ગ્લૉબલ કવિતા : ૩૩ : પ્રવાસ – મેરી ઓલિવર (અનુ. વિવેક મનહર ટેલર)

એક દિવસ આખરે તમે જાણી ગયા હતા
તમારે શું કરવાનું હતું, અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
ચિલ્લાતા રહ્યા એમની બકવાસ સલાહો-
ભલે આખું ઘર
ધ્રુજવા કેમ ન માંડ્યું હોય અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હોય તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-બધા જ ચિલ્લાયા હતા.
પણ તમે અટક્યા નહોતા.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન ખણખોદ કરતો હતો એની અક્કડ આંગળીઓ વડે છેક પાયા સુધી,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત જંગલી હતી,
અને રસ્તો ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ એક પછી એક,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
તારાઓએ ચમકવું શરૂં કર્યું હતું વાદળોના ટોળાંમાંથી,
અને એક નવો જ અવાજ આવ્યો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો જ હતો,
જેણે તમારી સંગત કરી
જેમ જેમ તમે ઊંડેને ઊંડે છલાંગ ભરતા ગયા આ દુનિયામાં,
કરવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
બચાવવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)

એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. બીજાના બતાવેલા રસ્તે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे(તમે એકલા ચાલો રે- ટાગોર). રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ મેરી ઓલિવર આ જ વાત આ કવિતામાં લઈ આવ્યાં છે.

મેરી ઓલિવર. અમેરિકાના ઓહાયોમાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં ગાળ્યા. જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ હાલ ફ્લોરિડામાં રહે છે. અગિયાર-બાર વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. મેરી કહે છે, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી હતી. કદાચ ઘણી બધી વાર.’શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એ એક્કો હતાં. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવી એ કાયમની આદત. એક વિવેચકે તો કહ્યું હતું કે, ‘મેરી ઓલિવરની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં તો જતાં પણ ફાવતું નહીં. તોય ચર્ચ અને ખ્રિસ્તી ધર્મ એમના જીવનનો એક પ્રધાન રસ રહ્યો. રૂમીથી એટલા પ્રભાવિત છે કે રોજ એકવાર તો વાંચે જ છે. કોલેજ તો ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ ધુમ્રપાનની આદત કવિતાની જેમ છોડી નહીં.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ – ખૂબ લખ્યું. હજી લખે છે. હમણાં જ ૮૦ વર્ષની ઊંમરે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ એમણે આપ્યો. ઢગલાબંધ પુસ્તકો અને પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. મેરીની કવિતાઓ પ્રકૃતિના વણપ્રીછ્યાંવણચાહ્યાં પાનાંઓ ખોલી આપે છે. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું છે કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો આ કવિતા મુક્ત પદ્ય છે. કવિતા સળંગસૂત્રી પણ છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ પંક્તિની કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન અંતરામાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે જીવનની અંધાધૂંધીની આંધીમાંથી નીકળીને, બીજાઓ માટે નહીં પણ પોતાના માટે જીવવા નીકળતા માણસની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. શારીરિક યાત્રાનું રૂપક લઈને કવયિત્રી વ્યક્તિગત પરિવર્તન તરફની એકાકી, આધ્યાત્મિક મુસાફરીની વાત કરે છે. એ જાણે છે કે આ રસ્તો એકલાએ જ કાપવાનો છે… મજરુહ સુલતાનપુરીએ કહ્યું હતું તેમ-
मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर,
लोग साथ आते गए और कारवाँ बनता गया।

બીજા તમારી સાથે આવે એ તબક્કો તો બહુ પાછળનો છે. ભોગીલાલ ગાંધી કહી ગયા, ‘તું તારા દિલનો દીવો થા ને.’ રઈશ મનીઆરનો એક શેર પણ આ જ દર્શનબોધ કરાવે છે: ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સૌનું પોતિકું અજવાળું હોવું જોઈએ.; મેરી પણ બીજાઓના અવરોધ વટાવી એકલા આગળ જવાની વાત કરે છે. એક દિવસ આખરે તમને જાણ થાય છે. કવિતાની શરૂઆત કરતા આ ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ગોળગોળ ફર્યા કરતી આપણી જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

અને જ્યારે અંદરથી ‘એ’ અવાજ જાગે છે ત્યારે બહારના કોલાહલ એનો સંદર્ભ ગુમાવી બેસે છે. ઝાડ જેમ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે છે એ જ રીતે તમે નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરો છો. આપણા બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘આખરે’ એકાદવાર તો આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આપણા કાન શું એને સાંભળશે કે આપણી આજુબાજુની માયાજાળ એટલી બધી સદી ગઈ છે કે આપણે એને અવગણીને માત્ર સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી એક જગ્યાએ કહે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો અને એને જિંદગી કહો છો?’ મેરી સ્પષ્ટ છે એની જિંદગી વિશે. કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

તમે જ્યારે શરૂ કરો છો, ત્યારે દુનિયાની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસશે, તમારું ઘર તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે, સગપણની-જવાબદારીઓની બેડી પગને પાછા ખેંચવા મથશે પણ એક વાર કોલ ઝીલી લીધા પછી આતમમાર્ગનો મુસાફર રોક્યો કેમ કરીને રોકાય? જૂનાને તોડ્યા વિના નવું કશું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા માટે સુન્દરમે કહ્યું, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણી પણ કહે છે, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ કેમકે હોય એને સમારવાથી માત્ર નવીનીકરણ જ થાય, નવસર્જન માટે તો જૂનાંને તોડીને ખતમ કરવું પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથી એનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂટારાને જે દિ’ આ અહેસાસ થયો અને સમજણ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો ત્યારે એ ઋષિ વાલ્મિકી બન્યો હતો. સિદ્ધાર્થને અટકાવવા માટે એના પિતાએ શું શું ન કર્યું, પત્નીએ પણ પુત્ર આગળ ધરેલો. એવું નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ એનો પરિવાર તો સમસ્ત જગત હતું એટલે મુસાફરી પર નીકળી પડ્યા. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. અંદરનો અવાજ એ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની શરૂ કરી દેવાની હતી. રાત અંધારી છે અને અંધારું જંગલી છે. રસ્તો વિપદાથી ભર્યોભાદર્યો છે પણ એકવાર પ્રવાસ શરૂ થઈ જાય તો રસ્તો બતાવવા માટે તારાઓ પણ ચમકવા માંડશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’ જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આવામાં તમારો પોતાનો અવાજ જ તમને સંગાથ આપશે અને તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

બસ, યાદ રહે કે તમારું પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું જ એના પર અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે અને થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ બસ, યાદ રહે કે આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતે કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

*

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

મનોજ પર્વ ૨૪ : અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ

નોંધ – હેતલના અવાજમાં આ ગીતના રેકોર્ડિંગની રાહ જોવી પડશે. જે રેકોર્ડિંગ છે મારી પાસે એ કોઇક કારણસર બરાબર વાગી નથી રહ્યું. તો આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં સાંભળીએ.

સ્વરાંકન – અમર ભટ્ટ
સ્વર – ઐશ્વર્યા મજમુદાર

અષાઢી વાદળાનો ઉડ્યો ઉમંગ, મારી આંખમાં ચણોઠીયું ઉગી રે સઇ
આંગળીની જેમ રાખી ઈચ્છાઓ હાથમાં, તે આજ વળી આકાશે પુગી રે સઇ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત, થાય તૂટું તૂટું રે મારી સઇ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું, ને ફટ કરતી પળમાં ફૂટું રે મારી સઇ

નળિયાંને એવું તે થઇ બેઠું શુંય કે, આખો દિ’ કાગ જેમ બોલે રે સઇ
આભને ઉતરતું રોકી લ્યો કોઈ, મારા સપનામાં ડુંગરા ડોલે રે સઇ

ગ્લૉબલ કવિતા : ૩૨ : મને લાગે છે – સેફો (ગ્રીક)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ જેટલા ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળે છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦) નામની કવયિત્રી આગવું સ્થાન ધરાવે છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ પણ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇસવીસન પૂર્વે ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી અને કહેવાય છે કે એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસ હજાર જેટલી પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી એના જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. આજે સેફો સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતિક ગણાય છે. સેફો નામ ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય બની રહ્યું છે. સેફોના છસો વર્ષ પછી થઈ ગયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતિત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકા અનુસાર પોતાની સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. કેટલાક આ વાતનો વિરોધ પણ કરે છે. હકીકત ચકાસવાનું કામ ઇતિહાસકારોનું, આપણને તો એની કવિતાઓમાં રસ છે.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાન ખેંચે છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી પણ કહે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદન સેફોની રચનાઓનો પ્રમુખ કાકુ છે. સેફો એક રચનામાં કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ કાવ્યાત્મક પરાકાષ્ઠાના સર્વોચ્ચ ઉદાહરણ ગણાતા સેફોના ગીત વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ વિવેચક લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ એકીસાથે થીજાવી દે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફોની સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા એના કસબમાં છે જેમાં તેણી આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને એમને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજદિન પર્યંતના તમામ કવિઓ અને ભાવકોને એટલા માટે પ્રેરણા આપતી રહી છે કે એની કવિતાઓ આપણા સૌના મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ આ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. પ્રવર્તમાન ગ્રીસમાં જાહેરમાં પ્રણયકેલિઓ સામાન્ય હતી. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. ‘तुम अगर मुझ को ना चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगी तो मुश्किल होगी’ એ જ આપના સૌની મૂળભૂત સમસ્યા છે. દિપ્તી મિશ્ર આ જ વાત એના અંદાજમાં કહે છે,

कब कहा मैंने कि वो मिल जाए मुझको, मैं उसे
गैर न हो जाए बस इतनी हसरत है, तो है

એરિસ્ટોટલે કહ્યું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ પ્રેમ અને ઈર્ષ્યા એ કોઈપણ સ્નેહસંબંધના બે પગ હોય એમ સાથે જ રહે છે. સંબંધ ચાલતો હોય ત્યારે વારાફરતી આગળ-પાછળ થયા કરે છે પણ બંને સાથે આવી જાય ત્યારે સંબંધ ઊભો રહી જતો હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ ઓથેલોમાં ઈર્ષ્યાને green-eyed monster નામ આપી શેક્સપિઅર કહે છે, ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જે માંસ પર જીવે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ શેક્સપિઅરના નાટકો અને કવિતાઓમાં તો ઈર્ષ્યા ડગલેને પગલે નજરે ચડે છે. માત્ર શેક્સપિઅરમાં જ નહીં, દુનિયાભરના સાહિત્ય-કળામાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સહજ ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ?

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ પણ અહીં પરિસ્થિતિ જરા જુદી છે. પોતાની પ્રેયસીને ઈશ્વર સમા સંપૂર્ણ પુરુષ પાસે જોઈને નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

‘कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।’

જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદીનો અંદાજ અલગ જ છે:

‘तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।‘

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ નાયિકાની મજબૂરી અહીં નાયિકાના ગાત્રો ગાળી નાંખે છે. પ્રેમ ફરતેની લાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે? રૂમી કહી ગયા, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને તમારી આસપાસના દરેક કબૂતર પેઠે ઊડી શકશે.’ આપણે જાણીએ જ છીએ કે ઈર્ષ્યાથી ભરેલો સંબંધ એ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. પણ ઈર્ષ્યાથી પર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho

મનોજ પર્વ ૨૩ : હાથમાં કારોબાર રાખ્યો તેં

કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)

મનોજ પર્વ ૨૨ : ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

hqdefaultકવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂

જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

​ઉનાળો કાળઝાળ થાય છે – અનિલ ચાવડા

San Francisco Bay Area ​​ના કલાકારો તરફથી એક વધુ નજરાણૂ!! અસીમ-માધ્વી મહેતાનું સ્વરાંકન અને સૌ કલાકારોનો સહિયારો સ્વર!

Saptak Vrund, California, brings you yet another beautiful Gujarati group song “Unalo Kaljhal Thaye Chhey”, to celebrate the scorching summer heat musically!

Lyrics: Anil Chavda

Music Composers: Asim Mehta and Madhvi Mehta

Music Arranger and Programmer: Asim Mehta

Electric Guitar: Mike Overtone

Violin: Shiva Ramamurthi

Videography and Video Editing: Achal Anjaria

Singers: Asim Mehta, Madhvi Mehta, Darshana Bhuta-Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Anjana Parikh, Anvita Gautam, Bharat Suraiya, Gaurang Parikh, Hetal Brahmbhatt, Mukesh Kanakia, Neha Pathak, Nikunj Vaidya, Palak Vyas, Parimal Zaveri, Pranita Suraiya, Sanjiv Pathak, Sonal Parikh, and Vijay Bhatt

Special Thanks To: Narendra Shukla, Pragna Dadbhawala, and Maneshwar Judge

** This is a KAMP Music Production **

​ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

ભલા માણસ – હેમાંગ જોષી

હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ

જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ

કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ

ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ

વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ

માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ ?

ગ્લૉબલ કવિતા : ૩૧ : પ્રેમ પછી પ્રેમ (ડેરેક વૉલ્કોટ)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જાત સુધીની જાતરા…

જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને તો આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી આપણે પૂરેપૂરા વાકેફ છીએ ને કદાચ એટલે જ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે જે કહ્યું, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે આ વર્ષે જ ૧૭-૦૩-૨૦૧૭ના રોજ. એક વર્ષની ઊંમરે તો ચિત્રકાર પિતા ગુમાવ્યા. માતા આચાર્યા હતી. એક બહેન અને બે જોડિયા ભાઈઓમાં ડેરેક એક. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી ઊતરી આવ્યાં હતાં. ડેરેક કહેતા કે પિતામાં જે અધૂરું રહી ગયું એ જ મારામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની મળી પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની ઊંમરે પહેલી કવિતા. ૧૮ વર્ષની ઊંમરે બસો ડૉલર ઉધાર મેળવીને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને પૈસા પરત પણ મેળવી લીધા ને ૧૯ની ઊંમરે તો બીજો કાવ્યસંગ્રહ.

બૉસ્ટન, ન્યુ યૉર્ક અને લુસિયા વચ્ચે એમનો જીવનકાળ વહેંચાયેલો રહ્યો પરિણામસ્વરૂપે એમના સર્જનમાં કરેબિઅનની લોકલથી લઈને આંતરરાષ્ટ્રીયની ગ્લૉબલ ફ્લેવર એકમેકમાં ભેળસેળ થઈને એક નવી જ સોડમ જન્મી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ઓછા ‘બ્લેક’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવળાઓએ એમના પર પસ્તાળ પણ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતનો આરોપ મૂક્યા જેને મિડિયાએ ખૂબ ચગાવ્યા હતા જેની કિંમત ડેરેકે ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન અને ત્રણવાર છૂટાછેડા.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનઅધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર. એમનો અવાજ ઇતિહાસમાં સતત ગૂંજતો રહેનારો છે. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતાનું સ્વરૂપ જોઈએ તો એ મુક્ત પદ્યમાં લખાઈ છે એટલે કોઈ નિયત છંદ કે પ્રાસરચના દેખાતા નથી પણ યતિનો પ્રયોગ ધ્યાનાર્હ છે. વોલ્કૉટ યતિ(caesura)ના શોખીન હતા. એ કહેતા કે યતિનો અયોગ્ય પ્રયોગ રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પડી પગ તોડે એના જેવો હોય છે. એકતરફ અવારનવાર આવતા અલ્પવિરામ અને વાક્યની વચ્ચે આવતા પૂર્ણવિરામ વડે કવિતાની ગતિ તેઓ નિયત માત્રામાં અવરોધીને ભાવકને ઝડપભેર આગળ દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળી દઈને તેઓ ગતિ વધારી દે છે. જીવનની ગતિ સાથે આ રીતે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે.

કવિતાનું શીર્ષક વિચારતાં કરી દે છે. આપણે જે અર્થમાં ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ કવિ કહેવા માંગતા હશે?

કવિતા વાંચતા જ ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતા યાદ આવે. જેમાં અરીસામાં દેખાતો માણસ શું કહે છે એના પર ધ્યાન આપવાની અને એના તમારા માટેના ચુકાદાને સર્વોચ્ચ ગણવાની, એને જ ખુશ રાખવાની વાત આવે છે. સત્તરમી સદીમાં જ્યૉર્જ હર્બર્ટની ‘લવ’ કવિતાના અંશ પણ નજરે ચડે જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને સમજાવે છે કે એ અતિથિ તું પોતે જ છે અને પોતાની સાથે ખાવા-પીવા બેસાડે છે.

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’ કહીને કવિતા શરૂ થાય છે. મતલબ આ સમય આવવાનો જ છે એની ખાતરી છે અને આ સમય દરેકની જિંદગીમાં આવતો જ હોય છે જ્યારે માણસ પોતાની જાત સાથે જ મુખામુખ થતો હોય છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. જાત સાથે વાત કરવાનો સમય જ રહ્યો નહીં. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. તમારું હૃદય જીવનભર તમને ચાહે છે. હવે, તમારે એને ચાહવાનો સમય આવી ગયો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. મનની અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધોથી ઉભરાઈ ગઈ છે. આ બધાને ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ હોવાની મહેફિલ કરી દો. જિદગીની ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો…

ધર્મ અને ખ્રિસ્તીપણાનાં સંદર્ભ પણ નજરે ચડે છે. ‘Love thy neighbour’ (તારા પાડોશીને પ્રેમ કર), ‘Eat. Drink’ (ખાઓ. પીઓ.) વાઇન, બ્રેડ – બાઇબલના આ સંદર્ભ અછતા નથી રહેતા. દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેત સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો એમ પણ લાગે કે બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા કવિ ચહે છે.

અંગ્રેજી ‘I’ (હું) લેટિન શબ્દ ‘ઇગો’ પરથી ઉતરી આવ્યો છે. ફિલસૂફીમાં ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતિકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. પ્રખ્યાત લેખિકા એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. અંગ્રેજીમાં બિમારીની હદ સુધી વકરેલી સ્વરતિને narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાંથી ઉતરી આવ્યાં છે. યુવાન નાર્સિસસ તળાવમાંથી પાણી લેવા જતાં પોતનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે) લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ (રાલ્ફ એલિસન) કેમ કે ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ (માર્ક ટ્વેઇન) આજ વાત લાઓ-ત્ઝુ કહી ગયા, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’

જમાનો સેલ્ફીનો છે પણ સેલ્ફનો ફોટો લેવાનું આપણે ભૂલી ગયાં છીએ. જાત સાથે વાત કરતાં આવડી જાય તો સંસાર સરળ બની જાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે comfortable થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

વગડાની વચ્ચે તળાવ…

કવિ ?
સ્વરકાર ?
કંઠ ?
ફિલ્મનું નામ ?

નોંધ ઃ ભલે વર્ષોથી આ ગીત સાંભળુ છું છતાં અમુક શબ્દોમાં ખબર નથી પડી રહી… એક વ્હાલી મિત્રએ મને શબ્દો સાંભળીને લખવામાં મદદ કરી છે, પણ જે કાંઇ ભૂલ થઇ હોઇ એ તરફ તમારું ધ્યાન જાય તો જણાવશો ઃ)

વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે
ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે

બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,
વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇ
લાગ્યો મને કાળજડે થાક,
સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે

ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે
વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે

માથે છે ગાગર ને પગમાં ઝાંઝર,
આંખ્યુમાં છલકે રૂપનો સાગર,
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
પાણીડો મારી જોડે છે
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
ગોરી તું મારી જોડે છે

_______________
અને હા, વગડાની વચ્ચે શબ્દો પરથી બીજા બે જાણીતા અને ગમતા ગીતો ઃ

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી – અવિનાશ વ્યાસ

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડઊગ્યો વનચંપાનો છોડ

ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

*

રંગભેદ અને આપણી અંધારી માનસિકતા – વો સુબહ કભી ભી આયેગી?

મનુષ્યજાતિના શરીરે આજદિન સુધીમાં ફૂટી નીકળેલું સૌથી ગંધાતું ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજની તારીખે પણ એનો સંપૂર્ણ ઈલાજ થઈ શક્યો નથી એય મનુષ્યજાતિની અત્યાર સુધીની સૌથી મોટી કમનસીબી જ ને? અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. અબ્રાહમ લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ કાયદેસર અંત આવ્યો એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિ આ કવિતા લખે છે અને કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી અવગત કરાવે છે. કવિતા લખાયા બાદ બીજા ૭૫થી વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં?

લોહી થીજી જાય એવી આ કવિતાના સર્જક જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ (૦૧-૦૨-૧૯૦૨થી ૨૨-૦૫-૧૯૬૭) જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા હતા. મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જન્મતાવેંત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે અને વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં એ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. Harlem Renaissance એ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદની નીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈપણ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ એ બાદની કળાઓનો મુખ્ય પાયો બની રહ્યો.

વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે આગળ દોડી. ચોવીસ વર્ષની ઊંમરે તો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અખબારોએ એમના વિશે અત્યંત નીચ કક્ષાનું ઘસાતું પણ લખ્યું પણ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની રહી. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે એ asexual હતા. પ્રોસ્ટેટના કેન્સર અંગેની સર્જરીના કોમ્પ્લિકેશનના કારણે 65 વર્ષની ઊંમરે એમણે વિદાય લીધી.

અંગ્રેજીમાં જૂના જમાનામાં બેલડ યાને લોકગીતમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. ચાર લીટીના અંતરામાં અ-બ-ક-બ પ્રાસ રચના અને પહેલી અને ત્રીજીમાં ચાર અને બીજી-ચોથીમાં ત્રણ ભારયુક્ત સ્વરની વ્યવસ્થા હોય છે. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર બ્લ્યુઝ જેવું છે જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબની પ્રાસ-છંદ યોજના જોવા મળે છે. છઠ્ઠો અંતરો ઇટાલિક્સમાં છે, એ વક્તા અને કવિતાના ટોનમાં પરિવર્તન પણ સૂચવે છે. પછી ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની સાથે જ છંદ અને પ્રાસ બંને બદલાતાં-ખોરવાતાં નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં (ગાઢા ટાઇપમાં) છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા બંનેની સૂચક છે.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી સમજાય છે કે કવિતામાં ભાડૂત પણ હોવાનો. અને કવિતામાં કટાક્ષ પણ ત્યાંથી જ શરૂ થઈ જાય છે કેમકે હકીકતમાં આ મકાનમાલિકનું નહીં, ભાડૂતનું ગીત છે. કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણે ગરીબી અને અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને અનુભવીએ છીએ પણ છે…ક છેલ્લી લીટીમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. અનૌપચારિક અને શેરીમાં બોલાતી વ્યાકરણના નિયમો વિનાની અભદ્ર ભાષા માત્ર અભણ ભાડુતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં પ્રાણ પણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં માલિકની હાજરી સાથે કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. ગયા અઠવાડિયે જ ભાડૂતે ગળતાં છાપરાંને રિપેર કરાવવાની તાકીદ કરી છે પણ મકાનમાલિકે ન તો કોઈ કાર્યવાહી કરી છે કે ન તો ફરિયાદને યાદ રાખવાની દરકાર કરી છે. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે માલિક પડ્યા નહીં એની જ નવાઈ છે અને આ પગથિયાં પરથી તો ભાડૂત અને એના કુટુંબે દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની, યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. ગળતું છાપરું, તૂટેલાં પગથિયાં – આ બધી મૂળભૂત તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી નકરી બેદરકારી ગરીબના શૂન્ય જીવનમૂલ્યનું દ્યોતક છે. આટલું ઓછું હોય એમ દુકાળમાં અધિકમાસ જેવો માલિક પાછી ઊઘરાણી કરે છે. ઘરનું સમારકામ કરાવી આપે તો ભાડૂત એ પણ આપવા તૈયાર છે.

માલિક સાચા અર્થમાં માલિક છે. જન્મસિદ્ધ અધિકાર હોય એમ એ ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, સામાન ઊંચકીને શેરીમાં ફેંકાવી દેવાની ત્રણ-ત્રણ ધમકી આપે છે. ભાડૂતની કમાન છટકતાં જ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે અને કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, બેલડની પ્રાસરચના ભાંગી પડે છે, જે અવ્યવસ્થા ઈંગિત કરે છે.

ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ હૃદયહીન અને વિચારહીન. પોલિસની કામગીરી કવિએ એક-બે શબ્દોમાં જ આટોપી લઈને કવિતાની અને કાનૂનની ઝડપ યથાર્થ ઊભી કરી છે. છાપાં પણ રાઈનો પર્વત કરીને હેડ-લાઇન્સ બનાવે છે. ભાડૂતની ફરિયાદ ત્યાંની ત્યાં રહી જાય છે પણ એક ગરીબનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળતી સિસ્ટમ ત્રણ મહિના માટે કીડા-મંકોડાની કિંમતના માણસને જેલમાં ધકેલી દે છે. છેક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે ભાડૂત હબસી પણ છે માટે માલિક ગોરો હોવો જોઈએ.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. એ જમાનામાં પાવલી જેવી વાત માટે અશ્વેતોને રૂપિયા જેવડી સજા છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં તો શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ જોએલ એફ. કહે છે, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ધોળાંને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

*

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’nI’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges