનો આહલાદ સાંપડે છે અને તે જ આ અનુવાદની સફળતા છે. જગદીશભાઈ તેને નમ્રતાપૂર્વક ભાવાનુવાદ’ તરીકે ઓળખાવે છે, હુ તેને ‘સમશ્લોકી અનુવાદ’ લેખાવવાથી આગળ વધીને તેને ‘અનુસર્જન’ ગણવા પ્રેશ છું. કાવ્યગુણે સમૃદ્ધ એવી એક હિન્દીભાષી કાવ્યરચનાને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે જગદીશ ત્રિવેદીને હું અભિનંદન આપું છું.”

– ભગવતીકુમાર શર્મા

સપનાં સપનાં – મકરંદ દવે

રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાંછપનાં!
રે! ખાલી સપનાં સપનાં.

સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ, કલપના!
એ ખાલી સપનાં સપનાં.

અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.

રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો?
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર – તપનાં
આ સાચ કરો સૌ સપનાં.

– મકરંદ દવે

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું ને હું | કવયિત્રી: મધુમતી મહેતા

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૭.)

~ ગઝલ: શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યા છે તું ને હું
~ કવયિત્રી: મધુમતી મહેતા
~ સ્વરકાર-સ્વર: વિજય ભટ્ટ
~ સ્વર: દર્શના શુક્લ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:આપણું આંગણું બ્લોગ (બ્લોગ સંપર્ક: +91 88500 74946)

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું ને હું,
તેજની તન્હાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

કંટકોના રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ,
ફૂલની રૂસ્વાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં,
વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે,
પ્રેમની પરછાઈમાંથી નીકળ્યાં છે તું ને હું.

– મધુમતી મહેતા

Apple Music Link:
https://apple.co/3JhoEYh

Spotify Link:
https://spoti.fi/3SjV1th

અમને એક વધારાની રજા તો મળી! – રમજાન હસણિયા

કવિ અને પઠન : રમજાન હસણિયા

.

ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા,
અમને એક વધારાની રજા તો મળી!
તમે ભલે જીવનભર દોડ્યા કર્યું અમને ઊંઘવાની મજા તો મળી !

તમે તો ભાઈ ! બહુ હોંશમાં આવી ગયા
દીન-દુઃખીને જોઈ પેન્ટ શર્ટ છોડી ધોતી પર આવી ગયા,
ધમધમતી વકીલાત તમે છોડી સત્યાગ્રહ જેવી વગર પગારની નોકરીમાં લાગી ગયા,
એ બધું તો ઠીક, પણ અમને તો તમારા ફોટાવાળી કડક નોટની થપ્પી ભેગી કરવાની બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી!

સાવ સુકલકડી, ન કોટ, ન કુર્તા,
આવા તે હોય કાંઈ ભારતના નેતા ?
સત્ય ને અહિંસા તે હોતાં હશે કાંઈ ગુલામીમાંથી મુક્ત કરવાના રસ્તા ?
તમારી જ ખાદી, તમારી જ ટોપી પહેરીને ફોટો પડાવવાની અમને બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી !

તમે તો ન માર્યા કોઈ શત્રુઓને,
ન ઝઘડા કરાવ્યા કોઈ કોમ વચ્ચે !
બધાંને તે સરખાં ગણાતાં હશે કાંઈ ?
એવું તમને શીખવાડ્યું કયા બચ્ચે?
તમારા અળવીતરા પ્રયોગોને જોઈને અમને પણ મજાક કરવાની મજા તો મળી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી…

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ