ગ્લોબલ કવિતા : ૧૧૯ : મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

દોઢ લીટીની અ-મર કવિતા…!

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. લાઘવ એટલે શું અને કેટલા લાઘવને લાઘવ કહેશો એવા એકાદા પ્રશ્ન સામા પૂછીએ અને દાખલા માંગીએ તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ વાત સાચી છે. કવિતા એટલે કરકસર. કવિતાના નાજુક બાંધાને એક અક્ષરેય વધારાનો ખપતો નથી. બિનજરૂરી અલંકારો અને ઉપમાઓ કવિતાને કદાચ વધુ આકર્ષક તો બનાવે પણ પ્રાણ હરી લેતાં હોય છે. કવિતામાં લાઘવ અને કરકસર કોને કહેવાય એ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત જ સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજિસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. ઘણાં તો આ કવિતાને વીસમી સદીની શ્રેષ્ઠ કવિતા પણ ગણાવે છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયાં છે, થાય છે, થતાં રહેનાર છે.

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ. ૩૦-૧૦-૧૮૮૫ના રોજ અમેરિકાના ઇડાહો રાજ્યના હૈલી ખાતે જન્મ. હોમર લૂમિસ પાઉન્ડ અને ઇઝાબેલ વેસ્ટનનું એકમાત્ર સંતાન. ૧૧ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય જેકિનટાઉન ટાઇમ્સમાં પ્રગટ થયું હતું. ૧૩ વર્ષની વયે ત્રણ માહિનાનો યુરોપ-પ્રવાસ કરવા મળ્યો. પ્રાથમિક શિક્ષણ ઘરગથ્થુ શાળાઓમાં અને પછી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં. ૧૬ વર્ષની વયે હિલ્ડા ડૂલિટલ (H.D.) સાથેની મુલાકાત પ્રણયમાં પાંગરી. હિલ્ડા એની પાછળ લંડન પણ આવી. પાઉન્ડે એના માટે ઘણી કવિતાઓ લખી અને ૨૫ જેટલી કવિતાઓને જાતે જ બાઇન્ડિંગ કરીને ‘હિલ્ડા’ઝ બુક’ બનાવી પણ એના હિલ્ડાના પિતાએ લગ્ન માટે પરવાનગી ન આપી. હિલ્ડાની હારોહાર જ પાઉન્ડ બીજા બે ઘોડા પર પણ સવારી કરી રહ્યા હતા- વાયોલા બેક્સટર અને મેરી મૂર. મેરીએ પણ લગ્નની દરખાસ્ત નકારી હતી. ફિલોસોફીમાં સ્નાતક થયા. એમ.એ. કરીને પીએચડી શરૂ કર્યું પણ અધવચ્ચેથી ત્યાગ કર્યો. કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું પણ અધિકારીઓ સાથે અવારનવાર પંગો લેવાના કારણે અને એના ઘરે છોકરી રાતવાસો કરતી હોવાના કારણે કોલેજ અને ઘર બંને છોડવા પડ્યા. પરિણામે પાઉન્ડે દેશ જ છોડ્યો અને ૧૯૦૮થી યુરોપ સ્થાયી થયા. ૧૯૨૦ સુધી લંડન રહ્યા. ડબલ્યુ. બી. યીટ્સ સાથે ગાઢ મૈત્રી થઈ અને ડોરોથી શેક્સપિઅર સાથે ૧૯૧૪માં લગ્ન. પ્રથમ વિશ્વયુદ્ધે પાઉન્ડને વ્યથિત કરી નાંખ્યા. ૧૯૨૧થી ત્રણેક વર્ષ પેરિસ અને ૧૯૨૪થી ૪૫ સુધી ઇટલી રહ્યા. પેરિસમાં ઓલ્ગા રડ્જ નામની વાયોલિન વાદિકાના પ્રેમમાં પડ્યા. આ પ્રણયસંબંધ ૫૦ વર્ષ ચાલ્યો. એક બાળકી પણ થઈ જેને ભાડુતી માતાને ઉછેરવા સોંપી દેવાઈ. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોઈ ૧૯૪૩માં પાઉન્ડને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પ્રેમિકાના ઘરમાં પતિ-પત્નીએ આશરો લેવો પડ્યો. રાષ્ટ્રવાદી (Fascism) રાજકારણના પ્રખર હિમાયતી હોવાના નાતે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના સમર્થક પાઉન્ડની રેડિયો પર પોતાના વિચારો રજૂ કર્યે રાખવાના કારણે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ. જેલમાં એમને ત્રણ અઠવાડિયા છ બાય છ ફૂટના લોખંડના પાંજરા –ડેથ સેલ-માં પણ રાખવામાં આવ્યા, જેના પરિણામે એ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ૧૯૪૫થી ૫૮ સુધી તેમને અમેરિકામાં જેલ અને પાગલોની હૉસ્પિટલમાં રખાયા. સમકાલીન લેખકોની એકધારી ચળવળના પરિણામે એમને મુક્તિ મળી. ત્યાર બાદ મૃત્યુપર્યંત તેઓ ફરી વેનિસ, ઇટલીમાં રહ્યા. ૮૭મી વર્ષગાંઠના બે દિવસ બાદ ૦૧-૧૧-૧૯૭૨ના રોજ એમનું નિધન થયું ત્યારે ઓલ્ગા એમની પડખે જ હતી.

વીસમી સદીમાં આધુનિક કવિતાની નવરચના કરવાનું શ્રેય કોઈ એક જ વ્યક્તિને આપવાનું થાય તો એઝરા પાઉન્ડ સિવાય બીજું કોઈ નામ વિચારી પણ ન શકાય. એકલા હાથે એમણે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધ્યો. પણ સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઈટાલીમાં આવિર્ભૂત થયેલ રાજદ્વારી રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હોવાના કારણે અને ઉઘાડછોક યહૂદી-વિરોધી વલણના કારણે એમના જીવનકાળ દરમિયાન એ ઓછા પોંખાયા. તકનીકી નાવિન્ય અને બિનપરંપરાગત કાવ્યસામગ્રીના વપરાશના કારણે એમના ચાહકો બોખલાઈ પણ જતા હતા. નાનપણથી જ એમને અન્ય કોઈપણ જીવિત વ્યક્તિ કરતાં કવિતા વિશે વધુ જાણકારી મેળવવાની ચાનક ચડી હતી. કળાને યોગ્ય દિશામાં વધારવા માટે તેઓ આજીવન સક્રિય રહ્યા. ઇમેજિસમ અને વૉર્ટિસિસમ એનાં જ્વલંત ઉદાહરણ છે. યીટ્સ, ફ્રોસ્ટ, કાર્લોસ, મરિઆન મૂર, એચ.ડી., જેમ્સ જૉય્સ, હેમિંગ્વે અને ઇલિયટ જેવા અન્ય અનેક ‘ઊગતા’ કવિઓને એમણે જે રીતે આગળ વધવામાં અખૂટ મદદ કરી હતી એ પણ न भूतो, न भविष्यति ગણી શકાય. ૮૦૦ પાનાંઓમાં પથરાયેલું ‘કેન્ટોસ’ નામનું અધૂરું રહી ગયેલ મહાકાવ્ય એમની ખરી પ્રતિભા ઉજાગર કરે છે. પુષ્કળ અનુવાદો અને વિવેચન પણ કર્યા.

કવિતાનું શીર્ષક ક્યારેક બિનજરૂરી કે અવશિષ્ટ અંગ જેવું હોય છે તો ક્યારેક એ કવિતાની પૂર્વભૂમિકા રચવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. વળી, ક્યારેક એ કવિતા સાથે એ રીતે રસાયેલું હોય છે કે એના વિના કવિતા અધૂરી લાગે. ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક આ ટૂંકીટચરક કવિતા સાથે અવિનાભાવી સંબંધે એવું સાયુજ્ય સર્જે છે કે કવિતાને શીર્ષક વિના વિચારવી જ અશક્ય થઈ પડે છે. કવિએ કવિતામાં જે રીતે કરકસર કરી છે એ મુજબ શીર્ષક ‘ઇન અ મેટ્રો સ્ટેશન’ રાખ્યું હોત તો બે શબ્દોની બચત ત્યાંય થઈ શકી હોત. પણ, શબ્દો વાપરવાની બાબતે મહાકંજૂસ પાઉન્ડે ‘ધ મેટ્રો’ લખીને બીજું કોઈ નહીં, પણ જે સ્ટેશન પર પોતે બેઠ હતા એ જ સ્ટેશન, એ બાબત બરાબર ગાઢી કરી છે. બીજું, કવિએ ‘સ્ટેશન’ શબ્દને પણ કદાચ હાઇલાઇટ કરવાનું વિચાર્યું હોય. સ્ટેશન એટલે વિરામસ્થાન. એવી જગ્યા, જ્યાં આવીને બધું અટકી જાય. કવિતા મેટ્રોની સતત દોડ્યે રાખતી ભીડને એક સ્થાયી ચિત્રમાં આકારી લે છે, એ અર્થમાં સ્ટેશનને મેટ્રોથી અલગ કરવું ઉચિત ગણી શકાય. જો કે શીર્ષક કાઢી લેવામાં આવે તોય કવિતા ભાંગી પડતી નથી. શીર્ષક ન હોય તો કવિતામાં ઓછાયા જેવી ભાસતી ભીડ કોઈપણ સ્થળે જોવા મળતી ભીડ હોઈ શકે છે. ભીડના સ્થળ અને હેતુ બદલાઈ શકે છે, પણ કવિતાની યશસ્વીતા ઓઝપાતી નથી.

કવિતાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કવિએ પોતે આ કવિતા વિશે કહ્યું છે કે પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે તેઓ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા હતા. આખો દિવસ આ દૃશ્યનો પોતાના માટે શું મતલબ છે એ વિશે તેઓ વિચારતા રહ્યા. પણ એવા શબ્દો જડ્યા નહીં, જે આ આકસ્મિક લાગણી જેટલા જ પ્યારા, અથવા કિંમતી હોય. સાંજે રુ રેનૉર્ડ સાથે ઘરે ગયા ત્યારે પણ મથામણ ચાલુ જ હતી અને અચાનક જ એમને અભિવ્યક્તિ જડી ગઈ. શબ્દો નહીં પણ એક સમીકરણ… વાણીમાં નહીં, પણ રંગના નાના નાના ધબ્બાઓમાં. રંગની ભાષાનો શબ્દ એમને હાથ લાગ્યો. કવિને અહેસાસ થયો કે જો પોતે ચિત્રકાર હોત અને એ લાગણીને રંગોમાં ઢાળી શક્યા હોત તો ચિત્રકળાની એક નવી જ શૈલીની શોધ કરી શક્યા હોત, જે માત્ર રંગોની ગોઠવણીની ભાષામાં જ બોલતી હોય. પાઉન્ડને લાગ્યું કે કોઈ પણ મન જે મન કહેવાવાને લાયક હોય એની પાસે ભાષાની પ્રવર્તમાન શ્રેણીઓની પારની જરૂરિયાત હોવી ઘટે, બરાબર એ જ રીતે, જેમ એક ચિત્રકાર પાસે રંગોના ઉપલબ્ધ નામોની તુલનામાં ખાસ્સા વધારે રંગદ્રવ્યો અથવા રંગછટાઓ હોવાં જોઈએ. કવિ પાસે આ લાગણીને કાગળ પર ઢાળવા માટે શબ્દ નહીં, રંગો હતા પણ એ રંગ ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્રનું સર્જન. પહેલાં આ કવિતા ૩૦ પંક્તિની હતી. પણ કવિને આ કામ ઓછી તીવ્રતા (Second Intensity) વાળું લાગ્યું એટલે એમણે એ રદ કરી. છ મહિના પછી અડધી લંબાઈની કવિતા સર્જી પણ એય ન રુચિ. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ ત્રીસમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર થયેલી અનુભૂતિ તાદૃશ થાય એમ રજૂ કરી શકાય, સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમ-ઇમેજિસ્ટ પોએટ્રીનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

પહેલાં તો ઇમેજિસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંદોના બંધન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. ૧૯૧૨ની સાલમાં એઝરા પાઉન્ડે અન્ય બે મિત્રોની સાથે મળીને અધિકૃતતાપૂર્વક ‘ઇમેજિસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજિસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળનો એમી લૉવેલ જેવાના હાથે થઈ રહેલા દુરુપયોગને અટકાવવામાં પોતે વિફળ રહ્યા છે એમ લાગતા ૧૯૧૭માં પાઉન્ડ હટી ગયા. એમણે ‘ઇમેજ’નું ‘વૉર્ટેક્સ’ (વમળ અથવા ચક્રવાત) અને ‘ઇમેજિસમ’નું ‘વૉર્ટિસિસમ’ નામકરણ કર્યું, જે નામ એ સમયે વિન્ડહામ લૂઈસ અને અન્ય મિત્રોએ આદરેલ નૂતન કળાઅભિયાનને પણ લાગુ પડાયું. પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

પાઉન્ડની આ અંગ્રેજી કવિતાને બે રીતે જોઈ શકાય. એક, સૉનેટ અને બીજું, હાઇકુ. સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે, પાઉન્ડની આ કવિતા ચૌદ શબ્દોની બનેલી છે. સૉનેટમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ સાથે પણ સરખાવે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. જાપાનીઝ હાઇકુ ૧૭ ધ્વનિનું, અંગ્રેજીમાં ૧૭ શબ્દાંશ અને ગુજરાતીમાં ૧૭ અક્ષરનું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. પાઉન્ડની આ રચનામાં પણ સત્તર શબ્દાંશ (Syllables) હોવાથી અને મૂળે હાઇકુ-સ્વરૂપથી જ પ્રેરિત હોવાથી ઘણા એને હાઇકુની કક્ષામાં મૂકે છે. જે હોય તે, પણ સરવાળે આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ કે બે પંક્તિઓને જોડતું કોઈ સંયોજક પણ અહીં વપરાયું નથી. જો કે આટલી નાની કવિતામાં પણ પાઉન્ડ પ્રાસ અને લય સંયોજવાનું ચૂક્યા નથી. પ્રથમ પંક્તિમાં એક સંપૂર્ણ દૃશ્ય નજરે ચડે છે અને બીજી પંક્તિમાં બીજું દૃશ્ય તાદૃશ થાય છે. એ પણ સર્વાંગ સંપૂર્ણ છે. બંને દૃશ્યો સ્વતંત્રપણે પરિપૂર્ણ છે અને બંને દૃશ્યોનું સાયુજ્ય થઈને વળી એક ત્રીજી જ અનુભૂતિ થાય છે જે ભાવકના ચિત્તતંત્ર પર કાયમી અસર છોડી જાય છે. ટૂંકમાં, એમ કહી શકાય કે પાઉન્ડે નાની અમથી ડબ્બીમાં સમાઈ શકે એનાથી અનેક ગણા વધારે ચોખા ખાંડી-ખાંડીને ભરી આપ્યા છે. કદાચ એટલે જ આ કવિતા અમર થઈ છે. શબ્દોની આ કરકસર જોતાં એલેક્ઝાન્ડર પૉપનું યુગ્મક યાદ આવે:

શબ્દ છે પાંદડાં જેવા, સૌથી વધુ જ્યાં નજરમાં ચડે,
એ જગાએ જવલ્લે જ ફળ અર્થના કોઈ તમને જડે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે ! રાજેન્દ્ર શાહની ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’ પણ બે જ લીટીમાં અભિધા, લક્ષણા અને વ્યંજના –એમ ત્રણેય સ્તરે જીવનનો અર્ક સમજાવી જાય છે, જ્યાં ઘરને શબ્દશઃ ઘર ગણીને વિશ્વનાગરિકત્વનો અર્થ પણ વિચારી શકાય, ધર્મ-સમાજના વાડા ગણીને વયષ્ટિમાંથી સમષ્ટિ તરફની ગતિ પણ સમજી શકાય છે અને પોતાના અહમ્, વિચાર, મમત્વની જડ સીમાઓ તોડવાથી હાંસલ થતા બ્રહ્મપદ સુધી પણ પહોંચી શકાય છે.

પાઉન્ડ પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન લા કૉન્કર્ડ પર મેટ્રોમાંથી બહાર નીકળે છે અને એક પછી એક ચહેરાઓ એમની નજર સામે આવે છે અને ગાયબ થઈ જાય છે. આ ચહેરાઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એ સમજાય એ પહેલાં તો એ બદલાયે રાખે છે. એક પછી એક ચહેરાઓનો આખો મહાસાગર નજર સામે ઉમટે છે અને ટ્રેન ઉપડી જતાંની સાથે ખાલી મેદાન સમો ઓસરી પણ જાય છે. ભૂતાવળ જ જોઈ લ્યો જાણે! કવિએ યથાર્થ apparition શબ્દ પ્રયોજ્યો છે. અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને ક્ષણાર્ધમાં ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જીવનની નશ્વરતાનું પણ સૂચન કરે છે, જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન! લેટિન Memento Mori અર્થાત્ ‘યાદ રાખો કે તમારે મરવાનું છે’ એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કવિતાનું ટૂંકાણ એના વિષય સાથે તાલમેલ ધરાવે છે. મેટ્રો ટ્રેનની જેમ જ શબ્દો પણ આપણી આંખ આગળથી ઝડપભેર પસાર થઈ જાય છે. ટ્રેનનો દરવાજો ખુલે છે, ચહેરાઓ દેખાય છે, દરવાજો બંધ થાય છે, ટ્રેન પસાર થઈ જાય છે અને શૂન્યાવકાશ પ્લેટફૉર્મ પર છોડતી જાય છે. આ બધું જ વીજળીક ગતિએ થાય છે. કવિતા પણ એ જ ઝડપે આપણી પાસે આવે છે, આપણી નજરે શબ્દો ચડે-ન ચડે એ પહેલાં ચાલી જતી ટ્રેનની જેમ પંક્તિ પૂરી થઈ જાય છે અને આપણી અંદર કંઈક અકળ અનુભૂતિનો અવકાશ છોડતી જાય છે. પાઉન્ડની ‘ઇમેજ’ વિશેની માન્યતા પણ અહીં સાફ થાય છે: ‘કામનો ઢગલો પેદા કરવા કરતાં જીવનમાં એક દૃશ્ય રજૂ કરવું વધુ બહેતર છે.’ કવિએ એવું પણ કહ્યું છે: ‘ઇમેજ એટલે ક્ષણાર્ધ જેટલા સમયમાં જ બૌદ્ધિક અને ભાવનાત્મક સંકુલતાની રજૂઆત.’

બીજી પંક્તિ છ શબ્દો અને એક અલ્પવિરામની મદદથી એક બીજું જ ચિત્ર રજૂ કરે છે. જાપાનીઝ હાઇકુમાં ઋતુની જાણકારી અગત્યની ગણાય છે. અહીં એ જાણકારી પાઉન્ડ પણ પૂરી પાડે છે. કાળી ડાળ પર ભીની પાંદડીઓ નજરે ચડે છે. પાંદડીઓ, પાંદડાં નહીં. અર્થાત્, વાત ફૂલની છે. ઝાડના પર્ણોની નહીં. ડાળી કાળી છે મતલબ સૂકાવા આવી છે અથવા અંધકારનો કે મોંસૂઝણાંનો સમય છે અને વરસાદના પાણીની ભીનાશના કારણે ડાળીનો રંગ ગાઢો અર્થાત્ કાળો નજરે ચડે છે. કાળો રંગ મૃત્યુનો રંગ પણ છે. આ કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે. ફૂલોનો ભાગ હોવાના બદલે પાંદડીઓની ડાળી પરની હાજરી હવે સમજાય છે. વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી હશે અને વરસાદની ભીનાશના કારણે કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. આટલું ચિત્ર કવિ રજૂ કરે છે. પણ કવિતા અહીં પૂરી થતી નથી, શરૂ થાય છે.

ભીડમાં ભૂતિયા ઓછાયાની જેમ આવી-આવીને અદૃશ્ય થઈ જતા ચહેરાઓનું એક દૃશ્ય અને કાળી ભીની ડાળીના ‘કોન્ટ્રાસ્ટ’માં વધુ ધ્યાનાર્હ બની રહેતી ડાળ પર ચોંટેલી પાંદડીઓનું બીજું દૃશ્ય ભેગાં થઈને એક ત્રીજું દૃશ્ય બને છે, જે માત્ર દેખાતું નથી, અનુભવાય છે. ભીડમાં નજરે ચડતા ચહેરાઓ થોડા સમયમાં જ્યાં દેખાયા હતા, ત્યાં નથી દેખાવાના અને જે પહેલાં દેખાયા નહોતા એ થોડી વાર પછી સામે આવનાર છે. આ ક્ષણજીવી ઘટનાને બીજી પંક્તિ સાથે સાંકળીએ તો સમજી શકાય છે કે અહીં કશું કાયમી નથી. ડાળીની ભીનાશ પણ કાયમી નથી. થોડા સમય બાદ આ ભીની ડાળી સૂકાઈ જશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય. Memento Mori, નહીં?!

આવતીકાલે મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન પણ હોય, ભીની ડાળ પર ચોંટેલી એ પાંદડીઓ હોય કે ન પણ હોય પરંતુ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

એ વર્ષો – મુકુલ ચોકસી

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.

– મુકુલ ચોકસી

મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે.(આભાર-લયસ્તરો.કોમ)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું:
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું;

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે;ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક્ :

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું?

– સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૧૧૮ : સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

(શંકરાભરણ)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગુજરાતી કવિતામાં દોરાયેલું અજર-અમર પ્રકૃતિચિત્ર

સાગર અને ચંદ્ર નહીં જોયા હોય એવો માણસ મળવો મુશ્કેલ. હા, આથમતી સાંજે સાગરના પાણી પરથી ચંદ્રને ઊગતો બધાએ નહીં જ જોયો હોય પણ જે ભાગ્યશાળીને આથમતી સાંજે દરિયાના પાણી પરથી ચંદ્રોદય જોવા મળ્યો હશે એ માણસ એ દૃશ્ય આજીવન વિસરી નહીં શકે. કંઈ અજબ ચુંબક છે આ દૃશ્યમાં. સાગર અને ચંદ્ર બંને સ્વતંત્ર રીતે જીવમાત્રને અસ્તિત્વના પહેલા દિવસથી આકર્ષતા આવ્યા છે પણ એ બંનેનું ‘કૉમ્બિનેશન’ તો જાણે કે ‘ફેટલ’ જ છે. જાગ્રત મનુષ્યના ચિત્તતંત્રને લકવો મારી જાય એવું પ્રબળ ચુંબકીય સૌંદર્ય આ મારકણું સંયોજન ધરાવે છે. આદિ કવિ વાલ્મિકીને શરદના નિરભ્ર આકાશમાં સરતા ચંદ્રને જોઈને નીલ સરોવરમાં તરતો શ્વેત રાજહંસ યાદ આવ્યો હતો તો અશોકવનમાં રાક્ષસીઓની વચ્ચે ઘેરાયેલી સીતાના નિસ્તેજ મુખને જોઈને અંધારાથી મુક્ત પણ વાદળોથી ઘેરાયેલ શરદના ચંદ્રનું સ્મરણ પણ થયું હતું. ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગર ભળે તો તો સોને પે સુહાગા. કવિ કાન્ત એમની બહુખ્યાત રચનામાં સાગર અને શશીના મારકણા પ્રભાવને અમરત્વ આપી ગયા છે.

મણિશંકર રત્નજી ભટ્ટ. ‘કાન્ત’ -કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક, આલોચક. જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલ ચાવંડ ગામમાં. માતા મોતીબાઈ. આર્થિક સ્થિતિ સાધારણ. પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં. શાળામાં ગાંધીજી, બ.ક.ઠાકોર તથા પ્રભાશંકર પટ્ટણી એમના સમકાલીન હતા. ૧૧ વર્ષની વયે પિતાનું નિધન. ૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૧૫ વર્ષની વયે પ્રથમ લગ્ન નર્મદા (‘નદી’) સાથે. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. મુંબઈમાં. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના પ્રથમ ગ્રેજ્યુએટ. કાયદાનો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. દાદા મુકુન્દ ભટ્ટ કવિ હતા, કાકા કથાકાર હતા. બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદાલંકાર શીખ્યા. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં થતા જ્ઞાતિજનોના કવિતાવિલાસનો કવિ તરીકે કાન્તના વિકાસમાં પ્રધાન ફાળો હોવાનું મનાય છે. પાશ્ચાત્ય બુદ્ધિવાદ, નીતિશાસ્ત્રના અભ્યાસ અને અંગ્રેજી કવિતાના આચમનથી એમની માંહ્યનો સાહિત્યકાર અલગ રીતે જ ઘડાયો. પહેલાં થોડો સમય ૧૮૮૯માં સુરતમાં શિક્ષક તરીકે અને પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, ઉપાચાર્ય અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે સેવા બજાવી. પહેલી પત્નીના નિધનના વરસ બાદ ૧૮૯૨માં ફરી નર્મદા (‘ન્હાની’) નામની જ સ્ત્રી સાથે બીજા લગ્ન, જેનું ૧૯૧૮માં અવસાન થયું. ૧૮૯૮માં સ્વીડનબૉર્ગમાં શ્રદ્ધા થતાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. કુટુંબીઓએ પ્રાયશ્ચિત કરાવ્યું જે કામચલાઉ નીવડ્યું. ૧૯૦૦માં બાપ્ટિઝમ લઈ ખ્રિસ્તી બન્યાની જાહેરાત કરી. ધર્મપરિવર્તનના કારણે નોકરી, જ્ઞાતિ, પત્ની-બાળકો અને મિત્રોથી પણ અળગા થવાનું થયું. ચારેતરફના પ્રચંડ દબાણને વશ થઈ ફરી બ્રાહ્મણ થયા પણ હૃદયથી આજીવન ખ્રિસ્તી જ રહ્યા. ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં પહેલાં શિક્ષણ અધિકારી અને પછીથી મહારાજાના સેક્રેટરી તરીકે નોકરી કરી. હિંદી સ્વીડનબૉર્ગ સૉસાયટીની ૧૯૧૪માં સ્થાપના કરી અને આજીવન પ્રમુખ રહ્યા. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા. ખિસ્સું ગરીબીનો ને શરીર ન્યુમૉનિયાનો શિકાર થયું. ૧૬-૬-૧૯૨૩ના રોજ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં તેમનું અવસાન થયું. અવસાનના દિવસે જ અમદાવાદમાં એમનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો.

ગુજરાતી સાહિત્ય પરિષદ ‘કાન્ત’ને ‘ગુજરાતી કવિતાની એક ઘટના’ તરીકે ઓળખાવે છે. કવિ કાન્ત દેખાવે ખૂબ જ પ્રભાવક હતા. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ ભૂરા બંધ કોલરના કોટ-પાટલૂન, બેઉ ખભે ઝૂલતો ખેસ, માથે પોપટિયો રેશમી ફેંટો, બૂટ-મોજાં, સોનેરી ફ્રેમનાં ચશ્માં, ભરાવદાર મૂંછ, પડછંદ ભરાઉદાર કાયા, ભીનો વાનવાળા કવિ તરત જ મુલાકાતી પર પ્રભાવ જમાવતા. એમનું વક્તૃત્વ પણ એવું જ પ્રભાવશાળી હતું. રા. વિ. પાઠકના મતે ‘કાન્તના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે.’ પહેલાં અજ્ઞેયવાદી, પછી એકેશ્વરવાદી, એ પછી ખ્રિસ્તી, અને ફરી બહારથી બ્રાહ્મણ અને ભીતરથી ઈસાઈ –આ બદલાવો કાન્તના ઈશ્વર, ધર્મ અને સત્યના માર્ગના અનવરત પ્રવાસના પાસપૉર્ટ છે. ધર્માંતર બાદની એમની રચનાઓમાં કવિત્વ ઝાંખું થયેલું અનુભવાય છે. પણ સરવાળે, ધર્મમંથન, ન્યાય અને સત્યની શોધ અને આંતરયાત્રા એમની કવિતાઓના પ્રધાન રંગ રહ્યાં છે. અભૂતપૂર્વ ભાષાસૌષ્ઠવ અને છંદવૈભવ એમની કવિતાઓમાંથી છલકાય છે. સર્વાંગી પ્રાસ, લવચિક લય, નાદસૌંદર્ય, લાલિત્યપૂર્ણ શૈલી, અને અર્થગહન અભિવ્યક્તિ પરની કુદરતી હથોટીના કારણે એમની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં પ્રથમ અંજનીગીત અને પ્રથમ ખંડકાવ્ય આપવાનું શ્રેય એમના ફાળે જાય છે.

સાગર અને શશી’ પહેલવહેલીવાર ૧૯૦૨માં ‘વસંત’ સામયિકમાં પ્રગટ થયું હતું. એક સદીથીય વધુ વર્ષોનાં વહાણાં વહી જવા છતાંય એની તાજગી અને સૌંદર્ય લગરિક ઓઝપાયાં નથી. ચંદ્રકાન્ત શેઠના મતે ‘સાગર અને શશીનું સાલંકૃત સૌંદર્ય અનન્ય છે.’ નિરંજન ભગત આ કવિતાને ‘ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય’ ગણાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ કવિતાને ‘આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના’ કહી વધાવે છે. ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે! શીર્ષક પછી કવિતાના મથાળે કવિ શંકરાભરણ શબ્દ મૂકે છે. શંકરાભરણ એટલે સાત શુદ્ધ સ્વરોયુક્ત એક સંપૂર્ણ જાતિ રાગ. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર મ, સંવાદીસ્વર સા, અને ન્યાસ સ્વર ગ છે. અંગ્રેજીમાં તેને નેચરલ સ્કેલ કે ડાયા ટૉનિક સ્કેલ કહે છે. શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં કવિએ પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ પણ કરેલો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. શંકરાભરણ કે શંકરો રાગ પણ પ્રભાતિયાના રાગને મળતો આવે છે. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઊરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા આ જ ઝૂલણા છંદ શંકરાભરણની ચાલમાં પ્રયોજે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે. ‘ગાલગા’ ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતા સંગીતમાંથી સાગરના ‘આવ-જા’ ‘આવ-જા’ ‘આવ-જા’ કરતા મોજાંનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર એ રીતે ઊભું થાય છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત! કાવ્ય પણ છંદ, રાગ અને સાગરની લહેરોની જેમ દ્રુતવિલંબિત લયમાં ચાલે છે. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે), જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય! સુરેશ જોષીના મતે ‘કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે.’

કવિતામાં ‘મહારાજ’ અને ‘પિતા’ એમ બે સંબોધન નજરે ચડે છે. કવિતા પાછળની વાર્તા આ સંબોધન પર થોડો પ્રકાશ ફેંકવામાં સહાયક નીવડે એમ છે. આ કવિતાનું પ્રેરકબળ ભાવનગરના મહારાજ ભાવસિંહ હતા. કહેવાય છે કે ગોપનાથના દરિયાકિનારે કવિની પીઠ પર હાથ મૂકીને ભાવસિંહે કવિને કવિતા લખવાનું આહ્વાન આપ્યું હતું, પરિણામે આ રચના થઈ હતી. એ રીતે મહારાજ સંબોધન મહારાજા માટે પ્રયોજાયું હશે એમ માની શકાય પણ એવું માનવામાં આગળ આવતું ‘પિતા’ સંબોધન નડતરરૂપ બને છે. એટલે, કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદનું આ કાવ્ય હોવાથી ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર માટે વપરાતાં Lord અને Father સંબોધનોનો આ સીધો તરજૂમો હોવાનું સમજી શકાય છે. જો કે આ ગીત રચાવા પાછળની વધુ પ્રમાણભૂત હકીકત એ છે કે ૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્ત સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬-૦૬-૧૯૦૨ના રોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

ખેર, કવિ અને કવિતાનો ઇતિહાસ ભલે કવિતા સમજવામાં ઉપકારક કેમ ન થતો હોય, ખરી મજા તો કવિતાને કવિતાના ધોરણે આસ્વાદવામાં જ રહી છે. કથક કહે છે કે, મહારાજ! આજે જળ પરથી ચંદ્રનો ઉદય જોઈને હૃદયમાં હર્ષ ‘જામે’ છે. જળ પરથી ચંદ્રોદય તો બનવાજોગ છે કે આ પૂર્વે પણ ઘણીય વાર જોયો જ હશે પણ જે મજા ‘આજ’માં છે, એ અભૂતપૂર્વ છે. વળી, હર્ષ થયો એમ કહેવાના બદલે કવિ હર્ષ સાથે કદી વપરાયેલ નહીં હોય એવું અનૂઠું ‘જામે’ ક્રિયાપદ પ્રયોજે છે. આ એક જ શબ્દ વડે કવિ અમૂર્ત હર્ષભાવને સફળતાપૂર્વક મૂર્ત કરી આપે છે. સમજી શકાય છે કે આ એવો ઘનીભૂત થયેલો આનંદ છે જેને સમય પણ પીગાળી, મિટાવી શકનાર નથી. સાગર અને શશી વચ્ચેનું સ્નેહસૂત્ર પણ ફરી યાદ કરી લેવા જેવું છે. ચંદ્ર આપણી સૌથી નજીકનો ગ્રહ- પૃથ્વીનો ઉપગ્રહ છે. શ્રીમદ્ભાગવત અનુસાર એ મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાના માથા પર ધારણ કર્યો છે. ચંદ્રમાં રહેલ ડાઘાઓએ તો વિશ્વભરની કથાઓ-કવિતાઓને ચાલકબળ પૂરું પાડ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનું ખાસ્સું મહત્ત્વ છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા જન્મતા કેન્દ્રગામી બળના કારણે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. શુક્લ કે સુદ પક્ષ દરમિયાન ચંદ્રની વૃદ્ધિની સાથોસાથ સાગરમાં ભરતી જન્માવતી લહેરો પણ વૃદ્ધિશીલ થતી જાય છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્ર ચુંબકની જેમ ખેંચતો હોય એ રીતે આકાશ આંબતી લહેરો ઊછળે છે. કૃષ્ણ કે વદ પક્ષના પખવાડિયામાં મોજાંઓની આ ચંચળતા ક્રમશઃ મંદ થતી જાય છે. આપણાં શરીરનો મોટો ભાગ પાણીથી બન્યો હોવાથી ચંદ્રની કળાઓ આપણી માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે એમ માનવામાં આવે છે. પૂનમની રાતોએ પાગલપનની તીવ્રતા અને આત્મહત્યાની સંખ્યા અન્ય દિવસોની સરખામણીએ વધુ હોવાનું મનાય છે. ચંદ્ર માટેના લેટિન શબ્દ લૂના પરથી જ લૂનેટિક (પાગલ) શબ્દ બન્યો છે.

આકાશ કઈ ઋતુનું છે એ કવિ કહેતા નથી. ચંદ્ર પણ કઈ કળાએ છે એ પણ કવિ કહેતા નથી પણ જે ચંદ્રોદય અનનુભૂત આનંદ અને સાગરમાં ભવ્ય ભરતી જન્માવે છે એ ચંદ્ર તો પૂર્ણિમાનો ફુલ્લકુસુમિત ચંદ્ર જ હોઈ શકે ને! રાતનો સમય છે અને રાતનું સૌથી મોટું સુખ એ છે કે એ કાળા રંગની પીંછીથી દુનિયાને રંગી દે છે અને આપણી નજરોથી ગાયબ કરી દે છે. અંધારામાં બહુ ઓછી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, પરિણામે જે કંઈ આપણે જોઈ શકીએ છીએ એનો પૂર્ણાનંદ લઈ શકીએ છીએ. અંધારામાં સમુદ્ર ઉપરથી ઊંચે ઊઠતા ચંદ્રના પ્રકાશમાં આકાશમાં વાદળો નજરે ચડે છે. રાત્રે વાદળો દેખાય છે માટે આ વરસાદ આણતાં કાળાં વાદળો નહીં, પણ હળવાંફૂલ થઈ ઊડતાં શુભ્ર વાદળો છે. મતલબ કે આ આકાશ ચોમાસાનું આકાશ નથી. કવિ કહે છે, ‘સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે.’ સ્નેહનાં વાદળો એ એ રીતે આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, જાણે ફૂલોનાં વન ન હોય! સુરેશ જોષી ‘જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન’ કહીને કવિના શબ્દપ્રયોગમાં છૂપાયેલી કવિતા આબાદ શોધી બતાવે છે. અને ફૂલોનું વન હોય તો સુગંધનો દરિયો પણ હોવાનો જ. પણ આ સુગંધ શુદ્ધ અને ગહન-અકળ-ઊંડી સુગંધ છે. કવિએ જ્યાંથી સાગર પર ચંદ્રોદય જોયો હશે ત્યાં કદાચ બગીચો પણ હોય અને ફૂલોની ખુશબૂ નાક સુધી પહોંચી પણ હોય એ શક્ય છે પણ સાચું કવિકર્મ જ એ છે જે સમષ્ટિમાંના એક તત્ત્વને બીજામાં અને વયષ્ટિની એક ઇન્દ્રિયને બીજામાં ખબર પણ ન પડે એ નાજુકાઈથી ભેળવી દે છે. દૃશ્ય સાવ સાદું છે. કોઈ સાફ વાતાવરણવાળી ઋતુની રાતે દરિયા પરથી ચંદ્ર ઊગી રહ્યો છે અને સ્વચ્છ આકાશ આખું શ્વેત વાદળોથી ભર્યું પડ્યું છે, જે ચંદ્રના પ્રકાશથી વધુ દેદિપ્યમાન નજરે આવે છે. પણ કવિને અહીં સ્નેહનાં વાદળો નજરે ચડે છે ને આ વાદળોમાં આકાશમાં ફૂલોનું મઘમઘતું વન દેખાય છે. ત્રણ જ પંક્તિમાં જે દૃશ્ય આપણે આંખોથી પીવાનું હતું, એ કવિ આપણને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘાડે છે. કેવો અદભુત ઇન્દ્રિયવ્યત્યય! દિલોદિમાગને તર કરી દેતી આ અવર્ણનીય સુગંધ વળી અકળ છે.

ચોથી પંક્તિમાં ‘નિજ’ શબ્દ વાપરીને કવિ આખી વાતને નવું જ પરિમાણ બક્ષે છે. કવિતા સામાન્યરીતે વયષ્ટિનું સમષ્ટિમાં વિસ્તરણ કરતી હોય છે, અહીં કવિ સમષ્ટિને વયષ્ટિમાં આટોપવાનું ભગીરથ કામ કરે છે. નજર જ્યારે સમુદ્ર પરથી થઈ રહેલ ચંદ્રોદય અને વાદળપુંજને નિરખી રહી છે, એ સમયે કથકની પોતાની ભીતર, એની ખુદના આકાશમાં પણ શુભ્ર વાદળાચ્છાદિત આભમાં ચંદ્રોદય થઈ રહ્યો છે અને કશીક ગહન ગંધથી આખું અસ્તિત્ત્વ તરબતર થઈ રહ્યું છે. કદાચ એટલે જ, કવિ કહે છે કે કાલના સર્વ સંતાપ શામે! કાળ બધી સમસ્યાઓનો વાહક છે. કાળના ઉધામા ઘણીવાર અસહનીય બની રહેતાં હોય છે. ક્યારેક વીતી ગયેલો સમય વીતાડે છે, ક્યારેક ન આવેલો સમય સતાવે છે તો ક્યારેક આજનો તાપ દઝાડે છે. સમયના ગર્ભમાં જ જીવનની સૌ સમસ્યા પણ રહેલી છે ને ઈલાજ પણ. એક અદભુત પ્રકૃતિચિત્રને પ્રત્યક્ષ નિહાળવાના સૌભાગ્યની પ્રતીતિ ઇન્દ્રિયગોચરતાને ઇન્દ્રિયાતીતતામાં પલોટે છે ત્યારે જે શાતા અનુભવાય છે એ સર્વ સંતાપ શમાવી દે છે. કાળા આભમાં ચમકતો ધોળો ચંદ્ર જાણે નૂતન જીવનરસથી છલકાતી ઈશ્વરની આંખ હોય એમ લાગે છે. પરિણામે તમામ ઉચાટો શાંત થઈ ગયાનું અનુભવાય છે. સુરેશ જોષી લખે છે: ‘આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે.’ દરિયાના મોજાં તો હજીય આવ-જા કરી જ રહ્યાં છે, ચંદ્ર પણ ક્રમશઃ ઉર્ધ્વગતિ કરી રહ્યો છે, વાદળો આકાશમાં અટક્યાં નથી, પવન પણ થંભ્યો નથી, પણ દર્શકની ભીતર હર્ષ અને શાતા હલાવી-પીગાળી-મિટાવી ન શકાય એ રીતે જામી ગયાં છે. કવિ ઇચ્છે છે કે ભાવકને પણ આ શાંતિની એટલી જ સઘન અનુભૂતિ થાય જેટલી એમને થઈ છે. માટે જ એ પોતાની વાત કરીને અટકી જવાને બદલે દોહરાવે છે: ‘પિતા! કાલના સર્વ સન્તાપ શામે!’ આ પુનરોક્તિ કવિચેતનાને ભાવકચેતના સાથે સંગોપીને દૃઢીભૂત કરે છે.

જલધિ યાને સાગરના મોજાંઓના સમુહને કવિ જલધિજલદલ કહી સંબોધે છે. જેમ આકાશમાં વીજળી ચમકે છે એમ જ દરિયામાં આવતા-જતાં રહેતાં મોજાંઓ ઉપર રેલાતા ચંદ્રપ્રકાશના કારણે જાણે પાણી ઉપર વીજળી ચમકતી ન હોય એમ કવિને લાગે છે. આકાશના સરોવરમાં યામિની યાને રાત્રિની હોડી સરકી રહી છે. સુરેશ જોષી ‘યામિની’ શબ્દપ્રયોગમાં ‘યામ’ યાને પ્રહર, કાળનો શ્લેષ પણ સમાવિષ્ટ જુએ છે. નીચે દરિયો સતત ગતિશીલ છે પણ માથે આકાશ સરોવર જેવું નીરવ શાંત છે પણ વાતાવરણમાં કામિની કોકિલાનો કૂંજારવ પ્રાણ ભરી દે છે. દૃશ્યેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બાદ હવે શ્રવણેન્દ્રિય પણ કામમાં આવે છે. અને જેમ-જેમ ઇન્દ્રિયો જાગૃત થતી જાય છે, તેમ-તેમ અનુભવ ઇન્દ્રિયાતીત થતો જાય છે. ભરતી જેવી રોજની ઘટના પણ હવે ભવ્ય ભાસે છે. સમગ્ર સૃષ્ટિ સમુલ્લાસિત થઈ રહે છે. જેમ આનંદની અવધિએ આપણે આપણને હળવાફૂલ થઈ ગયેલાં અનુભવીએ છીએ એમ જ ઉલ્લાસના આ મહાસાગરમાં સમગ્ર સૃષ્ટિ એવી તો હળવી થઈ ગયેલી ભાસે છે કે એકદમ સહજતાથી, સાવ અનાયાસ પાણીમાં સરી-તરી રહેલી હોડી જેવી નજરે ચડે છે. વળી, આ ઉલ્લાસની પરાકાષ્ઠા છે, પરમ આનંદની ચરમસીમા છે એટલે ફરી એકવાર કવિ પોતાની વાતની પુનરોક્તિ કરતાં ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ના હર્ષોદ્ગારને બેવડાવે છે. જગતચેતના અંગતચેતના લગી અને અંગતચેતના ફરી જગતચેતના સુધી પ્રસાર પામે છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અનુપમ સાયુજ્ય સર્જાય છે. સરવાળે કવિતા જે ચિત્રાનુભૂતિ ભાવકના ચિત્તતંત્ર પર સફળતાપૂર્વક છોડી જાય છે એ પછી કાયમ રહે છે…

દરિયાઈ લહેરો સાથેના છંદના તાલમેલ ઉપરાંત કવિતામાં જે વર્ણસગાઈ અને વર્ણાનુપ્રાસ કવિએ પ્રયોજ્યાં છે એ કદાચ ગુજરાતી કવિતામાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. જલધિ-જલ, દલ-દામિની-દમકતી, કામિની-કોકિલા-કેલિ-કૂજન-કરે, ભાસતી-ભવ્ય-ભરતી વગેરેમાં આવતી વર્ણસગાઈ સમુદ્રની લહેરોની જેમ એક પછી એક કવિતામાં આવ્યે રાખે છે અને લહેરોની છોળની જેમ ભાવકને વર્ણસંગીતથી ભીંજવ્યે રાખે છે. આજ-મહારાજ, ઘન-વન-ગહન, વિમલ-પરિમલ, નવલ-ધવલ, જલ-દલ, યામ્(ઇની)-(વ્)યોમ, દામિની-યામિની-કામિની, (વ્યોમ)સર-સર(તી), તર(લ)-તર(ણી)-સર(લ)-સર(તી) વગેરેમાં યમક અથવા વર્ણાનુપ્રાસની ચમત્કૃતિનું જે ગાન આલાપે છે એ પણ અલૌકિક છે. છંદ-અલંકારોના વ્યાકરણથી બિલકુલ અનભિજ્ઞ ભાવક પણ સાવ અજાણતાંય આ સંગીતમાં આપોઆપ લીન થયા વિના રહેતો નથી. કદાચ, એટલે જ એક સદીથીય વધુ સમય વીતી ગયો હોવા છતાંય અમર થવા સર્જાયેલ આ કવિતા કાવ્યરસિકોને અવર્ણનીય અનુભૂતિ પ્રદાન કરતી આવી છે, ને કરતી રહેનાર છે…

ગ્લૉબલ કવિતા : ૧૧૭ : લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

જૂની લોકકથાના ચશ્માંમાંથી નજરે પડતો આજની સ્ત્રીનો ચહેરો

પરીકથાઓ કોને ન ગમે? બાળપણમાં પરીકથાઓ, લોકકથાઓ કે દાદાદાદીની વાર્તાઓનું વ્યસન ન હોય એવું કોઈ હશે ખરું? મોટાભાગની આ વાર્તાઓના પાત્રો આજે પણ આપણા લોહીમાં વહી રહ્યા છે. સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, રાપુન્ઝેલ, લિટલ મરમેઇડ જેવી અનેક વાર્તાઓ તો સ્ત્રીપાત્રોઓની આજુબાજુ જ ગૂંથાયેલી છે. પરીકથા તો શબ્દ જ પરીની આસપાસ વણાયેલો છે. પણ આ મોટાભાગના સ્ત્રીપાત્રોમાં સુંદરતા અને નિર્દોષતા જેવા ગુણો જ ઉજાગર કરવામાં આવ્યાં છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રોને હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. ભાગ્યે જ કોઈ કથામાં સારાં સ્ત્રીપાત્રોને જીવનના અગત્યના નિર્ણયો લેતાં અને પુરુષોને એ નિર્ણયો સ્વીકારતા બતાવાયા છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે અને ગળથૂથીમાં પરીકથાઓ પીને મોટાં થતાં બાળકોના માનસમાં અભાનાવસ્થામાં સમાજમાં પ્રવર્તમાન આ વિષમ પદક્રમ ઘર કરી જાય છે. પણ હવે સમય આવી ચૂક્યો છે, વિષમ પદાનુક્રમના આ ચશ્માં ઊતારીને સ્ત્રીઓ તરફ જોવા માટેનો. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

મારિયા કૈલિબ ચાવેઝ આખું નામ પણ ઓળખાય છે એમકે ચાવેઝ તરીકે. જન્મ અને ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં પણ મૂળે લેટિન અમેરિકન. એમનો પરિવાર અલ સાલ્વડોરથી આવ્યો હતો, જ્યાં અસંખ્ય લોકો ગાયબ થઈ ગયા હતા, સેંકડોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એમકેના પરિવારમાં કોઈ વડીલ હાલ જીવંત નથી. જિંદગીની પાટી આ રીતે કોરી હોવી એ એક તરફ કરુણતા છે તો બીજી તરફ આઝાદી પણ એમ તેઓનું માનવું છે. ‘લિરિક્સ એન્ડ ડર્જીસ’ વાંચન શૃંખલાના તેઓ સહસ્થાપક અને અધ્યક્ષ (ક્યુરેટર) છે તથા બર્કલી પોએટ્રી ફેસ્ટિવલના સહ-નિર્દેશિકા પણ છે. આ સિવાય ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં છે. ‘મધરમોર્ફૉસિસ’ અને ‘ડિઅર એનિમલ’ એમનાં બે પ્રકાશિત પુસ્તકો છે. હાલ તેઓ કેલિફૉર્નિયામાં ઓકલેન્ડ ખાતે રહે છે અને એલિ કેટ બુક્સમાં નોકરી કરે છે. એમની સાથે ‘સન રા’ નામનું પળેલું સસલું રહે છે. ચાવેઝ ટ્વિટર પર પોતાને ‘હાર્મ રિડક્શનિસ્ટ’ તરીકે ઓળખાવે છે. ચાવેઝની કવિતાઓમાં એક અર્થ ઊઘાડતાં બીજો ને બીજો ઊઘાડતાં ત્રીજો હાથ લાગે છે. અર્થના પડળો અને એમાંથી જન્મતું ભાતીગળ કેલિડોસ્કોપિક વૈવિધ્ય એ એમની લાક્ષણિક વિશિષ્ટતા છે. કોલરિજની બહુખ્યાત ‘ધ એન્શન્ટ મરિનર’ કવિતાની સામે ચાવેઝ ‘નોટ સો એન્શન્ટ મરિનર’ લઈ આવે છે અને પુરુષોના ઈજારા બની ગયેલ દરિયાઈ ખેપો અને દરિયાની વાર્તાઓ સામે નૌકાના સ્ત્રીત્વનું સજીવીકરણ કરીને સ્ત્રીઓના સક્રિય અવાજને બુલંદ કરે છે. હોઝે એન્જલ આરાગુઝ લખે છે, ‘એમની કવિતાઓમાંથી અસંતોષ/નિરાશાનો સૂર એક વિષયના રૂપમાં પુનરાવૃત્ત થતો રહે છે પણ એ પરિત્યાગ તરીકે નહીં પરંતુ રહસ્યોદ્ઘાટનના ઈંધણ સ્વરૂપે.’ અલગ-અલગ પ્રાણીઓને કેન્દ્રમાં રખીને લખેલી એમની કવિતાઓમાંથી નનાવિધ માનવભાવો ઉજાગર થાય છે. ચાવેઝ કહે છે: ‘જે વસ્તુઓનો આપણે અનુભવ કરી લીધો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકતાં નથી. આપણે અનુભવ્યું હોય એને વણ-અનુભવ્યું કરી શકતાં નથી, ખરાબ પરિસ્થિતિઓ કાયમ ટકતી નથી… અને એટલે જ કળા એક ભેટ સમી લાગે છે, એ બીજી તરફ પહોંચવાના માર્ગ સમી લાગે છે. કળાની મદદથી, આપણે જખ્મોમાંથી સમજણ સર્જીએ છીએ અને આપણે તકલીફોમાં ઘડી ભર પણ ડૂબી રહેતાં નથી.’

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા’ કવિતા સ્ત્રીશોષણ અને એની સામે અવાજ ઊઠાવતી વિદ્રોહી સ્ત્રીના બુલંદ અવાજની કવિતા છે. કવિતાનું શીર્ષક પ્રચલિત લોકકથા ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ’ પરથી સીધું લેવાયું હોવાથી એનો અનુવાદ અનુચિત જણાય છે. પણ આ લોકકથા મજાની છે. યુરોપીય ખંડના દેશોમાં દસમી સદીના ફ્રેન્ચ ખેડૂતો અને ચૌદમી સદીના ઇટાલિઅન ખેડૂતોથી લઈને સામાન્યજનમાં પ્રચલિત આ લોકવાર્તાના સેંકડો ભાષામાં અનુવાદો થયા છે અને સમયાંતરે અનુવાદકોએ વાર્તાના મૂળ સ્વરૂપમાં પણ યથામતિ ફેરફારો કર્યે રાખ્યા છે. સત્તરમી સદીમાં ફ્રેંચ લેખક ચાર્લ્સ પેરોલ્ટે આ કથાનું સૌપ્રથમ મુદ્રિત સ્વરૂપ રજૂ કર્યું. પ્રચલિત ગ્રીમ ભાઈઓના જર્મન સંસ્કરણ મુજબ એક નાની છોકરીને એના દાદી લાલ રંગનો એક કાનટોપીવાળો ઝભ્ભો આપે છે. એ જમાનામાં ઘોડેસવારી (રાઇડિંગ) કરતી વખતે સ્ત્રીઓ ઝભ્ભાની પાછળના ભાગે જોડાયેલ રહી માથું અને ગરદન ઢાંકે એવી કાનટોપી સહિતનું જે વસ્ત્ર પહેરતી એ રાઇડિંગ હૂડ તરીકે ઓળખાતું હતું. છોકરીને આ હૂડ એટલું ગમી ગયું કે એ કદી એને ઉતારતી જ નહીં એટલે એનું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ પડી ગયું. એની મમ્મી એમના ઘરથી થોડે જ દૂર જંગલમાં રહેતાં બિમાર વૃદ્ધ દાદીમાને બેકિંગ-ડે પર બનાવેલી કેક તથા શરાબ આપી આવવા મોકલે છે. સાથે જ મા સહજ સૂચના આપે છે, કે ભૂલેચૂકેય રસ્તા પરથી આડીઅવળી ચાલીશ નહીં અને સીધી જ દાદીમાના ઘરે જજે. નાકની દાંડીએ ચાલી જતી છોકરીને જોઈને વરુ લલચાય છે. એ એને જંગલના સૌંદર્ય તરફ ધ્યાન આપવા લલચાવે છે. છોકરી બાળસહજ લલચાય છે અને દાદીમા માટે એક પછી એક ફૂલો ભેગાં કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ દરમિયાન છોકરીએ આપેલી નિશાની મુજબ વરુ દાદીમાના ઘરે પહોંચી જઈને દાદીમાને ખાઈ જઈ એમનાં કપડાં અને ટોપી પહેરીને પથારીમાં સૂઈ જાય છે. છોકરી મોડી મોડી દાદીના ઘરે આવે છે ત્યારે વરુ એના ગુડ મૉર્નિંગનો પ્રત્યુત્તર આપતો નથી. અને છોકરીને પણ ખાઈ જાય છે. પેટ ભરાઈ જતાં એને ઊંઘ આવી જાય છે ને એના નસકોરાં સાંભળીને એક શિકારી ત્યાં આવી ચડે છે અને વરુનું પેટ ચીરીને દાદીમા તથા લિટલ રેડ રાઇડિંગ હૂડને જીવતાં બહાર કાઢે છે.

આ વાર્તાના અન્ય ઘણાય સંસ્કરણો પણ છે, જેમ કે એવી વાર્તા પણ છે જેમાં વરુ દાદીમાના લોહીમાંસને રહેવા દે છે અને પૌત્રી અજાણતામાં એ ખાઈને નરભક્ષી બને છે. વાર્તાનો બોધપાઠ એ છે કે બાળકીઓએ અને વધુ વિસ્તૃત અર્થમાં સ્ત્રીઓએ ‘પુરુષપ્રધાન’ સમાજે જે ચીલો ચાતરી આપ્યો છે એના પર જ ચાલવું જોઈએ અને અજાણ્યા ‘વરુઓ’ સાથે ઘરોબો કેળવવાથી દૂર રહેવું જોઈએ. રાતનું વરુ રાતી થતી સાંજને ગળી જાય, સૂર્યના રાતા ગોળાને રાત ગળી જાય, ગ્રહણ નામનું વરુ ચંદ્રને ગળી જાય અને સૂર્ય એના કિરણોની બંદૂકથી એને છોડાવે કે કિશોરી માસિકધર્મમાં આવીને યુવતી બને છે એવા તો સેંકડો અર્થઘટનો આ કથાના કરાયા છે. જાતિય પરિપક્વતાની કથા તરીકે પણ ઘણા આને જુએ છે. લાલ હૂડને સ્ત્રીનું યોનિપટલ અને વરુને એ માટેનો ખતરો ગણાવતાં અર્થઘટન પણ થયાં છે. આધુનિક યુગના નારીવાદીઓએ આ વાર્તાને સ્ત્રી-સશક્તિકરણવાળા અંત પણ આપ્યા છે. આપણે ત્યાં પણ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’વાળી પરીકથાઓના નવા સંસ્કરણ જોવા મળે છે. કંગના રણૌત અભિનિત ‘ક્વીન’ ફિલ્મમાં નાયિકાના અનાધુનિક દેખાવના કારણે એને નકારી દેવાતાં નાયિકા એકલી હનીમૂન મનાવવા વિદેશ ઉપડે છે અને પોતાની જાતને મળે છે, મેળવે છે અને બદલાયેલી નાયિકાને પુનઃપ્રાપ્ત કરવાની મંસા રાખતા નાયકને સગાઈની વીંટી પરત કરી દે છે. આ અંત આજની નારીએ લખાવેલો અંત છે.

સમાજના પ્રસ્થાપિત બંધનોને ફગાવનારી નારીની વાત કરતી હોવાથી પ્રસ્તુત રચના સ્વાભાવિકપણે અછાંદસ પ્રકારની કાવ્યરચના છે, જે છંદ, પ્રાસ કે નિયત પંક્તિસંખ્યાના નિયમો ઉવેખીને આગળ વધે છે. કવયિત્રીએ મોટાભાગે એક અને બેથી લઈને એકાદ જ જગ્યાએ ત્રણ અને ચાર પંક્તિઓના વિભાગોમાં કવિતાને વિખેરી નાંખી છે. આમ કરીને કવિતાને એક restless shape (બેચેન આકાર) આપવામાં તેઓ સફળ થયાં છે. ઘણીવાર મોટા પુસ્તકની સાથે પુરવણી જેવી માર્ગદર્શિકા કે સહાયક પુસ્તિકા બહાર પાડવામાં આવતી હોય છે. શીર્ષકમાં જે કથાના આત્માને એમણે આજના જમાનાનો દેહ આપવાનું કામ કરવા ધાર્યું છે, એ પ્રચલિત લોકકથાના નામની સાથે સ્લેશ (/) મૂકીને ચાવેઝે ‘સહાયિકા’ ઊમેર્યું છે, જે પરથી સમજી શકાય છે કે કવયિત્રી સદીઓથી ચાલી આવતી લોકકથાના સંદર્ભે કોઈક બીજી વાત કરનાર છે. પરિણામે જે ભાવક આ લોકકથાથી પરિચિત છે, એની કવિતા વાંચવાની જિજ્ઞાસા બેવડાય છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે એ સત્ય અહીં પ્રકાશિત થાય છે.

કાવ્યારંભે ચાવેઝ એક અભિલેખ મૂકે છે જે ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ’નામના ડૉ. ક્લેરિસા પિન્કોલા એસ્ટિસના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. સમાજ જેને જંગલી પ્રકારની સ્ત્રી ગણે છે એમની વાર્તાઓ અને દંતકથાઓ આ પુસ્તકમાં સમાવાઈ છે. આ પુસ્તકમાં ક્લેરિસા દુનિયાભરની પ્રચલિત પરીકથાઓ અને દંતકથાઓનું વિશ્લેષણ કરી સ્ત્રીપ્રધાન અને સ્ત્રીસ્વાતંત્ર્યના આયામો ચકાસે છે. વરુના સ્વભાવગત લક્ષણો જેવાં કે, ઉગ્ર વફાદારી, સહજતા, સંવેદનશીલતા, અને જંગલિયત અને આ કથાઓની નાયિકાઓના લક્ષણો વચ્ચેનું સામ્ય એમનો મુખ્ય પ્રયાસ છે. સમસામયિક સ્ત્રીના ચશ્માંમાંથી તેઓએ જંગિઅન મનોવિજ્ઞાનને જોવાનું કામ કર્યું છે. સ્ત્રીઓએ નિર્ણાયક નહીં બની શકે એ પુરુષપ્રધાન સમાજમાં પ્રચલિત ધારાની સામે તેઓ બુલંદ અવાજ ઊઠાવે છે. આવા સાવ અલગ ભાત ધરાવતા પુસ્તકમાંથી ચાવેઝ જે અવતરણ ટાંકે છે એ છે: ‘અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.’

અહીં વાતની અને કવિતાની, બંનેની શરૂઆત ‘અને’થી થાય છે. મતલબ ચાવેઝ કોઈ નવી વાત નહીં, અગાઉ ક્યારેક પ્રારંભાયેલી કોઈક વાતનું અનુસંધાન જ કરવા માંગે છે એમ સમજાય છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસ્વાતંત્ર્યતાનું આ કામ તો વર્ષોથી, પેઢીઓથી, અને કદાચ સદીઓથી ચાલતું જ આવી રહ્યું છે. અધૂરી વાત સાથે છેડા જોડ્યા બાદ ‘અન્ય સ્ત્રીઓ’નો ઉલ્લેખ આવે છે, જે નિર્દેશે છે કે આ વાત કેટલીક સ્ત્રીઓની છે, બધાની નહીં. મોટાભાગની સ્ત્રીઓ તો સમાજે ચાતરેલા ચીલા પર ચાલી લેવામાં જ જીવનનું સાફલ્ય સમજી બેઠી હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ છે જે પોતાનો રસ્તો પોતે નક્કી કરવામાં માનતી આવી છે, માને છે અને માનતી રહેશે. સમાજે ગળામાં બાંધેલ કોલર કે ગળપટ્ટામાંથી એકાદ-બે ક્ષણો પણ જે સ્ત્રીઓ છટકી જઈ શકી હતી અને જેમના માથે પુરુષપ્રધાન સમાજે ‘ખરાબ’નું લેબલ ચોડી દીધું હતી એવી સ્ત્રીઓની વાત આ કવિતામાં આવનાર છે એમ ક્લેરિસાના પુસ્તકમાંથી અભિલેખ તરીકે ટાંકવામાં આવેલ આ અવતરણ આપણને કહે છે. સરળ અને સહજ દૃષ્ટિએ જોઈએ તો શીર્ષક તથા કાવ્યારંભે આવતાં ‘અને’ને જોડી દઈએ તો ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ અને એ અન્ય સ્ત્રીઓ જે…’ એમ વાક્ય સંપૂર્ણ થાય છે. અને એ રીતે ચાવેઝ શીર્ષકનાયિકાની સાથે સમાજની એ તમામ સ્ત્રીઓને સાંકળી લે છે, જે પોતાની પાંખે ઊડવા માંગે છે.

નાયિકા કહે છે, રહસ્યે એની મજ્જામાં ઘર કરેલું છે. ખરી વાત છે. સ્ત્રીથી મોટું બીજું કયું રહસ્ય આ સંસારમાં સર્જાયું હશે? સ્ત્રીનો પાર પામતાં તો દેવોનેય પરસેવો પડી જાય. નાયિકા સ્ટ્રિપટીઝ ડાન્સર છે. પશ્ચાત્ય દેશોમાં ઘણી ક્લબ કે બાર-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના મનોરંજન ખાતર એક કે એકાધિક સ્ત્રીઓ નૃત્ય કરતાં કરતાં પોતાનાં કપડાં લયાત્મક રીતે એક પછી એક ઉતારતી જાય અને અંતે બિલકુલ નિર્વસ્ત્ર થઈને કામુક નૃત્ય રજૂ કરે છે. નગ્ન નૃત્ય કરતી આ સ્ત્રીઓ ગ્રાહકોના ઈશારે એમના ખોળામાં ચડી જઈને પણ અંગભંગીઓ રજૂ કરે છે. નૃત્યાંગનાઓ ગ્રાહકના શરીરને સ્પર્શી-ચૂમી શકે છે પણ ગ્રાહકોને એમના શરીરને –ખાસ કરીને ઊઘાડાં જાતીય અંગોને- હાથ લગાડવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીદેહનો આ નગ્ન નજારો જોનારાંઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કેટલીક ક્લબોમાં સ્ત્રીગ્રાહકોને આકર્ષવા માટે પુરુષો પણ આ પ્રકારનું નૃત્ય કરતા હોય છે. નાયિકા જાહેરમાં વસ્ત્રો ઉતારતાં જતાં પગના અંગૂઠા પર બેલે ડાન્સરની જેમ ગોળ-ગોળ ફરતી હોય છે ત્યારે જોનાર પુરુષોને એનામાં પોતાનો ‘શિકાર’ નજર આવે છે. કેટલીક ક્લબોમાં ગ્રાહક પોતાને ગમી ગયેલી નૃત્યાંગનાને ભોગવવા માટે માલિક સાથે સોદો પાડે છે. નાયિકા સ્ત્રી હોવાની મજબૂરીની પરાકાષ્ઠા રજૂ કરતાં કહે છે કે એ આ નૃત્ય પત્યા બાદ ‘ભોગવાવું’ કોને કહેવાય તે આપણને બતાવી શકશે. પાશાગીરી અને પોપત્વ ઊભા થઈ ચારેતરફ સતત છંટકાવ કરે છે. સરકારી ખાતામાં કે સેનાદળમાં ઉચ્ચાધિકારીની પદવી ભોગવનાર પાશા કહેવાય છે. જે સ્થાન પાશાનું સામાન્ય સમાજમાં એ જ સ્થાન પોપનું ખ્રિસ્તી ધર્મમાં. ધર્મસ્થાન અને સમાજમાં ઊંચુ સ્થાન ભોગવનાર અધિકારીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી. અને નાયિકા કહે છે, કે લખી લો તમે, કંઈ પણ થાય, સ્ત્રીઓનો સ્વાદ માણતા એ લોકોને અંતે તો તમે આછા ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા જ પામશો. એમની શોષણગાથાઓ ધુમ્મસમાં ઢંકાયેલી-છૂપાયેલી જ રહેવાની છે. એ લોકો કદી બેનકાબ થશે જ નહીં. અંગ્રેજી કવિતામાં come to gush શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં comeનો એક અર્થ પરાકાષ્ઠાએ વીર્યસ્ખલન થવું પણ થાય છે. ગુજરાતીમાં come યાને ‘આવવું’નો આવો બીજો અર્થ સંભવ ન હોવાથી ઉત્તેજનાના સંદર્ભમાં ‘ઊભા થવું’ પ્રયોજાયું છે.

કવિતા અહીંથી વળાંક લે છે. જે લોકકથાને ધ્યાનમાં રાખીને એ લખાઈ છે, એ કથા અહીંથી કવિના કથનમાં ભળે છે. એ કહે છે, એ જાતીય શોષણકર્તાઓ એ વાતથી અજાણ છે કે નકાબની પાછળ જે પથારીમાં તેઓ વરુ બનીને સ્ત્રીને ભોગવી રહ્યા છે એ સ્ત્રી પોતે જ વરુ છે. વરુની જેમ આ સ્ત્રી વફાદાર તો ખરી પણ ખતરનાક પણ ખરી. શિકાર થઈ રહી છે, પણ શિકાર કરવા માટે સક્ષમ પણ છે. પોતાની રચનાઓમાં પ્રાણીઓના સ્થાન વિશે કવયિત્રી કહે છે: ‘પ્રાણીઓ હંમેશા મારા કામમાં ખાસ્સા નોંધપાત્ર જ રહેવાના. મારી પાસે એક ભીતર એક જાનવર છે, જે રીતે કેટલાક લોકોની ભીતર એક બાળક હોય છે. મોટા ભાગની આ દુનિયા જંગલી છે, બેકાબૂ છે, અદભુત છે.’

નાયિકા પોતાને તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલોમાં પાંદડાની મધ્યશિરા, બૂટ અને ધાર પર શોધવા માટે આહ્વાન આપે છે. અમેરિકાના લુઇઝિઆના રાજ્યમાં મુખ્યત્વે કળણ વિસ્તારોમાં તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલો ફેલાયેલાં છે. આ વૃક્ષોના થડ નીચેથી ખૂબ પહોળાં હોય છે જેથી કાદવમાં સંતુલન જળવાયેલું રહે અને ૧૦૦ ફૂટથીય ઊંચા વધે છે. આ વૃક્ષોને ચીરીને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોવાથી આ વૃક્ષોની છાયામાં મર્યાદિત જાતિના ફૂલો ઊગે છે. જીવનપ્રકાશ પહોંચવો દુષ્કર હોય એવા ગાઢ જંગલોમાં પુરુષોએ સ્ત્રીઓને મૂકી દીધી છે, જેથી એમનો બહુઆયામી અમર્યાદિત વિકાસ સંભવે જ નહીં. પણ સ્ત્રીને પાંદડાની જેમ મસળી-ચીરી નાંખનાર પુરુષોને સ્ત્રી ચેતવણી આપે છે. એ કહે છે, પાંદડાનો કોઈપણ ભાગ હું હોઈ શકું છું અને પાંદડાં સુદ્ધાંને પણ દાંત હોઈ શકે છે, જે તમને વરુની જેમ ફાડી ખાઈ જઈ શકે છે. સાવધાન! લોકકથાના એક સંસ્કરણમાં વરુ છોકરીને દાદીનું લોહી-માંસ ખવડાવી અજાણતાં માનવભક્ષ કરાવે છે, એની યાદ કરાવતાં નાયિકા સમાજના ઠેકેદારોને ફરી ચેતવે છે.

વરુની જેમ પોતાનું ભક્ષણ કરવા તત્પર પુરુષોના ગાઢ-અંધારા જંગલોની વચ્ચે લિટલ રેડની જેમ નાયિકા પોતાને ચીંધવામાં આવેલો રસ્તો છોડીને દરેક પ્રકારના જંગલી ફૂલોને વીણી રહી છે. એ પોતાનો માર્ગ જાતે પ્રશસ્ત કરી રહી છે. પુરુષોએ જ સર્જેલ પુરુષવાદી માળખાંઓ સમાજમાં સ્ત્રીઓનો સતત ન્યય તોળતાં આવ્યાં છે. તેઓ સ્ત્રીઓનું ‘સારી’ અને ‘નઠારી’માં વર્ગીકરણ કરે છે. સ્ત્રીઓ માટે નીતિનિયમોનું સર્જન કરે છે અને પોતે બનાવેલ આચારસંહિતાઓ એમના માથે ‘તમારા જ ભલા માટે છે’ કહીને થોપે છે. સ્ત્રીઓના વિચારમાત્રથી પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાને કઈ રીતે સંતોષવી એની તાકમાં જ રહે છે. જેમ વરુ લિટલ રેડને ફસાવે છે એ જ રીતે પુરુષો સ્ત્રીઓને યેનકેન પ્રકારે ફસાવવાની અને પોતાની જાતીય વૃત્તિઓ સંતોષવાની, પંપાળવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહે છે. ચાવેઝની આ કવિતા સ્ત્રીઓના યૌનશોષણ, અન્યાય અને અસમાનતા વિરુદ્ધ ઊઠેલ અત્યંત શક્તિશાળી અવાજ છે. સ્ત્રીઓના દમનના કારણો અને પદ્ધતિઓ ઉપર આ કવિતા પ્રબળ કુઠારાઘાત છે. આ કવિતા ઊંચુ નિશાન તાકે છે અને ઊંડો ઘા કરે છે….

ગ્લૉબલ કવિતા: ૧૧૬ : આંસુ – ઉશનસ્

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું!


એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!

– ઉશનસ્

મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે? બોલો ને ભાઈ !

              આંસુ. આમ જોઈએ તો એક ટીપું જ માત્ર. એનું આયુષ્ય પણ કેટલું? આંખમાંથી સર્યું નથી કે ખતમ. આંગળીનું ટેરવું પણ આખું ભીનું ન કરી શકે એવા નાનેરા આંસુમાં જો કે દુનિયા આખી ડૂબી જાય છે. પહાડ સમા કઠોર નિર્ણયોને પીગાળી નાંખવાની તાકાત આંસુ ધરાવે છે. આંસુએ તો ઇતિહાસ રચ્યા છે અને બદલ્યા પણ છે જગ આખાના. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા હોય છે તો ક્યારેક કાંટા જેવા નઠોર, તીક્ષ્ણ. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ કાઢી દેતા મોતી સમા મૂલ્યવાન હોય છે તો ક્યારેક સમજણના બારે વહાણના બેડાં ગરકાવ કરી દેનાર હોય છે. ક્યારેક એ બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદીની નદી સમા. ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે, પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ઉપર લખાયેલી સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા  કઈ એમ કોઈ પૂછે તો કદાચ ઉશનસની આ કવિતા જવાબમાં સામે ધરી શકાય.

               ‘ઉશનસ્.’ નટવરલાલ પંડ્યા. બીજું ઉપનામ ‘આરણ્યક.’ જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના રોજ. ગૌડ બ્રાહ્મણ. માતા લલિતાબહેન. પિતા કુબેરભાઈ રણછોડભાઈ પંડ્યા. ચાર ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. રાશિ મુજબનું નામ ચંદ્રકાન્ત પણ ક્યારે નટવર નામ પડી ગયું એ કવિનેય યાદ નહોતું. બાળપણ વીત્યું રુદ્રમાળના ખાંચામાં. મહેસાણા, સિદ્ધપુર, સાવલી, ડભોઈ, વડોદરા એમ અલગ-અલગ ગામ-શહેરોમાં પ્રાથમિક વિદ્યાભ્યાસ. અભ્યાસ ગુજરાતીમાં બી.એ., સંસ્કૃતમાં એમ. એ., ટીચિંગ ડિપ્લોમા અને હિન્દીમાં કોવિદ. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન એક વર્ષ કોલેજ છોડી દીધી હતી. ૧૯૩૯માં કાલોલના શિવશંકર ભટ્ટની દીકરી શાંતા સાથે લગ્ન. ત્રણ દીકરીઓના પિતા બન્યા. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક અને આકાશવાણીમાં ‘નભોવાણી’ના તંત્રી. નવસારીની ગાર્ડા કોલેજમાં ૧૯૪૭થી ૫૭ સુધી અધ્યાપક રહ્યા બાદ વલસાડને કર્મભૂમિ બનાવી. ૧૯૫૭થી આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપક અને ૧૯૬૮થી શરૂ કરી ૧૯૮૦માં આચાર્યપદેથી નિવૃત્ત થયા. ૧૯ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’માં પ્રગટ થયું અને ૩૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન.’ દોઢ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો આપ્યા. ઉશનસની કવિતા અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. પણ સાથોસાથ ગાંધીયુગની કવિતા સાથે પણ તાલમેલ ધરાવે છે. કવિ ઉપરાંત તેઓ સમર્થ વિવેચક, ચરિત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર પણ હતા. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. આ સિવાય અસંખ્ય પારિતોષિકોથી સન્માનિત થયા. નિધન ૦૬-૧૧-૨૦૧૧ના રોજ વલસાડ ખાતે.

              કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. કવિતાને તેઓ એક જાતનું Home coming ગણતા હતા. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. એમની કવિતાઓ પર કાલિદાસ, રવીન્દ્રનાથ, શેક્સપિયર જેવા મહાકવિઓ ઉપરાંત ગાંધીજી, વિનોબા જેવી વિભૂતિઓ અને ઉમાશંકર, બ.ક.ઠાકોર, સુન્દરમ્ જેવા પંડિતયુગ અને ગાંધીયુગના કવિઓનો પ્રભાવ જોવા મળે છે. પણ અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને બે-ચાર ગઝલો નહીં, આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો. ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે. જો કે ગઝલ અને કંઈક અંશે ગીત એમને જોઈએ તેવા હસ્તગત થઈ ન શક્યા, ગઝલ તો ખાસ. ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે એમના વિપુલ સર્જનમાંથી ગઝલ કહી શકાય એવી રચના શોધવું કપરું થઈ પડે છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે: ‘ગુજરાતી કવિતામાં ઉશનસની કવિતા વૈપુલ્ય અને વૈવિધ્યથી તો જુદી તરી આવે છે, પણ સવિશેષ જુદી તરી આવે છે એમની ભાષાથી. ઉશનસે કાવ્યનાં અજમાવી શકાય એટલાં બધાં જ સ્વરૂપો અજમાવ્યાં છે. એમની કુંડળીમાં સૉનેટનો ગ્રહ સૌથી પ્રબળ. ઉશનસની કલમ પોતાના વ્યાપમાં અનેક વિષયોને સમાવી લે છે. એમની કવિતામાં જનમપૂર્વેનું કોઈ વિરહનું દર્દ છે અને એમના શબ્દોમાં સંભળાય છે ‘માટીનો ડૂમો.’ કવિએ જીવન અને જગતને છેક છેડા પરથી નહીં પણ મધ્યમાં રહીને સમતોલ દૃષ્ટિથી જોયું છે. ઉશનસ્ એટલે ‘લૂંટવ્યું એટલી લ્હાણ’નો કવિ.’ ધીરુ પરીખ એમને સિસૃક્ષાનો પાતાળઝરો કહી ઓળખાવે છે.  

              પોતે ‘ઉશનસ્’ ઉપનામ શા માટે પસંદ કર્યું એ વિશે કવિએ જાતે કહ્યું હતું: ‘એ જમાનો જ ઉપનામ રાખવાનો હતો. એનાથી પ્રેરાઈને મેં પણ એંક ઉપનામો વિચારેલાં, પરંતુ જ્યારે ‘ગીતા’માં कवीनाम् उशना कविः વાંચ્યું ત્યારે ‘ઉશનસ્’ ઉપનામ ગમી ગયું, રાખી લીધું.’ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ પોતાનો પરિચય આપતાં અર્જુનને ‘કવિઓમાં હું ઉશના કવિ છું’ એમ કહે છે ત્યારે એ પ્રખર વિચારક, પ્રચંડ મેધાવી અને કુશાગ્ર રાજનીતિજ્ઞ અને અસુરોના ગુરુ એવા શુક્રાચાર્યની વાત કરે છે. ‘ઉશનસ્’ ઉપનામના મૂળ વિશે વિચારીએ ત્યારે કવિની પ્રજ્ઞા કેવી હશે એનો પણ ખ્યાલ મળે છે. ડૉ. અશ્વિન દેસાઈના મતે ‘ઉશનસ્’નો કોશગત અર્થ ભલે ગમે તે હોય પણ, કવિના કાવ્યકોશમાં ‘ઉશનસ્’નો અર્થ થાય છે –વ્યાકુલ વૈષ્ણવ.       

              કવિએ પ્રસ્તુત સૉનેટ માટે વસંતતિલકા છંદ પ્રયોજ્યો છે, જે ૧૪ અક્ષરનો અખંડ રૂપમેળ છંદ છે. ગણ ત, ભ, જ, જ + ગા ગા છે અને લગાત્મક બંધારણ ગાગાલગા લલલગા લલગા લગાગા છે. આઠમા અક્ષરે યતિ આવે છે. બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ આ શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, જેમાં ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક મળીને ચૌદ પંક્તિ બને છે અને abba cddc effe gg પ્રકારની ચુસ્ત પ્રાસયોજના પ્રયોજવામાં આવી છે. ગુજરાતી સૉનેટોમાં ચુસ્ત પ્રાસરચના બહુ ઓછા કવિઓ સફળતાપૂર્વક કરે છે. કવિની ભાષા પરની હથોટી કેવી મજબૂત હશે એ આના પરથી સમજી શકાય છે. કવિતાનું શીર્ષક ‘આંસુ’ સ્વયંસ્પષ્ટ છે. શીર્ષક વાંચતા જ એક ભાવચિત્ર નજર સમક્ષ આવી ઊભે છે.

              આંસુ આમ તો લાગણીની અભિવ્યક્તિની એક ભાષા જ છે, પણ એ આંખોની તંદુરસ્તી માટે પણ એ અનિવાર્ય છે. સજીવજગતમાં માત્ર મનુષ્યની આંખમાંથી જ આંસુ ટપકે છે એમ કહેવાય છે. અશ્રુગ્રંથિઓમાં મૂળભૂત આંસુ (બેઝલ ટિઅર્સ) નિરંતર બનતાં રહે છે, જે આંખમાં આવ્યે રાખે છે પણ આંખ ભીની રાખવા માટે જરૂરી પ્રવાહીથી વિશેષ બનેલું પ્રવાહી આંખ અને નાક વચ્ચેની નળી (નાઝો-લેક્રિમલ ડક્ટ) વાટે ગળાના પાછળના ભાગેથી થઈ પેટમાં ઊતરી જાય છે, એટલે આપણને આંસુનું એકધારું ઉત્પાદન વર્તાતું નથી, સિવાય કે રડવા બેસીએ. આ આંસુ દરેક પલકારા સાથે આંખોને ધોઈને સાફ કરે છે, અને સતત ભીની રાખે છે. આ આંસુમાં બેક્ટેરિયા સામે લડનાર તત્ત્વ હોય છે, જે સારી દૃષ્ટિ માટે અનિવાર્ય છે. પવન, ધુમાડા કે કાંદો કાપતી વખતે આવતાં આંસુ પ્રતિક્ષિપ્ત આંસુ (રિફ્લેક્સ ટિઅર્સ) કહેવાય છે અને જો કે લાગણીના કારણે આવતા આંસુ (ઇમોશનલ ટિઅર્સ)નું રાસાયણિક બંધારણ અલગ હોય છે. એમાં પ્રોટીન-યુક્ત અંતઃસ્ત્રાવોની માત્રા વધુ હોય છે. લાગણીશીલ બનીને રોવાથી તન અને મન –બંનેને લાભ થાય છે. આ આંસુ મન શાંત કરે છે અને આવેશને ઠંડો પાડે છે. આસપાસના માણસો તમને સહારો આપવા પ્રેરાય છે. રડવાના કારણે શરીરમાં ઓક્સિટોનિન અને એન્ડોર્ફિન ઉત્પન્ન થવાથી દર્દ ઓછું અનુભવાય છે. તણાવ ઘટે છે અને મૂડમાં સુધારો અનુભવાય છે. ઊંઘ પણ સારી આવે છે. મોટાભાગના સમાજમાં સ્ત્રીઓ અને બાળકોના આંસુઓ સહજ સ્વીકારાયાં છે પણ પુરુષોનું રડવું અજુગતું ગણાય છે. કેટલાક લેટિન વિસ્તારોમાં પુરુષોનું રૂદન પણ સામાજિક સ્વીકૃતિ પામ્યું છે. પ્રાચીન ગ્રીક કથાઓમાં શિકારને લલચાવવા માટે મગર ખોટાં આંસુ સારતાં હોવાની વાતો આવે છે, જેના પરથી કોઈ ખોટેખોટું રડતું હોય એને આપણે ‘મગરનાં આંસુ’ કહીએ છીએ.

              જો કે આંસુઓની કવિતામાં કંઈ નવું અને મૌલિક નથી. હજારો વર્ષોથી દુનિયાભરના તમામ ભાષાઓના તમામ કવિઓના ઊર્મિકાવ્યોમાં પ્રેમીઓના આંસુઓ અત્યંત છૂટથી અને કવચિત્ તો કંટાળો આવી જાય એ હદે વહેતાં જ આવ્યાં છે ને વળી વહેતાં જ રહેવાનાં છે. હૉમરના ‘ઑડિસી’માં ઑડિસિયસ મૃત્યુશય્યા પર એની માતાને ભેટવા માંગતા ખારાં આંસુઓથી મળતી રાહત ચાખવાની વાત કરે છે. જોન ડનનું અમર કાવ્ય ‘અ વેલિડિક્શન: ઑફ વિપિંગ’ પણ અવશ્ય યાદ આવે. જોન કહે છે કે છૂટાં પડતાં પહેલાં મને રડવા દે, જેથી મારા આંસુ પર તારો ચહેરો છપાઈ જાય અને સાધારણ રીતે વેડફાઈ જવા સર્જાયેલા આંસુ ‘સિક્કા’ બનીને બહુમૂલ્યવાન બની જાય. ગર્ભાશય જેવો આકાર ધરાવતા આંસુ એ પછી પ્રિયાની છાપથી ‘ગર્ભવતાં’ બને છે, દુઃખભર્યાં ‘ફળ’ બને છે, ‘પૃથ્વી’ બની રહે છે, અને અંતે ખારા સમુદ્રની ‘ભરતી’ બને છે, જે પ્રિયાના ચંદ્રથીય અદકેરા ચહેરાને લઈને તોફાને ચડે છે અને નિઃસાસાનો શ્વાસ નાયકને ડૂબાડવા માટે કારણભૂત બની રહેશે એવો અંદેશો કવિ વ્યક્ત કરે છે. ‘મેઘદૂત’માં કાલિદાસ પણ બહુ અદભુત વાત કરે છે:

              मत्संभोग: कथमुपनयेत्स्वप्नजोऽपीति निद्रा-

              माकाङक्षन्तीं नयनसलिलोत्पीडरुद्धावकाशाम्॥ (ઉત્તરમેઘ: ૩૦)

               (કોઈક રીતે સ્વપ્નમાં પણ મારી સાથે સમાગમનું સુખ મળી જાય એ માટે તે ઊંઘ ઇચ્છતી હશે પણ આંખોમાં ઊભરાતાં આંસુઓના કારણે ઊંઘ પણ આવતી નથી.)  

              આંસુની ખારાશ પકડીને કવિ કવિતા આદરે છે. આંસુને સમુદ્રનું લઘુત્તમ સ્વરૂપ ગણાવે છે. સમુદ્રનું જેવું લાવણ્ય છે, એવું જ આંસુનું પણ છે. લાવણ્ય શબ્દ લવણ યાને મીઠાં પરથી બન્યો છે. નામે મીઠું સ્વાદે ખારું છે પણ એના વિના બધી રસોઈ નકામી. સ્વાદનું ઐશ્વર્ય એ લવણનું સૌંદર્ય છે. પ્રામાણિક આંસુઓ અંદરથી આવે છે ને અંતરની સફાઈ કરે છે. પરિણામે રડતી વ્યક્તિ પર વધુ વહાલ આવે છે. માટે જ કવિ આંસુ અને સમુદ્ર વચ્ચેની ખારાશ અને સુંદરતાને લાવણ્ય વિશેષણથી જોડી આપે છે. સ્વાદ અને સૌંદર્ય પછી સમુદ્ર સાથેની આંસુની બીજી સમાનતા વડવાનલની છે. એવું માનવામાં આવે છે કે દરિયાના પેટાળમાં એક આગ ભભૂકી રહી છે. પુરાણોમાં લખ્યું છે કે વડવાનલ કે વડવાગ્નિ એ જળમાંનો પૌરાણિક અગ્નિ દેવતા છે. વડવા એટલે ઘોડી અને અનલ એટલે અગ્નિ. વડવાનલનું મોં ઘોડી જેવું અને શરીર અગ્નિના ભડકા-જ્વાળાઓનું બનેલું છે. સમુદ્રમાં રહીને વડવાનળ એનું જળશોષણ કરે છે. સમુદ્રમાં હોવા છતાં તે ઓલવાઈ જવાના બદલે સદા પ્રજળતો જ રહે છે. વડવાગ્નિ એ વરુણ (જળ) અને અગ્નિ વચ્ચેના મેળનો સંકેત છે. મનાય છે કે સમુદ્રના જળને પીને તે મળદ્વારે કાઢી નાંખે છે અને તે પાણી મીઠું થાય છે, જેને લાવીને મેઘ દુનિયામાં વૃષ્ટિ કરે છે. બૃહસ્પતિની પત્ની તારાના છ પુત્રોમાંનો એક પુત્ર તે આ વડવાનલ. વિભીષણે હનુમાન વડવાનલ સ્તોત્ર પણ રચ્યું છે, જે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. ‘કુમારસંભવમ્’ના સર્ગ ૮માં કાલિદાસ કહે છે: ‘ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु.’ સમુદ્રના પેટાળમાં રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ શાંત થતો નથી. આંસુની અંદર પણ એક આગ છે, જે આંખ આંસુઓ સાર્યે રાખે તોય બુઝાતી નથી. કવિ સરખામણીમાં હજી આગળ વધે છે. સમુદ્રમંથનની વાત આવે છે. વિષ્ણુના કૂર્માવતારમાં કાચબાની પીઠ ઉપર મંદરાચલ પર્વત મૂકીને ફરતે નાગરાજ વાસુકિને વીંટાળીને એક છેડેથી દેવો અને બીજે છેડેથી દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરે છે. પણ એ તો એક જ વારનું હતું. આંસુનું પેટાળ તાગવા માટે તો દેવો અને દાનવો યુગયુગોથી મથી રહ્યા છે પણ એનું ઘેરું તળ કોઈને હજીય હાથ ચડ્યું નથી… આમ જે આંસુને કાવ્યારંભે સમુદ્રનું લઘુત્તમ રૂપ કહી કવિ કાવ્યારંભ કરે છે એ સમુદ્રને માત્ર ચાર જ પંક્તિમાં આંસુનું લઘુત્તમ રૂપ બનાવી દે છે. આ છે કવિકર્મ! આ છે કવિતા!

              આંસુ સાવ નાનું ટીપું જ છે. નદીને કિનારો હોય, સાગરને, તળાવને કિનારા હોય પણ આંસુને કોઈ કિનારો નથી. પણ તોય એની પાર આજ લગી કોઈ ઊતરી શક્યું હોય એની જાણ નથી. આંસુને તમે આમથી તાગો કે તેમથી, એમાં અહીંથી ઝંપલાવો કે તહીંથી, જ્યાં જુઓ ત્યાં બધે જ તટહીન નરી મઝધાર જ છે. અહીં તો પ્રણયની પેઠે જ ‘ડૂબ્યા છે તે તર્યા સાચા પછી ભવપાર શા માટે’ (રઘુનાથ બ્રહ્મભટ્ટ) જેવી વાત છે. કવિ ફરી આંસુને સમુદ્રથી અદકેરું સ્થાન આપતાં કહે છે કે આંસુ એ ઘૂંટાયેલી ભરતીનું રૂપ છે. સમુદ્રમાં તો ભરતી આવે ને મોજાં કંઠાઓ ધમરોળી નાંખે પણ આંસુ તો ચુપચાપ ટપક્યે રાખે. ભીતર કેટલું ઘૂંટાઈ ભર્યું છે એની સામાને જાણ સુદ્ધાં થતી નથી. ‘પારકી થાપણ’ ફિલ્મમાં લતાના અમર કંઠે અવિનાશ વ્યાસના શબ્દો અમરત્વ પામ્યા છે: ‘આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી.’ કેવી સાચી વાત! ‘દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.’ પારદર્શક હોવા છતાં આંસુનું કારણ જોઈ શકાતું નથી અને આંગળીનું ટેરવુંય ડૂબી ન શકે એવું ટચૂકડું હોવા છતાં આંસુ આપણાં બારે બેડાં ગર્ક કરી શકવાની હિકમત ધરાવે છે. ભલભલી વ્યાકુળતા અને તોફાન આંસુમાં વિલીન થઈ જાય છે. આંખોના સમુદ્ર પર શમણાંની જે તરી બાઝે છે, એનુંય નામોનિશાન આંસુના સાગરમાં બચતું નથી. આપણી સમગ્ર ઇચ્છાઓ, જીવનભરના સપનાંઓ આંસુના વમળમાં ઊં…ડે ગરકાવ થઈ જાય છે. તરીનો એક અર્થ વહાણ, હોડી પણ થાય છે. સપનાંની હોડી આંસુમાં ડૂબી જાય છે એવો અર્થ પણ અહીં લઈ શકાય.

              કાવ્યાંતે કવિ કહે છે કે આંસુ અબોલ ઘન મૌન મુખે ધરીને બેઠું છે. મૌન ઘન એટલે કે ઘાટું, નક્કર, પોલાદી છે એમ કહીએ ત્યાં સુધી તો બરાબર છે પણ અબોલ મૌન? મૌન તો અબોલ જ હોય ને? ને જે અબોલ હોય એને મૌન જ કહેવાય ને? કે માત્ર છંદ સાચવવા માટે વપરાયેલ ભરતીનો શબ્દ ગણી શકાય આને? ના, કવિ મૌનને કદાચ એટલું સઘન બનાવવા માંગે છે કે જેમાં શબ્દનો લેશમાત્ર પણ અવકાશ હોઈ જ ન શકે. આંસુને મુખ આપીને કવિ સજીવારોપણ અલંકાર પ્રયોજે છે અને મુખને તો હોઠ અને ખુલે તો બોલ પણ હોવાના જ. બીજી બાજુ આંસુને હોઠ હોઈ જ ન શકેની વાસ્તવિક્તાનો તંતુ ઝાલીને બોલ જન્મવાની વૈજ્ઞાનિક અશક્યતાનો નિર્દેશ કરીને આંસુનું મુખ ખૂલે તોય એબો અવાજ અબોલ જ રહેનાર છે એમ કહીને મૌનની સઘનતાને ગાઢી બનાવી મૂર્તિમંત કરે છે. પણ રહો! આ અબોલ ઘન મૌન મુખ ધરાવતું આંસુ પાછું અબોલ તો છે જ નહીં. એના પેટમાં તો આખા જીવતરની ભાષા ભંડારાયેલી છે, એ તો આખેઆખો શબ્દકોશ ગળીને બેઠું છે… રડતા પ્રિયજનના આંસુના મુખેથી ઉચ્ચારાતા આ જીવનકોશને સાંભળવાના કાન તમારી આંખ પાસે હોવા જોઈએ, બસ!                   

              યશોધરા પ્રીતિ નામના એક કવયિત્રી आँसू માટે લખે છે કે युग बदलते है, कहानियाँ बदलती हैं, आँखे बदलती हैं, मैं शाश्वत हूँ| જગદીપ ઉપાધ્યાય લખે છે: ‘ફૂલો કોમળતા ડાળીની, માણસની કોમળતા આંસુ.’ ચિનુ મોદી તો આંસુ ઉપર ઇચ્છાના નખની નિશાની પણ ઉકેલી આપે છે. એક જ આંખમાંથી ટપકતાં આંસુ પણ અલગ-અલગ સમયે અલગ-અલગ અર્થ ધરાવે છે. એક જ કુળના હોવા છતાં બે સગી બહેનોના દીકરાઓ કવિ બને અને એક જ વિષય ઉપર કવિતા કરે ત્યારે કેવો ચમત્કાર થાય તે પણ જોવા જેવો છે. કવિશ્રી ઉશનસના મસિયાઈ ભાઈ જયન્ત પાઠકે પણ આંસુ ઉપર સૉનેટ રચ્યું છે. તેઓ કહે છે, આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવીએ. જયન્ત પાઠકનું ‘આંસુ’ માણીએ:

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

હું શું કરું ? – રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

(આભાર – લયસ્તરો)

ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ

Jenny kiss’d me

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry Leigh Hunt

જેનીએ મને ચૂમી લીધો

જેનીએ મને ચૂમી લીધો જ્યારે અમે મળ્યાં,

જે ખુરશીમાં બેઠી હતી એમાંથી ઊછળીને;

કાળ! ચોર! પસંદ તને છે તારી યાદીમાં

મીઠું બધું સમાવવાનું, આય નોંધી લે!

કહેજે કે હું થાક્યો છું, કહેજે કે છું ઉદાસ,

કહેજે કે સ્વાસ્થ્ય સંપત્તિ મને બેઉએ લખી વાળ્યો,

કહેજે કે હું વૃદ્ધ છું પણ ઉમેરજે આ ખાસ,

જેનીએ મને ચૂમી લીધો.

– જેમ્સ હેન્રી લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણનું મરણ કદી થતું નથી…

          સમયથી મોટો બાજીગર બીજો કોણ હોઈ શકે? સમય દરેક ‘છે’ને ‘હતું’માં ફેરવી દે છે. સમય ઉસ્તાદોનો ઉસ્તાદ છે. એ પળેપળ આપણને હમણાં જ જીવી લેવાયેલી પળથી દૂર કરતો રહે છે. યમનું રેઝર તો એક જ વાર ચાલે છે પણ સમયનું ઇરેઝર તો એકધારું ચાલતું રહે છે. જે ક્ષણમાં આપણે હાલ શ્વસી રહ્યાં છીએ એ ક્ષણ આપણને ગમે એટલી પ્રિય કે અપ્રિય કેમ ન હોય, સમય એને બીજી જ ક્ષણે વીતી ગયેલી ક્ષણમાં પલટી નાંખે છે. સમય એટલે જીવનના પ્રસંગો અને આપણી વચ્ચે સતત વધતું જતું અંતર. વહેતા પાણીને કે વહેતી હવાને પણ આપણે કદાચ અટકાવી શકીએ પણ વહેતા સમયને નાથવો શક્ય નથી. સમય ન માત્ર જિંદગીની ઘટનાઓ અને આપણી વચ્ચે અંતર વધારતો જાય છે, એ આપણને સતત એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે આપણે જીવનમાં ગમે એટલા ઊંચા શિખરે કેમ ન આરુઢ થયા હોઈએ, આપણી સિદ્ધિ, આપણી તાકાત, આપણી ક્ષમતા એટલી છે જ નહીં, જેટલી આપણે ધારી બેઠાં છીએ. સમયની આવી જ સર્વોપરિતા અને એની સામે નમતું નહીં મૂકવાની ક્ષમતાની વાત પ્રસ્તુત રચનામાં લે હન્ટ લઈ આવ્યા છે.       

          આખું નામ જેમ્સ હેન્રી લે હન્ટ. પણ સાહિત્યજગતમાં લે હન્ટ તરીકે જ વધુ પ્રખ્યાત. વિવેચક. પત્રકાર. નિબંધકાર. કવિ. જન્મ ૧૯-૧૦-૧૭૮૪ના રોજ સાઉથગેટ, લંડન ખાતે. અમેરિકાની આઝાદીની લડાઈ વખતે એના મા-બાપને અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ આવવાની ફરજ પડી હતી. આઠ સંતાનોમા તેઓ સાતમા પણ ઇંગ્લેન્ડમાં જન્મેલ પ્રથમ. પિતા અમેરિકામાં વકીલ હતા પણ ઇંગ્લેન્ડ આવીને પ્રખ્યાત ધર્મોપદેશક બન્યા. લક્ષ્મીકૃપાથી કાયમ વંચિત જ રહ્યા. પિતા ચાન્ડોસના ડ્યુકના ભત્રીજાને ભણાવતા, જેના નામ પરથી જ એમણે પુત્રનું નામ જેમ્સ હેન્રી લે પાડ્યું. બાળપણમાં એમને બોલવામાં તકલીફ હતી -જે આગળ જતાં સારી થઈ ગઈ હતી- એના કારણે અભ્યાસ માટે યુનિવર્સિટી ન જઈ શક્યા. ૧૭ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. પાછળ જતાં આ કવિતાઓ હન્ટને બાલિશ લાગી પણ માત્ર ત્રણ જ વર્ષમાં સંગ્રહની ચાર આવૃત્તિ બહાર પાડવી પડી એ હદે એ લોકપ્રિય થયો હતો. અખબારોમાં વિવિધ વિષયો પર લખવાનું આરંભ્યું. કવિ બાળપણમાં થોમસ ગ્રે અને વિલિયમ કોલિન્સના પ્રભાવ હેઠળ કવિતા કરતા. ઇટાલિઅન સાહિત્યની એમના પર ઊંડી અસર હતી. ૧૮૦૮માં ક્લર્કગીરી છોડીને ‘એક્ઝામિનર’ નામનું અખબાર બે હન્ટ ભાઈઓએ મળીને સ્થાપ્યું, તંત્રી બન્યા અને ખૂબ લોકપ્રિય થયા. એ જમાનામાં અખબારોની તાકાત ચરમસીમાએ હતી. પણ તત્કાલિન રાજકુમાર વિશેના એમના લેખે એમને તથા એમના ભાઈ-બંનેને ૧૮૧૩માં બે વર્ષનો જેલવાસ અપાવ્યો. જેલમાંથી પણ અખબાર માટે લખવાનું ચલુ રાખનાર હન્ટ આઝાદી માટેના શહીદ તરીકે ઓળખાયા. વચ્ચે ઘણા વર્ષ પારાવાર ગરીબીનો પણ શિકાર થયા હતા. ૧૮૦૯માં મરિઆન કેન્ટ સાથે લગ્ન અને વીસ વર્ષમાં દસ સંતાનોના પિતા બન્યા. ૧૮૫૭માં પત્નીનું અવસાન થયું એ પછી એમની સાળી એલિઝાબેથ, જે એમના પ્રેમમાં હતી, એમની શ્રુતલેખિકા બની. કવિતા ઉપરાંત, તેઓ સંગીત અને ચિત્રકળાના માણસ હતા. ૨૮-૦૮-૧૮૫૯ના રોજ ૭૪ વર્ષની વયે લંડન ખાતે જ નિધન.  

          માણસ તરીકે હન્ટ અજાતશત્રુ હતા અને એમના પ્રેમાળ સ્વભાવના કારણે સૌના ચહીતા પણ હતા. જો કે ચાર્લ્સ ડિકન્સે એમની સુપ્રસિદ્ધ ‘બ્લિક હાઉસ’માં હેરોલ્ડ સ્કિમ્પોલેનું જે પાત્ર રચ્યું હતું એ હકીકતમાં બીજું કોઈ નહીં પણ હન્ટ જ હતા. આ વાતથી હન્ટને મોટો આઘાત પણ પહોંચ્યો હતો. કવિનું ‘હન્ટ સર્કલ’ ખૂબ લોકપ્રિય હતું, જેમાં હેઝ્લિટ અને લેમ્બ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. કિટ્સ, શેલી, બ્રાઉનિંગ અને ટેનિસન જેવા મહારથીઓને જનતા સમક્ષ લઈ આવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું હતું. ‘રૉમેન્ટિસિઝમ’નો જે જુવાળ તત્કાલિન ઇંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હતો, એના કેન્દ્રસ્થ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. ગ્રીક, રોમન, ઇટાલિઅન અને ફ્રેન્ચ કવિતાઓના તરજૂમા પણ ઘણા કર્યા. જીવંત વર્ણન, અદભુત લયાન્વિતતતા, પ્રકૃતિ અને માનવમનની નાનાવિધ અવસ્થાઓનું તાદૃશ ચિત્રણ એમની કવિતાઓનાં મુખ્ય જમાપાસાં હતાં. અંગ્રેજી કપલેટ (યુગ્મક)ને નવશાસ્ત્રીય જડતામાંથી આઝાદ કરાવવામાં એમનો નોંધપાત્ર ફાળો હતો. ઊંડે ઊતરવું પડે એવી કવિતાઓ લખવાના બદલે એમણે મજા પડે એવી કવિતાઓ લખવી વધુ પસંદ કરી. કદાચ બહોળા પરિવાર તરફની જવાબદારી, શરાબી અને ઉધારખોર પત્નીના ઉધારને પહોંચી વળવા માટે હન્ટે મોટાભાગની જિંદગી આખા-આખા દિવસ અને અડધી રાત સુધી લખતા રહેવાની ફરજ પડી હતી જેની અસર ગુણવત્તા પર પડ્યા વિના રહી નહીં.  

          ૧૮૩૮માં પ્રગટ થયેલ માત્ર આઠ પંક્તિની આ નાનકડી કવિતાએ વિશ્વકવિતામાં ખાસ્સા વમળ સર્જ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ આ કવિતા ફ્રેન્ચ કાવ્યપ્રકાર રૉન્ડુ (Rondeau-round)ની નજીકની છે. રચનાનું મૂળ શીર્ષક પણ રૉન્ડુ જ આપવામાં આવ્યું હતું પણ પછીથી એ ‘જેની કિસ્ડ મી’થી વધુ જાણીતી થઈ. રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં ઓછું વપરાતા અને પ્રમાણમાં કઠીન ગણાતા ટ્રોકેઇક મીટરનો અહીં અદભુત અને લગભગ પ્રવાહી કહી શકાય એ રીતે પ્રયોગ થયો છે, જેમાં એક હરોળમાં ત્રણ સ્વરભારવાળા શબ્દાંશ (સ્ટ્રેસ્ડ સિલેબલ), દરેકની પાછળ એક સ્વરભારહીન શબ્દાંશ (અનસ્ટ્રેસ્ડ સિલેબલ) હોય છે અને અંતે ચોથો સ્વરભારવાળો શબ્દાંશ વપરાય છે. સમજવા માટે આપણે ગુજરાતીમાં આ છંદને ‘ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ’ (ગાલ ગાલ ગાલ ગા) ગણી શકીએ. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયમ્બિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટો –ગુરુ-લઘુ- છે, જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. આ પ્રકારનો ‘સિંગસોંગ’ લય અંગ્રેજીમાં નર્સરીની કવિતાઓ જેમ કે, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ વગેરેમાં સવિશેષ જોવા મળે છે પણ નર્સરીની કવિતાઓમાં પ્રાસરચના અઅબબ પ્રકારની હોય છે, જ્યારે હન્ટે અબઅબ પ્રકારની પ્રાસવ્યવસ્થા કરીને પોતાની કવિતાને સાયાસ બાળકાવ્યોથી અલગ તારવી છે. બીજું, ભલે ને છંદના જૂતાં પહેરીને ચાલતી હોય પણ નાના-મોટા કૂદકા મારવાનું ચૂકી જાય તો તો એ કવિતા શાની? બધી જ પંક્તિમાં સાત શબ્દાંશ પ્રયોજવાને બદલે હન્ટ બીજી અને છઠ્ઠી પંક્તિમાં આઠ અને છેલ્લી પંક્તિમાં ચાર જ શબ્દાંશ પ્રયોજીને સાવ ટચૂકડી હોવા છતાંય કવિતાને જોડકણું બનતું અટકાવે છે.       

          આ કવિતા પાછળની વાયકા પણ રસપ્રદ છે. કિટ્સ અને શેલી તો એમના ખાસ મિત્રો હતા. પણ સ્વભાવે વિચિત્ર થોમસ કાર્લાઇલ સાથે એમની મૈત્રી થોડી અજુગતી હતી. લાંબા સમય સુધી ફ્લૂની બિમારીમાં સપડાઈ રહ્યા બાદ જ્યારે હન્ટ સાજા થયા ત્યારે કાર્લાઇલને મળવા એના ઘરે ગયા. એ વખતે કાર્લાઇલની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ઉર્ફે જેની એમને મળ્યાં. લાંબા સમય સુધી ન દેખાયેલ હન્ટને જોતાંવેંત જેને એમને ચુંબન આપ્યું અને બે દિવસ પછી હન્ટનો નોકર જેનને એક કાગળ આપી ગયો, જેમાં આ કવિતા લખેલી હતી. એક બીજી વાર્તા એવી પણ છે કે, હન્ટે પોતે થોમસની કવિતાઓ પ્રગટ કરનાર હોવાના સમાચાર જેનને આપ્યા હતા અને ખુશીની મારી જેને ઊછળી પડીને હન્ટને ચુંબન આપ્યું હતું. એવી માહિતી પણ છે કે કવિતાના મૂળ ફરમામાં જેનીના સ્થાને ‘નેલી’ નામ હતું અને weary (થાક્યો)ના સ્થાને jaundiced (કમળાગ્રસ્ત) લખ્યું હતું.       

          કવિતા જે વાક્યથી શરૂ થાય છે એ જ વાક્ય પર એક સંપૂર્ણ વર્તુળની જેમ પૂર્ણ પણ થાય છે. આ પુનરોક્તિ કવિતામાં પ્રાણ પૂરે છે. કાવ્યાંતે ત્રણ જ પંક્તિઓમાં ચાર વાર ‘કહેજે કે’ આવે છે, જે પણ આ જ રીતિનું દ્યોતક છે. લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થયો છે. આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે શય્યાશયન સુધી પણ લંબાતા નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેગ છે, જે આવેશ છે એ તરત જ આપણને સ્પર્શી જાય છે. એક રીતે આ કવિતા માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ છે! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિથી વિપરીત ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવ્યું છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે.

          નાયક સમય સાથે ગુફ્તેગૂ માંડે છે. આખી રચનામાં કવિએ જે રીતે શબ્દોની કરકસર કરી છે એ પણ નોંધવા જેવું છે. આડીઅવળી વાત કરવાના બદલે એ સીધું જ સમયને ગળચીમાંથી પકડતા હોય એમ વાત આદરે છે- ટાઇમ, યુ થીફ! કોઈ પણ ઔપચારિકતા કરવાના બદલે એ સમયને સીધું જ સંબોધે છે અને તરત જ ચોરકરાર પણ આપી દે છે. સમય પર સીધો જ આરોપ મૂકતા નાયક કહે છે કે સમય બધી જ મીઠી વાતોને પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. સમયને અપાતો આ ઉપાલંભ કાવ્યનો પ્રાણ છે. સમય એકતરફ ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે તો બીજીતરફ ભલભલી મીઠી વાતો, સિદ્ધિઓ, પ્રસંગોનું કબ્રસ્તાન પણ સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. બીજા શબ્દોમાં, એ આપણી પાસેથી આપણો વર્તમાન સતત છીનવતો રહે છે. અને એ અર્થમાં એ હરહંમેશ પોતાની સર્વોપરિતા અને આપણા અસ્તિત્વની ક્ષુલ્લકતાનો જયઘોષ કરતો રહે છે.

          ખરી મજા તો નાયક કાળને જે ચીમકી આપે છે એની છે. એ કહે છે, ભલે તું તારી ટેવ મુજબ તારી ડાયરીમાં બધું જ નોંધી લે, પણ હું કહું છું એ નોંધવાનું ભૂલીશ નહીં. કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ હશે. સમયની આગળ નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, ઉદાસ પણ ઘણો છે. તન-મન-ધનના ત્રિવિધ તાપ -આધિ, વ્યાધિ, ઉપાધિ- સામે નાયક નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, ને મનમાં હતાશા. એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને સમ્યકાવસ્થામાં નાયક નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી ગયા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. જીવન હારી ગયું છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને. ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ (સુન્દરમ્) નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

          નાયક સમયને કહે છે કે ભલે મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ તું તારી યાદીમાં સમાવી લે પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક કરાયેલો સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

          સંગીત હોય, કે ગીત, ચિત્ર હોય કે શિલ્પ, નૃત્ય હોય કે કવિતા- ઘણીવાર એને આપણી સામાન્ય સમજની બહારના કોઈક તત્ત્વને સ્પર્શી જતાં આપણે સહુએ અનુભવ્યું જ હશે. કળા કોઈપણ હોય, ક્યારેક એ આપણી બુદ્ધિમત્તાને અતિક્રમી જઈ ઠે…ઠ ભીતરના કોઈક અગોચર રહસ્યમયી ઊંડાણને ઝંકૃત કરી બેસે છે. પરિણામે આપણને એ પસંદ આવી જાય છે. અને આવી ક્ષણે આપણને આમાં શું ગમી ગયું એ કહેવુંય કદાચ અઘરું થઈ પડતું હોય છે. ખેર, કળાની આ I-know-not-what, યાને કે સમજ અને શબ્દ બહારની દિવ્ય અલૌકિક ક્ષમતાના કારણે જ એ સદાકાળથી મનુષ્યજાતને આકર્ષતી આવી છે. બાઇબલમાં આવી જ વાત કરવામાં આવી છે: ‘કેમ કે અત્યારે આપણે અરીસા, અંધારિયામાં, જોઈ રહ્યાં છીએ, પણ પછી રૂબરૂ થઈશું: અત્યારે હું થોડું જ જાણું છું, પણ પછી હું પૂરું જાણી લઈશ.’ (રાજા જેમ્સનું સંસ્કરણ: ૧ કોરિન્થિઆન્સ ૧૩:૧૨) કળાના અર્થમાં વિચારીએ તો ઘણીવાર આપણે શરૂમાં એને માત્ર અનુભવીએ છીએ અને આનંદ લઈએ છીએ, અને પાછળથી આપણે એનું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇલિયટે કહ્યું હતું કે સાચી કવિતા સમજાય એ પહેલાં જ સંવાદ સાધી લે છે. હન્ટની આ કવિતા કાવ્યત્ત્વની દૃષ્ટિએ એવી મહાન કળાકૃતિ ન હોવા છતાંય દાયકાઓથી લોકોએ એને સિરઆંખો પર બેસાડીને અફાટ પ્રેમ આપ્યો છે. અમર કવિતાઓના સંપાદનોથી લઈને સામયિકો, અંગત ડાયરીઓ, જાહેર પ્રસંગો; પ્રેમની દરખાસ્ત મૂકવાના સમયથી માંડીને સુહાગરાત સુધી પેઢીઓની પેઢીઓએ આ કવિતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. કવિતા સારી અને સાચી હશે તો એ ટકશે જ એના જીવંત દાખલા સમી આ કવિતા નવલોહિયા સર્જકો માટે પ્રેરણાનું પીયૂષ છે. થોમસ એલને ‘(સે આઇ એમ ગ્રોઇંગ ઓલ્ડ બટ એડ) જેની કિસ્ડ મી!’ નામની નવલકથા પણ લખી છે. ૧૯૮૬ની સાલમાં ‘જેની કિસ્ડ મી’ નામની એક ફિલ્મ પણ બની હતી. બ્રોડવે પર આ નામનું નાટક પણ ભજવાઈ ચૂક્યું છે. ‘એજ ઓફ એડેલાઇન’ ફિલ્મમાં પણ નાયક નાયિકા સાથે લિફ્ટમાં પ્રથમ મુલાકાત વખતે આ કવિતાની પંક્તિઓ બોલે છે, જે આ કવિતાની લોકપ્રિયતાના માપદંડ ગણી શકાય. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

          સમય તો વૃકોદર છે. એના પેટમાં જેટલું નાંખો, પેટ ખાલીને ખાલી જ રહે છે. બ્રહ્માંડના બ્લેકહૉલમાં પ્રવેશેલી કોઈપણ વસ્તુ કરીય પરત આવી શકતી નથી એ જ રીતે સમયના બ્લેકહૉલમાં આપણી એક-એક ક્ષણ, એક-એક અનુભૂતિ પળેપળ હોમાયે જ રાખે છે પણ સમય કદી સંતોષનો ઓડકાર ખાવાનું નામ લેતો નથી. સમયે નાયકની જિંદગીની તમામ નબળી પળો, મીઠી પળો પોતાની યાદીમાં સમાવી લીધી છે. ‘કહેજે કે’થી શરૂ થતી બધી જ વાત જીવનની કાળી બાજુઓની અને સંજોગો સામેના મનુષ્યના પરાભવની વાત કરે છે. સમયનું કદ શબ્દે-શબ્દે મોટું થતું દેખાય છે. પણ કાવ્યાંતે નાયક પહેલાના બદલે ‘છેલ્લો ઘા રાણાનો’ કરે છે. એ સમયને કહે છે કે તું માત્ર મારા જીવનની નકારાત્મક બાજુઓ કે મારી હાર-નિષ્ફળતાઓ જ મને યાદ કરાવ્યે રાખશે એ કોઈ કાળે ચાલશે નહીં. ‘જેનીએ મને ચૂમી લીધો’ જેવી ખાસ પળ એવી છે, જેને તું લાખ ઇચ્છે તોય જીવનમાંથી ભૂંસી શકનાર નથી. ‘समय समय बलवान है, नहीं मनुष बलवान’ની આલબેલની સામે સાવ મામૂલી ભાસતી અને સાવ નાની કહી શકાય એવી જીવનની યાદગાર પળો છાતી કાઢીને ઊભી રહે છે. નાની-નાની પણ મીઠી યાદો સમય જેવા સમયને માત દઈ શકે એટલી તાકતવર હોય છે.

હે સમય! તું સ્મરણ રાખ આ વાતનું

કે, સ્મરણનું મરણ થાય ના કોઈ દિ…..  

ગ્લૉબલ કવિતા : ૧૧૪ : લે’રિયાની લૂંટાલૂંટ – લોકગીત

મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
      નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

નણંદ-ભોજાઈ અને લેરિયાની લૂંટાલૂંટની મજા…  

                 તમે મારે ત્યાં જાન લઈને આવ્યા છો. ને કન્યા પક્ષના હોવાના નાતે વાંકા વળીને તમારું સ્વાગત કરવાના બદલે હું હજાર માણસોની હાજરીમાં તમને ગાળો ભાંડું છું. મારી દીકરીના થનારા સાસુ-સસરાથી લઈને જેઠ-જેઠાણી, દિઅર-દેરાણી, નણંદ-નણદોઈ બધાને હું અપશબ્દોથી વધાવું છું અને જાનૈયાઓ ગુસ્સે થઈ ચાલ્યા જવાના બદલે ખડખડાટ હસે છે, મજા લ્યે છે અને વળતી રોકડી મને ને મારા ઘરવાળાંઓને ચોપડાવે છે. નજરોનજર જોયું ન હોય તો આ વાત કોણ માને? પણ હા, એ હકીકત છે કે પ્રસંગોપાત ગાવામાં આવતાં આવાં ફટાણાં અને અન્ય પ્રકારનાં લોકગીતો આપણને આવી વિશિષ્ટ પ્રકારની જાહેર સગવડ પૂરી પાડે છે. લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે તો સાંપ્રત સમયનો સીધો અરીસો જ. સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આજે આપણે આવા જ એક લોકગીતની વાત કરવાની છે.

                 લોકસાહિત્યની પરંપરા બહુ જૂની છે. માણસમાત્રને અભિવ્યક્ત થવાની ઝંખના હોય જ. અને માણસ જાત માટે એની બોલી એ અભિવ્યક્તિ માટેનું ઉત્તમ સાધન છે. એટલે જ કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. બોલીનો ઇતિહાસ લિપિના ઇતિહાસ કરતાં કંઈ કેટલોય જૂનો હોવાના કારણે સદીઓની સદીઓ સુધી સાહિત્યનું વહન મુખપાટીએ થતું રહ્યું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મોઢામોઢ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય. લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું. લોકોએ રચેલાં અને લોકો દ્વારા કંઠોપકંઠ પેઢી દર પેઢી વહેતાં રહેલાં આ પદ્યસાહિત્યનું ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. જે સમય સાથે સહુએ સ્વીકારી લીધું. લોક શબ્દ મૂળે સંસ્કૃત ‘लोकृ’ ધાતુ પરથી જન્મ્યો છે, જેનો અર્થ છે ‘જોવું’, ‘જાણવું’, જેના પરથી ‘લોક’ અર્થાત્ ‘જોવાવાળો.’ ઋગ્વેદ અને ઉપનિષદોમાં ‘લોક’ શબ્દનો ઉપયોગ ‘સામાન્ય જનતા’ના અર્થમાં અવારનવાર થયેલો જોવા મળે છે. ભગ્વદગીતામાં પણ ‘લોકસંગ્રહ’ શબ્દ વાપરવામાં આવ્યો છે:

                 कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
                 लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि।।3.20।।   

                 સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે. શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણીવાળી પ્રબળ પ્રવાહિતા લોકગીતનું જમા પાસું છે. તો એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક ક્યારેક એની ઉધાર બાજુ પણ બની રહે છે. જાડી ભાષામાં એમ કહી શકાય કે કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે. ભગ્વદ્ગોમંડલ ‘લોકગીત’ વિશે લખે છે: ‘ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં ગવાતાં ભજનો અને કીર્તિનો તથા જાગરણ, મોળાક્ત વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના દુહા, કવિત તથા રાસ જેવાં ઐતિહાસિક ગીતો પણ તેમાં સમાવિષ્ટ થાય છે. માળવા, રજપૂતાનામાં ગવાતા માંડ, મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા કજ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતાં રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતાં કીર્તનો અને ગુજરાતમાં ગુજરાતણોના ગરબા આ બધાં લોકગીતોના જુદા જુદા પ્રકારો છે.’

                 લોકગીતો વિશે આટલી વાત કરી લીધા બાદ આપણે પ્રસ્તુત ગીત તરફ વળીએ. નાયિકા તાજી પરણીને સાસરે આવી છે અને એનું મનગમતું લહેરિયું સાસરિયાં લૂંટી લેવા ટાંપીને જ બેઠાં છે એવી અહીં વાત છે. લહેરિયું, લે’રિયું કે લેરીયું એટલે વાંકડિયા લીટાની કે મોજાંની ભાતવાળો સાલ્લો. દરિયાની લહેર ઉપરથી એના જેવી ભાતવાળી સાડી લહેરિયું કહેવાઈ. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. કન્યાના મા-બાપની આર્થિક પરિસ્થિતિનો અહીં તાગ પણ મળે છે. આણાં વખતે એક રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. કન્યાને ગમે એટલી વહાલી કેમ ન હોય, નણંદ આણાંમાંથી ઊઠાવે એટલે મને-કમને એનો ત્યાગ કરવો જ પડે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. ટૂંકમાં, આ રિવાજ નણંદની દાદાગીરીનો દસ્તાવેજ છે, જેના પર મતું મારવું કન્યા માટે ફરજિયાત છે. હવે જો કે આ રિવાજ ભૂંસાવા માંડ્યો છે.             

                 આમ તો આખા સાસરિયામાં માત્ર નણંદ જ પારંપારિક હકથી લહેરિયું માંગી રહી છે. એક સાડી આપવી જ પડવાની છે એ વાતથી નાયિકા અજાણેય નથી. ને તે છતાંય એટલામાંય નાયિકાને લૂંટાલૂંટ મચી ગઈ હોવાનું જણાય છે. આટલા પરથી લહેરિયું એને કેટલું પ્રિય છે એ સમજાય છે અને કેમ પ્રિય છે એનો જવાબ આગળ જતાં આવે છે. લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂળ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’. અહીં ગીતનો ‘ઉપાડ’ લીધા પછી ‘પેટાળ’માં સંવાદરીતિ પ્રયોજવામાં આવી છે, જ્યાં નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. આ લહેરિયું કન્યાના દાદાએ આપેલું છે. ને વળી માતાએ એના પર લાંક યાને કે કોર બાંધી છે. આગળ જતાં ગીતમાં ચાર-ચાર ચીજોની યાદી આવે છે. સામાન્ય સંજોગોમાં આણામાં મા-બાપ એક-એક ચીજ મોકલાવે છે પણ અહીં ચારની સંખ્યા પિયર પક્ષની સમૃદ્ધિ નિર્દેશે છે. આવું ભર્યું-ભર્યું આણું લઈ જે આવી હોય, એની પાસે તો સાડી પણ પેટારો ભરીને હોવાનો. એટલે નણંદ એકાદી સાડી ઊંચકી લે એમાં કંઈ દુઃખ લગાડવા જેવું હોય નહીં. પણ આ લહેરિયું ખાસ છે કેમકે દાદા લઈ આવ્યા છે અને માએ પોતાના હાથે પરવટ મૂકી છે. નાયિકા કહે છે કે ઘરમાં ચાર ખૂણે ચાર ડાબલા મૂક્યાં છે. એમાંથી જે ગમી જાય એ લઈ લેવાની છૂટ છે પણ લે’રીયું બક્ષી દે, બસ. નવોઢાને એના પિયરિયાં આણામાં ડાબલા આપે, જેમાં નકદ નાણું અને તેજાના ભર્યા હોય છે. તેજાના જીવનને સ્વાદિષ્ટ અને સુગંધસભર બનાવવાનું પ્રતીક છે તો પૈસો દુઃખેસુખે આર્થિક ભીડ ભાંગવામાં કામ આવે એ હેતુસર મૂકવામાં આવે છે. નવોઢાને પૈસા જેવા પૈસાનોય મોહ નથી, એ એનો લહેરિયાપ્રેમ દર્શાવે છે.  

                 આગળ કહે છે, ચાર ખૂણે ચાર બેડલાં છે. જે પસંદ આવે એ તારું. બેડલું એટલે ઘડો-ગાગર કે હાંડો ને માણિયાની ઉતરડ. હાંડો એટલે મોટો દેગડો કે ગાગર અને માણિયો એટલે મણ જેટલું અનાજ કે પ્રવાહી ભરી શકાય એટલો મોટો ઘડો. એકની ઉપર એક ગોઠવવામાં આવે છે અને ભીતર ઘી અને અનાજ ભરવામાં આવે છે. ભાભી એની નણંદને એમાંથી જે પસંદ હોય એ લઈ લેવાની છૂટ આપે છે. નણંદ માનતી નથી તો વળી ઘોડાંની લાલચ આપે છે. ઘર સામની ઘોડારમાં પિયરથી આણાંમાં આવેલ ચાર-ચાર અશ્વો છે, એમાંથીય જે મનપસંદ હોય એ લઈ લેવા ભાભી નણંદને પ્રલોભન આપે છે. પણ નણંદ કંઈ કેડો મેલે એમ નથી. એનો જીવેય લેરીયામાંજ ભરાણો છે. આમેય માણસજાતનો મૂળ સ્વભાવ જ છે કે જે વસ્તુની ના કહેવામાં આવે એનું જ મન પહેલું થાય.

                 નણંદ બીજા કોઈ પણ જાતના પ્રલોભનોને વશ થતી નથી અને લહેરિયા પર જ ફેણ માંડીને બેઠી હોવાની ખાતરી થાય છે ત્યારે ભોજાઈ નમતું જોખે છે. સાસરીની બળજબરી કેવી હોઈ શકે એ આ ગીત વડે સચોટ વર્ણવાયું છે. નાયિકાના ભાથામાં હવે કોઈ તીર બચ્યાં નથી. નણંદની માંગને તાબે થયા વિના હવે એનો છૂટકો જ નથી એ હવે એને સમજાઈ ગયું છે અને એ લેરીયું દેવા તૈયાર થઈ જાય છે. અને આ ‘પીચ્છ’ કે છેડો’ આ લોકગીતને ઉત્તમોત્તમ કાવ્યની પંગતમાં બેસાડે છે. નાયિકા નણંદને લહેરિયું હાથમાં આપવાના બદલે છણકો કરીને કહે છે કે સામી વળગણીએ લહેરિયું લટકી રહ્યું છે, એ જાતે જ લઈ લો અને અદીઠડા થઈ અહીંથી હાલતા થાવ. પિયરથી આણામાં આવેલું લહેરિયું એટલું તો વહાલું છે કે જીવ પર આવીને એનાથી જીવ છોડાવવાની ફરજ પડે છે તોય નાયિકા પોતાના હાથે એ નણંદને આપી શકતી નથી. એને ફરજ પડી છે એ અલગ વસ્તુ છે, બાકી જીવ તો હજીય ચાલતો જ નથી. એટલે એ હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે. ‘અદીઠડાં’ શબ્દ જ કેટલો કાવ્યાત્મક છે! કવિતામાં જવલ્લે જ પ્રયોજાતા આ ‘અદીઠડું’ શબ્દનો આવો વિવેકસરનો ઉપયોગ શામળના દોહામાં નજરે પડે છે:     

                 મારગ દીઠે સંચરે, તેમાં શો વિવેક;

                 પણ ચલાવીએ અદીઠડે, નિર્મળ તો એ નેક  

                 લોકગીતોનો કોઈ એક સર્જક નથી હોતો. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચતાં રચાઈ જાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્વ પણ હોતું નથી. ગીત જેવું રચાય કે તરત જ એ લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાય છે અને પેઢી દર પેઢી ગળામાં સચવાતું રહે છે. આપણે ત્યાં લોકગીતોને સંગ્રહિત કરવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ રખડી-રઝળીને ઝવેરચંદ મેઘાણીએ કર્યું. એમના મતે ‘લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે.’ લોકગીત એ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે. નણદલ અને લેરિ’યાંની વાત કરતા આ લોકગીતનું થોડા ફેરફારવાળું અન્ય એક સંસ્કરણ પણ હાથ જડે છે, જેમાં નણંદનો સંવાદ ભાભીના સંબોધન સાથે પ્રયોજાયો છે, એ પણ જોઈએ:   

નણદલ માગે લે’રિયું રે બાઈ

               નણદી, જે જોઈએ તે લ્યો રે… નણદલ…

મારા દાદાનું દીધેલું લે’રિયું રે,
               મારી માતાની બાંધેલ લાંક હો… નણદલ…

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તમારા ડાબલા રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હામ હો… નણદલ…

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારાં બેડલાં રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હોંશ હો… નણદલ…

સામી ઘોડા’રે ચાર ઘોડલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારા ઘોડલા રે ભાભી,
               મને લે’રિયું પહેર્યાની ઘણી હામ હો… નણદલ…

.

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
               નણદી લઈને અદીઠડાં થાવ હો… નણદલ…

                 હવે આ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે… માણીએ નેહા પુરોહિતની કલમે નવા જમાનાની વહુનું આ ગીત:              

મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઇ !

મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઇ ;

મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઇ !

મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઇ ;

મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

તારા વીરે વખાણેલ લેરિયું રે બાઇ ;

હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઇ ,

એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

(પૂરક માહિતી: (૧) ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર, (૨) ભમ્મરિયા કૂવાને કાંઠડે –સં. સુરેન ઠાકર ‘મેહુલ’)