પિયું પહેલી પેસેન્જરમાં આવજો – પ્રભુલાલ દ્વિવેદી

તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો.
-પ્રભુલાલ દ્વિવેદી

પાંદડી – ‘સુન્દરમ’

પાંચ વરસની પાંદડી એનો દોઢ વરસનો ભાઈ,
પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય,
ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય.

ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય,
ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય,
રખે ભાઈ જાગતો સૂતો હોય.

રાણકી સહિયર રમવા આવી, પાંચીકા લાવી સાથ,
પાંદડીનું મન કૂદવા લાગ્યું, સળવળ્યા એના હાથ,
રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.

ઘોડિયું મેલ્યુ ઓરડા વચ્ચે, ઉંબરે બેઠી બેય,
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય,
બરાબર રમત જામી રહેય.

વઢતા વઢતા બે બિલાડા દોડતાં આવ્યાં ત્યાંય ,
બંને છોડીઓ બીને ઊભી ઓસરીએ નાઠી જાય,
પાંચીકા બારણામાં વેરાય.

એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય,
પગમાં બાંધેલ હીંચકા-દોરી, નાગણ શી અટવાય,
દશા પારણાની ભૂંડી થાય.

આંચકા સાથે ઊછળ્યું ખોયું, ઊછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોથ જમીનપે, ભાઈલો રીડો ખાય,
ત્યાં તો મા દોડતી આવી જાય.

એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું એમાં કહો શુંનું શું ન થાય ?
ભલા ભગવાન ! આ શું કહેવાય ?
-સુન્દરમ્

ગ્લૉબલ કવિતા : ૧૯૭ : વસંત વિલાસ – પ્રાચીન ગુજરાતીનું બેનમૂન વિશ્વકાવ્ય : ૦૨

ગયા અંકમાં આપણે પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસના પરિચય સાથે કેટલાક દોહા માણ્યા. આજે થોડા બીજા અણમોલ મૌક્તિકોના ઝળહળાટના સાક્ષી બનીએ:

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

સતત વહેતા સમયના વહેણમાં તણાઈ જતા ક્ષણભંગુર યૌવનનો હવાલો આપીને કવિ નાયિકાને કામક્રીડામાં સમર્પિત થવા આહ્વાન આપે છે. કહે છે, આજે ભલે તારાં આ સ્તનો સુદૃઢ કેમ ન હોય, એ કંઈ કાયમ આવાં ઉન્નત રહેનાર નથી. સમયની સાથે એ લચી પડી એનું સૌંદર્ય ગુમાવશે જ. માટે હે મૂર્ખ સ્ત્રી! શા માટે આમ મૂર્ખતા દેખાડે છે? કયા કારણથી તું પોતાના યૌવન પર અભિમાન કરે છે? આ યુવાની તો થોડા દિવસોની જ મહેમાન છે.

माणं मुंचह देहि वल्लहजणे दिठ्ठीं तरंगुत्तरं
तारुण्णं दियहाई पंच दह वा पीणस्थणत्थंभणं। (कर्पूरमंजरी-राजशेखर) (१-१८)

(માન છોડી દે અને પિયુ તરફ પ્રેમભીની નજર કર. યૌવન પાંચ-દસ દિવસ જ છે અને દૃઢ સ્તનોની કઠિણતા પણ) શંકરાચાર્ય મોહમુદ્ગર સ્તોત્રંમાં કહે છે: ‘मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।’ (ધન, સ્વજન, યૌવનનો ગર્વ ન કર. નિમિષમાત્રમાં કાળ સર્વને હરી લેશે.) નરસિંહ મહેતા પણ ગાઈ ગયા: ‘ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ’ દેહસૌંદર્ય કાયમી ન હોવાથી નાહક પ્રિયજન પાસે માન માંગવાની મૂર્ખાઈ કરવાના બદલે પ્રેમઋતુ વસંતમાં સહવાસનો-સંભોગનો આનંદ ભરપૂર માણી લઈને જે હાલ છે એનો ઓચ્છવ કેમ ન કરવો?!

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

વસંત ઋતુ કામદેવની ચહિતી છે. આ ઋતુમાં પ્રેમદેવતા મન્મથ શરસંધાન કરે છે અને પ્રેમપ્લાવિત હૈયાંઓ કામકેલિમાં જોડાઈ અદ્વૈત સાધે છે. હાથમાં ધનુષ્ય લઈને શૂરવીર કામદેવ યુદ્ધ કરવા નિસરે અને એમના આગમનની જાણ કરવા શંખનાદ કરતાં સુભટ સાથે કવિ ભમરાઓની સરખામણી કરે છે. બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર મંડરાઈને ગુંજારવ કરતા મધુકર જાણે કે કામદેવના આવણાંના શંખ ફૂંકી રહ્યા છે. ઈસ ૧૩૬૩માં શાર્ંગધરે લખેલો શ્લોક સરખાવવા જેવો છે:

मालतीमुकुले भाति मञ्जु गुञ्जन्मधुव्रतः।
प्रयाणे पञ्चबाणस्य शंङ्खमापूरयन्निव॥ (शार्ङ्गधरपद्धति)

(માલતીની કળીઓમાં મધુર ગુંજન કરતો ભમરો જાણે પંચબાણ (કામદેવ)ના પ્રયાણસમયે શંખ ફૂંકતો હોય એવો લાગે છે.)

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

વસંતમાં પૂરબહાર ખીલેલ કેસૂડાની કળીઓ અત્યંત વાંકી હોય છે. નજરના રસ્તે ચાલી દિલોદિમાગને સંતપ્ત કરતા કેસૂડાંની આ વક્રકળીઓમાં કવિને કામદેવનું શસ્ત્ર આંકડી કે અંકુશ નજરે ચડે છે, જેના વડે કામદેવ વિરહિણીઓનાં કાળજાં બહાર ખેંચી કાઢે છે. મૂળ દોહાની જેમ અનુવાદમાં પણ વાંકડી-આંકડી-આ ઘડી એમ યમકસાંકળી પ્રયોજવામાં આવી છે. નૈષધીયચરિતમાંથી આના જેવો શ્લોક મળી આવે છે:

स्मरार्धचन्द्रेषुनिभे क्रशीयसां स्फुटं पलाशेऽध्वजुषां पलाशनात् ।
स वृन्तमालोकत खण्डमन्वितं वियोगिहृत्खण्डिनि कालखण्डजम् ॥१.८४॥

એણે વિયોગીઓનાં હૃદય ખંડિત કરતી, કામદેવના અર્ધચંદ્રાકાર બાણ જેવી કેસૂડાનાં ફૂલની દાંડી જોઈ, જે વિરહમાં દુબળા બનેલા પ્રવાસીઓનું ભક્ષણ કરતાં (બચી ગયેલા) કાળજાના ટુકડા જેવી લાગતી હતી. કાલિદાસના ઋતુસંહારમાંથી પણ આવી ઉપમા જડે છે:

किं किंशुकैः शुकमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमैर्न कृतं न दुग्धम्| (६:२०)

(પોપટની ચાંચ જેવી શોભાધારી આ કેસૂડાં શું યુવાચિત્તને નથી ચીરતાં? આ કર્ણિકાર પુષ્પો પણ તેને ઘાયલ નથી કરતાં?) સાતવાહન-હાલ કવિને પણ કેસૂડાનાં ફૂલના આકારમાં પોપટની ચાંચ નજરે ચડી હતી: કીર-મુહ-સચ્છેહેહિં રેહઇ વસુહા પલાસ-કુસુમેહિં. (સૂડાની ચાંચ સમાં કેસૂડાનાં ફૂલ ધરતી પર શોભી રહ્યાં છે.) એમનું જ પુષ્પોને કામદેવનું આયુધ ગણાવતું એક પ્રાકૃત મુક્તક પણ જોવા જેવું છે:

સહિ દુમ્મેંતિ કલંબાઇં જહ મં તહ ન સેસ-કુસુમાઇં
નૂણં ઇમેસુ દિઅહેસુ વહઇ ગુડિયા-ધણું કામો

હે સખી! જેવી કદંબકળીઓ મને પીડે છે, તેવાં બીજાં પુષ્પો મને નથી પીડતાં: આ દિવસોમાં તો કામદેવ જાણે કે હાથમાં ગિલોલ લઈને ફરતો હોય છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

નાયિકા એની સખીને પોતાને થયેલાં શુકનની વાત કરી રહી છે. આજે આ બે’ક ઘડીભરથી એની સાથળો ફરકી રહી છે. જાંઘ ફરકતી હોવાનું શુકન સૂચવે છે કે નાયક અને નાયિકાનું મિલન થવાની સંભાવના ઊજળી છે. મતલબ હવે વિરહના સૌ દુઃખ દૂર થવાની પળ ઢૂંકડી આવી ઊભી છે. અને નાયિકાને ટૂંક સમયમાં જ પ્રાણપિયુના સમાગમના રાજ્ય જેવું સુખ પ્રાપ્ત થશે. વસંતવિલાસના શ્લોકે શ્લોકે વેરાયેલી નાનાવિધ યમકસાંકળી સાછંદ પદ્યાનુવાદમાં જાળવવી તો કદાચ જ શક્ય બને, પણ સાથળ-આ પળ, વામશું-પામશું જેવી યમકસાંકળીથી મૂળ દોહરાની બને એટલા નજીક રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

વસંતઋતુના વર્ણનથી વિપ્રલંભશૃંગાર તરફ વળ્યા બાદ કવિતા નખશિખ સંભોગશૃંગાર તરફ વળી છે. કામકેલિને કવિ બે પાત્રો વચ્ચેના યુદ્ધ તરીકે જુએ છે. કવિ નાયિકાના ઉન્નત, સુદૃઢ સ્તનોને સુરતસંગ્રામમાં ભાગ લેતા વીરયોદ્ધાઓ સાથે સરખાવે છે. કામક્રીડા દરમ્યાન તેઓ જરાય નીચું નમતા નથી, અર્થાત્ ઢીલા પડતા નથી. ઊલટું, પતિરૂપી મહાસુભટ, મહાવીરનો સામનો થતાં જ સહેજ પણ ડર્યા વિના ચોળીરૂપી બખ્તરનો પણ ત્યાગ કરી દઈને ઊઘાડાં થઈ જાય છે. અને પતિનો સામનો કરે છે. સામાન્યરીતે બખ્તર યોદ્ધાનું રક્ષણ કરતું હોય છે, પણ સ્તન આવૃત્ત હોય એના કરતાં નિરાવૃત્ત હોય ત્યારે પુરુષોને વધુ આસાનીથી વશ કરી શકે છે, એ હકીકત કવિના મનમાં રમતી હોવાનો અત્રે ખ્યાલ આવે છે. સોમેશ્વરદેવના કીર્તિકૌમુદીમાં પણ સમાન વિચાર જોવા મળે છે:

निगिदितुं विधिनाऽपि न शक्यते सुभटता कुचयोः कुटिलभ्रुवाम्।
सुरतसंश्रमतः प्रियपीडितावपि नतिं न गतौ गतकञ्चुकौ ॥७९॥

વક્રભ્રૂકુટીવાળીઓના સ્તનોની વીરતા વર્ણવવું વિધાતા માટે પણ શક્ય નથી. સુરતસંગ્રામમાં પ્રિયએ ભીડાવ્યા છતાં એ કંચુકવિહોણા સ્તન નમ્યાં નહીં.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

માલતી, ભમરો અને કેસૂડાના પ્રતીકથી કવિ કેવી મજાની વાત કહે છે! પ્રિયતમાનો વિરહાગ્નિ સહન ન થતાં પ્રિયુ અન્ય સ્ત્રીના સહવાસમાં સુખ શોધવાના ફાંફા મારતો હોય અને એ અન્ય સ્ત્રી જાત પર અભિમાન કરે એ જોવમાં આવતાં નાયિકા એ મદભરી માનુનીને ઠંડો ડામ આપતી હોય એમ કહે છે, કે તારે નાહક ફુલાવાની જરૂર નથી. પિયુ તો પોતાની વિરહવેદના અસહ્ય બનતાં બે ઘડી રાહત મેળવવા માટે જ તારા પડખામાં આવ્યો છે. આ સાથ કંઈ કાયમી નથી. વિયોગ પૂર્ણ થતાં જ એ તારો ત્યાગ કરશે. આ વિચારથી બિલકુલ વિપરિત દોહો પણ વસંતવિલાસમાંથી જડી આવે છે:

બઉલસિરી મદભીંભલ ઈ ભલપણું અલિરાજ,
સંપતિ વિણ સુકુમાલ તી માલતી વીસરી આજ. |૭૪|

અલિરાજ! બોરસલ્લીમાં મદવિહ્વળ થયો એ તારું ભલાપણું છે? (પુષ્પ)સંપત્તિ વિનાની સુકુમાર (સૂકાઈ ગયેલ) માલતીને તેં આજે વિસારી દીધી છે!

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

ફૂલે-ફૂલે ભમીને મધુરસપાન કરતા ભમરાએ આમ તો સુગંધમાં પી.એચડી. કરેલું હોય છે, પણ આટલો જ્ઞાની હોવા છતાં એ સુગંધથી છલકાતા ચંપાનો સ્પર્શ સુદ્ધાં કરતો નથી. આ હકીકતનો અર્થાન્તરન્યાસ કરતાં કવિ કહે છે કે સંસારમાં જે કંઈ સારું, સુંદર છે એ તમામ સાથે આવું દુર્ભાગ્ય, અવગણના જોડાયેલ હોય એ દુનિયામાં પરાપૂર્વથી ચાલ્યો આવતો નિયમ (સંબંધ) છે. સંસ્કૃત સાહિત્યમાં ચંપો સુશીલ સુંદર સ્ત્રીનું પ્રતીક લેખયો છે. ગુણજ્ઞ પુરુષો સાચા અર્થમાં સુંદર અને ગુણવંતી સ્ત્રીઓને ચાહી શકતા નથી. કદાચ પોતાનાથી ચડિયાતી સ્ત્રીનું તેજ સહી શકતા નહીં હોય! કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ બંધાય એ કોઈ ઈશ્વરકૃપા કે ઋણાનુબંધને જ આભારી હશે? શાર્ંગધર કહે છે:

भ्रमन् वनान्ते नवमञ्जरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्|
सा किं न रम्या सच किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा||
વનમાં નવમંજરીઓમાં (નવી ઊઘડેલી મંજરીઓમાં અથવા નવી લતાઓમાં) ભટકતાં ભમરાએ ગંધફલીની (ચંપકની કળીની કે પ્રિયંગુલતાની) સુવાસ લીધી નહીં. શું એ રમ્ય નથી ? તેમ એ (ભ્રમર) રમણનો જ્ઞાતા નથી ? (અર્થાત્ એ રમણ કરવાની કળામાં કુશળ નથી એમ નથી.) કેવળ ઈશ્વરેચ્છા જ બળવાન છે. (અર્થાત્ ગુણાવગુણથી નહીં પણ ઈશ્વરેચ્છાના પ્રાબલ્યથી સંબંધો બંધાય છે.) (शाङ्ग्रधरपद्धति)

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

જીવન જેમ આવ્યું એમ માણી લેવાની શીખ અહીં પ્રાપ્ત થાય છે. એકસમાન રૂપગુણ ધરાવતી બે સુંદરીઓમાં કોને ચાહવી અને કોને નહીંના અનિર્ણયના દ્વિભેટે અટવાયા કરવાના બદલે દુઃખી થયા વિના બંનેને જ કેમ ન ભોગવવી? અમરુશતક યાદ આવે:

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

એક જ આસને બેઠેલી બે પ્રેમિકાઓની, પાછળથી આદરપૂર્વક નજીક જઈને, એકની આંખો રમતના બહાને દાબીને, કપટી સહેજ ડોક નમાવીને, રોમાંચિત થઈને, પ્રેમોલ્લાસથી ઊછળતી અને મનોમન હસવાથી ખીલી ઊઠેલા ગાલવાળી બીજીને ચૂમી લે છે.

મારાં તો માનવીનાં – પિનાકીન ઠાકોર

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

મારાં તો માનવીનાં ગીત રે
કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે
મારાં તો માનવીનાં ગીત રે

માળા બાંધીને એતો,બેસે જઈ ઝૂલવારે
હૈયાના હેતમાં આ દુનિયાને ભુલવારે
ભવભવનાં વેરી સંગે મનડું માંડે છે મોંઘી પ્રીત રે
મારાં તો માનવીના ગીત રે

મનખાની માયા મારી, કેમે ના છૂટશે રે
દોરી આ આયખાની ક્યારે ના તૂટશે રે
ઘડીપલનાં ઘટમાં એતો, જુગજુગ માણ્યાની એની જીત રે
મારાં તો માનવીનાં ગીત રે
– પિનાકીન ઠાકોર

વસંત – જયશ્રી વિનુ મરચંટ

વસંતનું સુંદર અછાન્દસ!
હમણાં જ કવિયત્રી જયશ્રી વિનુ મરચંટે એમના અવાજમાં પઠન કરીને માહિતી સાથે મોકલી આપ્યું.
તમે પણ માણો ….

વસંતનું આ કાવ્ય ૧૯૭૬માં “દૂરદર્શન”ની વસંતની કવિતાની હરિફાઈમાં ત્રીજું ઈનામ પામ્યું હતું. જજ હતા વિદુષી હીરાબેન પાઠક. ઈનામ મળ્યું એનો આનંદ ખરો પણ હીરાબેનના આશિષ લેવાનો મોકો મળ્યો એનો આનંદ અનેરો હતો. હું ત્યારે ૨૭ વર્ષની હતી, મારા જીવનની ત્યારે વસંત હતી.
વસંત!

પઠન:જયશ્રી વિનુ મરચંટ

.

વસંત….
વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ..!
વસંત પાળે છે સપના, કોઈ પાંડુની હ્યદય વ્યથામાં..!
વસંત ઉજવે છે ઉત્સવ, યમુનાતટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં….!
વસંત હિમાલયના બરફમાં સંતાકુકડી રમતી ફર્યા કરે છે, ને પછી,,
રમતાં, રમતાં થાકી જાય છે ત્યારે,
ચક્રવાક મિથુનને શોધતી શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી, હસતી, ખેલતી, દડબડતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે, પ્રણયીની આંખોના વનમાં…!
ને, આ વનમાં, અહીંના દ્રુમોમાં, સૂરજ સંગે તડકે છાંયે રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ, વસંત પાછી ચાલી નીકળે છે…!
ને, સૂકાભઠ થયેલા આ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા વાંસના ઘર્ષણથી…!
ને, પછી….બાકી રહે છે
બળતરા, રાખ અને રાખમાં ચિનગારી….!
તો….
વસંતને આવતાં તો આવડે છે પણ..
જતા રહેવાની, પાછા જવાની રીત નથી આવડતી……!

-જયશ્રી વિનુ મરચંટ,કેલિફોર્નિયા

આ કવિતા ૧૯૭૬ માં મુંબઈના તે સમયના “દૂર દર્શન” ના, ગુજરાતી પ્રોગ્રામમાં યોજાયેલી “વસંત” ઋતુની કાવ્ય સ્પર્ધામાં ત્રીજું ઈનામ જીતી હતી. આદરણીય, સાહિત્યકાર હીરાબહેન પાઠક એ સ્પર્ધાના નિર્ણાયક હતાં. સેંકડો એન્ટ્રીમાંથી, સો માંથી સોંસરવી નીકળીને આવેલી આ કવિતા, આજથી ૪૫ વર્ષો પહેલાં, મેં પણ મારી યુવાનીની વસંતમાં લખી હતી. એ આનંદથી પણ બમણો આનંદ હતો આદરણીય મહાન સાહિત્યકાર સ્વ. હીરાબહેનને મળીને, એમની સાથે વાતો કરવાનો અને એમના આશીર્વાદ લેવાનો. આટલા બધા સમય પછી, આ ફેરની વસંતના વાયરા, આ વાત એની સાથે લઈને અચાનક આવ્યા અને જૂના સ્મરણોની વસંત મારા મન પર છવાઈ ગઈ.

તું હી મેરે રસના – દાદુ દયાળ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

તું હી મેરે રસના, તું હી મેરે બૈના
તું હી મેરે સ્ત્રવના, તું હી મેરે નૈના
તું હી મેરે રસના

તું હી મેરે આતમ, કવલ મંઝારી
તું હી મેરે મનસા, તુમ પરિવારી
તું હી મેરે રસના

તું હી મેરે નખસીખ, સકલ શરીરા
તું હી મેરે જિય રે, જયું જલનીરા
તું હી મેરે રસના

તુમ્હ બિન મેરે ઔર કોઈ નાહીં
તું હી મેરી જીવની,દાદૂ માંહી
તું હી મેરે રસના
– દાદુ દયાળ

સાવ રે સુક્કા ઝાડને જોઇ – રમેશ પારેખ

સ્વરાંકન અને સ્વર : વિજય ભટ્ટ

.

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

મને રામ રંગ લાગો – મીરાંબાઈ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

મને રામ રંગ લાગો,મારો જીવરો ધોકો ભાગો
મને રામ રંગ લાગો રે,રાધેશ્યામ રંગ લાગો
મારો જીવરો ધોકો ભાગો

સાચા સે મારા સાહિબ રાજી જૂઠાસે મન ભાગો
આન કાયા કો કાંઈ ભરોસો
કાચા સુતકો ધાગો રે

હરજી આયા મોરે મન ભાયા, સેજરિયા રંગ લાયા
હરજી મોટો કિરપા કિન્હી
પ્રેમ પિયાલા પાયા રે

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,હરિ ચરનન ચિત્ત લાગો
મીરાં દાસી જનમ જનમ કી
પૂરન ભાગ સબ લાગો રે
-મીરાંબાઈ

જય જય શ્રી કૃષ્ણ – રાણી રૂપ કુંવરી

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે
નંદકે દુલારે, નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે

મુરલીધર લકુટહાથ,વિહરત ગૈયનકે સાથ
નટવર સબ વેષ કિયે,યશુમતી કે પ્યારે
નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે

હોં તો તવ શરણનાથ, બિનવતિ ધરિ ચરન માથ
રૂપકુંવરી દરસહેતુ ,શરણ હોં તિહારે
નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે
-રાણી રૂપ કુંવરી