જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા

કાં અચાનક યાદ આવી જાય છે,
જે રીતે વરસાદ આવી જાય છે !

હાથમાં ફૂલો છે એનું શું કરું,
હોઠ પર ફરિયાદ આવી જાય છે !

કંઈ કહેવાનું નહોતું શેરમાં,
એમનું ઈર્શાદ આવી જાય છે !

શોધવા જાઓ ને જે જડતા નથી,
શબ્દમાં આબાદ આવી જાય છે !

હોઉં છું હું ત્યાં સુધી હોતા નથી,
જાઉં છું ને બાદ આવી જાય છે !

– ભરત વિંઝુડા

ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ

ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

તલના ભેળા ભળ્યા કોદરા
દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે
બંધાયું છે પોત;

પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં.

ક્ષુધા કણની મણની માયા
ઘણાં બધાંને વળગી,
ઘણાં ખરાંની દરિયા વચ્ચે
કાયા ભડભડ સળગી;

જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા.

– ભગીરથ બ્રહ્મભટ્ટ

ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

મને યાદ છે જ્યારે

મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા.
દરરોજ એ વધુ કાપતા હતા
એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ
મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે
પૂરતું કાપી નાખ્યું કે જેથી ભરઉનાળે અમને મળી શકે
સૂર્ય વધારાની એક મિનિટ માટે, જે,
બિલકુલ, અતિશયોક્તિ જ છે, એમણે
જાણ્યું કે એમણે કંઈક નક્કર કરી લીધું છે, અને અમને જોવા બોલાવ્યા
સૂર્યને તિરાડમાં ઢળતો
અને અદૃશ્ય થતો.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ એમણે ખોદવો ચાલુ રાખ્યો
એ જ ખાડો, વરસમાં એક દિવસ મેળવવા માટે.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ મળશે
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવા તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો ખાડો હતો, એમનો પ્રકાશ હતો; તેઓ નસીબદાર હતા
કે એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

– જ્યારે એમણે એક ઝરણું ખોદ્યું અને પાણી ધસી આવ્યું
ધોધ બનીને, ખીણ, શહેરને ભરી દેતું
એક સુંદર તળાવ બનાવતું, ઊંડું,
ઠંડું, અને કયાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓએ જેઓ પર્વત પર
જંગલી ફરતા હતા, હર્ષોલ્લાસ કર્યો, અને વધુ
જંગલી થયા, બધુ આવેશપૂર્ણ. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ. : વિવેક મનહર ટેલર)

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

દુનિયાનો પહેલો સુપરમેન કોણ ? તો કે’ પપ્પા! છોકરા માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોવાના. મૂછ અને સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી તો દીકરો હંમેશા બાપના પેંગડામાં પગ ઘાલવાની મથામણમાં જ રહેવાનો. ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ એવું કહ્યા વિના કયો દીકરો મોટો થઈ ગયો હશે, કહો તો? અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એક દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું આવું જ એક બાપનું ચિત્ર છે.

માઇકલ હેટિચનો જન્મ ૧૯૫૩માં ન્યૂયૉર્કના બ્રુકલિનમાં થયો. ન્યુયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો એમણે પ્રગટ કર્યાં છે. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં એમની કવિતા અને લેખો સતત પ્રગટ થતા રહે છે અને ઢગલાબંધ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર પણ છે અને પૂર્ણતયા આધારભૂત પણ છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કોઈકે કહ્યું છે કે, પિતાના માથે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરી શકો છો; પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી; આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે. રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદાને આપણે યાદ કરીએ છીએ પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુના નદી ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ કરતા નથી કેમકે બાપ તો આ બધું કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં પણ માત્ર મા જ પ્રાણત્યાગ નથી કરતી, પિતા પણ કરે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘का स्विद् गुरुतरा भूमेः स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता चोच्चतरं च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
માની સરખામણીએ પિતાના ગુણગાણ જોકે બહુ ઓછા જ ગવાયા છે. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. પપ્પાનું ટી-શર્ટ પહેલવહેલીવાર બંધબેસતું આવે એ દિવસ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોવાનો. આવો જ એક દીકરો પોતાના પિતાને કઈ નજરે જુએ છે, પોતના પિતા માટે કેવા વિચારો ધરાવે છે એ વાત લઈને આ કવિતા આવે છે. કવિતા આત્મકથાનકસ્વરૂપે છે પણ એનો અર્થ એ નથી કે આ વાત માઇકલ હેટિચના પિતાની જ છે. આત્મકથાનકસ્વરૂપ કાવ્યમાં આવતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા પણ કવિતામાં આવતા આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. જેમ કવિ એ એની કવિતા પોતે નથી એમ જ કવિતામાં આવતી આ વ્યક્તિ એ કવિ પોતે જ હોય એવું જરૂરી નથી. આત્મકથાનકસ્વરૂપે કહેવાયેલી કવિતા શુદ્ધ આત્મકથાનક પણ હોઈ શકે, અર્ધઆત્મકથાનક પણ હોઈ શકે અને બિલકુલ કપોળકલ્પિતકથાનક પણ હોઈ શકે. કવિતામાં કવિને કે કવિની જિંદગીને શોધવાને બદલે કવિતા જ શોધવી વધુ હિતકારી છે.

હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે આ કવિતામાં છંદોના બંધન ફગાવી દીધા છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર ફકરાઓમાં પંક્તિ સંખ્યા અને લંબાઈ પણ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કવિતાનું શીર્ષક એ જ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે એ જોઈને પહેલી નજરે આશ્ચર્ય થાય પણ પછી આગળ જતાં ખ્યાલ આવે છે કે આ એક બાળકની સ્વગતોક્તિ છે અને બાળક પાસે શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય આવી સમજ પડે ત્યારે કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. અને કવિતા બાળકની યાદદાસ્ત પર આગળ વધે છે એટલે જ બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં પણ ભાવ અને વિચારના કૂદકાઓ જોવા મળે છે.

બાળક પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને સૂર્ય વધુ સમય માટે મળે. કવિતામાં જાતે જ કહ્યું છે કે ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ અને ન કહ્યું હોય તોય સમજી શકાય છે કે અતિશયોક્તિ પણ વામણી લાગે એવી આ વાત છે. પિતા શું કામ કરે છે એ વાતથી અણજાણ બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. એક મિનિટ જેટલો જ સૂર્યપ્રકાશ મેળવવા માટેની મહેનત છેવટે રાબેત કરતાં વધુ કલાકોવાળા એક આખા દિવસનો વધારો મેળવવાની આશા સુધી લંબાય છે. ‘નવા તારા’, ‘ક્યાંય જોવા ન મળે એવી માછલીઓ’ – પરિકલ્પના વધુને વધુ ઊંડી થતી જાય છે. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના પણ ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ છે. વળી એના પિતા યથોચિત ઉદાર પણ ખરા જ. જાતમહેનતથી એકલપંડે હાંસિલ કરેલો વધારાનો સૂર્યપ્રકાશ, તારા, પાણી, માછલીઓ – આ બધું એ પોતાના હકનું જ હોવા છતાં બધાને વહેંચવા તૈયાર છે.

ટૂંકમાં, કવિતા બે સ્તરે વિહાર કરે છે. એક, વાંચવી ગમે એવી મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. બીજો કોઈ અર્થ શોધવા ન જઈએ તો પણ કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. પણ, કવિતા જે તમને કહે છે એ જ કહેતી હોય એ જરૂરી નથી. ખરી કવિતા ઘણીવાર બે શબ્દોની વચ્ચેની જગ્યામાં કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં લખાયેલી હોય છે અને ભાવક પોતાના જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. સપાટીની નીચે, બીજા સ્તરે બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ ખરી કવિતા છે. ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ એમ કહી દેવાયા બાદ પણ આ અતિશયોક્તિ વાસ્તવિક લાગે છે. પર્વતના કપાવાની વાત, લાંબા કલાકોવાળા વધારાના દિવસની વાત, નવા તારા, નવી માછલીઓ, જળાશય – આ બધું જ સાચું લાગે છે અને એ જ સર્જકનો જાદુ છે. અને આ બધું આપણને એટલા માટે સાચું લાગે છે કે આપણે બધા બાળપણમાં સતત આવા સુપરમેનને જોઈ-જોઈને જ મોટા થયા છે. પિતા માટેની આપણી કલ્પનામાં યથેચ્છ રંગો ભરાતાં અનુભવાતાં હોવાથી રચના દિલની વધુ નજીક અનુભવાય છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતાને સ્પર્શે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ હર્ષોલ્લાસ પોકારી ઊઠે
છે!

બની ગયો છું વૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.

કેટકેટલી કૂંપળ ફૂતી,
આવ્યાં અઢળક ફૂલ;
મારી ડાળે બાંધે હીંચકો,
મારામાં તું ઝૂલ.

પથ્થર મારે એને પણ બસ ફળ દેવાનું લક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.

પોતાના જો હાથો બનશે,
તો જ થવાનો નાશ.
એના છાયામાં પીધેલી
અમૃત થાતી છાશ.

મ્હેક સજેલી દુનિયાનો હું બની ગયો છું દક્ષ,
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ.

– હરદ્વાર ગોસ્વામી

એકલી – મણિલાલ હ. પટેલ

નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ
તે દી’થી ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

નથા પંખી કે ઝાડ મારાં-
આંગણામાં કોઈ નથી ગાતું,
ચાંદા સૂરજ વિના જગ આખું
પરબારું આવતું ને જાતું.

હું ને મારો પડછાયો : બે જ અમે હોઈએ
નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ…

આવવાનું કહીને ગ્યા
વાયરા એ લૂ થૈ વાતા,
આંખોમાં ગુલમૉર ? ના, રે…
એ તો ઊઘડ્યા ઉજાગરા રાતા

કાળમીંઢ ડૂમો ને હું : ક્યાં જૈને રોઈએ ?
અમથું પણ ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ…

– મણિલાલ હ. પટેલ

અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક

અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!

ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!

ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!

– જયન્ત પાઠક

(લયસ્તરો પર ધવલભાઇની વાત)જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે. – ધવલ શાહ

ટહુકો.કોમની અગિયારમી વર્ષગાંઠ….

આજે ૧૨મી જુન.. ટહુકો શરૂ થયાને ૧૧ વર્ષ થઇ ગયા. આટલા ૧૧ વર્ષોમાં ટહુકો વેબસાઇટે મને ઘણુ આપ્યુ છે, પણ સૌથી મૂલ્યવાન કોઇ ભેટ મને મળી હોઇ તો એ છે કેટલાક દિલોજાન મિત્રો! એ મિત્રો, હંમેશા માર્ગદર્શન આપતા વડીલો, જેમનું સર્જન ટહુકો પર ટહુકતુ રહ્યુ છે એ સૌ કવિઓ, સંગીતકારો, ગાયકો, અને જેમની ચાહના છેલ્લા ૧૧ વર્ષોથી હંમેશા મળી છે એ સૌ વાચકોનો આજે ફરી એકવાર હ્રદયપૂર્વક ઋણસ્વિકાર કરું છું.

છેલ્લા થોડા વર્ષોમાં ટહુકો પર પહેલાની જેમ દરરોજ પોસ્ટ નથી મુકાતી, એના કારણ આમ તો ઘણા આપી શકાય, પણ આખરે તો એને મારુ પોતાનુ lack of discipline જ કહી શકાય!

દર વર્ષની જેમ, આ વર્ષે પણ ટહુકો પર પહેલાની જેમ જ નિયમિત કાવ્યો અને સંગીતની વહેંચણી થાય એની બને એટલી વધુ કોશિશ કરીશ.

આજે મમળાવીએ, આ એક નાનકડી કવિતા – આપણા સૌના લાડીલા ટહુકાને અર્પણ… અને આપણા સૌની ભીતરથી સ્વયંસ્ફૂરિત એવા ટહુકાને અર્પણ!

26872_377958986366_7390234_n
(તસ્વીર – વિવેક ટેલર)

ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…

– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે
પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, અંદર દબાવતી
વાળની ખુલ્લી લટને, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
કિચૂડાટ સાથે ધસમસે છે
સૂકા પાંદડાઓ ઉપરથી ને હું નમીને સસ્મિત પસાર થાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

The young housewife

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams
સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ લખવાનો અધિકાર કોનો?

પુરુષવાદી સમાજના વાડામાં કેદ ગૃહિણીની આ કવિતા પહેલાના, અને આજના – તમામ સમયગાળામાં સ્ત્રીઓનું સ્થાન અને પુરુષોની નજર પર પ્રકાશ ફેંકે છે. કવિ એક તબીબ હતા અને હોમ-વિઝિટ્સ પણ કરતા હતા, એ પશ્ચાદભૂ પણ આ કવિતા સમજવા કામ આવે એમ છે.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ. અમેરિકાના ન્યુ જર્સીના રુધરફૉર્ડ વિસ્તારમાં કળા અને સાહિત્યપૂર્ણ વાતાવરણવાળા પરિવારમાં જન્મ. (૧૭-૦૯-૧૮૮૩થી ૦૪-૦૩-૧૯૬૩) પિતાએ શેક્સપિઅર, દાન્તે, બાઇબલથી પરિચિત કરાવ્યા પણ વિલિયમનો મુખ્ય રસ ગણિત અને વિજ્ઞાન. હાઇસ્કૂલમાં પહેલીવાર એમને ભાષામાં રસ પડ્યો અને પ્રથમ કવિતા પણ એ સમયે જ લખી. જડ આદર્શવાદી અને પરિપૂર્ણતાવાદી મા-બાપનો ખાસ્સો પ્રભાવ રહ્યો. આ જ પ્રભાવ હેઠળ એ મેડિસીન ભણ્યા. તબીબ બન્યા. ચાળીસ વર્ષ સુધી તબીબ તરીકે સેવા બજાવી. તબીબ તરીકે ખૂબ સંવેદનશીલ, માયાળુ અને સામાજીક. પણ પુરુષવાદી અભિગમથી સાવ મુક્ત ન થઈ શક્યા. ઇંગ્લેન્ડની શુદ્ધ અંગ્રેજી કરતાં અમેરિકાની ઉડઝુડિયા અંગ્રેજી જ એમને ગમતી અને એ રીતે એ સાચા અર્થમાં અમેરિકન કવિ બનીને જીવ્યા. જીવનના છેલા બે દાયકામાં હૃદયરોગ અને લકવાના ઉપરાછાપરી હુમલાઓનો ભોગ બન્યા. પણ આ બિમારીઓમાં એમની સર્જનશક્તિ વધુ ખીલી ઊઠી. આખરી ઘડી સુધી તેઓ સર્જન કરતા રહ્યા.

કીટ્સ અને વ્હિટમેન એમના પ્રિય. કીટ્સને તો એ ભગવાન ગણતા. પણ મેડિકલ કોલેજના પહેલા જ વર્ષથી એઝરા પાઉન્ડ સાથેની દોસ્તી અને કવિતાનો એમના પર ભારે પ્રભાવ રહ્યો. એમણે પોતે પાઉન્ડ સાથેની મુલાકાતથી જિંદગીના બે ભાગ થયાનું – ઇસુ પહેલાં (B.C.) અને પછી (A.D.) જેવો ફરક થયાનું કબૂલ્યું છે. ઇમેજીસ્ટ અને મોડર્ન પોએટ્રી મુવમેન્ટમાં એમણે ખૂબ આગળ પડતું ને નોંધપાત્ર કામ કર્યું. એમનું સોળ જ શબ્દોનું ‘ધ રેડ વ્હિલબરો’ કાવ્ય ઇમેજિસ્ટ કવિતાની ખરી ઓળખ ગણાય છે. એલિયટની સફળતાથી એમને તકલીફ પણ થઈ અને એમની કવિતામાં વળાંક પણ આવ્યો. કવિતામાં છંદો સાથેના પ્રયોગ, તરોતાજા અમેરિકન ભાષા, ઇમેજીઝમ, રોજબરોજના પ્રસંગો અને સામાન્ય માણસની જિંદગીના પ્રામાણિક આલેખનના કારણે એમની કવિતા અલગ તરી આવે છે. એ કહેતા, ‘બધા નિયમોને ભૂલી જાવ, બધા બંધનો ભૂલી જાવ, જેમ ખાવાનું, બોલવાનું, એમ લખવાનું પણ માત્ર એના આનંદ ખાતર જ હોવું જોઈએ.’ કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, નાટક ક્ષેત્રે પણ ખૂબ પ્રભાવક ખેડાણ કર્યું.

પહેલી નજરે કવિતામાં સાવ સાદું દેખાતું દૃશ્ય જરા હળવા હાથે ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની અને સ્ત્રી-પુરુષના સામાજીક દરજ્જાની ખરી અને ખારી ભાતો ઉપસી આવે છે. કવિતાના આંચકા આપતા મૂડને અનુરૂપ કવિએ કવિતામાં દરેક પંક્તિમાં છંદના અનિયમિત આવર્તન પ્રયોજ્યા છે. ક્યાંય પ્રાસ મેળવ્યા નથી. ત્રણ અંતરા અને ત્રણેયમાં પંક્તિની સંખ્યા પણ અનિયમિત. ત્રણેય ફકરામાં વાત મોટા ફલક પર શરૂ થઈ ફકરાના અંત લગીમાં કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય એ રીતની ગતિ જોવા મળે છે. ગૃહિણીના દામ્પત્યજીવનમાં છંદોલયનો અભાવ, પ્રાસહીનતા, અને અનિયમિતતા નિર્દેશવા કાવ્યસ્વરૂપ મદદરૂપ થાય છે.
‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી તાજું છે. શરૂઆતનું દામ્પત્યજીવન તો સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઊડાડી દે એવા પ્રેમના વાવંટોળ જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ આ એક જ શબ્દપ્રયોગ દંપતિમાંથી સ્ત્રી અને પુરુષને અલગ કરી દઈ શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

નવું કશું નથી. પૂર્વ હોય કે પશ્ચિમ, ગઈ કાલ હોય કે આજ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કદી ઓગળી નથી. સ્ત્રી હંમેશા ભોગવવાનું સાધન જ રહી છે. જીવનના રંગમંચ પર भोज्येषु माता, कार्येषु दासी, शयनेषु रंभा આ બધા કિરદાર સ્ત્રીઓએ જ ભજવવાના લખાયા છે. શૃંગારશતકની શરૂઆતમાં જ ભર્તૃહરિ લખે છે:

स्मितेन भावेन च लज्जया भिया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षणैः।
वचोभिरीर्ष्याकलहेन लीलया समस्तभावै: खलु बन्धनं स्त्रियः॥

(સ્મિતથી, ભાવથી, લજ્જાથી, અર્ધકટાક્ષભરી નજરવાળા મુખ સાથે પાછા વળીને, વચનથી, ઈર્ષ્યાથી, કલહથી, લીલાથી – સમસ્ત ભાવથી સ્ત્રીઓ ખરેખર બંધન છે)

સ્ત્રી જ બંધન? સ્ત્રી જ સમસ્યા? ઈવે સફરજન માંગ્યું: આદમે કામેચ્છાવશ તોડી આપ્યું, સીતાએ સુવર્ણમૃગ માંગ્યું: રામ દોડ્યા, ગૌતમઋષિએ પતિધર્મ ન નિભાવ્યો, ઈન્દ્ર સ્ખલન કરવા આવ્યો: અહલ્યા તણાઈ ગઈ – બધામાં સ્ત્રીઓ જ દોષી? ભર્તૃહરિ સ્ત્રીઓને अविनयभुवनम् (અવિનયનું ધામ), नरकपुरमुखम् (નરકપુરનું મુખ) કહી એમની કુટિલ વાંકી ભ્રમરોને નર્કદ્વાર ઊઘાડનારી કૂંચી (कुटिला भ्रूलता कुन्चिकेव) કહી ઓળખાવે છે. એક શ્લોકમાં એ કહે છે:

किं गतेन यदि सा न जीवति प्राणीति प्रियतमा तथापि किं।
इत्युदीक्ष्य नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम्॥

(જો એ જીવતી ન હોય તો જવાથી શું અને (વિયોગ છતાં) જીવતી હોય તોય (ઘરે જવાથી) શું? એમ વિચારીને મેઘમાળા જોઈનેય પથિક સ્વગૃહે પાછો ફરતો નથી.) પણ શું વિયોગમાં પ્રાણ માત્ર સ્ત્રીના જ જવા જોઈએ? પુરુષનું શું? આ પ્રશ્ન સદા અનુત્તરિત જ રહ્યો છે. આદિ શંકરાચાર્ય પણ પુરુષમુખી સમાજથી અળગા થઈ શક્યા નથી. કહે છે: ‘नारीस्तनभरनाभीदेशं दृष्ट्वा मा गा मोहावेशम्।’ (નારીના સ્તનનો ઉભાર અને નાભિપ્રદેશ જોઈને મોહાવેશમાં ન આવતો.) ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં મિલ્ટન પણ પ્રખર પુરુષવાદથી પીડાતા જોવા મળે છે. ‘Not equal, as their sex not equal seem’d’ કહીને એ કહે છે, ‘Hee for God only, and shee for God in him.’ પુરુષ ઈશ્વર માટે પણ સ્ત્રી માટે તો પુરુષ જ ઈશ્વર? એકને ગોળ ને એકને ખોળ? વાહ રે સંસાર!

કવિતા ભણી વળીએ. પતિ કામે નીકળી ગયા બાદનો સમય છે. કવિતા લખાઈ એ જમાનામાં સ્ત્રીઓ ઘર બહાર પાતળી નાઇટી પહેરી આવતી નહીં. નાયિકા નાઇટી પહેરીને પતિના ઘરની લક્ષ્મણરેખા પાછળ આઝાદીના બે’ક શ્વાસ ભરી રહી છે અને કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની કેદમાં છે.

પહેલા ફકરામાં ‘husband’s house’ તેમ બીજામાં ‘uncorseted’ શબ્દ આંચકો આપે છે. Corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર દોરીથી ખૂબ કસીને પહેરતી. ઘરમાં કોર્સિટ પહેરવાનો રિવાજ નહોતો પણ ઘર બહાર કોર્સિટ વિના નીકળવું મોટી વાત ગણાતું. ગૃહિણીએ આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે? પણ મુક્તિ બંધનની ઉપસ્થિતિ પણ તો સાબિત કરે જ છે ને?

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. ‘અંદર દબાવતી’ શબ્દ પર પંક્તિ પૂરી થાય છે. અંદર દબાવતી? શું? પાતળા નજીવા ગાઉન, કોર્સિટની ગેરહાજરી પછી સેક્સ્યુઆલિટી તરફ આ ત્રીજો ઈશારો છે. Enjambment-run off શૈલી પ્રયોજીને બીજી પંક્તિમાં ઘટસ્ફોટ કરે છે કે ગૃહિણી વિખરાઈ ગયેલી લટોને અંદર દબાવે છે. પતિની ગેરહાજરીમાં ‘અયોગ્ય’ વસ્ત્રપરિધાન અને ફેરિયાઓ સાથેના એના વિનિમયને જોઈને નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું. ચારિત્ર્ય સ્ખલન? શું ગૃહિણી ફ્લર્ટ છે?

છેલ્લા ફકરામાં કચડાતાં સૂકાં પાંદડાં. આગલી પંક્તિમાં ગૃહિણીની સરખામણી ખરેલા પાંદડા સાથે કરીને તરત જ કવિ ગાડી નીચે કચડાતા સૂકાં પાંદડાંનો નિર્દેશ કરે છે. નાયકનો કામભાવ? સ્ત્રીની ઉપર ચડી જવાની સનાતન પૌરુષીવૃત્તિ? એ જ રીતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં સૂકા પાંદડાના કિચૂડાટ સમજવા જેવો છે. પુરુષ દુષ્કર્મ કરે તો સમાજમાં અવાજ ઊઠતો નથી પણ સ્ત્રીનું દુષ્કર્મ ચિત્કારી ઊઠે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નાયક પસાર થતી વખતે નમે છે કેમકે બંને જણ કદાચ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આખી કવિતામાં એક sexual tension અનુભવાતું રહે છે. સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ પુરુષ લખે છે. સીતા એકલી રહી એટલો સમય રામ પણ એકલા રહ્યા, પણ અગ્નિપરીક્ષા માત્ર સીતાની જ થઈ.

અંતે, સ્ત્રીની નજરથી આ કવિતા જોવામાં આવે તો? નજરથી જ સ્ત્રીમાત્રને નિર્વસ્ત્ર ‘ફીલ’ કરાવતા આવા પુરુષો વિશે સ્ત્રીનો શો અભિપ્રાય હોઈ શકે? રસ્તા પર ધ્યાન આપવાના બદલે પોતાના કોર્સિટ વિનાના નાઇટી ઉપર ધ્યાન આપી સ્મિત આપી પસાર થતા પુરુષ માટે કયું કેરેક્ટર સર્ટિફિકેટ ગૃહિણીને આપવું હશે? સ્ત્રી જાણે છે:

मैं सच कहूंगी मगर फ़िर भी हार जाउँगी,
वो जूठ बोलेगा, और लाज़वाब कर देगा। (પરવીન શાકિર)

ગ્લૉબલ કવિતા : 27 : દિલ, ભલા – એમિલિ ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જશું,
તું ને હું, આજ રાતે જ જો!
તુંય ભૂલી જજે, એણે જે હૂંફ આપી હતી,
હું ભૂલી જઈશ અજવાસ, હોં!

જ્યારે પરવારે તું, યાદ રાખીને હા, ખાસ કહેજે મને,
મોળા પાડી દઈશ, મારા વિચાર સૌ,
જલ્દી કર! તું રખેને પડી જાય પાછળ અને
ક્યાંક હું યાદ એને કરી લઈશ તો!

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

જિંદગીના મકાનમાં સૌથી વહાલો કોઈ ઓરડો હોય તો એ ભૂતકાળનો ઓરડો છે. મન જરા નવરું પડ્યું નથી કે ભૂતકાળના ઓરડામાં ઘૂસ્યું નથી. એક પછી એક સ્મરણના પટારા ખૂલતા જાય અને જીવી જવાયેલી જિંદગી ક્યારેક સ્મિત પણ બહુધા ઉદાસીનો વજનદાર ડચૂરો થઈને ગળામાં ભરાઈ પડતી હોય છે. ભૂલવા જેવું ભૂલી શકાતું નથી એમાં જ જિંદગી ભારઝલ્લી બનીને રહી જતી હોય છે. સ્મરણનું મરણ કરતાં આવડી જાય તો સંસાર સ્વર્ગ ન બની જાય? પણ સ્મરણનું મરણ કે મારણ કરવાનું કોઈ શીખવે ખરું?

પ્રસ્તુત રચના ભૂતકાળના આવા જ એક કમરામાં આપણને લઈ જાય છે. જીવનનો નેવુ ટકાથી વધુ હિસ્સો એક જ મકાનમાં એકાંતવાસમાં વિતાવનાર અમેરિકન કવયિત્રી એમિલિ એલિઝાબેથ ડિકિન્સન (૧૦-૧૨-૧૮૩૦થી ૧૫-૦૫-૧૮૮૬: એમર્સ્ટ, મેસાચુસેટ્સ )ની આ રચના છે. ટીનએજમાં જ શાળા-કોલેજ છોડીને એમણે વિશાળ ઘર–ધ હૉમ્સ્ટેડ-ને જ પોતાની દુનિયા બનાવી દીધી. મેધાવી વિદ્યાર્થિની હોવા છતાં અભ્યાસ ત્યાગવા પાછળ કદાચ એમની નાજુક સંવેદનશીલતા જવાબદાર હતી. જમાનાથી ઉફરા ચાલીને એ આજીવન કોઈ પણ ચર્ચ કે સંપ્રદાયમાં જોડાયાં નહીં. માઉન્ટ હોલિઓકમાં જ્યારે આચાર્યાએ ખ્રિસ્તી બનવા માંગનારને ઊભા થવા કહ્યું ત્યારે આખી કોલેજમાં એમિલિ જ ઊભાં નહોતાં થયાં.
એમિલિનો ભાઈ એની જ ખાસ સહેલી ગિલ્બર્ટને પરણ્યો પણ એમિલિ અને બહેન લેવિનિયા આજીવન કુંવારા અને સાથે જ રહ્યાં. ઘરના એકાંતવાસમાં સ્વયં કેદ થઈને પરિવાર અને મિત્રોથી બિલકુલ ખાનગીમાં એમણે સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખી. બની શકે કે ઘણાબધા પ્રિયજનોના અકાળ અવસાન જોઈને એમણે દુઃખદાયી દુનિયાથી અળગા જીવવાનું પસંદ કર્યું હોય. કોઈ સર્જકે જાત સાથે વાત ન કરી હોય એટલી એમિલિએ કરી હશે. એમિલિએ લખ્યું હતું, “Parting is all we know of heaven/ And all we need of hell.” હંમેશા જાતે સીવેલાં શ્વેત વસ્ત્રો જ પરિધાન કર્યાં. મુલાકાતીઓને ભાગ્યે જ મળતાં. એકલાં હતાં પણ અકડુ કે અતડાં નહોતાં. પરિચિતોના કહેવા મુજબ એમિલિનો સ્વભાવ વિનમ્ર, હૂંફાળો અને મજાકિયો હતો. એમનાં પત્રોમાં રોમાન્સ અને ફ્લર્ટ પણ નજરે ચડે છે. પંચાવન વર્ષની નાની વયે કિડનીની બિમારીથી એ ઘરમાં જ મૃત્યુ પામ્યાં. એમની કબર પર લખવામાં આવ્યું: “Called back”

કોશેટામાં ઈયળ જીવે એવી જ હટ કે જિંદગી જીવી જનાર એમિલિની કવિતા પણ લાઘવ, મર્મભેદકતા, અપ્રતિમ મૌલિકતા ઉપરાંત કાવ્યસ્વરૂપ અને શૈલીના અભિનવ પ્રયોગોથી એકદમ હટ કે બની રહી, જેણે વીસમી સદીની કવિતા પર ખાસ્સો પ્રભાવ પાડ્યો. કોશેટો ખતમ થાય અને સીધીસાદી ઈયળ મેઘધનુષી પતંગિયું બનીને ઊડી નીકળે એ જ રીતે એમિલિના મૃત્યુપર્યંત બહેન લેવિનિઆએ જીવનપર્યંત છુપાવી રખાયેલ ઢગલોક કવિતાઓ અને પત્રોનો અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો અને વિશ્વને અમેરિકાના ટોચના સાહિત્યકારોમાંના એકની ભેટ મળી. બે વર્ષથી ઓછા ગાળામાં એમની કવિતાઓની અગિયાર આવૃત્તિ બહાર પડી. કમનસીબે એમિલિની ઇચ્છાને વળગી રહીને લેવિનિઆએ પત્રો સળગાવી નાંખ્યા નહિંતર એક મહાન એકાંતવાસી સર્જકના મનોજગતની અંધારકોટડીઓમાં થઈ શકનાર પ્રકાશ આવનાર જગતને ઘણું શીખવી શક્યો હોત.

કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક છે અને એ કાવ્યવસ્તુ પણ ઈંગિત કરી દે છે. દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું… પ્રેમીને ભૂલી જવાની વાત છે પણ ભૂલવાનું કામ એકલપંડે કરી શકાય એટલું સરળ-સહજ નથી. સ્મરણના ભારીખમ્મ પથરાને વિસ્મૃતિની ગર્તામાં ધકેલવા માટે નાયિકાને સાથ જોઈએ છે. અને આવી તદ્દન અંગત વાતમાં પોતાના જ દિલથી વધીને અવર કોણ સહાયક હોઈ શકે? વળી ભૂલવાનું કામ માત્ર દિલે પણ તો કરવાનું છે. એટલે જ એક સે ભલે દો.

ભૂલવાના કોઈ નિયમ હોય? કદાચ એટલે જ મૂળ કવિતામાં કોઈપણ પંક્તિમાં છંદ સ્થાયી નથી. બે જ ફકરા અને આઠ જ પંક્તિની સાવ ટૂંકીટચ કવિતામાં બંને ફકરામાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ જળવાયા છે પણ પંક્તિઓની લંબાઈ મનની અનિયમિત અવસ્થા જેવી જ વધઘટ થયા કરે છે. નાયિકા હૃદયનું personification (સજીવારોપણ) કરી એની સાથે સંવાદે છે. એમિલિની આ ખૂબી છે.
પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. આમ તો,

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું! (કલાપી)

ને તેમાં વળી આ તો સ્ત્રી ! એની તો ફિઝિયોલોજી જ ચોપડી બહારની. બાલમુકુન્દ દવે સાચું જ કહી ગયા:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

એક તો હૈયું ને તે વળી સ્ત્રીનું… એમાં પાછો પ્રેમ અને ઉપરથી વ્રેહ યાને વિરહ! બ્રહ્માને પણ લાગતું હશે કે ક્યાંક કાચું તો નથી કપાઈ ગયું ને? પુરુષ જિંદગીની ગઈકાલને બહુ આસાનીથી ભૂલી જઈ શકે છે. સંબંધમાંથી હાથ પણ સરળતાથી ધોઈ કાઢતો હોય છે પણ સ્ત્રી માટે તો વીતેલ દિવસોની યાદ એક અસ્ક્યામત છે. ‘સિક્કા ખિસ્સામાં છે તારી યાદના, રોજ થોડા થોડા લઉં છું કામમાં’ – આ સ્ત્રી છે! એ કહે છે:

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
‘સ્મરણ’નો અડધો ‘સ’ સ્ત્રીનો પ્રાણવાયુ છે. પુરુષ તો સનમની ગલીના નાકે જ બીજી શોધી લે. સ્ત્રીને વાર લાગે છે. સંબંધના અવસાનમાંથી બહાર એ મોડેથી જ આવી શકે છે. હા, હાથ ખંખેરીને ઊભી થઈ જનાર સ્ત્રીઓ પણ જોવા મળશે અને તૂટેલા સગપણનો બોજ આજન્મ વેંઢારતા પુરુષો પણ જડી આવશે પણ અપવાદ હંમેશા નિયમની પુષ્ટિ જ કરતા હોય છે. નસીમ શાહજહાનપુરીનો એક શેર છે:

तर्के-उल्फ़त को ज़माना हुआ लेकिन ऐ दोस्त
दिलमें यादोंके चराग अब भी जला करते हैं
(પ્રેમત્યાગને જમાનો થઈ ગયો છતાં, એ દોસ્ત! દિલમાં યાદોના દીપક હજી સળગ્યા કરે છે.)

સ્ત્રી યાદ પણ મિટાવી દઈ શકે પણ પ્રેમ ત્યજી/ભૂલી શકતી નથી. એ કહે છે:

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

આ સ્ત્રી છે. પણ દરેક ધીરજ, દરેક પ્રતીક્ષા, દરેક વિશ્વાસનો એક અંત હોય છે. નાયિકાને આખરે ખાતરી થઈ છે કે બેવફા પ્રેમી પરત નહીં જ ફરે એટલે એ હવે હૃદયનો સધિયારો મેળવીને સહિયારો ત્યાગ કરવાનું નિર્ધારે છે. એકલાથી ભૂલવું કપરું છે, તો બે જણ ભેગા મળીને જોર કરીએ અને ભૂલી જઈએ. ને વળી ટાઇમલિમિટ પણ નક્કી છે. આજે રાત્રે જ. દિવસ ઊગી નીકળ્યો તો આશા પણ ઊગી નીકળવાની. યેનકેન પ્રકારે આજે રાત્રે જ આ વાતનો ઘડોલાડવો એક કરવાનો છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે!

પ્રેમ અજવાળેય છે ને હૂંફેય બક્ષે છે. (પ્રેમમાં અજવાળું અને હૂંફ પર એક લેખ લખી શકાય પણ અહીં વાત વિસ્મરણની કરવાની છે.) આ બંને છોડવું પડશે. હૃદય જેવું એને સોંપેલું કામ પૂરું કરી દે કે તરત એણે નાયિકાને જાણ કરવાની છે. બશર નવાઝ કહે છે, ख़ुश्क पत्तों से छुडा लेती है शाखें दामन,
किसने यादों से निभाई है यहां दिलके सिवा? તો દિલ યાદોથી જેવું અળગું થવામાં સફળ થશે કે તરત જ નાયિકા પણ પ્રણયવિચારવાયુને મોળો પાડી દેશે. મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! ‘કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

હકીકતમાં બેવફા યારને ભૂલી ન શકવાની પોતાની કમજોરીનો ટોપલો હૃદયના માથે ઢોળી દઈને, હૃદયને જ ગુનેગાર સાબિત કરીને ભૂલી ન શકવામાં પોતાનો તો કોઈ વાંક છે જ નહીં કહીને નાયિકા પોતાની જાતને પણ છેતરવા મથે છે. ‘આજે રાત્રે’ જ આ કામ કરવાનું છે એમાં પણ છટકબારી સિવાય બીજું કંઈ નથી. સમયની ફ્રેમ ગોઠવીને નાયિકા ફરી-ફરીને ખુદને જ છેતરે છે. ભૂલવાની ‘કોશિશ’ કરવી પડે એનાથી બળવત્તર યાદનું બીજું કયું સબૂત હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)

એક પંક્તિ મરીઝની જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

* 

એકા’વન’ –વાત વનપ્રવેશની વિટંબણાની

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા‘વન’માં પ્રવેશવાની ઘડી ઘણાલોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. ચરણ થાકવા માંડે ને સ્મરણ ઝાંખા પડવા માંડે એટલે મરણ ઢૂંકડું ભાસે… મર્યાદાઓ નજરે ચડવા માંડે… વય તનમાં બેસે એના કરતાં મનમાં પેસે ત્યારે આ ‘વન’ની ઘડિયાળમાં મિનિટ કાંટો સેકન્ડકાંટાની ઝડપે ફરવા માંડે છે. પચાસ વસંત પૂરી કરી એકાવનમાં પ્રવેશેલ માણસની કવિતા લઈને આર્જેન્ટિનાના સ્પેનિશ કવિ હોર્હે લૂઈસ બોર્હેસ આવ્યા છે.

હોર્હે ફ્રાન્સિસ્કો ઈસિડોરો લૂઈસ બોર્હેસ એકિવેડો જેવું લાંબુ-અટપટું નામ ધરાવતા આ સર્જક જીવન પણ લાંબુ જ જીવ્યા. (૨૪-૦૮-૧૮૯૯થી ૧૪-૦૬-૧૯૮૬). સુશિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ અને પરિવાર સાથે યુરોપમાં ખાસ્સું ફરવા મળ્યું. માત્ર નવ વર્ષની લખોટી રમવાની ઉંમરે ઓસ્કાર વાઇલ્ડની ‘ધ હેપ્પી પ્રિન્સ’નો એમણે સ્પેનિશમાં અનુવાદ કર્યો પણ મિત્રોને લાગ્યું કે એના પપ્પાએ જ કરી આપ્યો હશે. હકીકત એ હતી કે પિતા એક વકીલ અને મનોશાસ્ત્રના શિક્ષક હતા પણ લેખક થવાની કોશિશમાં નિષ્ફળ નીવડ્યા હતા. બાર વર્ષની ઉંમરે તો બૉર્હેસ શેક્સપિઅર વાંચતા હતા. પણ આર્જેંટિનાની આઝાદીના જે યુદ્ધમાં પરિવારના ફાળાની વાતો જે માતા સગર્વ કરતી હતી, એમાં પોતામાં રહેલા પુસ્તકિયા કીડાને પામી ગયેલા બોર્હેસ કદી ભાગ લઈ શક્યા નહોતા. ઘરમાં હજારેક પુસ્તકોની વસ્તી વચ્ચે બોર્હેસનો માંહ્યલો ઘડાયો. લાઇબ્રેરિઅન. નેશનલ પબ્લિક લાઇબ્રેરીના ડિરેક્ટર. અંગ્રેજીના પ્રોફેસર. ક્રિસમસની રાતે માથામાં ગંભીર ઈજા પછી ચેપ શરીરમાં ફેલાતા માંડ મરતા બચેલા લેખકની કલમમાં મૃત્યુને લગભગ અડી લેવાની ભયાવહ અનુભૂતિના પરિણામે એક નવો વળાંક આવ્યો. ત્રીસની ઉંમરે એમની દૃષ્ટિ પિતાની જેમ પાંખી થવા માંડી અને પચાસસુધીમાં એ સાવ આંધળા બની ગયા. બ્રેઇલ લિપિ શીખ્યા વિના જીવનના આખરી સાડા ત્રણ દાયકા અંધત્વ સાથે વીતાવ્યા. એક કવિતામાં એ લખે છે: ‘‘નામદાર ઈશ્વરના આ વિધાનમાં કોઈએ આત્મદયા કે ઠપકો વાંચવા જોઈએ નહીં, કે જેણે મને પુસ્તકો અને રાત્રિ એક જ સ્પર્શમાં આપી દઈને આવો ઉત્કૃષ્ટ વ્યંગ કર્યો.” પહેલું લગ્નજીવન ત્રણ વર્ષ ચાલ્યું, બીજું ત્રણ મહિના કેમકે ત્રણ મહિનામાં જ લીવર કેન્સરના કારણે ૮૬ વર્ષની વયે એમનું દેહાવસાન થયું.

ટૂંકી વાર્તાઓ એમની ખરી ઓળખ. એ સિવાય કવિતા, નિબંધ, અને અનુવાદ એમના અન્ય કાકુ. ઓગણીસમી સદીમાં વ્યાપ્ત વાસ્તવવાદ અને નિસર્ગવાદ સામે પરીકથા અને ફિલસૂફીના અનુઆધુનિક સંમિશ્રણવાળા જાદુઈ વાસ્તવ (મેજિકલ રિઆલિઝમ)ના એ અગ્રણી પ્રણેતા બન્યા. સર્વાન્ટિસ પછીના કદાચ સૌથી નોંધપાત્ર સ્પેનિશ સર્જક. કઉંમરનો અંધાપો કદાચ એમની કલ્પનાઓને ઈશ્વરે પહેરાવેલી પાંખ હતી. વાંચી શકવાની અશક્તિના લીધે તર્ક સાથેનું અનુસંધાન કદાચ એમણે ગુમાવ્યું. ‘લેખક વાર્તા લખે છે કે વાર્તા લેખકને લખે છે’ એ મીમાંસાવાદી પ્રશ્ન એમના નામથી borgesian conundrum તરીકે ઓળખાય છે, જે સર્જકને વિશ્વકક્ષાએ મળેલ સન્માનનું દ્યોતક છે.

પ્રસ્તુત કાવ્ય ‘મર્યાદાઓ’ શીર્ષકથી જ બોર્હેસની એક બીજી રચના પણ જોવા મળે છે જે ખાસી લાંબી છે અને આ કવિતામાં કરાયેલી ઘણી વાતો એમાંય છે પણ સવિસ્તાર છે. બંનેમાંથી કઈ મૂળ કે બંને જ મૂળ એ આપણે કદાચ ન જાણી શકીએ પણ પ્રસ્તુત કવિતાનું મૂળ સ્પેનિશ કાવ્ય નેટ પરથી જડી આવ્યું હોવાથી અને ‘મર્યાદાઓ’ કદાચ ટૂંકી જ સારી લાગે એમ માનીને આગળ વધીએ.

મૃત્યુ જેને સતત કોરી ખાઈ રહ્યું છે એવા માણસની આ કવિતા છે એટલે સ્વાભાવિક જ અહીં છંદ-લય, પ્રાસ-નિયમ પણ ખવાઈ ચૂક્યા છે. અનુઆધુનિક સાહિત્યની સ્વરૂપરીતિમાં બંધબેસતું આ મુક્તકાવ્ય છે…ક છેલ્લી પંક્તિમાં જઈને મુઠ્ઠી ખોલે છે જ્યારે કવિ ઉંમર અને મૃત્યુની વાત કરે છે. મૃત્યુનો રંગ સ્વાભાવિક જ ઘેરો-કાળો હોવાનો. કવિતા પણ એવા જ ઘેરા-કાળા રંગના વિષાદથી શબ્દે-શબ્દે રંગાયેલી છે.

પોતે શા માટે આવું કરે છે- અથવા નથી કરવાના એનું કારણ કહ્યા વિના કવિ શરૂઆત કરે છે કે મરીઝની એક પંક્તિ હવે એ કદી યાદ કરનાર નથી. (મૂળ રચનામાં ફ્રેન્ચ કવિ વર્લેઇનનો ઉલ્લેખ છે. પૉલ વર્લેઇન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વકવિતાનું બહુ મોટું નામ છે.) કવિતામાં જેને રસ છે એવા નાયકની આ વાત છે. Poetry is not everyone’s cup of tea. કવિતા ટોળાની કે બહોળાની નહીં, થોડાની ને ઠરેલાની વસ્તુ છે. જેને કવિતામાં રસ પડે છે માણસ સ્વાભાવિક જ વધુ વિચારશીલ, વધુ સંવેદનશીલ, વધુ ઠાવકો હોવાનો કેમ કે મહાન જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ Of all the arts, poetry maintains the first rank. હેગલે પણ બધી કળાઓમાં કવિતાને સર્વોત્તમ ગણી છે. નાયકનો કાવ્યપ્રેમ પ્રદર્શિત કરી કવિ એક લીટીમાં એનું ચારિત્ર્ય ઉપસાવે છે. નજીકની એક શેરી, જે કદાચ નાયકની પ્રિય રહી હોય એય એના ચરણો માટે હવે વર્જ્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું તેમ, ‘ઉંબરા ડુંગરા થઈ ગયા છે.’ અરીસામાં જોવાની ઇચ્છા પણ મરી પરવારી છે. અને જાત માટેનો પ્રેમ પૂરો થાય ત્યારે સમજવું કે જિંદગી સાથે કરવા માટે હવે કોઈ વાત બચી નથી. દરવાજો શક્યતાનું પ્રતિક છે. સૃષ્ટિના અંતકાળ સુધી એક દરવાજો બંધ કરી દેવાયો છે મતલબ કોઈપણ શક્યતાની તાજી લહેરખીની હેરફેર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. નિરાશાની આ ચરમસીમા છે. ईस रातकी सुबह नहीं. સામાન્યરીતે મોટાભાગના લોકોથી શંકરાચાર્ય કહે છે એમ કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઘટતું જાય છે છતાં આશાવાયુ છૂટતો નથી(कालः क्रीडति गच्छत्यायुःतदपि न मुञ्चत्याशावायुः)પણ અહીં વાત ઊલટી છે. સુરેશ દલાલ યાદ આવે:

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.

નાયક કદાચ ઘરના પુસ્તકાલયમાં જ બેઠો છે. ઘરમાં પુસ્તકાલયની ઉપસ્થિતિ નાયકના ચારિત્ર્ય વિશે પહેલી પંક્તિમાં જે છાપ ઉપસી આવી છે એના પર હાઇલાઇટર ફેરવી આપે છે. સમાજમાં કેટલા માણસો નિયમિત પુસ્તકો ખરીદતા હશે? અને એમાંથી કેટલાના ઘરમાં પુસ્તકો માટે એક અલાયદો કમરો હશે? ઘરમાં પુસ્તકનું હોવું એ સુખદ ઘટના છે અને પુસ્તકોની આખી વસ્તીનું હોવું એ સંસ્કારિતાનો સીધો અરીસો છે. આ પુસ્તકોમાંના કેટલાક હવે એ કદી ઊઘાડનાર નથી. આખા કાવ્યમાં કવિ દરેક વસ્તુને ‘જે’થી ઈંગિત કરે છે પણ પુસ્તકોની વાત આવે છે ત્યારે આ ‘જે’ને કૌંસમાં મૂકીને વાત કરે છે. આ કૌંસ હવેથી કાયમ માટે ‘બંધ’ રહેનાર પુસ્તકો તરફ ઈશારો નથી કરતો? જીવતરના કેટલાક પાનાં હવે કદી ખૂલનાર નથી.

હમણાં જ નાયકની પચાસમી વર્ષગાંઠ ગઈ છે. પચાસમા વર્ષે સામાન્યતઃ માણસ હજી આશાવંત હોય છે, પોતાને વૃદ્ધ લેખતો હોતો નથી પણ પચાસમા વર્ષ સુધીમાં કવિને તો અંધત્વ આવી ગયું હતું. એ અંધકાર મૃત્યુની પ્રતીતિથી શું ઓછો હશે? સતત નજીક સરતા મૃત્યુની નિરાશાએ નાયકને મૃત્યુ કરતાંય વહેલો ગ્રસી લીધો છે. મરણ આવતાં પહેલાં જ મરી જવાની આ વાત છે. ખરતી જતી ઇચ્છાઓની ઉધઈ જીવનવૃક્ષને ક્ષણેક્ષણ ભીતરથી કોરી ખાય પછી થડનું જમીનદોસ્ત થવું એ તો મૃત્યુની ઔપચારિક્તા માત્ર છે. “કાંગરે કાંગરે વેરાણો, રે જીવણ મારા! કાયાનો ગઢ આ ઘેરાણો.”” (સુરેશ દલાલ)

આ કવિતાના ઉપસંહારમાં કવિ પોતે લખે છે કે, “માણસ પોતાની જાતને દુનિયા ચિતરવાનું કામ સોંપી દે છે. વરસો સુધી એ એક અવકાશને પરગણાં, રાજ્યો, પર્વતો, ખાડીઓ, જહાજો, ટાપુઓ, માછલીઓ, ઓરડાઓ, સાધનો, તારાઓ, ઘોડાઓ અને લોકોથી વસાવતો રહે છે. મૃત્યુના થોડા જ સમય પૂર્વે એ શોધી કાઢે છે કે એ રેખાઓનો ધૈયશીલ ગૂંચવાડો તેના જ ચહેરાની છબીની નિશાની છે.”

બીજી રીતે જોઈએ તો આ કવિતા મરણના શાંતિપૂર્ણ સંપૂર્ણ સ્વીકારની છે. સામાન્યરીતે તો બળવંતરાય ઠાકોર કહે એમ, ‘કશુંય નહિ કાબૂમાં, ન મન, નો’ર્મિ, દેહે નહીં’ જેવી પરિસ્થિતિ હોય પણ કવિની અવસ્થા સ્થિતપ્રજ્ઞતાની છે. પવનના એક ઝોકે કમળ પાણી ખેરવી નાંખે એમ મરણના પગસંચારમાત્રથી કવિ એક પછી એક ઇચ્છાઓ ખંખેરી જંજાળમુક્ત થવું આદરે છે. એક ઘર છોડીને બીજા ઘર તરફ જવાની આ તૈયારી છે. આખી મનુષ્યજાતિ યયાતિ બનીને જીવતી હોય એવામાં ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો; એય ઇચ્છા છે, હવે એ પણ ન હો’ (ચિનુ મોદી)નું આ વલણ સમાધિસ્થ સંતનું સ્મરણ પણ કરાવે છે.

*

Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)