ગ્લૉબલ કવિતા : ૨૦૨ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા મેં કનકવરણા દેશ બહુના,
અને જોયા છે, હા, મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેસ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આંદામાન ટાપુના જંગલોમાં વિકસિત માનવજાતથી વિખૂટી જિંદગી જીવતા જારવાને અચાનક ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લઈ આવવામાં આવે તો એની શી હાલત થાય? કે પછી અસીમ રણમાં ભૂલા પડેલા માણસને જિંદગીની આખરી ક્ષણોમાં હર્યોભર્યો રણદ્વીપ જડે ત્યારે એ શું અનુભવે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા ઉત્તેજનાની કઈ ચરમસીમાએ હશે, કહો તો! શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજનાનો સાક્ષાત્કાર છે.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. માતાએ બાળકોને નાનીના ઘરે મોકલીને બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. જે જમાનામાં ૫૦ પાઉન્ડમાં આખું વરસ જીવી શકાય એ જમાનામાં ૨૦૦૦ પાઉન્ડનો જંગી વારસો એમને નાની તરફથી મળ્યો હતો, પણ ટ્રસ્ટીએ આજીવન એમને આ બાબતથી અજાણ રાખી એ ભોગવવા ન દીધો. બેએકવાર પ્રેમમાં પડ્યા. લગ્ન સુધી ન પહોંચી શક્યા. ૧૮૧૪માં પ્રથમ કાવ્ય લખ્યું. ૧૮૧૭માં પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. અનુવાદક પણ અવ્વલ દરજ્જાના. ‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ કવિની હયાતીમાં કવિની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ ગણાય છે. માત્ર ચોપ્પન જ કવિતાઓ લખી. પણ અલ્પાયુ અને ગણતરીના કાવ્યોમાંય ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે જે ઊંડું, અધિકૃત અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી. કિટ્સની કવિતાઓને જોઈએ ત્યારે સમજાય કે ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, ‘સ્વ’ ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

કવિતાનું શીર્ષક અહીં સાચા અર્થમાં કાવ્યઘરમાં પ્રવેશવા માટેની કૂંચી બન્યું છે. ‘ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં’ એ શીર્ષક ધ્યાનબહાર હોય તો સૉનેટ સમજવું દોહ્યલું થઈ પડે એમ છે. બહુધા અંગ્રેજી સૉનેટોની જેમ જ આ સૉનેટ પણ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના આ પેટ્રાર્કન શૈલીના સૉનેટમાં કિટ્સે એવી સહજતાથી નિભાવી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં શિખરિણી છંદમાં સ્વરાંત પ્રકારની પ્રાસરચના અલગ રીતે કરી છે. એમનેમ કંઈ આ સૉનેટ ઓગણીસમી સદીના શ્રેષ્ઠતમ સૉનેટોમાંનું એક નથી ગણાયું. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા, ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે, પહેલાં એને સમજીએ..

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈપણ . મોટાભાગના એને હોમર નામના કવિના સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ કળાઓને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટની શરૂઆત કથક પોતે કરેલા પ્રવાસો વિશે વાત માંડતો હોય એમ થાય છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે છે. શીર્ષક ધ્યાનમાં રહે તો એ ખ્યાલ પણ આવે કે આ વાત આખરે તો સાહિત્યની સ્વર્ણભૂમિની છે. કથકે આ સ્વર્ણભૂમિઓના ઘણા પ્રવાસ કરી ચૂક્યા છે. નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો જોઈ ચૂક્યા છે. કવિઓ જેને એપોલોના ટાપુ કહી વખાણ કરતાં થાકતા નથી એવા પશ્ચિમના અગણિત ટાપુઓ પણ તેઓ ફરી આવ્યા છે. કવિએ એપોલો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, કેમકે એ સંગીત-કવિતા, સૂર્ય અને પ્રકાશ વિ.નો ગ્રીક દેવતા છે. સ્વર્ણભૂમિ, નાના-મોટા રાજ્યો અને અગણિત ટાપુઓનો પ્રવાસ અર્થાત્ કવિ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી પસાર થઈ ચૂક્યા છે. મહાજ્ઞાની હોમરના વિશાળ રાજ્ય વિશે, એના અજરામર સર્જન વિશે પણ કથક જ્ઞાત છે, પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેને કરેલ અનુવાદ વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સનાતન સત્ય ઉજાગર કરે છે. જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. સવારે બે માઇલ દૂર પોતાના ઘરે ગયા. સૉનેટ લખ્યું અને દસ વાગ્યે તો ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું. નખશિખ ઉત્તેજના અને અદમ્ય પ્રેરણાના પરિપાકરૂપ સૉનેટમાં કિટ્સે પાછળથી બહુ ઓછા સુધારા કરવા પડ્યા.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! ચેપ્મેનનું હોમર પહેલીવાર વાંચતીવખતે કવિને આવો જ રોમાંચ થઈ રહ્યો છે. પ્રથમ અનુભૂતિના રોમાંચની વાત કવિ સૉનેટમાં આગળ વધારતાં કોર્ટેસને યાદ કરે છે. હેર્નાન કોર્ટેસે ૧૫૧૯માં સદીમાં મેક્સિકો જીતી પહેલવહેલીવાર મેક્સિકોની ખીણના દર્શન કર્યા હતા. વાસ્કો બાલ્બોઆ ૧૫૧૩ની સાલમાં પનામાની સંયોગીભૂમિ ઓળંગીને ડેરિયન પર્વત પરથી પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોનાર પ્રથમ યુરોપિઅન હતો. વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’નો અભ્યાસ કરનાર કિટ્સે સૉનેટ લખતી વખતે આ બે હકીકતોની ભેળસેળ કરી નાંખી હતી. સૉનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેસને ડેરિયન શિખર પર ચડીને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. તગડો બળુકો કોર્ટેસ (હકીકતમાં બાલ્બોઆ) યુરોપિયન સમુદાય માટે આજસુધી અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર ફેંકે છે ત્યારે હર્ષાવેશમાં એની વાચા હરાઈ જાય છે. એનું સૈન્ય પણ આ અનુપમ દૃશ્ય જોઈ પરસ્પર અટકળભરી નજરોથી જોઈ રહે છે. સહુની વાચા હરાઈ ગઈ છે એમ કિટ્સ લખે છે. હકીકતમાં બાલ્બોઆ અવાક્ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે કેમ એની માહિતી નથી. સૂર્યમાળાનું અગોચર રહસ્ય આકસ્મિક છતું થાય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોનો અનનુભૂત સાક્ષાત્કાર થાય એ જ રીતે હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડ્યો. ઉત્તેજનાની આ સર્વોત્કૃષ્ટ પળને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક પહેલીવાર વાંચતીવેળાએ જે નવીનતમ આનંદ અનુભવાય, માત્ર એ જ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અજાણ્યો પ્રદેશ જીતી જવાતા જીતનો, મગરૂરીનો, તાકાતનો જે સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. આ ચાવીઓ હોમરની કવિતાની લાક્ષણિકતાઓ બખૂબી ઊઘાડી આપે છે. હોમરના મહાકાવ્યો સોનાની ખાણ જેવા અમૂલ્ય છે, ઉમદા છે, જ્ઞાનના અખૂટ ભંડારભર્યાં છે. એનો સાચો મર્મ જાણવો હોય તો ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર જોઈએ. ટૂંકમાં, કોઈ પણ કાવ્યનો સાચો આસ્વાદ એની ઠેઠ ભીતર ઉતર્યા વિના, ભાવકની સર્વાંગ સજ્જતા વિના સંભવ નથી. અને ભાવક પોતાનું સો ટકા આપે તો અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય એ પણ સુનિશ્ચિત છે. હોમરના કાવ્યાનુભૂતિ નિમિત્તે કિટ્સ આપણને કાવ્યાસ્વાદની સાચી કૂંચી ગોતી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેસ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તો તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

હરિનો મારગ છે શૂરાનો – પ્રીતમદાસ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને
-પ્રીતમદાસ

આવશે આ દ્વારે એક વાર પ્રભુજી

ટહુકોના ચાહક પલ્લિકાબેને એક ગીત મોકલ્યું છે નાનકડી પ્રસ્તાવના સાથે:
એ અહીં મુકું છું, (રેકોર્ડિંગ એટલું સ્પષ્ટ નથી,પ્રયત્ન કર્યા છે એને સારું કરવાનો)
“આમ તો મારી બહેનો નાં સંગીત નાં સરે આ ગીત એમને નાનપણ માં શીખવાડ્યું હતું, પણ મારાં નાની ને એ એટલું ગમતું કે દર વખતે આખું કુટુંબ ભેગું થાય ત્યારે ગવડાવતાં. ધીરે ધીરે કુટુંબની બધી સ્ત્રીઓ (જેમાંની ઘણી આમે સંગીતમાં પારંગત હતી), અને પછીતો ગાવાનાં શોખીન પુરુષો પણ આ ગીત શીખી ગયા. સ્કુલમાં મમ્મીએ આ ગીત પર દીવા ડાન્સ કરાવ્યો, અને મોટા માસી કીર્તનનાં ક્લાસ ચલાવે, એટલે માસીઓ અને બહેનોએ મળીને રેકોર્ડ કર્યું. હવે નાની નથી (એમની જન્મ શતાબ્દી ઉજવીએ છીએ), પણ હજુએ ખુબ બહોળો પરિવાર જયારે ભેગો થાય છે, ત્યારે આ ગીત ચોક્કસ ગાઈએ છીએ.”

શબ્દ, સ્વરાંકન : ?
સ્વર : ચારૂલતા રેશમવાલા, બીના કાનાણી, ગીતા શ્રોફ અને અન્ય

.

આવશે આ દ્વારે એક વાર, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.
મારા રણકે હૈયાનાં તાર તાર રે, પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.

આંગણમાં રમતી રજકણ રૂપેરી પેલી, પગલાંથી ઓપશે અપાર.
નીચાં નમી નમી ને વેલી ને ફૂલડાં ઓ, સૌરભનો દેતાં ઉપહાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.

શીતલ સમીર ની લહેરાતી લહેર લાવે, પ્રભુનાં લેપન ની સુવાસ રે,
ફોરતી એ ફોરમનાં ઉડતાં ફુવારા મારું ભીંજવી દે અંતર પારાવાર.
પ્રભુજી મારા આવશે આ દ્વારે એક વાર.

ગ્લૉબલ કવિતા : ૨૦૧ : શબવાહિની ગંગા – પારુલ ખખ્ખર

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

– પારુલ ખખ્ખર



ગુજરાતી ભાષાની પ્રથમ વાઇરલ કવિતા – આસ્વાદ: વિવેક મનહર ટેલર

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી સભ્યતા હશે, જેને આકાર આપવામાં સાહિત્ય-કળાએ સિંહફાળો ન આપ્યો હોય. આપણી સંસ્કૃતિ ઉપર રામાયણ અને મહાભારતની સર્વગામી સર્વકાલીન સર્વાયામી અસર કોણ નકારી શકે? એમા લેઝારસે લેડી લિબર્ટીના પૂતળા વિશે ‘ન્યૂ કૉલોસસ’ નામે એક સૉનેટ લખ્યું. ફ્રાન્સે અમેરિકાની આઝાદી નિમિત્તે અને અમેરિકા-ફાન્સ વચ્ચે દોસ્તીનું ગઠબંધન મજબૂત કરવાના ઈરાદાથી અમેરિકાને સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી ભેટ આપ્યું હતું, પણ આ સૉનેટે આ પૂતળાંને ‘નિર્વાસિતોની મા’ (Mother of Exiles) કહીને સંબોધ્યું અને આઝાદીનું કે બે દેશ વચ્ચેની મૈત્રીનું પ્રતીક બની રહેવાના બદલે આ પૂતળું જાણે આંગણે આવેલ તમામને આવકારો આપતી માનું ચિહ્ન બની ગયું. પ્રતિમાનો અર્થ અને હેતુ જ સમૂળગાં બદલાઈ ગયાં. ચૌદ જ પંક્તિની કવિતા! કેવો ચમત્કાર!

સાહિત્ય-કળા આવા ચમત્કારો કરવા માટે સાચા અર્થમાં સક્ષમ છે. નેલ્સન મંડેલા બે દાયકાથીય વધુ સમય કાળકોટડીમાં કેદ હતા ત્યારે હેન્લીની ‘ઇન્વિક્ટસ’ કવિતાએ એમની હિંમત અને આશાને ટકાવી રાખવામાં સિંહફાળો ભજવ્યો હતો. ‘અન ટુ ધ લાસ્ટ’ના ગાંધીજીના જીવન પરના પ્રભાવથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે. ઇન્ટરનેટ, ટીવી ચેનલો અને ફેસબુક (૨૦૦૪) તથા વૉટ્સએપ (૨૦૦૯) જેવા સોશ્યલ મીડિયાના કારણે દુનિયામાં છેલ્લા દોઢેક દાયકામાં જેટલા પરિવર્તન આવ્યાં છે એટલા ગઈ આખી સદીમાં આવ્યાં નહીં હોય. એક અવાજને વિશ્વભરમાં પડઘાતા આજે વાર નથી લાગતી. કોઈ પણ માણસ રાતોરાત વાઇરલ, ‘ગ્લૉબલ સેન્સેશન’ બની શકે છે. ગુજરાતી સાહિત્યના ભાગે આવું સદનસીબ જો કે ભાગ્યે જ આવ્યું છે, પણ તાજેતરમાં એક કવયિત્રીએ કોરોના મહામારી દરમિયાન સરકારની નિષ્ફળતાને ખુલ્લા ચાબખા મારતી કવિતા લખી અને વાઇરલ થઈ ગઈ. કહેવાય છે કે આ કવિતા, એના વિશેની ચર્ચાઓ, પ્રતિચર્ચાઓ – આ બધા પર મળીને ૨૮૦૦૦થી વધુ કમેન્ટ્સ થઈ. ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં ઘટેલી આ શકવર્તી न भूतो, न भविष्यति ઘટનાની નોંધ કદાચ અકાદમી કે પરિષદ ન પણ લે, પણ લોકઅકાદમી અને લોકપરિષદે તો એને ફૂલો અને પથ્થરોના મહાસાગરથી નવાજી દીધી.

અમરેલીના કવયિત્રી પારુલ ખખ્ખરે રચનાને કોઈ શીર્ષક આપ્યું નથી, પણ ગુજરાતી કવિતાની સહુથી મોટી વેબસાઇટ લયસ્તરો.કોમ પર એને અપાયેલા ‘શબવાહિની ગંગા’ શીર્ષકથી એ પ્રસિદ્ધ થઈ છે. સાહિત્યસ્વરૂપની રીતે આ ગીતને મરશિયો (elegy) કે રાજિયો કહી શકાય. મરશિયો કે મરસિયો શબ્દ અરબી સંજ્ઞા मरसी યાને કે વિલાપ કરવો પરથી मर्सियः અને એ પરથી मर्सिया થઈને આપણી ભાષામાં આવ્યો. હુસૈન ઇબ્ન અલી અને સાથીદારોની કરબલાની શહીદીને યાદ કરીને મહોરમમાં રડતાં-કૂટતાં જે શોક-વિલાપના ગીતો ગવાતા એ મરસિયા કહેવાતા. સમય સાથે એના સ્વરૂપ અને હેતુ સર્વવ્યાપી થયા. મરસિયા ગાવા ‘રૂદાલી’ જેવી વ્યાવસાયિક સ્ત્રીઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાતાવરણમાં મૃત્યુનો કરંટ રેલાવતા અને શોકપ્રસંગે છાતી કૂટતાં-કૂટતાં મોટા અવાજે રડીને ગવાતાં આ શોકગીતો કદાચિત્ દુઃખનું વિરેચન (catharsis) કરવામાં નિમિત્ત બને છે. પ્રસ્તુત ગીતમાં મુખબંધ અને ત્રણ અંતરા સાથે ચૌદ પંક્તિની કાઠી અને ચોટના કારણે કોઈને ઊલટા લખાયેલ (યુગ્મક અને ત્રણ ચતુષ્ક) સૉનેટનો ભાસ થાય તો ખોટું નથી. મરશિયામાં સામાન્ય રીતે ‘હાય-હાય’ કે ‘અરેરે’ જેવો કોઈક ઉદગાર હૂકનું કામ બજાવે છે, જેના ઉપર ટીંગાઈને ગીત ગતિ કરે છે. પ્રસ્તુત રચનામાં કવયિત્રીએ ‘રાજ’ શબ્દને હૂક તરીકે વાપર્યો છે. કવયિત્રી રામરાજ્યથી માંડણી કરે છે, એ જોતાં વિચાર આવે કે ‘રાજ’ના સ્થાને ‘રામ’ સંજ્ઞા પણ વાપરી શકાઈ હોત. પણ એમ કરવા જતાં કવયિત્રી પર પડી છે એના કરતાં કદાચ અનેકગણી મોટી પસ્તાળ પડવાની સંભાવના નકારી ન શકાય. ચૌદમાંથી દસ પંક્તિઓનો ઊઠાવ ‘રાજ’ સંબોધનથી થાય છે. કવયિત્રીએ a-a /b-b-a-a/ c-c-a-a/ d-d-a-a પ્રકારે ચુસ્ત પ્રાસવ્યવસ્થાનું પાલન કર્યું છે. પ્રાસ અને અષ્ટકલમાં લયની ચુસ્ત જાળવણીના કારણે ગીતની પ્રવાહી ગેયતા ક્યાંય સુધી આપણી અંદર તરંગાયે રાખે છે.

ગીતનું મુખબંધ એવું પ્રભાવક થયું છે, કે ભાવકને આખી રચના માણવાની ફરજ પડે જ પડે. કટ્ટર વિરોધાભાસથી ગીત પ્રારંભાય છે. એકી અવાજે મડદાંઓ –જીવતાં માણસો નહીં- આપણને બધું જ સાજુંસમું હોવાનું કહે છે. ગુજરાતી ગીતમાં ‘સબ કુછ ચંગા-ચંગા’ જેવો વિભાષી પ્રયોગ વિરોધાભાસને વધુ તીવ્ર બનાવે છે. બીજી પંક્તિમાં એ બળવત્તર બને છે. એક તરફ કવયિત્રી રાજાના રાજ્યને રામરાજ્ય કહીને સંબોધે છે તો બીજી બાજુ પુણ્યસલિલા ગંગાને શબવાહિની વિશેષણ આપે છે. બે જ પંક્તિમાં કોરોનાની મહામારી નજર સમક્ષ કેવી તાદૃશ થઈ ઊઠી!

૨૦૧૯ના અંતભાગે ચીનના વુહાન શહેરમાંથી નીકળી નોવેલ કોરોના વાઇરસ [SARS-CoV-2]એ દુનિયાના તમામ દેશોમાં અજગર ભરડો લીધો. કરોડો નાગરિકો સંક્રમિત થયા. લાખોએ જાન ગુમાવ્યો. લૉકડાઉનના કારણે સમગ્ર વિશ્વમાં ઘેરી આર્થિક કટોકટી સર્જાઈ. પહેલી લહેર વખતે ન તો સારવાર નિશ્ચિત હતી, ન તો રસી ઉપલબ્ધ હતી. આખી દુનિયા ઊંઘતી ઝડપાઈ હતી. સ્પેનિશ ફ્લૂના સોએક વરસ બાદ પહેલવહેલીવાર આવી મહામુસીબત આપણે જોઈ. સદનસીબે ૨૦૨૦ના અંતભાગે પહેલી લહેરનો અંત અનુભવાયો. પણ બીજી લહેરની અધિકૃત આગાહીઓને અવગણીને સરકાર પહેલી લહેરને નાથવામાં મળેલી આકસ્મિક સફળતાની વાહવાહીને બટોરવામાં મશગુલ રહી. હંગામી હૉસ્પિટલો બંધ કરી દેવાઈ. ઓક્સિજનની, દવાની, વેન્ટિલેટર્સની અને ખાટલાઓની અછત ઊભી ન થાય એ માટે આગોતરા પગલાંઓ ભરવાના બદલે સરકાર ચૂંટણીસભાઓમાં ગુલ થઈ ગઈ. આખા વર્ષ દરમિયાન ગામડાંઓમાં કોઈ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરાયાં નહીં.

પહેલી મહામારી વખતે દેશના વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યાં. આખા દેશે એક કાને એમને સાંભળ્યા. પણ વડાપ્રધાને પહેલાં આખા દેશને તાળી-થાળી વગાડવાનો અને પછી દીવા સળગાવવાના તિકડમ આપ્યા. દેશની એકતા સિદ્ધ કરવા અને કોરોના વૉરિયર્સને માન-સન્માન આપવા માટેના આ ગતકડાંઓમાં આખો દેશ જોતરાયો. રાષ્ટ્રજોગ સંબોધનોમાં સૉશ્યલ ડિસટન્સિંગ, માસ્ક તથા સેનિટાર્ઝર્સનો વપરાશ ગૌણ વિષય બની રહ્યો. મહામારી ઉજાણીમાં ફેરવાઈ ગઈ.

પહેલી લહેર નબળી પડી કે તરત બીજી લહેર માટે આરોગ્યતંત્ર અને સાધનસુવિધાઓનો પ્રબંધ કરવાના બદલે ખુરશીની હુંસાતુંસીમાં આખો દેશ એમ જોડાયો, જાણે કોરોના કોઈ પરગ્રહની બિમારી ન હોય! થાળી-તાળી અને દીવા જેવી બાબતમાં નેતાનું આંધળું અનુકરણ કરતી પ્રજા ચૂંટણી-સરઘસો જોઈને શું શીખે? સૉશ્યલ ડિસ્ટન્સિંગ વિસારે પડી ગયું અને બીજી લહેર ત્સુનામીની જેમ દેશને ધમરોળી ગઈ. બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગની રાજ્યસરકારોએ ક્યાંય સુધી આંખમીંચામણાં કરી, ઘોડા તબેલામાંથી નાસી છૂટ્યા ત્યારે તાળાં મારવાની શરૂઆત કરી. પણ વૈશ્વિક વાહવાહી લૂંટવાની લ્હાયમાં મસમોટો જથ્થો પાડોશી દેશોને દાન કરી દેવાયો અને દેશના નાગરિકો માટે ઘરના છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો જેવો ઘાટ થયો. બિમારી અને મૃત્યુના આંકડા અમાનવીય રીતે છૂપાવવાની ગંદી રાજરમત ચાલી. એટલા બધા લોકો સાગમટે મૃત્યુ પામ્યાં કે સ્મશાન ઓછાં પડ્યાં, સ્મશાનોમાં લાકડાં ખૂટી ગયાં. ચારે તરફ મૃત્યુનો કાળો ઓછાયો ફરી વળ્યો હોય, ઘરે ઘરે જઈને યમરાજ અને એની ટોળકી મોતનો કઢંગો નાચ કરતી હોય એવામાં મરનારની પાછળ રડનારાં પણ ઓછાં જ પડે ને! મૃતકને સ્મશાને લઈ જવા માટે ડાઘુઓ પણ ક્યાંથી લાવવા?

ચોવીસે કલાક ચિતાઓ નિરંતર સળગતી રાખવી પડવાના કારણે સ્મશાનોમાં ચિમનીઓ અને ગેસની સગડીઓની ટ્રે સુદ્ધાં પીગળી ગઈ. વહીવટી તંત્રની બિનજવાબદારી અને અગમચેતીના અભાવના કારણે આરામ કરવાનું સુખ કોરોનાકાળમાં ધગધગ ધૂણતી ચિમનીઓને ક્યાંથી નસીબ થાય? અસંખ્ય ઘર આખાને આખા ખલાસ થઈ ગયા. આખાને આખા કુટુંબોનું અસ્તિત્વ જ મટી ગયું. તૂટતી બંગડીઓના ચિત્કાર અને કૂટાતી છાતીઓના આક્રંદથી રાજતંત્ર જાણે સાવ બેખબર ન હોય એમ એક તરફ કોરોનાની બીજી લહેર એક રાજ્યમાંથી બીજા રાજ્ય તરફ દરિયાના મોજાંઓની જેમ દોડી રહી હતી, અને બીજી તરફ તમામ પક્ષના નેતાઓ આંખે પાટા બાંધીને ચૂંટણીપ્રચારમાં મશગૂલ થઈ ગયા. કહે છે કે ઈસવીસન ૬૪માં રોમ ભડકે બળતું હતું ત્યારે સરમુખત્યાર શાસક ફીડલ વગાડતો હતો. નીરોની અડોઅડ બિલ્લા-રંગા નામના જઘન્ય અપરાધીઓને ગોઠવીને કવયિત્રીએ ઇતિહાસના બે અંતિમ છેડાના પૃષ્ઠોને સ-રસ રીતે ‘બાઇન્ડ’ કર્યાં છે. ‘વાહ રે’નો કટાક્ષ કવિતા વધુ પ્રાણવંતી બનાવે છે. ૧૯૭૮માં દિલ્હીમાં કુલજિતસિંહ ઉર્ફે રંગા અને જસબીરસિંહ ઉર્ફે બિલ્લાએ ગીતા અને સંજય ચોપરા નામના સોળ અને ચૌદ વર્ષના બાળકોનું ખંડણી મેળવવા અપહરણ કર્યું. પણ પિતા નૌસેનામાં હોવાની ખબર પડતાં ગીતા પર તથાકથિત બળાત્કાર ગુજારી, બંનેની કરપીણ હત્યા કરી. રંગા-બિલ્લાને ૧૯૮૨માં ફાંસી અપાઈ.

શાસકપક્ષના બે મુખ્ય નેતાઓ માટે રંગા-બિલ્લા વિશેષણ વાપરવા સામે સોશ્યલ મિડીયામાં પ્રચંડ હોબાળો થયો. કવિતા કવયિત્રીની ફેસબુક વૉલ પર પોસ્ટ થતાંની સાથે વાઇરલ થઈ ગઈ. કવિને ભાષાસૌજન્ય શીખવવા નીકળેલા લોકો પોતાનો ભાષાવિવેક જ ભૂલી બેઠા. કવિતાએ એવી આગ લગાડી, જેની નોંધ અખબારો અને ટીવી ચેનલોએ પણ લેવી પડી. અસહિષ્ણુતાના ગાડરિયા પ્રવાહમાં તણાઈ રહેલા ઘેટાંઓ ભૂલી ગયા કે કવિ તો ભગવાનને પણ ચોપડાવી શકે છે, તો દેશના વડાપ્રધાન તો વળી શી ચીજ છે? ગાંધી-નહેરુ-સરદારની ટીકા કરનારાઓ વડાપ્રધાનની ટીકા સહી ન શક્યા. અમેરિકામાં ટ્રમ્પના સમગ્ર શાસનકાળ દરમિયાન ચાલેલી વિરોધ-ઝુંબેશને સમર્થન આપતી ભારતીય પ્રજા ભૂલી ગઈ કે લોકશાહીમાં આ કરવાનો અધિકાર ભારતના સર્જકને પણ હોય જ. સમર્થ કવિઓ અને સાહિત્યકારો પણ ભીષ્મધર્મ બજાવી કવિતાનું સમર્થન કરવાથી ચૂકી ગયા. જો કે આવા લોકો માટે કવયિત્રી એ પ્રથમ પંક્તિમાં જ કહી દીધું છે કે ‘એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા.” કવયિત્રીના સમર્થનમાં પણ અસંખ્ય લોકો ઊભા રહ્યા એટલું એનું નસીબ! હિંદી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, પંજાબી અને મલયાલમ –એમ સાતથી વધુ ભાષાઓમાં કવિતાના એકાધિક અનુવાદો થયા. અનેક લોકોએ પ્રતિકાવ્યો પણ લખ્યા. પણ વિરોધીઓના લાખ ધમપછાડા છતાં અને સમસામયિક તથા રાજકારણ વિષયક મોટાભાગની કવિતાઓની જેમ કાવ્યતત્ત્વની એરણે ઉત્તમ ન હોવા છતાં આ કવિતા સ્વબળે ભાષા અને ભૂગોળના સીમાડાઓ અતિક્રમી ગઈ. લંડનના ‘ધ ઇકોનૉમિસ્ટ’ અખબારે પણ એનો અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણી છાપ્યાં.

ઑડને કહ્યું હતું કે કવિતાથી કશો સક્કરવાર વળતો નથી. પણ હકીકત એ છે કે કવિઓ અને સાહિત્યકારો પરાપૂર્વથી જનમત કેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવતા આવ્યા છે અને જનમત જ સમાજનો ચહેરો બદલી શકે છે. બાઇબલના સમયમાં ગુલામી સમાજસ્વીકૃત હતી. હિબ્રૂના પ્રથમ પયગંબર મોઝિસે તો બાપ સગી દીકરીઓને જાતીય ગુલામ તરીકે વેચી શકે છે એમ કહ્યું હતું. પણ આજે ગુલામી દુનિયાના કોઈ ખૂણામાં કાનૂની કે માન્ય નથી. શેલીએ ૧૮૧૯માં એની કવિતા ‘માસ્ક ઑફ એનાર્કી’માં અહિંસક પ્રતિકાર અને શાંતિપૂર્ણ વિરોધનો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો હતો. ગાંધીજીએ એમના લખાણોમાં આ કવિતાની પંક્તિઓ ટાંકી પણ છે. સાહિત્યનો સમાજ પરનો નિર્ણાયક પ્રભાવ નકારી શકાય એમ જ નથી.

અને કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ એમણે તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિએ તો જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ. ‘અંધ હોવા કરતાં વધુ ખરાબ શું હોઈ શકે?’ એ સવાલનો જવાબ આપતાં હેલન કેલરે કહ્યું હતું: ‘છતી આંખે આંધળા હોવું એ.’ કવયિત્રીએ જો કે આ પૂર્વે પણ સમાજ સાથે નિસ્બત ધરાવતી અનેક કવિતાઓ આપી છે. કેટલાક નમૂના જોઈએ:

દ્વાર ભીડીને ગામ બેઠું’તું,
એટલે પાદરે દવા પીધી.

જોર દેખાડી લાશ બાળી દો,
કાયદા ફાડી લાશ બાળી દો.
ગામ ભડકે બળે તે પહેલાં ઝટ
સત્ય સંતાડી લાશ બાળી દો.

કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.

વાંચનારા, છાપનારા, તાગનારા ચૂપ છે,
ઓ કવિતા! આજ તારા ચાહનારા ચૂપ છે.
આમ તો તલવાર લઈ કૂદી પડે છે જ્યાં ને ત્યાં,
તેલ પાઈ મૂછને વળ આપનારા ચૂપ છે.

આખરી બંધમાં કવયિત્રી શાસકપક્ષ પર ઓર ચાબખા કસે છે. ૧૮૩૭માં એન્ડરસને લખેલી ‘એમ્પરર્સ ન્યૂ ક્લૉથ્સ’ વાર્તાનો સંદર્ભ અહીં છે. બે ઠગ રાજાના મગજમાં પોતે અદૃશ્ય વસ્ત્રો બનાવ્યા હોવાનું ઠાંસે છે. પરિણામે રાજા આ ચમત્કારી અદૃશ્ય કપડાં પહેરીને નગરમાં સરઘસ કાઢે છે. ભયના માર્યા આખું નગર ચૂપ છે પણ એક નાનકડો બાળક ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી રાજાને વાસ્તવિક્તાનું ભાન કરાવે છે. (આવી જ વાર્તા આપણે ત્યાં અગિયારમી સદીમાં જિનેશ્વરે લખેલ ‘નિવ્વાણલીલાવૈકહા’માં પણ મળી આવે છે.) રાજાના દિવ્ય વસ્ત્રો અને નગરચર્યાનો સંદર્ભ લઈને કવયિત્રી ધાર્યું નિશાન તાકે છે. કહે છે, હે રાજા! તમે ભલે માનો છો કે તમારી પાસે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય જ્યોતિ છે, પણ આ કટોકટીકાળમાં સમગ્ર નગર (દેશ) તમારું અસલી સ્વરૂપ જોઈ રહ્યું છે. તમારી નાગાઈ શબ્દશઃ છતી થઈ ગઈ છે. પોલ ખૂલી ગઈ છે. આટલું કહીને કવયિત્રી આહ્વાન આપે છે કે મરદ હોય તે આગળ આવે અને કહે કે મારો રાજા નાગો છે. કવયિત્રીનું આ આહ્વાન સમજવામાં નિષ્ફળ અસંખ્ય ‘મરદો’ નાગા રાજાને નાગો કહેવાની મરદાનગી જો કે દાખવી શક્યા નહીં એ અલગ વાત છે. હિંદી પ્રાસથી પ્રારંભાયેલી ગુજરાતી કવિતા હિંદી શબ્દાવલિ પર આવીને પૂરી થાય છે અને કાવ્યચક્ર સંપૂર્ણ થાય છે.

લયસ્તરો પર ડૉ. તીર્થેશ મહેતા આ યુગપ્રવર્તક ગુજરાતી કવિતાનો સાચો હેતુ નિર્દેશે છે: ‘સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા!!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધીંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે! પથ્થરમાં પ્રાણ પૂરે! સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે!’ સ્વજનના મૃત્યુ પર છાતી કૂટતાં, વિલાપ કરતાં-કરતાં ગાવાનું આ ગીત છે અને ગંગામાં વહેતાં શબોની તસ્વીરો જોઈને કવયિત્રીની છાતીમાંથી આ કાવ્યગંગા પ્રગટી છે, એને ઝીલવાનું સામર્થ્ય મોટાભાગના લોકો ગુમાવી ચૂક્યા છે, પણ ગંગા તો વહીને જ રહેવાની…

અંતે, સાચી કવિતા જ એ છે જે ‘સ્વ’ની મટી જઈ ‘સર્વ’ની બની રહે.

– આસ્વાદ: વિવેક મનહર ટેલર

મુગ્ધાવસ્થા લીલીછમ – સુરેન્દ્ર ભીમાણી

પઠન:સુરેન્દ્ર ભીમાણી

.

ચોરે ને ચૌટે જો ચર્ચાઓ ચાલી રહી,
મારા ને તારા આ પ્રેમતણી લોલ.
તોયે તું માને ના, કહેતી તું સઘળાંને
મારે ને તારે કંઈ લેણું ના લોલ?

ઝાઝું ના ટકશે આ મનને છેતરવાનું,
મનમાં ખટકશે આ કપ્પટ રે લોલ.
છુપ્યો છુપાતો ના, પ્રેમ ઠરી રહેતો ના,
એયે કહેવું શું તને પડશે રે લોલ?

તારા નન્નાથી આમ દિવસો વીતી જાશે,
તરસ્યો રહીશ હું કિનારે રે લોલ.
સાચાં પાણીય મને ઝાંઝવાનાં નીર થશે,
જોતો રહીશ હું તારી વાટડી રે લોલ.

માટે હું કહું છું તને, હજીયે તું માની જા,
છોડી દે બાળ સમી જીદ તારી લોલ.
એક વાર અર્પણ તું તારું કરીને જો,
પ્રેમ પ્રેમ પ્રેમ કેવો વ્યાપ્યો છે લોલ.
– સુરેન્દ્ર ભીમાણી

જેવી જેની મોજ – અમૃત ‘ઘાયલ’

કોઈ પીએ કોઈ ચાખે, જેવી જેની મોજ
કોઈ વહેંચે કોઈ રાખે, જેવી જેની મોજ

બાબા આ તો મોજની વસ્તી, માનમોજીનો વાસ
બોલે કે મૂંગા વ્રત રાખે, જેવી જેની મોજ

સર્વ પ્રકારે મુક્ત અહીંયા, રંગબેરંગી ફૂલ
ઝૂલે ફાવે તેવી શાખે, જેવી જેની મોજ

કોઈ જીવે મરતા મરતા, કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાખે, જેવી જેની મોજ

લોકો ભાખે સારું ‘ઘાયલ’ એવો આગ્રહ શાને?
હિણામાં હીણું પણ ભાખે, જેવી જેની મોજ
– અમૃત ‘ઘાયલ’

બહુ એકલવાયું લાગે – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ઝાડ એકલું અમથું અમથું જાગે,
બહુ એકલવાયું લાગે…

પવન પાદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;

બંધ પોપચાં મીઠ્ઠા શમણાં માગે,
બહુ એક્લવાયું લાગે….

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
બહુ એકલવાયું લાગે….

અંધારાને અભણ આગિયા પાડે રોજ ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;

રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
બહુ એકલવાયું લાગે..

– વિનોદ જોશી

ઓ જાદુગર – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ખાંડી ખાંડી તડકો એનો નરમ છાંયડો કીધો,
ઓ જાદુગર! તેં વગડાને સળંગ ચાખી લીધો…

તારી આંખો હજી પીરસે ગળચટ્ટાં પકવાન,
હજી હોઠ પર હડી કાઢતાં તસતસતાં તોફાન;
જરા ઝળૂંબી બધો ઉમળકો તળિયાંઝાટક પીધો…

મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ,
મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ;
કમળપાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો…

– વિનોદ જોશી

ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück


અકિલીઝનો વિજય

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્ત્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)


પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ એ જ ખરો વિજય

મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર જ દિવસ ચાલ્યું હતું, પણ જનમાનસ પરનો એનો કબ્જો સમયાતીત છે. મહાભારતની કથા અને પાત્રો દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં સદીઓથી દેખા દેતાં આવ્યાં છે. આપણે ત્યાં મહાભારતનું જે મહત્ત્વ છે, એથીય અદકેરું મહત્ત્વ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીક પુરાણકથાઓમાં વર્ણવાયેલ, ઈસુથી બારસોએક વર્ષ પહેલાં થઈ ગયેલા ટ્રોયના યુદ્ધનું છે. અઢાર દિવસીય મહાભારતથી વિપરીત આ યુદ્ધ દસ-દસ વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ સાથે પણ અસંખ્ય પાત્રો, કથાઓ અને ઉપકથાઓ અવિનાભાવી સંબંધે જોડાયાં છે અને સદીઓથી વિશ્વભરના દેશોમાં તમામ કળાઓમાં આ પાત્રો-કથાઓ-ઉપકથાઓ સતત આલેખાતાં આવ્યાં છે. ભાગ્યે જ એવી કોઈ ભાષા હશે, જેનું સાહિત્યજગત આ યુદ્ધકથાઓ અને પાત્રોથી અભિભૂત નહીં થયું હોય. લૂઈસની પ્રસ્તુત રચના પણ આ જ યુદ્ધકથાના મહાનાયકથી પ્રેરિત છે.

લૂઈસ એલિઝાબેથ ગ્લિક. ઘણાં ગ્લુક બોલે છે, પણ Glück (/ɡlɪk/)નો સાચો ઉચ્ચાર ગ્લિક છે. ૨૨-૦૪-૧૯૪૩ના રોજ ન્યૂયૉર્કમાં જન્મ. નાની વયે કાવ્યલેખન શરૂ કર્યું. ટીનએજમાં તેઓ એનોરેક્ષિયા નર્વોસા નામની બિમારીથી પીડાતાં હતાં. એ હદે ભૂખમરો કરતાં કે મૃત્યુ ન થઈ ગયું એ જ નવાઈ. મોટાભાગે તરુણીઓને થતી આ માનસિક બિમારીમાં જાડા થઈ જવાના ડરથી યુવતીઓ ખોરાક એકદમ ઓછો કરી દે છે અને વખતોવખત ખાધા પછી ઊલટી કરી નાંખે છે. ગ્લિક ‘ડેડીકેશન ટુ હંગર’માં લખે છે: ‘મૃત્યુનો ડર, ભૂખ પ્રતિ સમર્પણનું રૂપ ધારણ કરે છે, કેમકે સ્ત્રીનું શરીર એક કબર છે; એ કંઈ પણ સ્વીકારશે. મને યાદ છે રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મૃદુ, લચી પડતાં સ્તનોને અડવું, અડવું, પંદરમા વર્ષે, એ આડે આવતાં માંસને જેને હું કુરબાન કરી દઈશ, જ્યાં સુધી અંગો મહોરવા અને છલનાથી આઝાદ ન થઈ જાય.’ આ બિમારીની સારવાર માટે એમણે સ્કૂલ છોડી દેવી પડી હતી. આ જ કારણોસર, કોલેજ અને યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ ભણ્યાં અને એ પણ કવિતાના ક્લાસિસમાં જ. આ ગાળામાં કવિતાઓ સામયિકોમાં પ્રગટ થવા માંડી. ૧૯૬૭માં ચાર્લ્સ હર્ટ્ઝ જુનિઅર સાથે લગ્ન. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ. ૧૯૭૧થી કોલેજમાં કવિતા શીખવવું શરૂ કર્યું. ૧૯૭૭માં જોન દ્રેનાવ સાથે બીજા લગ્ન. ૧૯૯૬માં છૂટાછેડા. હાલ તેઓ યેલ યુનિવર્સિટીમાં નિવાસી લેખક છે અને કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ ખાતે રહે છે. ૨૦૦૩-૦૪માં અમેરિકાના રાજકવિ. ૧૯૯૩માં પુલિત્ઝર અને ૨૦૨૦માં નોબેલ પારિતોષિક. આ સિવાય અસંખ્ય પારિતોષિકો અને ઈનામ-અકરામથી નવાજિશ.

નોબેલ પારિતોષિક એનાયત કરતી વખતે કમિટિએ ‘એમની નિર્ભ્રાંત કાવ્યબાની’ વિશે કહ્યું હતું કે, ‘એ સંયમિત સૌંદર્ય વડે વૈયક્તિક અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.’ ગ્લિકે પ્રતિભાવમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે મને આ પુરસ્કાર આપતી વખતે, સ્વીડિશ અકાદમી એવા અંતરંગ, નિજી અવાજનું સન્માન કરવાનું પસંદ કરી રહી છે, જેને સાર્વજનિક રૂપથી ક્યારેક સંવર્ધિત અથવા વિસ્તારિત કરી શકાય છે, પણ કદી બદલી શકાતો નથી.’ ગ્લિકની કવિતાઓ જાણે કે અસંખ્ય ટુકડાઓમાં વહેંચાયેલી એમની આત્મકથા જ છે. શબ્દોની કરકસર અને ઉત્તમ કળાકૌશલ્ય ઊડીને આંખે વળગે છે. અકલ્પનીય ભાષાપ્રભુત્વ અને છંદોલયની અનૂઠી સમજના કારણે તેઓ અલગ તરી આવે છે. બગીચાના ફૂલોથી લઈને ગ્રીક પુરાકથાઓના અમર પાત્રો –આ બધું જ લૂઈસની આત્માનુભૂતિ સાથે એકાકાર થઈને નવોન્મેષ ધારે છે. આઘાત, પીડા, મૃત્યુ, નિષ્ફળ માનવસંબંધો, એકલતા, જીવનની વિહ્વળ કરી દેતી વાસ્તવિકતા વગેરેના ગાઢા ભૂખરા રંગની અડખેપડખે બાળપણ, પુનર્જન્મ, ઉપચાર અને નવીનીકરણની રૂપેરી કોર એમના સર્જનમાં જોવા મળે છે. એમની મોટાભાગની કવિતાઓમાં બે પંક્તિ વચ્ચે અવકાશ રહેલો છે, જેને ભાવકે પોતાની મેળે ભરવાનો છે. ભાવક સજ્જ ન હોય તો કવિતા હાથમાંથી સરી જવાનું ભયસ્થાન જે લૂઈસમાં છે, એટલું જૂજ કવિઓમાં જ જોવા મળે છે. આંખ મીંચીને કોઈપણ કવિતા ઊપાડો, ગ્લિકની કારયત્રી પ્રતિભા આંજ્યા વિના નહીં રહે એની ગેરંટી. એમની કવિતા કાળજીપૂર્વક કોઈક કેન્દ્રબિંદુની આસપાસ પરિભ્રમણ કરતી જોવા મળે છે. વાઇલ્ડ આઇરિસમાં કવિના ઘરનો બગીચો આપણી સાથે વાતો કરે છે. એવર્નો અને ટ્રાયમ્ફ ઑફ અકિલીઝની કવિતાઓ ગ્રીક પુરાકથાના પાત્રોની આસપાસ વણાયેલ છે, એવર્નોમાં આ કથાઓ મા અને પ્રેમી વચ્ચેની દલીલોનું સ્વરૂપ લે છે તો અકિલીઝમાં એ કથાઓને સર્વકાલીન સ્વરૂપ આપે છે. અરારતની કવિતાઓ આત્મકથનાત્મક છે. ગ્લિકના દરેક સંગ્રહમાં કવિતાઓ અલગ-અલગ સ્વરૂપે પ્રગટે છે.

‘ધ ટ્રાયમ્ફ ઑફ અકિલીઝ’ કવયિત્રીના એ જ નામે ૧૯૮૫માં પ્રગટ થયેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય છે. કવયિત્રીએ બે પંક્તિથી લઈને સાત પંક્તિઓવાળા પાંચ હિસ્સામાં આ અછાંદસ કવિતાને વહેંચી છે. આખરી બે હિસ્સામાં દેખાતા અપૂર્ણાન્વય ચરણ સિવાય બધે બંધ બદલાવાની સાથે વાક્ય પૂર્ણ થાય છે. કાવ્યપ્રવેશ કરતાં પહેલાં અકિલીઝ અને ટ્રોયના યુદ્ધ (ટ્રોજન વૉર) વિશે જાણી લઈએ. હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. અન્ય કથાઓ મુજબ એ એનો પ્રેમી પણ હતો. એ જમાનાના ગ્રીસમાં પોતાનાથી ઘણી નાની વયના છોકરાઓ સાથે પુરુષોના પ્રેમસંબંધ સામાન્ય હતા. શેક્સપિઅરના નાટક ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં પણ બંનેનું ચિત્રણ પ્રેમીઓ તરીકે જ કરાયું છે.

ટ્રોયના યુદ્ધની વાત કરીએ તો, ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસ (Menelaus)ની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં મેનોલેઅસે આ કામ પોતાના ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસ (Brisēís)નો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ પેટ્રોક્લસ અકિલીઝની સલાહ વિરુદ્ધ ટ્રોયના યોદ્ધાઓને પીછેહઠ કરાવીને સંતોષ માનવાના બદલે એમની પાછળ પડ્યો, અને અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો અને એને એડીથી પોતાના રથ પાછળ બાંધી દઈ યુદ્ધના નિયમો વિરુદ્ધ ઘસડીને પોતાના કેમ્પ સુધી લઈ આવ્યો. દસ વર્ષ લાંબા આ યુદ્ધનો અંત ગ્રીક લોકોના ઝૂકી જવાના નાટક અને લાકડાના વિશાળકાય ઘોડાની ટ્રોયજનોને ભેટ આપવા સાથે આવ્યો. ઘોડાની અંદર છૂપાયેલા મહારથીઓ અભેદ્ય ટ્રોયને અંદર ઘૂસીને તહસનહસ કરી નાંખ્યું. યુદ્ધ સમાપ્ત થયું.

હૉમરના વિશાળ મહાસાગરમાંથી ગ્લિકે તો એક બુંદ જ ઊપાડ્યું છે પણ એ વાતને જે આયામ બક્ષે છે એ કવિતાને નખશિખ આસ્વાદ્ય બનાવે છે. કવિતાનું શીર્ષક અકિલીઝનો વિજય છે, પણ શરૂઆત ‘પેટ્રોક્લસની વાર્તા’થી થાય છે. ગ્લિક કહે છે, પેટ્રોક્લસની વાર્તામાં કોઈ જ બચતું નથી. અકિલીઝ, જે લગભગ યુદ્ધનો દેવતા ગણાતો હતો એ પણ આ મૃત્યુ પામે છે. અકિલીઝના વિજયને પેટ્રોક્લસની વાર્તાનું નામ આપીને ગ્લિકે મિત્રતાનો મહિમા કર્યો છે. અકિલીઝના બખ્તરની નીચે બીજું કોઈ છે એનો ખ્યાલ યોદ્ધાઓને આવે એ પહેલાં તો અકિલીઝની આભા ઓઢીને પેટ્રોક્લસે શત્રુસેનાને આંધીની જેમ ધમરોળી નાંખી. પેટ્રોક્લસ દેખાવે અકિલીઝને મળતો આવતો હતો એમ કહીને કવયિત્રી પુરાકથાની હકીકતનું સમર્થન કરે છે. અકિલીઝ દેવતા તો નહીં, પણ લગભગ દેવતા જ હતો. એ દરિયાની દેવી થીટિસ અને પીલિયસનો પુત્ર હતો. અકિલીઝ એના જમાનામાં દેવતાઓની જેમ જ અમર અને અજેય યોદ્ધા ગણાતો હતો. ગ્લિક આગળ ‘લગભગ’ મૂકીને અકિલીઝને દેવતાઓથી અલગ તારવી આપે છે.

મિત્રતાનો આડકતરો મહિમા કરી લીધા બાદ ગ્લિક સીધી વાત કરે છે. કહે છે, આ પ્રકારના મૈત્રીસંબંધોમાં સામાન્યતઃ બંને જણ એકબીજાની સેવા કરતા જ હોય છે, બંને જણ એકમેકને જરુર પડ્યે કામ આવતા જ હોય છે, પણ આ સેવા સમાન સ્તરે કદી હોતી નથી. મિત્રતા ગમે એવી ભવ્ય કેમ ન હોય, પદાનુક્રમ હંમેશા દેખીતો જ હોવાનો. કૃષ્ણ અને સુદામાની દોસ્તીના દાખલા આપણે કાયમ ભલે ને દોસ્તીની ભીંત પર ટાંગીને કેમ ન રાખીએ, બંને વચ્ચેનો તફાવત કદી ભૂલતાં નથી. પેટ્રોક્લસ વયમાં તો અકિલીઝ કરતાં ખાસ્સો મોટો હતો પણ એક સાચા સેવકની નિષ્ઠાથી અકિલીઝની દેખભાળ રાખવાનું, રાંધવાનું વિ. તમામ પ્રકારનું કામ એ કરતો હતો. પદાનુક્રમે અકિલીઝ એના કરતાં ક્યાંય વધીને હતો. અહીં કવયિત્રી અચાનક પુરાકથાનો તંતુ છોડીને હકીકત સાથે, ઇતિહાસ સાથે અનુસંધાન સાધે છે. કહે છે, આ દંતકથાઓનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કેમકે દંતકથાઓ જેના વિશે હોય છે, એ તો મૃત્યુ પામ્યો હોય છે અને જે માણસ આ દંતકથાઓનું આલેખન કરે છે, એ તો બચી ગયેલો કે ત્યાગી દેવામાં આવેલ માણસ છે. કથાનો ભાગ બનવાથી બચી ગયેલી કોઈ વ્યક્તિ પ્રેક્ષકભાવે કથા કહે ત્યારે શું સંભવ નથી કે કથા હકીકતની વધુ નજીક હોવાના સ્થાને જે-તે વ્યક્તિના અંગત વિચારો અને અભિગમની વધુ નજીક હોય?

ખેર, દોસ્તની સેવા કરતાં-કરતાં, દોસ્તનું બખ્તર પહેરીને, દોસ્ત જેવી જ શૂરવીરતા દાખવીને પેટ્રોક્લસ યુદ્ધમાં શહીદ થઈ ગયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? ઑડેનની વિખ્યાત કવિતા ‘ધ શિલ્ડ ઑફ અકિલીઝ’ (૧૯૫૨)થી ગ્લિકની આ રચના ખાસી અલગ પડે છે. ઑડેન યુદ્ધમાં એક-બે માણસના વિચારબીજને યાંત્રિક બુદ્ધિહીનતાથી અનુસરતા હજારો માણસોના જાનમાલના નુકશાનની વાત કરે છે, તો ગ્લિક દેવતાસમાન મહાયોદ્ધાની અંગત હાનિની વાત કરે છે. ઑડેન નનામા હેતુહીન મૃત્યુની વાત કરે છે, તો ગ્લિક મિત્રપ્રેમ માટે ફના થવા તૈયાર યોદ્ધાના માન અને નૈતિક વિજયની વાત માંડે છે.

દેહ-પ્રાણ સમું સાયુજ્ય શ્વસતા અકિલીઝ માટે પેટ્રોક્લસનું મૃત્યુ અસહ્ય આઘાત હતો. એના મૃત્યુના સમાચારથી એ આખેઆખો નિચોવાઈ જાય છે. હજારો દુશ્મનોને મોતને ઘાત ઉતારનાર અકિલીઝ એક મૃત્યુથી પોતાના તંબુમાં શોકના દરિયામાં ગરકાવ થઈ જાય છે. ‘પોતાનો તંબુ’ શબ્દપ્રયોગ પણ ધ્યાનાર્હ છે. ખુલ્લા દરિયામાં ભડકે બળતા જહાજોના કલ્પન પછી તરત આ શબ્દપ્રયોગ કરાયો છે. અસીમ અને સીમિતનો વિરોધાભાસ દુનિયા અને કેન્દ્રબિંદુ તરફ ઈશારો કરતો હોવાનો ભાસ થાય છે. સમુદ્ર આખો ભડકે બળતો હોય એ દાહ અકિલીઝ તંબુની અંદર બેઠા અનુભવે છે. ગ્રીક પુરાકથાઓમાં પણ આપણા પુરાણોની જેમ જ દેવતાઓ મનફાવે ત્યારે મનુષ્યજગતમાં આવનજાવન કરતા. દેવતાઓ અકિલીઝના પારાવાર શોકના સાક્ષી બને છે. અકિલીઝ લગભગ દેવતા જેવો છે, કેમ કે એ મિત્રપ્રેમ અને શોકથી પર ઊઠી શક્યો નથી. એની માતા સાગરની દેવી છે. એના કહેવાથી આગ અને ધાતુકામના દેવતા હિફેસ્ટસ અકિલીઝ માટે બખ્તર અને ઢાલ બનાવે છે. અકિલીઝ દેવતાઓથીય વધીને અપ્રતીમ શૌર્ય ધરાવતો હોવા છતાં દેવતા નથી, કેમકે એનું હૃદય મનુષ્યોની જેમ એના મિત્ર માટે અસ્તિત્વની સમગ્રતાથી દ્રવી ઊઠ્યું છે. ગ્લિકની જ ‘યેલો ડહલિઆ’ કવિતાનો અંતભાગ યાદ આવી જાય:

અમે લોકો દિવસ અને રાત જેવા હતાં,
સર્જનનું એક કાર્ય.
હું બે ભાગને
અલગ કરી શકી નહીં.

એ સમયે મૃતકને યોગ્ય અંતિમસંસ્કાર નસીબ ન થવાથી મોટી અવહેલના બીજી કોઈ ગણાતી નહોતી. હેક્ટરે પેટ્રોક્લસનો વધ કરી એનું બખ્તર, જે પ્રતીકાત્મકરૂપે અકિલીઝનો ‘હું’ હતો, એનેય તહસનહસ કરી નાંખ્યું હતું. મિત્રનું શબ અને પોતાના ગૌરવના પ્રતીક સમા બખ્તરને પરત મેળવી શબનો યોગ્ય અંતિમસંસ્કાર કરી ગુમાવેલું સન્માન પરત મેળવવું અકિલીઝ માટે અનિવાર્ય હતું. અકિલીઝ જાણતો હતો કે આ સમયે યુદ્ધમાં ઝંપલાવવાનો અર્થ માતા થીટિસે કરેલી ભવિષ્યવાણી મુજબ નિશ્ચિત મૃત્યુ જ છે, પણ એનું બખ્તર ધારીને એનું જ સ્વ-રૂપ લઈ રણે ચડેલ પેટ્રોક્લસના મૃત્યુ સાથે જ એનામાંનો દેવાંશ તો ક્યારનો મરી પરવાર્યો હતો. પ્રેમ કરવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યોને જ હાંસલ છે. દેવી-દેવતાઓ તો માત્ર કૃપા કરી જાણે. જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં અચલ અંજારિયાના સ્વરમાં સાંભળો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર