ગ્લૉબલ કવિતા : ૪૪ : – હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

– ‘સિદ્ધ-હૈમ’માંથી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

રૂપાંતર: વિવેક મનહર ટેલર

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

ત્રીસ હજાર વર્ષ જૂના ચિત્રો? મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાં જઈને ટાઢ-તાપ-તડકા-પવનના તમાચાઓ ત્રીસ-ત્રીસ હજાર વર્ષોથી એકધારા સહન કર્યા બાદ પણ અડીખમ રહેલા ખુલ્લી ગુફાઓમાંના ભીંતચિત્રોને જોઈને આંખ ચાર થઈ જાય. કોઈ પણ જાતની સંસ્કૃતિનું કે સભ્યતાનું નામોનિશાન પણ નહોતું એ સમયે પણ જંગલી માનવી ગુફાઓમાં એવા રંગો વડે ચિત્રો દોરતો હતો જે હજારો વર્ષોથી એવાંને એવાં છે. વિશ્વ આખામાં ઠેકઠેકાણે આવાં ગુફાચિત્રો મળી આવે છે જે સૂચવે છે કે આજનો હોય કે ગઈકાલનો – માનવમાત્રને કળા અને આંતરિક અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી. વિશ્વભરની ભાષાઓમાં હજારો વર્ષો જૂનું સાહિત્ય જડી આવે છે એ પણ એ જ કારણે કે साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशुः पुच्छविषाणहीनः।

ભાષા જ આપણને પ્રાણીઓથી અલગ તારવી આપે છે. અને ભાષા સતત પરિવર્તનશીલ છે. ભાષા નદી સમાન છે. એ સતત વહેતી અને બદલાતી રહે છે. આજે આપણે ઑનેસ્ટનો અર્થ પ્રામાણિક કરીએ છીએ પણ ચારસો વર્ષ પહેલાં શેક્સપિઅરના સમયમાં એનો અર્થ સારો માણસ થતો હતો. ચૌસરની અંગ્રેજી, શેક્સપિઅરની અંગ્રેજી અને આજની અંગ્રેજી ભાષા સામસામે મૂકીએ તો ત્રણેય અલગ ભાષા જ હોય એવું અનુભવાય. છસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સમયથી ગુજરાતી ભાષાની નદીનો પ્રવાહ આજ તરફ વળવો શરૂ થયો પણ હજાર વર્ષ પહેલાંની ગુજરાતી વાંચીએ તો હરદ્વાર ગોસ્વામી જેવો જ પ્રશ્ન આપણને થાય:

એના કરતાં હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. આ દુહાઓ ‘હેમચંદ્ર’ના દુહા તરીકે ઓળખાય છે

કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિની વાત કરીએ તો ૧૦૮૯ની સાલમાં કાર્તક સુદ પૂનમના દિવસે ધંધુકા ખાતે જન્મ. બાળપણનું નામ ચાંગદેવ. નવ જ વર્ષની વયે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. હેમચંદ્ર બન્યા. જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રભ્યાસ કર્યો. આચાર્યપદ મેળવ્યું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં એમણે સાહિત્ય અને ભાષાવિષયક જે ઊંડુ ખેડાણ કર્યું એ न भूतो, न भविष्यति છે. પ્રવર્તમાન ગુજરાતી ભાષાને નિશ્ચિત દિશા મળી. જૈન રાજધર્મ બન્યો અને અહિંસા પરમોધર્મ. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર એમણે કામ કર્યું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનું અને ‘શબ્દાનુશાસન’માં ગ્રંથસ્થ કરવાનું મહાન કાર્ય એમણે કર્યું. કહે છે કે જયસિંહે સિદ્ધપુરમાં એમના ‘સિદ્ધહેમ’ની હાથી ઉપર શોભાયાત્રા કઢાવી હતી.

પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. આ ઉદાહરણો એટલે આ દુહાઓ. આમ તો આ દુહાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અહીં માત્ર દસ દુહાઓ સમાવ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.
શ્રી રમેશ જાની ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પ્રાકૃત અને આજની ગુજરાતી ભાષાની સમાનતા વિશે કહે છે, ‘કોઈ કોઈ શબ્દનો પડઘો આપણી ભાષામાં પડતો હોય એમ નથી લાગતું? ‘સામલા’ અને ‘શામળા’ વચ્ચે, ‘ચંપાવણ્ણી’માંના ‘વણ્ણી’ અને ‘વર્ણી’ કે ‘વરણી’ વચ્ચે, ‘નિદ્ડી’ અને ‘નીંદરડી’, ‘સલોણી’ અને ‘સલૂણી’ વચ્ચે, ‘ગોરડી’ અને ‘ગોરી’ વચ્ચે, ‘ભડુ’ અને ‘ભડ’ વચ્ચે, ‘હેલ્લિ’ અને ‘હે અલી’, ‘ખુડુક્કઈ’ અને ‘ખડકે’ કે ‘ખટકે’, ધુડુક્કઈ’ અને ‘ધડકે’, ‘વારિસ’ અને ‘રસ’ વચ્ચે માત્ર નામનો જ ભેદ નથી?’

એક પછી એક આ દુહા જોઈએ:

(૧) ઢોલો [ધવ(ધણી)+લો] યાને ધણી એકદમ શામળા વર્ણનો ને ધણિયાણી ચંપાના ફૂલ જેવી ગૌરવર્ણી. બંને સંભોગમાં રત હોય ત્યારે કાળા ધણીની ઉપર પત્નીની ધવલ કાયા જાણે સોનાની રેખા કસોટી પર પડી ન હોય એમ લાગે છે. કસોટી એટલે સોના-રૂપાનો કસ જોવા માટેનો પથ્થર જેના પર સોના-ચાંદીને ઘસીને પારખવામાં આવે છે. ‘નળાખ્યાન’ના પંદરમા કડવામાં પ્રેમાનંદ પણ આ ઉપમા પ્રયોજે છે:

ગલસ્થળ નારંગફળ શા, આદિત્ય ઇંદુ અકોટી;
અધર પ્રવાળી, દંત કનકરેખા, જિહ્વા જાણે કસોટી
(ગાલ નારંગીના ફળ જેવા, સૂર્ય-ચંદ્ર કાનની કડી જેવા, હોઠ લાલ, દાંત જાણે કે સુવર્ણરેખા અને જીભ જાણે કસોટી.)

(૨) મેઘલરાત એટલે અંધારી તારા વગરની રાત. આવામાં પાછો પ્રવાસ. એક તરફ હૈયામાં ગોરીની યાદ ખટકતી હોય તો બીજી તરફ આકાશમાં મેઘ ગરજતો હોય. બંને બાજુ સંકટ. બંને તરફ વરસાદ. બંને રીતે ભીનાં જ થવાનું ને વળી આગળ પણ વધવાનું.

(૩) પરસ્પર અસીમ-અપાર પ્રેમ કરનારમાંથી કોઈ એકને કો’ક કારણોસર કદાચ લાખ જોજન દૂર જવાનું થાય અને બે જણ કદાચ સો-સો વર્ષ સુધી પાછાં મળી જ ન શકે; બસ, વિયોગના તાપમાં તવાયા કરે પણ જે ઘડીએ આ બે અતૃપ્ત આત્માઓ ભેગાં થશે એ ઘડી, એ મિલનની ઘડી નિતાંત સુખની ઘડી જ બની રહેશે… સાચો પ્રેમ કદીપણ ઉપસ્થિતિ કે સમયનો મહોતાજ નથી હોતો. એ તો એમ જ કહે,

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

(૪) મિલન અને વિરહ – બંનેમાં મીઠી પીડા છે. પ્રિયતમ સાથે હોય તો ઊંઘવાનો પ્રશ્ન જ નથી આવતો. રાત આખી કામકેલિમાં ક્યાં વીતી જાય એય ખબર ન પડે. એથી વિપરિત પ્રિયજન પરોક્ષ-આંખથી અળગો હોય, દૂર ગયો હોય તો એની યાદમાં રાત આખી પડખાં ઘસી-ઘસીને જ વિતાવવી પડે છે. ઊંઘ ન તો મિલનમાં આવે છે, ન જુદાઈમાં. પ્રેમ બંને જ સ્વરૂપે ઊંઘનો દુશ્મન છે.

(૫) નખશિખ લાવણ્યમયી આ સુંદરી કંઈ અલગ જ પ્રકારનો વિષડંખ ધરાવતી નાગણ છે. નાગ તો જેને ગળે લાગે એ મરણ પામે છે પણ એથી ઊલટું, આ સુંદરી તો જે વીરપુરુષને ગળે નથી લાગતી એ બિચારો દુઃખી થઈને, તિરસ્કૃત થઈને મરી જાય છે. સૌંદર્યની કેવી ઉત્તમ પરિભાષા!
(૬) જેની આપણે કાગડોળે રાહ જોતાં હોઈએ એની આવવાની વકી હોય ત્યારે કાગડો ફળિયે આવી બેસે તો ઘરનું કોઈક કહે કે ફલાણો માણસ આવતો હોય તો ઊડી જજે. કાગડો ઊડી જાય તો એ માણસ તરત આવશે અન્યથા વિલંબ થાય એવી આપણે ત્યાં માન્યતા છે. કાગડો કા-કા કરી રહ્યો છે પણ ઊડતો નથી અને એ ઊડે તો જ પરદેશ ગયેલો પિયુ પાછો ફરે એમ માનતી પ્રોષિતભર્તૃકા કાગડાને ઊડાડવા પથરાં વીણવા વાંકી વળે છે પણ પ્રિયતમના વિરહમાં એ સૂકાઈને એવી તો કાંટા જેવી થઈ ગઈ છે કે એના કૃષ હાથમાંથી અડધાં કંકણ નીકળી જઈને જમીનમાં પડે છે. પણ રહે! અચાનક જ પિયુ પધારતો નજરે ચડે છે અને હરખઘેલી ભાન ભૂલીને દોડે એમાં બે હાથ અથડાય છે કે હર્ષનું માર્યું શરીર ફૂલવા માંડે છે પણ બાકીના કંગન તડાક્ કરતાંકને ત્યાં જ તૂટી જાય છે… કાગડો, વિરહ અને પિયામિલનની આ વાત પર બાબા ફરીદની અમર પંક્તિઓ જરુર યાદ આવે:

कागा सब तन खाइयो, चुन-चुन खइयो मांस
दो नैना मत खाइयो, पिया मिलन की आस

(૭) સૌંદર્યની જ બોલબાલા છે. મુગ્ધ ગોરીના માથા પરની ઓઢણી પણ સાવ જીર્ણ થઈ ગયેલી હતી ને ગળાની માળામાં પૂરા વીસ મણકાં પણ નહોતા પણ એ છતાં સુંદરતાનો પ્રકોપ તો જુઓ! ગોરીએ બધા જ ગોઠિયાઓને ઉઠબેસ કરાવી.

(૮) ભારતીય રાજવી પરંપરામાં વીરપુરુષનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાંના એક પણ રંગ ઉપટેલા હોય તો તમને પુરુષ હોવાનું ઓળખપત્ર જ ન મળે. જે ભડવીરે યુદ્ધમાં માથે તલવાર ઝીલી નથી, તોફાની ઘોડાઓને પલાણ્યા નથી ને સુંદરીને ગળે નથી લગાડી એનો તો જન્મારો જ એળે ગયો.

(૯) વીરપુરુષોનું આપણે ત્યાંનું સંસ્કૃતિચિત્ર આ દુહામાં વધુ બળવત્તર થયું છે. નાયિકાની સખી એના કંથના વખાણ કરતાં થાકતી નથી એને વારતા નાયિકા કહે છે, હે સખી! તું મારા કંથના ખોટેખોટા વખાણ ન કર, કેમકે એનામાં બે દોષ તો છે જ. માન્યું કે એ મોટો દાની છે ને એણે ભલે દાનમાં બધું જ દઈ દીધું પણ હું તો બાકી જ રહી ગઈ ને? મતલબ એ પૂરો દાનવીર નથી. અને એ એવો મોટો શૂરવીર પણ નથી. યુદ્ધ કરતાં કરતાં એની તલવાર પણ રહી ગઈ મતલબ પૂરી શૂરવીરતાથી યુદ્ધમાં ઝંપલાવવામાં એ કાચો પડ્યો છે.

(૧૦) અને આ આખરી દુહો તો પુરુષાતનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં કેસરિયા કરવા એ આપણી જૂની પરંપરા રહી છે. એ જ વાત આ દુહામાં પણ કહેવાઈ છે. સખી સાથે વાત કરતાં-કરતાં નાયિકા કહે છે કે, બહેન! સારું થયું કે મારો પતિ યુદ્ધમાં જ મરાયો. જો એ જીવતો ઘરે પરત ફરત તો હું લાજથી મરી જાત. માણસની જિંદગી કરતાં એની શૂરવીર તરીકેની પ્રતિષ્ઠાની વધુ કિંમત છે. યુદ્ધમાં સૌભાગ્ય છીનવાઈ જાય એમાં સૌભાગ્ય નજરે ચડે છે. પોતે વિધવા બને એ ચાલે, પણ ખંડિત મર્દાનગીવાળા ભાગેડુ પતિની સધવા બનવું ભારતીય આર્યનારીને મંજૂર નથી.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

નવરાત્રી Special: ગરબે રમવા ​​નિસર્યા માડી….

સ્વર ઃ પાર્થિવ ગોહોલ
કવિ – ?
સ્વરાંકન – ?

.

ગરબે રમવા ​​નિસર્યા માડી
તારી આરત કાજે​.. ​
​​તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા

સુર શબ્દને સથવારે કાંઈ
અવની આખી ડોલે,
ઝાંઝર ને ઝમકારે માંની​ ​
ભક્તિ અંતર ખોલે,
સરખે સરખી સાહેલી શણગાર સજી શી લાજે..

ગરબે રમવા​ ​નિસર્યા માડી
તારી આરત કાજે..
​તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા

ગ્લૉબલ કવિતા : ૪૩ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – કિટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આખી જિંદગી ગાય-ભેંસ સાથે કાચા ગામડામાં વિતાવનાર અચાનક માયાનગરી મુંબઈમાં આવી ચડે કે રણના ગળામાં અટકી ગયેલી જિંદગીની આખરી ક્ષણોની તરસના કિનારે હર્યોભર્યો રણદ્વીપ હાથ આવી જાય એ ઘડીએ માણસ શું અનુભવતો હશે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગના યાને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું ને નીલે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા પ્રાપ્તિની કઈ ચરમસીમાએ હશે!

શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. જોન કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજના પર પ્રકાશ નાંખે છે. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા ને ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે એને જરા સ્પર્શી લઈએ.

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈ. મોટાભાગના એને હોમર નામના કવિનાં સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ પ્રકારના કળાકારોને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. બે માઇલ દૂર પોતાના ઘરે ગયા અને બીજા દિવસે સવારે દસ વાગ્યે ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું.

શાળાના દિવસોમાં વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’માં કિટ્સ ભણ્યા હતા કે કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. સોનેટ મુજબ બાલ્બોઆ અવાક્ પણ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. જો કે કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે નહીં એ કોઈ જાણતું નથી.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. માતાએ બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. વારસામાં ખૂબ ધન મળ્યું પણ કોઈએ જાણ જ ન કરી. પ્રેમમાં પડ્યા. ગજ ન વાગ્યો. પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, કવિનું ‘સ્વ’ વિશ્વના ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. એમની હયાતીમાં એમની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ છે. ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે ખૂબ ઓછા સમયમાં જે બહોળું અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી.

કિટ્સનું આ સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું અષ્ટક-ષટક રચનાયુક્ત પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના કિટ્સે એવી સહજતાથી નિભાવી જાણી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં પ્રાસરચના અલગ રીતે કરવી પડી છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે અને સાથે જ સ્પષ્ટ થાય કે આ વાત સાહિત્યની સ્વર્ણભૂમિની પણ છે. આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટમાં કવિ કહે છે કે એ નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો ફરી આવ્યા છે. સાક્ષાત્ એપોલોના ટાપુ અને સ્વર્ણભૂમિ પણ તેઓ ખૂંદી વળ્યા છે. અર્થાત્ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી કવિ પસાર થઈ ચૂક્યા છે. હોમરના અજરામર સર્જન વિશે પણ જ્ઞાત છે પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સત્ય ઉજાગર કરે છે.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! લડાઈ જીત્યા બાદ લશ્કર સાથે ડેરિયન શિખર પર ચડીને તગડો કોર્ટેઝ (હકીકતમાં બાલ્બોઆ) જ્યારે એ દિન પર્યંત માનવજાતથી સાવ અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર નજર ફેંકે છે ત્યારે વાચા પણ હરાઈ જાય એ અનુભૂતિ કેવી હશે! સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક વાંચતીવેળાએ જે નવીનતમ પુસ્તકિયો આનંદ હાંસિલ થાય છે એ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અણજાણ્યો પ્રદેશ જીતી જવાતા જે જીતનો, મગરૂરીનો, તાકાતનો સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. હોમરની કવિતાની લાક્ષણિકતાઓ આ ચાવીઓ બખૂબી ઊઘાડી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેઝ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

નવરાત્રી Special: રમવાને આવો મારી માત – રિષભ મહેતા

આજે એક વધુ ‘નવો’ ગરબો..

સ્વર – રાગ મહેતા
સ્વરાંકન – ઝલક પંડ્યા

.

રમવાને આવો મારી માત
રમવાને આવો મારી માત
કે ગરબો હેલે ચઢ્યો રે ..

આવી રૂડી નોરતાંની રાત
કે ગરબો હેલે ચઢ્યો રે
રમવાને આવો મારી માત ..

સાથીયાં કુમકુમ કેસર કેરા
મનમાં ફૂટ્યા રંગ અનેરાં ,
માહ્લ્યો આવે નહિ હાથ
કે ગરબો હેલે ચઢ્યો રે ..

એકજ આ રઢિયાળી રજની
સૌની સહિયર સૌની સજની
ના થાયે રે પરભાત
કે ગરબો હેલે ચઢ્યો રે…
– રિષભ મહેતા

Song- Nav Navrat
Singer- Raag Mehta
Music- Zalak Pandya
Lyrics:- Rishabh mehta
Mix & Master- Anuprit Khandekar
Recorded- Tune Garage Studio
Sound Recordist- Vijay Raval

Director- Dhruwal Patel
DOP- Nicool Joshi, Dhruwal Patel
Cinematographer- Dharmesh Mistry
Creative Director- Kishan Patel
Editor- Nicool Joshi
Chief Assistant Director- Dwij Trivedi, Nihar Patel
Production Head- Yash Suthar
Art Director- Krunal Pandya
VFX- Dwij Trivedi
Asst. Director- Smit Patel
Production Controller- Kashyap Rajpopat

Brand Director – Nirav Mehta
Production Assistant- Siddharth Pandya, Swar Mehta, Manoj Sathvara, Shailesh Patel, Jatin Patel, Harshdeep Jadeja, Dhruv Pandit,
Monil Shah, Rahul Patel, Kush Patel

Choreographer- Aarohi shah

Garba Artist- Sweena Patel
Aneri Mehta
Ekta Patel
Ishani Gokli
Kajal Sapariya
Krishna Saraiya
Megha Nihalani
RIdhi Pandya
Sunit Kalra

Audio courtesy

Dhol- Pravin Vaghela, Suresh Vaghela
Deep Base- Nikhil Mistry, DK
Flute- Shreyas Dave
Guitars- Mayank Kapadiya
Percussions – Alok Mojidra

Stills- Hiren Chavda, Kishan upadhyay
Makeup & Hair- Falguni
Location Courtesy- Vishala (Surendra Patel, Chirag Patel, Rajubhai, Kamleshbhai)
Lights- Sunil Goklani

Post Production- Page3Studio
Spot Boys- Raman, Mohan, Anand, Jitu
Sponsored By-Ajit Patel,Ashhvath Infrastructure

Special Thanks- Kalpna Pandya, Bhumi Pandya, Sangita Patel, Alpa Trivedi, Kaushal Pithadia ,Nirav Vaidhya, Jesal Shrimali, Nayna Sharma, Lipika Nag, Riya Shah ,Arpita Jaychandani, Gujotsav team (Hardik Parikh)

નવરાત્રી Special: ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ – મિલિન્દ ગઢવી

આ સમગ્ર સૃષ્ટિ માતાજીનું એક અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં રમાઈ રહ્યો છે એક મહારાસ
કે જ્યાં અણુથી લઈને આકાશગંગા સુધી બધાં જ ઘૂમી રહ્યાં છે ગરબે…

“Garbe Ghoome”
A StudioGarage Entertainment work
(Atmiya Thakkar)

Music : Kedar Upadhyay & Bhargav Purohit
Vocals : Vrattini Ghadge, Ishani Dave, Aditya Gadhvi, Jigardan Gadhavi & Shri Praful Dave
Lyrics : Milind Gadhavi

*
જૂના જમાનાના એકના એક ગરબાઓની ભીડથી અલગ તરી આવે એવો એક તરોતાજા અક્ષુણ્ણ ગરબો, આજની પેઢીના કવિની કસાયેલી કલમે અને આજના કલાકારોએ કરેલી અફલાતૂન જમાવટ…

.

( આ ગરબાનું વિડિયો version તમને youtube પર મળશે – અને એની એક નાનકડી ઝલક – આ રહી)
https://youtu.be/oqIxq4Vwt9Y

અજવાળાં ઉર અવતરે, (અને) રંજાડે નય રાત
આશિષ એવા આપજે, (મારી) માયાળુ અંબે માત

ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ
માતાજી તારા મંદિરમાં
નમે નમે ચૌદે ભરમાંડ
માતાજી તારા મંદિરમાં

દખ્ખણ દેશેથી વાયરાઓ વાશે
તારલીયા તારી આરતી ગાશે
વાગે વાગે અખંડ ઝાલર આજ
માતાજી તારા મંદિરમાં

તારા ચરણે વસે છે ત્રીલોકા
આભલાંમાં અનંત અવલોકા
પગલે પગલે ઉગે રે પરભાત
માતાજી તારા મંદિરમાં

ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)

Lament

Cheek by cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

વિલાપ

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું
જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી મૃગશીર્ષ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમના આંસુથી દિલના કાગળ પર લખેલી બેવફાઈની કવિતા

પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમની રેખા ખેંચો કે ઉત્તરથી દક્ષિણની, ગઈકાલથી આજની રેખા ખેંચો કે આજથી આવતીકાલની, આ ભાષાથી તે ભાષાનો છેદગણ કાઢો કે આ સંસ્કૃતિથી તે સંસ્કૃતિનો – લાગણીઓ એકસરખી જ જોવા મળવાની. એ છતાંય પ્રેમથી વધુ સનાતન, સર્વવ્યાપી અને સેલિબ્રેટેડ લાગણી બીજી કોઈ જોવા નહીં મળે. તડકા વિનાનું અસ્તિત્વ શક્ય જ ન હોવા છતાં જેમ મનુષ્યમન હંમેશા છાંયડા માટે જ તરસવાનું તેમ, નફરત-ગુસ્સો-અદેખાઈ વગેરે દુઃખદાયક લાગણીઓ વિનાનું હૃદય શક્ય જ ન હોવા છતાં હરએક દિલ પ્રેમ માટે તો તલસવાનું જ. જિંદગીના અફાટ બળબળતા રણની વચ્ચે પ્રેમ રણદ્વીપની ટાઢક લઈને આવે છે. પણ સમસ્યા એ છે કે પ્રેમ હંમેશા એના ગજવામાં ક્યાં જુદાઈ, ક્યાં બેવફાઈ લઈને જ આવે છે. અને આ બેવફાઈ અને જુદાઈ દુનિયાની દરેક ભાષામાં દરેક સમયે ઉત્તમ સાહિત્ય અને કળાના પ્રાણતત્ત્વ બન્યાં છે. પ્રસ્તુત કવિતા પણ પ્રણય અને બેવફાઈની જ વાત કરે છે. આ રચના કોણે લખી છે એની તો માહિતી નથી પણ ચીનમાં તાંગવંશના શાસનકાળ દરમિયાન એ લખવામાં આવી છે.

ઇ.સ. ૬૧૮થી ૯૦૭ સુધી ચીનમાં તાંગ વંશનું શાસન રહ્યું. આ સમયગાળો કોસ્મોપોલિટન કલ્ચર માટે સર્વોત્તમ બની રહ્યો. ચાઇનીઝ કવિતા અને કળાનો એ સુવર્ણકાળ હતો. એ સમયના લગભગ ૨૨૦૦થી વધુ સર્જકોની લગભગ ૪૯૦૦૦ જેટલી રચનાઓ કાળની થપાટો સહન કરીને પણ આજદિનપર્યંત સલામત રહી છે. કવિતા રાજદરબારમાં સ્થાન પામવા માટેનું અનિવાર્ય સાધન બની ગઈ હતી એટલે ગળાકાપ સ્પર્ધાઓ પણ યોજાતી. ચાઇનિઝ ભાષામાં ‘શી’ (Shi/Shih) એટલે કવિતા. એ સમયમાં ‘ગુશી’ એટલે કે પ્રાચીન કવિતા જે પારંપારિક કાવ્યસ્વરૂપને વફાદાર હતી અને ‘જિંટિશી’ એટલે કે અર્વાચીન કવિતા જેમાં પંક્તિની લંબાઈ, પ્રાસરચના બધામાં ફરક હતો – એમ બે મુખ્ય પ્રવાહ હતા જેમાંથી જિંટિશી એ સંપૂર્ણપણે તાંગ વંશની ભેટ હતી.

લગભગ બારસો- ચૌદસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોકગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો જ ચિત્કાર આપણી ભીતર જગાડે છે. વાલ્મિકીના હૃદયમાં અબોલ પક્ષી માટેની સંવેદના જાગી હતી, અહીં નિજ પ્રેમસંબંધના હૈયામાં જુદાઈનું અને બેવફાઈનું તીર ભોંકાવાની વેદના જન્મે છે. સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ વચનો આપે છે અને કોઈક કારણોસર છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની એ ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

રચનાની શરૂઆત નજાકતથી થાય છે. ગાલ સાથે ગાલ અને તકિયો – નકરી સુંવાળપ અને મૃદુતા. કદાચ આ નાજુકાઈ જ એ વાતનો ઇશારો છે કે જીવનની સુનિશ્ચિત દુર્દમ્યતા આ ઋજુ સંબંધ કેમે કરી ઝીલી શકનાર નથી. અને આશંકાની આ હળવી કંપારી બીજી જ પંક્તિમાં વાસ્તવિક્તામાં ફેરવાય પણ છે, જ્યારે ‘વચન આપ્યું હતું’ એમ કહીને કવિ ભૂતકાળ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે પ્રેમીઓના શરીરના સાયુજ્યની વાતની વચ્ચે આ વિલન જેવા ‘હતું’ની હાજરી આપણને સમજાવી દે છે કે આ વચન પળાયું નથી. પ્રેમની ધરતી પર તો કદી વચનોનો દુકાળ પડતો જ નથી. શેક્સપિઅરના નામે ચડી ગયેલ બિડવિન (Bedouin) ગીતમાં બેયર્ડ ટેલર કહે છે, ‘હું તને ચાહું છું, એવો પ્રેમ કે જે સૂર્ય ઠંડો પડી જાય કે તારાઓ ઘરડા થઈ જાય ત્યાં સુધી મરે નહીં.’ આવું જ એક બહુ જાણીતું અંગ્રેજી વાક્ય પ્રેમીઓએ એકબીજાને કહી કહીને ઘસી નાંખ્યું છે: ‘Rivers can dry. Mountains can fly. You can forget me, but never can I.’

અતિશયોક્તિ તો પ્રેમનો સનાતન અલંકાર છે. ચાંદ-તારા તોડી લાવવાથી સમયની પેલે પાર સુધી જવાની વાતો પ્રેમમાં સહજ ને વળી બેઉ પક્ષે સ્વીકાર્ય પણ છે. શેક્સપિઅર સત્તરમા સૉનેટમાં કહે છે, ‘હું જો તારી આંખની સુંદરતા આલેખી શકતો હોત, અને તાજા આંકડાઓમાં તારી તમામ મોહક અદાઓને ગણી શક્યો હોત, તો આવનાર યુગ કહેત, ‘આ કવિ જૂઠાડો છે; આવા દિવ્ય સ્પર્શ કદી પાર્થિવ ચહેરાઓને સ્પર્શ્યા જ નથી.’ નાયક પણ પ્રેમમાં ગરકાવ છે. પ્રેમની પરાકાષ્ઠાએ બંને પ્રેમીઓ એકમેકને વચન આપે છે કે આપણો પ્રેમ કદી નાશ નહીં પામે. શેક્સપિઅર જ અઢારમા સૉનેટમાં કહે છે, ‘જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લઈ શકશે, અથવા આંખ જોઈ શકશે ત્યાં સુધી આ (કવિતા) જીવશે, અને એ તને જીવન આપતી રહેશે.’ પ્રસ્તુત કાવ્યમાં પણ જ્યાં સુધી લીલા અર્થાત્ ભર્યાભાદર્યા પર્વતોનું પતન ન થાય કે ભારીખમ લોઢું નદી પર તરવા ન માંડે કે ગંગા (ચીનની યેલો રીવર) જેવી બારેમાસ છલકાતી-ઉભરાતી નદી સ્વયંભૂ સૂકાઈ ન જાય, મૃગશીર્ષનો તારો ધોળા દિવસે ન ઊગે કે ધ્રુવનો તારો ઉત્તરને બદલે દક્ષિણમાં ન ઊગે અને ભર રાત્રિએ સૂર્ય ઊગી આવીને આકાશને ઝળાંહળાં ન કરી દે ત્યાં સુધી, અર્થાત્ यावत्चंद्रोदिवाकरौ સુધી એકમેકને અમર પ્રેમ કરવાના કોલ બંનેએ એકબીજાને આપ્યા હતા.

પ્રેમમાં હોય ત્યારે દુનિયાના દરેક પ્રેમીને એમ જ લાગતું હોય છે કે એમનો પ્રેમ રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા જેવો જ અથવા એથીય અદકેરો અને અમર અવિનાશી છે. પ્રેમમાં અભિવ્યક્તિ બધાથી ઉદાર હોય છે. એક શબ્દમાં પતતું કામ પ્રેમ દસ વાક્યોમાં પતાવે છે. શેક્સપિઅરે કહ્યું કે પ્રેમ આંધળો છે ને હકીકત પણ એજ છે કે પ્રેમના ચશ્માંમાંથી પ્રેમિકા સામે વિશ્વસુંદરીનીય કોઈ વિસાત નજરે ચડતી નથી. છવ્વીસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો કહે છે, ‘જે રીતે હવાનું ઝોકું વૃક્ષને નમાવે છે એમ જ પ્રેમ મને ઝુલાવે છે, પ્રેમ મને ફરીથી બંદી બનાવી લે છે અને હું કડવીમીઠી એષણાથી કંપી ઊઠું છું.’ ખલિલ જિબ્રાન કહે છે તેમ, ‘સદાકાળથી એમ જ છે કે અળગા થવાની ક્ષણ આવી ઊભતી નથી ત્યાં સુધી પ્રેમને એનું પોતાનું ઊંડાણ ખબર પડતી નથી.’ તરસ લાગી હોય તોજ પાણીની મહત્તા સમજાય.

પણ મોટાભાગના ‘અમર’ પ્રેમ ફટકિયા મોતી જ સાબિત થતા હોય છે. અહીં જે બે પ્રેમીની વાત છે એ કદાચ બેવફાઈના કારણે છૂટા પડ્યા છે. કવિએ કોઈ ખુલાસો કર્યો નથી. ગાલિબ લખે છે:

तुझ से क़िस्मत में मिरी सूरत-ए-क़ुफ़्ल-ए-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना

(હે આંકડાના મેળથી ખુલનારા તાળા ! મારી કિસ્મતમાં કદાચ વાત બનતા જ અલગ થઈ જવાનું લખાયું હતું.) તાળું બંધ હોય ત્યારે દાંડી કાયાની અંદર હોય છે પણ જેવી ચાવી ફેરવો કે આંકડાવાળા તાળામાં નિશ્ચિત આંકડા મેળવો કે દાંડી અને કાયા જુદા થઈ જશે. વાત બને, બે પ્રેમીઓ લગ્નગ્રંથિથી જોડાય, સંસારક્રમ આગળ વધે એ પહેલાં જ બંનેના નસીબમાં જુદા પડવાનું લખાયું. જેણે બેવફાઈ કરી હશે એની જિંદગી તો નદીના પ્રવાહ પેઠે સમયના કિનારાઓ વચ્ચે આગળ વહેવા માંડી હશે. પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો-

दिल से मिटना तिरी अंगुश्त-ए-हिनाई का ख़याल
हो गया गोश्त से नाख़ुन का जुदा हो जाना | (ગાલિબ)

(દિલથી તારી મહેંદીવાળી આંગળીનો ખ્યાલ મટી જવો અર્થાત, મારા માંસથી નખ જુદો થઈ જવો)

લગભગ બેહજાર વર્ષ જૂની ‘ગાથાસપ્તશતી’માં સાતવાહન હાલ પ્રાકૃત ભાષામાં કહે છે:

परित्र्प्रोस-सुन्दराइं सुरएसु लहन्ति जाईँ सोक्खाइं।
ताइं च्चित्र्प्र उण विरहे खाउग्गिण्णाईँ कीरन्ति॥

અર્થાત્, પ્રેમીઓ જુદા પડે છે ત્યારે એક સમયે જે આનંદ આપતું હતું એ ઊલટી જેવું લાગે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે: ‘હે હૃદય ! શાંત થા. શા માટે આટલું સહન કરે છે? જેને તું પ્રેમ કરે છે એ તને ચાહતું નથી.’ પણ હૃદય શાંત થતું નથી. જૂની બધી વાતો યાદ આવે છે. પ્રસ્તુત રચનામાં ‘આપણે વચન આપ્યું હતું’ની દ્વિરુક્તિ પ્રેમીના જીવનમાં પ્રેમ અને પ્રિયપાત્રનું શું મહત્ત્વ હતું એ વાતને અંડરલાઇન કરી આપે છે. રોજર ડિ બસી-રબુટિને કહ્યું હતું, ‘હવા જે આગ માટે છે, એ જ અનુપસ્થિતિ પ્રેમ માટે છે; એ નાનાને હોલવી નાંખે છે, મોટાને ભડકાવે છે.’ રુમીએ પણ કહ્યું હતું, ‘…જ્યારે હું તારાથી દૂર હતો, આ દુનિયાનું કોઈ અસ્તિત્ત્વ નહોતું, બીજી કોઈનું પણ નહીં.’ સાચો પ્રેમ પ્રેમીને ઓગાળી દે છે અને પ્રિયપાત્રને પોતામાં ઓગળી-ભળી ગયેલ અનુભવે છે. પોતાની નાડીમાં સામાના ધબકારા સંભળાય એ પ્રેમ. ‘હું’ અને ‘તું’ પીગળી જઈને ‘અમે’ બને એ રાસાયણિક પ્રક્રિયાનું નામ જ પ્રેમ છે.

પાબ્લો નેરુદા કહે છે, ‘આવજે, પણ તું મારી સાથે જ હશે, તું જશે મારા લોહીના એક બુંદમાં જે દોડતું હશે મારી નસોમાં અથવા બહાર, એક ચુંબનમાં જે મારા ચહેરાને બાળતું હશે, અથવા એક આગના પટ્ટામાં જે મારી કમર ફરતો હશે.’ જેફ હૂડે કહ્યું હતું, ‘અંતર લોકોને અલગ નથી કરતું, મૌન કરી દે છે.’ અહીં પણ નાયક બંને વચ્ચે આવી ગયેલા અંતરને અવગણીને ચિત્કારે છે. નાયિકા સામે છે કે નહીં એનો કવિતામાં ઉલ્લેખ નથી, આ ચિત્કાર એ સાંભળે છે કે નહીં એ આપણે કદી જાણી શકવાના નથી પણ દિલમાં ખૂંપી ગયેલું તીર જ્યાં સુધી ખેંચીને કાઢી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી એ નાયકને ચેનના શ્વાસ લેવા દે એમ નથી એટલે નાયક તારસ્વરે સાથે લીધેલા પણ પળાય એ પહેલાં જ તૂટી ગયેલા વચનો અને છૂટી ગયેલા સાથને એ વચનોની દુહાઈ આપીને ખોવાયેલ પ્રેમ પરત મેળવવાની આખરી કોશિશ કરે છે.

કવિ કોણ છે એ ખબર નથી. વિલાપ કરનાર નાયક છે કે નાયિકા એ ખબર નથી. બંને છૂટાં થયાં છે પણ કેમ એ ખબર નથી. વિલાપ સામા વ્યક્તિની હાજરીમાં થાય છે કે નહીં એય ખબર નથી. વિલાપનું કોઈ પરિણામ આવે છે જે નહીં એય ખબર નથી પણ આઠ જ પંક્તિની આ અનિશ્ચિત કવિતામાં પ્રેમની સચ્ચાઈ અને પ્રેમીહૈયાનું કલ્પાંત સુનિશ્ચિત છે અને જિંદગીમાં જેણે પ્રેમમાં જુદાઈ કે બેવફાઈનો જરા પણ સ્વાદ ચાખ્યો હશે એને દોઢ હજાર વર્ષ પહેલાંની આ રચના પોતાના જ દિલના કાગળ પર પ્રેમના આંસુઓથી હજી ગઈકાલે જ લખાયેલી કેમ ન હોય એવી તરોતાજા જ લાગશે.

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

ગ્લૉબલ કવિતા: ૪૧: બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ વિવેક મનહર ટેલર)

Stopping by woods on a snowy evening

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sounds the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

– Robert Frost

બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના અશ્વને મારા લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં

– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

And miles to go before I sleep

जीवन चलनेका नाम, चलते रहो सुबहो-शाम। ગતિ જ જીવન છે. ગતિ વિના પ્ર-ગતિ પણ શક્ય નથી. દુનિયા ગમે એટલી સોહામણી કેમ ન હોય, અકબર ઈલાહાબાદી કહે છે એમ, दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ; बाज़ार से ग़ुज़रा हूँ ख़रीदार नहीं हूँના ન્યાયે થોડું થોભીને, થોડું માણીને એમાંથી માત્ર પસાર થઈ જવા શું આપ તૈયાર છો? મૃત્યુ જિંદગીનું ગળું દબોચવા ટાંપીને જ બેઠું છે એ જાણતા હોવાથી નિતનવા જોખમો ખેડવાનું શું આપને મન થાય છે? ટી.વી., સ્માર્ટફોન, ફેસબુક, વોટ્સ-એપ, sms, ઇમેલ- આ બધી જંજાળ ફગાવી દઈને ક્યાંક ભાગી નીકળવાનું આપને મન થાય છે કદી? જો હા, તો રૉબર્ટ ફ્રૉસ્ટની આ કવિતા તમારા માટે છે.

રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. ૨૬-૦૩-૧૮૭૪ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મ. મા-બાપ બંને શિક્ષક પણ ૧૧ વર્ષની વયે ટીબીના કારણે પિતા ગુમાવ્યા. ૧૮૯૪માં પહેલી કવિતા ‘માય બટરફ્લાય: એન એલિજી’ લખી. આ કવિતા ધ ઇન્ડિપેન્ડન્ટમાં છપાઈ અને એ જમાનામાં ૧૫ ડોલર મળ્યા એથી પોરસાઈને ફ્રોસ્ટે જે સહપાઠી –એલિનોર વ્હાઇટ- સાથે ગ્રેજ્યુએટ થયા એને પ્રપોઝ કર્યું પણ અભ્યાસ બાકી હોવાથી એલિનોરે પ્રસ્તાવ નકાર્યો. એની કોલેજ પત્યા બાદ ફ્રોસ્ટે ફરીથી પ્રસ્તાવ મૂક્યો જે સ્વીકરાયો અને બંને લગ્નગ્રંથિથી જોડાયા અને છ સંતાનોના મા-બાપ બન્યા. એક પુત્ર કોલેરામાં મૃત્યુ પામ્યો, એકે આત્મહત્યા કરી, એક પાગલ થઈ ગયો, એક પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી અને એક જન્મના થોડા જ અઠવાડિયામાં બાય-બાય કહી ગઈ. સંતાનોનું આવું કારમું દુઃખ ઓછું હોય એમ ખેતી-મરઘાંપાલન – બધા જ વ્યવસાયોમાં પણ ફ્રોસ્ટને નિષ્ફળતા જ મળી. બધું વેચી-સાટીને ફ્રોસ્ટ પરિવારભેગા ૧૯૧૨માં ઇંગ્લેન્ડ પહોંચ્યા જ્યાં એઝરા પાઉન્ડ અને એડવર્ડ થોમસ સાથેનો પરિચય બહુ મોટો ભાગ ભજવનાર બન્યો. જિંદગીના પહેલા ચાળીસ વર્ષ સુધી કોઈ એમનું નામ પણ જાણતું નહોતું. અમેરિકાના કવિની કવિતાઓ ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વખતે ૧૯૧૫માં ઇંગ્લેન્ડથી અમેરિકા પરત ફર્યા ત્યારે પ્રસિદ્ધિના આકાશમાં એમના નામનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. એમના પહેલાં એમની કીર્તિ અમેરિકા પહોંચી ચૂકી હતી. ખેતરો અને ગામડાંનું નિષ્ફળ જીવન એમની કવિતાને ફળ્યાં અને કવિતા એમને ફળી. કવિતા અને ભાષાશિક્ષક બન્યા અને નાનાવિધ યુનિવર્સિટીઝમાં સેવા આપી. પણ દુઃખ કેડો છોડતું નહોતું. ૧૯૩૮માં કેન્સરના કારણે એલિનોર અવસાન પામી. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીના ઉદઘટન સમારોહમાં કાવ્યપાઠ માટે એમને ખાસ આમંત્રિત કરાયા હતા. કેનેડીએ એમના માટે કહ્યું હતું, ‘એણે એન દેશને અવિનાશી કવિતાનો એવો વારસો આપ્યો છે જેમાંથી અમેરિકનો હરહંમેશ આનંદ અને સમજણ મેળવતા રહેશે.’ અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયાના કોમ્પ્લિકેશન્સના કારણે ૨૯-૦૧-૧૯૬૩ના રોજ ૮૮ વર્ષની જૈફ વયે બોસ્ટન ખાતે એમનું નિધન થયું.

ફ્રોસ્ટ એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. ફ્રોસ્ટ એમની બહુખ્યાત રચના ‘ધ રોડ નોટ ટેકન’માં કહે છે, ‘મેં જેના પર બહુ લોકો નહોતા જતા એ માર્ગ મેં લીધો અને આ બધો તફાવત એન જ કારણે છે.’ એમની કવિતમાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. સામાન્ય જનજીવન અને ગ્રામ્યજીવન વિશે એમના જેવું અને જેટલું ભાગ્યે જ કોઈ કવિએ લખ્યું હશે. ફ્રોસ્ટની કવિતા ઓગણીસમી સદીની અમેરિકન કવિતા અને આધુનિકતાના દોરાહા પર ઊભેલી છે. પારંપરિક છંદો અને કાવ્યસ્વરૂપો સાથે તોડફોડ કરવાના બદલે એમણે કાવ્યત્ત્ત્વ પર જ વધુ ધ્યાન આપ્યું. એકલતા, કશાકની શોધ, જીવનની અંધારી બાજુ અને માનવમનની સંકુલતાઓ એમણે વાતચીતની ભાષામાં જે રીતે રજૂ કરી છે એ અમેરિકાના ઇતિહાસમાં न भूतो, न भविष्यति ગણાય છે. ફ્રોસ્ટ કહે છે, ‘મને મોટાભાગના વિચારો પદ્યમાં જ આવે છે. કવિતાની તાજગી સંપૂર્ણપણે પહેલાં વિચારીને, પછી પદ્યમાં ગોઠવીને ને પછી પદ્યને સંગીતમાં ઢાળવામાં નથી. કવિતાનો ‘મૂડ’ જ નક્કી કરે છે કે કવિએ કયો છંદ અને પંક્તિલંબાઈ વાપરવા.’ એક જગ્યાએ એ કહે છે, ‘સંપૂર્ણ કાવ્ય એ છે જ્યાં એક લાગણીને વિચાર મળે અને વિચારને શબ્દો.’

પ્રસ્તુત રચના પણ પારંપારિક છંદને જ પકડીને ચાલે છે. આયમ્બિક ટેટ્રામીટર અહીં પ્રયોજાયેલ છે. પણ પ્રાસ-રચના ધ્યાનાર્હ બની રહે છે. ચાર-ચાર પંક્તિના ચારેય અંતરામાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવ્યા છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી, બીજી અને ચોથી પંક્તિનો પ્રાસ બને છે. બીજી રીતે કહીએ તો પર્શિયન ‘રૂબાઈ’ના છંદ અને રૂપ-રચના ફ્રોસ્ટે અપનાવ્યા છે.

તેરમી સદીમાં થઈ ગયેલા ઇટાલીના દાન્તેની ‘ઇન્ફર્નો’ની પણ થોડી અસર અહીં નજરે ચડે છે. એ સિવાય ત્રણેક જગ્યાએ અન્ય કવિઓની પંક્તિની અસર સાફ નજરે ચડે છે: સ્કોટની ‘ધ રોવર’: ‘He gave the bridle-reins a shake’ ~ ‘He gives his harness bells a shake’; થોમસ લવેલ બેડોસની ‘ધ ફેન્ટમ વુઅર’: ‘Our bed is lovely, dark, and sweet’~ ‘The woods are lovely, dark and deep’ અને કીટ્સની ‘કીન ફિટફુલ ગસ્ટ્સ’: ‘And I have many miles on foot to fare’ ~ ‘And miles to go before I sleep.’ જો કે એય હકીકત છે કે દુનિયાના કોઈપણ વિવેચકે આને ઊઠાંતરી કહી નથી. ફ્રોસ્ટનું આ કાવ્ય ઉત્તમોત્તમ મૌલિક કવિતા ગણાયું છે.

આ કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે. કવિતા પણ કવિતામાંના પ્યારાં પણ ગાઢ અને ઊંડા જંગલોની જેમ જ ગહન છે. પહેલી નજરે તો અહીં ખૂબ સરળ ભાસતી વાર્તા સિવાય કંઈ નથી પણ આખી કવિતામાં એકમાત્ર પંદરમી પંક્તિ જ્યારે આખીને આખી જ પુનરાવર્તિત થાય છે ત્યારે સરળ ભાસતી કવિતામાંથી ગહનતાના પડઘા ઊઠતા સંભળાય છે.

વર્ષ આખાની સૌથી અંધારી અને ભયાનક શિયાળુ -ડિસેમ્બરના અંતભાગની- સાંજે નાયક એના નાનકા ઘોડા પર સવાર થઈ જંગલોમાંથી પસાર થઈ રહ્યો છે અને કોઈકના વાડી-જંગલ પાસે આવી ઊભો રહે છે. જ્યાં નજીકમાં કોઈનું ઘર પણ નથી એવી અવાવરૂ જગ્યા પર એક તરફ વન, બીજી તરફ થીજી ગયેલું તળાવ, માથે ઊતરી રહેલાં વર્ષની સૌથી અંધારી અમાસની રાતના ડરામણા ઓળા, ગાત્રો ગાળી નાંખે એવી ઠંડી શ્યામલ રાત્રે બરફનો વરસાદની વચ્ચે નરી એકલતા ઓઢીને નાયક ઊભો ઊભો બરફચ્છાદિત થતા વનોનું સૌંદર્યપાન કરી રહ્યો છે. જેના આ વાડી-જંગલ છે એ પણ આવા સમયે અહીં રહેવાનું જોખમ જાણતો હોવાથી જંગલ છોડીને ગામમાં રહે છે. વન એ સમાજની પેલે પારનું વિશ્વ છે. વન જોખમ, અસામાજિકતા, તર્કશૂન્યતા, જંગલીપણું, પાગલપન – શું શું નથી સૂચવતું?! વન તરફનું નાયકનું ખેંચાણ પણ એ જ રીતે એકાંતપ્રિયતા, સાહસિકતા, જવાબદારીઓમાંથી આઝાદી અને જોખમ તરફનું દુર્દમ્ય આકર્ષણ- શું શું નથી સૂચવતું?! જો કે કવિતામાં જે વનની વાત છે એ કોઈકની માલિકીનું હોવાથી એટલું ખરાબ તો નહીં જ હોય. જે હોય તે, પણ વન સમાજની લક્ષ્મણરેખાની પેલે પારનો જ વિસ્તાર છે. ઘોડો કદાચ સભ્ય સમાજનું પ્રતીક છે. એને કદાચ આવા સમયે આવામાં એકલપંથીનું આમ થોભવું વિચિત્ર લાગે છે અને એ ધુરા પર બાંધેલી ઘંટડી હલાવીને કોઈ ભૂલ તો નથી થઈને એમ પૂછે છે અથવા સંભવ છે કે નાયકને ઘોડો આમ પૂછી રહ્યાનો ભાસ માત્ર પણ થતો હોય!

આછી હવાની મર્મર અને હિમવર્ષાની ફર્ફર સિવાય અન્ય કોઈ અવાજ પણ નથી એવી નિઃશબ્દતામાં ઘંટડીનો રણકાર નાયકને પુનર્જાગૃત કરે છે. ભલેને આ જંગલો ગાઢ, ઊંડા ને પ્યારાં કેમ ન હોય, જીવનની જવાબદારીઓ પૂરી કરવાની છે, દીધેલાં કોલ નિભાવવાના છે અને ઊંઘ આવી જાય એ પૂર્વે દૂર-સુદૂર પહોંચવાનું છે. પંદરમી પંક્તિ પહેલી નજરે મુસાફરીની અનિવાર્યતા નિર્દેશિત કરે છે પણ જ્યારે એનું પુનરાવર્તન થાય છે ત્યારે ઊઠતો પડઘો વધુ ગાઢ અને ઊંડો લાગે છે. નિશ્ચિત મૃત્યુ આવે ચડે એ પહેલાં જિંદગી જીવી લેવાની છે, અટકવાનું નથી, અટવાવાનું નથી પણ સતત આગળ ને આગળ વધતા રહેવાનું છે. આ memento mori (યાદ રાખો, મૃત્યુ નિશ્ચિત છે.) આ ભયાવહ અને લલચામણાં વનમાં અટકવાની વાતને, સૌંદર્યને માણી લેવાના ઈરાદાની પુષ્ટિ કરે છે. જીવન ક્ષણભંગુર છે એટલે જોખમ ઊઠાવવા અને કરી શકાય તો સત્યની શોધ કરવી એવો ધ્વનિ સરવાળે ઊઠે છે. મરીઝ યાદ આવે:

‘જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’

ફ્રોસ્ટ કહે છે, ‘મારા શોખ (avocation) અને વ્યવસાય (vocation)ને એક કરવા એ મારો જીવવાનો હેતુ છે.’ એ એમ પણ કહે છે, ‘જિંદગી વિશે હું જે કંઈ પણ શીખ્યો છું એ ત્રણ જ શબ્દમાં કહી શકું છું – ઇટ ગોઝ ઓન.’ કાવ્યારંભે જેમ નાયક ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે વિ. ગોપિત રખાયું છે, એમ જ કાવ્યાંતે નાયક આગળ વધવું શરૂ કરે છે કે કેમ એ વાત પણ કવિએ કરી નથી. નાયકની જેમ જ ભાવક પણ આ કવિતાના ગાઢ, ઊંડા, પ્યારા વનની શાંત પણ જોખમી એકલતા પાસે આવી ઊભો રહી સૌંદર્યનું આકંઠ પાન પણ કરી શકે છે અથવા આગળ પણ વધી જઈ શકે છે…

ગ્લૉબલ કવિતા: ૪૦ : તિરુક્કુરલ – તિરુવલ્લુવર (તમિલ) ( અનુ. વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥૧૫॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥૧૦૮૪॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥૧૦૯૦॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ, હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥૧૧૧૦॥

-તિરુવલ્લુવર
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બબ્બે મિલેનિયમથી સળગતી રહેલી અગરબત્તી…

બાવીસસો વર્ષ પહેલાં આપણા જ દેશની ધરતીના કોઈ એક ખૂણેથી એક અવાજ ઊઠ્યો હોય અને એ અવાજ આજદિન સુધી વિશ્વભરના દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં એકધારો પડઘાઈ રહ્યો હોય, અભ્યાસુઓને સતત ચકિત કરી રહ્યો હોય એવી આપણને જાણ થાય તો આપણને કેવી અનુભૂતિ થાય! ભારતવર્ષ તો રત્નોનો ખજાનો છે. વ્યાસ, વાલ્મિકી, કબીર, મીરાં, નરસિંહ, તુલસી, ધ્યાનેશ્વર, તુકારામ, લલ્લેશ્વરી, વિદ્યાપતિ, બુલ્લેશાહ, શંકરાચાર્ય, અમીર ખુશરો, જયદેવ – કયા ખૂણેથી ને કઈ ભાષાથી આદરીને ક્યાં જવું એ કોયડો થઈ પડે એવા ને એટલા સંતકવિઓ આ દેશના ખૂણેખૂણેથી પાક્યા છે. તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવર આવા જ એક રત્ન છે. ૨૨૦૦ વર્ષ પહેલાં તામિલનાડુના એક ખૂણામાં પ્રગટેલી અગરબત્તી આજે પણ વિશ્વ આખાના ખૂણે-ખૂણામાં અવિરત ખુશબૂ ફેલાવી રહી છે…આપણા આ અમર અને અકલ્પનીય સાંસ્કૃતિક વારસામાંથી કેટલાક મૌક્તિક આપણે માણીએ

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે કહે છે કે એ વણકર હતા અને એમના કહેવાતા ઘરને આજે મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પત્નીનું નામ વાસુકિ. સંતકવિ હોવા ઉપરાંત તિરુવલ્લુવર ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ પણ હતા. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક પર જનાર તિરુવલ્લુવરના પૂતળાથી અભિભૂત થયા વિના રહેતો નથી. તિરુક્કુરલમાં ૧૩૩ કુરલ છે એટલે એમની પ્રતિમા ૧૩૩ ફૂટ ઊંચી છે અને ત્રણ વિભાગ છે એટલે પ્રતિમામાં સંતને ત્રણ આંગળી બતાવતા નિર્દેશાયા છે. પોંગલના તહેવારમાં ૧૫ જાન્યુઆરીના દિવસે કવિના નામથી તહેવાર પણ ઉજવાય છે. ભાગ્યે જ કોઈ કવિને સરકાર અને નાગરિકો દ્વારા આવું બહુમાન મળ્યું હશે.

મહાભારતની જેમ જ ‘તિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘તિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. તિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. તિરુક્કુરલ એ તિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.બાવીસસો વર્ષ પહેલાં કવિતાને ત્રણ ભાગ અને ૧૩૩ પેટાભાગમાં વહેંચીને દરેક પર દસ-દસ કુરલની રચના કરવા જેટલું પદ્ધતિસરનું કામ કરવું એ પોતે જ કવિની વિચક્ષણતાનું દ્યોતક છે. પ્રાચીન તામિલ કવિ અવ્વલ્યરે કહ્યું હતું, ‘તિરુવલ્લુવરે અણુમાં છિદ્ર કરીને એમાં સાત સમુદ્ર ભરી દઈને એને સંકોચી દીધા છે ને પરિણામે આપણને જે મળ્યું એ છે કુરલ.’

તિરુક્કુરલ એ સમાજના ઊંચ-નીચ, ધનિક-ગરીબ તમામ વર્ગના તમામ મનુષ્યોની રોજબરોજની જિંદગીની સમસ્યાઓ અને એના વાસ્તવિક ઉકેલ સાથે સંકળાયેલ મહાકાવ્ય છે. મનુષ્યજીવનના દરેક પાસાંઓનો પદ્ધતિસર અભ્યાસ અને વિવરણ અહીં જોવા મળે છે. ખેડૂતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો તિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન અનુવાદ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી. મુનશીએ આ ગ્રંથને જીવન જીવવાની કળા શીખવતો ઉત્તમોત્તમ મહાગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો.

અનુવાદ કદી મૂળ કૃતિને સંપૂર્ણ ન્યાય આપી શકે નહીં. કદાચ એટલે જ અંગ્રેજી જેવી એક જ ભાષામાં પણ તિરુક્કુરલના નવા નવા અનુવાદો હજી પણ થયા જ કરે છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

(૦૧) કોઈપણ કક્કાની શરૂઆત ‘અ’થી જ થવાની. એ જ રીતે ઈશ્વર જ સૃષ્ટિનું પ્રારંભબિંદુ છે. એ જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એનાથી જ સૃષ્ટિની શરૂઆત પણ થાય છે.

(૧૫) વરસાદ સર્વસ્વ છે, સર્વેસર્વા છે. એ વધુ માત્રામાં પડે તો બધું જ બરબાદ કરી નાંખે છે. પણ પછી એ જ વરસાદ ધરતીને સીંચીને નવજીવન નવપલ્લવિત કરે છે. ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’(કલાપી)

(૬૯) પુત્રનો જન્મ થાય ત્યારે મા હર્ષથી ફૂલી સમાતી નથી. પોતાના શરીરમાંથી એક બીજા સજીવને જન્મ આપવાથી મોટી ઘટના મનુષ્યના જીવનમાં બીજી કઈ હોઈ શકે? પણ જ્યારે એ જ દીકરાનું નામ દુનિયા સન્માનભેર લે, એ જ દીકરો સિદ્ધિ હાંસિલ કરે ત્યારે પુત્રજન્મની ખુશીથીય અનેક ગણી ખુશી માને થતી હોય છે.

(૭૧) પ્યાર છૂપાવ્યો છૂપતો નથી. છાપરે ચડીને પોકારે છે. એવું કોઈ તાળું જ નથી બન્યું જે પ્રેમને ભીતર સંતાડી દઈને બહાર મારી દઈ શકાય? સાચા પ્રેમીની આંખમાંથી એક નાનુ સરખુ આંસુ ટપક્યું નથી કે પ્રેમના તમામ પર્દાફાશ થયા નથી.

(૧૦૮) કોઈએ કરેલા સારા કામને કદી ભૂલવું જોઈએ નહીં. સત્કાર્યને ભૂલવાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે પણ કોઈ કંઈ ખરાબ કરે અને આપણે એને તાત્ક્ષણિક ભૂલી જઈ શકીએ એનાથી મોટું સત્કર્મ તો બીજું કોઈ જ નથી.

(૩૦૨) તમારો ગુસ્સો ગમે એટલો વ્યાજબી કેમ ન હોય પણ તમારાથી વધુ શક્તિશાળી કે સત્તાસંપન્ન માણસની આગળ એ વાંઝિયો જ પુરવાર થશે. એનો કંઈ જ અર્થ નહીં સરે. એ જ રીતે તમારાથી નબળા માણસ પર ગુસ્સો કરવાથી શો ફાયદો? ટૂંકમાં, કોઈપણ સ્વરૂપે ને કોઈની પણ આગળ ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. ગુસ્સા પર કાબૂ મેળવવો એ જ મોટો ગુણ છે.

(૩૯૬) જમીન ભલે રેતાળ કેમ ન હોય, ઊંડે સુધી ખોદવાથી પાણી જરૂર હાથ લાગે છે અને જેમ વધુને વધુ ઊંડુ ખોદાણ કરીએ તેમ વધુ ને વધુ પાણી જડે છે, એ જ રીતે કોઈપણ વસ્તુનો જેમ વધુ ને વધુ ઊંડો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ વધુને વધુ ડહાપણ પ્રાપ્ત થાય છે.

(૪૮૧) ઘુવડ જેવું શક્તિશાળી પક્ષી પણ દિવસના અજવાળામાં લાચાર છે. કાગડા જેવો કાગડો પણ દિવસે તો એને હંફાવી દઈ શકે. એ જ રીતે સમય વર્તીને શત્રુ પર હુમલો કરે એ માણસ જ યુદ્ધ જીતીને રાજા બની શકે છે. समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वो ही बाण।

(૬૨૩) દુઃખ કોના માથે નથી પડતું? પણ જે માણસ લાખ દુઃખ પડવા છતાં દુઃખી થવાના બદલે એનો સામનો કરે છે, દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા મથે છે એ માણસના ઘરે આવીને તો દુઃખ પોતે દુઃખી થઈ જાય છે અને સત્વરે ચાલતી પકડે છે. જીવનનો જંગ જે હારવામાં માનતો નથી એ જ જીતતો હોય છે.

(૭૯૬) જીવનમાં સમસ્યા કોને નથી આવતી?અને સમસ્યા આવે તો કોને ગમે ? પણ તિરુવલ્લુવર સમસ્યાઓ-તકલીફો-દુઃખોની પોઝિટીવ બાજુથી અવગત કરે છે. દુઃખોના થર્મોમીટરનો ફાયદો જ એ છે કે એનાથી મિત્રો-સ્વજનોનું સાચું તાપમાન ખબર પડી જાય છે. કવિ પણ દુઃખની ફૂટપટ્ટીથી મિત્રોને માપવાનું કહે છે. મરીઝ યાદ આવે: ‘મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.’ ઘણાબધા સુભાષિતોમાંથી પણ આ વાત મળી આવે છે: ‘વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.’

(૧૦૮૪) એની આંખોની કાતિલતા અને રૂપની શાલિનતાનો મેળ પડે એમ નથી. દેખાવે તો એ એકદમ સુંદર અને સૌમ્ય લાગે છે પણ એની આંખ સામે જે આંખ માંડે છે એનું તો એ જીવન જ પી લે છે. બિચારો પ્રેમમાં ગિરફ્તાર અને શમા પર પરવાના પેઠે ફના થઈ જાય છે. ‘કસુંબલ આંખડીના એ કસબનીવાત શી કરવી! કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.’ (ઘાયલ)

(૧૦૯૦) દારૂ ગમે એટલો આનંદ કેમ ન આપતો હોય પણ એના આનંદની અનુભૂતિ કરવા માટે એને ચાખવો ફરજિયાત બને છે પણ પ્રેમનો નશો એનાથીય અદકેરો છે. પ્રેમને હોઠોથી ચાખવાનીય જરૂર પડતી નથી. આંખ આંખથી મળે એટલામાં જ બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.

(૧૧૦૨) ઝેર અને ઝેરનું મારણ કદી એક ન હોઈ શકે. દુઃખ અને દુઃખ મટાડવા માટેની દવા –બંને અલગ જ હોવાના. પણ સૌંદર્ય, ઈશ્કનો કાનૂન અજબ છે. અહીં જે દર્દ જન્માવે છે એ જ એનો ઈલાજ પણ કરે છે. બે’ક શેર જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે. (ઘાયલ)

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે ! (મુકુલ ચોક્સી)

(૧૧૧૦) પુનરાભ્યાસ વિના સાચું જ્ઞાન શક્ય નથી. પુનરાવર્તન જેમ જેમ કરતાં જઈએ તેમ તેમ એક જ વસ્તુમાંથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે અને આપણને અહેસાસ થાય છે કે અરે! આ તો આપણને આગલી વખતે સમજાયું જ નહોતું. એ જ રીતે સમાગમ પણ ફરી ફરીને કરવાથી પરમાનંદના નિતનવા અને ઉત્તુંગ શિખરો સર થતા હોવાનો સાક્ષાત્કાર થાય છે.

બે મિલેનિયમથીય પુરાણો આ જ્ઞાનનો ખજાનો હજી આજેય એવોને એવો જ તાજો છે ને મિલેનિયમના મિલેનિયમ સુધીય તાજો જ રહેશે…