સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

કેવી મજા – સુરેશ દલાલ

.

મોટેથી લડવાની, મોટેથી રડવાની,
લડીને રડવાની, રડીને લડવાની,
કેવી મજા ભાઈ કેવી મજા.

ચડીને પડવાની કેવી મજા
પડીને ચડવાની કેવી મજા
વાદળ પકડવાની, ચાંદો જકડવાની
અક્કડ અકડવાની, કેવી મજા

જીદ્દીને તોફાની થઈને ઝઘડવાની કેવી મજા
ઝઘડીને કિટ્ટાની, કિટ્ટાને બુચ્ચાની કેવી મજા.

જબરાને પોચાની, ડાહ્યાને લુચ્ચાની
બાળક થવાની કેવી મજા
-સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૬૫: કેટકેટલીવાર – મેરી હૉવે

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

કેટકેટલીવાર

ખબર નથી કેટકેટલીવાર હું કોશિશ કરું છું તોય હું કેમે કરીને મારા પિતાને
અટકાવી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને હું કંઈ ખાસ જોઈ શકતી નથી, અહીંથી વાંકી વળીને એમની આંખોમાં
જોવા માટે. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ ભૂતકાળ છે
જ્યાં બધું ક્યારનું પરિપૂર્ણ જ છે અને કશું જ બદલાતું નથી

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ભોંય પર પડે છે
અને એકવાર ઊછળે છે ફૂટતા પહેલાં.

કંઈ જ નહીં. મારી બહેન કાઢે છે એ નાનો અવાજ પણ નહીં, પાસું
બદલતા, કૂતરાની પૂંછડીનો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એને ફરી ઠોકર ખાતા
વધુ પીવા માટે, થોડા ગભરાયેલા.

આ બરાબર એમ જ છે જેમ હું જાણતી હતી કે થશે.
અને હું જો તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

હું એ વરસોથી કરી રહી છું, અને હજીય કૂતરો
ચોંકી જાય છે અને ઘુરકે છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ અમારા પિતા છે,અને હજીય દરવાજો ખુલે છે, અને તેણી
કરે છે એ નાનો ઊંહકારો પાસું બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

વાડ ઊઠીને ચીભડાં ગળે ત્યારે…

સંબંધને શરીર ગણીએ તો વિશ્વાસ એનો આત્મા છે અને આત્મા વિનાનું શરીર શરીર નથી, લાશ છે. જાતથીય વધુ ભરોસો રાખીને તમે જેને તમારું સર્વસ્વ સોંપો છો એ જ તમને લૂંટી લે તો? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જઈ રડવું? વાડ ખુદ ઊઠીને ચીભડાં ગળે તો કોને કહેવા જવું? માળી ફૂલ પર નજર બગડે તો બાગનું ભવિષ્ય શું? –આ બધા પ્રશ્નો અનાદિકાળથી પૂછાતા આવ્યા છે ને અનંતકાળ સુધી અનુત્તરિત જ રહેવાના છે. પ્રસ્તુત કવિતામાં મેરી હૉ જો કે રક્ષક ભક્ષક બને એ વરવી વાસ્તવિક્તાથી એક કદમ વધુ આગળ જાય છે, બળાત્કારી બાપ અને લાચાર દીકરી વચ્ચેના અનૌરસ સંબંધની વાત કરે છે અને આપણને રીતસરના હચમચાવી નાંખે છે.

મેરી હૉવે. ૧૯૫૦ની સાલમાં ન્યૂયૉર્ક ખાતે જન્મ અને હાલ પણ ત્યાં જ વસે છે. નવ સંતાનોમાં સૌથી મોટાં. અખબારપત્રીથી કારકિર્દી શરૂ કરી અને યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા બન્યાં. હાલ એ એકેડમી ઑફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર છે. ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન એ ન્યૂયૉર્ક શહેરના રાજકવિ હતાં. મેરીની કવિતાઓ સમસ્યાના અંધારા મૂળ સુધી લઈ જતી કવિતાઓ છે. એની રચનાઓ સ્ત્રીસહજ સંવેદનોથી સમૃદ્ધ છે પણ આ સ્ત્રી પ્રવર્તમાન સમયની સમસ્યાઓથી પીડાતી અને અવાજ ઊંચો કરતી નજરે ચડે છે. બ્રેન્ડા શૉનેસી કહે છે, ‘હૉવેની કવિતા આધિભૌતિકને ભૌતિક અને ભૌતિકને આધિભૌતિક બનાવે છે.’

કવિતાનું શીર્ષક ‘કેટકેટલીવાર’ આપણે જે વાંચવા જઈ રહ્યાં છીએ એ ઘટનાના અસંખ્ય પુનરાવર્તનની નગ્ન વાસ્તવિક્તા સાથે આપણો સાક્ષાત્કાર કરાવે છે. જિંદગીનો છંદ જ તહસનહસ થઈ ગયો છે એટલે કવયિત્રી પોતાને અભિવ્યક્ત કરવા માટે અછાંદસ કાવ્યપ્રકાર પસંદ કરે છે. નાની-મોટી બબ્બે પંક્તિઓનું જૂથ બે વ્યક્તિ વચ્ચે બની રહેલી ઘટના કે પછી નાના-મોટા હોવાના કારણે બરાબર બંધ ન થઈ શકનારા દરવાજાઓ ઈંગિત કરે છે. કવિતા આત્મકથનાત્મકરીતિથી લખાયેલી હોવાથી આપણે સહેજે એમ કલ્પી લઈએ છીએ કે કવિતાનો સંભાષક કવયિત્રી ખુદ અથવા એક સ્ત્રી છે. અંગ્રેજી ભાષામાં ‘I’ (હું) પરથી બોલનારની જાતિ નક્કી થઈ શકતી નથી એટલે સંભાષક પુરુષ હોવાની શક્યતા પણ નકારી ન શકાય. બીજું, કવિતામાં એક બહેન ઉપર કરવામાં આવેલા અત્યાચારની વાત છે એટલે એવો પણ વિચાર આવે કે સંભાષક પણ સ્ત્રી જ હોય તો એ શા માટે વરસોથી ચાલી આવતા આ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી ગઈ છે? એક વાત એવી સમજી શકાય છે કે બે બહેનો (સંભાષક જો બહેન હોય તો) વચ્ચે ઉંમરનો તફાવત બહુ વધારે હોવો જોઈએ અને ઘણા વરસો પછી પણ આજે સંભાષકની ઉંમર એટલી વધુ નથી કે એ એજ અત્યાચારનો ભોગ બને જેનો ભોગ મોટી બહેન બની રહી છે અથવા અત્યાચારીને એનામાં રસ જ નથી.

વાત incest ની છે. ઇન્સેસ્ટ (incest) અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. લેટિન શબ્દ incestus પરથી આ શબ્દ ઊતરી આવ્યો છે, જેનો અર્થ એ જમાનામાં ‘ચારિત્ર્યહીન’ જેવો વ્યાપક હતો, આજની જેમ માત્ર ગૌત્રગમન પૂરતો સીમિત નહોતો. Incestus શબ્દ cestonના વિરોધી શબ્દ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ વિનસનો કમરબંધ થાય છે જે મર્ત્યલોકોને લગ્નમાં બાંધી રાખે છે. વ્યભિચાર એટલે કે આ કમરબંધ ખોલી નાંખવો. બાપ-દીકરી-, મા-દીકરો, ભાઈ-બહેન કે નજીકના સગાંઓ શારીરિક સંભોગની ક્રિયામાં જોડાય એ ઘટનાને મોટાભાગના સમાજમાં શરૂથી હીણપતભર્યું ગણવામાં આવ્યું છે. કેટલાક સમાજમાં નજીકના સગાંઓમાં લગ્ન પણ માન્ય ગણાય છે પણ મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને તો કોઈ જ બહાલી આપતું નથી. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે. પણ ગ્રીસમાં અલગ-અલગ માથી જન્મેલા એક જ બાપના સંતાનો કે કાકા-ભત્રીજીઓ વચ્ચે લગ્ન શક્ય હતા. પ્રાચીન ઇજિપ્તમાં પણ રાજવંશને જીવતો રાખવા માટે પરિવારમાં જ શારીરિક સંબંધો બાંધવામાં છોછ નહોતો. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસ એની નાટકત્રયીમાં ઇડિપસ અને એની માતા વચ્ચે અજાણતાં બંધાતા શારીરિક સંબંધ અને એમાંથી જન્મતી કરુણાંતિકા વર્ણવે છે. મા અને દીકરા વચ્ચેના આકર્ષણને મનોવૈજ્ઞાનિકો ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ તરીકે ઓળખે છે. એનાથી વિપરીત ‘ઇલેક્ટ્રા કોમ્પલેક્સ’ છે જેમાં છોકરી બાપનો પ્રેમ પામવા માટે માની સાથે હરીફાઈ કરે છે. દીકરાનું માની સાથેનું અને દીકરીનું બાપની સાથેનું ખેંચાણ જાણીતું જ છે પણ જ્યારે ઉપરછલ્લું છાનું ખેંચાણ યેનકેન પ્રકારે શરીરસંબંધ સુધી ઊંડુ ઊતરે છે ત્યારે પરિવારમાં ભૂકંપ થાય છે.

લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ‘રિપબ્લિક’માં સૉક્રેટિસ કહે છે, ‘સ્વપ્નમાં મનુષ્યની પાશવી વૃત્તિઓ મુક્ત થાય છે; આ પાશવી પાસું ખ્યાલોમાં મા સાથે કે અન્ય કોઈપણ સાથે સૂવાની કોશિશથી મુક્ત નથી.’ તો સાડી છસો વર્ષ પહેલાં ‘કેન્ટરબરી ટેલ્સ’માં ચૌસર કહે છે, ‘આ એવું ઘૃણાપાત્ર પાપ છે જેના વિશે ભાગ્યે જ બોલાવું કે લખાવું જોઈએ. આ પાપ કરનારા કૂતરા સમાન છે, જેઓ ભાઈભાંડુ તરફ ધ્યાન આપતા નથી.’

સગો બાપ ઊઠીને સગી દીકરી પર નજર બગાડે છે અને ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય એ વખતે
દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. એક યા બીજા કારણોસર દીકરી મોં ખોલી શકી નથી એટલે જમ ઘર ભાળી ગયો અને એકવારનો બળાત્કાર રોજની ઘટના અને વરસોવરસની ઘટના બની ગઈ. પોતાના વીર્યમાંથી જેનો પિંડ રચાયો છે એના જ ગર્ભાશયમાં પોતાનું વીર્ય ખાલી કરતા બાપની બર્બરતા કોઈરીતે માફ કરી શકાય એમ નથી પણ આ ઘરેલુ હિંસા છે, યુગયુગોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી છે જ નહીં, એક વાસણ બનીને રહી જાય છે, જેમાં રોજ રાત્રે એ પોતાની ગંદકી ખાલવી શકે છે.

નાયિકા ખબર નથી કે કંઈ કેટકેટલીવાર કોશિશ કરી રહી છે પોતાના પિતાને પોતાની મોટી બહેનના ઓરડામાં જતા અટકાવવા માટે પણ એ આજ સુધી કદી સફળ થઈ નથી. એ છુપાઈને આખી ઘટના જોતી આવી છે. જ્યાં છે ત્યાંથી વાંકી વળીને એ પોતાના પિતાની આંખોમાં જોવા ઇચ્છે છે પણ કશું જોઈ શકતી નથી. કેમકે રાત ઢળી ચૂકી છે, બધા સૂઈ ગયા છે અને હૉલમાં માત્ર અંધારું છે. નાયિકા વર્તમાનને ભૂત સાથે સાંકળે છે. કહે છે, ભૂતકાળના ગર્ભમાં બધું જ પરફેક્ટ છે અને કશું જ બદલાતું નથી. પાણીનો ગ્લાસ બાથરૂમમાં પડે છે અને તૂટતાં પહેલાં એકવાર ઊછળે છે. બરાબર એ જ રીતે, જે રીતે બહેન તૂટતાં પહેલાં ઊછળી હશે? તૂટતા પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ કદાચ એ વાતનું પણ પ્રતીક છે કે એકવાર દીકરી બાપને ઓરડામાં આવતા રોકે છે પણ બાપ ફરીથી ઢીંચીને આવે છે અને દીકરીનું શિયળ ભાંગે છે. હવે કશું જ બચ્યું નથી. કંઈ જ નહીં. બાપના શરીર અને અત્યાચાર-બંનેની નીચે કચડાયેલી-દબાયેલી બહેનના મોંમાંથી ખૂબ નાનો અવાજ પણ પાસું બદલતી વખતે માંડ નીકળી શકે છે. કૂતરો પણ પોતાની પૂંછડી જમીન સાથે ઠોકીને અવાજ કરતો નથી જ્યારે એ એક આંખ ઊઘાડીને દારૂડિયા ઘરમાલિકને ઠોકર ખાતો જુએ છે. મૂંગુ પ્રાણી પણ સહમી ગયું છે. એ એકસાથે બે આંખ પણ ઊઘાડી શકતો નથી. નાની બહેન જેમ વાંકી વળીને અંધારામાં ડોકિયાં કરવાથી વધુ કંઈ કરી શકતી નથી એજ રીતે કૂતરો પણ ચુપ રહેતાં શીખી ગયો છે. નાયિકા જાણે છે કે આખો ઘટનાક્રમ પોતે જે રીતે જાણે છે અને વિચારે છે એ જ રીતે ઘટી રહ્યો છે. એ બહેનને ચેતવણી આપવા માંગે છે પણ એના હોઠોમાંથી બહેનનું નામ અને ચેતવણીનો ફુત્કાર એક ફુસફુસાહટ બનીને જ રહી જાય છે, જે વરસોથી બીજું કોઈ સાંભળી શક્યું નથી, એની બહેન સુદ્ધાં નહીં. કૂતરો રોજ ચોંકે છે અને ઘુરકેય છે પણ પછી માલિકને જોઈને શાંત થઈ જાય છે. આ જુલમ હજી પૂરો થયો નથી. હજી પણ રોજ દરવાજો ખુલે છે, બાપ દીકરીના ઓરડામાં ઘુસે છે, દીકરી પાસું બદલતાં ઊંહકારો કરે છે જે રાતના અંધારામાં ઓગળી જાય છે…. નાયિકા બહેનને મદદ ન કરી શકવાના જે અપરાધભાવથી પીડાય છે એ એની ફુસફુસાહટથી ઉપર ન વધી શકતી ચેતવણીથી ઈંગિત થાય છે.

કવયિત્રી આપણી શ્રાવણેન્દ્રિયને હાથમાં ઝાલીને પોતાનો હેતુ સિદ્ધ કરે છે. દૃશ્ય ક્યાંય છે તો નહીં બરાબર છે. પિતાનું દીકરીના રૂમમાં જવું, ખંડમાં અંધારું હોવું કે કૂતરાનું એક આંખ ખોલી જોવું- આથી વિશેષ કવયિત્રી આપણને બતાવતા નથી. જે બને છે એ અંધારામાં દરવાજાની પાછળ બને છે જેને નાયિકા અને એ રૂએ આપણે જોઈ શકતા નથી. કવિતાનો ખરો નાયક અવાજ છે. અવાજના રસ્તે ચાલીને કવિતા આપણા અંતરમાં પ્રવેશે છે. અવાજ પણ સાવ નહીંવત્ છે. બાથરૂમમાં ગ્લાસના ફૂટવાનો અવાજ, દીકરીનો અવાજ, કૂતરાની પૂંછડીના અવાજની ગેરહાજરી, નાયિકાની ફુસફુસનો અવાજ- બધું જ દબાયેલું છે પણ આ અવાજ જેટલો નીચો છે, કવિતામાંથી ઊઠતો આર્તસ્વર એટલો જ તીવ્ર અને ઊંચો છે. ડાયન ચેમ્બર્લિન કહે છે, ‘ઇન્સેસ્ટ એક મૂંગો રોગચાળો છે. દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ આનો ભોગ બને છે, જેમાંથી ચર્ચ પણ બાકાત નથી.’ આપણે પણ જાણીએ જ છીએ કે સમાજમાં આવા નરાધમો આપણી અડખેપડખે ક્યાંક અસ્તિત્વ ધરાવે જ છે. આંકડા તો જેટલી ઘટનાઓ છાપાંના પાને ચડે છે એ જ બોલશે પણ મોટાભાગનાઓના અસ્તિત્વથી આપણે અપરિચિત જ રહીએ છીએ. સાચા આંકડા તો અનેકગણા મોટા જ હોવાના કેમકે કૌટુંબિક બળાત્કાર એટલો બધો અંગત વ્યભિચાર છે કે મોટાભાગના લોકો પોતાની જાંઘ ઊઘાડી કરી શકતા નથી. છાપાંના સમાચાર તરીકે નહીં પણ પણ એક કવિતાના સ્વરૂપે આ ઘટના જ્યારે આપણી સામે આવી ઊભે છે ત્યારે આપણે આનખશિખ સળગી ઊઠીએ છીએ. પણ કંઈ કરી શકતાં નથી. કવયિત્રી પણ સમસ્યા આપણી સામે મૂકે છે, કોઈ ઉકેલ નથી મૂકતાં. જો કે કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ ભાવકનો સમસ્યા સાથે સાક્ષાત્કાર કરાવવાનું. ભાવકની સંવેદના જાગે અને ભાવક પછી શું કરે એ કવિતાએ જોવાનું છે જ નહીં…

વિશ્વાસ કોઈપણ સંબંધનું ચાલકબળ છે અને કુટુંબનો તો એ પ્રાણ છે. જે મા-બાપે જન્મ આપ્યો અને ઊછેર્યા એ મા-બાપ પર કયા સંતાન અવિશ્વાસ કરશે? મા-બાપ અને સંતાન વચ્ચેનો ભરોસો એ સૃષ્ટિનો સૌથી મજબૂત તાંતણો છે એટલે જ આજના લેખક ઇ. સ્યુ બ્લુમ કહે છે: ‘ઇન્સેસ્ટ જબરદસ્તીથી વસૂલાયેલો બળાત્કાર છે. બાળકનું બાળપણ જ એને કાબૂમાં રાખવા માટેનું હથિયાર બની રહે છે.’ પ્રેમને તો સરહદ છે પણ વાસના દરેક અંતિમોથી ફરી શરૂ થાય છે. વાઘ લોહી ચાખી જવા જેવી કે જમ ઘર ભાળી જવા જેવી આ વાત છે. શોષિત વ્યક્તિ જે ઘડીએ હોઠ ખોલીને ફરિયાદ કરી શકતી નથી એ ઘડીએ જ એના શોષણની વણથંભી અંતહીન હારમાળા પ્રારંભાય છે. એલન જાન્કોવ્સ્કીની કટાક્ષપ્રચુર કવિતા ‘ઇન્સેસ્ટ ઇઝ બેસ્ટ’માં બાપ દીકરીને કહે છે કે ઇન્સેસ્ટ એ સારો રસ્તો છે, આ એવી રમત છે જે આખો પરિવાર રમી શકે છે. અંતે એલિઝા ટોરિસની કવિતા ‘Daddy’s bed girl’ જોઈએ, જેના શીર્ષકમાં વપરાયેલ bed શબ્દ ‘પથારી’ અને ‘ગંદી’ –બંને અર્થચ્છાયા ધરાવે છે:

‘તું કેટલી ડાહી દીકરી છે!”
ખાટી વ્હિસ્કીવાળો શ્વાસ મારા ગાલ સાથે અથડાય છે.
“તને આ જોઈએ છે ને?”
હું માથું ધુણાવું છું, શ્વાસ લેવા, બૂમ પાડવા મથતી ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બની રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

છૂક છૂક ગાડી -રૂપાંગ ખાનસાહેબ

સ્વર: રૂપાંગ ખાનસાહેબ
સંગીત: મેહુલ સુરતી

.

છૂક છૂક છૂક છૂક
છૂક છૂક કરતી
ઉપડી જુઓ ગાડી
ગાર્ડ બતાવે લીલી ઝંડી
એન્જીને ચીસ પાડી …

આડા ઉભા વાંકા ચૂકા સાથે દોડે પાટા
ગામ ઠામ ને શહર નગરને જોડે છે આ પાટા

ઝાકળ ધુમ્મસ વાદળ વર્ષા વૃક્ષ પવનને મેઘધનુષ
પર્વત જંગલ ઝરણા નદીઓ સાથે મળીને ગાતાં

છૂક છૂક ગાડી આગળ જાતી સ્ટેશન ઊંધા જાતા

ડબ્બાની આગળ છે ડબ્બો
ડબ્બાની પાછળ છે ડબ્બો
હાલમ ડોલમ થાય છે ડબ્બો
ડોલમ હાલમ થાય છે ડબ્બો

ટીકીટ બતાવો ટીકીટ બતાવો કહેતો ફરતો
ટી ટી પહેરી કાળો ઝબ્ભો

ધરમ કરમનો ભેદ ભૂલીને હિંદુ મુસ્લિમ
શીખ ઈશાઈ સૌને લઈને ચાલી

ગાર્ડ બતાવે લીલી ઝંડી એન્જીને ચીસ પાડી..
છૂક છૂક….
-રૂપાંગ ખાનસાહેબ

વિશ્વ માતૃભાષા દિવસ

આજે 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ. આપણા વ્હાલા સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલો આ સંદેશ સીધ્ધો તમારા સુધી… સૌ ને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે..!!

19મી સદીના મધ્યકાળમાં ડોકિયું કરવા જેવું છે. 1844માં અમદાવાદમાં કલાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલાક ફૉર્બસ અધિકારી તરીકે આવે છે, ગુજરાતી શીખવાની તત્પરતા બતાવે છે, શિક્ષક શોધે છે, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામનું નામ સૂચવે છે, ફૉર્બસસાહેબને ગુજરાતી શીખવવા દલપતરામ ખૂબ જહેમત વેઠી વઢવાણથી પગપાળા પ્રવાસ કરી અમદાવાદ આવે છે. બંને વચ્ચેની મૈત્રીનું પરિણામ એટલે અનેક પુસ્તકાલયો, અને સામાજિક સુધારાવાદી અને ભાષાલાક્ષી પ્રવૃત્તિઓ….

ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ તરીકે આમ કહે છે-

‘ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું,
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું,
માંડતા મુકદમાને ચાર જણા ચૂંથશે તો
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’
આવી દલીલ કોને ગળે ન ઉતરે?

ઉમાશંકર જોશી કહે છે તેમ-
‘ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણચરણરજ પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી’

.

– અમર ભટ્ટ

ગ્લૉબલ કવિતા: ૬૪ : પુરાતન ખલાસીની કવિતા- સેમ્યુઅલ ટેઇલર કોલરિજ

The Rime of the Ancient Mariner

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– Samuel Taylor Coleridge

પુરાતન ખલાસીની કવિતા

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

પીંછીના બદલે કલમથી દોરાયેલા અમર ચિત્રો…

શેક્સપિઅરનો હેમ્લેટ કહે છે: ‘નાટકનો હેતુ પહેલાં પણ અને આજે પણ પ્રકૃતિ સામે અરીસો ધરવાનો (“Hold mirror up to the nature”) જ હતો અને છે-સારાને સારો અને ખરાબને ખરાબ બતાવવાનો.’ કવિતા સમાજનો અરીસો છે. એ સમાજને એનો ચહેરો જેવો છે એવો જ દેખાડવાનું કામ કરે છે. મનુષ્યજીવનની મર્યાદાઓ, ક્ષતિઓ, દુર્ગુણો પર પ્રકાશ ફેંકીને કવિઓ સમાજને સાચા જીવનનો રાહ દેખાડવાનું કામ કરે છે. અભિમાન પણ આવો જ એક દુર્ગુણ છે. અભિમાનના અરીસામાં સર્વનાશ સિવાય કંઈ જ નજરે ચડતું નથી. રાવણ તરફ જુઓ કે કંસ તરફ, દુર્યોધન તરફ જુઓ કે હિરણ્યકશ્યપ તરફ –અભિમાનના નશામાં જે જે ચૂર થયા છે એ વયષ્ટિ અને સમષ્ટિ માટે વિનાશ જ લાવ્યા છે. કોલરિજ એની વિશ્વપ્રસિદ્ધ કવિતામાં આ વાત આગવા અંદાજ થી કરે છે.

સેમ્યુઅલ ટેઇલર કોલરિજ. લગભગ સાડી ત્રણસો વર્ષ પૂર્વે ૨૧-૧૦-૧૭૭૨ના રોજ ડેવોનશાયર ખાતે એક પાદરી અને શાળાશિક્ષકને ત્યાં તેરમા સંતાન તરીકે જન્મ. દસ વર્ષની ઊંમરે પિતાનું અવસાન. દસ વર્ષની ઊંમરે લંડન ભણવા ગયા ને દસ વર્ષ ત્યાં રહ્યા. ઊંમરના પ્રમાણમાં ખૂબ પ્રતિભાશાળી. મા-બાપ અને મિત્રોના અભાવમાં ભયંકર એકલતામાં જીવ્યા. પણ આનો ફાયદો એ થયો કે એ પારંપારિક શાસ્ત્રીય સાહિત્યના ઊંડા અભ્યાસુ અને તત્ત્વ તથા ધર્મના પ્રખર મીમાંસુ બન્યા. એ પછી કેમ્બ્રિજ ગયા પણ આઝાદી અને પ્રજાસત્તાકનું ભૂત માથે સવાર થયું એટલે સેનામાં જોડાયા પણ કંઈ ખાસ ઊકાળ્યા વિના જ કેમ્બ્રિજ પાછા ફર્યા પણ ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી. ‘લેક પોએટ’ રૉબર્ટ સાઉથીની સાળી સારાહ ફ્રિકર સાથે જલ્દબાજીમાં પરણી ગયા ને પછી કલ્પદ્વીપ (યુટોપિઆ)ના સર્જનમાં મચી પડ્યા. બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી એમણે ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી. ટૂંકસમયમાં જ વાસ્તવિક્તાની કાલિમાથી સુપેરે અવગત થયા. કલ્પનાનું રામરાજ્ય પડી ભાંગ્યું, લગ્નજીવનની ઉતાવળ માથે વાગી અને ગરીબીનો ભોગ બન્યા તે નફામાં. ૧૭૯૭માં વર્ડ્સવર્થ ભાઈ-બહેન સાથેની એમની જગપ્રસિદ્ધ મૈત્રી પ્રારંભાઈ. બંને માટે આ મૈત્રી વરદાનરૂપ બની. બંને એ ભેગા થઈને ‘લિરિકલ બેલડ્સ’ પુસ્તક પ્રગટ કર્યું જેની લોકપ્રિયતા આજે પણ ચરમસીમાએ છે. આ સીમાચિહ્ન પુસ્તકથી ઉત્કૃષ્ટ અહંકારી કવિતાનો યુગ શરૂ થયો. ‘રોમેન્ટિક યુગ’ના અગ્રણી પ્રણેતા. ‘લેક પોસ્ટ્સ’માંના એક. બિનશરતી વર્ષાસન મળતાં નાણાંભીડ પૂરી થઈ. વર્ડ્સવર્થની સાળી સારાહ હચિન્સનના પ્રેમમાં પડ્યા. નાનપણથી એકલતા અને માનસિક બિમારીના શિકાર હતા જે અફીણની આજીવન લતમાં પરિણમી. શારીરિક બિમારીઓ પણ ઘેરી વળી. વર્ડ્સવર્થ સાથેની દોસ્તી જેટલી ગાઢ હતી એવી જ બે વર્ષ જેટલી ટૂંકી દુશ્મની પણ થઈ, જે જો કે પૂર્વવત્ મૈત્રીમાં કદી પરિણમી ન શકી. ૨૫-૦૭-૧૮૩૪ના રોજ અફીણ સાથે સંલગ્ન ફેફસાંની બિમારી અને હાર્ટ ફેઇલ્યરના કારણે નિધન.

તીવ્ર કલ્પના શક્તિ એમની કવિતાનો પ્રધાન રંગ છે. કવિતાના એવા કુશળ કસબી કે એમના સર્જનમાંથી ભૂલ શોધવી અઘરી થઈ પડે. ‘ક્રિસ્ટાબેલ’માં એમણે જે છંદ પ્રયોજ્યો તે આજે ‘ક્રિસ્ટાબેલ મીટર’ તરીકે ઓળખય છે, આના પરથી એમની કાવ્યકુશળતા સમજી શકાય છે. અલૌકિક જગત, ખાસ કરીને પ્રેતાત્માઓ અને દુનિયાની અસ્પષ્ટતાઓ એમની રચનાઓમાં સતત દૃષ્ટિગોચર થાય છે. અવિશ્વાસનો સ્વૈચ્છિક અનાદર (The willing suspension of disbelief)માં તેઓ માનતા અને એમની રચનાઓ વાચકને બે પળ માટે એ વાત ભૂલાવી દેવામાં સફળ પણ થાય છે કે વાસ્તવજગતમાં આ શક્ય જ નથી. કાવ્યકળામાં એ એટલા પાવરધા હતા કે કાવ્યસૌંદર્ય અર્થ-સમજણની ઉપરવટ ક્યારે પહોંચી ગયું એ ભાવક કળીય નથી શકતો. અને આ બધા સાથે ભાષાની સહજતા પણ એમને સાધ્ય હતી. એમના પ્રવચનો, કવિતાઓ, શેક્સપિઅરનું વિશ્લેષણ, જર્મન ફિલસૂફ કેન્ટના અનુવાદો –આ તમામ સર્વકાલીન ઉત્તમોત્તમ સાહિત્યમાં મોખરાનું સ્થાન પામ્યા છે. નાજુક તનદુરસ્તી, માનસિક બિમારીઓ, અફીણની ઊંડી લત, તત્ત્વમીમાંસા અને આધ્યાત્મનો ચસકો, પ્રેમમાં સતત નિષ્ફળતા, એકલતા –આ બધાની વચ્ચે થઈને પણ જે ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા તથા કવિતાના સ્વરૂપ અને અભિવ્યક્તિ પરની હથોટી તરી આવે છે એ અભૂતપૂર્વ છે.

‘ધ રાઇમ ઑફ એન્શન્ટ મરિનર’નો જન્મ વર્ડ્સવર્થ સાથેની દોસ્તીમાંથી થયો. બંનેએ બે જાતની કવિતાઓ રચવી નક્કી કર્યું. વર્ડ્સવર્થ રોજબરોજની જિંદગી અને વાસ્તવિક્તાને વિષયવસ્તુ બનાવીને રચનાઓ કરે અને કોલરિજ અતિપ્રાકૃત-અલૌકિકને વિષયવસ્તુ બનાવીને તીવ્ર કલ્પનાશક્તિથી અગોચર વિશ્વની ઘટનાઓને વાસ્તવિક લાગે એ રીતે રજૂ કરે અને બંને મિત્રો સંયુક્તરીતે ‘લિરિકલ બેલડ્સ’ બહાર પાડે એમ નિર્ધારાયું, જેની એક ફળશ્રુતિ એટલે કોલરિજની આ કવિતા. કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાં વહેંચાયેલ આ દીર્ઘ કાવ્યના બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. અંગ્રેજી ‘બેલડ’(લોકગીત-કથાકાવ્ય)નું સ્વરૂપ કોલરિજે અપનાવ્યું છે પણ સભાન આઝાદી સાથે કામ કર્યું છે. કથાકાવ્યની લાક્ષણિકતાઓ જેમકે, લાઘવ, સીધી મોઢા પર થતી વાત, નાટ્યાત્મક વળાંક અને પુનરોક્તિ ને પુનરાવર્તન કોલરિજ બખૂબી પ્રયોજે છે. થોડા અપવાદ બાદ કરતાં કાવ્યરચના ચતુષ્ક પ્રકારે જેમાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવાયા છે. અંગ્રેજી કવિતામાં સૌથી વધુ વપરાતા ‘આયંબ’ (લઘુ-ગુરુ શબ્દાંશ)ને કુશળતાપૂર્વક કોલરિજ પહેલી અને ત્રીજી પંક્તિમાં આઠ અને બીજી-ચોથીમાં છ શબ્દાંશ (સિલેબલ્સ) વાપરીને પ્રયોજે છે. આ દીર્ઘકાવ્ય કોલરિજની ઉત્કૃષ્ટ કવ્યકળાનો બેનમૂન દાખલો છે પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે એના ચાહકો કરતાં ટીકાખોરો વધુ હતા. આ કવિતા એક ઘરડા ખલાસીની વાર્તા છે પણ કોલરિજ એના માટે વૃદ્ધના બદલે પૌરાણિક (Ancient) વિશેષણ વાપરીને જૂની અંગ્રેજી ભાષાના ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો તૈયાર કરે છે. પૌરાણિક શબ્દપ્રયોગ કોઈક ખૂબ પ્રાચીન પણ અમૂલ્ય સંપદા તરફ પણ ઈશારો કરે છે. બીજું, Rhyme એટલે કે પ્રાસપ્રધાન કવિતાના બદલે એ Rime શબ્દ પ્રયોજે છે, જે એક તરફ તો જૂની અંગ્રેજી ઈંગિત કરે જ છે પણ એનો બીજો અર્થ ફ્રોસ્ટ (હિમાચ્છાદન) થાય છે. કવિતાનો મુખ્યાંશ એન્ટાર્ક્ટિક સમુદ્રમાં છે જ્યાં બરફ જ બરફ જોવા મળે છે. ખલાસીનો ખુદનો દેખાવ અને વ્યક્તિત્વ પોતે પણ હિમાચ્છાદિત હોય એવા રહસ્યમયી ભાસે છે. કવિતાની પ્રથમ આવૃત્તિ જૂની ઢબની જોડણીના કારણે ખૂબ વગોવાઈ હતી, જેને કોલરિજે બીજા પ્રકાશન વખતે સુધારી હતી અને જરૂરી ટૂંકનોંધો પણ ઉમેરી હતી.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

પહેલા ભાગના અંતે ખલાસી આલ્બાટ્રોસનો શિકાર કરે છે. એ પછીના બીજા ભાગના કેટલાક ચતુષ્ક કોલરિજની અફલાતૂન કથાક્ષમતાના બદલે દૃશ્યચિત્ર દોરવાની બેનમૂન આવડત રજૂ કરવાની નેમ સાથે અહીં લીધા છે. પહેલા ચતુષ્કમાં જે દરિયામાં આ અગાઉ કોઈ કાળા માથાનો મનુષ્ય પહોંચ્યો જ નથી એ દરિયામાં આ વૃદ્ધ ખલાસીનું જહાજ પહોંચે છે એ વાત છે. સાનુકૂળ હવા વીંઝાઈ રહી છે અને વહાણ ચાલવાથી ફીણ ઊછળે છે. જહાજની પાછળ પાણીમાં પડતો ચીલો મુક્તમને પડે છે એમ કહીને કોલરિજ નિરવરોધ ગતિ દોરી આપે છે. પણ બીજા ચતુષ્કમાં અચાનક જ પવન પડી જાય છે, સઢ ઢળી પડે છે અને દુઃખ પોતે જેનાથી વધુ દુઃખી ન થઈ શકે એવી ગ્લાનિ અનુભવાય છે. કોઈપણ પૂર્વચેતવણી વગર આવતો ૧૮૦ ડિગ્રીનો આવો વળાંક ‘પારંપારિક કથાકાવ્ય’ની લાક્ષણિકતા છે, જે કોલરિજ કુશળતાપૂર્વક પ્રયોજે છે. દરિયાનું મૌન ખલાસીઓની વાચા ગળી ગયું હોય એમ કોઈ કામ વગર બોલતું નથી. દિવસો પસાર થાય છે પણ હવાનું નામોનિશાન ન હોવાથી નિઃસ્તબ્ધ સમુદ્રમાં જહાજ એ હદે ગતિહીન ઊભું છે કે આ થીજી ગયેલું દૃશ્ય ચિત્ર જેવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લાકડાના પાટિયાં તો પાણી પર તરે પણ કોલરિજ પાટિયાં સિક્કે ડૂબી રહ્યાં છે એમ કહે છે, જાણે જેમ પીવાના પાણી વિના ગળું એમ લાકડું સૂકાઈને ડૂબવા ન માંડ્યું હોય! ‘બેલડ’ની એક લાક્ષણિકતા મુજબ ચારે બાજુ પાણી જ પાણીની વાત દોહરાવીને એ વળી તરસની પરાકાષ્ઠા નિર્દેશે છે. આ કલ્પનો આજે કદાચ ચવાઈને ચુથ્થો થઈ ગયાં છે પણ સાડી ત્રણસો વર્ષ પહેલાં આ કલ્પનો પહેલવહેલાં વપરાયાં હશે ત્યારે કેવા ચમત્કારી લાગ્યાં હશે! દુષ્કાળના પરિણામે સૌની જીભ છેક મૂળથી જાણે ચીમળાઈ ગઈ હતી. તરસના કારણે ગળાં એવાં સૂકાઈ ગયાં હતાં કે બધાના મોંમાં કોઈએ મેંશ ભરી ન દીધી હોઈ એમ કોઈ બોલી શકવા શક્તિમાન નહોતા. ખલાસી વિચારે છે કે કેવો ખરાબ દિવસ ઊગ્યો કે જહાજ પરના નાના-મોટા દરેક એની સામે ગંદી નજરે જુએ છે અને સૌની આ દુર્દશા માટે એને જ જવાબદાર ગણાવે છે. ખ્રિસ્તીઓ ગળામાં ક્રોસ લટકાવે એના સ્થાને એના સાથીઓએ એના ગળામાં એણે જેનો વધ કર્યો હતો એ આલ્બાટ્રોસ જ વીંટાળી દીધું.

પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશને મોક્ષની કથા પણ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ રચના પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે. કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે, ભૂંસાતી આવી છે, ભૂંસાતી રહેશે પણ કેટલીક કવિતાઓ હૉમરના ‘ઇલિયાડ’-‘ઑડિસી’, દાન્તેની ‘ડિવાઇન કોમેડી’, મિલ્ટનની ‘પેરેડાઇઝ લૉસ્ટ’, વાલ્મીકીના ‘રામાયણ’ કે વ્યાસના ‘મહાભારત’ની જેમ અમરપટો લખાઈને આવી હોય છે. કોલરિજની આ કવિતા એમાંની એક છે.

ચાંદામામા આવો ને -એની સરૈયા

સંગીત: આશિત દેસાઈ

.

ચાંદામામા આવો ને
આંગળીએ વળગાડી મુંજને
આભે તેડી જાઓને

ચાંદામામા દેશ તમારે
તારકટોડી ભાળી રે
રાત પડે અંધારી ત્યારે
રાસ રમે દઈ તાળી રે
તારલીયોની સંગે મુજને
રમવાને લઇ જાઓને … ચાંદામામા

ચાંદામામા દેશ તમારે વાદળિયોને ભાળી રે
રાત પડે ત્યારે સંતાકૂકડી
રમે બધીએ રૂપાળીરે
વાદળીયોની સંગે મુજને
રમવાને લઇ જાઓને … ચાંદામામા
– એની સરૈયા

ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન

Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

નેક્સ્ટ, પ્લીઝ

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,

આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

મનુષ્યજીવનની એકમાત્ર નિશ્ચિત વસ્તુ કઈ?

આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભક્તિભાવપૂર્વક આપણે સહુ ઊજળી આવતીકાલની રાહ જોઈએ છીએ અને દૃઢતાપૂર્વક માનીએ છીએ કે કેમકે આપણી ઈંતેજારી, આપણી આવતીકાલ માટેની શ્રદ્ધા સો ટકા પ્રામાણિક છે અને સર્વાંગસંપૂર્ણ છે, એ ફળવી જ રહી. હકીકત એ છે કે આવતીકાલના ગર્ભમાં આપણા સહુના માટે એક અને માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત છે અને તે છે મૃત્યુ. મૃત્યુ સિવાય જિંદગીમાં બીજું કશું જ ગેરેંટેડ નથી એ વાતને ખૂબ જ અદભુત રીતે ફિલિપ લાર્કિન આપણી સમક્ષ લઈ આવે છે.

ફિલિપ આર્થર લાર્કિન. કવિ. નવલકથાકાર. નિબંધકાર. ૦૯-૦૮-૧૯૨૨ના રોજ કોવેન્ટ્રી, યુ.કે. ખાતે સિડની અને ઇવા લાર્કિનને ત્યાં જન્મ. પિતા શહેરના ખજાનચી હતા. શાળાના સામયિકમાં લાર્કિનની રચનાઓ નિયમિતપણે આવતી એ ઉપરાંત એ સામયિકના સંપાદનમાં પણ મદદગાર બનતા. બાળપણ એકલવાયું. તોતડાતા પણ ખરા. નબળી આંખોના કારણે આર્મીમાં ન જઈ શક્યા. ઓક્સફર્ડમાં અંગ્રેજી ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે ભણ્યા. આજીવન લાઇબ્રેરિઅન. જાઝ સંગીતના શોખીન. કોલેજમાં ‘સેવન’ નામનું ગ્રુપ પણ બનાવ્યું. લાંબા સમય સુધી એક જ સમયગાળામાં એકાધિક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ. વિકીપીડિયા એમના જાહેર વ્યક્તિત્વને ‘નો-નોનસેન્સ’ કહીને સંબોધે છે. જાહેરજીવનથી બહુધા દૂર. માન-સમ્માનની દૃષ્ટિએ અલગારી જીવ. ૧૯૮૪માં ઇંગ્લેન્ડના રાજકવિ તરીકેનું બહુમાન જવાબદારીનો બોજો સ્વીકારવો ન હોવાના કારણોસર નકાર્યું. નવલકથાકાર થોમસ હાર્ડી એમના માટે મોટો પ્રેરણાસ્ત્રોત પણ અને હાર્ડીને કવિ તરીકેનું બહુમાન અપાવવામાં એમનો ફાળો પણ નોંધપાત્ર. ૦૨-૧૨-૧૯૮૫ના રોજ અન્નનળીના કેન્સરથી અવસાન.

ઉદાસી એમની કવિતાઓનો પ્રધાન સૂર હતો. લાર્કિને પોતે કહ્યું હતું કે વર્ડ્સવર્થ માટે જે સ્થાન ડેફોડિલ્સનું હતું, એ એમના માટે વંચિતતા-વિપદાનું છે. મૃત્યુ અને માનવજીવનની ‘ડાર્ક’ રમૂજ સાથે વળગણ. માર્મિક અલ્પોક્તિ એમની કવિતાને ધારદાર બનાવે છે. એમના ગીતો રચનાની દૃષ્ટિએ સંપૂર્ણ પણ પૂરતાં લવચિક છે. પ્રાસ, છંદ, અંતરા જેવા પારંપારિક સાધનો જ એ પ્રયોજે છે પણ ધ્વનિ સાવ નોખો જ તરી આવે છે. ૧૯૫૪ની સાલમાં ઇંગ્લેન્ડમાં ‘ધ મૂવમેન્ટ’ નામે ચળવળ થઈ જેનો પ્રધાન કાકુ આધુનિકતાવાદ, રોમેન્ટિસિઝમ, પ્રયોગખોરી જેવા કવિતાના કૃત્રિમ સાધનોનો વિરોધ કરી પરંપરાગત, સરળ, સહજ કવિતા તરફનો હતો. વિશ્વયુદ્ધ પછીના સમયમાં જિંદગીને યથાતથ સ્વીકારીને કવિતાને કૃત્રિમ ઘરેણાંઓથી શણગારવાના બદલે રોજબરોજના અનુભવો અને ‘કોમનસેન્સ’ વડે અંગ્રેજી કવિતાની મૂળભૂત સંયમી પ્રકૃતિ અને સ્વભાવગત તાકાત બહાર લાવવી એ આ કવિઓનો હેતુ હતો. લાર્કિન ‘મૂવમેન્ટ’ના નવ કવિઓમાંના એક હતા. જોકે એમની કવિતાઓ આધુનિકતાની નહીં પણ યાંત્રિકતાની વિરોધી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના બ્રિટનના સૌથી ચહીતા કવિ ગણાયા. ‘ધ ટાઇમ્સ’ પણ એમને યુદ્ધ પછીના બ્રિટનના શ્રેષ્ઠતમ કવિ ગણાવે છે.

અવશ્યંભાવી મૃત્યુ લાર્કિનની કવિતાનો અવિનાભાવી રંગ છે. લાર્કિનની કવિતાઓમાં મૃત્યુ એટલું બધું જીવંત છે કે ‘રોમન કેથલિક ઑફિસ ફોર ધ ડેડ’માંનું લેટિન વાક્ય યાદ આવે- ‘Timor mortis conturbat me’ – મૃત્યુનો ડર મને પરેશાન કરે છે. ‘ઑબેડ’(Aubade)ની થોડી પંક્તિઓ જોઈએ. કહે છે કે આ એક જ કવિતા કવિને અમરત્વ બક્ષવા પૂરતી હતી: ‘નિશ્ચિત વિનાશ તરફ આપણે મુસાફરી કરીએ છીએ અને એમાં જ ખોવાઈ જઈએ છીએ કાયમ. અહીં હોવા માટે નહીં, ક્યાંય હોવા માટે નહીં, અને જલ્દી જ; કંઈ જ વધુ ભયાનક નથી, કંઈ જ વધુ સાચું નથી.’ આજ કવિતામાં એ મૃત્યુને આ રીતે વર્ણવે છે: ‘ન દેખાવ, ન અવાજ, ન સ્પર્શ કે સ્વાદ કે ગંધ, કંઈ જ નહીં જેની સાથે વિચરી શકાય, કંઈ જ નહીં જેને ચાહી કે સાંકળી શકાય, એક એનેસ્થેટિક જેમાંથી કોઈ બહાર નથી આવતું.’ આ જ રચનામાં એ આજે કહેવત બની ગયેલ વાત કહે છે: ‘Death is no different whined at than withstood.’ (બૂમો પાડો કે પ્રતિકાર કરો, મૃત્યુ માટે સરખું જ છે.) ‘ધ લાઇફ વીથ અ હૉલ ઇન ઇટ’માં એ મૃત્યુને ‘અપરાજેય ધીમું યંત્ર’ કહે છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ રચનામાં ચાર-ચાર પંક્તિના છ અંતરા છે. દરેક બંધમાં AABB પ્રકારની સ્વતંત્ર પ્રાસરચના છે. દરેક બંધની પ્રથમ ત્રણ પંક્તિઓ થોડા અપવાદ સાથે આયંબિક પેન્ટામીટરમાં જ્યારે ચોથી પંક્તિ નોંધપાત્ર રીતે ટૂંકી છે અને એમાં અન્ય પંક્તિઓની જેમ દસના બદલે ચાર અથવા છ શબ્દાંશ પ્રયોજાયા છે. કવિતાનું શીર્ષક ‘નેક્સ્ટ, પ્લીઝ’ આપણને અટકાવી દે છે. લોકો કતારમાં ઊભા હોય અને અધિકારી ‘નેક્સ્ટ’ નેક્સ્ટ’ કરીને એક પછી એક લોકોને શબ્દોથી ધક્કો મારતો હોવાનો અહેસાસ થાય પણ ‘નેક્સ્ટ’ પછી વિરામચિહ્ન મૂકીને કવિ ‘પ્લીઝ’ કહે છે એ વિનમ્રતા પહેલા શબ્દ સાથે ઊભા થયેલા ચિત્રને સમૂળગું બદલી નાખે છે. ભાવકના મનમાં કવિતાના વિષયવસ્તુ બાબતમાં એક અપેક્ષામિશ્રિત જિજ્ઞાસા જન્મે છે. અનુવાદમાં અષ્ટકલ લય વડે ગીતનો છંદ, પ્રાસ અને ચોથી પંક્તિઓનું ટૂંકાણ જાળવી શકાયું છે પણ શીર્ષકનું ગુજરાતીકરણ કરવા જતાં કવિતાનો આત્મા જ મરી પરવારે એમ લાગતાં અને ‘નેક્સ્ટ’ અને’ પ્લીઝ’ -બંને શબ્દ પૂરતા ગુજરાતી બની ગયા હોવાથી એ યથાવત્ રાખવાનું જોખમ ગણતરીપૂર્વક લેવાયું છે.

કવિતાની શરૂઆત જ આપણી ભવિષ્ય માટેની વધુ પડતી અધીરતાને લક્ષ્ય બનાવીને થાય છે. સતત અપેક્ષા રાખ્યા કરવાની ગંદી આદતના આપણે સહુ શિકાર છીએ. સતત એમ જ લાગે કે કંઈક આપણી સાવ નજીક આવી જ રહ્યું છે. આ સાવ શું છે એની વાત બીજા અંતરામાં ખુલે છે પણ પહેલા અંતરામાં તો કવિતા અપેક્ષાની વાત કરીને વાત અધૂરી છોડી દે છે એમ કહીને કે ત્યાં લગ દરરોજ આપણે એમ જ કહ્યા કરીએ છીએ કે… આખી કવિતામાં માત્ર ‘ત્યાં લગ’ (till then) આ બે જ શબ્દોને ત્રાંસા-ઇટાલિક્સમાં લખીને કવિ પોતે જે કહેવું છે એ ગૂઢાર્થને ઘાટો કરે છે. બીજા બંધમાં બંધ મુઠ્ઠી ઊઘડે છે કે નાયક અથવા કવિ અથવા આપણે- સમુદ્રકિનારાની એક ઊંચી ભૂશિર પર ઊભા છીએ અને દૂરથી આપણી તરફ આવી રહેલા જહાજોને જોઈ રહ્યા છીએ. આ જહાજો દૂર છે માટે નાનાં નજરે ચડે છે પણ સ્પષ્ટ દેખાય છે એટલે એટલા દૂર પણ નથી. આ જહાજો વચનોના ચમકીલા યુદ્ધજહાજોનો કાફલો છે. સોળમી સદીમાં સ્પેનિશ યુદ્ધજહાજોનો કાફલો અંગ્રેજી કાંઠા પર ધસી આવ્યો હતો અને અંગ્રેજી સૈન્યના હાથે નેસ્તનાબૂદ થઈ ગયો હતો એ હારનું દૃશ્ય અહીં તાદૃશ થાય છે. અહીં આ બેડા સરસામાન નહીં, વાયદાઓ લઈને આવે છે. અને વર્તમાન ગમે એટલો ભેંકાર કેમ ન હોય, ભવિષ્યને તો આપણે હંમેશા ઝળહળતું જ કલ્પીએ છીએ એટલે ઠાલાં વચનો ભરીને આવતા યુદ્ધજહાજોના બેડા આપણને ચમકીલા-ઝળહળતા નજરે ચડે છે. કવિને સ્પેન-ઇંગ્લેન્ડનું યુદ્ધ અભિપ્રેત છે એટલે સમજી શકાય છે કે આ વાયદાના જહાજો પણ કાંઠે આવતા સુધીમાં ધ્વસ્ત થનાર છે. વળી, આ કાફલો કાચબાગતિએ આગળ ધપે છે. બે પંક્તિમાં ત્રણવાર કાફલાની અકળાવી નાંખે એવી ધીમી અને કહેવા છતાંય જરાય જલ્દબાજી કરવા તૈયાર જ ન હોય એવી નફ્ફટ ગતિનો ઉલ્લેખ કરીને કવિ વચનો હંમેશા તૂટવા માટે જ હોવાની નિરાશાનો રંગ ઓર ગાઢો કરે છે.

આ જહાજો આપણા હાથમાં નકરી નિરાશાની ફૂલદાંડીઓ પકડાવી જાય છે જેના પર ફૂલ કદી ઊગનાર જ નથી એવી મનહૂસ છે. મોટા-મોટા જહાજોની પધરામણીઓ થતી રહે છે પણ કોઈ કશું પાછળ આપણા માટે મૂકીને જતું નથી. જહાજો પર મજાનું પિત્તળકામ કરાયું છે, એક-એક દોરડાં પણ સ્પષ્ટ નજરે ચડે છે-ભવિષ્યના ખિસ્સામાં આપણા માટે શું છે સાફ દેખાય છે! માથે ધજા શોભી રહી છે અને મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા શોભાયમાન છે. વળાંક લઈને વહાણ આપણી નજીક તો આવે છે પણ લાંગરતું કદી નથી. આપણને જે જહાજ ‘આજ’માં નજરે ચડે છે એ ક્ષણમાં ‘ગઈકાલ’માં ભુસકો મારી દેશે. કેલેન્ડરનાં પાનાં ફરતાં વાર શી? આપણી અધીરપ અને અપેક્ષાને ક્રમશઃ આપણે મોહભંગ થતાં અને કડવાશમાં પલટાતાં અનુભવીએ છીએ. એકતરફ કવિ જહાજોના જાજવલ્યમાન કાફલાનું ભવ્ય વર્ણન કરે છે અને બીજી બજુ એકદમ સરળ, તદ્દન અનલંકૃત ભાષામાં ત્રણ જ શબ્દોમાં ‘કદી ન લાંગરે’ કહીને આપણી વધુને વધુ જાજવલ્યમાન અને ભવ્ય બનતી જતી અપેક્ષાઓના મૂળમાં કુઠારાઘાત કરે છે. છેક અંત સુધી આપણે એમ જ વિચાર્યે રાખીએ છીએ કે બધા જ જહાજ આપણા કાંઠે લાંગરશે અને આપણા જીવનમાં કંઈક ‘સારું’ ઊતારશે. લાર્કિન Good શબ્દ પ્રયોજે છે. દેખીતો અર્થ તો ‘સારું’ જ છે પણ જહાજની અને સરસામાનની વાત હોવાથી ‘S’ લખ્યો ન હોવા છતાં આપણું મન good (સારું)ને goods (સામાન) તરીકે વાંચી જ લે છે. કવિને મન કદાચ બંને જ અર્થ અભિપ્રેત છે પણ કવિની આ કમાલ અનુવાદની ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. અનુવાદની આટલી મર્યાદા જ સ્તો.

આપણે એવું માની બેઠાં છીએ કે સોનેરી ભવિષ્યની આશા રાખીને આપણે આટલા ભક્તિભાવથી અને આટલા લાંબા સમયથી પ્રતીક્ષારત છીએ એટલે ઉજ્જવળ ભવિષ્ય, સોનેરી પ્રારબ્ધ આપણાં દેવાદાર છે અને માત્ર પ્રતીક્ષામાત્રથી આપણાં સપનાં સાચા કરી આપવા એ એમની ફરજ અને આપણો અધિકાર છે. આખી કવિતામાં શીર્ષક સિવાય ક્યાંય કવિ ‘નેક્સ્ટ, પ્લીઝ’ કહેતા નથી પણ એક પછી કે જહાજના આવવા અને ચાલી જવા વચ્ચે ભૂશિર પરથી નજર તાણીને રાહ જોતા આપણે સતત ‘નેક્સ્ટ, પ્લીઝ’ બોલી રહ્યા હોવાનું આપણને સંભળાતું રહે છે. પણ આપણે ખોટા છીએ કેમકે બીજા કોઈ નહીં પણ એક જ જહાજ છે જે ખરેખર આપણા માટે આવનાર છે. જહાજ અજાણ્યું છે, એના પર કાળો શઢ છે, અને એની પાછળ-પાછળ એક વિરાટ પક્ષીહીન મૌન છે- વિશાળ અને નિર્જીવ. આવો મૌન ખાલીપો પાછળ લઈને એ જહાજ ચાલે છે ને એની પાછળ પાણીમાં કોઈ હલચલ પણ નથી. જહાજ ચાલતાં પાણી નથી કપાતું કે નથી ઊછાળા મારતું. બધું જ જીવહીન અને નિઃસ્તબ્ધ. Wake-water અને breed-breakની વર્ણસગાઈ (alliteration) અને wake-breakના ચુસ્ત પ્રાસયુક્ત સાવ ટૂંકી દોઢ પંક્તિ ચાબુકની જેમ આપણી સંવેદના પર વિંઝાય છે. સમજી શકાય છે કે કવિ મૃત્યુની વાત કરે છે. મૃત્યુનું જહાજ ન માત્ર ભવિષ્ય અંગેની તમામ આશાઓનો, બલકે ભવિષ્ય સુદ્ધાંનો કાયમી અંત આણશે. જીવનમાં બીજું કશું જ નિશ્ચિત છે જ નહીં, સિવાય કે મૃત્યુ.

ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાની દાંડીઓ.’ આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ! લાર્કિન પણ जातस्य हि ध्रुवो मृत्युःની ગીતાને આલબેલ જ આ કવિતામાં પોકારે છે. આ કવિતા આપણને એકીસાથે ઉદાસીનતાની ખીણમાં ડૂબાડે પણ છે ને ઉત્તેજીત પણ કરે છે. લાર્કિનની આ કળા છે. સિક્કાની બંને બાજુ એ આપણને એકસાથે હાથમાં આપી શકે છે.

ચકધૂમ – રૂપાંગ ખાનસાહેબ

.

ચક ધૂમ ધૂમ.. ચક ધૂમ ધૂમ ધૂમ
ક્લાસરૂમમે મચ ગઈ ધૂમ
ટીચર ગયે છુટ્ટીપે તો lets play મસ્તી કી Tune

લેશન બેશન છોડ કે મસ્તીમે હમ ખો જાયે
ચંદુ કે ચશ્મે પહન કે ટીચર હમ બન જાયે

કાગજ કા હમ બોલ બનાયે ફૂટ રુલ કા બેટ
બ્લેક બોર્ડ પે આઓ બનાયે પ્રિન્સીપાલ કે સ્કેચ
ચક ધૂમ….

મુક્શીલ સે મીલતા એ મૌકા મીલકર શોર મચાયે
આજ યહા કે હમ તો રાજા કિસસે હમ ઘભરાયે

દેખો ધ્યાન સે દુર દુર તક ટીચર જો આ જાયે
ઉલટી બુક મે છુપા કે સર અચ્છે બચ્ચે બન જાયે
ચક ધૂમ …

– રૂપાંગ ખાનસાહેબ

ગ્લૉબલ કવિતા : ૬૨ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

નવી મહાપ્રતિમા

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

ગંજાવર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અને નાની અમથી કવિતાની તાકાત…

ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

એમા લેઝારસ. ૨૨-૦૭-૧૮૪૯ના રોજ ન્યૂયૉર્કમાં સુગર-રિફાઇનરી ચલાવતા મોઝિઝ અને ઇસ્ટર લેઝારસના ધનાઢ્ય પરિવારમાં સાત બાળકોમાં ચોથા ક્રમે જન્મ. અમેરિકાના ક્રાંતિગાળામાં એમનો યહૂદી પરિવાર પોર્ટુગલથી અમેરિકા આવ્યો હતો. ઘરે જ ખાનગી અધ્યાપકો પાસે અભ્યાસ. પૌરાણિક ક્લાસિકલ અને સમસામયિક સાહિત્યનો ઊંડો અભ્યાસ. નાનપણમાં જ એમણે કાવ્યાનુવાદો કરવા શરૂ કર્યા. ૧૧ વર્ષની વયે પ્રથમ કવિતા. ૧૮ વર્ષની વયે તો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થઈ ગયો. કાચી વયના આ પાકટ સંગ્રહે સિદ્ધહસ્ત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવાનું પણ ધ્યાન ખેંચ્યું. નવલકથા અને પદ્યનાટક પણ લખ્યાં. આજીવન કુંવારા રહ્યાં. માત્ર ૩૮ વર્ષની કૂમળી વયે ન્યૂયૉર્કમાં જ ૧૯-૧૧-૧૮૮૭ના એક રોજ મોટાભાગે હોજકિન્ઝ લિમ્ફોમાના કારણે દેહાવસાન.

પ્રથમ સફળ અમેરિકન યહૂદી સાહિત્યકાર. યહૂદી હોવાના નાતે અમેરિકન યહૂદીઓની પીડાને એમણે વાચા પણ આપી. યહૂદીવાદી (ઝાયોનિસ્ટ) ચળવળ શરૂ થઈ એના તેર વર્ષ પહેલાં જ એમાએ યહૂદીઓના હક માટેની લડાઈ શરૂ કરી દીધી હતી. અમેરિકાની પોતાની સ્વ-છબીને આકાર આપવામાં અને અમેરિકા અન્ય દેશોથી આવતા નિર્વાસિતોની જરૂરિયાત શી રીતે સમજે છે એ વૈશ્વિક છબી ઊભી કરવામાં એમાનો ફાળો નાનોસૂનો નહોતો. લાંબા સમય સુધી જો કે ‘ધ ન્યૂ કૉલોસસ’ કવિતાની પ્રસિદ્ધિના ગ્રહણે એમાના જીવન અને સર્જનને અંધારામાં રાખ્યાં. એની પોતાની બહેને ૧૯૨૬માં પ્રગટ થયેલ એમા લેઝારસની સમગ્ર કવિતાઓના સંગ્રહને એમાની યહૂદી વિચારધારા સાથે પોતે અસહમત હોવાના કારણે દબાવી રાખ્યો હતો. કાળાંતરે જો કે આ ગ્રહણ હટ્યું અને લોકો એમાની પ્રતિભાથી પરિચિત થયાં.

૪ જુલાઈ, ૧૭૭૬માં અમેરિકાને આઝાદી મળી. પણ આઝાદી માટેની લડત એ પહેલેથી ચાલુ હતી. ફ્રાન્સના ગુલામી-વિરોધી સમાજના તત્કાલિન પ્રમુખ એડ્વા રેને ડિ લેબુલેએ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક અગસ્ટે બાર્થોલ્ડી સાથેના ડિનર પછી કહ્યું હતું કે અમેરિકાની આઝાદી માટેનું સ્મારક બંને દેશોની ભાગીદારીમાં બનવું જોઈએ. બાર્થોલ્ડીની બે-ત્રણવારની અમેરિકાયાત્રાના ફળસ્વરૂપ આ સ્મારક માટેનું સ્થાન અને અમેરિકન સરકારની મંજૂરી- બંને મળ્યા. બાર્થોલ્ડીની ડિઝાઈનને એફિલ ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે શિલ્પાકાર આપ્યો. અમેરિકામાં બેડલો’ઝ ટાપુ (હાલના લિબર્ટી ટાપુ) પર મૂર્તિ માટે કુંભીનિર્માણ કરવાનું હતું પણ પૈસાની સમસ્યા હતી. ફાળો ઊભો કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એમાને આ હેતુસર લિલામી માટે એક મૌલિક કૃતિ આપવા જણાવાયું પણ શરૂમાં એણે ના કહી. એ પોતે ધનાઢ્ય હોવાથી નિર્વાસિતોની તકલીફોથી માહિતગાર નહોતાં પણ રેફ્યુજીઓની મદદના કાર્યક્રમમાં એમને એ લોકોની પીડાનો અહેસાસ થયો અને છેવટે ૦૨-૧૧-૧૮૮૩ના રોજ આ સૉનેટ લખાયું. પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર શોભાયમાન અને નિલામી દરમિયાન વંચાયેલું આ સૉનેટ ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે અને એ પછી સાવ ભૂલાઈ ગયું. એમાની સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી મળેલી ચોપડીમાં આ સૉનેટ હતું અને એના જ પ્રયત્નોથી મૃત્યુના ૧૭ વર્ષ બાદ ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં આ સૉનેટ મૂકવામાં આવ્યું. આજે પણ ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના મુલાકાતીઓ આ સૉનેટ ત્યાં વાંચી-માણી શકે છે.

આ સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું મૂળ ઇટાલિઅન પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે જેની પ્રાસ રચના ABBA ABBA CDCDCD છે. અષ્ટક અને ષટક એમ બે ભાગમાં ચૌદ પંક્તિઓની પારંપારિક વહેંચણી કરવામાં આવી છે. અમેરિકાની મહાનતાની વાત કરવી અને એ પણ ઇટાલીથી નીકળીને ઇંગ્લેન્ડ જનાર પ્રવાસી સૉનેટના સ્વરૂપમાં એ પોતે જ એક વક્રોક્તિ પણ ગણી શકાય. અમેરિકાની મહાનતાની હાંસી ઊડાવવા માટે ઘણા અમેરિકી કવિઓએ સૉનેટનો સહારો લઈને ગુલામીપ્રથા અને રંગભેદનીતિ પર કટાક્ષ કર્યા છે. ઇટાલિયન સૉનેટસ્વરૂપનો પ્રયોગ પણ આ દિશામાં સૂચક ગણી શકાય. ગુજરાતી અનુવાદ હરિગીત છંદમાં છે પણ ભાષા અને ભાવની સંકીર્ણતાના કારણે પ્રાસરચના નિભાવાઈ નથી. રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. સાયપ્રસ ઉપરના રહોડ્સના વિજયની ઉજવણી નિમિત્તે એનું નિર્માણ થયું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એ એક હતી. એ જમાનાની એ સૌથી મોટી પ્રતિમા હતી પણ થોડા જ વર્ષોમાં ઈ.પૂ. ૨૨૬માં ધરતીકંપના કારણે એ નાશ પામી. કુંભીને બાદ કરીએ તો ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ની કુલ ઊંચાઈ પણ આટલી જ છે.

હેલિઓઝની પ્રતિમા બંદરના મુખ પર બન્ને કાંઠે એક-એક પગ મૂકેલી હતી એવી એક માન્યતા છે. ‘જુલિયસ સિઝર’માં શેક્સપિઅર આ જ માન્યતાની તુષ્ટિ કરતાં કહે છે, ‘શા માટે સિઝર આ સાંકડી દુનિયા પર રાક્ષસની જેમ પગ પલાણીને ઊભો છે અને આપણે ક્ષુદ્ર લોકોએ એના વિશાળ પગોની નીચે થઈને ચાલવાનું?’ (અંક ૧, દૃશ્ય ૨) ‘હેનરી ૪’માં પણ શેક્સપિઅર આ ઉલ્લેખ કરે છે: ‘ફોલસ્ટાફ: તું મને યુદ્ધમાં પડેલો જુએ અને આ રીતે મારા પર ઊભો રહી જશે, તો એ મિત્રતાની નિશાની છે. પ્રિન્સ હેનરી: બીજું કોઈ નહીં પણ એક રાક્ષસ (કોલોસસ) જ તારી સાથે આવી દોસ્તી કરી શકે.’ (અંક ૫, દૃશ્ય ૧) દરિયાઈ ખાડીના બે કાંઠા પર પગ મૂકેલ હેલિઓઝની પ્રતિમાની કલ્પના જ પ્રસ્તુત સૉનેટમાં પણ નજરે ચડે છે. એમા કહે છે, ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ એક કાંઠેથી બીજા કાંઠે વિજયી પગ મૂકીને ઊભેલા ગ્રીક પૌરાણિક કથાના રાક્ષસની જેમ નથી ઊભું રહ્યું. એ આ મહાકાય પ્રતિમા માટે Brazen giant શબ્દપ્રયોગ કરે છે. ‘બ્રેઝન’ એટલે ઉદ્ધત કે નિર્લજ્જ પણ થાય અને પિત્તળનું પણ થાય. એમા એક જ શબ્દમાં મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ –બંને તરફ ધ્યાન દોરે છે. આ ભાષાની ખૂબી છે પણ કવિનો ચમત્કાર છે જે આ ખૂબી ક્યાં અને શી રીતે પ્રયોજવી એ જાણે છે. ગુજરાતી અનુવાદમાં આ માટે ‘પિત્તળ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પિત્તળ’ પણ પ્રકૃતિ અને ધાતુ, અને એ રીતે મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ -બંને અર્થ સમાવિષ્ટ કરી લે છે.

એમા કહે છે કે અમેરિકાના પશ્ચિમી દરવાજે, જેને સાગર સતત પખાળે છે, એક શક્તિશાળી સ્ત્રી ઊભી છે. આ સ્ત્રી ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના હેલિઓઝના વિજયી હુંકાર કરતા નિર્લજ્જ પૂતળાની જેમ નથી ઊભી જેના બે પગ વચ્ચે થઈને હીણપત અનુભવ્યા વિના જહાજો બંદરમાં પ્રવેશી નહોતા શકતા. આ સ્ત્રી હાથમાં એક મશાલ લઈને ઊભી છે, જેમાં જ્યોતિસ્વરૂપે વીજળી કેદ છે. આજની પેઢીને વીજળીના કેદ હોવાનું પ્રતીક હાસ્યાસ્પદ લાગે પણ ઓગણીસમી સદીના અંત ભાગમાં મશાલનો દીવો વીજળીથી પેટે એ હજી કૌતુકની વાત હતી. એમા આ સ્ત્રીને ‘નિર્વાસિતોની મા’નું નામ આપે છે. સંસ્કૃતિ કે સમય કોઈ પણ હોય, માનો દરજ્જો હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતો, છે ને રહેશે. આ એક જ શબ્દપ્રયોગના કારણે એમા લેઝારસ અમેરિકી ઇતિહાસમાં અજરામર થઈ ગયાં. ત્રીસ માળ ઊંચી આ માતાના હાથમાંની મશાલ દીવાદાંડીની જેમ પથ પ્રદર્શિત કરે છે અને વિશ્વવ્યાપી આવકાર આપે છે. એની આંખો નમ્ર છે, પણ એ માની આંખ છે એટલે પોતાના સંતાનના ભલા માટે માટે ન્યૂયૉર્કના બારાંને હુકમ કરતાં અચકાતી નથી. ન્યૂયૉર્કનું બારું ન્યૂયૉર્ક સિટી અને બ્રુકલિન –એમ બે શહેરોની વચ્ચે આવ્યું છે, જે બે જોડિયાં શહેરો જેમને જોડવા હવા સિવાય કોઈ પુલ નહોતો એ આ કવિતા લખાઈ એના પંદર વર્ષ બાદ એક થયાં.

ન્યૂયૉર્ક બંદર ઓગણીસમી સદી અને પ્રારંભિક વીસમી સદી સુધી જળમાર્ગે વેપાર અને લોકોના આવાગમન માટેનું ધીકતું ધોરી બંદર હતું. આ સમય મધ્ય-પૂર્વના દેશોમાં તથા યુરોપિયન દેશોમાં યુદ્ધનો પણ સમય હતો. યુદ્ધનો ભોગ બનનારાઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ આરો નહોતો. તબાહી, પીડા અને અભાવોથી બચવા આ સમયે લગભગ સવા કરોડ નિર્વાસિતો લિબર્ટીની પ્રતિમા પાસેના એલિઝ ટાપુ પર થઈને અમેરિકામાં આવ્યા. કદાચ અમેરિકાની આજની ચાળીસ ટકા વસ્તીના પૂર્વજો આ જ ‘મનહૂસ કચરો’ (Wretched refuse) હતા. લિબર્ટીમાતા હુકમ કરે છે આ જોડિયા શહેરો, આ બંદરને કે, ‘હે પુરાતન નગરો! તમારી ભવ્ય ગાથાઓ તમારી પાસે જ રાખો.’ (સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે કવિતા મૂકાઈ છે એમાં ‘રાખો’ પછીનું અલ્પવિરામ મૂકવાનું વિસરાઈ ગયું છે પરિણામે વાક્યનો અર્થ થોડો બદલાઈ જાય છે એ અલગ વાત છે.) એ દુનિયા પાસેથી ગરીબો, હાર્યા-થાક્યા માણસો, મુક્તિનો શ્વાસ ઝંખતી અનિયંત્રિત ભીડ અને દુનિયાના કાંઠાઓ જેનાથી છલકાઈ રહ્યા છે એ મનહૂસ કચરો માંગે છે. જે લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે, જે લોકો તોફાનો-આપત્તિઓના માર્યા છે એ બધાયને નિર્વાસિતોની મા આવકારી રહી છે. કહે છે, તમારા સોનેરી ભવિષ્યના બારણાંઓની બાજુમાં હું દીવાનો પ્રકાશ પાથરતી ઊભી છું… આવો, મારી પાસે આવો અને તમારા સોનેરી ભવિષ્યના દ્વાર ઊઘાડો.

એમાનું આ સૉનેટ ઈસુના એ વચન, ‘તંદુરસ્તને તબીબની જરૂર નથી, બિમારને છે. હું સાચાઓ માટે નહીં, પણ પાપીઓ માટે આવ્યો છું’ની યાદ અપાવે છે. પ્રભુપુત્ર મુક્તિદાતા ઈસુએ જે રીતે ગરીબ-ગુરબાંને પ્રેમ કર્યો હતો એ જ પ્રેમની યાદ ‘ધ ન્યૂ કોલોસસ’ની ‘નિર્વાસિતોની મા’ અપાવે છે. માતાના દીવાના પ્રકાશમાં ઝળહળતા સુવર્ણ દ્વારોમાં થઈને દુનિયાના કાંઠાઓ પર ખદબદતા આ ‘મનહૂસ કચરા’ને ન માત્ર સારી જિંદગી મળવાની આશા છે, પણ ઈશ્વરના સંતાન હોવાના નાતે તેઓ એક સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરશે એવી આશાનો જે સૂર આ કવિતામાંથી સંભળાય છે એ અભૂતપૂર્વ છે. સૉનેટની પંક્તિઓ કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે અને વધુને વધુ લોકો વધુને વધુ વાર આ પંક્તિઓ ટાંકતા આવ્યા છે. આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.