સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

ગ્લૉબલ કવિતા : ૪૭ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:

From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.
ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને હરપળ
મારું મચ્છર.
દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:

હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ !’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડી જાણે કે હાઇકુની વ્યાખ્યા ન હોય એમ લાગે છે. હાઇકુ હવે આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. હાઇકુ ભારતમાં પહેલવહેલીવાર લાવનાર હતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતી ભાષામાં હાઇકુ સ્નેહરશ્મિ લઈ આવ્યા પણ મૂળે એ જાપાનીઝ કાવ્યપ્રકાર છે. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા એમનું ઉપમાન છે જેનો અર્થ ‘ચાનો કપ’ થાય છે. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: તેઓ ક્ષણભંગુર છે, તેઓ આકસ્મિક છે અને તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દોની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા તો ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ અને કોબાયાશી બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી આપે છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો જરાય નથી જ નથી. કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એમ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા ન હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ન હોય એમ ક્યારેક વર્તતા હોય છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. આખા સમાજની આંખે ઘોડાની જેમ ડાબલા ન બાંધ્યા હોય એમ બધા માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યા છે. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે , ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવામાં આવતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ કદાચ આ સ્વરૂપે ત્યારે અમલી થયો હશે પણ દુન્યવી સફળતા પાછળની આવી દોડ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ એ પોતાની રીતે અનોખો જીવ છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) ઘર એટલે એવી ચાર દીવાલ જ્યાં તમારો થાક પણ અઢેલી શકે. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ એ શાંતિ મળતી નથી જે ઘરની રૂની ગાદીમાં મળે છે. જીવજંતુઓને પણ પોતાના ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એ નજરિયાથી પણ હાઇકુને જોઈ શકાય.

૫) હિંદુ કરતાં ખ્રિસ્તી નવા વર્ષને આજકાલ આપણે વધુ આવકરાતા થઈ ગયા છીએ એ અલગ વાત છે પણ દર વરસે નવું વર્ષ આવે એટલે આપણે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી એવી રીતે વર્તન કરીએ છીએ કે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સાચે જ સુખનો સૂરજ લઈને આવશે. દર વરસે આપણો સ્વપ્નભંગ થાય છે ને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ જ છીએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. આમેય કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી દોહ્યલી છે.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં તો હિમવર્ષાની સમસ્યા નથી એટલે એની તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો આપણને પરિચય પણ નથી. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) મોટાભાગના હાઇકુ બહુઆયામી જિંદગીની કોઈક ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપતું નથી. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાનની પાસે જ આવીને ગણગણ કરતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને સહજ પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું જ. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહાર કાઢેલા ચપ્પલમાં હોય -કોઈ ચોરી તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે આપણે ઊભા થઈ જઈને ચારેબાજુ કોઈક ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ અવશ્ય ચકાસતાં હોઈએ છીએ. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ અહીં ખરી ગતિ છે.

૧૦) આપણે ત્યાં પચાસ પૂરા થાય એને વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહે છે. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. હવે પછીની જિંદગી, જેટલી અને જે મળે છે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધા જ આભ, એ બધા દિવસ બોનસ જ છે.

૧૧) નકલ આમ તો કદી અસલની બરાબરી કે અસલથી ચડિયાતી હોવાની નથી પણ આ નિયમમાં એક અપવાદ છે. બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને પણ મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી દે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે પણ કરે એ તો નૈસર્ગિક છે, એ એમનું જીવન છે અને એ તો એમ કરવાનાં જ પણ નાનાં બાળકો એમની નૈસર્ગિક ક્રિયાઓની નકલ ઉતારતા હોય એ દૃશ્ય વધુ જીવંત, વધુ રોમાંચક જ હોવાનું.

૧૨) બાળકોને સજા કરવી એ મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર છે જાણે. ભાગ્યે જ કોઈ બાળક મોટાના હાથે સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો બહુ ઓછીવાર મોટેરાંઓની સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીનું ‘તોત્તોચાન’ પુસ્તક આવી જ વાત બહુ રસપ્રદ રીતે કરે છે.

૧૩) ઉનાળો મનુષ્યની ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ ઉનાળાની રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે. ઉનાળાની આવી રાત બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય’ની પેઠે આ હાઇકુ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (?શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

અંદરથી અજવાળો ~ ડૉ. મનોજ જોશી ‘મન’

ટહુકોના સૌ વાચક-ચાહક-શ્રોતા મિત્રોને દિવાળીની અઢળક મબલખ શુભકામનાઓ..!! સાથે કવિ શ્રી ડો. વિવેક ટેલરની ચિત્ર કવિતા, અને કવિ શ્રી ડો. મનોજ જોશીની શબ્દ કવિતા!!

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો નોંધાવો કૈંક ફાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વૈરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને કરો સ્નેહ સરવાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

રંગોળીનાં રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને અેક એક ક્ષણમાં સ્થાપો !
સફેદ રંગનો દિવસ દિલનાં પ્રીઝમમાંથી ગાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

યુગો યુગોથી મથે છે દિવો નોંધાવો કૈંક ફાળો.

~ ડૉ. મનોજ જોશી ‘મન’
( જામનગર )

કવિ શ્રી સુરેશ દલાલને સ્વરાંજલિ : આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

11 ઓક્ટોબર એટલે કવિશ્રી સુરેશ દલાલનો જન્મ દિવસ.  એમની કવિતાથી, એમનાં વિવેચનોથી, એમનાં લખાણોથી આપણા સાહિત્યને રળિયાત કરનાર વ્યકિત વિશેષ. આપણને વિશ્વકવિતાનો પરિચય કરાવનાર કવિતાપ્રેમી.

ઘણીવાર  કવિસંમેલનોમાં બે કાવ્યો- ગીતો એ સાથે વાંચતા.
‘પૂછતી નહિ કેટલો પાગલ, કેટલો પાગલ,
આભમાં જોને કેટલાં વાદળ, કેટલાં વાદળ?…. એટલો પાગલ, એટલો પાગલ’

આના જવાબમાં પ્રશ્નરૂપે બીજું કાવ્ય આવે-
‘આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
નજર લાગે એમ શું કોઈ જોતું હશે?’

આ પ્રશ્નો બંગાળી લયમાં ને ઢાળમાં,તબલાંના તાલ વગર, ગિટારના લયે ગાવાની મેં લીધેલી મજા વહેંચીને સુરેશ દલાલને યાદ કરું છું.

– અમર ભટ્ટ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

ગ્લૉબલ કવિતા : ૪૬ – ઓઝિમન્ડિસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

ઓઝિમન્ડિસ

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

समय समय बलवान है|

સૌથી મોટો વિનાશક કોણ? સંહારના દેવતા શંકર? ના, ના, સમય જ! શિવનું તાંડવ તો ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો ક્ષણ-ક્ષણના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. એનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુન પણ મામૂલી ભીલના હાથે લૂંટાઈ જાય છે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એ ન માત્ર ઓક્સફર્ડમાંથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થયા. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા પણ થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી નીકળ્યા અને ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી કરી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં તોફાનમાં ફસાઈને સ્પેઝિયાના અખાતમાં ડૂબી ગયા. શેલીના અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર તરીકે શેક્સપિઅર અતુલ્ય ગણાય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાના ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી બધાથી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) શીર્ષક આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝિમન્ડિસ હતું. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે પડતાં મૂકીને ઓઝિમન્ડિસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સંલ પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝિમન્ડિસ મતલબ “શાસન કરવા માટે શ્વસવું (જીવવું).” ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી હાલ નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝિમનડિસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે.

ઓઝિમન્ડિસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ શેલીએ ટ્રોકી (trochee) પણ અનિયમિતતાથી વચ્ચે વચ્ચે પ્રયોજીને કોઈ કે છંદને વળગી રહેવાનો વિરોધ કર્યો છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની અને એ પછી બિલકુલ અનિયમિત પ્રાસરચના (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. આ અટપટી પ્રાસરચના કાવ્યને કોઈ રીતે ઉપકારક ન હોવાથી શિખરિણીમાં ગુજરાતી અનુવાદ કરતી વખતે એ પ્રકારની પ્રાસરચના જાળવવી અનિવાર્ય લાગી નથી.

શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખીને ભાવકને મળતી નથી. તરત જ સમજી શકાય એવી સરળ હોવા છતાં જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની છે. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. એક રીતે આ ઓઝિમન્ડિસની સરમુખત્યારીનું પણ દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. અને એ મુસાફરે કવિને જે બયાન આપ્યું એ બયાન એટલે બાકીનું આખું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ અફાટ રેતી જ રેતી ફેલાઈ પડી છે. મુસાફરી કરતી વખતે મુસાફર રેતીના સમુદ્રની વચ્ચોવચ ઊભા એક પૂતળા પાસે આવે છે. સમયની થપાટો ખાઈ ખાઈને પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. માત્ર એક કુંભી પર બે વિરાટકાય પગો ઊભેલા રહી ગયા છે. માથું તૂટીને રણમાં પડ્યું છે ને અડધું રેતીમાં ગરકાવ પણ થઈ ગયું છે. ધડનું તો ક્યાંય નામોનિશાન રહ્યું નથી. મુસાફર ચહેરા પર કોતરવામાં આવેલા ભાવો ચિવટાઈથી નિહાળે છે. ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલો છે અને ઠંડા કલેજે અપાતા આદેશનો ઉપહાસ કહી રહ્યો છે કે શિલ્પી રાજાના મનોભાવોને બખૂબી યથાર્થ વાંચી શક્યો છે અને પથ્થર પર કંડારી શક્યો છે જે હજી પણ આ જીવનહીન વસ્તુઓ પર એમનેમ ટકી રહ્યા છે. સમજી શકાય છે કે રાજા ભરે જુલમી અને સરમુખત્યાર હશે. જે હાથે રાજાના આવા હાવભાવ કોતરીને હાંસી ઊડાવી એ શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, પોષનાર હૃદય અર્થાત્ પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. પગ નીચે કુંભી પર લખ્યું છે, ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝિમન્ડિસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્યો તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ પણ આજે ત્યાં આ તૂટ્યા-ફૂટ્યા તોય વિશાળકાય ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. ચારે તરફ એકલી-અટૂલી, નગ્ન, અસીમ અને બધાને સમથળ કરી દેતી રેતી સિવાય બીજું કંઈ જ નથી.

શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. વળી શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય.

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝિમન્ડિસનો પણ સમયે એ જ હાલ કર્યો.

ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) હકીકત એ છે કે ન માત્ર ઓઝિમન્ડિસ, પણ એ શિલ્પી જેણે એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કર્યા એ શિલ્પી અને એ પ્રજા જેણે રાજાના જુલમો સહન કરીને અન્યાયને પોષ્યો, એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝિમન્ડિસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૪૫ – (નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.
On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.
Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.s
Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો એની પખવાડિક રજા પર હતો ને મેઘલી અમાસની રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીના કિનારે આવી ઊભો. એક તો માથે સાંબેલાધાર વરસાદ કોઈએ સમ દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને નદી પણ પૂર આવ્યું હોય એમ બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું ને તરવાના બદલે તણાવા માંડ્યો. ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડી લઈ માંડ સામા કિનારે પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી આવી પહોંચ્યો. કાળીડિબાંગ રાતના આવા કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એની બારી કઈ છે એ ખબર હતી એટલે બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ઉપર ચડી ગયો. પ્રિયાએ પહેલાં તો એને બાથમાં લીધો ને પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો આ ભવસાગર પાર કરી ગયા હોત. યુવકને લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટનાનું આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિ કરી ગયા હતા એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનના કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક વાક્ય આમથી તેમ ખસેડી શકાય એમ નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ કે સમય ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. આપણે ભલે એમ કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ છે કે ‘ડૂબે’ છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રેમમાં જે જેટલો વધુ પડે છે કે ડૂબે છે એ જ જિંદગીમાં એટલો ઊઠે છે કે તરે છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રેમ અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ તો સફર છે, ઇરોઝ રાહબર છે, મંઝિલ સમ્-ભોગ છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં થઈ ગયેલ આ કવિ તો ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને જાણ નથી કે ઇરોઝ એની પાસે શું કરાવી રહ્યો છે, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

નાયક કદાચ નદીના આ કાંઠે ચિનાર વૃક્ષની નીચે ઊભો છે, એ વૃક્ષ પ્રેયસીએ જાતે જ રોપ્યું હતું એટલે નાયકને મન એની કેટલી કિંમત હશે એ સહજ સમજી શકાય છે. આ વૃક્ષ પ્રેમનું પ્રતીક પણ છે. હજી એ નાનકડું છે એટલે પ્રેમ પણ તાજો-તાજો જ હશે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ આવી ચૂક્યાં છે મતલબ પ્રેમ નવો ખરો પણ એટલો પણ નહીં, પરિપક્વ છે, ફળ આપી શકે એટલો પુખ્ત છે. નાયિકા તો સામા કાંઠે બહુ દૂર છે એટલે નાયકને નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સજીવ ન હોય એમ ઝાડના અંગોપાંગ જેવી નજરે ચડે છે અને વળી એ પ્યારી પણ લાગે છે. ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં!

પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. એટલે જ બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે અને આટલું અપૂરતું હોય એમ આ નદી વળી મગરોથી ભરી પડી છે ને કેટલાક તો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સમજી શકાય છે કે કિનારા પર મગરો હશે તો પાણીમાં તો હોવાના જ!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપર્યું છે અને લોકો આ વાક્ય એમનું જ હોવાનું માને છે.)

આંધળો પ્રેમ નદી કે મગર કે મોતને જોતો નથી, એ માત્ર મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ના ન્યાયે કે નર્મદની જેમ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને ઝંપલાવી જ દે છે. અને સાહસના પડખે તો ખુદ ઈશ્વર પણ આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને એનું હૃદય, એનો ઉમંગ, એનો જુસ્સો એવી રીતે કાપી રહ્યું છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ (શેક્સપિઅર) પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર નાયક પણ ડાહ્યો છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. નદીમાં રસ્તો જે કાપી રહ્યો છે એ હકીકતમાં નાયક નથી, પ્યાર પોતે જ છે. ફરહાદ જ પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શકે. રોમિયો-જુલિયેટ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીય સંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો આજ વાત કરે છે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી: રાસબિહારી દેસાઈ (23/6/1935-6/10/2012)

મારા જેવા કેટલાંય કલાકારોના ગુરુ રાસભાઈને સહર્ષ યાદ કરું છું.
રાસભાઈનો અવાજ પહેલી વાર ક્ષેમુભાઈના સ્વરાંકનમાં એમણે ગાયેલા ગીત ‘મધરાતે સાંભળ્યો મોર’માં સાંભળ્યો. મારી ત્યારે 11 વર્ષની ઉંમર. ટાગોરના એક કાવ્યમાં આ પંક્તિઓ છે-
‘સુનિ સેઈ સૂર
સહસા દેખિતે પાઈ દ્વિગુન મધુર
આમાદેર ધરા‘
(એ સૂર સાંભળીને એકાએક પૃથ્વી છે તેનાથી બેવડી સુંદર લાગવા માંડી)
આવી જ અનુભૂતિ મને રાસભાઈનો મેઘઘેરો (જાણે કે ગુફામાંથી આવતો ના હોય એવો) અવાજ સાંભળીને થઇ.
ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પર શિખરિણી છંદમાં એક કાવ્ય લખ્યું. એની આ પંક્તિઓ હું રાસભાઈ માટે ઉપયોગમાં લેવા માંગુ છું-
‘હતું તારે કંઠે પરમ કંઈ કરણામૃત રસ્યું
બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’
એ સ્વરલીન થયા 6/10/2012ના દિવસે પણ છેલ્લે સુધી એટલે કે 4/10/2012 સુધી તો સ્ટુડિયોમાં એમણે ગાયું. મકરંદ દવેને યાદ કરું?-
‘અમે ગાતાં ગાતાં જાશું,
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે
સુંદરના ખોળે ધન્ય સમાશું
અમે જાતાં જાતાં ગાશું
અમે ગાતાં ગાતાં જાશું’
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં એમનાં ગીતોનાં અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં રાસભાઈએ ગયેલું ગીત છે-
‘સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી,
પૃથ્વી પગથારે ઘૂમે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી’
આ ગીત રેકોર્ડ કરવા માટે મેં ખૂબ સંકોચ સાથે રાસભાઈને પૂછ્યું. મનમાં સંદેહ કે મારા જેવા જુનિયર સ્વરકારનું ગીત ગાવા એમને પૂછાય? પણ એમણે તો સહજતાથી, કોઈ પણ શરત વિના ગાવાનું સ્વીકાર્યું; એટલું જ નહિ પ્રોત્સાહનના શબ્દો કહી મને પોરસાવ્યો. રાસભાઈએ એકતારા એન્ડ ડફ ઉપર ફકીરી અદામાં અવધૂતી મસ્તીથી આ ગીત ગાયું છે.
ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ, પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન કલાકાર રાસભાઈને પ્રણામ.
– અમર ભટ્ટ

સ્વર – શ્રી રાસબિહારી દેસાઇ
સ્વરાંકન – અમરભટ્ટ

.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..

શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગંભીર છો કે game કરો છો? – ડૉ.મનોજ જોશી ‘મન’

સાચું કહેજો,ગંભીર છો કે game કરો છો ?
બારી છોડી પડદાને કાં પ્રેમ કરો છો !

ખુદની ફરતે રેશમ વીંટે રેશમ-કીડો,
તમે એ કરતબ અદ્દલ એની જેમ કરો છો.

ડગલે-પગલે તમે કરો છો જે કંઇ વર્તન,
બીજા કરે તો તરત પુછો છો, “કેમ કરો છો?”

ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું ?
તમે ક્ષણોને click કરો છો, frame કરો છો !

એક પુરાવો આપો તો પણ માની લઈશું,
માણસ હોવાનો સદીઓથી claim કરો છો !

– ડૉ.મનોજ જોશી “મન”
(જામનગર)

હરિ જેમ રાખે તેમ (અનુકુળ) રહીએ – રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર

આજે પહેલી ઓક્ટોબર – ગુજરાતી કાવ્યસંગીતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનો જન્મદિવસ. તો એમને યાદ કરી અમરભાઇએ એમનું એક ઓછુ જાણીતુ અને ઓછુ ગવાયેલું ગીત રેકોર્ડ કરીને મોકલ્યું, અને મેં એ તમારા બધા સાથે વહેંચવાની મંજૂરી લઇ લીધી.

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

.

હરિ જેમ રાખે તેમ અનુકુળ રહીએ..
હરિ જેમ રાખે તેમ રહીએ…

અણીગમ આત્મ મારાં ઉજળાં…
આણીગમ ગહીરા અંધાર
ઝૂલવું અંતરિયાળ,
ઝૂલણે મેલી મમતાનો ભાર …
મોકળે અંતરે મોજ લહ્યીયે જી રે…
હરિ જેમ રાખે તેમ રહીએ…

એકમેર બળબળતા ઝાંઝવા,
બીજે છેડે નિર્મળ નીર,
જલવું તરસ કેરા તાપણે
ઠરવું હરખને તીર ,
આગ ને આનંદ સંગ સહીએ જી રે..

– રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર