ગ્લૉબલ કવિતા : ૧૦૬ : ઇચ્છા – સુદીપ સેન

Desire

Under the soft translucent linen,
the ridges around your nipples

harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —

arch yourself deliberately
wanting the warm press of my lips,

it’s wet to coat the skin
that is bristling, burning,

breaking into sweats of desire —
sweet juices of imagination.

But in fact, I haven’t even touched
you. At least, not yet.

– Sudeep Sen

ઇચ્છા

મુલાયમ પારભાસી લિનન તળે,

તારી ડીંટડીઓ ફરતેની કરચલીઓ

સખત થાય છે મારી જીભના વિચારથી.

તું- અંગ્રેજી ‘C’ જેવી ઊલટી સૂતેલી-

ઈરાદાપૂર્વક તારી કાયાની કમાન ખેંચે છે

મારા હોઠોના હૂંફાળા દબાણની ખેવનામાં,

તેઓ ભીના છે એ ત્વચાને આવરવા

જે રોમાંચે છે, સળગી રહી છે,

ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-

મીઠા રસ કલ્પનાઓના.

પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી

તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

– સુદીપ સેન

(અનુ.: વિવેક મનહર ટેલર)

ઇચ્છા – માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી

                     કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,

                     એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

                     માત્ર બે જ પંક્તિમાં ચિનુ મોદી સુખી થવાનો મહામંત્ર આપી ગયા. પણ ઇચ્છાથી કોઈ પર થઈ શક્યું છે ખરું? ઇચ્છાનું ગાજર જ છે જે મનના હરણને જીવનના રણમાં સતત દોડતું રાખે છે. ઇચ્છાની હકીકત તો ‘‘કરી છે પ્રથમ પાળીપોષીને મોટી, પછી ઇચ્છા હવાલાત થઈ છે’’ જેવી છે. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ચાંદ પર જવાની ઇચ્છા જ થઈ હોત તો અવકાશયાનની શોધ જ ન થઈ હોત. માનવજીવનમાંથી ઇચ્છાઓ બાદ કરે નાંખવામાં આવે તો કદાચ કંઈ જ ન બચે. ઇચ્છાઓ અપેક્ષામાંથી જન્મે છે કે અપેક્ષાઓ ઇચ્છાઓમાંથી એ નક્કી કરવું મુશ્કેલ છે અને કદાચ બિનજરૂરી કે નિરર્થક પણ છે પણ ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે એ વાત નકારી શકાય એમ નથી. પ્રેમ પણ ગમે એટલો સાચો કેમ ન હોય, ઇચ્છાઓ કે અપેક્ષાઓથી પર રહી શકતો નથી. પ્રેમમાં ઇચ્છાઓ ક્યારેક તો ખુદ પ્રેમની તીવ્રતાને પણ વળોટી જાય એવી બળવત્તર બની રહેતી હોય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન પ્રસ્તુત રચનામાં શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.             

                     સુદીપ સેન. ૧૯૬૪માં જન્મ. દિલ્હીમાં ભણ્યા, અંગ્રેજીમાં સ્નાતક થયા. એ પછી અમેરિકામાં કૉલમ્બિયા યુનિવર્સિટી, હૉલિન્સ યુનિવર્સિટી તથા ડેવિડસન કૉલેજમાંથી અંગ્રેજીમાં, સર્જનાત્મક સાહિત્યમાં તથા પત્રકારિત્વમાં અનુસ્નાતકની પદવીઓ મેળવી. કવિ. અનુવાદક. સંપાદક. નાટ્યકાર. ફોટોગ્રાફર. ગ્રાફિક આર્ટિસ્ટ. લઘુ ફિલ્મો તથા ડૉક્યુમેન્ટરીઝ પણ બનાવે છે. ભારતીય અંગ્રેજી યુવા કવિઓમાં મોખરાનું સ્થાન. ડઝનથી વધુ કાવ્યસંગ્રહ. બે ડઝનથી વધુ ભાષાઓમાં એમની રચનાઓ અનુવાદિત થઈ છે. ઘણા પારિતોષિકોથી વિભૂષિત થયા છે. ૨૦૧૩માં નોબેલ લૉરેટ સપ્તાહમાં ભાગ લેવા માટે આમંત્રણ પામનાર તેઓ પ્રથમ એશિયન હતા. ‘ફ્લાઇંગ હોમ’ ફિલ્મ તથા કેટલાક નાટકોમાં પણ એમની કવિતાઓ સ્થાન પામી છે.

                     જ્યારે #MeToo આંદોલન પ્રચલિત નહોતું થયું ત્યારે ૨૦૧૬માં સુદીપ સેન પર યૌન ઉત્પીડનનો આરોપ મૂકાયો હતો. એક કવયિત્રીએ જાતીય સતામણીનો આરોપ મૂકતા કહ્યું હતું કે સેને એમને સંબંધ બાંધવા માટે ઓફર કરી હતી, જે કવયિત્રીએ નકારી હતી. એ જ સાંજે એક પાર્ટીમાં સેને એમને જકડીને આલિંગન આપ્યું હતું અને સેને પરવાનગી વગર ફોટોગ્રાફ પણ ફેસબુક પર અપલોડ કર્યો હતો. ફેસબુક પર કવયિત્રીને બહોળું સમર્થન મળ્યું. સુદીપ સેને સ્વાભાવિકપણે આ આક્ષેપો નકાર્યા હતા. ખરું-ખોટું તો રામ જાણે પણ તાજેતરમાં સાહિત્ય અકાદમીએ ‘મૉડર્ન ઇંગ્લિશ પોએટ્રી બાય યંગર ઇન્ડિયન્સ’ નામનું કાવ્યસંકલન કરવાનું કામ એમને સોંપ્યું હતું ત્યારે માર્ચ, ૨૦૧૮માં બાર જેટલા કવિઓએ જાતીય સતામણીના પેલા આક્ષેપના સમર્થનમાં અને સુદીપ સેનના વિરોધમાં એમના આ સંકલનમાં હિસ્સો બનવા સામે અકાદમીમાં લેખિત વિરોધ નોંધાવી પોતાના નામ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કવિ પર આ પૂર્વે કે પશ્ચાત આવા કોઈ આરોપ મૂકાયા નથી એટલે સત્યાસત્યની પંચાતમાં પડ્યા વિના આપણે એમની કવિતાની વાત કરીએ.    

                     સુદીપ સેનની કવિતા આપણને આકારથી માંડીને અનુભૂતિ સુધી પહોંચાડે છે. તેઓ કહે છે, ‘હું એક ટ્રાન્સનેશનલ લેખક છું, નવી દિલ્હી, લંડન અને ન્યૂ યૉર્ક મારા મહત્ત્વના પડાવ છે. મારું લખાણ ભારતીય, યુરોપિયન અને અમેરિકી પરંપરાઓ -બેઉ ક્લાસિકલ તથા આધુનિક-થી પ્રભાવિત છે. મને ખાસ કરીને છંદશાસ્ત્રમાં, નવા સ્વરૂપો રચવામાં અને અભિનવ સંરચનાઓ સાથે પ્રયોગ કરવામાં રુચિ છે.’ તેમના મતે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ન કર્યો હોત તો તેઓ આર્કિટેક્ટ બન્યા હોત. જે રીતે આર્કિટેક્ટને સ્થાપત્યમાં હોય એ જ રીતે એમને કવિતાના સ્વરૂપમાં સવિશેષ રસ છે. એમના મતે કવિતા માત્ર ભાષાકીય દૃષ્ટિએ જ નહીં, આકારની દૃષ્ટિએ પણ પડકારરૂપ હોવી જોઈએ. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ નામના કાવ્યમાં તેઓએ abxba cdxdc પ્રકારની નવી જ પ્રાસવ્યવસ્થા રચી છે, જેમાં વચ્ચેની પંક્તિનો પ્રાસ દરેક અંતરામાં સમાન રહે છે અને દરેક અંતરાની પહેલી પંક્તિ પાંચમી સાથે અને બીજી પંક્તિ ચોથી સાથે તાલમાં તાલ મિલાવે છે. ન્યૂ યૉર્ક શહેર મેનહટ્ટન, ક્વિન્સ, બ્રુકલિન, બ્રોન્ક્સ અને સ્ટેટન આઇલેન્ડ, એમ પાંચ ભાગમાં વહેંચાયેલું હોવાથી કવિએ દરેક અંતરામાં પાંચ પંક્તિઓ રાખી છે. કવિતાને એની કેન્દ્રિય ધરી પર ૯૦ અંશ ફેરવવામાં આવે તો એનો આકાર મેનહટ્ટન ટાપુને મળતો આવે છે એ વાત પણ સમજાય ત્યારે કવિની ખરી કરામત ધ્યાનમાં આવે છે. આ જ રીતે લીલા સેમ્સન પર લખેલ ‘ભરતનાટ્યમ્ ડાન્સર’ કવિતામાં abacca dbdeed પ્રકારની પ્રાસરચના હકીકતમાં શાસ્ત્રીય નૃત્યના લય-તાલ –તા ધીન તા થાયે થાયે તા- ta dhin ta thaye thaye ta સાથે મેળ ખાય છે. અને કવિતામાં એમણે ડાબી તરફ હાંસિયામાં વધઘટ પણ એને અનુરૂપ જ કરી છે.

                     પ્રસ્તુત રચના ‘ઇચ્છા’ને જો કે કવિના આ પ્રકારના આકાર-આર્કિટેક્ચરનો લાભ મળ્યો નથી. પણ માત્ર બાર જ પંક્તિઓમાં લખાયેલ આ ટચુકડા કાવ્યને કવિએ બબ્બે પંક્તિઓના છ વિભાગમાં વહેંચી કાઢ્યું છે. ગઝલના શેર જેવી રચના કરી હોવા છતાં પ્રાસની પળોજણ અને છંદની માયાજાળથી દૂર રહીને કવિએ મુક્તાકાશમાં વિહરવાનું પસંદ કર્યું છે. બબ્બે પંક્તિઓના આ વિભાગ અપૂર્ણાન્વય (enjambment)ને અનુસરતી સળંગ વાક્યરચનાઓના કારણે અલગ હોવા છતાં એક જ લાગે છે. કવિ કવિતાને સળંગ બાર પંક્તિઓમાં લખી શક્યા હોત પણ દર બે પંક્તિ વચ્ચે કવિએ જે અવકાશ આપ્યો છે, એ આ સળંગસૂત્રી કવિતામાંથી જન્મતા સંવેદનને આત્મસાત કરવા માટે ભાવકને જરૂરી સમય પૂરો પાડતો હોય એમ અનુભવાય છે. કવિએ પોતે જ કહ્યું છે, ‘મારા માટે, લેખન એક શાંત પ્રકારની એવી વસ્તુ હોવી જોઈએ, જ્યાં પાઠક વાંચી શકે છે અને એની અસરને સ્લૉ-રિલીઝ ફેશનમાં અનુભવી શકે છે, ટાઇમ-લેપ્સ ફોટોગ્રાફીની જેમ.’ ખેર, કવિતામાં આકાર કે આયોજન કરતાં ભાવ વધુ મહત્ત્વના છે અને આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ આ કવિતામાં તો એ વાત ખાસ પ્રભાવક બને છે. જોઈએ…

                     શીર્ષક ‘ઇચ્છા’ એક શબ્દમાં માનવજાતની આજ સુધીની તમામ પ્રગતિ સમાવી લે એવી વિશાળ અર્થચ્છાયા ધરાવે છે. ઇચ્છા વિનાનો મનુષ્ય જીવંત લાશથી વધુ કંઈ હોઈ જ ન શકે. દેહત્યાગ પૂર્વે ઇચ્છાત્યાગ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. સંન્યાસી પણ મોક્ષની ઇચ્છાથી પર નથી. શું મહાવીર, શું બુદ્ધ, શું એસુ, શું જરથુષ્ટ્ર- કોઈ ઇચ્છાનો ઉંબરો વટી જઈ શક્યા નથી. કંઈ નહોતું તો અંતે માનવજાતના કલ્યાણની પણ ઇચ્છા તો હતી જ હતી એમના હૈયે.

                     પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?

                     ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!         

                     ઇચ્છાનું આ પાત્ર જ એવું છે. ભરો, ભરો પણ ભરાશે જ નહીં… ઇચ્છા કહો કે વાસના, આકાંક્ષા, ઉત્કંઠા કહો, યા તલસાટ, અભિલાષા કહો – મનુષ્યજાતની પ્રગતિ માટે એ પગથીય વધુ અનિવાર્ય અવયવ છે એટલું પહેલાં બરાબર સમજી લઈએ તો પ્રસ્તુત રચનામાં એની તીવ્રતા કઈ કક્ષાએ કવિ લઈ જઈ શક્યા છે એ સમજવું વધુ આસાન બની રહે છે.       

                      ‘ઇચ્છા’નો ઉંબરો વળોટી કવિતાના ઘરમાં પગ મૂકતાં જ આપણું સ્વાગત મુલાયમ પારભાસી લિનન કરે છે. તરત જ શયનકક્ષ, ડબલબેડ, લીસી મુલાયમ લિનનની અર્ધપારદર્શક ચાદર અને એની નીચે બહાર આવું-આવું કરતાં છૂપાયેલ કોઈ કમનીય કાયા આપણા મનોમસ્તિષ્ક સમક્ષ આવી ઊભે છે. કવિ પણ આપણી ઇચ્છાને જરાય ખોટી પડવા દેવામાં માનતા નથી. બીજી જ પંક્તિમાં સાફ થઈ જાય છે કે આ પારભાસી લીસ્સી ચાદર તળે અર્ધનિમીલિત, અર્ધસ્ફુટ નિરાવૃત્તા સૂતી છે. જો કે કવિ ઓછામાં ઓછા શબ્દોમાં વાત કરવાની કવિતાની મૂળભૂત લાક્ષણિકતાને વશવર્તી કવિકર્મમાં માનતા હોય એમ ચાદર તળેની સુંદરીનું વર્ણન કરી આગળ વધવાના બદલે, અર્જુનને માત્ર પક્ષીની આંખ જ નજરે ચડે એ કટિબદ્ધતાથી ચાદરની વાત કરીને સુંદરી નહીં, સ્તન નહીં, સીધા સ્તનની ડીંટડીની જ વાત કરે છે. લીસ્સીલસ ચાદર તળે તમામ વસ્ત્રો ત્યાગીને સૂતી સુંદરીના સ્તનની ડીંટડી ફરતેની કરચલીઓ નાયક થોડી જ વારમાં ત્યાં જીભ ફેરવશે એ વિચારીને સખત થઈ ચૂકી છે. કામક્રીડામાં ઘણીવાર ક્રીડા કરતાંય આ પૂર્વાનુમાન કે પ્રત્યાશા (ઍન્ટિસિપેશન) વધુ રોચક બની રહે છે. નાયિકા પથારીમાં અંગ્રેજી મૂળાક્ષર ‘C’ની જેમ ઊલટી સૂતી છે અને કમનીય કાયાનો આ કાતિલ વળાંક ઓછો હોય એમ ઈરાદાપૂર્વક કાયાની આ કમાન એ વધુ તંગ કરી રહી છે, નાયકના હોઠોના હૂંફાળા દબાણની પ્રત્યાશામાં…

                     હંમમમ… મતલબ નાયક નાયિકાથી દૂર નથી. કદાચ જે અર્ધભાસક સુંવાળી ચાદર તળે નાયિકા નિર્વસ્ત્ર સૂતી છે, એ જ ચાદરમાં અથવા બાજુમાં જ નાયક પણ સૂતો હોવો જોઈએ. બંને વચ્ચે કામકેલિનો પ્રારંભ હજી થયો નથી પણ એ ઘડી હવે દૂર પણ નથી. નાયકના હોઠ થોડા જ સમયમાં પોતાના સ્તનાગ્રના સિંહાસને આરુઢ થશે એ કલ્પનામાં એક મધુરી સિહરન નાયિકાના અંગાંગમાંથી પસાર થઈ રહી છે, જેના પરિણામે એના કુચાગ્ર ફરતેની કરચલીઓ સખત થઈ રહી છે. આ એકવીસમી સદીના કવિની કવિતા છે. નાયિકા તૈયાર થઈને રાહ જોતી હોય એવા સમયે નાયક બનવાજોગ છે કે એના સ્માર્ટફોનમાં વૉટ્સએપ કે ફેસબુક-ટ્વિટર પર આવેલ આખરી નૉટિફિકેશન કોનું છે ને એમાં શું આવ્યું છે એ જોવાનો લોભ ટાળી શક્તો નહીં હોય એટલે અર્ધપારદર્શક ચાદરમાંથી વર્તાતી નગ્ન કાયાના કામણ હજી એને પૂરાં સ્પર્શી શક્યાં નહીં હોય. આકરું લાગે પણ આ આજના સમયની કડવી વાસ્તવિક્તા છે. બાજુમાં જ અનાવૃત્ત આળોટતી ઉર્વશી કરતાં મોબાઇલમાં દેખાતી પૉર્ન-અપ્સરામાં પુરુષોના ઊરમાં વધુ વસી ગઈ છે. વર્ચ્યુઅલની પરાકાષ્ઠાનો જમાનો છે. ‘ફબિંગ’ (Phubbing – PHone snUBBING) યાને પ્રત્યક્ષ હોય એની અવગણના કરીને જે પ્રત્યક્ષ ન હોય એની સાથે ફોન વડે જોડાયેલા રહેતા આજના લોકોને આજે વાસ્તવિક્તા આભાસી અને આભાસ વાસ્તવિક લાગવા માંડ્યા છે.

                     કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,

                     રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

                     – ઝંખનાની આવી પરાકાષ્ઠા માત્ર શેરો-શાયરીમાં જ સીમિત રહી જાય એવા દિવસો બહુ દૂર નથી પણ સુદીપ સેનની આ કવિતાના પાત્રો કદાચ હજીય વાસ્તવદર્શી અને વાસ્તવલક્ષી જ હોવા જોઈએ, કેમકે નાયક બાજુમાં ઘટી રહેલી આ મુલાયમ ઘટનાથી જરાય નાવાકેફ નથી. ઊલટું, જેમ આવનાર વાવાઝોડાની અપેક્ષામાં નાયિકા જે ઉત્તેજના અનુભવી રહી છે, એવી જ ઉત્તેજનામાંથી નાયક પણ પસાર થઈ રહ્યો છે. કેમકે એના હોઠ કે જીભ અથવા બંને ભીનાં છે. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ ‘my lips’ લખ્યા પછી અલ્પવિરામ પ્રયોજ્યું હોવાથી એ પછી આવતું સર્વનામ ‘it’s’ હોઠો માટે જ વપરાયું હોય એમ લાગે. કવિ સાથે આ બાબતમાં વાત કરતાં કવિ પણ એ જ વાતની પુષ્ટિ કરે છે પણ બહુવચન ‘લિપ્સ’ માટે સર્વનામ એકવચનમાં વપરાયું હોવાની વાત જરા કઠે છે. કવિતાની શરૂઆત તરફ નજર કરીએ અને સર્વનામ જેના માટે વપરાયું છે એ ભીનું છે એ આવનારી હકીકત પણ ધ્યાનમાં લઈએ તો એમ લાગે કે કવિતા લખાઈ હોવાની પળે કદાચ આ સર્વનામ ‘જીભ’ માટે વપરાયું હોય. હશે, હાલની તારીખે કવિને હોઠ અભિપ્રેત હોવાથી એમ રાખીએ તોય કવિતાને કોઈ નુકશાન થાય એમ નથી.

                     નાયકના હોઠ પણ ભીનાં છે કેમ કે दोनों तरफ़ लगी है आग बराबर की. ભીના હોઠ જેવી નાયકની ભીની ઇચ્છાઓ તો નાયિકાની કામજ્વરમાં ભડભડ સળગી રહેલી, રોમાંચી રહેલી અને કામેચ્છાના પ્રસ્વેદબુંદોથી ઝળહળી રહેલી ત્વચાને આવરી લેવાની છે. મતલબ, નાયક પણ આ સમરાંગણમાં પૂર્ણતયા હાજર જ છે પણ રતિભાવ બાબતમાં નાયિકાના ગતિભાવનો એ સ્થિતિભાવથી પ્રતિભાવ આપી રહ્યો છે, કેમકે એ જાણે છે કે મદનાસ્થળીના આ મેદાનમાં ક્રિયાનો અભાવ ખુદ એક ક્રિયા છે. સામાન્યતઃ જે ક્રીડા પર પુરુષો આધિપત્ય ભોગવે છે, એ ક્રીડામાં એ ‘લેડિઝ ફર્સ્ટ’નો અભિગમ અપનાવે છે. બે-ચાર ઘડીમાં જ બની જતી આ સાવ ટબૂકડી ઘટનાને કવિએ કેવી મમળાવી છે! ચાદર નીચેની એક કાયા કમાનાકારે ખેંચાય અને બાજુમાં સૂતા પુરુષના હોઠ ભીના થાય એ ઘટનાને આકાર લેવામાં વળી કેટલોક સમય લાગે?! પણ કવિતાનું સૌંદર્ય જ એ છે કે એ ક્ષણને સદીમાં ને સદીને ક્ષણમાં પલોટી દે છે. આમેય આ ઘડી પ્રતીક્ષાની ઘડી છે અને પ્રતીક્ષા તો કાળાતીત જ હોવાની ને? ‘‘પ્રતીક્ષાની ગલીઓમાં ભૂલા પડ્યા છે, સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે?’’ નાયિકાને પ્રતીક્ષા છે કે નાયક આગળ વધશે અને નાયકને પ્રતીક્ષા છે કે નાયિકા પોતાની પ્રતીક્ષામાં હજી કેટલી કમાનાશે? કવિતામાં અને જીવનમાં સૌથી મીઠો રસ કોઈ હોય તો તે કલ્પનાનો. ગણતરીની પળોમાં આકાર લઈ રહેલી આ નાનકડી ઘટનાને કવિ પણ કલ્પનાઓના મીઠા રસ કહીને જ સંબોધે છે.

                     અહીં કવિ કલ્પનાની સીડીને હકીકતની ભીંતે ટેકવે છે. વાસ્તવિકતાની હાજરીમાં જ ‘ઍન્ટિસિપેશન’ની ચરમસીમા અનુભવાય છે. બંને પક્ષે સહિયારાયેલ ઉત્કંઠાને નાયકનો ખુલાસો વધુ ધાર કાઢી આપે છે. ‘પણ’ કહીને આખી ઘટનાની સામે વિરોધમાં ઊભા રહી ગયા બાદ ‘હકીકત’ શબ્દનો ઉલ્લેખ કરી કવિ વાચકને તૈયાર કરે છે. નાયક હકીકતમાં તો હજી અડ્યોય નથી. ‘તને’ સંબોધનને આ વાક્યમાંથી કાપી નાંખીને કવિ પોતે જે કહેવું છે એ વ્યક્તિગત અનુભૂતિને વધુ સાર્વત્રિક અને તીવ્ર બનાવે છે. ‘પણ’ ‘હકીકત’ અને ‘અડ્યો’ ક્રિયાપદને વજનદાર બનાવતો ‘ય’ – કવિતાના આ ઓજાર તરફ યોગ્ય લક્ષ આપવાનું રહી જાય તો એ વાચકના પક્ષે નબળાઈ કહેવાય કેમકે કવિતાની ખરી મજા જ અહીં છે. કવિ કહે છે કે આટલું બધું બની ગયું વાત સાચી જ છે પણ વધુ સાચી વાત તો એ છે કે હું એને હજી અડ્યો સુદ્ધાં નથી. બંને પક્ષે આગ લાગી છે પણ હકીકતમાં તો દિવાસળી હજી માચીસને સ્પર્શીય નથી. કાવ્યાંતે પોતાની વાતની પુનરુક્તિ કરીને કવિ સફળતાપૂર્વક વાચકસંવેદનાને વધુ તીવ્રતર બનાવે છે. કહે છે, કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

                     કામાપેક્ષાની ચોટીએ આરુઢ નાયિકા જે નાવમાં સવાર છે, એ જ નાવમાં સવાર હોવા છતાં નાયક જ્યારે સફાઈપૂર્વક પોતાની હકીકત જણાવે છે કે મેં હજી સુધી કંઈ જ કર્યું નથી અને વળી સફાઈમાં દોહરાવે છે કે હજી સુધી તો નથી જ કર્યું, ત્યારે જે હલ્લો હજી સુધી થયો નથી, પણ થવાની તૈયારીમાં જ છે એ સાફસાફ નજરે ચડે છે. જે ઇચ્છાએ નાયિકા બેવડ વળી રહી છે, રોમાંચી રચી છે, પ્રસ્વેદિત થઈ રહી છે, એ જ ઇચ્છા નાયકને પણ પ્રજાળી રહી છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. નાયક આ જ હકીકતનો દાવ સહિયારી ‘ઇચ્છા’ પર લગાવે છે, પરિણામે કવિતા એક મીઠો અનુભવ આપવામાં સફળ રહે છે.

                     સુદીપ સેને તાજેતરમાં જ બહુચર્ચિત ‘ઇરોટેક્સ્ટ’ જેવું પુસ્તક આપ્યું છે, જેની ‘કેચલાઇન’ છે: Desire, Disease, Delusion, Dream, Downpour (ઇચ્છા, બિમારી, ભ્રમ, સ્વપ્ન, ભારીવર્ષા). ગદ્ય અને પદ્યની સીમાઓને ભૂંસીને જૂની કવિતાઓને નવો આયામ અને નવી કવિતાઓને વધુ નવો આયામ આપતું આ પ્રયોગાત્મક પુસ્તક ભાષાની દુનિયામાં એક નવો ચીલો ચાતરે છે. સુદીપ સેન સિદ્ધ કરે છે કે મોટી-મોટી વાતો કરવા માટે શબ્દોની અંતહીન ધારાની આવશ્યકતા નથી. અહીં પ્રસ્તુત રચનામાં પણ કવિએ બહુ ઓછા શબ્દોમાં, લગભગ નહિવત્ કહી શકાય એટલી જ ગતિવિધિમાં જે ફૉરપ્લે આલેખ્યો છે એ શબ્દાતીત છે. ઇચ્છા શરીર જેવા શરીરને અહીં ટપી જાય છે. શરીર તો અહીં હજી ‘એક્શન’માં જ આવ્યું નથી. હજી તો બંને છેડે માત્ર ઇચ્છાઓના નવરસ જ ફૂટ્યા છે, એવામાં તો આવી કવિતા… ડીંટડીના ઊઘાડા ઉલ્લેખ અને સ્તનચુંબનની અપેક્ષાની વાત કરતી હોવા છતાં કવિતાએ ક્યાંય સુચારુતાની સીમા ઉલ્લંઘી નથી. માત્ર ‘સેક્સ એન્ડ ડિઝાયર્સ’ની વાત કરતી હોવા છતાં કવિતાએ સમ ખાવા પૂરતોય સાહિત્યની લક્ષ્મણરેખા બહાર પગ મૂક્યો નથી એ વાત કવિતાને વધુ ઊંચાઈએ લઈ જાય છે. આખરે તો આ ઇચ્છાઓની વાત છે અને ઇચ્છાઓની હકીકત તો આ જ છે કે –

                     પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?

                     કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.  

ગ્લૉબલ કવિતા : ૧૦૫ : દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

દરવાજામાં આંગળાં

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવો હોય તો પહેલાં તો કલેજામાં હિંમત જોઈએ. કેમકે આ સવાલોના સાચા જવાબ શોધવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈ હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર આપણે ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણી, અનુભૂતિની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ. પણ કવિતા ઢાંકપિછોડો કરવામાં માનતી નથી. મખમલમાં વીંટાળીને જૂતું મારતાં કવિતાને આવડે નહીં. સાચો કવિ જ્યારે પણ કલમ ઉપાડે, વાસ્તવિક્તાના તેજાબમાં ડૂબીને જ ઉપડે. કદાચ સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

ડેવિડ કેનેથ હૉલબ્રુક. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. ૧૯૪૨થી ૧૯૪૫ સુધી બ્રિટીશ આર્મીમાં સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. આ જ D-dayની આસપાસ “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) નામની લગભગ આત્મકથનાત્મક નવલક્થા એમણે વણી છે. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન.

સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. પૉર્નોગ્રાફીના મુખર વિરોધી. પણ સૌથી વધીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

‘દરવાજામાં આંગળાં’ શીર્ષક વાંચતા જ નજર સામે આપણામાંથી મોટા ભાગનાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક બની ગયેલ અકસ્માત તરવરી રહે. આપણામાંથી મોટા ભાગનાએ પોતાના કે પોતાની આસપાસના સ્વજનોના આંગળા દરવાજો બંધ થતી વખતે બેદરકારીના કારણે વધતી-ઓછી માત્રામાં કચડાઈ જતાં જોયાં જ હશે. હૉલબ્રુકનું આ કાવ્ય હજારો વર્ષ જૂનાં માનવસંબંધોનો આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. બાર પંક્તિ હોવાના નાતે કવિતા સૉનેટની નજીક ગતિ કરતી હોય એમ પણ અનુભવાય. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીના આકાર જેવું જ આ મુક્તકાવ્ય છે. કવિએ અપૂર્ણાન્વય (Enjambment) રીતિ પ્રયોજીને કવિતાના વાક્યોને એકમાંથી બીજામાં ઢોળાવા દઈને એક જ અંતરામાં રચાયેલી આ કવિતાને એ રીતે સળંગસૂત્રિતા બક્ષી છે કે દરવાજામાં આંગળાં અચાનક દબાઈ ગયાં હોય અને જે વીજગતિએ આપણે આંગળાં બચાવવાની કોશિશ કરીએ એ જ રીતે એક જ શ્વાસમાં આખી રચના વાંચી જવી પડે.

પહેલી પંક્તિમાં જ નાયક કવિતાના પિંડને આખેઆખો રજૂ કરી દે છે. ક્ષણાર્ધની બેદરકારીના કારણે નાયકના હાથે એની જ બાળકીના આંગળાં દરવાજામાં ભચડાઈ જાય છે. બાળકનું લિંગ કવિ અહીં સુધી જાહેર કરતા નથી. પણ વાક્ય પતી ગયું હોવા છતાં પંક્તિ પૂરી કરવાના બદલે કવિ બાળકનું લિંગ કયું છે એની સાથે આપણો પરિચય કરાવી આપે છે. ઓહ! બાળકી છે આ તો. અને આપણી સંવેદના તરત જ વધુ તીવ્રતર બની રહે છે કેમકે સરવાળે બાળકી બાળક કરતાં તો વધુ જ કોમળ હોવાની ને! પહેલી પંક્તિમાં જ એક વાક્ય સાથે બીજું જોડી દઈને કવિ આપણને કવિતામાંથી ઝડપભેર પસાર થવા મજબૂર કરી દે છે. બાપ સાથે ઘડીભર પહેલાં મસ્તીમાં જોતરાયેલી ફૂલ જેવી બાળકી પોતાના કૂમળાં આંગળાંઓ પર વીજળીની જેમ અચાનક ત્રાટકેલી આ આફત કેમ સહી શકે? એનો શ્વાસ અટકી જાય છે. એ આખેઆખી અમળાઈ ઊઠે છે. માના ગર્ભમાં ભ્રુણ જે રીતે ટૂંટિયું વાળીને પડ્યું હોય છે એમ એ આખી બેવડ વળી જાય છે, જાણે કે અસહ્ય અકથ્ય પીડાની બળબળતી હકીકતથી દૂર ભાગી છૂટવા માંગતી ન હોય. પિતાએ તરત દરવાજો ખોલી નાંખ્યો જ હશે પણ કવિએ એ લખવું આવશ્યક નથી સમજ્યું. એ વાત સમજવાની વાત છે.

પોતાના હાથે પોતાના જ સંતાન અચાનક અસહ્ય અકથ્ય વેદનાનો શિકાર બને એ ઘડી મા-બાપને મરવા જેવી લાગે છે. પોતાની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ થયેલ અકસ્માતના કારણે બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી જન્મે છે. મરેલો માણસ આકાશમાં તારો બની જાય છે એવી માન્યતા જેમ આપણે ત્યાં છે એવી જ વિદેશમાં પણ પ્રવર્તે છે. મૃત્યુ જેવા રાતના ગાઢા કાળા અંધારામાં ચળકતા તારાઓ આપણાં જ પૂર્વજો છે જે આકાશમાં રહીને પણ આપણા પર નજર રાખે છે, સધિયારો આપે છે. રડતી-વિલખતી બાળકી આશ્વાસન અને સહાયની આશામાં બાપને વળગી પડે છે એ ઘડીએ એને સત્યનું ભાન થાય છે કે એકમેકને કોઈપણ પ્રકારની સહાય કરવી શક્ય નથી. ચસોચસ આલિંગનમાં બંધાયેલ બંને જણ વચ્ચે સાચા અર્થમાં તો પ્રકાશ-વર્ષો જેવું અનંત અસીમ અંતર છે. કોઈ કોઈના દુઃખમાં શી રીતે સહભાગી બની જ શકે? दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં તમામ પ્રકારના સંબંધો વચ્ચે રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारो रक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) માનવસંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिल के खुश रखने को गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखों में जो भर लोगे तो काँटों से चुभेंगे, ये ख्वाब तो पलकों पे सजाने के लिए है (જાં નિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.” દૂર રહીને ટેકો આપવાથી જ સંબંધોની ઈમારત ઊભી રહી શકે છે એ વાસ્તવિક્તા સામે આંખ આડા કાન કરીને આપણે સહુ જીવી લેતાં હોઈએ છીએ. એટલે જ જીવનની આવી કોઈક ક્ષણે અચાનક મરી જવાનું મન થાય એવા અહેસાસના શિકાર બનવાનો વારો આવે છે.

આલિંગનમાં હિબકતી-તડપતી બાળકીને શાંત કરવા મથતા બાપનું મન અચાનક એ જગ્યાએથી હજારો પ્રકાશવર્ષ દૂર ચાલ્યું ગયું છે. એને સવાલ થાય છે કે શું આ બાળકી મારાં જ બીજની નિષ્પત્તિ છે? આ પ્રેમની ખરી પરાકાષ્ઠા છે. સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલુંય સહિયારી નથી શકાતું એ વાતનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ જ ખરો પ્રેમ છે. સંબંધમાં વાસ્તવિક્તાનો સ્વીકાર જ પ્રેમ છે પણ આપણે સહુ આજીવન આભાસના ઝાંઝવામાં ઘસરડાતા-ઉઝરડાતા જીવ્યે રાખ્યે છીએ. ભલે બાપના શુક્રકોષે જ માના અંડકોષ સાથે મળીને બાળકીનું સર્જન કર્યું હતું પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા અને બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એ પણ પોતાના સંતાનને પોતામાં પુનઃસ્થાપિત નહીં કરી શકે. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

સંભોગની પરાકાષ્ઠાએ પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે. એક જીવ બીજામાં રેડાય છે અને ત્રીજો આકારાય છે. ગર્ભની હૂંફમાં કોષ વિકસતા-દ્વિગુણાતા જાય છે અને શિશુનો પિંડ બંધાય છે. નવ-નવ મહિના પોતાની કૂખમાં ધારણ કર્યા બાદ મા એને આપણી દુનિયામાં અવતારે છે. નવ મહિનાથી બંને વચ્ચે ગર્ભનાળનો સંબંધ છે, જે વિશે બાપને ક્યારેક ઈર્ષ્યા પણ આવી જાય છે. નાળ કપાવાની ઘડીએ માને પોતાના જ અસ્તિત્વનો એક ભાગ કપાઈ જતો અનુભવાય છે. મા માટે આ ઘડી હર્ષ અને શોકની બેવડી ઘડી છે. પણ ગમે એ કરો, પોતાનામાંથી જ જન્મ્યું હોવા છતાં આ નવું અસ્તિત્વ નાળ કપાય છે એ ઘડીએ જ પોતાનાથી પ્રકાશવર્ષો દૂર થઈ ગયું હોય છે. મા-બાપ ભલે બાળકને પોતાનું ગણીને ઉછેરે અને પોતે અને પોતાના સંતાન એક જ છે એમ ગણીને જીવે પણ જેમ તીરથી નીકળેલું બાણ પરત ફરી શકતું નથી એમ આ સંતાન પણ હવે ગર્ભમાં પરત નહીં જ ફરી શકે. શરીરની અલગતાની આ જે વાસ્તવિક્તા છે, એ જ લાગણીઓ-અનુભૂતિઓ માટેની વાસ્તવિક્તા પણ છે. પરંતુ એ તરફ જોવું આપણને ગમતું ન હોવાથી આપણે આંખ મીંચી દઈને દુનિયા ગાયબ થઈ ગઈ હોવાના ભ્રમમાં જીવી કાઢીએ છીએ.

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

દરેક વ્યક્તિ અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ જ છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વિલિયમ ગોલ્ડિંગની લોહી થીજાવી નાંખતી લઘુનવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે. બાળકોને આમ તો આપણે ઈશ્વરનો અંશ ગણતાં હોઈએ છીએ પણ જ્યારે નિર્જન ટાપુ પર અસ્તિત્વની લડાઈ ઊભી થાય છે ત્યારે આ કૂમળાં બાળકો વચ્ચેના માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે. ગળે ઊતારવી ભલે ન ગમે પણ સંબંધોની ખરાઈ તો આ જ છે. બોધિવૃક્ષ શોધવા ગયા જવું જરૂરી છે જ નહીં. ખરું બોધિવૃક્ષ તો આપણું જીવન જ છે. જે ઘડીએ જીવનમાં બની રહેલી ઘટનાઓ પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ ઘડી બુદ્ધત્વની ઘડી છે. પ્રસ્તુત રચનામાં બાપને ઘરના દરવાજામાં બાળકીના અચાનક કચડાઈ ગયેલ આંગળાંઓના નિમિત્તે જન્મેલી પીડાના સંદર્ભે સંબંધોનું બોધિવૃક્ષ હાથ લાગ્યું છે અને એને વાસ્તવિક્તાનું જ્ઞાન સાંપડ્યું છે. પોતે, બાળકો, બાળકોની જનેતા- આખો પરિવાર મૃત ચળકતાં તારાઓની વચ્ચે વિખેરાઈને જીવી રહ્યો છે. એક નાના અમથ ઘરની ચાર દીવાલોની વચ્ચે એકમેકની સતત હૂંફમાં સાથે જીવતાં હોવાની જે અનુભૂતિ છે એ માત્ર આભાસ હોવાનું નાયકને સમજાયું છે. આપણે સહુ એક જીવનમાં અનેક જીવન જીવતાં હોઈએ છીએ. જીવનના અલગ-અલગ રંગમંચ પર આપણે અલગ-અલગ કિરદાર ભજવતાં રહીએ છીએ. વ્યક્તિએ-વ્યક્તિએ અને સંબંધે-સંબંધે આપણો ચહેરો બદલાતો રહે છે. એક જ વ્યક્તિ સામે પણ આપણે એકના એક સ્વરૂપે રજૂ થઈ શકતા નથી, સમય-સમયે બદલાતા રહીએ છીએ. આપણાં આ એકે-હજારા રૂપને કવિ આપણું સેંકડો-હજારોમાં ટુકડાઓમાં વહેંચાઈ જવું ગણાવી આપણી વચ્ચે જે માનસિક અંતર છે એની દૂરીથી આપણને પ્રબુદ્ધ કરે છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા અને વચ્ચે વસતી અસીમ અંધારી વાસ્તવિક્તાની તેજાબી અનુભૂતિ કરાવે છે…

ગ્લૉબલ કવિતા : ૧૦૪ : પરિશૂન્યતા – આહારોન આમીર (હિબ્રૂ)

Nothingness

I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more

– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)

પરિશૂન્યતા

હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં

– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)

ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો?

એક રાત્રે અચાનક ભયાનક સપનું જોઈને તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે તમારા સાથીદારને ઊઠાડવા બૂમ પાડવા જાવ છો અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. વાણીના નામે તમારી પાસે નકરો શૂન્યાવકાશ જ રહી ગયો છે અને ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? કેવી રીતે તમારા સાથીદાર સાથે, પરિવારજનો સાથે, મિત્રો સાથે, સહકર્મીઓ સાથે હવે તમે વાર્તાલાપ કરી શકશો? તમારી જાતને કઈ રીતે અભિવ્યક્ત કરી શકશો? વિચારો… આવી કોઈ અસીમ શૂન્યતાની અનંત ભેખડ પર લટકવાનું થાય તો શું હાલત થાય? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર આજે ગ્લૉબલ કવિતામાં ઉપસ્થિત થયા છે.

આહરોન આમીર. ૦૫-૦૧-૧૯૨૩ના રોજ લિથુઆનિયામાં જન્મ. મૂળે ઇઝરાઈલી. હિબ્રૂ ભાષાના સાહિત્યકાર. ૧૦ વર્ષની વયે એમનો પરિવાર પેલેસ્ટાઇન સ્થળાંતરિત થયો. તેલ અવીવમાં મોટા થયા. અભ્યાસ કરતા હતા એ સમયે આમીર ઇર્ગુન અને લેહી નામની ગુપ્તચર સંસ્થાઓના સભ્ય હતા, જેઓ પેલેસ્ટાઇનમાંથી બ્રિટિશરોને હાંકવા માંગતા હતા. કેનાનાઇટ ચળવળ જેણે પેલેસ્ટાઇનના યહૂદીઓના કળા, સાહિત્ય, આધ્યાત્મિક અને રાજકારણીય વિચારોને નવો દેહ બક્ષ્યો, એના સ્થાપક સભ્ય પણ તેઓ હતા. આ ચળવળે એ સમયની સંસ્કૃતિને ધર્મના સીમાડાઓથી ઊંચા ઊઠતાં શીખવ્યું. ૧૮ વર્ષ સુધી એમણે કેશેટ નામનું સાહિત્યિક સામયિક પણ ચલાવ્યું. જીવનના આખરી શ્વાસ સુધી સક્રિય રહ્યા. ૮૫ વર્ષની વયે કેન્સરના કારણે ૨૮-૦૨-૨૦૦૮ના રોજ નિધન. પોતાનું શરીર તેઓ વિજ્ઞાનને સમર્પિત કરતા ગયા.

કર્મઠ સર્જક આહરોનની ભાષા જેટલી સહજ છે એટલું વાતનું ઊંડાણ સહજ નથી. આહરોનની કવિતાઓ એક ઊંડા કૂવા જેવી છે, એમાં જેમ ઊંડે ઊતરતા જાવ, એમ નવા-નવા પરિમાણ હાથ આવતા જાય છે, નથી હાથ આવતું તો માત્ર તળ. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાંથી વિપુલ સાહિત્ય તેઓ પોતાના હિબ્રૂ લોકો માટે ઊતારી લાવ્યા. ૨૦-૩૦ નહીં, લગભગ ૩૦૦ જેટલા પુસ્તકોનો એમણે હિબ્રૂ ભાષામાં અનુવાદ કર્યો. અને બંધ કોચલા જેવી સંસ્કૃતિના અંધારામાં કેદ ભાષાવાસીઓ માટે તેઓ આ રીતે અજવાળાનું આખું આકાશ લઈ આવ્યા હતા. આ છતાં એમણે આજીવન અનુભવ્યું કે પોતે આ દેશમાં આગંતુક હોવાના નાતે સ્થાનિક લોકો અને સ્થાનિક સાહિત્યે એમનો પૂર્ણપણે સ્વીકાર કર્યો નહોતો.

કવિતાના શીર્ષક નથિંગનેસનો તરજૂમો વ્યાયામ માંગી લે છે. ફરી એકવાર એક ભાષાની લાક્ષણિકતા કઈ રીતે બીજી ભાષાની મર્યાદા બનતી હોય છે એ સમજી શકાય છે. અંગ્રેજીના જાણતલને નથિંગનેસનો અર્થ સમજાવવો પડતો નથી. નથિંગનેસ બોલતાં જ આંખ સામે શૂન્યતાની અસીમ ખીણ નજર સામે આવી ઊભે છે. શીર્ષકનો અનુવાદ શું કરવો? શૂન્યતા? પરિશૂન્યતા? અનસ્તિત્વતા? ખાલીપો? બધા જ વિકલ્પ સાચા પણ છે અને અધૂરા પણ છે. યથાર્થ ભાષાંતર કરવું હોય તો ‘કંઈ નહીં-તા’ જેવો શબ્દ કોઇન કરવો પડે પણ મૂળ રચના અને અંગ્રેજી અનુવાદમાં શીર્ષક માટે કોઈ અરુઢ શબ્દ પ્રયોજાયો ન હોવાથી ગુજરાતીમાં ‘પરિશૂન્યતા’ જેવો નિકટતમ વિકલ્પ નિર્વાહ્ય ગણી લેવો પડે. શીર્ષકના અનુવાદની ગડમથલ જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે પ્રસ્તુત રચના ભાષાની આ ખાસિયત અને મર્યાદાઓ પર જ પ્રકાશ નાંખે છે. ‘પરિશૂન્યતા’ વીસ પંક્તિઓના એક જ બંધમાં લખાયેલ કાવ્ય છે. અહીં ભાષાલોપની વાત મુખ્ય હોવાથી છંદલોપ તથા પ્રાસલોપ પણ સહજ સ્વીકૃત બની રહે છે. મૂળ કવિતા ઉપલબ્ધ ન હોવાથી કવિએ એમાં વિરામચિહ્નોનું પ્રયોજન કઈ રીતે કર્યું છે કે કર્યું છે યા નહીં એ જાણવું શક્ય નથી પણ અબ્રાહમ બિરમને અંગ્રેજી અનુવાદમાં કવિતામાં ચાર જગ્યાએ ડૅશ (લઘુરેખા) વાપરવા ઉપરાંત કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પ્રયોજ્યા નથી જે સૂચક છે. ભાષા-વાણી ખોવાઈ જવાની વાત તમામ પ્રકારના વિરામચિહ્નો ખોઈ નાંખવાના કારણે વધુ ધારદાર બની છે. જો કે એની સામે કવિએ વ્યાકરણમાં ક્યાંય કોઈ ચેડા કર્યા નથી એ પણ એટલું જ નોંધપાત્ર છે.

અડધી રાત્રે સંભાષકની ઊંઘ કોઈક કારણોસર અચાનક ઊડી જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એની ભાષા અચાનક ચાલી ગઈ છે. એની પાસે હવે એની ભાષાનું કોઈ નિશાન, લખાણ, કક્કો કે અન્ય કોઈ પણ ભાષાના શબ્દ કે ચિહ્ન-ઈશારા સુદ્ધાં રહ્યાં નથી. અડધી રાતે અચાનક કોઈકે એની પાસેની આ તમામ મતા સાગમટે ચોરી લીધી છે અને એ આદિમ ભયથી આતંકિત થઈ જાય છે. ફ્રાન્ઝ કાફકાની બહુપ્રસિદ્ધ જર્મન લઘુનવલ (Novella) ‘Die Verwandlung’ (અંગ્રેજીમાં ‘મેટામોર્ફોસિસ’)નો નાયક ગ્રેગોર સામ્સા યાદ આવી જાય. એક સવારે ઊઠીને ગ્રેગોર પોતાની જાતનું એક વિશાળ જંતુમાં રૂપાંતર થઈ ગયેલું જુએ છે. જંતુ બનવાની સાથે એની ભાષા પણ બદલાઈ જાય છે, જે પરિવારજનો માટે અસંબદ્ધ અવાજથી વિશેષ કશું નથી. સ્વરૂપ અને ભાષા બદલાઈ જવાથી ગ્રેગોર અને પરિવારજનો જે સમસ્યાઓનો શિકાર બને છે એ આખી વાત બહુ અદભુત છે અને દુનિયાભરના વિદ્વાનોએ આ લઘુનવલના પોતપોતાની રીતે અર્થઘટનો કર્યાં છે. આમીરની આ રચના કાફકાની લઘુનવલના પદ્યસ્વરૂપ સમી છે.

આખું જીવન અભરે ભરેલું હોવા છતાં મનુષ્યને જીવનમાં જે નથી એનો જ મોહ વધુ હોય છે. ‘છે’નો સિક્કો સમયના હાથે સતત ઘસાતો રહે છે પણ ‘નથી’નો સિક્કો વધુ ને વધુ ચમકદાર બનતો રહે છે. પગ પાસેની રેતીમાં શ્રદ્ધા હોત તો મરીચિકાનો જન્મ જ ન થાત! પણ આપણને હંમેશા પારકે ભાણે જ લાડુ મોટો લાગતો આવ્યો છે. હોવા કરતાં ન હોવાનું ગણિત જ પ્રાધાન્ય ધરાવતું હોવાથી જિંદગીના દાખલામાં સરવાળે હંમેશા ખોટ જ હાથ લાગે છે. ઈ.પૂ. ૫૬૫માં લાઓ ત્સેએ કહ્યું હતું: ‘અજ્ઞાનને જાણવું એ જ્ઞાનનો શ્રેષ્ઠ ભાગ છે.’ અહીં નાયકને અચાનક પોતાની પાસે જે બચ્યું નથી કે છિનવાઈ ગયું છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાન હંમેશા કષ્ટદાયક હોય છે. ડી એચ લૉરેન્સે કહ્યું હતું કે ‘જ્ઞાને સૂર્યને મારી નાંખ્યો છે, ધબ્બાઓવાળો વાયુનો એક ગોળો બનાવી દીધો છે.’ કેવી સાચી વાત! ગુમાવી બેસવાના જ્ઞાને જ નાયકને ભયભીત કરી દીધો છે. કોઈ વસ્તુ આપણે કદી જોઈ-અનુભવી જ ન હોય તો એની અછત બહુ તકલીફદેહ બનતી નથી. મર્સિડિઝ-બીએમડબ્લ્યૂના કદી માલિક થયાં જ ન હોઈએ તો ઈર્ષ્યાથી વધીને કદાચ તકલીફ ન જ થાય પણ આખી જિંદગી એમાં ફર્યા હોઈએ અને અચાનક ગુમાવી બેસીએ એ વધુ પીડાકારક છે. ‘ન હોવું’ એ ‘હોવું’ કરતાં વધુ દર્દ પહોંચાડે છે પણ ‘હોવું’ જ્યારે ‘ન હોવું’ બની જાય ત્યારે તો અસહ્ય જ બની રહે છે.

નાયકની જિંદગીમાંથી રાતોરાત ભાષા એના તમામ આયામો લઈને ચાલી ગઈ છે. ભાષાથી મોટી કોઈ ક્રાંતિ મનુષ્યજાતે કરી-અનુભવી નથી. જ્યારે ભાષા હતી જ નહીં, ત્યારે પણ પ્રત્યાયન તો હતું જ. પણ એ બિલકુલ આદિમ પ્રકારનું હતું. માનવામાં આવે છે કે પાંચ લાખ વર્ષ પહેલાં વાણીનો ઉદગમ થયો હતો. સાંઠ-સિત્તેર હજાર વર્ષ પહેલાં આદિમાનવો અલગ અલગ ભૂખંડમાં ફેલાવા શરૂ થયા અને અલગ-અલગ પ્રકારની વાચાનો જન્મ થવાની શરૂઆત થઈ. ફ્રાન્સમાં શૉવેટ ગુફામાં પ્રત્યાયનમાં મદદરૂપ ગુફાચિત્રો મળી આવ્યા છે, જે ૩૦૦૦૦ વર્ષો પુરાણાં છે. ભાષાની ઉત્ક્રાંતિ અત્યંત ધીમી ગતિએ થઈ. ગુફાચિત્રોથી પેટ્રોગ્લિફ (પહાડમાં કરેલ કોતરકામ) સુધી જવામાં બીજાં વીસેક હજાર વર્ષ નીકળી ગયાં. લેખનની શરૂઆત ઈસુથી ત્રણથી છ હજાર વર્ષો પૂર્વે થઈ હોવાનું મનાય છે પણ વાણીની શરૂઆત વિશે કોઈ આધારભૂત સ્રોત ઉપલબ્ધ નથી કેમકે વાચા કોઈ નિશાન મૂકતી નથી જેને પુરાતત્ત્વવિદ્દ ખોદી કાઢી શકે. જેમ પશુ-પક્ષીઓમાં એમ મનુષ્યોમાં પણ અવાજના નાના-મોટા આરોહ-અવરોહથી વાતચીત કરવાની શરૂઆત થઈ હશે. મનુષ્યો પાસે હાથ-પગ-શરીર વડે સંકેત કરવાની વધારાની સુવિધા પણ હતી. સમય જતાં આ અવાજોના પિંડ બંધાયા અને એમ ભાષાની શરૂઆત થઈ. આજે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ માત્ર ભાષાના પ્રતાપે જ છે. જો આપણા વિકાસના મૂળમાં ભાષાની સિમેન્ટ રેડવામાં આવી જ ન હોય તો અભિવ્યક્તિની ઈમારત બાંધવી જ સંભવ નથી. ફ્રાન્સિસ બેકને કહ્યું હતું એમ, ‘માણસો કલ્પના કરે છે કે તેઓનું મન ભાષા પર આધિપત્ય ધરાવે છે, પણ બહુધા એવું થતું હોય છે કે ભાષા મનોમસ્તિષ્ક પર રાજ્ય કરે છે.’ કોઈકે કહ્યું છે એમ ભાષા સુનિશ્ચિત રેલપટ્ટીઓ જેવી છે, જેના પર જ આપણા વિચારોએ દોડવું પડે છે.

અને આ ભાષાની એકદિવસ અચાનક આગોતરી જાણ વિના જ જીવનમાંથી બાદબાકી થઈ જાય તો કેવી હોનારત સર્જાય?! નખશિખ વસ્ત્રોથી સુશોભિત સભાગૃહની સમક્ષ મંચ પર અચાનક નિર્વસ્ત્ર આવી ઊભા રહેવાનું થાય ત્યારે જે હાલત થાય એ હાલત સંભાષક અનુભવી રહ્યો છે. આકાશને આંબતા વિરાટકાય વૃક્ષની ટોચ પરથી કોઈ માણસ નીચે ફંગોળાય ત્યારે કેવો ડર લાગે! જહાજ તૂટી ગયા પછી કોઈ નાના ટાપુ પર આશરો લેનાર માણસ જ્યારે જુએ કે દરિયાની ભરતી ટાપુને ગળવા માંડી છે તો જીવ કેવો પડીકે બંધાય! વિમાનચાલકે વિમાનમાંથી કૂદવું પડે અને જે પેરાશૂટના આશરે કૂદ્યો હોય એ પેરાશૂટ ખૂલે જ નહીં તો કેવી કફોડી હાલત થાય! પથરો ખાડામાં પડે ને ખાડાનો અંત આવે જ નહીં, આવે જ નહીં ત્યારે ભય અને અનિશ્ચિતતાની જે તીવ્રતમ લાગણી થાય એ લાગણી કથક અહીં અનુભવી રહ્યો છે. પણ આ ભય પણ અવાજ વગરનો, અક્ષર વગરનો, ઉચ્ચારી ન શકાય એવો હતો. કોઈપણ જાતના અવયવ વિનાના શરીર જેવી આ વાત છે. કોઈપણ પ્રકારે સ્ફુટ ન થઈ શકે એવી અસંબદ્ધતા નાયકને ઘેરી વળે છે. ભયની આ અસ્ફુટતાને કવિ ‘અસ્ફુટ’ શબ્દને બેવડાવીને વધુ ધારદાર બનાવે છે.

ભાષા વિનાના અંધારામાં સાવ માણસ એકલો પડી જાય છે. એક એવી કાળી ગાઢી ઉદાસી બધી તરફ વ્યાપી જાય છે, જેમાં ભલભલા ‘હું’ ઓગાળી જાય છે. જીવનમાં જે કોઈ સહારાઓ હતા, એ આ અંધારામાં ગાયબ થઈ જાય છે. આમેય અંધારું નાના-મોટા બધાને બધાને એકસમાન રંગીને એક કક્ષાએ લાવી દે છે. આ અંધારામાં જાતને ટકાવવા માટે હવે નથી કોઈ પકડ બચી કે નથી કોઈ ટેકો, જેને અઢેલી શકાય. જાણે સર્વસ્વને સર્વસ્વમાંથી ઉતરડી ન લેવાયું હોય એમ શૂન્યતામાં શૂન્યતાનો ગુણાકાર થતો રહે છે. પાસે જે ધ્વનિ બચી ગયો હોવાનું અનુભવાય છે એમાં કોઈ વાચા નથી ને કોઈ અવાજ પણ નથી. આ વાચાહીન અને અવાજહીન ધ્વનિનું રૂપક કવિતામાં સૌથી વધુ મજબૂત રૂપક છે, જેની સામે આવીને મજબૂતમાં મજબૂત ભાવક પણ ઘૂંટણિયે પડવા મજબૂર થઈ જાય છે.

ભાષા આપણી શક્તિ છે તો આપણી મર્યાદા પણ છે. કોઈકે અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘કેમકે આપણે માત્ર આપણા અનુભવોને જ ઓળખીએ છીએ, આપણે કેવી રીતે ક્યારેય એમની બહાર આવીને ચકાસી શકીએ, કે ખરેખર વાસ્તવિક્તા શું છે?’ આપણા મનોભાવોને સુપેરે યથાતથ રજૂ કરી શકે એવી કોઈ ભાષા દુનિયામાં શોધી શકાઈ જ નથી. દરેક ભાષા પાસે અભિવ્યક્તિની વધતીઓછી ક્ષમતા હોવાના કારણે એક ભાષા જે લાગણી જે શબ્દમાં વ્યક્ત કરી શકે છે, એ લાગણી એના એ રૂપે વ્યક્ત કરવામાં બીજી ભાષા કદી સક્ષમ બને જ નહીં. રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’નો દુનિયાની બીજી કોઈપણ ભાષામાં તરજૂમો શક્ય જ નથી. ને એ ન્યાયે દુનિયાની કોઈ કવિતા બીજી ભાષામાં મૂળ ભાષાના ભાવોને હૂબહૂ રજૂ કરી શકે જ નહીં. ફ્રોસ્ટે કહ્યું જ હતું કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે એ કવિતા છે. એઝરા પાઉન્ડે બહુ સાચું કહ્યું છે: ‘તમામ માનવ જ્ઞાનનો સરવાળો કોઈ એક ભાષામાં સમાવી શકાય નહીં, અને કોઈ એક ભાષા માનવીય સમજના તમામ સ્વરૂપો તથા પરિમાણો વ્યક્ત કરવાને સક્ષમ નથી.’

જ્યારે હોવામાંથી હોવું નીકળી જાય ત્યારે મનુષ્ય શૂન્ય બની જાય છે, શૂન્યથીય વધુ સીમિત –કંઈ જ નહીં- બની જાય છે. (શૂન્ય પણ આખરે કંઈક તો છે જ ને!) લટકી જવા માટે વધસ્તંભ તો નથી જ, એકાદી ખૂંટીય નથી રહેતી જ્યાં તમે લટકી-અટકી જઈ શકો અને શૂન્યની હદોય ઓગળી જાય એવી પરિશૂન્યતા-કંઈ નહીંતામાં સરી પડવાથી બચી શકો. મહર્ષિ અરવિંદ સમાધિના પ્રથમ પગથિયાં તરીકે પોતાના વિચારોથી અળગા થવાની સલાહ આપે છે. પોતાના વિચારોને કોઈ ત્રાહિત વ્યક્તિની જેમ આવતાં-જતાં જોતાં એ શીખવે છે. સાચા અર્થમાં આ આવડે એ પછી માણસ વિચારોને સંપૂર્ણતયા અવગણી શકીને વિચારહીનતાના શિખરે પહોંચી શકે છે. વિચારહીનતાનું સર્વોત્તમ શિખર એ સમાધિનું પ્રથમ પગથિયું છે. ઓશો પણ અરવિંદના સૂરમાં પોતાનો સૂર પૂરાવી તાટસ્થ્યપૂર્ણતાથી વિચાર સાથે વર્તી સમાધિ સુધી જવાનો રાહ કંડારે છે. કેમકે જ્યારે માણસ સમગ્રતઃ વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે સાચા અર્થમાં એનો ‘હું’ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ભાષા આપણને વિચારતા શીખવે છે. આપણા વિચારને ચાલવા માટે ભાષાની સડક અનિવાર્ય છે. સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલા રેની ડેઇકાર્ટ (René Descartes)નું લેટિન વિધાન છે: હું વિચારું છું, માટે હું છું. (ego cogito, ergo sum) ફિલિપ આદમ્સ આ વાતથી એક પગલું અગળ વધે છે: ‘હું વિચારું છું તેથી મારી પાસે કોઈ સગડ નથી.’

ભાષા બે મનુષ્યો, બે સંસ્કૃતિઓને જોડતો સેતુ છે. ભાષા સમાજનો મૂળભૂત પાયો છે. ભાષા વિચારની જનેતા છે. ભાષા છિનવાઈ જવાનું કાવ્યનાયકનું દુઃસ્વપ્ન એના એકલા પડી જવાના ડરનું જ દ્યોતક છે. આજે આપણે એ બિંદુએ આવી ઊભા છીએ જ્યાં માણસ હજારો માણસોને મળવાની ક્ષમતા તો ધરાવે છે પણ પોતાની જાતને મળવાની હિંમત ગુમાવી બેઠો છે. આજના મનુષ્યની મથરાવટી મુકુલ ચોક્સીએ આબેહૂબ આલેખી છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

જાતથી રૂબરૂ થઈ જવાનો ડર આજે તમામ ડરનો બાપ બની બેઠો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોને તો મોંકાણની પરાકાષ્ઠા માંડી છે. એણે માણસને પોતાની જાતથી તો વેગળો કરી જ નાંખ્યો છે, આસપાસમાંથીય બાદ કરી નાંખ્યો છે. આજનો મનુષ્ય આભાસી દુનિયામાં ગરકી ગયો છે એવામાં અડધી રાતે આવો અહેસાસ થાય કે ભાષા-વિચાર-અવાજ બધું જ છિનવાઈ ગયું છે ત્યારે જે એકલતાની-પરિશૂન્યતાની ચરમસીમા અનુભવાય એ અનુભવવું આજના માનવીના બરની વાત નથી. ભાષા-વાચા-વિચારહીન થઈ જવાની ઘડીએ હું હું રહેતો નથી કેમકે બધી ઉપાધિ વિચાર-વાના કારણે જ છે. વિચારને જ લકવો પડી જાય તો પછી ઉપાધિ જ શી રહે? કબીર યથાર્થ જ કહી ગયા છે કે, ‘जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही|’ જ્યાં સુધી માણસ પાસે એનો ‘હું’ હોય છે ત્યાં સુધી ઈશ્વર પણ એની નજીક ફરકવાની હિંમત કરી શકતો નથી પણ જે ઘડીએ માણસનો ‘હું’ ખરી પડે છે ત્યારે ઈશ્વર સિવાય કંઈ બચતું નથી કેમકે ‘હું’વિહોણો મનુષ્ય સાક્ષાત્ ઈશ્વર જ છે! એકવાર કોઈપણ પ્રકારના વિચારોથી પરિશૂન્ય થઈ જવાય તો હું કોણ છું કે હું શું છુંનો કોઈ અર્થ બચતો નથી, કેમકે હુંનું અસ્તિત્વ જ મટી જાય છે. અનસ્તિત્વતાનો આ સાક્ષાત્કાર જ આ કવિતાની સાચી ઉપલબ્ધિ છે.

Happy Birthday… લયસ્તરો ડૉટ કોમ

લયસ્તરો (www.layastaro.com)

ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…

ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)

ગ્લૉબલ કવિતા : ૧૦૩ : ક્લિઓપેટ્રા – આન્ના આખ્માતોવા

Cleopatra

I am air and fire.
Shakespeare

Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin

[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.

And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)

– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)

ક્લિઓપેટ્રા
હું હવા અને અગ્નિ છું.
– શેક્સપિઅર

એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન

(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.

અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.

અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.

– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લિઓપેટ્રા – રાણીના લિબાસમાં છૂપાયેલું કવયિત્રીનું સ્વાન-સૉંગ

કવિતા કવિની આત્મકથા છે એમ કહીએ તો એ કેટલા અંશે સાચું ગણાય? કદાચ ઘણાખરા સર્જકો આ વાત સ્વીકારવા તૈયાર ન થાય. હું જે લખું છું એ મારી આત્મકથા છે એમ જો સર્જક કહી દે તો કદાચ ઘણાં ઘર ભાંગી જાય. પણ હકીકત એ છે કે સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. તમામ પ્રકારનું સર્જન સર્જકના નિજના અનુભૂતિના પિંડમાંથી જ રચાતું હોવાથી એક રીતે એ સર્જકની જ કોઈને કોઈ સંવેદનાની આત્મકથા જ ગણી શકાય.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

સર્જક શબ્દોને શ્વસીને જીવે છે એટલે એના સર્જનમાં એના શ્વાસ જ સામેલ હોવાના એ હકીકત શી રીતે જૂઠલાવી શકાય? રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવા પ્રસ્તુત રચનામાં મહાન ઐતિહાસિક પાત્રના વર્ણનના સ્વાંગમાં પોતાની આત્મકથા જ આલેખે છે.

આન્ના એન્ડ્રિયેવ્ના ગોરેન્કો. ૨૩-૦૬-૧૮૮૯ના રોજ રશિયામાં, પણ હાલ યુક્રેઇનના ઓડેસા ખાતે જન્મ. યુદ્ધ, ક્રાંતિ અને સરમુખત્યારશાહીના પ્રતાપે એમના વિશેની ઘણી માહિતી અને એમનું ઘણું સર્જન મિટાવી દેવામાં આવ્યું હતું. એમના દાદાના કાકી રશિયાના પ્રથમ કવયિત્રી હતાં એમ આન્નાએ લખ્યું છે. ૧૧ વર્ષની વયે આન્નાએ કવિતા લખવું આદર્યું અને ટૂંકાગાળામાં એમની રચનાઓ છપાવા પણ માંડી. કવિતાને ‘ઉતરતી’ ગણતા પિતાનું નામ બદનામ ન થાય એ માટે એમણે આન્ના આખ્માતોવા (ઉચ્ચાર મુજબ આક્માટોવ, પણ આપણે ત્યાં આખ્માતોવા પ્રચલિત થઈ ચૂક્યું હોવાથી એ જ રાખીએ) ઉપનામ રાખ્યું. નિકોલાઈ ગુમિલ્યોવ સાથેનું પ્રથમ લગ્નજીવન (૧૯૧૦-૧૯૧૮) અને વ્લાદિમિર સાથેનું બીજું લગ્નજીવન (૧૯૧૮-૧૯૨૬)–બંને આઠેક વર્ષ જ ટક્યાં. પહેલાં પતિ સાથે છૂટાછેડા થયા એ પછી પણ સૉવિયેટ ખાનગી પૉલિસે એમની જાન લીધી અને બે નિષ્ફળ લગ્નજીવન બાદ જે નિકોલાઈ પુનિન સાથે તેઓ આજે લિવ-ઇન કહીએ છીએ એ પ્રકારના સંબંધથી જોડાયાં, એ પુનિનને પણ લેબર કૅમ્પમાં મૃત્યુ પામ્યો ત્યાં સુધી રહેવાની ફરજ પડાઈ. આ ઉપરાંત ઓસિપ મેન્ડલસ્ટામ, બૉરિસ અન્રેપ, મિખાઇલ ઝિમરમેન, આર્થર લૉરી જેવા ઘણા લોકો સાથે એ અવારનવાર પ્રેમસંબંધે જોડાતાં રહ્યાં. પહેલા હનીમૂન વખતે પેરિસમાં એમેડિયો મોડિગ્લિઆની સાથે મૈત્રી થઈ, ફરી પેરિસ એને મળવાં એ ગયાં ત્યાં સુધીમાં એમેડિયોએ એમના (નગ્ન સહિતના) વીસેક ચિત્રો બનાવ્યાં હતાં.

રશિયાના ઉત્તમ કવિઓમાં મોખરાનું સ્થાન. પ્રમુખતઃ કવિતાઓ પણ નિબંધો, આત્મકથાનક અંશો, અને અનુવાદો પણ આપ્યા. પરવીન શાકિરની જેમ જ આન્નાની કવિતાઓમાંથી એક સ્ત્રીનો સ્પષ્ટ અને બુલંદ સ્વર ઊઠતો સંભળાય છે. મર્યાદિત શબ્દોમાં રજૂ થતી સંયમિત લાગણીસભર રચનાઓ એમની મૌલિકતાના કારણે સમકાલીનોથી અલગ તરી આવે છે. ‘નેવાની રાણી’ અને રશિયન ‘રજતયુગનો આત્મા’ જેવી પદવી એમને અપાઈ હતી. સતત બે વરસ સુધી નોબલ પારિતોષિક માટે એમનું નામ વિચારાયું હતું. હજારો સ્ત્રીઓએ ‘આખ્માતોવાના માનમાં’ કવિતાઓ રચવી શરૂ કરી, જે બાબતમાં આન્નાએ કહેવું પડ્યું હતું કે, ‘મેં આપણી સ્ત્રીઓને કેવી રીતે બોલવું એ તો શીખવી દીધું, મને ખબર નથી કે એમને ચુપ કઈ રીતે કરવી.’ પ્રથમ વિશ્વયુદ્ધના મંડાણે રશિયન રજતયુગનો અંત આણ્યો. ફ્રેબ્રુઆરી ૧૯૧૭માં પિટર્સબર્ગમાં ક્રાંતિના પાગરણ થયાં અને સિપાહીઓએ વિરોધ કરનારાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવો આદર્યો. વીજળી, ગટર, ખાધા-ખોરાકી અને પાણીના અભાવે સેંકડો લોકો માર્યા ગયા. આન્નાના ઘણા મિત્રો મરાયા, ઘણા યુરોપ વગેરે દેશોમાં ભાગી છૂટ્યા. આન્નાને પણ ભાગી છૂટવાની તક હતી પણ એમણે વતન ન ત્યજવાનો નિર્ણય લીધો અને આજીવન આ વાતનું એમને અભિમાન પણ રહ્યું. ૧૯૨૫થી ૧૯૪૦ દરમિયાન આન્નાની કવિતાઓ પર ‘બિનસત્તાવાર’ પ્રતિબંધ મૂકાયો. લોકોએ એવું પણ માની લીધું કે આન્ના હવે હયાત નથી. આન્નાની ધરપકડ થતાં-થતાં રહી ગઈ પણ એમના ઇતિહાસકાર પુત્ર લેવની વારંવાર ધરપકડ કરવામાં આવી. આત્યંતિક ગરીબીના શિકાર આન્નાને દીકરાને ખાવાનું આપવા અને એને છોડી દેવાની આજીજી કરવા માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું. ૧૯૩૯માં સ્ટાલિને એમને એક કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની છૂટ આપી, જે થોડા જ સમયમાં બજારમાંથી ફરી ખેંચી લઈ નાશ કરાયો. આન્ના લગભગ નજરકેદી જેવું જીવન જીવ્યાં. એમના ફોન ટેપ કરાતા, મુલાકાતીઓની જડતી લેવાતી, લખાણો જપ્ત કરાતાં. કવિતાઓ લખીને, મોઢામોઢ ફરતી કરીને જાતે જ બાળી દેવી પડતી, જેના પરિણામે મનાય છે કે વિપુલ સાહિત્ય કાયમ માટે લુપ્ત થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટાલિનના હુકમથી એમને થોડો સમય તાશ્કંદ મોકલી દેવાયાં. ૧૯૪૬માં એ જ સ્ટાલિનના કહેવાથી એમની વિરુદ્ધ જાહેર ચળવળ ચલાવાઈ અને આન્નાને ‘અર્ધવેશ્યા, અર્ધસાધ્વી’ જાહેર કરાયાં. દીકરાને છોડાવવા માટે આન્નાએ સ્ટાલિન માટે કસીદા પણ કસવા પડ્યા. સ્ટાલિનના મૃત્યુ (૧૯૫૬) પછી આન્નાનો કવિ તરીકે પુનઃ સૂર્યોદય થયો પણ વજનદાર સેન્સરશીપ ચાલુ જ રહી. થોડા પ્રતિબંધ-થોડી આઝાદીની વચ્ચેની જગ્યામાં રહીને તેઓ આખરે મૃત્યુના દોઢ-બે દાયકા બાદ ખરા અર્થમાં પ્રસિદ્ધિની ચરમસીમાઓને આંબ્યાં. ૧૯૬૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. ૦૫-૦૩-૧૯૬૬ના રોજ ૭૬ વર્ષની વયે હૃદયરોગના હુમલા બાદ હૃદયનો પંપ નિષ્ફળ જવાથી એમનું નિધન થયું.

ક્લિઓપેટ્રા’ શીર્ષક વાંચતાં જ એક અવનવું સંવેદન લખલખું બનીને આપણને આલિંગી લે છે. ટૉલેમિક રાજવંશની આખરી શાસક ક્લિઓપેટ્રા (સાતમી)નું નામ કોણે નહીં સાંભળ્યું હોય? ઈસુના જન્મથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે એનો જન્મ. ૧૮ વર્ષની કુમળી વયે તો એના હાથમાં ૧૦ વર્ષના ભાઈ સાથે ભાગીદારીમાં રાજગાદી આવી ગઈ. પણ સલાહકારોથી દોરવાઈને ભાઈ ટૉલેમીએ એને ઇજિપ્ત છોડી સિરિઆ ભાગી જવા મજબૂર કરી. બીજા જ વર્ષે ક્લિઓપેટ્રા પોતાની સેના ઊભી કરીને પાછી ફરી. કહે છે કે સિઝરના દરબારમાં શેતરંજીમાં વીંટળાઈને એ પ્રવેશી હતી. શેતરંજી ખોલવામાં આવતાં અંદરથી નીકળેલી રૂપયૌવનાએ દરબારમાં આમ પ્રવેશીને સિઝરને આશ્ચર્યચકિત કરી લીધો અને મોહપાશમાં જકડી લીધો. જુલિયસ સિઝરની મદદથી ભાઈને ભગાડીને એણે ફરી ગાદી હાંસલ કરી. સિઝરની હત્યા બાદ રોમમાં માર્ક એન્ટની, ઑક્ટાવિયસ અને લેપિડસની ત્રિપુટી વિરુદ્ધ સિઝરના હત્યારા બ્રુટસ અને કેસિયસ સામસામા થયા. બંને ટોળીએ ઇજિપ્તની મદદ માંગી. ક્લિઓપેટ્રાએ ત્રિપુટીને મદદ કરી. એમાંથી એન્ટનીએ જીત્યા બાદ એને મળવા બોલાવી. ક્લિઓપેટ્રાના જાદુથી એન્ટની પણ બચી ન શક્યો. ક્લિઓપેટ્રા માટે એન્ટની પોતાની પત્ની અને વતનની સામે થાય છે. બદલામાં એન્ટનીની પત્ની ઓક્ટાવિયાનો ભાઈ ઑગસ્ટસ ઓક્ટાવિયન યુદ્ધ છેડે છે, જેમાં ક્લિઓપેટ્રા અને એન્ટનીની હાર થાય છે. બંને વારાફરતી ભાગી છૂટે છે. ક્લિઓપેટ્રાએ આત્મહત્યા કરી લીધી હોવાની અફવા સાંભળી એન્ટની તલવાર પેટમાં મારીને જીવ આપવાની કોશિશ કરે છે. ઘાયલ એન્ટનીને ક્લિઓપેટ્રા પાસે લવાય છે, જ્યાં ક્લિઓપેટ્રા પોતાના કપડાં ફાડીને, છાતી પીટીને, એના લોહીથી પોતાનો ચહેરો ખરડીને માતમ મનાવે છે. એન્ટની મૃત્યુ પામે છે. ક્લિઓપેટ્રા પોતાના રૂપની માયાજાળમાં ઓક્ટાવિયનને ફસાવવાની નિષ્ફળ કોશિશ કરે છે પણ ઓક્ટાવિયન યુદ્ધના વિજયચિહ્ન તરીકે પોતાને રોમમાં લઈ જઈ નગર વચ્ચે પરેડ કરાવશે એ વાતની ખાતરી થતાં ૩૯ વર્ષની વયે ૧૨ ઑગસ્ટ, ઈ.પૂ. ૩૦ના રોજ ક્લિઓપેટ્રા બે સેવિકાઓ સાથે જાતને ઓરડામાં બંધ કરી દે છે અને કહેવાય છે કે ઝેરી સાપના ડંશ વડે આત્મહત્યા કરે છે. ઑગસ્ટસ ઑક્ટાવિઅન એન્ટની અને ક્લિઓપેટ્રા ઉપરનો વિજય યાદગાર બનાવવા જેમ જુલિયસે જુલાઈ મહિનાનું નામકરણ કર્યું હતું, એમ એ મહિનાનું નામ ઑગસ્ટ નક્કી કરે છે.

ઇજિપ્તની આખરી ફૅરો તથા ઇજિપ્ત, સાયપ્રસ, લિબિયાની રાણી ક્લિઓપેટ્રાનું રૂપ આજે દંતકથા બની ગયું છે. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓએ એના સૌંદર્યને અભૂતપૂર્વતા બક્ષી છે. પણ કહેવાય છે કે એ એટલી સ્વરૂપવાન નહોતી, જેટલી કલ્પવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે એ કાળી હતી. રૂપ-રંગની હકીકત જે હોય એ પણ એ સાચા અર્થમાં પ્રખર મેધાવિની હતી. તીવ્ર બુદ્ધિમતા, ડઝન જેટલી ભાષાઓ પર પ્રભુત્વ; ગણિત, ફિલસૂફી, વાક્છટા, ખગોળશાસ્ત્ર વિ.માં અપ્રતીમ પ્રાવીણ્ય, તથા અવાજના માર્દવ અને વ્યક્તિત્વના અનૂઠા આકર્ષણથી એ સૌને વશ કરી લેતી. પોતાની જાતને જીવંત દેવી માનતી અને એ જ આભાથી જીવતી અને એ જ આભામાં આવનારને ખેંચી લેતી. સેંકડો રાજા-રાણીઓ ઇજિપ્તની ગાદી પર આવ્યાં અને ગયાં પણ ક્લિઓપેટ્રા જેટલી પ્રસિદ્ધિ સમયે કોઈને અપાવી નથી. પ્લુટાર્કની ‘પેરેલલ લાઇવ્સ’ પરથી પ્રેરિત થઈ શેક્સપિઅરે ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ નાટક લખ્યું એ પહેલાં અને એ પછી પણ સેંકડો સર્જકોએ ક્લિઓપેટ્રા વિશે લખ્યું અને લખશે પણ શેક્સપિઅરે વિશ્વ સમક્ષ રજૂ કરેલી એની છબી જનમાનસમાં સદાકાળ માટે જડાઈ ચૂકી છે. એ જ રીતે ફિલ્મોમાં આજદિન પર્યંતની મોંઘામાં મોંઘી ફિલ્મ ‘ક્લિઓપેટ્રા’માં એલિઝાબેથ ટેલરને કોઈ અતિક્રમી શક્યું નથી.

આન્નાની આ કવિતાના સેંકડો અનુવાદ થયા છે, જેમાંથી એની ફ્લિન્ચ, જ્યૉર્જ ક્લાઇન, એ. જેડ. ફોરમેનના અનુવાદો વધુ ધ્યાનાર્હ છે પણ મૂળ રશિયન કવિતાને સામે રાખીએ તો જ્યુડિથ હેમ્શેમેયરે કરેલો અંગ્રેજી અનુવાદ સૌથી વધુ પ્રમાણિક અનુવાદ હોવાનું જણાય છે. ૦૭-૦૨-૧૯૪૦ના રોજ લખાયેલ આન્નાની આ કવિતાની શરૂઆત શેક્સપિઅર અને પુશ્કિનના વિધાનોથી થાય છે. શેક્સપિઅર ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૨, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રાના વખાણ અને ટીકા બંને એક જ વાક્યમાં કરે છે: ‘એ(નું સૌંદર્ય) ભૂલને પણ પરિપૂર્ણ બનાવે છે, અને (પોતે) હાંફતી હોવા છતાં શ્વાસ પૂરો પાડે છે.’ ક્લિઓપેટ્રાના સૌંદર્યને એ અદભુત ન્યાય પણ કરે છે: ‘ન ઉમર એને મુરઝાવી શકે છે, ન રિવાજો એના અનંત વૈવિધ્યને વાસી કરી શકે છે. અન્ય સ્ત્રીઓ જે ભૂખ જગાડે છે, એનાથી (સમય જતાં) તમે ઓચાઈ જાવ છો. પણ એ તમને સંતોષતી હોવા છતાં તમે કદી ધરાતાં નથી.’ સામા પક્ષે રશિયામાં ક્લિઓપેટ્રોમેનિયા(ઘેલછા)ની પુશ્કિનના સાહિત્યથી શરૂઆત થઈ હતી. એક સમય રશિયામાં એવો પણ આવ્યો કે કવિ હોય એણે ક્લિઓપેટ્રા વિશે લખવું જ રહ્યું. પણ આન્નાએ આ જુવાળ ઓસરી ગયા બાદ અને કમ્યૂનિસ્ટ વિચારોએ ક્લિઓપેટ્રાને લગભગ પ્રતિબંધિત કરી દીધી એ પછી જ એના વિશે લખ્યું.

શેક્સપિઅરના ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’ (અંક ૫, દૃશ્ય ૨)માં ક્લિઓપેટ્રા આત્મહત્યા કરતાં પહેલાં રાણીની જેમ તૈયાર થતી વખતે કહે છે, ‘હું આગ અને હવા છું; મારા અન્ય તત્ત્વો હું મૂળભૂત (નાશવંત) જીવનને આપું છું.’ આગ અને હવા અનુક્રમે પ્રાણ અને શ્વાસ સાથે સંકળાયેલા છે, અન્ય તત્ત્વો પૃથ્વી અને પાણી નાશવંત શરીર સાથે. જીવનના કોઈપણ ઉતારચડાવમાં ક્લિઓપેટ્રાએ મનથી કદી હાર માની નહોતી. એનો આત્મા કદી કોઈનો ગુલામ થયો નહોતો. આન્ના આમાંથી વાક્યાંશ કાવ્યારંભે પ્રયોજે છે. એ પછી આન્ના પુશ્કિનની ‘ઇજિપ્શ્યન નાઇટ્સ’માંથી અભિલેખ વાપરે છે: ‘એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.’ એલેક્ઝાન્ડ્રિયા ખાતે ખેલાયેલી લડાઈમાં ઓક્ટાવિઅને એન્ટનીને હરાવ્યો હતો. એન્ટનીની ખરી પ્રતિભા ક્લિઓપેટ્રાની મોહજાળ હેઠળ ઢંકાઈ ચૂકી છે એ બાબતનો ઈશારો અહીં જોવા મળે છે. ક્લિઓપેટ્રાની આત્મહત્યા રજૂ કરતી આ કવિતા સાથે આ અભિલેખને આમ કશું લાગે વળગતું નથી પણ એકતરફ અભિલેખમાંનો આ છાંયડો કવિતામાં ઊતરી રહેલા સાંજના ઓળા સાથે સુસંગત છે અને બીજી તરફ એ ક્લિઓપેટ્રા અને એલેક્ઝાન્ડ્રીયા શહેરના અંત તરફ ઈંગિત પણ કરે છે. ત્રીજી રીતે જોઈએ તો આ અભિલેખ શેક્સપિઅરના અભિલેખ સાથે મળીને કવિતાનો ‘પ્લૉટ’ ઘડે છે અને ચોથી વસ્તુ એ છે કે સતત સેન્સરશીપની તલવાર નીચે જીવતી આન્ના ભાવકનું અને ખાસ તો સત્તાધીશોનું આ કવિતા આત્મકથનાત્મક હોવા સામેથી ધ્યાન વિચલિત કરે છે. એ કાળમાં સ્ટેલિનિઝમના દાબ તળે સર્જકોમાં સૉવિયેટ ઇશપિઅન ભાષા વ્યાપ્ત બની હતી, જેમાં ઈશપની વાર્તાઓની જેમ અભિધાની નીચે છૂપાયેલી વ્યંજના ઇપ્સિત રહેતી હતી. આન્ના આ જ ભાષા વાપરીને લખે છે કંઈક પણ કહે છે કંઈક.

આમ, ક્લિઓપેટ્રા બાબતમાં સૌથી વધુ સત્તાધિકાર પ્રાપ્ત કરનાર શેક્સપિઅર તથા પુશ્કિન અને રશિયન રજતયુગ સાથે પોતાના વર્તમાનના તાર જોડીને ઇતિહાસના છોગામાં વીંટાળીને આન્ના પોતાની આત્મકથા આપણી સમક્ષ મૂકે છે. એ કહે છે, ક્લિઓપેટ્રાએ એન્ટનીના મૃત હોઠોને ક્યારના ચૂમી લીધા છે અને શહેર જીતનાર ઑગસ્ટસ ઓક્ટાવિઅન સામે આંસુઓ પણ ક્યારના વહાવી દીધાં છે. મતલબ જે કરવાનું હતું એ બધું ક્યારનું થઈ ચૂક્યું છે. યુદ્ધમાં હંમેશા બને છે, એ રીતે સેવકોએ વિજેતાના તાપથી પોતાને બચાવવા રાણીને દગો દઈ દીધો છે. શેક્સપિઅરના નાટકમાં ક્લિઓપેટ્રાનો ખજાનચી સેક્યુલસ ઓક્ટાવિઅસની હાજરીમાં રાણીના શબ્દોને સાથ આપવાના બદલે ફરી જાય છે. રોમન ગરુડ આકાશમાં મંડરાઈ રહ્યું છે. આન્ના શિકારી પક્ષી ગરુડનું પ્રતીક પ્રયોજે છે અને કાવ્યાંતે રાણી આપઘાત કરવા માટે ગરુડના પ્રિય ખોરાક સાપની વાત કરે છે એ પણ સૂચક છે. વિજયના રણશિંગાઓના અવાજોથી આકાશ ભરાઈ ગયું છે. સાંજના ઓળા ઊતરી રહ્યા છે. શહેર, શહેરીજનો અને રાણી – બધાના જીવનનો સૂર્ય હવે આથમી ચૂક્યો છે. બધાએ વિજેતાના ખોફમાંથી પસાર થવાનું છે હવે.

શેક્સપિઅરના નાટકમાં ઑક્ટાવિયસનો સેવક ડોલાબેલા રાણીની શંકાને સમર્થન આપે છે એ જ વાત આન્ના કવિતામાં રજૂ કરે છે. કહે છે, દેખાવે ઊંચો અને ઉદાત્ત વ્યક્તિત્વવાળો, એના સૌંદર્યનો આખરી ગુલામ એની સામે આવે છે અને મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરતો હોય એમ રાણીના શકની પુષ્ટિ કરતાં કહે છે કે ઑક્ટાવિયસ પોતાના વિજયની ટ્રોફીના સ્વરૂપમાં ક્લિઓપેટ્રાને રોમમાં જાહેર પરેડ કરાવશે. પોતાની જાતને નગરજનોની વચ્ચે કેવી રીતે મજબૂર કરીને ચલાવાશે તથા નગરજનો દ્વારા કેવી રીતે ઠઠ્ઠા-મશ્કરી અને અપમાનવર્ષા કરાશે એ દૃશ્ય ક્ષણાર્ધમાં એની આંખ આગળથી પસાર થઈ જાય છે પણ ક્લિઓપેટ્રા સાધારણ સ્ત્રી નથી, એ સાધારણ રાણી પણ નથી, ઇતિહાસે એને ‘રાજાઓની રાણી’નો સરપાવ અમસ્તો નથી આપ્યો. હંસની ડોક જેવી એની સુંદર ગ્રીવા એક તરફ ઢળે છે પણ એમાં ભયની કોઈ કંપન-ધ્રુજારી નથી. એ નમેલી છે પણ સ્થિર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ‘સ્વાન-સૉંગ’ (હંસગીત) રૂપક પ્રચલિત છે. પાશ્ચાત્ય પુરાકથાઓમાં પ્રતીકાત્મકરૂપે હંસ-ગીતનો ઉલ્લેખ અવારનવાર થતો રહ્યો છે. મૃત્યુ અથવા નિવૃત્તિ પૂર્વે કોઈ કળાકાર પોતાની આખરી કૃતિ રજૂ કરે એને સ્વાન-સૉંગ કહે છે. ક્લિઓપેટ્રા માટે પણ આ સમાચાર મૃત્યુ પહેલાંના આખરી સમાચાર છે એટલે આન્ના રાણીની સહેજ ઢળેલી પણ શાંત-સ્થિર ડોકને હંસની ડોક સાથે સરખાવે છે.

એને ખાતરી છે કે આવતીકાલની સવાર કત્લેઆમની સવાર છે. રોમન ગરુડ શિકાર માટે મંડરાઈ રહ્યું છે. પોતાના બાળકોને પણ બક્ષવામાં નહીં આવે એ એને ખબર છે. આ પૃથ્વી પર કરવા માટે હવે ભાગ્યે જ કંઈ બચ્યું છે. વધુમાં વધુ એ આ સમાચાર લાવનાર વિદૂષક સાથે હંસી-મજાક કરી શકશે. અને વિદાય કરતીવેળાએ દુનિયા તરફ કરુણા-અનુકંપાભર્યો એક ઈશારો કરવો ન હોય એમ કાળા ઝેરી સાપને શામળા સ્તન પર બેપરવા હાથ વડે મૂકી દેવાનો છે. ક્લિઓપેટ્રા ગોરી નહીં પણ કાળી હતી એમ કેટલાક ઇતિહાસકારો માનતા હતા એ બાબત સાથે આન્ના કદમ મિલાવે છે. કદાચ ક્લિઓપેટ્રાને શામળી કહીને એ આ કવિતા પોતાની ઓળખ છે એ બાબતને અંધારામાં રાખવાની પણ આન્નની નેમ હોઈ શકે. કાળો રંગ અંધકારનો, મૃત્યુનો રંગ પણ છે એટલે જ કદાચ કવિ ડંસનાર અને ડંસનો ભોગ બનનાર બંનેને ગાઢા રંગે ચીતરે છે.

ક્લિઓપેટ્રાની સાથોસાથ જ કવિતાનો પણ અંત થાય છે. પણ આ કવિતા આન્નાની આત્મકથા છે. આન્નાની ક્લિઓપેટ્રા આન્ના પોતે જ છે. આન્ના પોતાને શ્રેષ્ઠ રશિયન કવયિત્રી, તાજ વિનાના સામ્રાજ્ઞી ગણતાં. એના ચાહકો એને ‘સેફો’ અથવા ‘મ્યુઝ’ કહેતાં. મારિના સ્વેતાએવા એને ‘તમામ રશિયનોની આન્ના’ કહેતી. એટલે આન્ના પોતાને ઇજિપ્તની રાણી સાથે સરખાવે એમાં કંઈ નવાઈ નથી. આન્નાના પતિઓ અને પ્રેમીઓ કાવ્યારંભે નજરે ચડે છે. આન્નાના કારણે એના બે પતિઓએ સ્ટાલિનના દમનનો ભોગ બની જીવથી હાથ ધોવા પડ્યા હતા. આન્નાએ છૂટાછેડા આપી દીધેલા પતિના મૃત્યુ પર પણ કવિતા લખીને શોક અને વિરોધ પ્રગટ કર્યા હતા, એને મૃત પતિના હોઠ પરનું ચુંબન ગણી શકાય. પોતાના પુત્રને દીર્ઘકાલીન કારાવાસમાંથી છોડાવવા નાછૂટકે આન્નાએ સ્ટાલિનની પ્રસંશામાં કાવ્યો લખ્યા હતા, અધિકારીઓના ઉંબરા ઘસ્યા હતા જેને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને આંસુઓ વહાવતી ક્લિઓપેટ્રા સાથે સરખાવી શકાય. રોમન ગરુડનું આકાશમાં મંડરાવું એ રશિયા પર જર્મનીના હુમલા અને મિત્રો-સંબંધીઓનું તક ઝડપી રશિયા છોડી ભાગી જવું એ સેવકોના દગા સાથે મેળ ખાય છે. આન્નાને પણ ભાગવાની તક મળી હતી પણ વતનપરસ્તીની ચરમસીમાએ આન્નાએ વતનમાં પડતી તકલીફો છતાં વતન ત્યજવાનું વિચાર્યું નહોતું. સ્ટાલિનના અંત બાદ આન્નાની અપાર લોકચાહનાનું એક કારણ કટોકટીના સમયે પણ બરકરાર આન્નાનો દેશપ્રેમ પણ હતું. એક કવિતામાં આન્ના લખે છે, ‘હું એમાંની નથી જેઓ આપણી ભૂમિને આપણા શત્રુઓના હાથે ટુકડાઓમાં ચીરાઈ જવા દેવા છોડી ગયા’ સાંજના અંધારા ઓળા આન્નાની અંધારી એકલતાના દ્યોતક છે. ૧૯૩૮માં પુનિન સાથે રહેતાં હોવાં છતાં આન્ના વ્લાદિમિર ગાર્સિન સાથે પ્રેમસંબંધે જોડાયાં હતાં. ગાર્સિને ૧૯૩૯ની સાલમાં ક્લિઓપેટ્રાના મસ્તકાંકિત બ્રૉચ આપ્યો હતો, જે કદાચ આ કવિતા લખવાનું કારણ બન્યું હોઈ શકે. ગાર્સિન પણ ઊંચો અને ઉદાત્ત દેખાવવાળો હતો. ગાર્સિન કદાચ એના સૌંદર્યનો ‘આખરી ગુલામ’ પણ હતો. ‘પોએમ વિધાઉટ અ હીરો’માં આન્ના એના વિશે લખે છે: ‘તું મારો ઉત્કૃષ્ટ અને મારો આખરી (વ્યક્તિ) છે, મારી ઘેરી અસંબદ્ધતાનો એકમાત્ર આકંઠ શ્રોતા.’ સ્ટાલિન કે જર્મન વિજેતાઓની સામે પરાજિતભાવે ઊભા રહેવાનું નસીબે લખાઈ ચૂક્યું હોવા છતાં ક્લિઓપેટ્રાની હંસ જેવી ઝૂકેલી પણ સ્થિર ડોકની જેમ પોતાનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિ અંત સુધી અખંડિત રહેનાર છે એમ આન્ના આ પ્રતીક વડે કહે છે. મોડિગ્લિઆનીના નગ્ન ચિત્રમાં પણ આન્નાનું ચિત્રાંકન એક તરફ ઢળેલી ડોકવાળું છે. કવિનો એક ઈશારો એ તરફ પણ હોઈ શકે. એના લખાણો પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં, એના લખાણો અખબારોએ છાપવા બંધ કરી દીધા હોવા છતાં એણે લખવાનું બંધ કર્યું નહોતું. કાવ્યાંતે ક્લિઓપેટ્રાનો આપઘાત એ રશિયાના સત્તાધીશોને આન્નાની ‘તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં’ની ચીમકી જ છે.

કવિતાનો મુખ્ય મજમૂન મૃત્યુનો શાંતિપૂર્ણ અને ગૌરવાન્વિત સ્વીકાર છે, જે ભાગ્ય પરનો વિજય સૂચવે છે. આન્નાએ ક્લિઓપેટ્રાની જેમ જ પોતાનો અંત થશે એવું આ કવિતા વડે ૧૯૪૦માં ભાખ્યું હતું પણ અસંખ્ય તકલીફો છતાંય આન્નાની લોકપ્રિયતા એવી હતીકે સ્ટાલિનની સરકાર એની આસપાસના લોકોને તો ઝબ્બે કરી શકી પણ આન્નાને કદી હાથ પણ લગાવી ન શકી. ન માત્ર સ્ટાલિન, આન્ના બબ્બે વિશ્વયુદ્ધ અને બાદમાં રશિયામાં ફાટી નીકળેલ શીતયુદ્ધથી પણ બચી ગયા. આખ્માતોવા કહેતાં કે ‘મારી પાસે આ સાધન છે: હું મારા પોતના વિચારો એક માણસ આગળ મૂકી દઉં છું, પણ જરાય હસ્તક્ષેપ કર્યા વિના. અને થોડી જ વારમાં એ માણસ સાચે જ એવું માનવા માંડે છે કે વિચાર એનો પોતાનો જ છે.’ આખ્માતોવા શેક્સપિઅર અને પુશ્કિનની ક્લિઓપેટ્રાને સ્ટાલિનની પૃષ્ઠભૂમાં ગોઠવીને આપણી સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે આપણે ક્લિઓપેટ્રાને આન્નામાં પરિવર્તન પામતી જોઈ શકીએ છીએ અને આન્નાના સગર્વ વિરોધ અને કુરબાનીમાં એના ભાગીદાર થવા તૈયાર થઈ જઈએ છીએ.

ગ્લૉબલ કવિતા : ૧૦૨ : જૂન સંનિષ્ઠ – જૉર્ડન જોય હ્યુસન

June Devotional

I’m walking into Central Park
wearing my cobalt blue headphones

in argument with every voice
that could compel me to its call. I do not indulge

in spontaneity without cause but turn
onto the lawn. It’s that time of day

when the sun lets up and feigns an arousal
on the sides of the hills

and I might let my head out, the transmission
of whatever is

behind this will unexplainably perform.
There is already the accident

of my being here you see
and the smell of a Thursday and the sound

of dead leaves being folded into laminate access passes.
Even a torn twig from a branch like a disembodied finger

pointing. Innocently
I was coming from the dentist but the children

are all in on it their ears pricked for data
of outside interference; they are Vikings in the kingdom

preparing a tiny siege.
I lie in the center spread out in offering.

– Jordan Joy Hewson

જૂન સંનિષ્ઠ

હું સેન્ટ્રલ પાર્કમાં જઈ રહી છું
મારા કૉબાલ્ટ બ્લૂ હેડફોન્સ પહેરીને

એ દરેક અવાજની સામે દલીલમાં,
જે મને ફરજ પાડી શકે એને સાંભળવાની. હું જોતરાતી નથી

કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતામાં પણ
ઘાસ તરફ વળું છું. આ દિવસનો એ સમય છે

જ્યારે સૂર્ય આળસે છે અને ટેકરીઓની બાજુઓ પરથી
ઊગવાનો ડોળ કરે છે

અને હું મારું માથું બહાર કાઢીશ, જે કંઈ પણ
એની પાછળ છે એનું પ્રસારણ

સમજાવી ન શકાય એમ થશે.
પહેલેથી જ થઈ ચૂક્યો છે

અહીં મારા હોવાનો અકસ્માત તમે જુઓ
અને ગુરુવારની ગંધ અને અવાજ

મૃત પાંદડાઓને વાળીને પરતદાર પ્રવેશપત્રો બનાવવાનો.
શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરથી છૂટી પડેલી આંગળીની જેમ

ચીંધી રહી છે. નિર્દોષતાથી
હું ડેન્ટિસ્ટ પાસેથી આવી રહી હતી પણ બાળકો

બધાં એમાં જોતરાયેલાં છે તેમના કાન છેદાયેલ છે
બાહરી હસ્તક્ષેપના ડેટા માટે; એ લોકો વાઇકિંગ છે

એક નાનકડી ઘેરાબંધીની તૈયારી કરતા રાજ્યમાં.
હું આડી પડી છું કેન્દ્રમાં આહુતિ થઈ ફેલાઈને.

– જૉર્ડન જોય હ્યુસન
(અનુ. વિવેક મનહર ટેલર)
પાણીમાં કમળ જેવી ટોળાં વચ્ચેની એકલતાની વાત…

શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ જાહેર જગ્યા પર અજાણ્યા લોકોની ભીડની વચ્ચે કોઈક કારણવશાત્ બેઠા હો તોય બધાથી અલિપ્ત હોવ? ઘણીવાર થયું હશે ને? આપણી આજુબાજુ આખી દુનિયા આમથી તમે દોડી રહી હોય પણ આપણી ખુલ્લી આંખોના કેમેરા એકેય દૃશ્ય ક્લિક્ જ ન કરતા હોય, આપણા કાનના રડાર એકેય અવાજની નોંધ જ ન લેતા હોય એવી સમાધિવત્ અવસ્થામાં આપણે સહુ જાણ્યે-અજાણ્યે અવારનવાર મૂકાઈ જતાં હોઈએ છીએ. ક્યારેક તો ભર્યાભાદર્યા એકાંતમાં આપણે આપણી જાત સાથે અનુસંધાન સાધી શકતાં નથી હોતાં ને ક્યારેક ટોળાંની સાવ વચ્ચોવચ રહીનેય આપણે કોઈનીય પહોંચથી દૂર સરી જતાં હોઈએ છીએ.

હું ટોળાંઓની વચ્ચોવચ રચી દઉં ટોળું જો મારું,
જડી જો જાઉં તોયે ના જડું હું તો હજારોમાં.

ભીડની વચ્ચેની આ એકલતા પાણી વચ્ચે ખીલેલા કમળ જેવી નિસ્પૃહ છે. ધ્યાન અને સમાધિ સુધી જવા માટેનું કદાચ આ પહેલું પગથિયું છે. યુવા અમેરિકન કવયિત્રી પ્રસ્તુત રચનામાં કંઈક આવો જ સૂર લઈને આવે છે.

જૉર્ડન જોય હ્યુસન. ૧૦-૦૫-૧૯૮૯ના રોજ પિતાના ૨૯મા જન્મદિવસે જ જન્મ. હાલ બ્રૂકલિન, ન્યૂયૉર્ક ખાતે રહેનાર જૉર્ડનની પહેલી ઓળખ સુપ્રસિદ્ધ રોકસ્ટાર બોનોની મોટી દીકરી તરીકેની છે. બાપ-દીકરી બંનેની પ્રસિદ્ધિ ક્યાં સુધી પહોંચી છે, એનું પ્રમાણ તો તત્કાલિન અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ સાથે એમને વાઇટહાઉસમાં લંચ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું એ પ્રસંગ પરથી જ સમજી શકાય છે. જૉર્ડન વિશે ગૂગલ કરો તો મોટાભાગની લિન્ક ‘બોનોની દીકરી’ બૂમો પાડતી જ મળશે પણ કોઈ રૂપસુંદરીને શરમાવે એવા સૌંદર્યની માલકિન જૉર્ડન પોતાના પિતાની પ્રસિદ્ધિની છત્રછાયાથી વેગળી રહીને પોતાની ઓળખ બનાવી ચૂકી છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી એ પોલિટિકલ સાયન્સમાં સ્નાતક અને આઇવી લિગ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લેખનમાં અનુસ્નાતક થઈ છે. તાજેતરમાં જ જૉર્ડનનો સમાવેશ વગદાર યુવા મહિલાઓની યાદીમાં કરવામાં આવ્યો છે. મા-બાપના રસ્તે ચાલીને પણ મા-બાપની સહાયતા વિના ‘સ્પિકેબલ’ નામની સોશ્યલ એક્શન કંપનીની એણે શરૂઆત કરી છે. જે ટેકનોલોજીના ઉપયોગથી કોઈપણ પરિસ્થિતિ સામે આપણે કોઈ પગલું ભરવાની ઇચ્છા હોય પણ ક્યાં અને કઈ રીતે એની જાણકારી ન હોય ત્યારે યોગ્ય દિશા-દર્શન અને અમલ કરવામાં મદદ કરે છે. જૉર્ડને આ કંપનીના વિકાસ માટે વીસ લાખ ડૉલરનો ફાળો ઊભો કર્યો છે એ એની સફળતાનું વળી એક પ્રમાણ છે. સ્પિકેબલનું ‘એક્શન બટન’ કોઈપણ સામાજિક ચળવળને વેગ પૂરું પાડનાર ઈંધણ સમું છે. પરિણામે લોકો જૉર્ડનને સોશ્યલ આન્ટ્રપ્રિનર તરીકે પણ ઓળખે છે. તે ગરીબી દૂર કરવા મથતી ગ્લૉબલ સિટિઝનની ઓનલાઇન એડિટર પણ છે. ૨૮ વર્ષની આ કુમારિકા હાલ સ્પેનિશ એક્ટર ડિએગો ઑસોરિઓના પ્રેમમાં છે. જૉર્ડન જાહેરજીવનની ઝાકઝમાળથી દૂર રહેવામાં માને છે. એના ઇન્સ્ટાગ્રામ પર મથાળે એ વિલિયમ કાર્લોસ વિલિયમ્સનું વાક્ય લખીને નારીશક્તિની આહલેક પોકારે છે: ‘તમારા ગાઉનની કિનારીઓ પકડી રાખો, છોકરીઓ, અમે નર્કમાંથી પસાર થઈ રહ્યા છીએ.’

આ ઉપરાંત જૉર્ડનની એક નવી ઓળખાણ કવયિત્રી તરીકેની છે. એમની બહુ જૂજ કવિતાઓ ઓનલાઇન વાંચવા મળે છે પણ એ ગાગરમાંનો સાગર આપણને ભીંજવ્યા વિના રહેતો નથી. સરળ ભાષા અને રોજબરોજની જિંદગી સાથે અટપટા રૂપક એવા તાણાવાણા રચે છે કે એમના કાવ્યવિશ્વમાં પગ મૂકનાર ભાવક જો પૂરતો સજ્જ ન હોય તો ભીતર પ્રવેશી શકતો નથી.

કહે છે કે કવિતાનું શીર્ષક કવિતાનો ઉપોદ્ઘાત છે. શીર્ષક ભાવકને એ શું વાંચવા જઈ રહ્યો છે એનો અણસાર આપે છે. પણ જૉર્ડનની આ કવિતા ‘જૂન સંનિષ્ઠ’નું તો શીર્ષક જ જરા સંદિગ્ધ લાગે છે. એ શું કહેવા માંગે છે કે ભાવકનો સામનો કોની સાથે થનાર છે એ વિશે બહુ આછોપાતળો ખ્યાલ આ શીર્ષક આપે છે અને બહુધા અસ્પષ્ટ જ રહે છે. કવિતામાં પણ આવી જ અસ્પષ્ટતા છાતી કાઢીને આપણા ભાવવિશ્વ સામે ઊભી રહેનાર છે એટલું તો સમજી જ શકાય છે. જૉર્ડન એકવીસમી સદીની યુવા કવયિત્રી છે એટલે કાવ્યસ્વરૂપ મુક્ત જ હશે એ તો ખ્યાલ આવી જ જાય છે. બાવીસ અનિયત પંક્તિઓને એણે બબ્બે પંક્તિઓના જૂથમાં વહેંચી દીધી છે અને પંક્તિઓને અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી એકમેકમાં તેમજ એક જૂથમાંથી બીજા જૂથમાં ઢોળાવા દીધી છે, જેના પરિણામે અછાંદસ કવિતામાં એક અજબ પ્રકારની સળંગસૂત્રિતાનો અહેસાસ થાય છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. જૉર્ડને પૂર્ણવિરામો અને એકાદ જગ્યાએ અલ્પવિરામ પણ પ્રયોજ્યાં હોવા છતાં વિરામચિહ્નોના નિયમો ગળે વળગાડ્યા નથી એ ઘણી જગ્યાએ આશ્ચર્ય જન્માવે છે અને કદાચ વાચકને સમજણના પ્રદેશની બહાર દોરી જવાના એના હેતુને મદદગાર પણ બને છે.

શીર્ષકમાં જૂન મહિનાનો અને પ્રથમ પંક્તિમાં સેન્ટ્રલ પાર્કનો ઉલ્લેખ આપણને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરની વચ્ચોવચ લઈ જાય છે. મેનહટ્ટનમાં લંબચોરસ આકારમાં ૮૪૩ એકર જેટલી જંગી જગ્યામાં સેન્ટ્રલ પાર્ક દોઢસોથીય વધુ વર્ષોથી પથરાયેલ છે. યુનેસ્કોએ ૨૦૧૭ની સાલમાં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો છે. રોકફેલર સેન્ટરની અગાશીમાંથી આ બાગનો હૃદયંગમ ચિતાર નજરે ચડે છે. વરસેદહાડે આ પાર્કની માવજત પાછળ સાડા છ કરોડ જેટલી તોતિંગ રકમ ખર્ચાય છે અને ચાર કરોડથી વધુ સહેલાણીઓ દેશદેશાવરથી દર વરસે અહીં મહાલવા પધારે છે. ન્યૂયૉર્ક જેવા ‘કદી નહીં ઊંઘતા’ શહેરની હકડેઠઠ ભીડની વચ્ચે આ પાર્ક ટોળાં વચ્ચેના એકાંતની એક અલભ્ય અનુભૂતિ કરાવે છે. દોડધામના દરિયાની વચ્ચે સ્થિતપ્રજ્ઞતાની વાત કરતી આપણી આ કવિતા પણ ન્યૂયૉર્ક શહેરની દોડધામની વચ્ચે ખલેલ પામ્યા વિના નિતાંત આરામથી સૂતેલા આ જ પાર્કની વચ્ચે આકાર લે છે. ન્યૂયૉર્ક શહેરના જૂન મહિનાની આ વાત છે. આપણે ત્યાં જૂન મહિનો એટલે ચોમાસાની શરૂઆત પણ શિયાળામાં અત્યંત ઠંડાગાર અને બરફની ચાદરમાં લપટાઈ જતા તથા ઉનાળામાં અત્યંત ગરમ બની જતા ન્યૂયૉર્કનો જૂન મહિનો આપણા કરતાં સાવ અલગ છે. જૂન મહિનો એટલે ન્યૂયૉર્કમાં ઉનાળાની શરૂઆતનો મહિનો. ન્યૂયૉર્કમાં ફરવા માટે કદાચ આ મહિનો શ્રેષ્ઠ ગણાય. ઠંડી ‘ગુડબાય’ કરીને જઈ રહી છે અને ગરમી ‘મે આઇ કમ ઇન?’નો વિવેક કરતી દરવાજે આવી ઊભી છે. મોટાભાગના દિવસો માફકસરના સૂર્યપ્રકાશવાળા અને હૂંફાળા. આછોપાતળો વરસાદ અડપલું કરી જાય તો નવાઈ નહીં. જૂનના છેલ્લા અઠવાડિયાથી શાળાઓમાં પણ વેકેશન પડી જાય છે એટલે શેરીઓ અને બગીચાઓ બાળકોથી ઊભરાતાં નજરે ચડે છે. આ બાળકો પણ કવિતાનો મહત્ત્વનો ભાગ છે.

કવિતા ‘આ’ ક્ષણમાં આકાર લઈ રહી છે. આ ઘટના બરાબર અત્યારે જ બની રહી છે, ન થોડા સમય પહેલાં, ન થોડા સમય બાદ. એટલે વર્તમાનની આંગળી ઝાલીને આપણે આ દૃશ્યને આપણી આંખોથી ‘લાઇવ’ જોવાનું છે. નાયિકા એના કૉબાલ્ટ બ્લૂ (?ઘેરા વાદળી) રંગના હેડફૉન્સ કાને લગાવીને સેન્ટ્રલ પાર્કમાં પ્રવેશે છે. રંગોમાં કૉબાલ્ટ બ્લૂની એક અલગ આભા છે. ઘેરો વાદળી કહી દેવાથી એ આભા એક ભાષામાંથી બીજીમાં ઊતારી શકાતી જ નથી. ૧૨૦૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાને કોબાલ્ટ ઓક્સાઇડની એલ્યુમિના સાથેની રાસાયણિક પ્રક્રિયાના અંતે જે ગાઢું ચમકદાર ભૂરું રંગદ્રવ્ય બને છે એનું ગુજરાતી નામ આપણી પાસે નથી. ચીનમાં સદીઓથી ચિનાઈ માટીના વાસણોની બનાવટમાં આ રંગદ્રવ્ય વપરાતું આવ્યું છે. ટર્નર, મોનેટ, વાન ઘૉ જેવા ચિત્રકારોની પસંદગી પણ એના પર ઊતરતી આવી છે. આમ તો ભૂરો રંગ આકાશની વિશાળતા તરફ પણ ઈશારો કરે છે અને જાતિવાચક નજરે જોઈએ તો ભૂરો રંગ છોકરાઓનો પ્રિય રંગ ગણાય છે. નાયિકા અહીં ગુલાબી નહીં, કૉબાલ્ટ બ્લૂ રંગના હેડફૉન્સ કાનમાં લગાવીને આવી છે, એ બાબત એના વ્યક્તિત્વને દિલચશ્પ ઓપ આપે છે.

એની આજુબાજુ હવામાં હજારો અવાજો મંડરાઈ રહ્યા છે. આમાંનો કોઈ પણ અવાજ નાયિકાને પોતાને સાંભળવાની ફરજ પાડી શકે છે. પણ કાન પર ચડાવી દીધેલા હેડફોન્સમાંથી કાનમાં રેલાતું નાયિકાની પસંદગીનું સંગીત એ આજુબાજુના આ બધા જ અવાજો સામેની બળકટ દલીલ છે. જાઓ… મારે તમારું કોઈ કામ નથી. હું મારામાં ખુશ છું, ને મારામાં જ રહીશ. ચારેતરફ જે કંઈ બની રહ્યું છે એને કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતા ગણી શકાય. નાયિકા એ કશા સાથે જોડાવા માંગતી નથી. એ પાર્કમાંના ઘાસ તરફ વળે છે. શિયાળો હમણાં હમણાં જ પૂરો થયો છે અને ઉનાળો પૂરો પ્રકાશ્યો નથી એટલે સૂર્ય હજી શિયાળાની મંથર ગતિ અને ઉનાળુ તીવ્રતાની વચ્ચે ક્યાંક અટવાયેલો છે. ટેકરીઓની બાજુઓ પરથી બહાર આવવાનો ડોળ કર્યા બાદ પણ આળસના કારણે સૂરજ હજી બહાર આવતો ન હોય એવો આ સમય છે. નાયિકા પણ ઘાસ પરથી એનું માથું કદાચ સૂર્ય જેવી જ આળસ સાથે ઊંચકશે અને એના મસ્તક અને મસ્તિષ્કની પાછળની બાજુએ જે ઘટનાઓ બની રહી છે એનું પ્રસારણ સમજૂતિની બહારના પ્રદેશમાં થતું રહેશે. આ વાત મસ્તકની પાછળ અનવરત ચાલી રહેલી ઘટનાઓ અને મસ્તિષ્કમાં ચેતનાની પાછળ એકધારી ચાલી રહેલી અસંદિગ્ધ વિચારોની ટ્રેન, બેમાંથી કોઈની પણ અથવા બંનેની હોઈ શકે છે. પણ અગત્યની વાત આ તમામ પૃષ્ઠભૂ સાથે જોડાયેલ હોવા છતાં સાવ અળગું રહી શકનાર એક અસ્તિત્વની છે, જે નાયિકાનું છે.

નાયિકા કહે છે કે પહેલાં જ અહીં મારા હોવાનો અકસ્માત થઈ ચૂક્યો છે. આ વાત બે રીતે જોઈ શકાય. પાર્કમાં આ સમયે એનું હાજર હોવું એ એક પૂર્વનિર્ધારિત અકસ્માત જ છે. બાઇબલ (Psalm 139: 15-16)માં આવું જ કહેવાયું છે: ‘મારું માળખું તારાથી છૂપું નહોતું, જ્યારે છૂપી જગ્યાએ મારું સર્જન થયું હતું, જ્યારે પૃથ્વીના ગર્ભમાં મારું ગૂંથણ થયું હતું. તારી આંખોએ મારી અરચિત કાયા જોઈ હતી; મારા માટે નિયુક્ત કરાયેલા દરેક દિવસો એમાંનો એકેય અમલમાં આવે એ પહેલાં તારા પુસ્તકમાં લખાયેલા હતા.’ ખ્રિસ્તી સિવાયના મોટાભાગના સંપ્રદાયો પણ આ બાબતમાં કંઈક આવો જ મત ધરાવે છે. બીજી રીતે એમ પણ જોઈ શકાય કે આ સમયે પાર્કમાં નાયિકાનું હોવું એ મહજ ઇત્તેફાક જ છે. વિજ્ઞાનની આંખ પણ આવું જ જુએ છે. થોમસ હાર્ડીની મોટાભાગની નવલકથાઓમાં અકસ્માત અને દૈવયોગ મુખ્ય નાયકનો ભાગ ભજવતા જોવા મળે છે. ‘ધ વિન્ટર્સ ટેલ’ (અંક ૪, દૃશ્ય ૪)માં શેક્સપિઅર પણ વાસ્તવવાદી વિધાન કરે છે: ‘અનપેક્ષિત અકસ્માત આપણે જે કરીએ છીએ એના માટે ગુનેગાર છે, માટે આપણે આપણી જાતને પ્રારબ્ધની ગુલામ જાહેર કરીએ અને હવા જ્યાં લઈ જાય ત્યાં જઈએ.’

અહીં અલ્પવિરામ મૂક્યા વિના જૉર્ડન આખા પ્રસંગને ઇન્દ્રિયાનુભૂતિ તરફ લઈ જાય છે. આંખ, નાક અને કાન સરવા કરી લેવાનો આ સમય છે. આખી ઘટનાને કવયિત્રીની આંખે આપણે જોઈ રહ્યાં છીએ. ગુરુવારની ગંધ કેવી હોય એ આપણે જાણતાં નથી પણ એ ગંધ આપણે આ ક્ષણે અનુભવી રહ્યાં છીએ. સમજી શકાય છે કે જે પહેરવેશમાં જે દિવસે અને સમયે જૉર્ડન આ પાર્કમાં આવી હશે એ ક્ષણનું આ કાવ્ય છે. એટલે કૉબાલ્ટ બ્લૂ કે ગુરુવારનું મહત્ત્વ નહિવત્ પણ એની અનુભૂતિ પ્રધાન બની રહે છે. કોઈક કાર્યક્રમ માટેના પરતદાર પ્રવેશપત્રો બનાવવા માટે વપરાતાં-કચડાતાં પાંદડાંઓનો અવાજ પણ આપણા કાનને સ્પર્શે છે. રૂપકો અને ભાષાની અસ્પષ્ટતા અને સંદિગ્ધતાની વચ્ચે પણ કંઈક સ્પષ્ટ અને અસંદિગ્ધ છે જે આપણને સતત દેખાતું, પીમળાતું અને સંભળાતું રહે છે. શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરમાંથી છૂટી પડી ગયેલી આંગળીની જેમ ચીંધી રહી છે. શું ચીંધે છે એ બાબત અધ્યાહાર રાખીને કવયિત્રી ફરીથી પાર્કની વચ્ચે ઘાસમાં નિજાનંદમાં રત નાયિકા તરફ આપણું ધ્યાન દોરે છે.

ફરી પાછી કવિતા અંગત હકીકત તરફ વળે છે. નાયિકા એના ડેન્ટિસ્ટ પાસેથી અહીં આવી છે, પણ નિર્દોષતાથી. અહીં ‘નિર્દોષતા’ શબ્દપ્રયોગ ગૂંચવાડો ઊભો કરે એવો છે. પણ તરત જ કવિતામાં દૃષ્ટિગોચર થતા બાળકો અને દરિયાઈ ચાંચિયાઓની જેમ એમની ઘેરો ઘાલવાની વાતમાં દેખાતી ‘સદોષતા’ની અડોઅડ નાયિકાની ‘નિર્દોષ’ ઉપસ્થિતિ જે વિરોધાભાસ સર્જે છે એ જ કવયિત્રીનો મુખ્ય હેતુ હોવાનું સમજી શકાય છે. બાળકો રમી રહ્યા છે એ પરથી આ સમય જૂન મહિનાના આખરી અઠવાડિયાનો હોવાનું અનુમાન પણ કરી શકાય છે, કેમકે સામાન્યતઃ પાર્કમાં રમતા બાળકો પ્રવાસી હોવા કરતાં સ્થાનિક હોવાની સંભાવના વધુ હોય છે અને અમેરિકામાં આ સમયે શાળાઓમાં રજા પડે છે.

એકતરફ નાયિકાના કાન પરના હેડફોન્સ એને બહારની દુનિયાથી અળગી કરે છે તો બીજી તરફ આ બાળકોના કાન બાહરી હસ્તક્ષેપના તમામ ડેટાથી વિંધાયેલા છે. એક જણને બધાથી અલગ પડવું છે, તો બાકીનાઓને બધામાં ઓગળીને જીવવું છે. દુનિયા આ વિરોધાભાસ પર જ ટકી રહી છે. બાળકો એમના આ રાજ્યમાં વાઇકિંગ છે. યુરોપ, ખાસ કરીને ઉત્તર યુરોપ અને સ્કેન્ડિનેવિઆમાં ઈ.સ. ૭૯૩થી ૧૦૬૬ વચ્ચેની ત્રણેક સદીઓનો ગાળો વાઇકિંગ યુગ તરીકે જાણીતો છે. વેપાર અને વસવાટ ઉપરાંત ખાસ કરીને ચડાઈ અને લૂંટફાટ કરનાર ચાંચિયાઓ –નૉર્સમેનને આપણે વાઇકિંગ તરીકે ઓળખીએ છીએ. બાળકો એમની રમતો અને ધમાલ-કોલાહલ વડે કદાચ અજાણપણે નાયિકાના એકાંતના સામ્રાજ્ય પર હલ્લો બોલાવનાર છે. હજાર-બારસો વર્ષ પહેલાં યુરોપ ખંડમાં થઈ ગયેલા સમુદ્રી લૂંટારાઓનું નામ આજના ન્યૂયૉર્કની ધરતી પર રમતાં બાળકોને આપવા પાછળ જૉર્ડનનો હેતુ કદાચ કવિતાની ફ્લેવરમાં ઇતિહાસનો લગરિક વઘાર ઉમેરવાથી વિશેષ કદાચ જ હોય પણ ચાંચિયા જેવા સીધા સાદા વિશેષણને બદલે વાઇકિંગ જેવું ખાસ નામ કાવ્યાંતને વધુ રસપ્રદ બનાવે છે એ હકીકત પણ નકારી શકાય એમ નથી.

ચારે બાજુ બાળકો એમની રમતોમાં મશગૂલ છે. મોટાભાગે તો એમની ચારેતરફ હુડદમ મચાવતી દોડતી-ભાગતી ટોળકીની વચ્ચોવચ કોઈક યુવતી કાનમાં હેડફૉન્સ ભરાવીને આડી પડી છે એનીય એમને તમા નહીં જ હોય પણ વરસની વચ્ચેના મહિનામાં, અઠવાડિયાના વચ્ચેના વાર પર, દિવસના વચ્ચેના સમયે, શહેરની વચ્ચે આવેલા સેન્ટ્રલ પાર્કમાં, ટોળાંની વચ્ચે એકલી સૂતેલી એકાંતપ્રિય નાયિકા પોતાની જાતને આહુતિ થઈને ફેલાઈ પડેલી કલ્પે છે ત્યારે કવિતાના ‘જૂન સંનિષ્ઠ’ શીર્ષક બાબતમાં કંઈક ગડ પડે છે. એને પોતાનું એકાંત વહાલું છે પણ કદાચ બાળકો માટે એ એનો ભોગ આપી શકે એટલી એ એમના પરત્વે સંનિષ્ઠ પણ છે.

જાતને સોંપી દેવાની વાત છે. સોંપવાની તૈયારી અગત્યની છે. કોઈ ચીજ જ્યારે સોંપી દેવાઈ જવા તૈયાર થઈ જાય છે ત્યારે જ એ આહુતિ બને છે. વાસણમાં તૈયાર થયેલો શીરો જ્યારે દેવચરણે મૂકાય છે ત્યારે જ એ પ્રસાદ બને છે, અન્યથા વાનગી જ છે. પથ્થર પોતાના ગુણધર્મ ત્યજી દેવા તૈયાર થાય છે ત્યારે જ એનું મૂર્તિકરણ થાય છે અને ઠોકરના સ્થાને પૂજા પ્રાપ્ત કરે છે. દુનિયા આખી સામે લડી લેવાની તૈયારી સાથે, દરેકેદરેક અવાજ સામે દલીલ કરતી નાયિકા પોતાના એકાંતના સામ્રાજ્યમાં કોઈની ચડાઈ સાંખી લે એવી નથી પણ ક્રીડા કરતાં બાળકોના ટોળાંની રમતના ચરણે એ પોતાનું આ સામ્રાજ્ય ધરી દેવા તૈયાર થઈ જાય છે. અહીં સ્વમાં સમાધિ પણ છે અને સર્વમાં સમર્પણ પણ છે. સ્વથી સર્વ તરફની આ ગતિ સાધારણ લાગતા રોજિંદી જિંદગીના એક પ્રસંગને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

ગ્લૉબલ કવિતા : ૧૦૧ : ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

ફેસબુક સૉનેટ

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુકનો કદરૂપો ફેસ દેખાડતી કવિતા…

રાત પડે ને બૂમ પડતી: “વિ…વે…….ક….. નવ વાગી ગયા. જમવા ચા….લ તો….” પણ વિવેક જેનું નામ કે આખી શેરી સાંભળી શકે એવી મોટા સાદની બૂમ પણ એના કાને પડે. સંતાકૂકડી, ખોખો, લંગડી, કબડ્ડી, સાંકળી, પકડદાવ, સાતતાળી, લખોટી- સમીસાંજથી શરૂ થયેલો શેરી રમતોનો લખલૂટ વૈભવ રાતના પડછાયા ગાઢા થવા માંડે તોય કદી ખૂટવાનું નામ લેતો જ નહીં. બૂમો પાડી-પાડીને મા-બાપના ગળાં બેસી જાય પણ શેરી છોડીને ઘરે જવાનું મન થાય તો ને! બૂમો પડે એ ક્ષણે મા-બાપ દુનિયામાં સૌથી મોટા દુશ્મન લાગતા હતા. જમવા માટે બૂમો પાડવાની પરિસ્થિતિ તો કદાચ આજેય હજી એ જ રહી છે પણ મા-બાપે શેરી આખી સાંભળી શકે એવા ઘાંટા હવે પાડવા પડતા નથી. વચ્ચે થોડો સમય ટીવીએ જે ભાગ ભજવ્યો એ ભાગ આજે સ્માર્ટફોન ભજવી રહ્યા છે. આજના છોકરાંઓ શેરીમાં નહીં, સ્માર્ટફોનમાં ખોવાઈ ગયા છે અને એમને ડાઇનિંગ ટેબલ પર હાજર કરવા માટે મા-બાપ પણ હવે બૂમનો સહારો નથી લેતા, રિંગ કરે છે અથવા વૉટ્સએપ-મેસેન્જર પર પિંગ કરે છે – લાલ! જમવાનું ઠંડું પડી રહ્યું છે, પધારો હવે તો… સોશિઅલ મીડિયાનું આ આક્રમણ મનુષ્યજીવનમાં કેવી ક્રાંતિ લઈ આવ્યું છે એ વાત પ્રસ્તુત રચનામાં શર્મન એલેક્સી કરી રહ્યા છે.

શર્મન જોસેફ એલેક્સી જુનિયર. ૦૭-૧૦-૧૯૬૬ના રોજ વેલપિનિટ, વૉશિંગ્ટન ખાતે જન્મ. મૂળ અમેરિકી. કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને ફિલ્મકાર. માત્ર છ મહિનાની વયે ખોપડીમાં પાણી ભરાવા (હાઇડ્રોસેફેલસ)ની બિમારીના કારણે શસ્ત્રક્રિયામાંથી પસાર થવું પડ્યું, જેના પરિણામે બાળપણમાં ખેંચની બિમારીનો શિકાર રહ્યા. માથું મોટું રહી જવાના કારણે સહપાથીઓ એમને ‘ગોળો’ (ગ્લૉબ) કહીને ચીડવતા. શારીરિક નબળાઈ ફરજિયાત વાચનશોખમાં પરિણમી અને વરદાન સાબિત થઈ. કોલેજકાળમાં પહેલાં તબીબ અને પછીથી વકીલ બનવાની મથામણમાં સપડાઈને શરાબની બૂરી લતના ભોગ બન્યા. આખરે સાહિત્યના શરણે ગયા. ૨૬ વર્ષની વયે પ્રથમ પુસ્તક કવિતાનું પ્રકાશિત થયું અને શરાબને તિલાંજલી પણ આપી દીધી. તેઓ પોતાની જાતને ‘ઇન્ડિઅન’ કહેવડાવવું પસંદ કરે છે, કેમ કે એમના મત મુજબ ‘નેટિવ (મૂળ) અમેરિકન’ શબ્દપ્રયોગ ધોળિયાંઓના ‘શ્વેત’ અપરાધભાવની પેદાશ છે. આજ સુધીમાં બે ડઝનથી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે અને નાના-મોટા સેંકડો ઈનામ-અકરામોથી નવાજાયા છે. ડાયેન ટોમહેવ સાથે લગ્ન કરીને બે પુત્રો સાથે સિએટલ ખાતે હાલ રહે છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ‘અમેરિકાનો આગવો અવાજ’ ગણાતા આ અતિલોકપ્રિય લેખકે એક જાહેર ખુલાસો બહાર પાડ્યો જેમાં તેમણે વીતેલા વર્ષોમાં પોતાના વર્તનથી ઘણાં લોકોને નુકશાન પહોંચ્યું હોવાનું સ્વીકારીને માફી માંગી. એક જમાનાની એમની શૈયાસાથી લિત્સા ડ્રેમૌસીસે શર્મને કરેલ જાતીય સતામણી સામે ટ્વિટ કર્યું અને જેની વૉકર, એલિસા વૉશુટા તથા એરિકા રુથ નામની અન્ય ત્રણ લેખિકાઓ ‘મી ટુ’ કહીને આગળ આવી. નેટિવ અમેરિકન સાહિત્યકારોમાં સૌથી મોટું નામ ગણાતા શર્મનના માથે પસ્તાળ પડી. એમણે જાહેર માફીનામું બહાર પાડ્યું. એમને આપવામાં આવેલ ઘણા પુરસ્કાર ‘એલેક્સીએ જે કર્યું છે એ અસ્વીકાર્ય છે’ એવો સાફ સંદેશો સમાજને પહોંચાડવાના હેતુસર પરત લઈ લેવાયા અને એમના નામ સાથે સંકળાયેલા સ્કોલરશીપનું નામ પણ બદલી નંખાયું.

એમના પુસ્તક ‘યુ ડોંટ હેવ ટુ સે મી યુ લવ મી’માં એ લખે છે: ‘મારું નામ શર્મન એલેક્સી છે અને હું જન્મ્યો હતો ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી.’ એક-બે-ત્રણવાર પુનરોક્તિ કરવાના બદલે એ તેર-તેરવાર ‘ખોટમાંથી (Loss)’ વાપરે છે, જે નુકશાનીની અમીટ છાપ છોડી જવામાં સફળ રહે છે. એમના આ સંસ્મરણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પારાવાર નુકશાનીનું પરિણામ છે: ‘પોતાની જનજાતિનો નાશ અને વિસ્થાપન, બંધના પ્રતાપે એમના સમાજમાં પવિત્ર ગણાતી સૅમન માછલીઓનું સ્થળાંતરણ, દાદા-દાદીઓના અકાળ નિધનો, દારૂડિયો બાપ, શસ્ત્રક્રિયા, ખેંચની બિમારી, અને બાળપણમાં શોષણનો ભોગ થવું વગેરે વગેરે…’ એમની કવિતાઓમાં શરાબખોરી, રંગભેદ, ગરીબી તથા પ્રવર્તમાન સમાજની અન્ય બદીઓ અવાજ બુલંદ કરે છે. કાળો કટાક્ષ અને મૂળ અમેરિકનોની હાડમારી એમની કવિતાઓમાં સતત ડોકાતાં જોવા મળે છે.

રચનાનું શીર્ષક ‘ફેસબુક સૉનેટ’ સ્વયંસ્પષ્ટ છે. ફેસબુક શું છે એ સમજાવવું પડે એવો માણસ મળવો આજે કદાચ મુશ્કેલ છે. રચનાની દૃષ્ટિએ જોઈએ તો પહેલી નજરે શર્મનનું આ સૉનેટ શેક્સપિરિઅન શૈલીમાં લખાયું હોવાનું અનુભવાય પણ હકીકત જરા જુદી છે. ચતુષ્કમાં અ-બ-અ-બ અને યુગ્મકમાં ક-ક પ્રકારનો પ્રાસ અનુભવાય છે ખરો પણ છે નહીં. સ્કૂલ-ક્રુઅલ, ફ્રેન્ડ્સ-અનમેન્ડ, સેઇમ-ગેઇમ્સ તથા ફેમ-ડોમેનના પ્રાસ ચુસ્ત પ્રાસ ઓછા અને દૃષ્ટિભ્રમ (eye-rhyme) વધારે છે. આ પ્રાસ રચના કંઈક અંશે તિર્યક પ્રાસ (Slant/oblique/imperfect rhyme)ને મળતી આવે છે. કવિ ફેસબુક જેવી સોશિઅલ મીડિયા સાઇટ ઉપર સૉનેટ જેવી ગૌરવાન્વિત કાવ્યરચના કરી રહ્યા છે એ વાત પોતે કટાક્ષસભર છે. કદાચ એટલે જ કવિએ ચુસ્ત પ્રાસ વાપરીને સૉનેટનું ગૌરવ જાળવવાના બદલે તિર્યક પ્રાસ પ્રયોજીને ફેસબુકની હાંસી કરવાનો ઉપક્રમ સેવ્યો હોય એમ બની શકે. બીજું, શેક્સપિરિઅન સૉનેટમાં પ્રધાન છંદ આયમ્બિક પેન્ટામીટર જોવા મળે છે, જ્યારે અહીં ટેટ્રામીટર છે, જે અંગ્રેજીમાં બહુધા ગીત (Ode) તથા કથાકાવ્યમાં જોવા મળે છે. ૨૦૦૪થી ૨૦૧૮ સુધીની ફેસબુકની જિંદગીમાં બરાબર વચ્ચેની સાલમાં ૨૦૧૧માં લખાયેલી આ કવિતા છે. પહેલાં સાત વર્ષમાં ફેસબુકે સમાજ પર જે છાપ છોડી એના કરતાં અનેકગણી છાપ બીજા સાત વર્ષોમાં છોડી હોવાથી આ કવિતા પહેલી નજરે જૂની થઈ ગઈ હશે એમ માનવાનું મન થાય પણ કવિતામાંથી પસાર થતી વખતે અહેસાસ થાય છે કે આ કવિતા તો વરસોવરસ તાજી રહેવા જ જન્મી છે.

આ સૉનેટના એક જ વર્ષ પહેલાં ૨૦૧૦ની સાલમાં ફેસબુકના વપરાશકર્તાઓનો આંકડો પચાસ કરોડને વટાવી ગયો હતો પણ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ આંક સવા બે અબજને સ્પર્શી ગયો. વિશ્વની સાડા સાત અબજની વસ્તીમાંથી ૨૫ ટકા જેટલા બાળકો અને અપંગ-વૃદ્ધોને બાદ કરીએ; ચીન, ઈરાન, સિરિયા જેવા ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ રાખનાર દેશોની વસ્તીને બાદ કરીએ; અને દુનિયાભરમાં જે ગરીબો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ખરીદી-વાપરી શકવા સમર્થ જ નથી એમને પણ બાદ કરીએ તો એમ કહી શકાય કે દુનિયાની મોબાઇલ ફોન વાપરી શકે એવી કુલ વસ્તીના કદાચ પોણા ભાગને ફેસબુક વિના ચાલતું નથી.

દુનિયામાં છેલ્લા પાંચ હજાર વર્ષોમાં જેટલું પરિવર્તન આવ્યું નથી, એટલું છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષમાં આવ્યું છે. કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટનો આમાં સૌથી મોટો ફાળો છે. સોશિઅલ મીડિયાએ તો સામાજિક સંબંધોની પરિભાષા જ આમૂલ બદલી નાંખી છે. છેલ્લા બે દાયકાઓમાં બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન આવ્યું છે એ છેલ્લા પાંચ હજાર વર્ષોમાં આવેલા કુલ પરિવર્તનોના ગુણાકારથીય વધારે ગણી શકાય. ૧૯૪૦ના દાયકામાં સુપર કમ્પ્યૂટર અસ્તિત્વમાં આવ્યા એ દિવસથી વૈજ્ઞાનિકો બે કમ્પ્યૂટર વચ્ચે કઈ રીતે સંબંધ સ્થાપી શકાય એની મથામણમાં લાગ્યા હતા. ૬૦ના દાયકામાં કમ્પ્યૂસર્વ જેવું પ્રાથમિક ઇન્ટરનેટ અને ૭૦ના દાયકામાં અર્પાનેટ અને પછી યુઝનેટ અસ્તિત્વમાં આવ્યાં જેને સોશિઅલ મીડિયાના પ્રથમ પગરણ ગણી શકાય. ૧૯૮૮માં ઇન્ટરનેટ રિલે ચેટની શરૂઆત થઈ જે લોકપ્રિય પણ થયું. પણ ૧૯૯૭માં આવનાર ‘સિક્સ ડિગ્રીઝ’ની શરૂઆત થઈ જેને સાચા અર્થમાં સોશિઅલ મીડિયા કહી શકાય. ૧૯૯૯માં ખાનગી બ્લૉગ સર્વિસીઝનો પ્રારંભ થયો અને સોશિઅલ મીડિયાનો સાચા અર્થમાં સૂર્યોદય થયો. પછી તો માયસ્પેસ, લિન્ક્ડઇન, ફ્રેન્ડસ્ટર, ઓર્કૂટ, ફોટોબકેટ, ફ્લિકર, વગેરેનો મારો થયો. ફેસબુક, યૂટ્યુબ, ટ્વિટર, ટમ્બ્લર, યાહૂ મેસેન્જર, ગૂગલ પ્લસ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, લાઇન, ટેલિગ્રામ જેવા મીડિયા આજે પણ ધૂમ મચાવી રહ્યા છે. આજે પરિસ્થિતિ કદાચ એવી સર્જાઈ છે કે માણસને પોતાની બાજુમાં કોઈ બેઠું છે કે નહીં એના કરતાં પોતાના સોશિઅલ મીડિયા પર કોઈ પોતાની સાથે ઓનલાઇન છે કે નહીં એમાં વધુ રસ છે. શેરીના નાકે ઓટલા પર ટોળું વળીને ગામગપાટા મારતાં યુવાનિયાઓનું અને શેરીમાં જાતજાતની રમતો રમતા બાળકોનું ચિત્ર ઝડપભેર ગામના પાદરની જેમ ભૂંસાતું જઈ રહ્યું છે. મિત્રો ટોળું થઈ ભેળાં બેઠેલાં તો હજીય નજરે ચડે છે પણ એ લોકો ઝડપભેર પરસ્પર વાકવિનિમયની કળા ભૂલતાં જઈ રહ્યાં છે. બાજુમાં બેઠેલ જીગરજાન શું કહી રહ્યો છે એના કરતાં વધુ રસ સોશિઅલ મીડિયાના નોટિફિકેશનમાં શું આવ્યું છે એ જોવામાં પડે છે. સંબંધોમાં વર્ચ્યુઅલ વાસ્તવિકનું સ્થાન ઝડપભેર લઈ રહ્યો છે.

૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ઇન્ટરનેટ પર સોશ્યલ મિડિયાના નામે કદાચ સૌથી મોટી ક્રાંતિની શરૂઆત થઈ. માત્ર ઓગણીસ જ વર્ષના એક ટીનએજર અમેરિકન માર્ક ઝકરબર્ગે એના હાર્વર્ડ કોલેજના સહપાઠીઓ સાથે મળીને હાર્વર્ડના ડોર્મિટરી રૂમમાં બેઠાં બેઠાં ફેસબુકની શરૂઆત કરી, જે થોડો સમય કોલેજના પટાંગણ પૂરતું જ સીમિત હતું. કોલેજના વિદ્યાર્થીઓની માહિતી ફોટૉગ્રાફ્સ સાથે ઓનલાઇન કે છાપેલી પુસ્તિકામાં રાખવામાં આવતી જે ‘ફેસ બુક’ કહેવાતી. આ જ નામ માર્કે વાપર્યું પણ માર્કને પોતે જે કરી રહ્યો છે એનો વ્યાપ શો હોઈ શકે એનો આછોપાતળો અંદાજ હતો. ટૂંક સમયમાં જ સિલિકોન વેલીમાં નાની ઑફિસ ભાડે લેવામાં આવી. વેનિટી ફેર મેગેઝિને ૨૦૧૦માં વિશ્વની માહિતી યુગની સો સૌથી વધુ વગદાર વ્યક્તિઓમાં એને પહેલો ક્રમાંક આપ્યો. ઝકરબર્ગ પોતે લાલ તથા લીલી રંગઅંધતાનો શિકાર હોવાથી ફેસબુકમાં પ્રાથમિક રંગ ભૂરો છે. ૨૦૧૨માં કંપનીએ આઇપીઓ બહાર પાડ્યો ત્યારે કંપનીની બજારકિંમત એક્સો ચાર અબજ ડોલર હતી. ફેસબુકના સીઈઓ તરીકે એનો પગાર માત્ર એક ડોલર છે, પણ કમાણી અબજો ડોલર છે. ૨૦૧૬માં એણે એની કમાણીના ૯૯% -બાવન અબજ ડૉલર- દાન કર્યાં હતા. સમયની સાથોસાથ એકતરફ ફેસબુકની સુવિધાઓમાં સતત પરિવર્તન થતાં રહ્યાં છે તો બીજી તરફ કાનૂની આંટીઘૂંટીઓનો સામનો કરવાનું પણ એકધારું ચાલુ જ રહ્યું. માર્ચ ૨૦૧૮માં કંપની પર કેમ્બ્રિજ એનાલિટિકા હસ્તક પાંચ કરોડ અમેરિકનોની માહિતી હસ્તગત કરવાનો આરોપ મૂકાયો અને વિશ્વભરમાં લાખો લોકોએ ફેસબુકને તિલાંજલિ પણ આપી દીધી. પણ હકીકત એ છે કે આજની તારીખે પણ ફેસબુક વિશ્વની મોટાભાગની વસ્તી પર ધારી અસર પહોંચાડવામાં સફળ છે. અમેરિકા જેવા દિગ્ગજ દેશની ચૂંટણીના પરિણામ પર પણ જે મીડિયા ધાર્યો પ્રભાવ પાડી શકતું હોય એની તાકાત શી રીતે ઓછી આંકી શકાય!

ફેસબુક યાને કે ‘ચહેરાપોથી’ વિશેના સૉનેટની શરૂઆત કવિ સહુના સ્વાગતથી કરે છે. સ્વાગતના ભાવમાં છૂપાયેલો ઉપહાસનો કાકુ અનુભવાયા વિના નથી રહેતો. ફેસબુકના આગમનથી દુનિયાભરના લોકો ખૂબ ઉત્તેજિત હતા કેમકે મોટાભાગના લોકો શાળા કે કોલજ પત્યા પછી બધા નહીં તોય ઘણાખરા જૂના મિત્રોના સંપર્ક-સરનામાં લેવાનું ચૂકી જતાં હોય છે, અથવા જે-તે સંપર્ક-સરનામાંનો પ્રયોગ કરવાનો સમય વરસો બાદ ક્યારેક આવી ઊભો થાય ત્યારે જાણ થતી હોય છે કે એ સરનામાં કે ફોનનંબર તો ક્યારના બદલાઈ ચૂક્યાં છે. પરિણામે શાળા-કોલેજના જૂના મિત્રો દુનિયાની ભીડમાં ક્યાં અને ક્યારે ઓગળી ગયા એની ગમ પડવી શક્ય રહેતી નથી. પણ ફેસબુક જેવા સોશિઅલ મીડિયાઓએ નવી જ ક્ષિતિજો ઊઘાડી આપી. વરસોના વરસથી જેમના કોઈ ખબર-અંતર જ ન હોય એ મિત્રો અચાનક સોશિઅલ મીડિયા પર જડી આવે છે. ફેસબુક એ રીતે જોવા જઈએ તો આ પુનર્મિલનોનો અનવરત ચાલ્યે રાખતો સમારોહ છે. સારા હોય કે નઠારા, જૂના મિત્રો હોય કે ભૂતપૂર્વ પ્રેમીઓ- આ સહુનું સ્વાગત છે. સમયના અભાવે છટકી ગયેલા કે કોઈક કારણોસર વણસી ગયેલા તમામ પ્રકારના સંબંધો અહીં ફરી આભાસી હસ્તધૂનન અને આલિંગનોમાં જોતરાઈ શકે છે. ‘ભલા’ તો ઠીક પણ શર્મન ‘ક્રૂર’ શબ્દ પ્રયોજે છે એમાં ફેસબુકની પીઠ પર કટાક્ષનો પહેલો ચાબખો વીંઝાતો સંભળાય છે. સમય હતો ત્યારે જે પ્રેમીઓ કે મિત્રો અંગત સ્વાર્થ કે કોઈપણ કારણોસર તમને એકલા મૂકીને આગળ નીકળી ગયા હતા એ પણ ફેસબુકના ચોતરે પાછલી શરમને નેવે મૂકી દઈને અચાનક તમારા ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થઈ જાય છે. જે લોકોએ તમને સાક્ષાત પસંદ નહોતા કર્યા, એ લોકો હવે તમારી પોસ્ટ્સ પર લાઇક્સ આપતા થઈ જાય છે… કેવી ‘ક્રૂર’ નીચતા!

શર્મન ત્રણેય ચતુષ્કને અપૂર્ણાન્વય (enjambment)ની રીતિથી એકસૂત્રે બાંધે છે. દરેક ચતુષ્કની આખરી પંક્તિ આવનારા ચતુષ્કમાં ઢોળાય છે. જો કે આખી કવિતામાં કાવ્યાંતને બાદ કરતાં ચાર જ પંક્તિ વાક્યાંતે પૂર્ણ થાય છે, બાકી બધી જ પંક્તિઓ અપૂર્ણાન્વયની નીતિને અનુસરે છે અને કવિતાની સળંગસૂત્રિતા જાળવવામાં મદદ કરે છે. ફેસબુક એ વીતી ગયેલી કાલની કબર ખોદીને જાત-જાતનાં મડદાં બહાર કાઢે છે. વાસ્તવિક દુનિયાને વિસારે પાડીને એ મનુષ્યને કાલ્પનિક દુનિયામાં જીવતાં શીખવે છે. એટલે જ કવિ આહ્વાન કરતાં કહે છે કે ચાલો, આજનું અવમૂલ્યન કરીએ અને તોડી-ફોડીને એને નાદુરસ્ત પણ કરીએ. ભલે, પાંચ હજાર વર્ષ પહેલાં મેસોપોટેમિઅન સંસ્કૃતિમાં સિદુરી રાજા ગિલ્ગામેશને શોક ત્યજીને આજમાં જીવવાનો ઉપદેશ આપી ગયો હોય, બે હજાર વર્ષ પહેલાં રોમન કવિ હોરિસ (Horace) ‘Carpe Diem’ (આજમાં જીવો) કહી ગયો હોય, પણ ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક હજારો વર્ષોના ડહાપણને જૂઠલાવે છે.

જિંદગી દરેક તબક્કે અલગ સ્વરૂપે આપણી પાસે આવે છે અને ભિન્નસ્વરૂપા હોવાના કારણે જ એ આપણને આટલી વહાલી પણ લાગે છે. પણ ફેસબુકના આંગણામાં બધું એકસમાન છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે, એ જિંદગીના દરેક પ્રસંગોને એકસમાન રીતે જ ઉજવતા શીખવે છે. જીવનમાં કંઈ પણ નવું બન્યું નથી કે તરત એને ટાઇમલાઇન ઉપર અપલોડ કર્યું નથી. ‘વિવિધતામાં એકતા’ સૂત્રને ફેસબુક જરા અલગ રીતે જ આત્મસાત કરે છે. જે બાળપણ વીતી ગયું છે એને ખોદી કાઢવાનું છે, ફરી જીવવાનું છે અને વધુ ને વધુ જીવતાં જ રહેવાનું છે એમ કવિતા જ્યારે કહે છે ત્યારે પ્રથમદર્શી ભાવ તો એવો જ લાગે કે બાળપણની સોનેરી યાદોમાં ખોવાઈ જવાનો સોનેરી મોકો ફેસબુક પૂરો પાડે છે માટે ફેસબુક કોઈ દેવદૂતથી કમ નહીં હોય; પણ તરત જ સમજાય છે કે જે ખોદવાનું, ફરી જીવવાનું અને જીવતા રહેવાનું કામ ફેસબુક આપણી પસે કરાવે છે એ બાળપણ નથી, પણ બાળકો જેવી હરકતો છે. ફેસબુક આપણી પાસે પરિપક્વતાનો ત્યાગ કરાવી બાલિશતા આચરતા શીખવે છે. મરી ગયેલા સ્વજનો સાથે સેલ્ફી લઈને જાહેરમાં પોસ્ટ કરવાની સંવેદનહીનતા ફેસબુક વિના શક્ય જ નથી અને કોઈના આત્મજન અવસાન પામ્યા હોવાની પોસ્ટ પર ‘લાઇક’ કરનારાઓની પણ આજની તારીખે કમી નથી. ફેસબુક હકીકતમાં આપણા બચપણ સાથે પુનઃસંધાન નથી કરાવતું, બચપણા સાથે કરાવી આપે છે. ફેસબુક આપણા ચિત્તતંત્રને, સંવેદનતંત્રને લકવો મારવાનું કામ કરે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે.

એક જમાનો હતો જ્યારે યુવાનો શેરીઓમાં, મેદાનોમાં આઉટડોર ગેમ્સમાં મશગૂલ રહેતા. આજે મોટાભાગના યુવાનો ચાર-છ ઇંચના કાચની સ્ક્રીનમાં માત્ર ઘુસી જવાનું જ બાકી રાખીને જીવતા હોય છે. જો અનિવાર્ય ન હોય તો મોબાઇલની રમતો, મીડિયાની આંટીઘૂંટીઓમાં વ્યસ્ત આ યુવાનો કદાચ શ્વાસ લેવાનુંય ભૂલી જાય. શરમ આવે એવી ઘટનાઓ હોય કે ખ્યાતિ મળે એવી ઘટના હોય- ફેસબુકના આંગણે સહુને સમાન આવકાર મળે છે. નીરક્ષીરવિવેકનો છાંટોય હોય તો ચાંગળા પાણીમાં ડૂબી મરવાનું મન થાય એવી એવી બાબતો ‘વાઇરલ’ થઈ જવાની લ્હાયમાં લોકો ફેસબુક પર જાહેરમાં રમતી મૂકે છે. ફેસબુક પર ફેમ અને શેમ એક જ ગેમનો ભાગ બની રહે છે. બે વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય એ હદે બંને એક થઈ ગયાં છે.

ઈશ્વરની શોધથી વિશેષ અંગત બીજું કંઈ હોઈ જ ન શકે. ઈશ્વરની શોધ એ પોતાની જાતની શોધ છે. માણસ પોતાની અંદર ઠીઠ ઊતરી શકે ત્યારે જ એને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. જે કોઈ બહાર ફાંફાં મારે છે, એ માત્ર ફાંફા જ મારતો રહી જાય છે કેમકે ખરો ઈશ્વર આપણી ભીતર છે. પણ ફેસબુક જેવા મીડિયા ધર્મની પણ મજાક ઊડાવે છે. અંગત ભક્તિ અને અંગત તલાશ પણ લોકો જ્યાં સુધી ‘શેર’ નથી કરતાં ત્યાં સુધી એ ભક્તિ-તપસ્યા એમને અધૂરી લાગે છે એ હદે ફેસબુકની બિમારી આપણી રગોમાં વ્યાપી ચૂકી છે. દેવળ ડૉટ કૉમ ખરું દેવળ બની ગયું છે. સ્થળ વાસ્તવિક્તાની ગરિમા ગુમાવીને વર્ચ્યુઆલિટીની કડવાશના રંગે રંગાતા જાય છે. નવા વરસે એકબીજાના ઘરે જઈને મળવાનો રિવાજ ઝડપભેર ભૂંસાતો જાય છે, કેમકે હવે આ કામ ફેસબુક અને વૉટ્સએપ પર જ નિપટાવી લેવાય છે.

ફેસબુકની ભાષામાં સાઇન અપ અને સાઇન ઇન કરવાનું કહીને કવિ ફેસબુકના ચર્ચમાં જ ગુનાઓનો એકરાર કરી દો એવો તીખો કટાક્ષ કરે છે. ફેસબુકને એકલતાની વેદી તરીકે વ્યાખ્યાયિત કરીને કવિ આપણને ચેતવે છે કે ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ કોઈ સમાજ છે જ નહીં, આ તો માત્ર સમાજનો આભાસ છે. લાઇક્સ, કોમેન્ટ્સ અને શેરની સંખ્યા આપણી ખુશીનો ભાવાંક નક્કી કરે છે. આપણી પૉસ્ટ પર નવા નોટિફિકેશન આવ્યાં કે નહીં એની તાલાવેલી આપણી ખુશીની ઉપર હાવી થઈ જાય છે. સાચી જિંદગી કરતાં આભાસી જિંદગીમાં બે જણ વચ્ચે પ્રેમ પણ બહુ જલ્દી થઈ જાય છે પણ આભાસને વાસ્તવ માની બેઠેલ બે જણ જ્યારે હકીકતમાં એક થાય છે ત્યારે ભ્રમનો આ પરપોટો ફૂટતાં વાર નથી લાગતી. ફેસબુકના કારણે છૂટાછેડા અને આત્મહત્યાની માત્રામાં વધારો થયો હોવાનુંય પુરવાર થયું છે. આ એકલતાની વેદી પર આપણું સ્વાગત કરીને કવિએ જે લાલ બત્તી દેખાડી છે એ ન જોઈ શકનારનું ભાવિ અકસ્માતસભર જ હોવાનું. આ એક એવી દુનિયા છે જ્યાં તમે હજારોની વચ્ચે હોવા છતાંય બિલકુલ એકલા છો. અને આ એવો નશો છે જે છોડ્યો છૂટતો નથી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે વધુ લોકો તો ઠીક, જાત સુધી પહોંચવાનું પણ વિસરી ગયાં છીએ.

ગ્લૉબલ કવિતા : ૧૦૦ : અમરુશતક

आलोलामलकावलीं विलुलितां बिभ्रच्चलत्कुण्डलं
किञ्चिन्मृष्टविशेषकं तनुतरैः स्वेदाम्भसः शीकरैः ।
तन्व्या यत्सुरतान्तदीप्तनयनं वक्त्रं रतिव्यत्यये
तत्त्वां पातु चिराय किं हरिहरस्कन्दादिभिर्देवतैः ॥३॥

વીંખાયેલ લટો, હલે સહજ જે કાને ધર્યાં કુંડળો,
ભૂંસાયો મુખલેપ ભાલ પરની પ્રસ્વેદ બુંદો થકી
આંખો વિહ્વળ મૈથુનાંત થઈ છે એ તન્વીનું મોઢું જ
દેશે રક્ષણ દીર્ઘકાળ, શું હરિ, મા’દેવ, સ્કંદાદિથી?

तद्वक्राभिमुखं मुखं विनमितं दृष्टिः कृता पादयो-
तस्यालापकुतूहलाकुलतरे श्रोत्रे निरुद्धे मया
पाणिभ्यां च तिरस्कृत सपुलकः स्वेदोद्गमो गण्डयोः
सख्यः किं करवाणि यान्ति शतथा यत्कंचुके संधयः ॥११॥

સન્મુખે મુખ જોઈ મેં મુખ નમાવ્યું, દૃષ્ટિ કીધી પગે,
તેના સાદપિપાસુ કાન ફટ ઢાંક્યા મેં અને હાથથી
સંતાડ્યો પસીનો કપોલ પરનો રોમાંચથી જે થયો,
સૈ! સો બાજુથી કંચુકીની કસ તૂટે; શું કરું, તું કહે.

दंपत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकर्णितं यद्वच-
स्तत्प्रातर्गुरुसंनिधौ निगदत: श्रुत्वैव तारं वधूः ।
कर्णालम्बितपद्मरागशकलं विन्यस्य चञ्चवा: पुटे
व्रीडार्ता प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ॥१६॥

પ્રેમાલાપ થયો હતો યુગલનો રાતે, શુકે એ સુણી
પ્રાતઃ સૌની સમક્ષ તારસ્વરથી એ બોલવા માંડતા,
કાઢીને મણિ કાનથી તરત એની ચાંચમાં મૂકી દૈ
લાજેલી વહુએ અનારભ્રમથી રોકી દીધી બોલતી.

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

જોઈ એક જ આસને પ્રિયતમા બેને, પૂરા માનથી
આંખો પાછળથી જઈ રમતના બા’ને બીડી એકની
ઢાળી ડોક જરા અને પ્રણયના ઉલ્લાસ-રોમાંચ ને
હાસ્યે ફુલ્લ કપોલવાળી અપરાને ધૂર્તે ચૂમી લીધી.

एकस्मिञ्शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो-
रन्योन्यं हृदयस्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् ।
दंपत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवंच्चक्षुषो
र्भग्नो मानकलिः सहासरभसं व्यावृत्तकण्ठग्रहः ॥२३॥

બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.

तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं
किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाप्यते ।
इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्संप्रमार्ष्टुं मया
साश्लिष्टा रभसेन तत्सुखवशात्तस्याश्च तद्विस्मृतम् ॥२६॥

જે વિલેપન તેણીના સ્તનપુટે આલિંગતાં લાગ્યું છે
છાતીએ, ચરણે પડી શીદ છુપાવે એ બહાનાં તળે?
કે’તાં આવું, હું તુર્ત ‘ક્યાં છે’ વદતો એ લેપને ભૂંસવા
આલિંગ્યો સહસા, સુખે મગન થૈ તે વાત એ ભૂલી ગૈ.

प्रस्थानं वलयैः कृतं प्रियसखैरस्त्ररैजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः ।
यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता
गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥३५॥

ચાલ્યાં કંગન, આંસુ દોસ્ત સમ પૂંઠે એકધારાં વહે,
ને ધૈર્યે ન ક્ષણાર્ધ ટક્યું, મન તો પે’લાં જ માંડ્યું જવા,
કીધો નિશ્ચય જ્યાં જવા પ્રિયતમે, ચાલ્યાં બધાં સાથમાં,
છે નક્કી જવું સૌનું તો, હૃદય! શા માટે ત્યજે સંઘ તું?

तयाभूदस्माकं प्रथममविभक्ता तनुरियं
ततो न त्वं प्रेयानहमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरं
मयाप्तं प्राणानां कुलिशकठिनानां फलमिदम् ॥६९॥

હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.

અમરુશતક – સ્ત્રી-પુરુષના સંબંધોના અમર શૃંગારકાવ્યો…

પંગોટથી નીકળીને અમે કોર્બેટ જવા નીકળ્યાને રસ્તામાં નૈનિતાલ આવતા અરવિંદ આશ્રમમાં ૨૭ વર્ષ જૂની યાદો તાજી કરવા ગાડી થોભાવડાવી. એવામાં એક ફોન આવ્યો. આ ‘એક વેશ્યાની ગઝલ’ તમે લખી છે? મેં હા કહી અને સામેથી સવાલોની અગનવર્ષા શરૂ થઈ. આ કવિતા કેમ લખી છે, કોના માટે લખી છે, એનો મતલબ શો થાય છે વગેરે વગેરે સવાલોનો જવાબ અચંભિત થઈને હું આપતો ગયો. એ ફોન મૂક્યો ત્યાં બીજો. ફરી એજ સવાલો. ફરી એ જ જવાબો. ત્રીજો ફોન. ચોથો ફોન. સામેથી સૂર બદલાવા માંડ્યો. સવાલો ગાળમાં અને ગાળ ધમકીઓમાં ફેરવાઈ ગઈ. વેશ્યાના જનનાંગ માટે સૂર્યનું પ્રતીક મૂકવા સામે એમને વાંધો પડ્યો હતો. ફોન ઉપાડવાનું બંધ કરી દેવું પડ્યું. છેવટે ફોન સ્વીચ ઑફ કરવાની ફરજ પડી. મારા અને મારા પરિવારને જાનહાનિની ધમકીઓ… ઘર-હૉસ્પિટલને નુકશાન પહોંચાડવાની ધમકીઓ… કવિતા કોઈ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે લખાઈ નહોતી. કવિતા આ પ્રસંગ બન્યો એના બાર વર્ષ પહેલાં લખાઈ ચૂકી હતી, સંગ્રહમાં છપાઈ ચૂકી હતી અને સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રેષ્ઠ સર્જનાત્મક પુસ્તકના પ્રથમ પારિતોષિક વડે સન્માનવામાં પણ આવી ચૂક્યો હતો. પણ વૉટ્સએપ અને ફેસબુક પર કોઈએ તિખારો મૂક્યો અને આગ કવિના અને કવિપરિવારના જાનમાલને દઝાડવા સુધી આવી પહોંચી. આ આજના ભારતની સહનશીલતા, સંસ્કાર અને સંસ્કૃતિની ભવ્યતાનો તરોતાજા દાખલો છે. આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં અમરુ નામનો એક કવિ સંભોગશૃંગારના સોએક શ્લોક લખી ગયો હતો એ શ્લોક આ સંદર્ભ નજર સામે રાખીને જોવા જેવા છે.

આપણી પાસે ભર્તૃહરિના ત્રણ શતક –શૃંગારશતક, નીતિશતક, વૈરાગ્યશતક- ઉપલબ્ધ છે. કવિ મયૂરનું મયૂરશતક એમ અમરુ કે અમરુકનું અમરુશતક. કેટલીક ટીકાઓમાં અમરુશતકના સ્થાને શૃંગારશતક કે શૃંગારદીપિકા નામ પણ જોવા મળે છે પણ ‘અમરુશતકમ્’ નામ જનમાનસમાં એ હદે રુઢ થઈ ચૂક્યું છે કે એ જ યથોચિત લાગે. આશ્ચર્ય થાય પણ એ હકીકત છે કે વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યમાંના એક અને વિશ્વની મોટાભાગની ભાષાઓના પાયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રાચીનતમ સંસ્કૃત સાહિત્યની સૌથી નબળી કડી ઇતિહાસ છે. ભાગ્યે જ કોઈ સંસ્કૃત સાહિત્યકારના જીવન વિશે આધારભૂત માહિતી જડી આવે છે. રાજા અમરુ કે અમરુક વિશે પણ માત્ર કિંવદંતીઓ જ હાથ લાગે છે. એવી કથા છે કે આદિ શંકરાચાર્ય દિગ્વિજય માટે કાશ્મીર ગયા ત્યારે લોકોએ એમની પાસે શૃંગારરસવર્ણનની ઇચ્છા વ્યક્ત કરી. શંકરાચાર્ય પરવપુઃપ્રવેશવિદ્યા વડે અમરુ રાજાના મૃતદેહમાં પ્રવેશી રાજાની સો રાણીઓ સાથે કામકેલિ કરીને કામશાસ્ત્રનો પ્રત્યક્ષ અનુભવ મેળવે છે. બીજી એક કથા એવી છે કે મંડનમિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા બાદ એમના પત્ની શારદાદેવી શંકરાચાર્યને પડકાર ફેંકે છે અને કામવિષયક પ્રશ્નો પૂછે છે, જેનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માંગી આજીવન બ્રહ્મચારી શંકરાચાર્ય મૃગયા માટે નીકળેલા પણ સિંહનો શિકાર થઈ ગયેલા અમરુરાજાના શરીરમાં યોગવિદ્યાબળે પ્રવેશી કામશાસ્ત્રમાં પ્રવીણ થયા અને ‘અમરુશતક’ રચ્યું. શારદાદેવીએ હાર માનવી પડી. પણ આ વાત આજના સમયમાં પચાવવી અઘરી છે. એવું મનાય છે કે શંકરાચાર્યે નહીં, અમરુ કવિએ જાતે જ આ શતક લખ્યું હશે. અન્ય સંસ્કૃત સાહિત્યકારોના સમયકાળ, રચનારીતિ તથા અમરુના ઉલ્લેખોની હાજરી-ગેરહાજરી પરથી એમ ધારી શકાય કે આ રચનાનો સમયગાળો ઈ.સ. ૭૫૦ની આસપાસનો હશે. પ્રસિદ્ધ વિદ્વાન કે. હ. ધ્રુવ લખે છે: ‘ચાર જ પદમાં રસ જમાવનાર અમરુ કવિનો વૃત્તાંત પણ ચાર જ વાક્યમાં સમાય છે, જે ઈસવીસનના સાતમા સૈકાના છેવટમાં થયો હતો. એ દક્ષિણનો વતની હતો. એ જાતે સુવર્ણકાર હતો. એણે એકલું અમરુશતક રચ્યું છે.’

અમરુ રાજા હતા કે ફક્ત કવિ, ક્યારે થઈ ગયા અને એમણે બીજી કોઈ રચનાઓ કરી છે કે નહીં, એ બધા પ્રશ્નો રેતી પરથી સમયની આટલી લાંબી નદી ફરી વળ્યા બાદ હવે કંઈક અંશે અપ્રસ્તુત પણ છે. અમરુશતકની પણ એકાધિક પ્રત મળે છે, જેમાં શ્લોકોની સંખ્યા, ક્રમ અને ભાષામાં પણ તફાવત જોવા મળે છે. પણ આ તમામ વિપરિતતાને બાદ કર્યા બાદ આપણા હાથમાં જે સોએક શ્લોક હાથમાં રહે છે એ તમામ સો ટચનું સોનું છે અને એ જ આપણી સંસ્કૃતિની સાચી ઉપલબ્ધિ છે. જે લોકો આપણી સંસ્કૃતિના મૂળ સુધી ઊતર્યા જ નથી એ લોકો આજે જ્યારે ભારતદેશની સભ્યતા-સંસ્કૃતિ-સંસ્કારના નામે હુડદમ મચાવીને દેશ આખાને મૂઠ્ઠીમાં દબોચી બેઠા છે, ત્યારે લોકો, લોકશાહી, કાયદો અને સરકારની સહિયારી નિષ્ફળતા અને નિષ્ક્રિયતા આપણી ‘સાચી’ સભ્યતાના ઘોર પતન માટે જવાબદાર બને છે. જે લોકોને દેશનો ઇતિહાસ જ ખબર નથી, એ લોકો વર્તમાનને બાનમાં લઈ બેઠાં છે અને ભવિષ્યને દૂધ પીતું કરી રહ્યાં છે. અને છતી આંખે ભીષ્મ પિતામહની નપુંસકતાથી આપણે સૌ સંસ્કૃતિના નામે થતું આ સરાજાહેર વસ્ત્રાહરણ જોતાં બસ, બેસી જ રહીએ છીએ.. આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી. સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે..

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું સર્જન જ કેમ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? આદિકવિ વાલ્મિકીરચિત ભારતવર્ષના સૌપ્રથમ મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે ઉત્થાન પામેલા શિશ્ન અને યોનિની પૂજા કરે છે… ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દીવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો કહેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. આપણો દેશ આબાલવૃદ્ધ સહુને કામકળા શીખવનાર મહર્ષિ વાત્સ્યાયનના ‘કામસૂત્ર’નો દેશ છે. ભર્તૃહરિના શૃંગારશતક અને અમરુના અમરુશતકનો આ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના આ ઉદાત્ત ઉદાહરણો આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે….

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો અમરુશતક એટલે મુક્તક-સંગ્રહ. વિશ્વનાથે તો वाक्यं रसात्मकं काव्यम् કહી જેમાં રસ જન્મે એ તમામ વાક્યોને કાવ્યકરાર આપી દીધો પણ મુક્તક એ સંસ્કૃત કવિતાનો વિશિષ્ટ પ્રકાર છે. મુક્તક એટલે મોતી. ચાર પંક્તિની ગાગરમાં આખો સાગર સમાવે એ મુક્તક. કવિ અમરુ મુક્તક વિશેની આચાર્ય વિશ્વનાથની વ્યાખ્યા छन्दोबद्धपदं तेन मुक्तेन मुक्तम् (છંદોબદ્ધ હોય પણ અન્ય કશીય આકાંક્ષાથી મુક્ત હોય એ મુક્તક)નું યથાર્થ પાલન કરતાં જણાય છે. અહીં છંદ છે પણ પ્રાસ ભાગ્યે જ જોવા મળે છે. છંદવૈવિધ્ય તો છે પણ બહુધા શાર્દૂલવિક્રીડિત છંદ જ પ્રયોજાયો છે. ભાષાની દૃષ્ટિએ અમરુ કદાચ કાલિદાસની હરોળમાં બેસે છે એમ કહીએ તો અનુચિત નથી. બહુ ઓછા સંસ્કૃત કવિઓ પાસે અમરુની સમકક્ષ બેસી શકે એવું ભાષાપ્રભુત્વ છે. અમરુશતકમાં પ્રમુખતઃ વિપ્રલંભશૃંગાર અને સંભોગશૃંગાર જોવા મળે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધના લગભગ તમામ આયામોને અમરુ બખૂબી સ્પર્શે છે. વિરહ, મિલન, પ્રતીક્ષા, બેવફાઈ, બહુસ્ત્રીત્વ, કલહ, ઈર્ષ્યા, રીસામણાં-મનામણાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના સંવેદનોમાં જે કશાની કલ્પના કરી શકાય એ તમામ લાગણીઓ અને પ્રસંગો અહીં જોવા મળી શકે છે. કામ અને કામકેલિ આ સમસ્ત કાવ્યજગતનું કેન્દ્રબિંદુ છે. બધા જ મુક્તકો એની આસપાસ ફરતાં અનુભવાય છે પણ સુચારુતાનો ક્યાંય ભંગ થતો જણાતો નથી. આ મુક્તકો માણીએ તો સમજાય કે હકીકતમાં આર્યાવર્ત ભારત દેશ હકીકતમાં શું હતો અને આજે ક્યાં પહોંચી ગયો છે…

કેટલાક મુક્તક આસ્વાદીએ…

(૧)
આપણા પ્રાચીન કાવ્યોમાં કાવ્યારંભે દેવી-દેવતાઓનો મહિમા કરવાની પરંપરા રહી છે. અમરુશતક તો શૃંગારશતક છે. સંભોગશૃંગારનું કલૌચિત ગાન છે. એટલે અહીં કયા દેવ-દેવીનો મહિમા હોવો જોઈએ એમ જરા વિચારતાં જ ‘વિષય’ ખુલીને સામે આવે છે. અહીં વિષયને subject matter તરીકે પણ લઈ શકાય અને કામભોગના સાધન તરીકે પણ ગણી શકાય. પ્રથમ મુક્તકમાં અંબા અને બીજા મુક્તકમાં કામને બાળનાર શંકરના અગ્નિને સ્મરીને આ ત્રીજા મુક્તકમાં કવિ સહજ હેતુ પર આવે છે. તાજી જ સંભોગથી પરવારી હોય એવી કૃશાંગી કન્યાના રૂપનું વર્ણન અહીં છે. કામકેલિના ઉન્માદના પરિણામે વાળની લટો વીંખાયેલી છે, કાનમાં પહેરેલાં કુંડળો હજીય ધીમું ધીમું હલી રહ્યાં છે, મુખ ઉપર જે ચંદનનો લેપ ક્રીડા પહેલાં હાજર હતો એ ક્રીડાંતે કપાળ પર ઉદ્ભવેલા પસીનાની ઝીણી ચળકતી બુંદોના કારણે ભૂંસાઈ ગયો છે, આંખો હજીય સ્થિર થઈ શકી નથી. કવિ કહે છે કે આવી આ તન્વીનું મુખ જ લાંબા સમય સુધી તમારું રક્ષણ કરશે. વિષ્ણુ, શંકર, કાર્તિકેય કે અન્ય પ્રમુખ દેવતાઓની આરાધના કરવાથી કશું વળવાનું નથી.

(૨)
સંસ્કૃત મુક્તકોની એક વિશેષતા એ છે કે એ ભાવકના પક્ષે પૂરતી સજ્જતા માંગે છે. ઘણી વસ્તુઓ અધ્યાહાર રહેલી હોય છે, એટલે વાચકે બોલનાર કોણ છે, કોને કહે છે અને/અથવા વાતની પશ્ચાદ્ભૂ શું છે એ કવિતાના આધારે સમજવું ફરજિયાત બની રહે છે. અચાનક પ્રિયતમ નજીક આવી ચડ્યો છે. એનું મોઢું પોતાના મોઢાની નજીક આવી ગયેલું જોતાં નાયિકા પોતાનું મોઢું નમાવી દે છે અને દૃષ્ટિ પગ પર ખોડી દે છે. જે કાન પ્રિયતમનો અવાજ સાંભળવા જાણે જનમ-જનમથી તરસ્યા હતા એ કાનને બંધ કરી દે છે. પ્રાણપ્યારાને નિકટવર્તી નિહાળી અચાનક થયેલા રોમાંચના કારણે ગાલ પર જે પસીનો થયો છે એને હાથ વડે ઢાંકી દે છે… ટૂંકમાં પોતે પ્રેમમાં છે પણ પ્રેમ પ્રદર્શિત કરવા મંગતી નથી, રાહ જોઈને જ બેઠી છે પણ પ્રતીક્ષા જાહેર કરવી નથી, સહરાની પ્યાસ લઈને ઝૂરે છે પણ પ્રિયતમને એનો અહેસાસ થવા દેવો નથી. શું કારણ હોઈ શકે? વ્રીડા હોય કે વૃથાભિમાન, રીસ હોય કે અદા – પણ છૂપાવીને છતુ કરવું એ સ્ત્રીની ખાસ લાક્ષણિકતાઓમાંની એક છે. બધી રીતે પોતાની પ્રતીક્ષા, પોતાનો પ્રેમ, પોતાનો ઉલ્લાસ સંતાડવામાં સફળ સ્ત્રી હરખ ન માવાથી ફાટ-ફાટ થતી છાતીના કારણે એની કંચુકીની કસો સો તરફથી તૂટું-તૂટું થાય છે એ સંતાડી શકતી નથી… એટલે સખી આગળ મીઠો છણકો કરતાં પોતાનો બચાવ કરે છે કે મેં મૂઈએ તો ફૂલપ્રુફ તૈયારી કરી હતી પણ વાંક તો આ કાંચળીનો છે, જેણે મારી ચુગલી કરી… કેવો મીઠો બચાવ!

(૩)
ઘરમાં પઢાવેલો પોપટ હોય એની તો વાત જ ન્યારી. આપણે જે કંઈ બોલીએ એના ચાળા જ્યારે એ એના મધમીઠા અવાજમાં પાડે ત્યારે કેવી મજા પડે છે! પણ માની લો કે આ પોપટ તમારા શયનકક્ષમાં છે… હવે? રાત્રે કામકેલિમાં જોતરાતા દંપતિ વચ્ચે જે પ્રેમાલાપ થાય એ કેટલો અંગત હોય! જે ભાષા જાહેરમાં વાપરતાં સંકોચ થાય એ સંકોચના આવરણ શયનકક્ષના મીઠા એકાંતમાં વસ્ત્રોની સાથોસાથ જ ઊતરી જતાં હોય છે. પણ પોપટ આ વાત સાંભળી જાય અને બીજા દિવસે સવારે સાસુ-સસરા કે અન્ય વડીલો દીવાનખંડમાં બેઠા હોય એમની ઉપસ્થિતિમાં મોટા અવાજે બોલવા માંડે ત્યારે કેવી ક્ષોભજનક પરિસ્થિતિ સર્જાય! પણ વહુ હોંશિયાર છે. પોપટ પોતાની રતિક્રીડાના વટાણાં વેરી રહ્યો છે એ જોઈને શરમની મારી પણ અત્યંત ચપળ વહુ સમયસૂચકતા વાપરીને કાનમાં પહેરેલી બુટ્ટીમાંના માણેકનો નંગ કાઢીને તુર્ત જ એની ચાંચમાં મૂકી દે છે અને દાડમનો દાણો ચાંચમાં મૂકી રહી હોવાનો ભ્રમ ઊભો કરી પોપટને છેતરીને એની બોલતી બંધ કરી દે છે. ચાર પંક્તિના શ્લોકમાં સાવ સરળ લાગતી ક્રિયા રજૂ કરીને કવિ અમરુ એક ઉત્તમ ચિત્રકારની પેઠે અદભુત અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર ખડું કરે છે.

(૪)
પોલિગામી-બહુસ્ત્રીત્વ શબ્દ તો હવે ચલણમાં આવ્યો પણ ભારતીય સંસ્કૃતિમાં તો બહુપત્નીત્વની રસમ શરૂથી જ છે. દ્રૌપદીના કેસમાં બહુપતિત્વ પણ જોવા મળે છે. ચાલ ગમે તે હોય પણ એકાધિક પ્રિય પાત્રને અન્યોન્યની હાજરીમાં એકસાથે ખુશ કરવાની કળા તો કદાચ સાક્ષાત્ કૃષ્ણનેય હાંસિલ નહોતી. સત્યભામા અને રુક્મણીની વચ્ચેનો ખટરાગ એ કદી દૂર કરી શક્યા નહોતા. એમણે પારિજાતનું ઝાડ પણ એકના આંગણામાં વાવવું પડ્યું હતું અને ફૂલ બીજીના આંગણામાં પડે એવી વ્યવસ્થા કરવી પડી હતી. અમરુનો નાયક કૃષ્ણથીય અદકું ચાતુર્ય દાખવે છે. બે પ્રિયતમાઓને એક જ આસન પર બેઠેલી એ પાછળથી જોઈ જાય છે. નાયક પ્રેમનો માર્યો છે એટલે નજીક ગયા વિના રહી શકાય એમ નથી ને નજીક જાય તો બંનેને એકીસાથે ખુશ કરી શકાય એ શક્ય નથી. એટલે ચાલાકીથી પાછળથી નજીક જઈને પૂરા આદરભાવ સાથે એ એક પ્રેયસીની બંને આંખો રમત કરી રહ્યો હોવાના ઓઠાં હેઠળ બે હાથ વડે ઢાંકી દે છે અને ડોકી વાંકી વાળીને બાજુમાં જ બેઠેલી બીજી પ્રેયસીને ચૂમી લે છે. ચુંબન મેળવનાર પ્રેયસી એમ સમજે છે કે આ તો ખાલી મને જ પ્રેમ કરે છે ને એટલે પ્રેમોલ્લાસ અને રોમાંચથી છલકાવાના કારણે એના ચહેરા પર હાસ્ય ફરી વળે છે જેના કારણે એના ગાલ ફૂલી જાય છે, અર્થાત્ એના ચહેરા પર એક નવી જ રંગત આવી જાય છે. પહેલી એમ સમજે છે કે આ મને જ ચાહે છે કેમકે બે જણ સાથે હતાં તોય એણે મારી જ આંખ મસ્તીથી દબાવી, ને બીજી એમ સમજે છે કે મને ચૂમવા આણે પેલીને મૂર્ખ બનાવી. હકીકતમાં નાયકથી વધીને કોઈ ધૂતારો નથી જે એક કાંકરે બે પક્ષી મારવામાં સફળ થાય છે.

(૫)
હૈયે પ્યાર પણ હોઠે ઇન્કારનું મધૂરું ચિત્ર. પતિ-પત્ની બંને વચ્ચે કોઈક ઝઘડો થયો છે. પરસ્પરની માનહાનિ થઈ છે. પરિણામે બંને જણ સૂતાં તો છે એક જ પથારીમાં પણ મોઢું એકબીજાથી ઊલટી દિશામાં કરીને. જે તકલીફ ઊભી થઈ છે એ માટેના કોઈ જવાબ પાસે ન હોવાથી બંને મૂંઝાઈ રહ્યાં છે. દિલમાં તો એકબીજાને મનાવી લેવાની ને માની જવાની અસીમ ઉત્કંઠા છે પણ પહેલ કરીને નીચું કોણ નમે વિચારી બંને પોતપોતાના કહેવાતા ગૌરવની ખોખલી રક્ષા કરી રહ્યાં છે. પણ જીવ તો બેચેન છે. પોતે શું નથી કરતું એ કરતાં સામું પાત્ર શું કરે છે એ જાણવા-જોવાની ઉત્કંઠા બંને છેડે સમાન છે. પોતે તો મોઢું ફેરવી લીધું છે પણ સામું પાત્ર પલટીને પોતાના તરફ જુએ છે કે નહીં એ જાણવાનો લોભ બેમાંથી એકે ખાળી શકતાં નથી. પરિણામે બંને જણ આંખના ખૂણા પલટાવે છે અને અનાયાસ બંનેની નજર એકમેક સાથે ટકરાય છે. ઝઘડો તો થયો જ છે, નારાજગી પણ છે જ પણ પ્રેમની લાગણી આ તમામની ઉપર સર્વોપરિ સિદ્ધ થાય છે. બંને વચ્ચે તારામૈત્રક રચાતાં જ ન જડતાં જવાબોની કે મનામણાંની કશી જરૂર જ ન રહી. વૃથા અભિમાનનો આડંબર તત્ક્ષણ નાશ પામે છે અને બંને જણ પોતાની મૂર્ખતા પર આવેગપૂર્ણ હસીને એકમેકને ગળે લાગે છે. શબ્દોની સરહદ વટી જાય છે ત્યાંથી પ્રેમનો પ્રદેશ શરૂ થાય છે…

(૬)
અહીં પણ પૉલિગામીનો જ કિસ્સો છે. બે પત્નીઓ છે, કે બે પ્રેયસી કે એક પત્ની અને એક પ્રેયસી એ હકીકત છતી થતી નથી ને એની જરૂર પણ નથી, પણ એટલું જરૂર સમજાય છે કે જે સ્ત્રી પાસે પુરુષ આવ્યો છે એ સ્ત્રી પુરુષના અપરા સાથેના સંબંધથી અનભિજ્ઞ નથી. પુરુષ એક સ્ત્રી સાથે સંભોગ કરીને પરત આવ્યો છે. પેલીના સ્તનમંડળ પર ચંદનનો ગાઢો લેપ હશે તે ક્રીડા દરમિયાન પુરુષની છાતી પર લાગી ગયો છે. કામના નશામાં ચકચૂર પુરુષના મનોમસ્તિષ્ક પર આ વાત આવી નથી અને અનંગવેગ હજી ટાઢો પડ્યો નથી એટલે એ જ હાલતમાં એ બીજી સ્ત્રી પાસે આવી ચડે છે અને એની રૂબરૂ થતાં જ એને સહસા પેલો ચંદનલેપ યાદ આવે છે એટલે પગે પડવાને બહાને એ છાતી અને આબરૂ –બંને છૂપાવવા મથે છે. પણ સ્ત્રીની આંખોમાં કુદરતે રડારયંત્ર મૂક્યું છે એની એને જાણ નથી. પેલી તરત જ ઉધડો લેતાં પૂછે છે કે પેલીને આલિંગતાં એના સ્તનપુટ પર જે લેપ હતો એ તારી છાતી પર લાગ્યો છે એ શા માટે મારા ચરણે પડવાના ઓથા હેઠળ છૂપાવે છે? પણ જો સ્ત્રીની આંખોમાં રડાર છે તો બેવફા પુરુષને કુદરત પડતો ચતુર પણ બનાવે છે. જેવો આવો પ્રશ્ન સામે થી આવ્યો કે તરત જ ક્યાં છે, ક્યાં છે કરતોક પુરુષ સ્ત્રીને એ લેપ ભૂંસી નાંખવા જોરથી સાહસ કરીને આલિંગે છે. અને જુઓ પ્રેમની રીત! હજી ક્ષણભર માટે પુરુષમાં બેવફાઈના પ્રમાણ શોધી ટોણો મારતી સ્ત્રી આલિંગનના સુખમાં એવી ખોવાઈ જાય છે કે એ પેલી લેપવાળી આખી વાત જ ભૂલી જાય છે… ખેર, પરસ્પરના સુખમાં મગન થઈ જઈને અરસપરસનાને ભૂલી જવું એ જ તો છે જિંદગી.

(૭)
પ્રિયતમે જવાનું નક્કી કરી લીધું છે. પણ અહીં વિરહ છે, વિસંવાદ નથી, જુદાઈ છે, પ્રેમવિચ્છેદ નથી એ મુક્તકમાંથી પસાર થતાં સમજાઈ જાય છે. પ્રિયતમના જવાની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલતી હોવી જોઈએ કેમકે છૂટા પડવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે, સ્ત્રી દૂબળી પડતી જાય છે. અંતે જ્યારે છૂટા થવાનો સમય આવી ચડે છે ત્યારે શરીર સૂકાઈને કાંટો થઈ ગયું હોવાથી પહેલાં જે કંગન હાથમાં રોફભેર ખણકતાં હતાં એ હાથ પાતળો થઈ ગયો હોવાથી હાથથી નીકળીને પડી જાય છે. હેમચંદ્રાચાર્યનો દૂહો યાદ આવે:

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !
(વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !)

સ્ત્રીના દરેક સંકટ સમયના સાથી ગણાતા પ્રિય સખા જેવા આંસુઓ પણ પ્રિયતમની પાછળ એકધારાં વહી રહ્યાં છે. ધીરજ તો ક્ષણભર પણ ટકતી નથી. મન તો આ બધાથી પહેલાં જ સાથ છોડી પ્રિયતમ સાથે ચાલ્યું ગયું હતું. આમ, પ્રિયતમે જવાનું નક્કી કર્યું ત્યારે એક પછી એક બધાએ એની સાથે જવા માંડ્યું. સ્ત્રી પોતાના હૃદયને પ્રશ્ન કરે છે: જો બધાનું જવાનું નક્કી જ છે તો તું શા માટે આ કાફલાનો સાથ છોડે છે? તું પણ કેમ સાથે ચાલ્યું નથી જતું? પ્રિયના વિરહમાં પોતે મરી કેમ નથી જતી એ વિડંબના નાયિકાને અકળાવે છે. પ્રિય પાત્ર વિનાની જિંદગી એ જિંદગી કે સાક્ષાત્ મોત જ? પ્રોષિતભર્તૃકા માટે પિયુવિરહમાં જીવવું અશક્ય થઈ પડનાર છે એ વાત સમજાતાં જ અમરુના કવિત્વની શ્રેષ્ઠતા માટે માન થઈ આવે છે.

(૮)
પ્રેમ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, સમયના હાથે ટોચાઈ-ટોચાઈને એ હતો-ન હતો જરૂર થઈ જાય છે. સમયના છીણી-હથોડા સમય જતાં પ્રેમના શિલ્પને કોરી-કોરીને નવો જ આકાર આપી દે છે એ વાત અમરુ બહુ અદભૂત રીતે સમજાવે છે. નાયિકા કહે છે કે પહેલાં આપણાં બેઉ વચ્ચેનો પ્રેમ એટલો બધો ગાઢ હતો કે આપણે બે અવિભક્ત હતાં, અદ્વૈતાવસ્થાએ હતાં. પણ પછી સમય વીતતાં તમે પ્રેમી બની ગયા અને હું હતાશ પ્રિય બનીને રહી ગઈ. અદ્વૈતમાંથી આ દ્વૈતગતિ નાયિકાને કષ્ટ આપે છે. પણ આ કષ્ટ પણ કંઈક અંશે સહ્ય હતું. સમસ્યા તો ત્યારે સર્જાઈ જ્યારે પુરુષ પ્રેમીમાંથી કાળક્રમે નાથ-સ્વામી-ધણી બની ગયો અને સ્ત્રીના ભાગ્યે આશાહીન પ્રિયામાંથી પત્ની-ક્લત્ર બનવાનું આવ્યું. સ્ત્રીને તકલીફ એ છે કે આવો સમય, આવું પરિવર્તન આવ્યાં છતાં એ હજી જીવી રહી છે, એનું હૃદય બંધ નથી પડી ગયું. નક્કી એનું પ્યારું હૃદય વજ્ર સમાન કઠિન હોવું જોઈએ અને આવા કઠોર હૃદયનું જ આ ફળ છે કે જીવનમાં આવો અસહ્ય બદલાવ-અલગાવ આવી ગયો હોવા છતાં એના પ્રાણ છૂટતાં નથી…

દીપોત્સવીના દીવે દીવે – ચંદ્રકાન્ત શેઠ


દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

ગ્લૉબલ કવિતા : ૯૯ : લાલચ – નીના કેસિઅન

Temptation

Call yourself alive? Look, I promise you
that for the first time you’ll feel your pores opening
like fish mouths, and you’ll actually be able to hear
your blood surging through all those lanes,
and you’ll feel light gliding across the cornea
like the train of a dress. For the first time
you’ll be aware of gravity
like a thorn in your heel,
and your shoulder blades will ache for want of wings.
Call yourself alive? I promise you
you’ll be deafened by dust falling on the furniture,
you’ll feel your eyebrows turning to two gashes,
and every memory you have – will begin
at Genesis.

– Nina Cassian
(Translated from the Romanian by Brenda Walker and Andrea Deletant)
from: “Staying Alive: Real Poems for Unreal Times”

લાલચ

તમારી જાતને જીવંત કહો છો? જુઓ, હું વચન આપું છું
કે પહેલવહેલીવાર તમે તમારા છિદ્રો ઊઘડતાં અનુભવશો
માછલીઓના મોંની જેમ, અને તમે હકીકતમાં સક્ષમ થશો
તમારા લોહીને એ તમામ ગલીઓમાં થઈ ધસમસતું સાંભળવા માટે,
અને તમે પ્રકાશને નેત્રપટલને અડીને પસાર થતો અનુભવશો
પોશાકની ઘસડાતી ચાળની જેમ. પહેલવહેલીવાર
તમે ગુરુત્વાકર્ષણથી અવગત થશો
એડીમાંના કાંટાની જેમ,
અને તમારા ખભાના હાડકાં પાંખો પામવાને પીડાશે.
તમારી જાતને જીવંત કહો છો? હું વચન આપું છું
તમે ફર્નિચર પર પડતી ધૂળથી બહેરાં થઈ જશો,
તમે તમારા ભ્રૂકુટીઓને બે ઊંડી ફાડમાં પરિણમતી અનુભવશો,
અને દરેક સ્મૃતિ જે તમારી કને હશે – આરંભાશે
ઠેઠ ઉદ્ભવથી.

– નીના કેસિઅન
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા એ યાદ છે? શું તમે તમને ખુદને જોયા છે? શું તમે સ્વયંને ઓળખી શક્યા છો? પામી શક્યા છો? વાંચી શકો છો? – ક્ષણાર્ધ માટે તો આ બધા જ સવાલોના જવાબ હકારાત્મક આપી દેવા માટે તમે લલચાઈ જવાના. પણ થોડી વાર ખમી જાવ. આવા વિચિત્ર સવાલ કોઈએ તમને કેમ કર્યા હશે એ વિશે વિચારશો તો મગજ ચકરાવે ચડતું અનુભવાશે. જે શરીર લઈને આપણે સહુ જન્મ્યાં છીએ, જે શરીરમાં આપણે સૌ જીવી રહ્યાં છીએ એ શરીરને ખરેખર આપણે સહુ ઓળખી શક્યાં છીએ ખરાં? એ શરીરની અંદર જે વ્યક્તિ રહે છે એને આપણે ખરા અર્થમાં મળ્યાં છીએ ખરાં? આપણી ચોવીસ કલાકની વ્યસ્ત રોજનીશીમાં આપણે એને કોઈ એપૉઇન્ટમેન્ટ ફાળવીએ છીએ ખરાં? હવે આ સવાલોના જવાબ આપવા જરા અઘરા થઈ પડશે, ખરું ને? હકીકત એ છે કે આપણે આપણી જાત માટે નથી કોઈ સમય ફાળવતા, નથી એને ઓળખવાની-મળવાની કોઈ કોશિશ કરતાં. દુનિયામાં કોઈ વસ્તુને આપણે સહુથી વધારે ટેકન-ફૉર-ગ્રાન્ટેડ ગણી હોય તો એ પોતાની જાત જ છે. અને જો કોઈ માણસ પોતાની જાતને ઓળખવાની-મળવાની કોશિશ કરે તો કેવા કેવા ચમત્કાર સંભવી શકે એની વાત લઈને રોમાનિઅન કવયિત્રી નીના અહીં પ્રસ્તુત છે.

નીના કેસિઅન. કવિ. સંગીતકાર. પત્રકાર. ફિલ્મ વિવેચક. અનુવાદક. ૨૭-૧૧-૧૯૨૪ના રોજ રોમાનિયા ખાતે સંસ્કારી પણ કંગાળ યહૂદી મા-બાપને ત્યાં જન્મ. એમનું જન્મનું નામ રેની એની કેટ્ઝ હતું. નીના કેસિઅન એમનું ઉપનામ હતું. એમનો ચહેરો એમના કહેવા મુજબ નાનાં હતાં ત્યારે નાની હડપચી અને ગોળ નાક સાથે સુંદર દેખાતો હતો પણ ૧૧ના થયાં ત્યારે ધરતીકંપ થયો હોય એમ એમના ચહેરાની ભૂગોળ બદલાઈ ગઈ. નાક અને દાઢી ખીણો અને પર્વતોની જેમ વધ્યાં અને એમના કહેવા મુજબ જમીન પર પડતો એમનો પડછાયો જોનારના નેત્રપટલને ઈજા પહોંચાડતો. હકીકતમાં જેને એ કદરૂપો ચહેરો કે વિચિત્ર ત્રિકોણાકાર ચહેરો કહેતાં, એ એમના આવેશ અને ઉત્સાહ સાથે હાથમાં હાથ મિલાવી એમને નોંધપાત્ર કરિશ્માઈ ગુણવત્તા બક્ષતો હતો. એક કવિતામાં એ બહુ સરસ વાત કરે છે :

એક કરમાયેલું ગુલાબ એક કરમાયેલું ગુલાબ છે
એક કરમાયેલું ગુલાબ છે.
એનું માથું નમે છે શોકમાં,
એ ખેરવે છે ગુલાબી પાંદડીઓ
વિશાળ આંસુઓની જેમ.
મારું માથું પણ ફર્શનું ધ્યાન ધરે છે
જ્યાં કશું ઊગતું નથી.

એમને કુંવારા રહી જવાનો અને ગમે ત્યારે મરી જવાનો ડર હતો. ૧૯૪૩માં વ્લાડિમિર કૉલિન નામના લેખક સાથે લગ્ન અને ૧૯૪૮માં છૂટાછેડા. એ પછી પણ બેએક જણ સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહ્યાં. જો કે એલેક્ઝાન્ડ્રુ સાથેના લગ્ન એલેક્ઝાન્ડ્રુના મૃત્યુપર્યંત (૧૯૮૪) સુધી ટક્યા. ૧૯૯૮માં ત્રીજા લગ્ન, મૌરિસ એડવર્ડ્સ સાથે, જે ખુશનુમા રહ્યા. ૧૯૪૭માં ૨૩ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું. કુલ સાંઠ જેટલાં પુસ્તકો લખ્યાં. કવિતા ઉપરાંત વાર્તા, બાળસાહિત્ય અને અનુવાદો પણ આપ્યાં. પ્રથમ પુસ્તકની જ કમ્યૂનિસ્ટ રોમાનિયા તરફથી સાંપડેલ પ્રતિકૂળ વિવેચનાએ એમને સાવધાન કર્યાં પણ રોમાનિયાના આખરી કમ્યૂનિસ્ટ નેતા નિકોલાઈ ચાઉશેસ્કુ (Nicolae Ceausescu)એ આપેલ નૂતન પ્રભાતની જૂઠી આશાથી છેતરાઈને એમણે સ્વભાવગત લખવું ફરી શરૂ કર્યું, જે સત્તાધીશોને મંજૂર નહોતું. સદનસીબે ૧૯૮૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં તેઓ શિક્ષક તરીકે ગયાં એ ગાળામાં જ એમના એક મિત્ર ઘીઓર્ઘે ઉસરુને પોલીસે પકડી લીધો જેની ડાયરીમાંથી નીનાએ લખેલી કવિતાઓ -સત્તાધીશોની નજરે અત્યંત આપત્તિજનક- મળી આવી. મિત્રને તો કારાવાસ થયો જ્યાં પોલીસ કે સાથી કેદીઓના મારથી એમનું મૃત્યુ થયું પણ ન્યૂયૉર્કમાં હોવાના કારણે નીનાની જાન બચી ગઈ. એમણે અમેરિકા પાસે રાજકીય આશરો માંગ્યો, જે મળ્યો અને બાકી જિંદગી અમેરિકામાં જ વિતાવી. દેશ અને ભાષા બદલાયાં એટલે રોમાનિયનના બદલે અંગ્રેજીમાં કવિતા કરવી શરૂ કરી. સિગારેટ અને વ્હીસ્કીના કાયમી શોખીન રહ્યાં. ખાસ્સું ૮૯ વર્ષ લાંબું જીવન જીવ્યાં અને ૧૪-૦૪-૨૦૧૪ના રોજ ઘરે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યાં.
નીનાની કવિતાઓ એક અલગ જ ભાત રચે છે. એડવર્ડ હર્શ્ચ લખે છે: ‘નીના કેસિઅન એક ઉગ્ર અને અત્યધિક કૃતનિશ્ચયી કવિ હતાં.તેઓ એક ઉત્કૃષ્ટ કળાકાર હતા, સેફોની જેમ, ભાવુક ઊંડાણો અને મહાન ઊંચાઈઓના કવિ.’ તેઓ બેલાશક રોમાનિયાના અગ્રણી અવાજોમાંના એક છે. દેશવટા પૂર્વે અને પશ્ચાત્ પણ એમની કવિતાઓ લાગણીઓની તીવ્રતા, ભાવાવેશ અને સ્પષ્ટ બયાનીના કારણે અલગ તરી આવે છે, જેમાં મુખ્યત્વે કામુક ઉત્તેજના, પ્રેમ, મૃત્યુ, જરાવસ્થા અને દેશવટાની વાતો ઉપસતી દેખાય છે. એમની રચનાઓમાં નજરે ચડતી અંગતતા ભયજનક છે. એ આંત્યંતિક નિજતા વાચકને પરેશાન કરી દે એટલી ઉગ્ર છે. કેસિઅન પોતે કહે છે એમ, ‘કવિતા જિંદગીનું અતિક્રમણ કરવા કે પરિવર્તન કરવા માટે નથી, એ સ્વયં કવિતા જ છે… કળા એક પ્રાણી જેટલી જ જીવંત છે.’ એક કવિતામાં એ લખે છે: ‘હું એક અનંત ધૂન છું/વરસાદની છમછમની જેમ./અને હું સાફ છું/હું લખી રહી છું એ કવિતાની જેમ.’

પ્રસ્તુત રચના ‘ટેમ્પ્ટેશન’ એ રોમાનિઅન ભાષામાં લખાયેલ ‘ઇસ્પિતા’ કવિતાનો એન્ડ્રિયા ડેલિટન્ટ તથા બ્રેન્ડા વૉકરે કરેલ અંગ્રેજી અનુવાદ છે. મૂળ કવિતામાં છંદ અને પ્રાસ છે કે નહીં એ સમજવું કઠિન છે પણ નીના પોતે એક ઇન્ટર્વ્યૂમાં ‘તમે હંમેશા પદ્યમાં જ લખો છો?’નો જવાબ આપતાં કહે છે: જો હું ખૂબ અભિમાની હોત- અને હું નથી- તો હું ઓવિડને ટાંકતે જેણે કહ્યું હતું: ‘‘Quidquid tentabam dicere versus erat,’’ અર્થાત્, ‘‘હું જે કંઈ પણ કહેવાની કોશિશ કરું છું એ પદ્ય બની જાય છે.’’ જો કે આ રચનાને ગૂગલદેવતાની મદદથી મૂળ ભાષામાં વાંચતા કે સાંભળતી વખતે એમાં પ્રાસ અને છંદ ગેરહાજર હશે એમ અનુભવાય છે. અંગ્રેજી અનુવાદમાં પણ છંદ-પ્રાસ ગેરહાજર છે. ચૌદ પંક્તિઓનું આ મુક્તકાવ્ય ગદ્ય સૉનેટનો પણ ભાસ ઊભો કરે છે. રચનાનું શીર્ષક ‘લાલચ’ વાંચતા જ બાઇબલના પ્રારંભે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાવા માટે ઈવને લલચાવતા સાપની સુપ્રસિદ્ધ વાર્તા યાદ આવ્યા વિના રહેતી નથી. કવિતાની આખરી પંક્તિમાં ઉદ્ભવ-જેનેસિસનો ઉલ્લેખ પ્રસ્તુત કવિતા અને બાઇબલ વચ્ચેના અવિનાભાવી જોડાણ પર આખરી મહોર મારે છે. શીર્ષક પોતે એક કસોટી છે. એ લાલચ કેવી પ્રબળતમ હશે, જેના પરિણામે સ્વર્ગવટો વેઠવા પણ આદમ અને ઈવ તૈયાર થઈ ગયા હતા?! સ્વર્ગની એકવિધ જિંદગી પડતી મૂકીને પૃથ્વી પર માનવજીવનની અનિશ્ચિતતતાઓને ગળે લગાડવા માટેની દુનિયાના સર્વપ્રથમ દંપતીની હિંમત કોને સલામ ભરવા જેવી ન લાગે? કેમકે બધાએ જોયેલી અને જાણેલી કઠિન વસ્તુ કરવી અને બિલકુલ વણદીઠી-વણજાણી-વણઅનુભવેલ વસ્તુ સર્વપ્રથમવાર કરવાનું બીડું ઝડપવું એ બેમાં જમીન-આસમાનનો તફાવત છે. માટે જ રચનાનું શીર્ષક ‘ડેર-ટુ-લીવ’ જેવું હૃદયસ્પર્શી અને સન્માનનીય લાગે છે.

કવિતાની શરૂઆત પણ આવા ડેર-ટુ-લીવ પ્રશ્નથી જ થાય છે. નીના સટિક સવાલ કરે છે – તમારી જાતને જીવંત કહો છો? એક ક્ષણ માટે પૃથ્વી એની ધરી પર ફરતી અટકી જાય છે. એક ક્ષણ માટે આપણો અંદર ઊતરેલો શ્વાસ બહાર નીકળવાનું ભૂલી જાય છે. એક ક્ષણ માટે હૃદય ધબકવાનું વિસરીને વિમાસણે ચડે છે. શું આપણે ખરેખર જીવંત છીએ? આપણી આ જિંદગી શું સાચા અર્થમાં જિંદગી ગણી શકાય? કે પછી આપણે ઘાણીના બળદની જેમ ‘सुब्ह होती है शाम होती है, उम्र यूँ ही तमाम होती है’ (અમીરુલ્લાહ તસ્લીમ)ના સિદ્ધાંત પર માત્ર શ્વાસો લેવા-મૂકવાની અનવરત કસરત જ કર્યે રાખીએ છીએ? બહુ પાયાનો પ્રશ્ન છે અને એનો પ્રામાણિક જવાબ મોટાભાગના લોકો માટે ત્સુનામી સાબિત થઈ શકે એવો જ હોવાનો. હકીકતમાં આ સવાલ સવાલ નથી, લાલચ છે. આ સવાલ ઇડનના બગીચામાં ઊગેલું સફરજન છે. આ સવાલનો જવાબ સ્વર્ગનિકાલ અને પૃથ્વીવાસ જેવા પરિવર્તનનો દ્યોતક છે. આ સવાલ આપણને લલચાવે છે.. પણ આપણે કવિતા તરફ આગળ વધીએ…

નાયિકા આહ્વાન આપવાની સાથોસાથ અદભુત આશ્વાસન પણ લઈને આવે છે. એ જાણે છે કે જે કોઈ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક સાંભળશે અને જવાબ અપવાની પ્રામાણિક કોશિશ કરશે એની જિંદગીમાં અભૂતપૂર્વ પરિણામ આવ્યા વિના નહીં જ રહે. એ કહે છે, આપણી ત્વચા પર જે લાખો-કરોડો છિદ્રો રહેલાં છે, જે પરસેવો બહાર કાઢવા સિવાય ક્યારેય પોતાનું મોઢું ખોલતાં જ નથી, એ તમામ છિદ્રો આ સવાલ પર માછલીઓ જેમ પોતાનાં મોં ઊઘાડે એમ ઊઘડી જતાં અનુભવાશે. કેવી અદભુત વાત! પણ વધારે અદભુત વાત તો એ છે કે નાયિકા એ વાતથી સુપેરે જાણતલ છે કે આ છિદ્રોના ખૂલવાની આ અનુભૂતિ આપણાં જીવનમાં પહેલવહેલીવાર જ આવનાર છે. એને ખાતરી છે કે આપણે આ સવાલ જાતને અગાઉ કદી નહીં જ કર્યો હોય ને એટલે આવી અનુભૂતિ પણ આ પહેલાં નહીં જ થઈ હોઈ. આ ખાતરી એક કવિની ખાતરી છે. આ ખાતરી સીધાસાદા લાગતા શબ્દોને કવિતાના ઉચ્ચાસને બિરાજમાન કરે છે. એક સામાન્ય માણસના તથા એક કવિના આહ્વાન અને આશ્વાસન વચ્ચે શો ફરક હોવાનો એ વાત આ એક શબ્દ-એક ખાતરી જ સિદ્ધ કરી બતાવે છે.

માછલીઓના મોઢાં ખૂલવાના કલ્પનનો એક બીજો અર્થ પણ છે. બીજું કંઈ નહીં ને કવિએ આ જ કલ્પન કેમ પ્રયોજ્યું હશે એ વાત પણ વિચારવા જેવી. માછલીને સતત મોઢું ખોલ-બંધ કરતી આપણે જોઈએ છીએ. માછલી એનું મોઢું થોડી ક્ષણો માટે પણ એકધારું બંધ રાખી શકતી નથી કેમકે મોઢું ખોલીને એ સતત પાણીનો ઘૂંટડો ભરતી રહે છે. આ પાણીને એ ચૂઈમાંથી પસાર કરીને ફરી બહાર કાઢે છે અને આ પ્રક્રિયા દરમિયાન એની ચૂઈ પાણીમાંના પ્રાણવાયુને એની રક્તવાહિનીઓમાં મોકલે છે. મતલબ, મોઢું ખોલ-બંધ કરવું એ માછલીની શ્વસનપ્રક્રિયા છે. શ્વસનપ્રક્રિયાની કોઈપણ સજીવ માટેની અનિવાર્યતાને મનમાં રાખીને માછલીના મોઢાંની જેમ ખુલી જતાં આપણાં છિદ્રો વિશે વિચારીએ… નીનાનો સવાલ કેટલો અહમ છે અને એના જવાબની પરિણતી કેવી અદભુત અને breathe-essential છે એ તરત સમજાશે.

વાત અહીં અટકતી નથી, શરૂ થાય છે. કોઈ અકલ્પનીય જાળતંત્રની જેમ આપણા સમગ્ર શરીરમાં ફેલાયેલ રુધિરાભિસરણતંત્રની સેંકડો નાની-મોટી ધમનીઓ-શિરાઓ-કેશવાહિનીઓ આપણી જાણ બહાર સાડા પાંચ લિટર લોહીને મુઠ્ઠી જેવડા હૃદયના સંકોચન-વિસ્તરણના ધક્કા વડે એકધારું ફરતું રાખે છે. ઘા થાય, અને ચામડી ચીરાય એ ઘડીએ જ લોહી આપણા જીવનના મસ્ટર રૉલમાં એની હાજરી પૂરાવે છે. અન્યથા પૃથ્વીની ફરતે અઢીવાર વીંટાળી શકાય એટલી યાને કે લગભગ એક લાખ કિલોમીટર લાંબી આ રક્તવાહિનીઓમાં ચુપચાપ વહ્યા કરતાં રુધિરની ગતિવિધિથી આપણે ક્યારેય અવગત થતાં જ નથી. પણ જો આ સવાલનો જવાબ આપી શકશો તો લોહીને એ તમામ ગલીઓમાં થઈને ધસમતું સાંભળી શકવા આપણે હકીકતમાં સક્ષમ થઈશું. અહીં પણ કવિ જે ‘હકીકતમાં સક્ષમ’ થવાની ખાતરી આપે છે એ અભૂતપૂર્વ છે, લાજવાબ છે.

હવે પછીના કલ્પન માટે નીના ‘ટ્રેઇન ઑફ અ ડ્રેસ’નું રૂપક પ્રયોજે છે. સન્માનનીય સ્ત્રી કે પુરુષના પોશાકની પાછળ જમીન પર દૂર સુધી ઘસડાતી ચાળ, જેને ઉપાડીને પાછળ-પાછળ ચાલવામાં સેવકો અથવા ભક્તો પોતાની જાતને ધન્ય સમજે એ પ્રકારના કપડાંનુ કે રિવાજનું આપણે ત્યાં ચલણ નથી. પણ વિદેશોમાં ખાસ કરીને ચર્ચમાં, રાજદરબારોમાં અને લગ્નમાં નવવધૂઓમાં આ પ્રકારના વસ્ત્રોનું ચલણ હજીય યથાવત્ છે. ગુજરાતીમાં પાછળ ઘસડાતા પોશાકના આ ભાગ માટે નજીકમાં નજીકનો શબ્દ ‘ચાળ’ છે, જો કે એય અપર્યાપ્ત છે કેમ કે ‘ઝભ્ભાની ચાળ’ પ્રયોગ આપણે ત્યાં સામાન્ય છે પણ એનો અર્થ ‘ટ્રેઇન ઑફ અ ડ્રેસ’ની નિકટનો ખરો પણ એ જ થતો નથી. ‘ઘેર’ શબ્દ પણ યથાર્થ સિદ્ધ થતો નથી. અલગ સંસ્કૃતિઓના અલગ પરિવેશ અને અનુવાદની મર્યાદા સ્વીકારીને આગળ વધીએ.

નાયિકા કહે છે કે જે ઘડીએ તમે તમારી જાતના જીવંત હોવા અંગે સાચા અર્થમાં સાશંક થશો એ ઘડીએ પ્રકાશ તમારા નેત્રપટલ સાથે એ રીતે ઘસડાતો પસાર થશે જે રીતે ચાલતી વખતે પોશાક પાછળ જમીન સાથે ઘસડાતી લાંબી ચાળ કે ઘેર. જીવનમાં આ પૂર્વે કદી પણ રોશનીનો આટલો નજદીકી અનુભવ નહીં જ થયો હોય એ વિશે નાયિકાના મનમાં લગરીકે શંકા નથી. જે દિવસે આપણે રોજિંદી ઘરેડ તોડીને આપણી જાત સાથે મુખામુખ થવા તૈયાર થઈશું, આપણી પોતાની શરતે જીવન જીવવા તૈયાર થઈશું એ દિવસે આપણે આપણા દરેકેદરેક શ્વાસ, દરેકેદરેક રક્તકણના રજેરજના પ્રવાસને પહેલવહેલીવાર અનુભવી શકીશું, દિવ્ય રોશનીનો આપણને નિકટતમ સાક્ષાત્કાર થશે. પ્રકાશનો આ ઘસરકો નીનાની એક બીજી કવિતાની યાદ અપાવે છે: ‘સૂર્ય અને મારી વચ્ચે/એક બુરખો છે ચુપકીદીનો/જે મારી આંખોને સંરક્ષે છે/પ્રકાશના ઘસરકાથી/જે મારા હોવાને સંરક્ષે છે/જ્ઞાનના ગુમડાથી/જે મારી જાતને અનુમતિ આપે છે/ખલેલરહિત શ્વાસ લેવા માટે.’

ન્યૂટને કહ્યું નહોતું એ પહેલાં પણ જેનું અસ્તિત્વ હતું પણ અહેસાસ નહોતો એ ગુરુત્વાકર્ષણનો ભાર આપણે ન્યૂટને એનો નિયમ શોધી કાઢ્યા પછી પણ અનુભવી શકતા નથી પણ જીવતા હોવાનો અહેસાસ કાંટો જે રીતે એડીમાં ઘૂસી જાય અને ચાલવું દુભર બની જાય, એ પીડાની તીવ્રતાથી ગુરુત્વાકર્ષણનો, જીવતરના બોજનો આપણને અહેસાસ કરાવે છે. જે રીતે એડીને કાંટાનો અનુભવ થાય છે એ રીતે આપણને જીવનના ભારનો, ગુરુત્વાકર્ષણનો અનુભવ થશે અને આ પણ જીવનમાં આપણે ‘પહેલવહેલીવાર’ જ અનુભવીશું એની નાયિકાને પુનઃપુનઃ ખાતરી છે.

ખભાના પાછળના ભાગમાં કરોડરજ્જુની આજુબાજુ બંને તરફ નાની પાંખ જેવું ત્રિકોણાકાર હાડકું હોય છે જે અંગ્રેજીમાં સ્કેપ્યુલા તરીકે ઓળખાય છે. આ હાડકાં માટે આપણા શબ્દકોશમાં તો સ્કંધાસ્થિ, અંસફલક, હંસુળી, સ્કંધફલક જેવા શબ્દો જડી આવે છે પણ લોકકોશમાં એકેય માન્ય શબ્દ જડતો નથી. નાયિકા કહે છે કે જાત સાથે રૂબરૂ થવાની ઘડી એ આ પાંખાકાર હાડકાં પાંખમાં પરિણમે એ માટેની ઝંખના ઊગવાની ઘડી છે. મુક્તાકાશમાં ઉડ્ડયનની ઇચ્છા જાગવાની આ પળ છે. વાસ્તવમાં આ પંખાકાર હાડકાં પાંખ બનવાના નથી એટલે આ ઘડી જો કે પીડાદાયક પણ રહેવાની જ. આમેય જીવનની વાસ્તવિક્તા તો આ જ છે – no pain, no gain!

કવિતા અહીં એક ચક્ર સમાપ્ત કરે છે. માળાં ફેરવતાં ફેરવતાં તસ્બીનો મણકો ફરી હાથમાં આવે છે. કવિતા જ્યાંથી શરૂ થઈ હતી, ફરી ત્યાં જ આપણને લઈ આવે છે. એક પછી એક દિવ્ય અનુભૂતિના સરવાળે જે ક્ષણે આપણને દર્દ જન્મે છે, એ ક્ષણે નાયિકા લાગ જોઈને એનો પ્રારંભનો પ્રશ્ન દોહરાવે છે. પગમાં કાંટા ખૂંપવાની ને ખભે પાંખ ન ફૂતી શકવાની વેદના હજી તાજી જ છે. કવિ જાણે છે કે પીડાની ક્ષણ જ માનવચેતના સર્વોચ્ચ શિખરે હોય છે. પીડાની પરાકાષ્ઠાએ મનુષ્ય જેટલો સજાગ થઈ જાય છે એટલો બીજી કોઈ ક્ષણે થઈ શકતો નથી. કવિતાના આરંભમાં નાયિકા જ્યારે આપણને પ્રશ્ન પૂછે છે ત્યારે શીર્ષકમાં ‘લાલચ’ વાંચીને કંઈક મેળવવાની લાલચે આગળ વધતા ભાવકને એ અનૂઠા કલ્પનો અને અલૌકિક અનુભૂતિઓથી ચોંકાવે છે પણ હવે જ્યારે ભાવક આ અનુભૂતિઓમાં આગળ વધીને પીડાની તીવ્રતાએ, ચેતનાની ચરમક્ષણે આવી ઊભો છે ત્યારે એ ફરીથી એ જ પ્રશ્ન સામે મૂકે છે- ‘તમારી જાતને જીવંત કહો છો?’ મનમાં ‘લાલચ’ જાગી હોય એ ક્ષણે અને મન સર્વાંગ જાગૃત હોય એ બંને ક્ષણે આ એક જ સવાલનો જવાબ બિલકુલ અલગ હોઈ શકે છે. એટલે જ પુનરોક્તિ કરતી વખતે નાયિકા ‘જુઓ’ કહીને આપણું ધ્યાન દોરતી નથી અને સીધી જ વચન આપે છે કે હવે આ ક્ષણે તમે એટલી સચેત થઈ ચૂક્યા છો કે ફર્નિચરની ઉપર પડતી ધૂળનો અવાજ પણ એટલો પ્રચંડ સંભળાશે કે તમે બહેરાં થઈ જશો.

યે બાત! જે અવાજ વિજ્ઞાન પણ સાંભળી શકવા અસમર્થ છે, એ અવાજ કાનના પડદા ફાડી નાંખે એ તીવ્રતાથી સાંભળી શકાય એ હદે ચેતના જાગી ઊઠી છે. કવિતામાં એક વર્તુળ પૂરું થવાની સાથોસાથ તમારું તમારી સન્મુખ આવવાનું વર્તુળ પણ સંપૂર્ણ બને છે. તમે સંપૂર્ણ બનો છો. ભ્રૂકુટિઓને બે ઊંડા ઘા-ચીરામાં પરિણમતી આપણે અનુભવીશું. પીડાનો અંત આવતો નથી. કવયિત્રી પીડાનો અંત આણવા દેવા માંગતાં જ નથી. એ હવે આપણને સતત જાગૃતિના ઉત્કૃષ્ટ શિખરે ઊભા રાખવા ઇચ્છે છે. એડીનો કાંટો, પાંખ ન ફૂટવાની અ-પ્રસવ પીડા, ધૂળના અવાજના પડઘમ અને ઊંડા ઘાની જેમ ચીરાઈ જતી ભ્રમરો… પીડા અને પ્રાપ્તિ અનંતતાને પામે છે. અને સૃષ્ટિનો પ્રારંભ થયો હશે એ ઘડી સાથે તમારી ચેતના અનુસંધાન સાધે છે. પીડા પરમ પ્રાપ્તિની પરિતૃપ્તિ સુધી આપણને લઈ આવે છે.

શીર્ષક ‘ટેમ્પ્ટેશન’ અને કાવ્યાંતે ‘જેનેસિસ’ બાઇબલ તરફ ઈશારો કરે છે પણ રચનામાંથી પસાર થતાં સમજાય છે કે અહીં બાઇબલનો કેવળ અછડતો સંદર્ભ જ છે. મૂળ વાત તો જીવનભર કુંભકર્ણની નિદ્રા વેઠતા રહેતાં, સતત બંધ જ રહેતા આપણા આંતર્ચક્ષુઓને ઊઘાડવાની વાત છે. તમારી યાદદાસ્ત સૃષ્ટિના ઉદગમ –જેનેસિસથી એક નવી શરૂઆત કરશે એનો મતલબ એ નથી કે સૃષ્ટિના ઉદ્ભવની ક્ષણો પણ યાદ આવી જશે. આ જેનેસિસ આપણું જેનેસિસ છે. આ આપણો ઉદ્ભવ છે. જે માણસ જાગવાની ‘લાલચ’માં પોતાના હોવાપણાંના ‘સફરજન’ને બટકું ભરીને કોરશે એ સ્થાપિત વિશ્વમાંથી નિષ્કાસિત થઈ નવી દુનિયાનો ‘પ્રથમ’ સ્વામી બનશે. એની યાદદાસ્ત એના અસ્તિત્વ પર પ્રકાશ પાડતાં કહેશે કે તું પોતે જ આદમ છે અને તું પોતે જ ઈવ છે. તારી દુનિયાનો પ્રારંભ હવે આ બિંદુએથી તારે જ કરવાનો છે… ટૂંકમાં, આ કવિતા આપણને કહે છે કે જે ઘડીએ તમે તમારી સંવેદનાને ઝંકોરો છો, જે ઘડીએ તમે સાચા અર્થમાં જીવવાની કોશિશ કરો છે એ ઘડીએ જિંદગી સામે આવીને તમને ગળે લગાવશે, તમારી સંવેદનાનો સરવાળો નહીં, ગુણાકાર થશે, અને તમે તમારી જાતને એક નવી જ જિંદગી સાથે હસ્તધૂનન કરતી ભાળશો. બસ, આ જગ્યાએ આ કવિતા પૂરી થાય છે અને અહીંથી જ એની સાચી શરૂઆત પણ થાય છે…