ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück


અકિલીઝનો વિજય

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્ત્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)


પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ એ જ ખરો વિજય

મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર જ દિવસ ચાલ્યું હતું, પણ જનમાનસ પરનો એનો કબ્જો સમયાતીત છે. મહાભારતની કથા અને પાત્રો દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં સદીઓથી દેખા દેતાં આવ્યાં છે. આપણે ત્યાં મહાભારતનું જે મહત્ત્વ છે, એથીય અદકેરું મહત્ત્વ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીક પુરાણકથાઓમાં વર્ણવાયેલ, ઈસુથી બારસોએક વર્ષ પહેલાં થઈ ગયેલા ટ્રોયના યુદ્ધનું છે. અઢાર દિવસીય મહાભારતથી વિપરીત આ યુદ્ધ દસ-દસ વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ સાથે પણ અસંખ્ય પાત્રો, કથાઓ અને ઉપકથાઓ અવિનાભાવી સંબંધે જોડાયાં છે અને સદીઓથી વિશ્વભરના દેશોમાં તમામ કળાઓમાં આ પાત્રો-કથાઓ-ઉપકથાઓ સતત આલેખાતાં આવ્યાં છે. ભાગ્યે જ એવી કોઈ ભાષા હશે, જેનું સાહિત્યજગત આ યુદ્ધકથાઓ અને પાત્રોથી અભિભૂત નહીં થયું હોય. લૂઈસની પ્રસ્તુત રચના પણ આ જ યુદ્ધકથાના મહાનાયકથી પ્રેરિત છે.

લૂઈસ એલિઝાબેથ ગ્લિક. ઘણાં ગ્લુક બોલે છે, પણ Glück (/ɡlɪk/)નો સાચો ઉચ્ચાર ગ્લિક છે. ૨૨-૦૪-૧૯૪૩ના રોજ ન્યૂયૉર્કમાં જન્મ. નાની વયે કાવ્યલેખન શરૂ કર્યું. ટીનએજમાં તેઓ એનોરેક્ષિયા નર્વોસા નામની બિમારીથી પીડાતાં હતાં. એ હદે ભૂખમરો કરતાં કે મૃત્યુ ન થઈ ગયું એ જ નવાઈ. મોટાભાગે તરુણીઓને થતી આ માનસિક બિમારીમાં જાડા થઈ જવાના ડરથી યુવતીઓ ખોરાક એકદમ ઓછો કરી દે છે અને વખતોવખત ખાધા પછી ઊલટી કરી નાંખે છે. ગ્લિક ‘ડેડીકેશન ટુ હંગર’માં લખે છે: ‘મૃત્યુનો ડર, ભૂખ પ્રતિ સમર્પણનું રૂપ ધારણ કરે છે, કેમકે સ્ત્રીનું શરીર એક કબર છે; એ કંઈ પણ સ્વીકારશે. મને યાદ છે રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મૃદુ, લચી પડતાં સ્તનોને અડવું, અડવું, પંદરમા વર્ષે, એ આડે આવતાં માંસને જેને હું કુરબાન કરી દઈશ, જ્યાં સુધી અંગો મહોરવા અને છલનાથી આઝાદ ન થઈ જાય.’ આ બિમારીની સારવાર માટે એમણે સ્કૂલ છોડી દેવી પડી હતી. આ જ કારણોસર, કોલેજ અને યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ ભણ્યાં અને એ પણ કવિતાના ક્લાસિસમાં જ. આ ગાળામાં કવિતાઓ સામયિકોમાં પ્રગટ થવા માંડી. ૧૯૬૭માં ચાર્લ્સ હર્ટ્ઝ જુનિઅર સાથે લગ્ન. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ. ૧૯૭૧થી કોલેજમાં કવિતા શીખવવું શરૂ કર્યું. ૧૯૭૭માં જોન દ્રેનાવ સાથે બીજા લગ્ન. ૧૯૯૬માં છૂટાછેડા. હાલ તેઓ યેલ યુનિવર્સિટીમાં નિવાસી લેખક છે અને કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ ખાતે રહે છે. ૨૦૦૩-૦૪માં અમેરિકાના રાજકવિ. ૧૯૯૩માં પુલિત્ઝર અને ૨૦૨૦માં નોબેલ પારિતોષિક. આ સિવાય અસંખ્ય પારિતોષિકો અને ઈનામ-અકરામથી નવાજિશ.

નોબેલ પારિતોષિક એનાયત કરતી વખતે કમિટિએ ‘એમની નિર્ભ્રાંત કાવ્યબાની’ વિશે કહ્યું હતું કે, ‘એ સંયમિત સૌંદર્ય વડે વૈયક્તિક અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.’ ગ્લિકે પ્રતિભાવમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે મને આ પુરસ્કાર આપતી વખતે, સ્વીડિશ અકાદમી એવા અંતરંગ, નિજી અવાજનું સન્માન કરવાનું પસંદ કરી રહી છે, જેને સાર્વજનિક રૂપથી ક્યારેક સંવર્ધિત અથવા વિસ્તારિત કરી શકાય છે, પણ કદી બદલી શકાતો નથી.’ ગ્લિકની કવિતાઓ જાણે કે અસંખ્ય ટુકડાઓમાં વહેંચાયેલી એમની આત્મકથા જ છે. શબ્દોની કરકસર અને ઉત્તમ કળાકૌશલ્ય ઊડીને આંખે વળગે છે. અકલ્પનીય ભાષાપ્રભુત્વ અને છંદોલયની અનૂઠી સમજના કારણે તેઓ અલગ તરી આવે છે. બગીચાના ફૂલોથી લઈને ગ્રીક પુરાકથાઓના અમર પાત્રો –આ બધું જ લૂઈસની આત્માનુભૂતિ સાથે એકાકાર થઈને નવોન્મેષ ધારે છે. આઘાત, પીડા, મૃત્યુ, નિષ્ફળ માનવસંબંધો, એકલતા, જીવનની વિહ્વળ કરી દેતી વાસ્તવિકતા વગેરેના ગાઢા ભૂખરા રંગની અડખેપડખે બાળપણ, પુનર્જન્મ, ઉપચાર અને નવીનીકરણની રૂપેરી કોર એમના સર્જનમાં જોવા મળે છે. એમની મોટાભાગની કવિતાઓમાં બે પંક્તિ વચ્ચે અવકાશ રહેલો છે, જેને ભાવકે પોતાની મેળે ભરવાનો છે. ભાવક સજ્જ ન હોય તો કવિતા હાથમાંથી સરી જવાનું ભયસ્થાન જે લૂઈસમાં છે, એટલું જૂજ કવિઓમાં જ જોવા મળે છે. આંખ મીંચીને કોઈપણ કવિતા ઊપાડો, ગ્લિકની કારયત્રી પ્રતિભા આંજ્યા વિના નહીં રહે એની ગેરંટી. એમની કવિતા કાળજીપૂર્વક કોઈક કેન્દ્રબિંદુની આસપાસ પરિભ્રમણ કરતી જોવા મળે છે. વાઇલ્ડ આઇરિસમાં કવિના ઘરનો બગીચો આપણી સાથે વાતો કરે છે. એવર્નો અને ટ્રાયમ્ફ ઑફ અકિલીઝની કવિતાઓ ગ્રીક પુરાકથાના પાત્રોની આસપાસ વણાયેલ છે, એવર્નોમાં આ કથાઓ મા અને પ્રેમી વચ્ચેની દલીલોનું સ્વરૂપ લે છે તો અકિલીઝમાં એ કથાઓને સર્વકાલીન સ્વરૂપ આપે છે. અરારતની કવિતાઓ આત્મકથનાત્મક છે. ગ્લિકના દરેક સંગ્રહમાં કવિતાઓ અલગ-અલગ સ્વરૂપે પ્રગટે છે.

‘ધ ટ્રાયમ્ફ ઑફ અકિલીઝ’ કવયિત્રીના એ જ નામે ૧૯૮૫માં પ્રગટ થયેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય છે. કવયિત્રીએ બે પંક્તિથી લઈને સાત પંક્તિઓવાળા પાંચ હિસ્સામાં આ અછાંદસ કવિતાને વહેંચી છે. આખરી બે હિસ્સામાં દેખાતા અપૂર્ણાન્વય ચરણ સિવાય બધે બંધ બદલાવાની સાથે વાક્ય પૂર્ણ થાય છે. કાવ્યપ્રવેશ કરતાં પહેલાં અકિલીઝ અને ટ્રોયના યુદ્ધ (ટ્રોજન વૉર) વિશે જાણી લઈએ. હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. અન્ય કથાઓ મુજબ એ એનો પ્રેમી પણ હતો. એ જમાનાના ગ્રીસમાં પોતાનાથી ઘણી નાની વયના છોકરાઓ સાથે પુરુષોના પ્રેમસંબંધ સામાન્ય હતા. શેક્સપિઅરના નાટક ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં પણ બંનેનું ચિત્રણ પ્રેમીઓ તરીકે જ કરાયું છે.

ટ્રોયના યુદ્ધની વાત કરીએ તો, ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસ (Menelaus)ની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં મેનોલેઅસે આ કામ પોતાના ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસ (Brisēís)નો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ પેટ્રોક્લસ અકિલીઝની સલાહ વિરુદ્ધ ટ્રોયના યોદ્ધાઓને પીછેહઠ કરાવીને સંતોષ માનવાના બદલે એમની પાછળ પડ્યો, અને અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો અને એને એડીથી પોતાના રથ પાછળ બાંધી દઈ યુદ્ધના નિયમો વિરુદ્ધ ઘસડીને પોતાના કેમ્પ સુધી લઈ આવ્યો. દસ વર્ષ લાંબા આ યુદ્ધનો અંત ગ્રીક લોકોના ઝૂકી જવાના નાટક અને લાકડાના વિશાળકાય ઘોડાની ટ્રોયજનોને ભેટ આપવા સાથે આવ્યો. ઘોડાની અંદર છૂપાયેલા મહારથીઓ અભેદ્ય ટ્રોયને અંદર ઘૂસીને તહસનહસ કરી નાંખ્યું. યુદ્ધ સમાપ્ત થયું.

હૉમરના વિશાળ મહાસાગરમાંથી ગ્લિકે તો એક બુંદ જ ઊપાડ્યું છે પણ એ વાતને જે આયામ બક્ષે છે એ કવિતાને નખશિખ આસ્વાદ્ય બનાવે છે. કવિતાનું શીર્ષક અકિલીઝનો વિજય છે, પણ શરૂઆત ‘પેટ્રોક્લસની વાર્તા’થી થાય છે. ગ્લિક કહે છે, પેટ્રોક્લસની વાર્તામાં કોઈ જ બચતું નથી. અકિલીઝ, જે લગભગ યુદ્ધનો દેવતા ગણાતો હતો એ પણ આ મૃત્યુ પામે છે. અકિલીઝના વિજયને પેટ્રોક્લસની વાર્તાનું નામ આપીને ગ્લિકે મિત્રતાનો મહિમા કર્યો છે. અકિલીઝના બખ્તરની નીચે બીજું કોઈ છે એનો ખ્યાલ યોદ્ધાઓને આવે એ પહેલાં તો અકિલીઝની આભા ઓઢીને પેટ્રોક્લસે શત્રુસેનાને આંધીની જેમ ધમરોળી નાંખી. પેટ્રોક્લસ દેખાવે અકિલીઝને મળતો આવતો હતો એમ કહીને કવયિત્રી પુરાકથાની હકીકતનું સમર્થન કરે છે. અકિલીઝ દેવતા તો નહીં, પણ લગભગ દેવતા જ હતો. એ દરિયાની દેવી થીટિસ અને પીલિયસનો પુત્ર હતો. અકિલીઝ એના જમાનામાં દેવતાઓની જેમ જ અમર અને અજેય યોદ્ધા ગણાતો હતો. ગ્લિક આગળ ‘લગભગ’ મૂકીને અકિલીઝને દેવતાઓથી અલગ તારવી આપે છે.

મિત્રતાનો આડકતરો મહિમા કરી લીધા બાદ ગ્લિક સીધી વાત કરે છે. કહે છે, આ પ્રકારના મૈત્રીસંબંધોમાં સામાન્યતઃ બંને જણ એકબીજાની સેવા કરતા જ હોય છે, બંને જણ એકમેકને જરુર પડ્યે કામ આવતા જ હોય છે, પણ આ સેવા સમાન સ્તરે કદી હોતી નથી. મિત્રતા ગમે એવી ભવ્ય કેમ ન હોય, પદાનુક્રમ હંમેશા દેખીતો જ હોવાનો. કૃષ્ણ અને સુદામાની દોસ્તીના દાખલા આપણે કાયમ ભલે ને દોસ્તીની ભીંત પર ટાંગીને કેમ ન રાખીએ, બંને વચ્ચેનો તફાવત કદી ભૂલતાં નથી. પેટ્રોક્લસ વયમાં તો અકિલીઝ કરતાં ખાસ્સો મોટો હતો પણ એક સાચા સેવકની નિષ્ઠાથી અકિલીઝની દેખભાળ રાખવાનું, રાંધવાનું વિ. તમામ પ્રકારનું કામ એ કરતો હતો. પદાનુક્રમે અકિલીઝ એના કરતાં ક્યાંય વધીને હતો. અહીં કવયિત્રી અચાનક પુરાકથાનો તંતુ છોડીને હકીકત સાથે, ઇતિહાસ સાથે અનુસંધાન સાધે છે. કહે છે, આ દંતકથાઓનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કેમકે દંતકથાઓ જેના વિશે હોય છે, એ તો મૃત્યુ પામ્યો હોય છે અને જે માણસ આ દંતકથાઓનું આલેખન કરે છે, એ તો બચી ગયેલો કે ત્યાગી દેવામાં આવેલ માણસ છે. કથાનો ભાગ બનવાથી બચી ગયેલી કોઈ વ્યક્તિ પ્રેક્ષકભાવે કથા કહે ત્યારે શું સંભવ નથી કે કથા હકીકતની વધુ નજીક હોવાના સ્થાને જે-તે વ્યક્તિના અંગત વિચારો અને અભિગમની વધુ નજીક હોય?

ખેર, દોસ્તની સેવા કરતાં-કરતાં, દોસ્તનું બખ્તર પહેરીને, દોસ્ત જેવી જ શૂરવીરતા દાખવીને પેટ્રોક્લસ યુદ્ધમાં શહીદ થઈ ગયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? ઑડેનની વિખ્યાત કવિતા ‘ધ શિલ્ડ ઑફ અકિલીઝ’ (૧૯૫૨)થી ગ્લિકની આ રચના ખાસી અલગ પડે છે. ઑડેન યુદ્ધમાં એક-બે માણસના વિચારબીજને યાંત્રિક બુદ્ધિહીનતાથી અનુસરતા હજારો માણસોના જાનમાલના નુકશાનની વાત કરે છે, તો ગ્લિક દેવતાસમાન મહાયોદ્ધાની અંગત હાનિની વાત કરે છે. ઑડેન નનામા હેતુહીન મૃત્યુની વાત કરે છે, તો ગ્લિક મિત્રપ્રેમ માટે ફના થવા તૈયાર યોદ્ધાના માન અને નૈતિક વિજયની વાત માંડે છે.

દેહ-પ્રાણ સમું સાયુજ્ય શ્વસતા અકિલીઝ માટે પેટ્રોક્લસનું મૃત્યુ અસહ્ય આઘાત હતો. એના મૃત્યુના સમાચારથી એ આખેઆખો નિચોવાઈ જાય છે. હજારો દુશ્મનોને મોતને ઘાત ઉતારનાર અકિલીઝ એક મૃત્યુથી પોતાના તંબુમાં શોકના દરિયામાં ગરકાવ થઈ જાય છે. ‘પોતાનો તંબુ’ શબ્દપ્રયોગ પણ ધ્યાનાર્હ છે. ખુલ્લા દરિયામાં ભડકે બળતા જહાજોના કલ્પન પછી તરત આ શબ્દપ્રયોગ કરાયો છે. અસીમ અને સીમિતનો વિરોધાભાસ દુનિયા અને કેન્દ્રબિંદુ તરફ ઈશારો કરતો હોવાનો ભાસ થાય છે. સમુદ્ર આખો ભડકે બળતો હોય એ દાહ અકિલીઝ તંબુની અંદર બેઠા અનુભવે છે. ગ્રીક પુરાકથાઓમાં પણ આપણા પુરાણોની જેમ જ દેવતાઓ મનફાવે ત્યારે મનુષ્યજગતમાં આવનજાવન કરતા. દેવતાઓ અકિલીઝના પારાવાર શોકના સાક્ષી બને છે. અકિલીઝ લગભગ દેવતા જેવો છે, કેમ કે એ મિત્રપ્રેમ અને શોકથી પર ઊઠી શક્યો નથી. એની માતા સાગરની દેવી છે. એના કહેવાથી આગ અને ધાતુકામના દેવતા હિફેસ્ટસ અકિલીઝ માટે બખ્તર અને ઢાલ બનાવે છે. અકિલીઝ દેવતાઓથીય વધીને અપ્રતીમ શૌર્ય ધરાવતો હોવા છતાં દેવતા નથી, કેમકે એનું હૃદય મનુષ્યોની જેમ એના મિત્ર માટે અસ્તિત્વની સમગ્રતાથી દ્રવી ઊઠ્યું છે. ગ્લિકની જ ‘યેલો ડહલિઆ’ કવિતાનો અંતભાગ યાદ આવી જાય:

અમે લોકો દિવસ અને રાત જેવા હતાં,
સર્જનનું એક કાર્ય.
હું બે ભાગને
અલગ કરી શકી નહીં.

એ સમયે મૃતકને યોગ્ય અંતિમસંસ્કાર નસીબ ન થવાથી મોટી અવહેલના બીજી કોઈ ગણાતી નહોતી. હેક્ટરે પેટ્રોક્લસનો વધ કરી એનું બખ્તર, જે પ્રતીકાત્મકરૂપે અકિલીઝનો ‘હું’ હતો, એનેય તહસનહસ કરી નાંખ્યું હતું. મિત્રનું શબ અને પોતાના ગૌરવના પ્રતીક સમા બખ્તરને પરત મેળવી શબનો યોગ્ય અંતિમસંસ્કાર કરી ગુમાવેલું સન્માન પરત મેળવવું અકિલીઝ માટે અનિવાર્ય હતું. અકિલીઝ જાણતો હતો કે આ સમયે યુદ્ધમાં ઝંપલાવવાનો અર્થ માતા થીટિસે કરેલી ભવિષ્યવાણી મુજબ નિશ્ચિત મૃત્યુ જ છે, પણ એનું બખ્તર ધારીને એનું જ સ્વ-રૂપ લઈ રણે ચડેલ પેટ્રોક્લસના મૃત્યુ સાથે જ એનામાંનો દેવાંશ તો ક્યારનો મરી પરવાર્યો હતો. પ્રેમ કરવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યોને જ હાંસલ છે. દેવી-દેવતાઓ તો માત્ર કૃપા કરી જાણે. જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.

3 replies on “ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *