ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ

Jenny kiss’d me

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry Leigh Hunt

જેનીએ મને ચૂમી લીધો

જેનીએ મને ચૂમી લીધો જ્યારે અમે મળ્યાં,

જે ખુરશીમાં બેઠી હતી એમાંથી ઊછળીને;

કાળ! ચોર! પસંદ તને છે તારી યાદીમાં

મીઠું બધું સમાવવાનું, આય નોંધી લે!

કહેજે કે હું થાક્યો છું, કહેજે કે છું ઉદાસ,

કહેજે કે સ્વાસ્થ્ય સંપત્તિ મને બેઉએ લખી વાળ્યો,

કહેજે કે હું વૃદ્ધ છું પણ ઉમેરજે આ ખાસ,

જેનીએ મને ચૂમી લીધો.

– જેમ્સ હેન્રી લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણનું મરણ કદી થતું નથી…

          સમયથી મોટો બાજીગર બીજો કોણ હોઈ શકે? સમય દરેક ‘છે’ને ‘હતું’માં ફેરવી દે છે. સમય ઉસ્તાદોનો ઉસ્તાદ છે. એ પળેપળ આપણને હમણાં જ જીવી લેવાયેલી પળથી દૂર કરતો રહે છે. યમનું રેઝર તો એક જ વાર ચાલે છે પણ સમયનું ઇરેઝર તો એકધારું ચાલતું રહે છે. જે ક્ષણમાં આપણે હાલ શ્વસી રહ્યાં છીએ એ ક્ષણ આપણને ગમે એટલી પ્રિય કે અપ્રિય કેમ ન હોય, સમય એને બીજી જ ક્ષણે વીતી ગયેલી ક્ષણમાં પલટી નાંખે છે. સમય એટલે જીવનના પ્રસંગો અને આપણી વચ્ચે સતત વધતું જતું અંતર. વહેતા પાણીને કે વહેતી હવાને પણ આપણે કદાચ અટકાવી શકીએ પણ વહેતા સમયને નાથવો શક્ય નથી. સમય ન માત્ર જિંદગીની ઘટનાઓ અને આપણી વચ્ચે અંતર વધારતો જાય છે, એ આપણને સતત એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે આપણે જીવનમાં ગમે એટલા ઊંચા શિખરે કેમ ન આરુઢ થયા હોઈએ, આપણી સિદ્ધિ, આપણી તાકાત, આપણી ક્ષમતા એટલી છે જ નહીં, જેટલી આપણે ધારી બેઠાં છીએ. સમયની આવી જ સર્વોપરિતા અને એની સામે નમતું નહીં મૂકવાની ક્ષમતાની વાત પ્રસ્તુત રચનામાં લે હન્ટ લઈ આવ્યા છે.       

          આખું નામ જેમ્સ હેન્રી લે હન્ટ. પણ સાહિત્યજગતમાં લે હન્ટ તરીકે જ વધુ પ્રખ્યાત. વિવેચક. પત્રકાર. નિબંધકાર. કવિ. જન્મ ૧૯-૧૦-૧૭૮૪ના રોજ સાઉથગેટ, લંડન ખાતે. અમેરિકાની આઝાદીની લડાઈ વખતે એના મા-બાપને અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ આવવાની ફરજ પડી હતી. આઠ સંતાનોમા તેઓ સાતમા પણ ઇંગ્લેન્ડમાં જન્મેલ પ્રથમ. પિતા અમેરિકામાં વકીલ હતા પણ ઇંગ્લેન્ડ આવીને પ્રખ્યાત ધર્મોપદેશક બન્યા. લક્ષ્મીકૃપાથી કાયમ વંચિત જ રહ્યા. પિતા ચાન્ડોસના ડ્યુકના ભત્રીજાને ભણાવતા, જેના નામ પરથી જ એમણે પુત્રનું નામ જેમ્સ હેન્રી લે પાડ્યું. બાળપણમાં એમને બોલવામાં તકલીફ હતી -જે આગળ જતાં સારી થઈ ગઈ હતી- એના કારણે અભ્યાસ માટે યુનિવર્સિટી ન જઈ શક્યા. ૧૭ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. પાછળ જતાં આ કવિતાઓ હન્ટને બાલિશ લાગી પણ માત્ર ત્રણ જ વર્ષમાં સંગ્રહની ચાર આવૃત્તિ બહાર પાડવી પડી એ હદે એ લોકપ્રિય થયો હતો. અખબારોમાં વિવિધ વિષયો પર લખવાનું આરંભ્યું. કવિ બાળપણમાં થોમસ ગ્રે અને વિલિયમ કોલિન્સના પ્રભાવ હેઠળ કવિતા કરતા. ઇટાલિઅન સાહિત્યની એમના પર ઊંડી અસર હતી. ૧૮૦૮માં ક્લર્કગીરી છોડીને ‘એક્ઝામિનર’ નામનું અખબાર બે હન્ટ ભાઈઓએ મળીને સ્થાપ્યું, તંત્રી બન્યા અને ખૂબ લોકપ્રિય થયા. એ જમાનામાં અખબારોની તાકાત ચરમસીમાએ હતી. પણ તત્કાલિન રાજકુમાર વિશેના એમના લેખે એમને તથા એમના ભાઈ-બંનેને ૧૮૧૩માં બે વર્ષનો જેલવાસ અપાવ્યો. જેલમાંથી પણ અખબાર માટે લખવાનું ચલુ રાખનાર હન્ટ આઝાદી માટેના શહીદ તરીકે ઓળખાયા. વચ્ચે ઘણા વર્ષ પારાવાર ગરીબીનો પણ શિકાર થયા હતા. ૧૮૦૯માં મરિઆન કેન્ટ સાથે લગ્ન અને વીસ વર્ષમાં દસ સંતાનોના પિતા બન્યા. ૧૮૫૭માં પત્નીનું અવસાન થયું એ પછી એમની સાળી એલિઝાબેથ, જે એમના પ્રેમમાં હતી, એમની શ્રુતલેખિકા બની. કવિતા ઉપરાંત, તેઓ સંગીત અને ચિત્રકળાના માણસ હતા. ૨૮-૦૮-૧૮૫૯ના રોજ ૭૪ વર્ષની વયે લંડન ખાતે જ નિધન.  

          માણસ તરીકે હન્ટ અજાતશત્રુ હતા અને એમના પ્રેમાળ સ્વભાવના કારણે સૌના ચહીતા પણ હતા. જો કે ચાર્લ્સ ડિકન્સે એમની સુપ્રસિદ્ધ ‘બ્લિક હાઉસ’માં હેરોલ્ડ સ્કિમ્પોલેનું જે પાત્ર રચ્યું હતું એ હકીકતમાં બીજું કોઈ નહીં પણ હન્ટ જ હતા. આ વાતથી હન્ટને મોટો આઘાત પણ પહોંચ્યો હતો. કવિનું ‘હન્ટ સર્કલ’ ખૂબ લોકપ્રિય હતું, જેમાં હેઝ્લિટ અને લેમ્બ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. કિટ્સ, શેલી, બ્રાઉનિંગ અને ટેનિસન જેવા મહારથીઓને જનતા સમક્ષ લઈ આવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું હતું. ‘રૉમેન્ટિસિઝમ’નો જે જુવાળ તત્કાલિન ઇંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હતો, એના કેન્દ્રસ્થ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. ગ્રીક, રોમન, ઇટાલિઅન અને ફ્રેન્ચ કવિતાઓના તરજૂમા પણ ઘણા કર્યા. જીવંત વર્ણન, અદભુત લયાન્વિતતતા, પ્રકૃતિ અને માનવમનની નાનાવિધ અવસ્થાઓનું તાદૃશ ચિત્રણ એમની કવિતાઓનાં મુખ્ય જમાપાસાં હતાં. અંગ્રેજી કપલેટ (યુગ્મક)ને નવશાસ્ત્રીય જડતામાંથી આઝાદ કરાવવામાં એમનો નોંધપાત્ર ફાળો હતો. ઊંડે ઊતરવું પડે એવી કવિતાઓ લખવાના બદલે એમણે મજા પડે એવી કવિતાઓ લખવી વધુ પસંદ કરી. કદાચ બહોળા પરિવાર તરફની જવાબદારી, શરાબી અને ઉધારખોર પત્નીના ઉધારને પહોંચી વળવા માટે હન્ટે મોટાભાગની જિંદગી આખા-આખા દિવસ અને અડધી રાત સુધી લખતા રહેવાની ફરજ પડી હતી જેની અસર ગુણવત્તા પર પડ્યા વિના રહી નહીં.  

          ૧૮૩૮માં પ્રગટ થયેલ માત્ર આઠ પંક્તિની આ નાનકડી કવિતાએ વિશ્વકવિતામાં ખાસ્સા વમળ સર્જ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ આ કવિતા ફ્રેન્ચ કાવ્યપ્રકાર રૉન્ડુ (Rondeau-round)ની નજીકની છે. રચનાનું મૂળ શીર્ષક પણ રૉન્ડુ જ આપવામાં આવ્યું હતું પણ પછીથી એ ‘જેની કિસ્ડ મી’થી વધુ જાણીતી થઈ. રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં ઓછું વપરાતા અને પ્રમાણમાં કઠીન ગણાતા ટ્રોકેઇક મીટરનો અહીં અદભુત અને લગભગ પ્રવાહી કહી શકાય એ રીતે પ્રયોગ થયો છે, જેમાં એક હરોળમાં ત્રણ સ્વરભારવાળા શબ્દાંશ (સ્ટ્રેસ્ડ સિલેબલ), દરેકની પાછળ એક સ્વરભારહીન શબ્દાંશ (અનસ્ટ્રેસ્ડ સિલેબલ) હોય છે અને અંતે ચોથો સ્વરભારવાળો શબ્દાંશ વપરાય છે. સમજવા માટે આપણે ગુજરાતીમાં આ છંદને ‘ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ’ (ગાલ ગાલ ગાલ ગા) ગણી શકીએ. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયમ્બિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટો –ગુરુ-લઘુ- છે, જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. આ પ્રકારનો ‘સિંગસોંગ’ લય અંગ્રેજીમાં નર્સરીની કવિતાઓ જેમ કે, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ વગેરેમાં સવિશેષ જોવા મળે છે પણ નર્સરીની કવિતાઓમાં પ્રાસરચના અઅબબ પ્રકારની હોય છે, જ્યારે હન્ટે અબઅબ પ્રકારની પ્રાસવ્યવસ્થા કરીને પોતાની કવિતાને સાયાસ બાળકાવ્યોથી અલગ તારવી છે. બીજું, ભલે ને છંદના જૂતાં પહેરીને ચાલતી હોય પણ નાના-મોટા કૂદકા મારવાનું ચૂકી જાય તો તો એ કવિતા શાની? બધી જ પંક્તિમાં સાત શબ્દાંશ પ્રયોજવાને બદલે હન્ટ બીજી અને છઠ્ઠી પંક્તિમાં આઠ અને છેલ્લી પંક્તિમાં ચાર જ શબ્દાંશ પ્રયોજીને સાવ ટચૂકડી હોવા છતાંય કવિતાને જોડકણું બનતું અટકાવે છે.       

          આ કવિતા પાછળની વાયકા પણ રસપ્રદ છે. કિટ્સ અને શેલી તો એમના ખાસ મિત્રો હતા. પણ સ્વભાવે વિચિત્ર થોમસ કાર્લાઇલ સાથે એમની મૈત્રી થોડી અજુગતી હતી. લાંબા સમય સુધી ફ્લૂની બિમારીમાં સપડાઈ રહ્યા બાદ જ્યારે હન્ટ સાજા થયા ત્યારે કાર્લાઇલને મળવા એના ઘરે ગયા. એ વખતે કાર્લાઇલની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ઉર્ફે જેની એમને મળ્યાં. લાંબા સમય સુધી ન દેખાયેલ હન્ટને જોતાંવેંત જેને એમને ચુંબન આપ્યું અને બે દિવસ પછી હન્ટનો નોકર જેનને એક કાગળ આપી ગયો, જેમાં આ કવિતા લખેલી હતી. એક બીજી વાર્તા એવી પણ છે કે, હન્ટે પોતે થોમસની કવિતાઓ પ્રગટ કરનાર હોવાના સમાચાર જેનને આપ્યા હતા અને ખુશીની મારી જેને ઊછળી પડીને હન્ટને ચુંબન આપ્યું હતું. એવી માહિતી પણ છે કે કવિતાના મૂળ ફરમામાં જેનીના સ્થાને ‘નેલી’ નામ હતું અને weary (થાક્યો)ના સ્થાને jaundiced (કમળાગ્રસ્ત) લખ્યું હતું.       

          કવિતા જે વાક્યથી શરૂ થાય છે એ જ વાક્ય પર એક સંપૂર્ણ વર્તુળની જેમ પૂર્ણ પણ થાય છે. આ પુનરોક્તિ કવિતામાં પ્રાણ પૂરે છે. કાવ્યાંતે ત્રણ જ પંક્તિઓમાં ચાર વાર ‘કહેજે કે’ આવે છે, જે પણ આ જ રીતિનું દ્યોતક છે. લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થયો છે. આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે શય્યાશયન સુધી પણ લંબાતા નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેગ છે, જે આવેશ છે એ તરત જ આપણને સ્પર્શી જાય છે. એક રીતે આ કવિતા માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ છે! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિથી વિપરીત ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવ્યું છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે.

          નાયક સમય સાથે ગુફ્તેગૂ માંડે છે. આખી રચનામાં કવિએ જે રીતે શબ્દોની કરકસર કરી છે એ પણ નોંધવા જેવું છે. આડીઅવળી વાત કરવાના બદલે એ સીધું જ સમયને ગળચીમાંથી પકડતા હોય એમ વાત આદરે છે- ટાઇમ, યુ થીફ! કોઈ પણ ઔપચારિકતા કરવાના બદલે એ સમયને સીધું જ સંબોધે છે અને તરત જ ચોરકરાર પણ આપી દે છે. સમય પર સીધો જ આરોપ મૂકતા નાયક કહે છે કે સમય બધી જ મીઠી વાતોને પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. સમયને અપાતો આ ઉપાલંભ કાવ્યનો પ્રાણ છે. સમય એકતરફ ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે તો બીજીતરફ ભલભલી મીઠી વાતો, સિદ્ધિઓ, પ્રસંગોનું કબ્રસ્તાન પણ સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. બીજા શબ્દોમાં, એ આપણી પાસેથી આપણો વર્તમાન સતત છીનવતો રહે છે. અને એ અર્થમાં એ હરહંમેશ પોતાની સર્વોપરિતા અને આપણા અસ્તિત્વની ક્ષુલ્લકતાનો જયઘોષ કરતો રહે છે.

          ખરી મજા તો નાયક કાળને જે ચીમકી આપે છે એની છે. એ કહે છે, ભલે તું તારી ટેવ મુજબ તારી ડાયરીમાં બધું જ નોંધી લે, પણ હું કહું છું એ નોંધવાનું ભૂલીશ નહીં. કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ હશે. સમયની આગળ નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, ઉદાસ પણ ઘણો છે. તન-મન-ધનના ત્રિવિધ તાપ -આધિ, વ્યાધિ, ઉપાધિ- સામે નાયક નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, ને મનમાં હતાશા. એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને સમ્યકાવસ્થામાં નાયક નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી ગયા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. જીવન હારી ગયું છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને. ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ (સુન્દરમ્) નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

          નાયક સમયને કહે છે કે ભલે મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ તું તારી યાદીમાં સમાવી લે પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક કરાયેલો સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

          સંગીત હોય, કે ગીત, ચિત્ર હોય કે શિલ્પ, નૃત્ય હોય કે કવિતા- ઘણીવાર એને આપણી સામાન્ય સમજની બહારના કોઈક તત્ત્વને સ્પર્શી જતાં આપણે સહુએ અનુભવ્યું જ હશે. કળા કોઈપણ હોય, ક્યારેક એ આપણી બુદ્ધિમત્તાને અતિક્રમી જઈ ઠે…ઠ ભીતરના કોઈક અગોચર રહસ્યમયી ઊંડાણને ઝંકૃત કરી બેસે છે. પરિણામે આપણને એ પસંદ આવી જાય છે. અને આવી ક્ષણે આપણને આમાં શું ગમી ગયું એ કહેવુંય કદાચ અઘરું થઈ પડતું હોય છે. ખેર, કળાની આ I-know-not-what, યાને કે સમજ અને શબ્દ બહારની દિવ્ય અલૌકિક ક્ષમતાના કારણે જ એ સદાકાળથી મનુષ્યજાતને આકર્ષતી આવી છે. બાઇબલમાં આવી જ વાત કરવામાં આવી છે: ‘કેમ કે અત્યારે આપણે અરીસા, અંધારિયામાં, જોઈ રહ્યાં છીએ, પણ પછી રૂબરૂ થઈશું: અત્યારે હું થોડું જ જાણું છું, પણ પછી હું પૂરું જાણી લઈશ.’ (રાજા જેમ્સનું સંસ્કરણ: ૧ કોરિન્થિઆન્સ ૧૩:૧૨) કળાના અર્થમાં વિચારીએ તો ઘણીવાર આપણે શરૂમાં એને માત્ર અનુભવીએ છીએ અને આનંદ લઈએ છીએ, અને પાછળથી આપણે એનું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇલિયટે કહ્યું હતું કે સાચી કવિતા સમજાય એ પહેલાં જ સંવાદ સાધી લે છે. હન્ટની આ કવિતા કાવ્યત્ત્વની દૃષ્ટિએ એવી મહાન કળાકૃતિ ન હોવા છતાંય દાયકાઓથી લોકોએ એને સિરઆંખો પર બેસાડીને અફાટ પ્રેમ આપ્યો છે. અમર કવિતાઓના સંપાદનોથી લઈને સામયિકો, અંગત ડાયરીઓ, જાહેર પ્રસંગો; પ્રેમની દરખાસ્ત મૂકવાના સમયથી માંડીને સુહાગરાત સુધી પેઢીઓની પેઢીઓએ આ કવિતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. કવિતા સારી અને સાચી હશે તો એ ટકશે જ એના જીવંત દાખલા સમી આ કવિતા નવલોહિયા સર્જકો માટે પ્રેરણાનું પીયૂષ છે. થોમસ એલને ‘(સે આઇ એમ ગ્રોઇંગ ઓલ્ડ બટ એડ) જેની કિસ્ડ મી!’ નામની નવલકથા પણ લખી છે. ૧૯૮૬ની સાલમાં ‘જેની કિસ્ડ મી’ નામની એક ફિલ્મ પણ બની હતી. બ્રોડવે પર આ નામનું નાટક પણ ભજવાઈ ચૂક્યું છે. ‘એજ ઓફ એડેલાઇન’ ફિલ્મમાં પણ નાયક નાયિકા સાથે લિફ્ટમાં પ્રથમ મુલાકાત વખતે આ કવિતાની પંક્તિઓ બોલે છે, જે આ કવિતાની લોકપ્રિયતાના માપદંડ ગણી શકાય. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

          સમય તો વૃકોદર છે. એના પેટમાં જેટલું નાંખો, પેટ ખાલીને ખાલી જ રહે છે. બ્રહ્માંડના બ્લેકહૉલમાં પ્રવેશેલી કોઈપણ વસ્તુ કરીય પરત આવી શકતી નથી એ જ રીતે સમયના બ્લેકહૉલમાં આપણી એક-એક ક્ષણ, એક-એક અનુભૂતિ પળેપળ હોમાયે જ રાખે છે પણ સમય કદી સંતોષનો ઓડકાર ખાવાનું નામ લેતો નથી. સમયે નાયકની જિંદગીની તમામ નબળી પળો, મીઠી પળો પોતાની યાદીમાં સમાવી લીધી છે. ‘કહેજે કે’થી શરૂ થતી બધી જ વાત જીવનની કાળી બાજુઓની અને સંજોગો સામેના મનુષ્યના પરાભવની વાત કરે છે. સમયનું કદ શબ્દે-શબ્દે મોટું થતું દેખાય છે. પણ કાવ્યાંતે નાયક પહેલાના બદલે ‘છેલ્લો ઘા રાણાનો’ કરે છે. એ સમયને કહે છે કે તું માત્ર મારા જીવનની નકારાત્મક બાજુઓ કે મારી હાર-નિષ્ફળતાઓ જ મને યાદ કરાવ્યે રાખશે એ કોઈ કાળે ચાલશે નહીં. ‘જેનીએ મને ચૂમી લીધો’ જેવી ખાસ પળ એવી છે, જેને તું લાખ ઇચ્છે તોય જીવનમાંથી ભૂંસી શકનાર નથી. ‘समय समय बलवान है, नहीं मनुष बलवान’ની આલબેલની સામે સાવ મામૂલી ભાસતી અને સાવ નાની કહી શકાય એવી જીવનની યાદગાર પળો છાતી કાઢીને ઊભી રહે છે. નાની-નાની પણ મીઠી યાદો સમય જેવા સમયને માત દઈ શકે એટલી તાકતવર હોય છે.

હે સમય! તું સ્મરણ રાખ આ વાતનું

કે, સ્મરણનું મરણ થાય ના કોઈ દિ…..  

4 replies on “ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ”

  1. પ્રિય વિવેકભાઈ,
    આ બધી ગ્લૉબલ કવિતાનો સન્ગ્રહ એક પુસ્તક રુપે પ્રકાશિત કરો!
    I will be a great documentation and milestone for translated poems.
    keep up!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *