ગ્લૉબલ કવિતા : ૧૪૯ : ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

ગુલાબ લાલ, લાલ

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ તથા અભિવ્યક્તિમાં અતિશયોક્તિ એ આદિકાળથી મનુષ્યમાત્રની અનિવાર્યતા રહી છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આજે આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ ઉભય પક્ષે અપાતા વચનો અશક્ય હોવાની સમજૂતિ હોવા છતાં પ્રેમને આ વચનોની આપલે વિના ચાલતું નથી એ પણ હકીકત છે. પ્રેમની ઘણીકે બાબત અસંભવ હોવા છતાં આપણને આકર્ષે છે, કેમકે પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે. પ્રસ્તુત રચનામાં બર્ન્સ પ્રેમની આ વિભાવનાઓને ચરિતાર્થ કરી બતાવે છે.

રૉબર્ટ બર્ન્સ. ૨૫-૦૧-૧૭૫૯ના રોજ સ્કૉટલેન્ડના કાઇલ જિલ્લ્લાના ઍરશાયર નજીકના એલોવે ગામમાં ખેડૂત પિતાએ હાથે બનાવેલા માટીના ઝૂંપડામાં જન્મ. ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાં સૌથી મોટા રૉબર્ટ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’ જેવું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં બાળપણથી જ ખેતમજૂરીમાં જોતરાયા. આકરી મજૂરીના કારણે શરીરનો બાંધો નબળો રહ્યો અને ખૂંધ નીકળી આવી. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યા પણ સફળતા પચાવી ન શક્યા. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યા નહીં. ઊલટું કવિ હોવાના અહેસાસે આ બદીઓ વધુ વકરાવી. ખેતીમાં નિષ્ફળ રહ્યા. એક્સાઇઝ સહિતની અનેક નોકરીઓ કરી. પણ એમની ખર્ચાળ જીવનશૈલી માટે નોકરી અને કવિતા અપૂરતાં હતાં. જિન આર્મર સાથે લગ્ન પૂર્વે અને પશ્ચાત એકાધિક પ્રેમસંબંધે પણ જોડાયા. લફરાંઓ ઉપરાંત રુઢિચુસ્ત ધર્મ અને નૈતિકતા સામેની વિદ્રોહી વૃત્તિના કારણે પણ તેઓ જાણીતા હતા. પરિસ્થિતિ અને સંગત અનુસાર પોતાનું વ્યક્તિત્વ બદલી શકનાર બર્ન્સને લોકોએ કાચિંડા પણ કહ્યા છે. સતત અજંપો, અસંતોષી સ્વભાવ, ઉદાસીના હુમલા, ઘેરા તણાવ અને બેબાક જીવનશૈલીના કારણે હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારી અકાળે વકરી અને ૨૧-૦૭-૧૭૯૬ના રોજ ડમ્ફ્રીસ ખાતે એમનું નિધન થયું.

ખૂબ નાની વયે દુનિયા છોડી જવા છતાં અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની લાંબી યાદીમાં માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ માનભેર મોખરે બિરાજે છે. ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખાયેલ એમના ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયાં. પ્રચીન લોકગીતોના લયને એમણે પુનર્જીવન બક્ષ્યું. પ્રાદેશિક આબોહવા, સ્થળવિશેષ, રીતિરિવાજો અને લોકબોલીને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એમની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે તેઓ સ્કોટલેન્ડના રાષ્ટ્રીય કવિ ગણાયા. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં પણ સ્કૉટિશ છાંટની ભરમારવાળી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે. એમની કાવ્યપ્રતિભા એમના કટાક્ષોમાં ચરમસીમાએ પહોંચે છે. પ્રેમ અને માનવસ્વભાવની લાક્ષણિકતાઓની ઝીણામાં ઝીણી ઝાંય કવિતાઓમાં પકડવામાં એ સફળ રહ્યા છે.

પ્રથમ કાવ્યપંક્તિથી જાણીતી આ સુપ્રસિદ્ધ રચના ઉત્તમોત્તમ ગીતરચના (Lyrical poetry)નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રાચીન લોકગીતોમાં વપરાતું બૅલડ મીટર પ્રયોજીને કવિએ ચાર ચતુષ્ક વડે સોળ પંક્તિનું આ નાનકડું પણ ચુસ્ત ગીત રચ્યું છે. એકી પંક્તિઓમાં આયમ્બિક ટેટ્રામીટર (અષ્ટકલ) તથા બેકી પંક્તિઓમાં આયમ્બિક ટ્રાઇમીટર (ષટકલ) વપરાયા છે, પણ કવિતાની ૧, ૩, ૧૦, ૧૨, તથા ૧૬મી પંક્તિમાં નિયત માત્રાસંખ્યા કરતાં એક માત્રા વધારાની છે. દરેક ચતુષ્કની બીજી તથા ચોથી પંક્તિમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે, જે બૅલડ મીટરનું મુખ્ય પાસું ગણાય. આ સિવાય છેલ્લા બે અંતરામાં એકી પંક્તિઓમાં શબ્દોની પુનરુક્તિના કારણે આભાસી પ્રાસ પણ મળે છે, જેના કારણે કેટલાક એને ‘કોમન મીટર’ ગણી બેસે છે. ગુજરાતી અનુવાદમાં અષ્ટક-ષટક મુજબ યંત્રવત્ માત્રામેળ કરવાના બદલે લોકગીતનો લય જાળવવું અને અબઅબ પ્રકારે પ્રાસ મેળવવું વધુ પર્યાપ્ત જણાયું છે. આજે જેમ આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોની ભરમાર નજરે ચડે છે એમ એ સમયે કવિના અંગ્રેજીમાં સ્કૉટિશ બોલીની અસર અલગ કરી શકાતી નથી: Love (Luve), Melody (Melodie), Pretty (bonnie), Lady (Lass), Gone (Gang) વગેરે.

ઈ.સ. ૧૭૯૪માં લખાયેલા આ ગીતની અચંબાજનક હકીકત એ છે કે એ બર્ન્સનું મૌલિક સર્જન નથી. બર્ન્સે પોતે કબૂલ્યું છે કે આ ગીત એણે મેળવ્યું છે, લખ્યું નથી. સ્કૉટલેન્ડના ખેતરોમાં ગવાતાં અનેક ગીતો કવિના જાદુઈ સ્પર્શથી નવોન્મેષ પામ્યાં છે. બર્ન્સે આ ગીત કાગળ પર ઊતાર્યું એના સોએક વર્ષ પૂર્વેથી આ ગીત અસ્તિત્વમાં હતું અને કંઠોપકંઠ પેઢી દર પેઢી ઝીલાયા કરતું હતું. ‘ધ વૉન્ટન વાઇફ ઑફ કૅસલ ગેટ’ નામે જાણીતા લાંબાલચ્ચ લોકગીતમાં વચ્ચે આવતી આ પંક્તિઓ જુઓ:

Her Cheeks are like the Roses,
that blossoms fresh in June;
O shes like some new-strung Instru-ment
thats newly put in tune.

આ જ રીતે ‘ધ ટ્રુ લવર્સ ફેરવેલ’ નામથી જાણીતા લોકગીતની કેટલીક પંક્તિઓ પણ જોવા જેવી છે:

O fare you well, my own true love,
O fare you well for a while;
And I will surely return back again,
If I go ten thousand a-mile,

Shall the stars fall from the skies, my dear,
Or the rocks melt with the sun?
I will never be false to the girl of my heart,
Till all these things be done

કેટલું સામ્ય! આને ઊઠાંતરી કહીશું? ખેતરોમાં કે સામાજિક પ્રસંગોએ ગવાતાં લોકગીતો આપણે સહુ સાંભળતાં આવ્યાં છીએ પણ આ ઘાસની ગંજીમાંથી કવિતાની સોય શોધી કાઢીને સામે લઈ આવવી અને એની અપૂર્ણતાઓ અને ખામીઓને દૂર કરીને, ક્યાંકથી કોઈક શબ્દ, ક્યાંકથી કોઈક વિશેષણ, તો ક્યાંકથી વાક્ય અને ક્યાંકથી આખો અંતરો ભેગાં કરીને એક નવું જ ગીત આપવું એમાં પણ કવિની કાબેલિયત જ નજરે ચડે છે. કવિએ પોતે પ્રામાણિકતાપૂર્વક કદી આ અને આવાં કેટલાંક અન્ય ગીતો પર માલિકીદાવો કર્યો પણ નથી. આજે સવા બસો વર્ષ બાદ પણ આ ગીતે એની લોકપ્રિયતા લેશમાત્ર પણ ગુમાવી નથી, એ જ એના સર્જકની ખરી સિદ્ધિ ન ગણાય?

ખેર, આપણે ગીતના લયમાં આગળ હિલ્લોળીએ… નાયક કહે છે કે એનો પ્રેમ જૂન મહિનામાં તાજા જ ખીલેલા લાલ, લાલ ગુલાબ જેવો છે. ગુલાબની જગ્યાએ જાસૂદ કે કરણે-ચંપો હોત તો?

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ બોલવું એક વાત છે અને આચરવું બીજી. નામનો મહિમા આપણે સહુ જાણીએ જ છીએ અને જિંદગી આખી આપણે નામ કમાવા પાછળ જ ખર્ચી પણ નાંખીએ છીએ. પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. વળી, કવિ લાલ શબ્દની પુનરુક્તિ કરીને ગુલાબની લાલિમાને અને પ્રેમની તીવ્રતાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. સાદો લાલ નહીં, પણ લાલ, લાલ અર્થાત્ લાલચટ્ટાક ગુલાબ જેવો કવિનો પ્રેમ વિશ્વના તમામ પ્રેમથી વધુ બળવત્તર છે અને એય જૂન મહિનામાં તાજા ખીલેલા ગુલાબ જેવો તરોતાજા. આપણે ત્યાં જૂનમાં ચોમાસુ શરૂ થાય, પણ સ્કૉટલેન્ડમાં ઉનાળો. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોનું વેલકમ એટલે સ્કૉટલેન્ડનો જૂન. મોસમ ખુશનુમા હોય તો માનવીનો મિજાજ પણ વધુ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં નવા ખીલેલા લાલમલાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી એની પ્રેયસીને કહે છે કે ન માત્ર તાજા ગુલાબ જેવો રાતોચોળ, મારો પ્રેમ તો સૂરમાં વાગતી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો છે.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા બંધમાં સમજી શકાય છે. પ્રેમી ચતુર પણ એટલો જ છે. એ એક કાંકરે બે પક્ષી વીંધે છે. પ્રેયસીના વખાણ તો કરે જ છે, પણ વખાણના ભારોભાર જાતને પણ વખાણી લે છે. કહે છે, તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. મતલબ, પ્રેમિકાને પ્રેમીના પ્રેમને લેશમાત્ર પણ ઓછો આંકવાની તક એ આપતો નથી. જો પ્રેમિકા પોતાને સંસારની સૌથી ખૂબસુરત સ્ત્રી ગણતી હોય તો એણે ફરજિયાત પ્રેમીને સર્વોત્તમ પ્રેમી પણ ગણવો જ રહ્યો. કેવું ચાતુર્ય! આ ચાતુર્ય જ બર્ન્સની કવિતાને પ્રેરિત હોવા છતાં ઉત્તમ કરાર આપે છે. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી અને તે છતાંય હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. એંડ્રુ માર્વેલની ‘ટુ હિસ કૉય મિસ્ટ્રેસ’ની હજારો વર્ષની સમયરેખા પર લંબાતી અતિશયોક્તિ પણ તરત જ યાદ આવે. પણ પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે અને વળી આંધળો પણ છે, (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”) બીજા બંધની ચારમાંથી બે પંક્તિ ત્રીજા બંધમાં કવિ પુનઃ પ્રયોજે છે. આ પુનરોક્તિ પ્રેમના અહેસાસને વધુ ધારદાર બનાવે છે. એના કારણે નાયકની અતિશયોક્તિ સાચી માની લેવાનું આપણને પણ મન થાય છે. ત્રીજા બંધમાં આગલા બંધની બે પંક્તિ સિવાય ‘મારી વહાલી’ સંબોધન પણ દોહરાવાયું છે, જે નાયિકાને પોતાના પરના નાયકના મમત્વની સાથોસાથ પોતાના પરના વહાલની તીવ્રતા અનુભવવામાં મદદરૂપ બને છે.

પુનરોક્તિની આ રીતિ કાવ્યાંતે પણ ચાલુ રહે છે. અંતિમ બંધમાં પણ ‘અલવિદા’ની વાતની સાથોસાથ ‘મારી પ્રિયા’ સંબોધન પુનર્કથન પામે છે. પોતાને જે કહેવું છે એ વાતને અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાની કવિની આ શૈલીના કારણે જ કદાચ આ કવિતા સવા બે સદીઓ બાદ પણ પ્રેમીઓના દિલમાંથી ભૂંસી શકાઈ નથી. ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. દિલની ગહરાઈઓમાંથી પ્રેમ કર્યો છે. દુનિયામાં કોઈએ કોઈને કર્યો ન હોય એટલો પ્રેમ કર્યો છે અને આ પ્રેમ ન માત્ર સ્થળાતીત છે, એ કાળાતીત પણ છે. આ અલવિદા માત્ર થોડીવાર માટેની જ છે. ભલેને બે જણ વચ્ચે દસ હજાર માઈલ કેમ ન પથરાઈ પડ્યા હોય, આ જુદાઈ કે આ અંતર –જરાય લાંબાં નથી. મુસાફરી પ્રેમીઓના મિલનમાં જ પરિણમશે. (Journeys end in lovers meeting૧૦) નાયક પાછો ફરશે જ. માટે જ, પ્રતીક્ષા કે ભરોસો છોડવાના નથી. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે. પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧) સાચો પ્રેમ હંમેશા તરોતાજા રહે છે. સમયનો માર આ ગુલાબને કરમાવી શકતો નથી. દુનિયાની દીવાલ બે જણને લાંબો સમય અલગ પણ કરી શકતી નથી. સમયના બેવડાં પરિમાણનો પણ પ્રેમમાં પરિચય થાય છે. એક તરફ નાયકનો પ્રેમ સમય અને દુનિયા અંત પામે તોય ટકી રહે એવો અંતહીન છે તો બીજી તરફ દસ હજાર માઇલની દૂરી પણ ‘થોડી જ વાર’માં કપાઈ જવાનો અડગ આત્મવિશ્વાસ છે. સમયના આ બે અંતિમોનો કવિ એકસાથે સાક્ષાત્કાર કરાવે છે. આ પ્રેમનો ચમત્કાર છે. જે રીતે ગુલાબનું આયુષ્ય ટૂંકું છે, પણ ખુશબૂ દીર્ઘજીવી છે; એ જ રીતે આપણું જીવન નાશવંત છે પણ આપણી પ્રણયસંવેદના અમર છે એ સમજ જ આ કવિતાનો સાર છે.

[લેખમાં ટાંકેલા અંગ્રેજી અવતરણો શેક્સપિઅરના છે: (૧) રોમિઓ એન્ડ જુલિએટ, (૨) સૉનેટ નં. ૧૮, (૩) ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના, (૪) રોમિઓ એન્ડ જુલિએટ, (૫) અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ, (૬) ધ મર્ચન્ટ ઑફ વેનિસ, (૭) લવ્સ લેબર્સ લોસ્ટ, (૮) સૉનેટ નં. ૧૮, (૯) મચ અડુ અબાઉટ નથિંગ, (૧૦) ટ્વેલ્ફ્થ નાઇટ, (૧૧) વિનસ એન્ડ એડોનિસ]

ચમકે ચાંદની – ઉમાશંકર જોશી

સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર

.

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી 

ગ્લૉબલ કવિતા : ૧૪૮ : તારા પગ – પાબ્લો નેરુદા

Your Feet

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda
(English Trans.: Donald Walsh)

તારા પગ

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ તરફ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.

હું જાણું છું કે તેઓ તને સહારો આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારી ડિંટડીઓનો બેતરફો જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી પર અને
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

તારા પગ જ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે….

પ્રેમમાં પ્રાપ્તિનું મહત્ત્વ છે. પ્રાપ્તિ માટે મુસાફરી જરૂરી છે. મુસાફરી પ્રેમ વિના અસંભવ છે. કોઈને દિલથી ચાહતા હોઈએ તો એના માટે આપણે ન માત્ર ઘર-ગલી, સંબંધો, આખી દુનિયા ત્યજીને એને પ્રાપ્ત કરવા માટેની સફર પર નીકળી પડતાં હોઈએ છીએ. બે જણ એકમેકમાં ઓગળી જઈએ એ સિવાયની કોઈ લાગણી મનમાં બચતી નથી. સમર્પણ કરીને પ્રાપ્ત કરવા નીકળે એનું જ નામ પ્રેમ. પણ સંપૂર્ણ સમર્પણ અને સફરના અંતે સર્વાધિક સ્નેહીજન સાંપડે એ તબક્કે સ્નેહીજન જો આ આખી સફરનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું અને પ્રેમીજનના સ્વાર્પણની સાચી કિંમત આંકવાનું ચૂકી જાય તો? જો કે પ્રેમ સાચો હોય ત્યારે આવું જવલ્લે જ બનતું હોય છે. નેરુદાની પ્રસ્તુત રચનામાં પ્રેમીજન સદનસીબે પ્રિયતમાના સમર્પણ અને સફરનું સાચું મૂલ્યાંકન કરવાનું ચૂકતો નથી.

પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિએસર નેફ્ટાલી રેયેસ બાસોઆલ્ટો. થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી મોકલી હતી. ફિલ્મ જોતાં પહેલાં કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો વધુ પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. ‘મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?’ લખનાર નેરુદા વીસમી સદીના સૌથી પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકામાં ચિલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. પિતા રેલ્વે કર્મચારી હતા અને માતા શિક્ષિકા. જન્મના બે જ મહિનામાં માતાનું મૃત્યુ થયું. સાવકી માતા અને સાવકા ભાઈ-બહેન સાથે એ મોટા થયા. દસ વર્ષની વયે પ્રથમ કવિતા લખી અને પિતાની નામરજી હોવા છતાં ૧૩ વર્ષની વયે તો કવિ તરીકે જાણીતા થઈ ગયા. પિતાની નારાજગીથી બચવા કદાચ ૧૯૨૦માં એમણે ઉપનામ અપનાવ્યું, જે પાછળથી એમનું કાનૂની નામ બની ગયું. માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ સંગ્રહ પ્રગટ થયો. બીજા વર્ષે એમનો પ્રસિદ્ધ સંગ્રહ ‘ટ્વેન્ટી લવ પોએમ્સ એન્ડ અ ડેસ્પરેટ સૉન્ગ’ બહાર પડ્યો જે આજે લગભગ સો વર્ષ બાદ પણ બેસ્ટ-સેલર ગણાય છે. આ સંગ્રહમાંનો શૃંગારરસ ખાસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ધર્મે નાસ્તિક. છૂટાછેડા લીધા એ પહેલેથી જ પત્નીથી અલગ થઈ પોતાનાથી વીસ વર્ષ મોટી ડેલિયા ડેલ કેરિલ સાથે રહેતા. પાછળથી એની સાથે બીજાં લગ્ન. રાજકારણમાં શરૂથી અંત સુધી ભારત અને બર્મા સહિત ઘણા દેશોમાં ઊંચા વગદાર હોદ્દાઓ પર સતત સક્રિય રહ્યા. ચિલિઅન કમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર પણ રહ્યા. તત્કાલિન પ્રમુખે ૦૫-૦૨-૧૯૪૮ના રોજ એમના નામનું વૉરંટ જારી કરતાં મિત્રોએ તેરેક મહિનાઓ સુધી એમને ભૂગર્ભમાં સંતાડી રાખ્યા. ત્યાંથી ભાગીને આર્જેન્ટિના ગયા. પોતાના જેવા દેખાતા ગ્વાટેમાલાના અસ્ટુરિયસના પાસપૉર્ટ પર તેઓ યુરોપ ફર્યા. આ ત્રણ વર્ષમાં તેઓ ભારત સહિત અનેક દેશોમાં ફર્યા. આ દરમિયાન એમની કાળજી રાખવા માટે નિમાયેલ સ્ત્રી સાથે એમણે ત્રીજા લગ્ન કર્યા. ઈ.સ. ૧૯૫૦માં એમને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૫૩માં વતન પરત ફર્યા. એ પછી પણ સમસ્ત વિશ્વમાં ફરતા રહ્યા. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે અગસ્ટો પિનોચેટના હુકમાનુસાર ડોક્ટરે એમની હત્યા કરવા અજાણ્યો પદાર્થ ઇન્જેક્શનમાં આપ્યો હોવાની એમને શંકા હતી. હૉસ્પિટલ છોડ્યાના થોડા જ કલાકોમાં ૨૩-૦૯-૧૯૭૩ના રોજ ઇસ્લા નેગ્રા ખાતેના એમના ઘરમાં જ એમનું નિધન થયું. મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ ફેઇલ્યોર અપાયું હોવા છતાં ૨૦૧૫માં ચિલી સરકારના એક વિભાગે એમની હત્યા કરાઈ હોવાની શક્યતા ખૂબ જ વધારે હોવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. પિનોચેટે કર્ફ્યુ લાદી દીધો હોવા છતાં કવિની અંતિમયાત્રામાં લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

વિપુલ માત્રામાં વૈવિધ્યસભર સર્જન. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. વીસમી સદીના આ કવિની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાચાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, ‘પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, થેલાઓ કોલસાના ડબ્બાઓમાંના, પીપડાઓ, અને ટોપલીઓ, હાથઓ અને દાંડાઓ સુથારના ઓજારપેટી માટે. એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે જ એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના ‘ખરાબ સ્વાદ’થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.’

મૂળ સ્પેનિશ ભાષામાં ‘tus pies’ શીર્ષકથી લખાયેલી આ રચનાનો અંગ્રેજી અનુવાદ ડૉનાલ્ડ વૉલ્શે કર્યો છે. મૂળ રચનાને વાંચતા કે ઓનલાઇન સાંભળતા એમાં પ્રાસ કે એકસમાન લય જણાતા નથી એટલે એમ અનુમાન કરી શકાય કે આ મુક્તકાવ્ય-અછાંદસ છે. કવિએ ૨-૨-૩-૮-૫ પંક્તિસંખ્યાવાળા પાંચ અસમાન અંતરાઓ પ્રયોજ્યા છે, જે બબ્બે પંક્તિના બે પગ પર ઊભેલી ઉલટી માનવાકૃતિનો ભાસ પણ સર્જે છે. અંગ્રેજી અનુવાદમાં બીજા-ત્રીજા અંતરાનું કદાચ અર્થને અનુલક્ષીને એકીકરણ કરી દેવાયું છે. અનુવાદના અનુવાદમાં આમેય ઘણું બધું ચળાઈને-બદલાઈને રજૂ થતું હોય છે, એટલે કાવ્યસ્વરૂપની ચર્ચા અસ્થાને મૂકીને કાવ્ય તરફ જ પગ ઊપાડીએ.

‘તારા પગ’ શીર્ષક જેટલું સ્વયંસ્પષ્ટ છે, એટલું જ અચંબાજનક પણ છે. આંખ, હોઠ, ઝૂલ્ફ, ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ તો વિશ્વસાહિત્યમાં ચારેતરફ મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. પ્રભુના કે ગુરુના પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ હજી આપણે ત્યાં પ્રવર્તે છે. આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર ‘ચરણસ્પર્શ’ હજી સાવ ભૂંસાઈ નથી ગયો. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. લક્ષ્મણને સીતાનો ચહેરો યદ નહોતો, કેમકે એમણે એમના પગથી ઉપર દૃષ્ટિ જ ઊઠાવી નહોતી. પગની પાનીમાં તીર વાગતાં શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. વામન સ્વરૂપે વિષ્ણુએ ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. તો એ જ વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રીએ પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્ ભાગવત (સ્કન્ધ ૧૦, અધ્યાય ૩૧)માં બે શ્લોક (૭ તથા ૧૩) પણ પગ વિશે મળી આવે છે. એમાંથી એક જોઈએ:

प्रणतदेहिनां पापकर्शनम्
तृणचरानुगं श्रीनिकेतनम्।
फणिफणार्पितं ते पदाम्बुजं
कृण कुचेषु नः कृन्धि हृच्छयम्॥७॥

(આપનાં ચરણકમળ જે શરણાગત પ્રાણીઓના પાપોનો નાશ કરનાર છે, વાછરડાંઓની પાછળ જાય છે, લક્ષ્મી જેની સેવા કરે છે, સાપની ફેણ પર સવાર થાય છે, તેને અમારા સ્તનમંડળ પર મૂકીને અમારા કામાગ્નિને શાંત કરો.) આ છતાં પણ એ વાત અલગ છે કે ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. આપણે ત્યાં રમેશ પારેખનું ‘હસ્તાયણ’ જડી આવશે પણ ‘ચરણાયન’ જવલ્લે જ નજરે ચડશે. પણ નેરુદા પગની કવિતા લઈને આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે. ફ્રેન્ક સ્ટેનફર્ડ નામના સર્જકે ‘બ્લૂ યૉડેલ ઓફ હર ફીટ’ નામે કાવ્ય આ કવિતાને પાયાના પદાર્થ તરીકે વાપરીને રચ્યું છે, જે પણ આસ્વાદ્ય છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं । इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे ।“ એક વિખ્યાત લોકગીત પણ છે: “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?” નેરુદા પણ પ્રિયતમાના પગની કવિતા કરે છે. પણ પગની કવિતા કરવા પાછળનું એમનું કારણ સહજ-સામાન્ય કારણોથી અલાયદું છે. એ કહે છે, જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું. ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કારણ જે પણ હોય, કવિનો આત્મવિશ્વાસ લગરિક પણ મંદ નથી. આખી કવિતા શરૂથી અંત સુધી એક તણાવનું વહન કરે છે. પ્રિયપાત્રને મળવાનું થાય ત્યારે માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ ઘણીવાર ભારોભાર સંકોચ અનુભવતા હોય છે. આવામાં તારામૈત્રક સર્જવું ઘણીવાર ઉભય પક્ષે સંભવ બનતું નથી. પ્રથમ મિલનના આવેશ અને સંકોચની વચ્ચે પ્રવર્તતો તણાવ કવિતાના શબ્દે-શબ્દે ઝમે છે. ન જોઈને જોવાનો રોમાંચ પણ અવર્ણનીય હોય છે.

કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિનું ધ્યાન પ્રિયાના પગ તરફ જ છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોડોર દોસ્તોએવસ્કી (લેખક), એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી/છે. ઘણા નેરુદા માટે પણ આવું વિચારે છે પણ આ એક કવિતાને આધારે એમને આવું વળગણ હતું એમ કહેવું વધુ પડતું છે, કેમકે કવિએ કયા વિષય પર કવિતા નથી કરી એ સંશોધનનો વિષય છે.

મરોડદાર હાડકાંથી બનેલા પ્રિયાના પગ નાના અને સખત છે. આ મુલાયમ પગ સખત કેમ થઈ ગયા છે એનું રહસ્ય જો કે કવિતાની અંતિમ પંક્તિઓમાં ખુલે છે. આ પગ પ્રિયાને આધાર આપે છે અને એનું ફૂલ જેવું નાજુક-મીઠડું વજન પણ ઉપાડે છે. પગ પ્રિયતમાનું જ પ્રતિક પણ હોઈ શકે ને? પ્રિયતમા પણ ફૂલ-સુકોમળ મરોડદાર કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ પણ કવિ પ્રિયતમા તરફથી ફેરનજર કરતા નથી. નાજુક કમર અને એની નજાકત વધુ ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ કવિની નજરથી અછતા નથી. પ્રિયા પણ કદાચ નાયકના જેવો જ તણાવ મહેસૂસ કરે છે. એની આંખો પણ ક્યાંક દૂર તાકી રહી છે એટલે કવિને એની આંખો દૂર ઊડી ગઈ હોવાથી એના સ્થાને ખાલી ગોખલા બની ગયા હોવાનું દેખાય છે. કેવું અનૂઠું પણ સચોટ કલ્પન! નાયકના તણાવથી અવગત નયિકાનું સાશ્ચર્ય પહોળું થયેલું મોં કવિને ફળની ફાડ જેવું દેખાય છે. કેશનો રાતો રંગ પ્રેમ-આવેશ-લોહીનો રંગ ઈંગિત કરે છે. પ્રિયતમાના સૌંદર્યના રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે. જો કે ફળની ફાડ જેવું પહોળું મોં, રાતા કેશ અને નાનકડો મિનાર- આ ત્રણેય કલ્પન સાથે મળીને સંભોગશૃંગાર રચતા હોવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

ચહેરો જોઈ શકવાની અસમર્થતાને કારણે પગ તરફ મીટ માંડતો નાયક નાયિકાની સમગ્ર દેહયષ્ટિનું રસપાન કર્યા બાદ ફરીથી પગ તરફ વળે છે અને પોતાનું ધ્યાન પગ તરફ કેમ છે એનું કારણ લગભગ અંજલિસ્વરૂપે આપે છે. બેઉ માટે ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’

વીસ પંક્તિની આ કવિતામાં તેર વાર ‘તું’ અને છ વાર ‘હું’ના ઉલ્લેખ છે, જે કવિની પ્રેયસી તરફના ઉત્કટ ઉન્માદ તરફ પણ ઈશારો કરે છે. છેલ્લા અંતરામાં સ્પેનિશ કવિતાની મૂળ કાવ્યપંક્તિ Pero no amo tus piesનો અનુવાદ ‘પણ હું તારા પગને પ્રેમ કરતો નથી’ થાય છે. સમજાય છે કે ‘નથી’ની પૂર્વધારણા મૂકીને નેરુદાએ પ્રેમની તીવ્રતાનો પ્રમેય સાબિત કર્યો છે. અંગ્રેજી અનુવાદમાં આ નકાર ત્યજી દેવાતાં પ્રેમાવેશ થોડો હળવો થઈ જાય છે. આ અનુવાદની મર્યાદા છે. ચહેરો, લલચામણા સ્તન, માદક સ્તાનાગ્ર, લચીલી કમર, આંખ, સ્મિત –બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે, પગને પ્રેમ કરે છે કેમ કે એ પગ જ છે, જે પ્રેયસીને એના સુધી લઈ આવ્યા છે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. (મનોજ ખંડેરિયા)

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. ચરણ લઈને જવામાં જ્યાં વરસો લાગવાની વકી હોય ત્યાં શબ્દોની મદદથી પલક ઝપકતામાં પહોંચી જતો કવિ વળી શબ્દો વડે એ જ પગની સ્તુતિ પણ કરે છે. કેમ? તો કે, પૃથ્વી, પવન અને પાણી પર ચાલીને નાયિકા નાયક સુધી પહોંચી છે. એના નાના નાજુક પગ કદાચ આટઆટલું ચાલવાના કારણે સખત બની ગયા છે. અનંતતા, અશક્યતા અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અનંતનો છેડો, અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. એક કવિતામાં નેરુદા કહે છે: ‘તારા નિતંબથી લઈને પગ સુધી, હું એક લાંબી મુસાફરી ખેડવા ચહું છું.’ એ એમ પણ કહે છે: ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ નાયકને મળવા માટે નાયિકા સમય અને સ્થળના તમામ વ્યવધાનો પાર કરીને, લાંબી મુસાફરી તય કરીને આવી છે. માટે જ નાયક કહે છે કે, આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું. આ પગ ન હોત તો આપણું મિલન શક્ય ન હોત. આ પગ ન હોત તો આપણે એક થઈ શક્યાં ન હોત. આ પગ, પગ નથી; આપણા પ્રેમનો પ્રશસ્ત થયેલો માર્ગ છે. આ પગ આપણા સાયુજ્યના સ્વપ્નને વાસ્તવદેહ આપવામાં નિમિત્ત બન્યા છે. આ પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે, માટે જ હું તારા ચહેરાને નથી જોઈ શકતો, ત્યારે આ પગને જોઉં છું, આ પગને ચાહું છું…

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો – દયારામ 

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે  

.

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો , વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે! 
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે !

સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! 
વિરહતાપપોળીઆને મળી મહેલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે! 

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે! 
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે !

એ રે મંડાણનું મૂળ હરિઈચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે! 
શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જન પ્રતિ દયો ગાયે રે !  
– દયારામ

ગ્લૉબલ કવિતા : ૧૪૭ : ખાતરી – એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ છે, મારી પ્રિયે, સાચો માનવીય ચહેરો,
મેં મનોમન આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
અસત્યને જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે તું મને મળી જેમ કોઈ મુસાફરને મળી આવે
અચાનક એક આવકારભર્યું સ્થળ,
ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓની વચ્ચે.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાંનો પાણીનો કૂવો?
અથવા એવું કંઈ પણ જે ઈમાનદાર અને સારું છે, એક આંખ
જે આખી દુનિયાને રોશન કરે છે.
તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ.
પહેલવહેલું સારું વિશ્વ, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે દુર્લભ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

માણસ સૌંદર્યનો ભૂખ્યો છે. સૌંદર્યપાન માટે એ આખી દુનિયા ફરે છે. સ્થળનું હોય કે વ્યક્તિનું- સૌંદર્યનું મૂલ્ય એના ચાહકની ચાહના પર આધારિત હોય છે. કહે છે કે ક્લિઓપેટ્રા સાવ કાળી હતી પણ એના સૌંદર્યનું કામણ કંઈ એવું હતું કે ઇતિહાસ એને કદી પણ મિટાવી શક્યો નહીં. લૈલા તો સાવ બદસૂરત હતી એમ કહેવાય છે, પણ મજનૂની નજરે એ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હતી… સનસેટ પૉઇન્ટ પર ઊભેલા હજારો માણસ એક જ સૂર્યાસ્તને એકીસાથે જોઈ રહ્યાં હોવા છતાં દરેકનો સૂર્યાસ્ત અલગ-અલગ હોય છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીં તો સૌની શામ છે.

દરેક વસ્તુ માટે દરેકનો નજરિયો ભિન્ન હોય છે. માટે જ, જે વસ્તુ આપણને પસંદ પડી જાય છે, એના ગુણ-દોષ જોવાના બદલે એને યથાતથ ચાહવામાં જ એની ખરી ગરિમા છે. પ્રસ્તુત ગ્લૉબલ કવિતામાં પણ પુસ્તકના કવરની આકર્ષકતા પરત્વે દુર્લક્ષ સેવીને પુસ્તકમાં રહેલ ‘કન્ટેન્ટ’ પર ધ્યાન આપવાની વાત બખૂબી કરવામાં આવી છે.

એડવિન મૂર. જન્મ ૧૫-૦૫-૧૮૮૭ના રોજ સ્કૉટલેન્ડમાં ઓર્ક્ની ટાપુઓ પર ડીઅરનેસ ખાતે ખેડૂતને ત્યાં છ સંતાનોમાં છેલ્લા તરીકે જન્મ. તેઓ ચાર વર્ષના હતા ત્યારે પિતાએ ખેતર ગુમાવ્યું અને ગ્લાસગૉ રવાના થયા. બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંમાંથી ચારકોલ બનાવતી ફેક્ટરી જેવી અનેક ક્ષુલ્લક નોકરીઓ કરવાની ફરજ પડી. આ દારુણ ગરીબી, વારંવારની અસફળતા, જીવલેણ હતાશાઓએ જો કે સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. ગામડાંથી શહેર તરફની ગતિ મૂર પચાવી શક્યા નહોતા. તેઓ આ સ્થળાંતરને ‘ઇડનથી નરક’ તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર એમના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. તેઓએ લખ્યું છે: ‘અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.’ ૧૯૧૩માં કવિતા લખવી શરૂ કરી. ૧૯૧૯માં વિલા એન્ડરસન સાથે ‘એમના જીવનની સૌથી વધુ સદભાગી ઘટના’ યાને લગ્ન થયા અને લંડન ખાતે સ્થાયી થયા. મૂરની કારકિર્દી ઘડવામાં વિલાનો સિંહફાળો હતો. સહતંત્રી, પત્રકાર, અનુવાદક તરીકે કામ કર્યું. પ્રાગ, ઇટલી, સાલ્ઝબર્ગ, વિએના વગેરે જગ્યાઓએ પણ રહ્યા. ૧૯૩૯ પછી પોતાને ખ્રિસ્તી માનવા માંડ્યા. પ્રાગ તથા રોમમાં બ્રિટીશ કાઉન્સિલના ડિરેક્ટરથી લઈને કોલેજના વૉર્ડન અને યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૦૩-૦૧-૧૯૫૯ના રોજ ૭૧ વર્ષની વયે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયર ખાતે દેહત્યાગ.

હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. દરેક માણસે પોતાની જિંદગી બે વાર જીવવી જોઈએ એમ તેઓ માનતા. જંગિઅન વિચારધારા, કેળવેલો ખ્રિસ્તીભાવ, ગરીબી, શહેરની વચ્ચે અનુભવાયે રહેતું ગામડાંનું ખેંચાણ, ગરીબી, પુરુષાર્થ વગેરેએ એમની કલમને એક અલગ જ આયામ આપ્યો. પરંપરાગત કાવ્યશૈલીઓ પરની એમની હથોટી એમને એમના જમાનાની આધુનિક કવિતાઓની ફેશન-પરેડથી અલગ તારવે છે. ઈલિયટે એમની કવિતાઓ સંપાદિત કરતી વેળાએ લખ્યું હતું: ‘તેઓ પહેલાં અને સૌથી વધુ તો પોતાને જે કહેવું છે એ બાબતમાં ચિંતિત હતા. ભાવનાત્મક તીવ્રતાના દબાણ હેઠળ, અને પોતાની દૃષ્ટિને આધીન, તેઓ, લગભગ સાવ જ અચેતાવસ્થામાં, પોતાને જે કહેવું છે એ માટેનો સાચો અને અનિવાર્ય માર્ગ શોધી લેતા હતા.’ કવિતા ઉપરાંત એમણે સેંકડો વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને પુષ્કળ અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા, માન જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

કવિતાના શીર્ષક ‘ખાતરી’થી વધુ નક્કર શબ્દ દુનિયામાં જડવો કદાચ મુશ્કેલ. દુનિયાની અડધી સમસ્યાઓ માત્ર એ કારણે છે કે મનુષ્યને વાતની કે માણસની ખાતરી નથી હોતી. કોઈ પણ વ્યક્તિ કે વાત પર ખાતરી બેસી જાય તો સમસ્યા ખતમ જ સમજો. સળંગ સોળ પંક્તિઓમાં લખાયેલી આ કવિતા વાચકને વચ્ચે ક્યાંય અટકવાને અવકાશ દેતી નથી. વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યાંક પ્રાસ મળી જતાં દેખાય છે તો ક્યાંક-ક્યાંક પંક્તિઓ આયમ્બિક પેન્ટામીટર કે ટેટ્રામીટરમાં લખાયેલી પણ જોવા મળે છે, પણ મૂળે આ રચના અછાંદસ છે અને એમાં કવચિત સંભળાતા ચુસ્ત પ્રાસ અને છંદ એ એનો આગવો લય માત્ર છે. ‘જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને’ (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિ આપણને કરાવે છે. વાત ખાતરીની છે, એટલે કવિતાનો પ્રારંભ પણ ‘હા’ થી થાય છે. ‘સુલતાન’ ફિલ્મના ગીત –‘जग घूमेया, थारे जैसा ना कोई’ થી શરૂ થઈ ‘जैसी तू है वैसी रहना’ સુધી આ કવિતા પહોંચે છે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટન લખે છે, ‘તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી.’ પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રીસહજ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

એડવિન મૂર પણ આ જ વાત કહે છે. કહે છે, હા, મારી વહાલી! તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. મેંમનોમન વર્ષો સુધી તારા જ ચહેરાની રાહ જોયે રાખી છે. સાચી વસ્તુની –તારી- તલાશમાં જિંદગીભર હું ખોટી વસ્તુઓને જ જોતો રહ્યો. વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ, અસત્યમાં જ ફાંફા માર્યે રાખીએ છીએ. સાચું સૌંદર્ય સત્યમાં છે. સત્ય કડવું હોઈ શકે, પણ કદરૂપું નહીં. મજનૂને લૈલા સુંદર લાગી હતી કેમકે લૈલા એ મજનૂની જિંદગીનું એકમાત્ર સત્ય હતી.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

લાંબી પ્રતીક્ષા અને ખોટા માર્ગ પર ભટક્યા બાદ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बन्जारे को घर’ની જેમ અચાનક ખોટા સરનામાંઓની વચ્ચેથી સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. તમારું આ પ્રિયપાત્ર… તમે એને શું કહેશો? એ તમારી વેરાન જિંદગીમાં ફૂટેલો ફુવારો છે. સત્યની તલાશમાં ખીણો-પર્વતો-વંકાચૂકા રસ્તાઓ પર અસત્યની વચ્ચે રઝળતા રહેલા તમે કોઈ સૂકા પ્રદેશ જેવા છો અને આ પ્રિયતમા એમાંનો પાણીનો કૂવો છે. આગળ કવિ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરે છે. પ્રિયપાત્ર અથવા ઝંખનાનો ચરિતાર્થ આકાર માત્ર સત્ય હોવાના કારણે સુંદર કે શાતા બક્ષનાર નથી. દુનિયામાં જે કંઈ પણ વસ્તુ કે વ્યક્તિ એની જેમ જ ઈમાનદાર છે અથવા સારી છે, એ પણ આમ જ આકંઠ તરસ છિપાવી શકવા સમર્થ છે. તમારી ભીતર કોઈ ખોટ નહીં હોય તો તમારી આંખનું તેજ દુનિયાનું તેજ બને છે. જે આંખમાં સત્ય છે, ઈમાનદારી છે, સારપ છે, એ આંખ બુદ્ધની આંખ છે. એ દુનિયા આખીને રોશન કરે છે.

જેનો આત્મા શુદ્ધ અને દૃષ્ટિ પ્રબુદ્ધ છે, એ આપવામાં માને છે. એનું હૃદય મોકળું હૃદય છે, એમાં ક્યાંય સાંકડી ગલીઓ સંભવ જ નથી. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ. આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. આપવું એ આદિ કર્મ છે, સંઘરવું નહીં. પ્રેમ આપવામાં માને છે. પ્રેમ વહેંચવાથી વધે છે. સાચા દિલથી અને સાચા પ્રેમથી આપણે આપવું શરૂ કરીએ તો દુનિયા પહેલવહેલીવર સારી લાગે છે, સંસારવૃક્ષ ફૂલોથી લચી પડે છે અને આ ફૂલોના બીજ પવન સાથે ફૂંકાઈને દુનિયાભરમાં ફેલાઈ વળે છે અને દુનિયા વધુને વધુ ખૂબસુરત બને છે. સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો એ જીવનના પ્રતીકો છે. એ આપણી અલગ-અલગ અવસ્થાઓ નિર્દેશે છે. જીવનના દરેક તબક્કે આપણી સાથે જે કંઈ બને છે, એ બધું સારું જ હોય એ જરૂરી નથી. જિંદગીના રસ્તામાં આપણે જેને-જેને મળીએ એ બધું સુંદર કે સાચું જ હોવું જરૂરી નથી. પણ જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી –સાચી, ઈમાનદાર વસ્તુ- હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં, ત્યારે કવિની જેમ જ આપણને પણ ખાતરી થવી ઘટે છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાતથ જ સ્વીકારી લેવાવું જોઈએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે સાચું જ કહ્યું હતું: ‘रम्याणी वीक्ष्य।‘ (સર્વમાં સુંદરતા જ જોવી.) અને અંતે સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

રંગીલો ફાગુન ખેલીએ હો – નરસિંહ મહેતા

સ્વર: પ્રહર વોરા 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીત : અમિત ઠક્કર 
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5 

.

રંગીલો ફાગુન ખેલીએ હો, હાં રે ખેલીએ હો 
ખેલત રાધાજી કો કંથ..

સાડી રંગીલી ને વાઘો રંગીલો, રંગીલી લાલજુકી પાઘ,
રંગરંગીલી ભાત  બની હે, રંગીલી રાધાજીની આડ. 
રંગીલો ફાગુન ખેલીએ હો..

ગોપી રંગીલી ને ગોવાળ રંગીલા, રંગીલો જમુનાનો નીર,
રંગરંગીલો ખેલ મચ્યો હે, રંગીલો રાધાજીકો ચીર.
રંગીલો ફાગુન ખેલીએ હો..

શ્યામ રંગીલો ને સેવક રંગીલા, રંગીલો ફાગુન સાર, 
રંગરંગીલો નરસૈંયાચો સ્વામી, રંગીલી ગાઈ છે ધુવાર. 
રંગીલો ફાગુન ખેલીએ હો..
– નરસિંહ મહેતા 

આઠ નવ દસ અગિયાર -રૂપાંગ ખાનસાહેબ

શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

.

આઠ નવ દસ અગિયાર,
ઘડિયાળમાં વાગે બાર,
બાર ટકોરે જાગે મીની ,
જોયે આખો કરતી ઝીણી,
ભૂખ તો લાગે છે કે એવી ,
વાત તો નથી કઈ કે’વા જેવી.. આઠ નવ દસ

છે મળી ઉપર છે મલાઈ
એક તે મીની ચઢી
જોતા ત્યાં તો ફાટી પડી … આઠ નવ દસ
-રૂપાંગ ખાનસાહેબ

ગોદ માતની ક્યાં? – ચંદ્રકાન્ત શેઠ

મા’ની ગેરહાજરીમાં ’મા’નું મહિમા ગાન છે આ ગીતમાં.
રાગ મધુવંતી અને શિવરંજનીનું સંયોજન અચાનક સ્વરાંકનમાં આવી ગયું. સ્વરનિયોજન થઈ ગયું પછી સપ્તકના એક કાર્યક્રમ દરમિયાન કોઈ કલાકારે આ સંયોજનનો રાગ મધુરંજની વગાડેલો તેવું યાદ છે.
અર્વાચીન ગુજરાતી કવિતામાં આ વિષય પર સૌ પ્રથમ દલપતરામની ભુજંગી છંદમાં કવિતા છે-
‘મહા હેતવાળી દયાળી જ મા તું’
દામોદર ખુશાલદાસ બોટાદકરની કવિતા
‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ સૌને યાદ છે જ.
રમેશ પારેખનું ‘નમાયા બાળકનું ગીત’ છે-
‘જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત
કોઈ અમસ્થા પાણીના પડછાયા ભીની બકી કરત પાંપણમાં
કદીક મારી ડૂબી જવાની હોનારતને માટે મીઠી નદી હોત કારણમાં
અંદર મા નો છાલક છાલક સાદ બહાર વરસાદ હાથમાં જળબંબોળા હોત
તો પંખીઓ અહીંયા મારી આંખ મૂકીને ઊડી ગયાં ન હોત
જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત‘
કવિ ચંદ્રકાન્ત શેઠનું આ ગીત (આજે ખાસ)સાંભળો.
-અમર ભટ્ટ
 
સ્વર: ઓસમાણ મીર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત  માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

પીડાના ટાંકણાની – મનોજ ખંડેરિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સંગીત : અમર ભટ્ટ
સ્વર : અમર ભટ્ટ

.

પીડાના ટાંકણાની ભાત લઇ દરવાજે ઊભો છું,
કળામય આગવો આઘાત લઇ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન રાત લઇ દરવાજે ઉભો છુ.

તમે જેના અભાવે વાસી દીધા દ્વાર વર્ષોથી,
હું એ વિશ્વાસની મિરાત લઇ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શિશુ ભોળો, દયામય મંદિર ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઇ દરવાજે ઉભો છું.
-મનોજ ખંડેરિયા

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

આજે ૨૬ નવેમ્બર – સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવનો જન્મદિવસ.. એમને યાદ કરી આજે સાંભળીએ એમનું સૌથી પહેલું સ્વરાંકન…

સ્વરાંકન –દક્ષેશ ધ્રુવ
સ્વર – અમર ભટ્ટ

********

Posted on July 17, 2015

૬ વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રચના, આજે એક નહીં, પણ બે સ્વરાંકનો સાથે ફરી એકવાર… ગમશે ને?

સ્વર અને સ્વરાંકન – મધૂસુદન શાસ્ત્રી

 

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

જ્યાં ચરણ રુકે ત્યાં ....    Photo : Chirag Patel (at Sierra, Tahoe)
જ્યાં ચરણ રુકે ત્યાં …. Photo : Chirag Patel (at Sierra, Tahoe)

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે